તમારી જાતને ઓળખો – ૨
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – તમારી જાતને ઓળખો
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સાથીઓ! જો હું તમને સાચા ભગવાન સાથે સાક્ષાત્કાર કરાવી દઇશ તો તમારે નારદજીની માફક કુંવારા રહીને સેવાકાર્યો કરવા પડશે. બુદ્ધની માફક પત્ની અને બાળકોને છોડીને પરમાર્થમાં લાગી જવું પડશે. બુદ્ધની માફક હાથ પકડીને લઈ જાય એવા ભગવાન બતાવી દઉં? શંકરાચાર્યની માફક માની ગોદમાંથી ઉપાડી જાય એવા ભગવાન બતાવી દઉં? ચાણ્યકયની માફક વનવાસ કરવા મજબૂર કરે એવા ભગવાન બતાવી દઉં ? સમર્થ ગુરુ રામદાસની જેમ હાથ પકડીને દીક્ષા અપાવવા લઈ જાય એવા ભગવાન બતાવી દઉં?
સાથીઓ ! મારો ઉદે્શ્ય એ છે કે જે સાચા બ્રહ્મવર્ચસનો સ્ત્રોત છે એને તમે જાણો. મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે આ વિશેષ સમય છે અને તમે મહત્વપૂર્ણ વ્યક્તિ છો. આ બધું તમને જણાવવા માટે જ બોલાવ્યા છે. મારા ગુરુએ મને બતાવી દીધું હતું કે હું એક જાગૃત આત્મા છું, હું એક વિશિષ્ટ વ્યક્તિ છું. એમણે કહ્યું હતું કે તું સામાન્ય માણસ નથી. તારે અસાધારણ કાર્યો કરવાના છે. હું એ અનુભવી ચૂકયો છું કે હું એક સામાન્ય. માણસની માફક જીવી શકું એમ નથી. કાશ ! હું પણ તમને બતાવી શકયો હોત કે તમે કોણ છો ? તમે એક સામાન્ય માણસ નથી, તમે વિશિષ્ટ વ્યક્તિ છો. મારી ઇચ્છા છે કે યુગપરિવર્તનના આ સંક્રાંતિકાળમાં તમે પણ મહત્વપૂર્ણ કાર્યો કરી જાઓ. તો મજા આવી જશે.
હું મારા ગુરુ જેટલો સામર્થ્યવાન નથી. એમણે તો મારા પાછલા જન્મો બતાવી દીધા હતા. જ્યારે હું તમને, તમે પાછલા જન્મમાં કોણ હતા એ બતાવી શકતો નથી, છતાંય એટલું તો જરૂર કહી શકું છું કે તમે જે કક્ષાનું જીવન જીવી રહ્યા છો તે તમારે લાયક નથી. તમારી મહત્વાકાંક્ષાઓ વ્યક્તિગત ન હોવી જોઇએ. જ્યારે ક્યાંક રેલગાડીનો અકસ્માત થાય અને હજારો લોકો કણસતા હોય ત્યારે ડોકટરોનું “અમે સૂતા છીએ, અત્યારે અમને સમય નથી’’ અમે કહેવું યોગ્ય ન ગણાય. તમારે પેલા ઘાયલોને ખાતર એક રાતની ઊંઘ છોડવી જોઇએ. એક રાતના ઉજાગરાથી તમે મરી નથી જવાના. તમારે એ જવાબદારી સમજવી જોઇએ અને એને માટે કામ કરવું જોઇએ.
પ્રતિભાવો