ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? ઉપાસના સમર્પણ યોગ

ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ?

સમડી પોતાના શિકારની શોધ માટે આકાશમાં ઊંચે ઉડે છે. તે ઊંચે જઈને ચકરાવો લેતી રહે છે. ત્યાંથી તે દૂર દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. સમડી તે ઉંચાઈએથી જમીન પરની બધી દૃશ્ય અને વસ્તુઓને સહેલાઈથી જુએ છે, પારખે છે અને જ્યારે એને પોતાનો શિકાર જણાય છે, ત્યારે એકદમ ઝપટ મારે છે અને તેને પકડી લે છે.

સમડી આ કામ જમીન પર રહીને અથવા તો કોઈ વૃક્ષ પર બેસીને પણ કરી શકે, પરંતુ ઓછી ઉંચાઈએથી નાના વિસ્તારનું જ અવલોકન થઈ શકે છે. ઓછા વિસ્તારમાંથી શિકાર મળે કે ન પણ મળે, આથી તે ખૂબ ઊંચે ઉંડે છે અને સહેલાઈથી પોતાનો શિકાર શોધી લે છે.

માણસની સ્થિતિ પણ બરાબર આવી જ છે. પોતાની આજુ બાજુની વસ્તુઓને તે સ્થૂળ આંખોથી અને ઓછા વિવેકથી જુએ છે તેથી તે મનુષ્યનું શરીર ધારણ કરવાનું પોતાનું લક્ષ્ય સારી રીતે સમજી શકતો નથી. પોતાના જીવનના ઉદ્દેશ્યથી અપરિચિત માણસની રીત ભાત, રહેણી કરણી, વિચાર અને વ્યવહાર મોટા ભાગે અસ્ત વ્યસ્ત શ્રેણીના હોય છે. જે માણસને સાચા લક્ષ્યનું ભાન ન થયું હોય, તેનું જીવન વ્યર્થ છે એમ જ માનવું જોઈએ.

ઈશ્વરની ઉપાસનાથી મનુષ્યને એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, જ્યાંથી તે વધારે સૂક્ષ્મતા, દીર્ઘદૃષ્ટિ અને વિવેકની સાથે સંસાર તથા તેની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના જ અહંકાર સાથે સંસારની સરખામણી કરવાથી મનુષ્યના દરેક કાર્યમાં સંકીર્ણતા બની રહે છે. સંકીર્ણતાના કારણે આત્મા પોતાની અપાર શકિત અને સામર્થ્યનો આનંદ લઈ શકતો નથી. મનુષ્ય બીજા જીવ જંતુઓ જેવો તુચ્છ જ રહે છે. આત્માના સાચા સ્વરૂપને ઓળખવા માટે એણે ઊંચા ઊઠવું પડે છે, તે ઊંચાઈ ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. તે સ્થિતિનું વારંવાર મનન કર્યા વગર સાચા લક્ષ્યનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી.

જ્યારે પણ કોઈ ઈશ્વરની ઉપાસના કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તે એવું માનીને કરે છે કે આ સંસારની કોઈ મુખ્ય નિયામક શકિત અવશ્ય હોવી જોઈએ. દરેક વસ્તુઓ કોઈકને કોઈક તો જરૂર સર્જન હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોવો જ જોઈએ ને. જ્યારે માણસના અંતઃકરણમાં આવી માન્યતાનો ઉદય થાય છે, ત્યારે તેના વિચારવાની રીત બદલાઈ જાય છે. અત્યાર સુધી જે બાબતો તેને સામાન્ય લાગતી હતી, એમાં હવે વિશદ જ્ઞાન ભરેલું દેખાય છે. આ રીતે મનુષ્યના જ્ઞાનનો વિકાસ થાય છે અને વિશ્વના સાચા સ્વરૂપને જાણવાની તાલાવેલી પણ વધે છે. આ બન્ને બાબતો માણસના સાચા લક્ષ્યની પસંદગી માટે જરૂરી છે. એ બન્ને ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત  થાય છે.

