મન ખોલતી વખતે સાવધાન રહો :
September 2, 2008 Leave a comment
મન ખોલતી વખતે સાવધાન રહો :
સામાન્ય રીતે જણાયું છે કે આપણે મનની વાત કોઈની આગળ સહજ રીતે કહીએ છીએ. આ ટેવ મોટે ભાગે નુકસાનકારક હોય છે. ક્યારેક તો તમારી વાતથી તમારો ઉદ્ધત અહંકાર અભિવ્યક્ત થવા માંડે છે તો કદીક હલકટતા. બંને સ્થિતિ નુકસાનકારક છે. એવું જોવા મળ્યું છે કે લોકોને પોતાની બીમારી, ગરીબી, નિષ્ફળતા, દુર્ભાગ્ય, તિરસ્કાર, નુકસાન, આફત વગેરેનું વર્ણન સવિસ્તાર બીજાઓને સંભળાવવામાં ખૂબ રસ પડે છે અને ઘણીવાર તો તેમાં મીઠું-મરચું ભભરાવીને વાત વધારીને કહે છે. આવા લોકો એ આશા રાખે છે કે સાંભળનાર પોતાના તરફ સહાનુભૂતિ પ્રગટ કરશે, દુ:ખી થશે, દયા કરશે અને દુ:ખી સમજીને એમના માટે સહાયતા કે પ્રેમનો ભાવ રાખશે. પરંતુ આ આશા ખાસ કરીને ઠગારી નીકળે છે.
આ દુનિયામાં એવો કાયદો છે કે જે સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, સંપન્ન, સફળ સૌભાગ્યશાળી તથા સમર્થ હોય છે તેમને જ બીજાઓની સહાનુભૂતિ અને સદ્દભાવ મળે છે. સહુ કોઈ પહેલાં પોતાના સ્વાર્થને મહત્વ આપે છે પછી બીજાની તરફ જુએ છે. કમભાગીની આત્મકથા સાંભળીને સાંભળવાવાળો વિચારે છે એના પર નસીબનો કોપ છે, પાપોનું ફળ ભોગવી રહ્યો છે, આળસુ કે અયોગ્ય છે, આવા માણસથી દૂર રહેવું જ સારું. જો એની સાથે રહીશું તો કોઈને કોઈ રીતે ગુસ્સે થવું પડશે. આવા મિત્રો રાખવાથી સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટશે. આ બધી વાતોને વિચારતો, સાંભળનારો એ વખતે શિષ્ટાચાર ખાતર ચાર શબ્દો ભલે કહે કે ભાગીતૂટી સહાયતાના ટુકડા ભલે ફેકે પણ મનોમન તે ઠપકો આપ્યા કરે છે, શુષ્કતા અને ઉદાસીનતા પ્રગટ કરવા લાગે છે.
મન ખોલતી વખતે સાવધાન રહો - શું કરવું જોઈએ :
તમે જે કાર્ય કરવાનું શરૂ કરો તેના પર મનને એકાગ્ર કરવાની ટેવ પાડો. અર્ધા મનથી શરૂ કરેલું કાર્ય અધૂરું જ રહી જાય છે. મનની એકાગ્રતાથી તમારી વાણીમાં આકર્ષણ પેદા થશે અને તમારી સામે રહેલ માણસને જ્યારે તમે કોઈ વાત કરશો તો તેનો પ્રભાવ અભૂતપૂર્વ થશે. પોતાની નિષ્ફળતાઓ અને ઊણપોને સમજો. તેમના પર વિચાર કરો, પણ તેમનાં રોદણાં સહુની સામે ન રડો. આ વિશે ખૂબ સાવધાની રાખો પોતાને નિષ્ફળ, અભાગી જાહેર કરવાનું સ્પષ્ટ પરિણામ છે તમારી પ્રતિષ્ઠા ખોઈ નાખવી. એટલી નવરાશ કોઈને નથી કે તમારું રોવું સાંભળી પોતાને દુ:ખી બનાવે. દરેકની પોતાની મુશ્કેલીઓ હોય છે, તમારી મુસીબતો સાંભળીને પોતાના મનને દુ:ખી કરવું કોઈને સારું નહિ લાગે.
પોતાની નિષ્ફળતાઓને વારંવાર યાદ કરવાથી કે વર્ણન કરવાથી તમારી હિંમત તૂટી જાય છે અને મન પર અયોગ્યતાની છાપ પડે છે.
જે એક માણસને વારંવાર ગાંડો કહેવામાં આવે તો તે થોડા દિવસોમાં ખરેખર અડધો ગાંડો બની જશે. કારણ એ છે કે સુષુપ્ત મન આદેશ ગ્રહણ કરીને તેને પોતાની અંદર ધારણ કરે છે અને પછી જીવનક્રમને એ બીબામાં ઢાળવા માંડે છે. જો મનમાં આ વાત જામી જાય કે આપણે અભાગી છીએ, દીનદુ:ખી છીએ તો અંતરમન એ સૂચનાને સ્વીકારી લેશે અને જીવનક્રમનું નિર્માણ એ રીતે કરશે કે જીવન સાચેસાચ દુર્ભાગ્યથી ભરાઈ જશે.
જો તમે ભાગ્યશાળી બનવા ઇચ્છો છો, સોનેરી ભવિષ્યની આશા રાખો છો તો યાદ રાખો કે તમારા જીવનના પ્રેરક, સફળ, આનંદી પ્રસંગોને જ બીજાઓ આગળ રજૂ કરો. પણ સાવધાની રાખો, ક્યાંય તમારા વર્ણનમાં તમારો અહંકાર ન દેખાય.














પ્રતિભાવો