શ્રેષ્ઠ સેવા-આદર્શ મનોરંજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
શ્રેષ્ઠ સેવા-આદર્શ મનોરંજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
રિટાયર્ડ શિક્ષિતો માટે પોતાના નવરાશના સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેઓ ભેગા મળીને એક એવું સંગઠન બનાવે કે જેથી બાળકો અને કિશોરોની નવરાશનો સમય સહેજ પણ બરબાદ ન થાય. તેઓ આવા પ્રશિક્ષણને એક મનોરંજન કલબ માને. બધા તેમાં સ્વેચ્છાપૂર્વક ઉત્સાહથી આવવા લાગે, તો સમયના સદુપયોગની સાથેસાથે પરમાર્થ પણ કરી શકાય છે. સમય એવું ઈશ્વરીય વરદાન છે કે જો તેને સત્પ્રયોજનોમાં ખર્ચવામાં આવે તો પારસનું કામ કરે છે અને મનુષ્યને વિચારશીલ, સદ્ગણી અને પ્રગતિશીલ બનાવે છે. આવા જ લોકો સંસારમાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. આનાથી ઊલટું, જે પોતાનો સમય આવારાપણામાં, કુસંગમાં તથા અયોગ્ય વાતાવરણમાં રહીને પસાર કરે છે એમણે એવું માનવું જોઈએ કે એમણે પોતાના વ્યક્તિત્વને પતનની ઊંડી ખીણમાં નાંખી દીધું છે અને ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે. એટલે સેવાધર્મમાં જેમને અભિરુચિ હોય તેમણે વ્યક્તિત્વને સુયોગ્ય બનાવવાના કાર્યને જ પોતાના હાથમાં લેવું જોઈએ. દીનદુઃખીઓની સેવા કરવી તે પણ એક કામ છે, પરંતુ તે સાધન સંપન્ન લોકો જ કરી શકે છે. બાળકો માટે તો એટલો જ સંકેત છે કે તેઓ પોતાને ઉત્કૃષ્ટ સ્તરના બનાવે, જેથી જે પણ તેમના સંપર્કમાં આવે તે સદ્ગુણી અને પ્રગતિશીલ બને. એવું તેઓ ત્યારે જ કરી શકે કે જ્યારે એમનું પોતાનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર ઉચ્ચ કોટિનાં હોય.
આ શિક્ષણ સ્કૂલોમાં નથી મળતું. એ આપવા માટેની વ્યવસ્થા આપણે અલગથી કરવી પડે. આ કામ માટે ઘણી બાજુએથી પ્રયત્નો કરવા આવશ્યક છે. વાલીઓએ પોતાના પરિચિતોને સમજાવવા જોઈએ કે પોતાનાં બાળકો અને કિશોરોને બાળસંસ્કારશાળામાં દાખલ કરે. એ જ રીતે વિચારશીલ લોકોએ બાળકોને ભેગાં કરીને અથવા અલગ અલગ સંપર્ક કરીને એવો પ્રયત્ન કરે કે તેઓ આ પ્રશિક્ષણમાં સામેલ થાય અને મનોરંજનની સાથે સાથે સત્પ્રવૃત્તિઓ શીખવાનો બેવડો લાભ મેળવે. આ ભણતરનું મહત્ત્વ ખૂબ ભારપૂર્વક એના લાભ બતાવીને સમજાવવું જોઈએ, જેથી વિદ્યાર્થી તેને એક બંધન ન માને અને ઉત્સાહપૂર્વક એને માટે તૈયાર થાય. ત્રીજો પક્ષ શિક્ષકોનો છે. નિવૃત્ત લોકો તો નવરા રહે જ છે. તેઓ બાળકલ્યાણમાં પ્રવૃત્ત થઈને પોતાનું મનોરંજન અને સમયનો ઉપયોગ તો કરી જ શકે છે. સાથે સાથે બાળનિર્માણનું અત્યંત મહત્ત્વપૂર્ણ પરમાર્થકાર્ય પણ કરી શકે છે. આનાથી એમની પ્રતિષ્ઠા વધશે અને પ્રશંસા પણ થશે. જ્યાં વૃદ્ધ લોકો આના માટે ઉત્સાહપૂર્વક તૈયાર ન થાય ત્યાં યુવકો અને પ્રૌઢો પણ આ કામ માટે સમયદાન આપી શકે છે. મોટાભાગના લોકો દિવસ ઢળતાં પહેલાં જ કામધંધામાંથી નિવૃત્ત થઈ જાય છે. એ પછી નવરાશ જ હોય છે. મોટાભાગના લોકો આ સમય પત્તાં રમવામાં, ટી.વી., રેડિયો વગેરે બિનજરૂરી કાર્યોમાં ગુમાવતા હોય છે. એ સમયમાં કાપ મૂકીને બાળશિક્ષણમાં ગાળવાનું શરૂ કરે તો એનાથી એક સુયોગ્ય નાગરિક બનાવવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ કામ તેઓ કરી શકે છે.
