SJ-01 : આ જીવનયાત્રાના ગંભીર પર્યવેક્ષણની જરૂર-૦૧, મારું વિલ અને વારસો
February 16, 2021 Leave a comment
આ જીવનયાત્રાના ગંભીર પર્યવેક્ષણની જરૂર
સારાં અથવા ખરાબ ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી વ્યક્તિઓની જીવનચર્યા સાથે જોડાયેલ ઘટનાક્રમ જાણવાની ઈચ્છા દરેકને થાય છે. કુતૂહલની સાથેસાથે એમાં એક એવો ભાવ હોય છે કે એમાંથી આપણને કામ લાગે એવું કંઈક મળે. ગમે તે હોય, પણ કથા સાહિત્ય સાથે જીવનચર્યાનો ઘનિષ્ઠ સંબંધ છે. તે રોચક પણ લાગે છે અને અનુભવ પ્રદાન કરવાની દષ્ટિએ પણ ઉપયોગી બને છે.
મારી બાબતમાં પણ અવારનવાર લોકો આવી પૂછપરછ કરતા રહે છે, પરંતુ એ જણાવવાનું હું ટાળી દેતો હતો. જે પ્રત્યક્ષ જીવનચર્યા છે તે બધા જાણે છે. લોકો તો જાદુ યા ચમત્કાર જાણવા ઈચ્છે છે. હું સિદ્ધપુરુષ હોવાથી તથા અનેક લોકોને મારી પાસે આવવાથી લાભ મળ્યો છે એ કારણે એ રહસ્યો જાણવાની ઉત્સુકતા છે. ખરેખર તો જયાં સુધી જીવતો રહીશ સુધી તો એ બધી વાતો માત્ર કિવદંતીઓ જ બની રહેશે, કારણ કે મેં પ્રતિબંધ લાદી દીધો છે કે આવી વાતો રહસ્યના પડદા પાછળ જ રહે. જો એ દષ્ટિએ કોઈ મારી જીવનચર્યા વાંચવા ઈચ્છતું હોય તો તેણે પહેલાં મારી જીવનચર્યાનાં તત્ત્વદર્શનને સમજવું જોઈએ. કશુંક અલૌકિક અને વિલક્ષણ શોધનારાઓને પણ મારો જીવનક્રમસમજવાથી નવી દિશા મળશે.
મારા જીવનવૃત્તાંતમાં કુતૂહલ તથા અતિવાદ ન હોવા છતાં સારગર્ભિત એવું ઘણું છે, જેનાથી અધ્યાત્મવિજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપ અને એના સુનિશ્ચિત ફળને સમજવામાં મદદ મળે છે. અધ્યાત્મનું સાચું સ્વરૂપ ન જાણવાના કારણે લોકો એટલી બધી ભ્રમણાઓમાં ફસાય છે કે એના લીધે મળતી નિરાશાના કારણે તેઓ શ્રદ્ધા જ ગુમાવી બેસે છે અને એને પાખંડ માનવા લાગે છે. આજે આવા નાસ્તિકોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ એકવાર ઉત્સાહપૂર્વક પૂજાપાઠ કરતા હતા એના બદલે હવે ગમે તેમ વેઠ ઉતારીને માત્ર ચિહ્નપૂજા કરે છે. એમનો આનંદ અને ઉત્સાહ મરી પરવાર્યો છે. આમ થવાનું કારણ એમને નિષ્ફળતા મળી તે છે. ઉપાસનાનાં ફળ અને પરિણામ વિશે તેમણે સાંભળ્યું અને વાંચ્યું હતું એમાંનું કંઈ જ પ્રાપ્ત થયું નહિ. તો પછી વિશ્વાસ ટકે પણ ક્વી રીતે?
