સાધુ સમાજ ગામે ગામ પ્રવ્રજ્યા કરે, સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
February 16, 2016 Leave a comment
સાધુ સમાજ ગામે ગામ પ્રવ્રજ્યા કરે : સજજનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવ માંથી બહાર નીકળીને સમાજ સેવાના કામમાં લાગી જવું જોઈએ. તેમણે એક સ્થળે રહીને પૂજા પાઠ કરવાના બદલે ગામે ગામ તથા ઘેર ઘેર ફરીને ધર્મના ઉદ્ધાર તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ.
આજના મુશ્કેલીઓ ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સદૃજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ. તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુ પરંપરાને સાચા અર્થમાં જાગ્રત કરીને એ સાબિત કરવું જોઈએ કે ઋષિ મુનિયાઓના સમયની સાધુતા મરી પરવારી નથી. પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ, તેની સભ્યતા, સંસ્કૃતિ તથા સમજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતાં.
સાધુ સમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ નથી હોતી. એના લીધે તેમની પાસે ભરપૂર સમય હોય છે. સાધુઓ પાસે પ્રાચીન કાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે. તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ લોક તથા પરલોક બંનેને સુધારી શકે છે. આ કામ તેમણે કરવું જોઈએ. નહિ તો સંસારમાં બુદ્ધિ વાદ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જો તેઓ પોતાનું કર્તવ્ય નહિ નિભાવ તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૬૭ , પૃ. ૨૪
પ્રતિભાવો