ભવિષ્ય આપણી નજર સમક્ષ છે
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – ભવિષ્ય આપણી નજર સમક્ષ છે
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! આ સમય સંકટનો છે. આજે સમગ્ર માનવજાત સંકટના આરે ઊભી છે. એવા આરે કે જો તેની ભેખડો ઘસી પડે તો આખી માનવજાત પતનની ખાઈમાં ઊંઘે માથે ખાબકશે અને તેનું ભારે અહિત થશે. એટલે માણસનું ભવિષ્ય અંધકારમય છે. આવી અસામાન્ય સ્થિતિમાં અસામાન્ય માણસને શાંત બેસી રહેવું પાલવે નહિ. કદાચ સારું પણ થઈ શકે એમ છે, જો કે એની શક્યતાઓ ખૂબ ઓછી છે.
આ આપત્તિકાળ છે. અત્યારે વૈજ્ઞાનિકો, બુદ્ઘિજીવીઓ અને અર્થશાસ્ત્રીઓ-ત્રણેયે ભેગા મળીને રાવણ, મેઘનાદ અને કુંભકર્ણ જેવો ત્રાગડો રચ્યો છે. બુદ્ધિવાદ એટલો જડ બની ગયો છે કે સિદ્ધાંત અને આદર્શ નામશેષ થઈ ગયા છે. વિજ્ઞાન, અર્થ અને બુદ્ધિ-ત્રણેયે મળીને શાલીનતાની સીતાનું અપહરણ કર્યું છે. ધર્મ અને અધ્યાત્મરૂપી રામ લક્ષ્મણ કકળતા હૈયે ભટકી રહ્યા છે. માણસ પ્રેમ, આદર્શ, શાલીનતા સઘળું ભૂલી બેઠો છે. અને માનવદેહમાં પિશાચ બનીને બેઠો છે. આજની પરિસ્થિેતિઓ જોતા માણસ બરબાદ થઈને જ રહેશે એવું લાગે છે. આજે વસ્તીવધારો એવો બેફામ બન્યો છે કે જો આમ ને આમ ચાલશે તો અણુબોમ્બની કોઈ જરૂર જ નહિ પડે. માણસો ભૂખ-તરસથી તરફડીને જ મરવા માંડશે.
મિત્રો ! કુટુંબમાં માણસો જેમ વધતા જશે તેમ બધાને તકલીફ વેઠવી પડશે. આજના જમાનામાં જેમ પરિવાર મોટો એટલી અશાંતિ વધારે. આજની પરિસ્થિતિમાં દરેક માણસે એ વિચાર કરવો જોઇએ કે કુટુંબ વધારવામાં મને કોઈ ફાયદો નથી, પરંતુ એનાથી ફક્ત બરબાદી જ થશે. જાપાનીઓ આ બાબતમાં વિચાર કરે છે. તેઓ ઇચ્છે છે કે બાળકો ન હોય.
આજે સામાજિક સહકારનું વાતાવરણ ખતમ થઈ રહ્યું છે. આજનો માણસ એટલો લોભી અને સ્વાર્થી થઈ ગયો છે કે તેને જોતા બઘી શ્રેષ્ઠ માનવીય પરંપરાઓ નષ્ટ થઈ જવાની છે. માણસ કદાચ દુશ્મનોથી ડરતો હોય કે ના ડરતો હોય, પણ પોતાના કુટુંબીજનોથી તો અવશ્ય ડરે જ છે કે ક્યાંક ખોટા ચક્કરમાં ફસાવી તો નહિ મારે ને ? મિત્રો ! એવો જમાનો આવતો દેખાય છે કે જેમાં માણસો જીવશે કે મરશે એ તો હું નથી કહેતો, પરંતુ માણસની અંદર આત્મીયતા કે માનવતા જરૂર નાશ પામી હશે. વધી રહેલી વસ્તીને કારણે, આગળ વધી રહેલા વિજ્ઞાનને કારણે, વધી રહેલી બુદ્ધિને કારણે અને વધી રહેલી માણસની સ્વાર્થવૃત્તિને કારણે માણસ લાગણીશૂન્ય બની ગયો છે. હું અને તમે આવા જ ખરાબ સમયમાં જીવી રહ્યા છીએ.
જો પરિસ્થિતિ આવી ને આવી રહી તો આપણું ભવિષ્ય દિવસે દિવસે ખરાબ થતું જશે. રાજકારણીઓ આપણને અંધારા રસ્તે દોરી રહ્યા છે. આજના કહેવાતા વિદ્વાનો પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઘર્મગુરુઓ અને સંત-મહંતોના આચારવિચાર જોઇને રડવું આવે છે. તેમના કામ જોઇને કંપી જવાય છે કે હે ભગવાન, આ તેઓ શું કરી રહ્યા છે?
આજે દુનિયામાંથી માણસાઈ નાશ પામી છે. માણસની અંદર સૌથી મહાન વસ્તુ હતી, માણસની અંદર જે દેવત્વ હતું તે આજે નાશ પામી રહ્યું છે. માણસની અંદર બેઠેલો ભગવાન ઘૂંઘળો થતો જાય છે. ભગવાન એટલે આદર્શ અને આદર્શ એટલે શ્રેષ્ઠ વિચારો.
મિત્રો! આપણને જે ભગવાનની જરૂર છે, જે આપણને ઊંચા લાવે છે તેનું નામ છે-આદર્શ, સિદ્ધાંત. એનું નામ છે માનવીય ગૌરવ. તે સમાપ્ત થતું જાય છે. મને આવી અંધકારમય સ્થિતિ જોઇને દુઃખ થાય છે કે જો આમાં કોઈ ફેરફાર નહિ કરીએ તો ભવિષ્યમાં માણસ માણસના લોહીનો તરસ્યો થઈ જશે. તેનું જીવન બરબાદ થઈ જશે.














પ્રતિભાવો