મારી જીવનગાથા બધા જિજ્ઞાસુઓ માટે પ્રકાશસ્તંભનું કામ કરી શકે છે. એ એક બુદ્ધિજીવી તથા યથાર્થવાદી માનવ દ્વારા અપનાવાયેલી કાર્યપદ્ધતિ છે. એમાં છળકપટ જેવું કશું નથી. અસફળતાનું કલંક પણ એના પર લાગતું નથી. આવી પરિસ્થિતિમાં જે માણસ ગંભીરતાપૂર્વક એ સમજવાનો પ્રયત્ન કરે કે યોગ્ય લક્ષ્ય સુધી પહોંચવાનો સાચો માર્ગ આ જ છે. ટૂંકો રસ્તો અપનાવવાની ખટપટમાં ન પડ્યા હોત તો નિરાશા, ખીજ અને થાક હાથમાં ન આવતા અથવા તો આ સોદો મોંઘો સમજીને એમાં હાથ ન નાખ્યો હોત. જો મેળવવું જ હતું તો એનું મૂલ્ય ચૂકવવાનું સાહસ પહેલેથી જ ભેગું કરવામાં આવ્યું હોત. આવો અવસર એમને મળ્યો નહિ એને જ દુર્ભાગ્ય કહી શકાય. જો મારા જીવનને વાંચ્યું હોત, એની સાથે આરંભથી અંત સુધી ગૂંથાયેલ અધ્યાત્મ તત્ત્વદર્શન અને ક્રિયાવિધાનને સમજવાનો અવસર મળ્યો હોત તો ચોક્કસ ભયગ્રસ્ત નાસ્તિકોની સંખ્યા આજના જેટલી વધારે ન હોત.
એક બીજો વર્ગ છે વિવેકદૃષ્ટિવાળા યથાર્થવાદીઓના. તેમને ઋષિપરંપરામાં વિશ્વાસ છે અને સાચા મનથી તેઓ માને છે કે એ ઋષિઓ આત્મબળ સંપન્ન હતા. એ વિભૂતિઓથી એમણે પોતાનું, બીજાઓનું અને સમસ્ત વિશ્વનું ભલું કર્યું હતું. ભૌતિકવિજ્ઞાનની સરખામણીમાં અધ્યાત્મ-વિજ્ઞાનને જેઓ શ્રેષ્ઠ માને છે તેમને એવી જિજ્ઞાસા હોય છે કે અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ અને વિધાન શું છે? જો કે આમ તો બધી બોરવાળીઓ પોતાનો બોરને મીઠો ગણાવે છે, પણ કથની ઉપર વિશ્વાસ ન રાખનારાઓ ઉપલબ્ધિઓની ગણતરી કરે છે ત્યારે ખબર પડે છે કે કોણ કેટલા પાણીમાં છે.
સાચી કાર્યપદ્ધતિ, સાચા લોકો દ્વારા, સારાં પ્રયોજનો માટે અપનાવવામાં આવે ત્યારે એનું પરિણામ પણ સારું જ આવવું જોઈએ. આના આધારે જેઓ ઋષિપરંપરાના અધ્યાત્મનું સ્વરૂપ સમજવા માગતા હોય તેઓ મારી જીવનચર્યા શરૂઆતથી અંત સુધી વાંચીને કસોટી કરી શકે છે. છેલ્લાં ૬૦ વર્ષોમાંનું પ્રત્યેક વર્ષ આ પ્રયોજન પાછળ વીત્યું છે. એનું પરિણામ પણ ખુલ્લી કિતાબની જેમ સૌની સામે છે. એના પર ગંભીર દૃષ્ટિપાત કરતાં માલુમ પડે છે કે સારું પરિણામ મેળવનારાઓએ સાચો માર્ગ અપનાવ્યો હશે. આવો અદ્દભુત માર્ગ બીજાઓ માટે પણ અનુકરણીય બની શકે. આત્મ વિદ્યા અને અધ્યાત્મ વિજ્ઞાનની ગરિમાથી જેઓ પ્રભાવિત છે, આ બંનેને પુનર્જીવિત થયેલાં જોવા ઈચ્છે છે. પ્રતિપાદનોને પરિણામની કસોટી પર કસવા ઈચ્છે છે. તેમને મારી જીવનચર્યાનાં પૃષ્ઠોનું પર્યવેક્ષણ કરવાથી સંતોષ અને સમાધાન પ્રાપ્ત થઈ શકશે.