જીવનમાં સેવાનું પણ થોડુંક સ્થાન હોવું જોઈએ. લોભ, મોહ તથા અહંકારમાં લોકો બધો સમય ખર્ચતા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે માનવતા પ્રત્યે તથા રાષ્ટ્ર પ્રત્યે પણ તેમની કંઈક ફરજ છે. એ જવાબદારીને નકારવી તે એક રીતે પોતાના ધર્મકર્તવ્યને નકારવા બરાબર છે. સમાજ ત્યારે જ ઊંચો ઊઠે છે કે જ્યારે બધા બીજાને ઊંચા ઉઠાવવાનો પ્રયત્ન કરે. આમાં મોટાઓએ નાના પ્રત્યે વધારે કર્તવ્ય અદા કરવું પડે છે. યુવકો અને કિશોરો નાનાં બાળકોને સુયોગ્ય તથા સદ્ગુણી બનાવે. યુવકો અને પ્રૌઢો કિશોરોની જવાબદારી પોતાના માથે લે. વૃદ્ધો પ્રૌઢોને કર્તવ્યનું ભાન કરાવે અને એમનું વ્યક્તિત્વ ઊંચું ઉઠાવે તો સમજવું જોઈએ કે એક ખૂબ મોટું કામ થયું. જે કાર્ય લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ દેશની એટલી ભલાઈ નથી કરી શકતું કે જેટલું બાળસંસ્કાર શાળાની યોજના બનાવી અને ઉત્સાહપૂર્વક ચલાવવાથી થઈ શકે છે.
પ્રાચીન સમયમાં એવી પ્રથા હતી કે લોકો પોતાના દૈનિક જીવનમાંથી સેવાકાર્યો માટે થોડોક સમય કાઢતા હતા. સમયદાનને ઊંચા પ્રકારનું પુણ્ય માનતા હતા. એને માનવીય ધર્મ – કર્તવ્યનું અભિન્ન અંગ માનતા હતા, પરંતુ હવે તો સમયદાનની પરંપરા ભુલાઈ ગઈ છે. લોકો સ્વાર્થમાં જ ચોવીસ કલાક ડુબેલા રહે છે. પરમાર્થની વાત વિચારતા જ નથી. આ પ્રચલનને બદલવાની જરૂરિયાત છે.
અડધું આયુષ્ય ઘરગૃહસ્થી માટે તથા અડધું આયુષ્ય પરમાર્થ માટે ગાળવાની નીતિ વાનપ્રસ્થ પરંપરા કહેવાતી હતી અને બધા લોકો એનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા હતા. હવે એ દેવસંસ્કૃતિ સાથે સંબંધિત પ્રથાને પુનર્જીવિત કરવાની જરૂર છે. એમાં કર્તવ્ય ધર્મની જે ભાવના છે તેને અપનાવવાનો સરળ ઉપાય બાળસંસ્કાર શાળા ચલાવવાનો છે.
પ્રતિભાવો