આચરણ અને વ્યવહારમાં સત્યનો પ્રયોગ :
March 5, 2009 Leave a comment
આચરણ અને વ્યવહારમાં સત્યનો પ્રયોગ :
મનુષ્યની ફરજ છે કે તે સત્ય અને અસત્યનો તફાવત જાણવાનો પ્રયત્ન કરે. સત્ય એ આધ્યાત્મિક જગતનું સર્વશ્રેષ્ઠ રત્ન છે અને ભગવાને તેને જાણવાની ચોક્કસ યોગ્યતા પણ મનુષ્યને આપીછે, પરંતુ આ આધુનિક જમાનાના ખરાબ વિચારનાર લોકોએ એનું સ્વરૂપ એવું ગંદું કરી નાખ્યું છે કે તેની ઓળખાણ કરવી પણ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. એના માટે સૌથી પહેલો ઉપાય એ છે કે આપણે જાતે મન, વચન અને કર્મથી હંમેશા સત્યનું પાલન કરીએ. જે માણસ સત્યનું પાલન કરે છે તે સત્ય અને અસત્યની ઓળખ પોતાના સામાન્ય જ્ઞાનથી તરત જ કરી લે છે.
સત્ય અને અસત્યની ઓળખ પર એટલા માટે ભાર મૂકવાની જરૂર છે કે જગતમાં આજકાલ અનેક મૂર્ખતાપૂર્ણ અસત્ય વિચાર અને અંધવિશ્વાસ ફેલાયેલા છે અને જે માણસ તેમનો ગુલામ બની રહેછે તે ક્યારેય પ્રગતિ કરી શક્તો નથી.
એટલા માટે તમારે કોઈ એવી વાત ગ્રહણ કરવી ન જોઈએ કે જેને ઘણા લોકો માનતા હોય અથવા તો સદીઓથી ચાલી આવતી હોય અથવા તો ધર્મગ્રંથોમાં લખેલી હોય, જેને લોકો પવિત્ર માનતા હોય. તમારે જાતે તે વાત વિચારીને તે સાચી છે કે ખોટી યા યોગ્ય છે કે અયોગ્ય છે તેનો નિર્ણય કરવો જોઈએ. યાદ રાખો કે એક વિષયમાં ભલે એક હજાર માણસની સંમતિ હોય, પરંતુ જો તે લોકો તે વિષયમાં કશું પણ જાણતા ન હોય તો તેમના મતની કશી કિંમત રહેતી નથી.
અખંડજ્યોતિ, જૂન-1957, પેજ-15
પ્રતિભાવો