પ્રત્યક્ષ ઘટનાઓની દષ્ટિએ પ્રકાશિત કરવામાં આવતા કેટલાક પ્રસંગોને બાદ કરતાં મારા જીવનમાં કોઈ ખાસ વિવિધતા કે વિચિત્રતા નથી. કોઈ કૌતુક યા જાદુ-ચમત્કારની પણ કોઈ ગુંજાઈશ નથી. એક સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત ક્રમમાં નિષ્ઠાપૂર્વક સમય પસાર થતો રહ્યો છે. આથી એમાં વિચિત્રતા શોધવા જનારને નિરાશ થવું પડે, પરંતુ જેઓ ઘટનાઓની પાછળ કામ કરનાર તથ્યો અને રહસ્યોમાં રસ લેશે એમને એટલું કરવાથી પણ અધ્યાત્મ તથા સનાતન ધર્મના પરંપરાગત પ્રવાહનો પરિચય થઈ જશે અને તેઓ સમજી શકશે કે સફળતા યા નિષ્ફળતાનું કારણ શું છે? ક્રિયાકાંડને જ સર્વસ્વ માની બેસવું અને વ્યક્તિત્વના શુદ્ધિ તરફ, પાત્રતા કેળવવા તરફ ધ્યાન ન આપવું એ જ એક એવું કારણ છે જેના લીધે ઉપાસનામાં નિરાશા આવી અને અધ્યાત્મ ઉપહાસાસ્પદ અને બદનામ બન્યું. મારાં કાર્યો સામાન્ય છે, પરંતુ એની પાછળ બ્રહ્મતેજસને વધારનાર અને એને કંઈક કરવા માટે સમર્થ બનાવનાર પૃષ્ઠભૂમિનો સમાવેશ છે.
જીવનચર્યાના ઘટનાપરક વિસ્તારથી કુતૂહલ વધવા સિવાય બીજો કોઈ લાભ નથી. કામની વાત એ છે કે આ ક્રિયાઓની સાથે જોડાયેલ અંતઃદષ્ટિ અને એવી આંતરિક તત્પરતાનો સમાવેશ કે જે નાનકડા બીજને ખાતર પાણીની જરૂરિયાત પૂરી કરતાં કરતાં વિશાળ વૃક્ષ બનાવવામાં સમર્થ બનતી રહી. વસ્તુતઃ સાધકનું વ્યક્તિત્વ જ સાધનાક્રમમાં પ્રાણ ફૂકે છે. એના વગર ક્રિયાકાંડો કરવા એ બાળરમત જેવું છે.
તુલસીના રામ, સૂરદાસના કૃષ્ણ, ચૈતન્યનું કીર્તન, મીરાનું ગાયન, રામકૃષ્ણ પરમહંસનું પૂજન – આ બધાં માત્ર ક્રિયાકાંડ કરવાથી જ સફળ નહોતાં થયાં. એવું બીજા અસંખ્ય લોકો કરે છે, પણ એમને ઉપહાસ સિવાય બીજું કંઈ પ્રાપ્ત થયું નથી. વાલ્મીકિએ જીવનચર્યા બદલી નાખી તો ઊંધું નામ જપવા છતાં પણ તેઓ મહાન ઋષિ બની શક્યા. અજામિલ, અંગુલિમાલ, ગણિકા આમ્રપાલી એ બધાએ માત્ર અમુક અક્ષરોના જપ જ નહોતા કર્યા, પરંતુ પોતાની જીવનચર્યા પણ અધ્યાત્મના આદર્શો પ્રમાણે બદલી નાખી હતી.
આજે તો લોકો અમુક જપ, ક્રિયાકાંડ, સ્તવન વગેરે કરીને ભગવાનને કંઈક ભેટ અર્પણ કરવી તેને જ પોતાના કર્તવ્યની ઈતિશ્રી માની બેઠા છે. આત્મિક પ્રગતિ માટે અનિવાર્ય એવાં ચિંતન, ચરિત્ર અને વ્યવહારને આદર્શ અને શ્રેષ્ઠ બનાવવાનો તો પ્રયત્ન જ નથી કરતા. મારી સાધના પદ્ધતિમાં આ ભૂલ ન થાય તેનું શરૂઆતથી જ ધ્યાન રાખવામાં આવ્યું. તેથી તે યથાર્થવાદી પણ છે અને બધા લોકો માટે ઉપયોગી પણ છે. આ દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખીને જ મારી જીવનચર્યાવાંચવી જોઈએ.
પ્રતિભાવો