ઉદાહરણ તરીકે સૂર્ય, ચંદ્રમાં, પૃથ્વી, સાગર, નદીઓ, પહાડ વગેરે પ્રાકૃતિક વસ્તુઓને સામાન્ય મનુષ્ય એમ જ જુએ છે, જ્યારે ઈશ્વરનો ઉપાસક તેમને વિરાટ રૂપમાં જુએ છે. તે વિચારે છે કે આટલો મોટો સંસાર બન્યો કેવી રીતે, પદાર્થ શું છે, શરીર ક્યાંથી આવ્યું અને એની અંદર નિવાસ કરનારા અહંકારનું સ્વરૂપ શું છે ? ઉપાસનાનું સ્તર જેટલું વિકસિત થાય છે, એટલાં જ પ્રમાણમાં ગૂઢ પ્રશ્નો પણ વધે છે. એટલાં જ પ્રમાણમાં વિચાર કરવાની ક્ષમતા પણ વધે છે અને ત્યારે મનુષ્ય પોતાના જીવનના ઉદ્દેશ્યની નજીકતાની તરફ એટલી જ તીવ્રતાથી આગળ વધે છે.

સામાન્ય લોકો આ સંસારના ભૌતિક પદાર્થોમાં સુખ શોધ છે, એમને જ્ઞાનનું કોઈ મહત્વ હોતું નથી, એના લીધે માનવ જીવનમાં વિચારો પેદા થાય છે અને દોષ દુર્ગુણો તથા મુશ્કેલીઓ વધે છે. જ્યારે સુધી માણસ ભૌતિક સુખોમાં ભટકે છે, ત્યાં સુધી તેની મુશ્કેલીઓ જ વધે છે. એને સુખ અને દુઃખમાં શો તફાવત છે, તેનું જ્ઞાન થતું નથી ? જ્યારે સુખ માનીને ભોગવવામાં આવતા ભોગો અને ઈન્દ્રિયો જ માણસના મૃત્યુનું કારણ બને છે, ત્યારે તેને ખબર પડે છે કે અજ્ઞાનતાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે અને તેનું નિરાકરણ એક જ રીતે થઈ શકશે તેનું જ નામ છે ઈશ્વરની ઉપાસના, અહીંથી જ જ્ઞાનનો જન્મ થાય છે.

ઈશ્વરની ઉપાસનામાં લાગેલી બુદ્ધિ મનુષ્યમાં એટલો વિવેક જગાડી દે છે, જેનાથી તે સંસારની ક્ષુદ્ર વાસનાઓથી બચવાનો પ્રયત્ન કરે. સચ્ચાઈનો અનુભવ કર્યા વગર સુખ ક્યાંથી મળે ? અજ્ઞાન જ મનુષ્યના દુઃખનું કારણ બતાવ્યું છે.

પોતાની આંખોથી પોતાની જ આંખોને જોઈ શકાતી નથી. જ્યારે કોઈ એવી જરૂર પડે છે, ત્યારે અરીસો શોધીએ છીએ અને એની મદદથી આંખની સ્થિતિ જોઈએ છીએ. એ જ રીતે મનુષ્ય પોતાની અંદર રહીને પોતાની સ્થિતિનું સાચું અનુમાન કરી શકતો નથી. વળી પોતાના વિશેની માહિતી જ પૂરતી નથી, આપણી આજુ બાજુની વસ્તુઓ, જે પરિસ્થિતિઓથી મનુષ્ય સતત પ્રભાવિત થાય છે, એમના વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. આ બધાનું જ્ઞાન કોઈક ઊંચી જગ્યાએ બેસવાથી જ થાય છે. એ સ્થિતિ બ્રહ્મની જ હોઈ શકે છે. બ્રહ્મની અનુભૂતિ થવાની સાથે જ સંસાર વિશે પણ સાચું જ્ઞાન થાય છે.

ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – પોતે પોતાને વિકસિત કરવા. સમડીને જેમ ઊંચે જઈને પોતાના નિરીક્ષણ  ક્ષેત્રને મોટું કરવું. જે જેટલો ઊંચો ઊઠીને નિરીક્ષણ કરે છે, તેને એટલો જ દીર્ઘદષ્ટિવાળો તથા વિવેક વાન માનવામાં આવે છે. જ્યારે બધી વસ્તુઓની સ્થિતિની સાચી ખબર પડી જાય છે, ત્યારે શું પસંદ કરવું અને શું ન કરવું તે સરળ બની જાય છે. આમ જ્ઞાન થયા વગર મનુષ્ય સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકતો નથી.

સામાન્ય રીતે માણસ, શરીરને જ સર્વસ્વ માને છે અને આખું જીવન એ શરીરની ઈન્દ્રિય  લિપ્સાને સંતોષમાં જ વિતાવી દે છે. એનાથી અમુક હદ સુધી લૌકિક જરૂરિયાતો કદાચ પૂરી થઈ જાય, પરંતુ પર લોકને ભૂલી જવાય છે. પરલોકની માન્યતાઓ સાવ પાયા વગરની છે, એમ પણ કહી શકાય  નહીં, વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે બીજા ગ્રહો ઉપર પણ જીવન શક્ય છે. આવી સ્થિતિમાં સ્વર્ગ અને નરકની કલ્પનાનો પણ કોઈક આધાર હોવો જોઈએ. આ આધારભૂત જ્ઞાન મેળવવામાં માટે લૌકિક જીવન જ પૂરતું નથી, પરંતુ એના માટે આપણી અંદરના ચેતન તત્વ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. આ આંતરિક ચેતના માટે બ્રહ્મ અરીસા સમાન છે. ઈશ્વરની માન્યતા દ્વારા માણસ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને એની મદદથી પારલૌકિક જીવનનું જ્ઞાન પણ મેળવે છે.

પરમાત્મા સાથે તાદાત્મ્ય કેળવવું તે આત્માને વિશાળ બનાવવાની પ્રક્રિયા છે. અહંકારને દૂર કર્યા વગર મનુષ્યનું પારલૌકિક હિત સધાતું નથી. મનુષ્ય જ્યારે પોતાપણાને ભૂલી જાય છે, ત્યારે તે સમગ્ર વિશ્વને જ આત્મ સ્વરૂપમાં માનવા લાગે છે. તેને બધા પોતાના જ વિવિધ સ્વરૂપો દેખાય છે. જ્યારે બધા પોતાના જ લાગે, તો પછી તે કોઈની સાથે છળ કપટ નહિ કરી શકે, તેને ક્રોધ નહિ આવે અને તે કોઈના પ્રત્યે વેરની ભાવના પણ નહીં રાખી શકે. બધાના સુખમાં તેને સુખ મળશે. બધા તેને વહાલા લાગશે, બધા જ પોતાના સગા સંબંધી લાગશે.

આ આંતરિક વિશાળમાં જ જીવાત્માને સાચો આનંદ અને સાચો સંતોષ અને સાચી તૃપ્તિ મળે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્યનું જીવન સાર્થક બની જાય છે. મનુષ્ય આનંદ માટે જ પેદા થયો છે, પરંતુ વચ્ચે માર્ગ ભૂલી જવાના કારણે તે દુખી થઈ જાય છે. હવે ફરીથી સાચા રસ્તા પર આવવા અને અંતે એમાં જ વિલીન થઈ જવા માટે ઈશ્વરને જાણવો જરૂરી બની જાય છે. પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ છે. એને જાણવાથી જ આત્માની તરસ છીપે છે, સંતોષ મળે છે અને સદગતિ થાય છે, આ સિવાય આત્મકલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. પરમાત્માની શરણાગતિ પામ્યા વગર, માનવ જીવન જેવો અમૂલ્ય અવસર પણ વેડફાઇ જાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: