ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી છે
April 23, 2009 Leave a comment
ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી છે
આપણે ઈન્દ્રિયોના ગુલામ નહિં, માલિક થઈને રહેવું જોઈએ. સંયમ વગર સુખ તેમજ પ્રસન્નતા મળી શકતાં નથી. રોજ નવા- નવા ભોગવિલાસની પાછળ દોડવાથી જીવનમાં દુ:ખ અને અશાંતિ જ મળે છે.
શ્રીમદ્-ભાગવત ગીતા વાંચવાથી, સાંભળવાથી અને સમજવાથી ઈન્દ્રિયો પર સંયમ લાવી શકાય છે. ઈન્દ્રિયોના વેગ તથા પ્રવાહમાં વહી જવું તે માનવધર્મ નથી. કોઈ પણ સાધના-યોગ, જપ, તપ, ધ્યાન વગેરેની શરૂઆત સંયમ વગર થઈ શકતી નથી.
સંયમ વગર જીવનનો વિકાસ થઈ શકતો નથી. જીવનરૂપી સિતાર પર, હ્રદયલોકમાં મધુર સંગીત એ જ સમય ગુંજે છે, જ્યારે એનાં તાર નિયમ અને સંયમમાં બંધાયેલાં હોય છે.
જે ઘોડાની લગામ સવારના હાથમાં નથી હોતી એ ઘોડા પર સવારી કરવી જોખમી હોય છે. સંયમની લગામ બાંધીને જ ઘોડાને નિશ્ચિત માર્ગ પર ચલાવી શકાય છે. એવી જ દશા મનરૂપી ઘોડાની છે. વિવેક તથા સંયમ દ્વારા ઈન્દ્રિયોને લગામમાં રાખીને જ જીવન યાત્રા આનંદપૂર્વક વિતાવી શકાય છે.
ઉછાંછળા યુવાનો ક્યારેક માનસિક, સામાજીક અને રાષ્ટ્રીય બંધનો તોડી નાખવા ઈચ્છે છે એ આપણી ભૂલ છે. જીવનમાં ઉત્સાહની સાથે સંયમ અને મર્યાદા એટલા જ જરૂરી છે, જેવી રીતે મહાભારતમાં અર્જૂનની સાથે શ્રીકૃષ્ણ ભગવાન. આ બુદ્ધિને સ્થિર કરવાનો ઉપાય છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ઉત્સાહ, ઉમંગ, પુરુષાર્થ વગેરે જેટલા જરૂરી છે તેટલો જ સંયમ, મર્યાદા, સારાનરસાને પારખવાનો વિવેક પણ જરૂરી છે.
અખંડજ્યોતિ મે 1964
પ્રતિભાવો