મનુષ્યની મહાનતાનું રહસ્ય
August 8, 2009 Leave a comment
મનુષ્યની મહાનતાનું રહસ્ય
મનુષ્ય બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. શક્તિવાન બનવું કે શક્તિહીન બનવું તે મનુષ્યના પોતાના હાથમાં છે.
પોતાના દરેક ટેવ કે વાસના ઉ૫ર તમે નિયંત્રણ કરી શકો છો કારણ કે તમે અનંત ૫રમાત્માનો એક અંશ છો અને ૫રમાત્માની શક્તિ આગળ કશું ટકી શક્તું નથી. અનેક લોકો એવું હલકા પ્રકારનું જીવન જીવે છે કે જેમાં વ્યક્તિ સ્વતંત્ર હોતી નથી. શું તમારે આ સંસારમાં પ્રભાવશાળી બનવું છે ? જો જવાબ ‘હા’ હોય તો તમે સ્વનિર્ભર બનો અને સ્વતંત્ર બનવાનો પ્રયત્ન કરો. પોતાને સામાન્ય મનુષ્ય ના માનશો. હું ગરીબ છું, મારાથી શું થઈ શકે એવું ના વિચારશો.
જો તમે ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ રાખીને લોકોની આલોચનાથી નહીં ડરો તો ભગવાન અવશ્ય તમને મદદ કરશે. જો તમે લોકોને ખુશ કરવા તમારું જીવન વિતાવશો તો લોકોથી તમે કદાપિ ખુશ નહીં રહો. ઊલટું જેમ જેમ તમે એમને ખુશ કરવા પ્રયત્ન કરશો તેમ તેમ તમે ગુલામ બનશો. તમારી પાસે એમની અપક્ષા વધતી જશે.
જે મનુષ્ય સ્વાભાવિક રૂપે પોતાની શક્તિનો ઉ૫યોગ કરે છે તે ખરેખર મહાન પુરુષ છે. જે લોકોને પોતાની મૂળ શક્તિ એવા આત્મબળનું ભાન હોય છે તેઓ હલકાં અને નકામાં કાર્યો કરતા નથી.
-અખંડજયોતિ, મે-૧૯૫૦, પેજ-૭,














પ્રતિભાવો