હ્રદય મંદિરમાં સંતોષ :
January 28, 2009 Leave a comment
હ્રદય મંદિરમાં સંતોષ
જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશા નાં વાદળો ચારે બાજુ છવાયેલાં હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતરાઓથી ઘેરાઈ જતાં છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે. અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે.
આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હ્રદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધી વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઘરમાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હ્રદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો.
હ્રદયરૂપી આ સાત્વિક સ્થાનને બ્રહ્મલોક અથવા ગોલોક પણ કહે છે, કારણ કે ત્યાં પવિત્રતા, પ્રકાશ અને શાંતિનો જ નિવાસ છે. પરમાત્માએ આપણને સ્વર્ગની સીડી સુખ મેળવવા માટે જ આપી છે, પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો એને જાણી શકતા નથી.
અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, પેજ-૫
પ્રતિભાવો