માનસિક સંતુલન :
December 13, 2008 Leave a comment
માનસિક સંતુલન :
ગાયત્રીનો નવમો અક્ષર ‘ભર્’
આપણને દરેક સ્થિતિમાં માનસિક ભાવોને
સમતોલ રાખવાની શિક્ષા આપે છે.
ભવોદ્રૈગ્નમના નૈવ હ્રદુદ્રેગં પરિત્યજ |
કુરુ સર્વાસ્વવસ્થાસુ શાન્તં સંતુલિતં મન: ॥
અર્થ – “માનસિક ઉત્તેજનાઓને છોડી દો.
બધી જ અવસ્થામાં મનને શાંત અને સમતોલ રાખો”
શરીરમાં ગરમી વધી જાય તો એને “તાવ કહેવાય છે અને એ તાવ અનેક દોષ્પરિણામોને ઉત્પન્ન કરે છે.તેવી જ રીતે માનસિક તાવ આવવાથી ઉદ્રેગ, આવેગ, ઉત્તેજના કેફ, આતુરતા વગેરે લક્ષણ પ્રકટ થાય છે. આવેશની પ્રબળતા મનુષ્યના જ્ઞાન વિચાર અને વિવેકને નષ્ટ કરી નાંખે છે. એવા સમયે તે જે બાબતો ન વિચારવી જોઈએઅ તે વિચારવા લાગે છે અને જે કાર્ય પહેલાં નિંદિત લાગતાં હતાં તે જ કાર્યો કરવા લાગે છે. આવી સ્થિતિ માનવજીવન માટે હંમેશા અનિચ્છનીય છે.
આપત્તિ આવે અથવા કોઈક પ્રકારની લડાઈ કે ઝઘડો થાય ત્યારે લોકો ચિંતા, શોક, નિરાશા, ગભરાટ, ક્રોધ વગેરેને તાબે થઈને માનસિક શાંતિ ખોઈ બેસે છે. એવી રીતે કોઈ મોટી સફળતા મળી જાય અથવા સંપત્તિ પ્રાપ્ત થાય તોઅ અહંકાર, મદ, મત્સર, વધુ પડતો ઉપભોગ, વધુ પડતો આનંદ વગેરે દોષોમાં ફસાઈ જાય છે. કોઈ પણ પ્રકારની ઉત્તેજના મનુષ્યની આંતરિક સ્થિતિને વિચ્છિન્ન કરી નાખે છે. એના ફળ સ્વરૂપે મનુષ્યને જાતજાતનાં અનિષ્ટ પરિણામો ભોગવવાં પડે છે.
જે લોકોની પ્રકૃતિ આવી ઉત્તેજિત થઈ જાય એવી અથવા તરત જ આવેશમાં આવી જાય એવી હોય છે તેઓ મોટા ભાગે માનસિક નિર્બળતાનો શિકાર બને છે. તેઓ પોતાના મનને એકાગ્ર કરી કોઈ એક કામમાં લગાવી શક્તા નથી અને તેથીકોઈ મોટી સફળતાની પ્રાપ્તિ એમને માટે અશક્ય બની જાય છે. એમના મોટા ભાગના વિચાર ક્ષણિક જ સિદ્ધ થાય છે. આવું માનસિક અસંતુલન મનુષ્યની પ્રગતિમાં વિઘ્નરૂપ બની એને પતન તરફ લઈ જાય છે.
પ્રતિભાવો