આજની વિશ્વવ્યાપી સમસ્યા
March 24, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
(1). આજની વિશ્વવ્યાપી સમસ્યા
આજની વિશ્વને ત્રાસ આપી રહેલી પરિસ્થિતિઓથી આપણે સૌ વાકેફ છીએ , ચારે બાજુ શોષણ , અત્યાચાર અને અનાચારનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે . પ્રત્યેક વ્યક્તિ અશાંત , વ્યગ્ર , અત્યાચારી અને દુખી છે . કુદરત અને મનુષ્ય બંનેની ઉગ્રતા પરાકાષ્ઠા પર છે . એ ઉગ્રતાએ મનુષ્યના વિચારો અને વ્યવહારને બદલી નાંખ્યા છે , માનવમૂલ્યોને લુપ્ત કરી દીધાં છે અને જીવન જીવવાના ઉદ્દેશનો જ નાશ કરી નાંખ્યો છે . એવું લાગે છે કે આપણે નરકમાં જીવી રહ્યા છીએ . સમસ્યાના નિરાકરણનો ઉપાય આજની ભયાનક પરિસ્થિતિઓનો ઉકેલ આણવાનો પ્રયત્ન તો કરવામાં આવી રહ્યો છે . રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમાજ સેવી સંસ્થાઓ પણ એ દિશામાં નિરંતર પ્રયત્નો કરી રહી છે , પરંતુ તેનું કોઈ કાયમી સમાધાન આજ સુધી શોધી શકાયું નથી . મનુષ્યની વિનાશકારક વૃત્તિઓ અજેય સાબિત થઈ રહી છે . આવી મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ યુગના નવસર્જન માટે સંક્લ્પબદ્ધ આપણું આ મિશન દેઢ શ્રદ્ધાપૂર્વક સમસ્યાઓનો ઉકેલ લાવવા નિરંતર કાર્યરત છે . આપણા વિચારો અને કાર્યપદ્ધતિ અન્ય સંસ્થાઓથી તદ્દન ભિન્ન છે . આપણી એવી માન્યતા છે કે સ્થૂળ સમસ્યાઓનાં મૂળ મગજમાં હોય છે . આથી મૂળ કારણનો ઇલાજ કરવો જોઈએ . કુદરતની ઉગ્રતાનું તથા વિશ્વવ્યાપી સમસ્યાઓનું મૂળ કારણ માનવમનની ઉગ્રતા છે . આથી માનવમનનું પુનઃસર્જન જ માનવજાતિના ઉજ્જવળ ભવિષ્યનો એક માત્ર અમોઘ ઉપાય હોઈ શકે . આવું પુનઃસર્જન મનોવૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક પ્રક્રિયાઓ દ્વારા જ સંભવ છે .
સાધના આંદોલનની આવશ્યકતા
કોઈ અનૈતિક પરિસ્થિતિ વ્યાપક પ્રમાણમાં ત્રાસ પહોંચાડી રહી હોય ત્યારે તેની વિરુદ્ધ એક થઈને સામનો કરવા માટે સમર્થ શક્તિને એકત્ર કરવી અર્થાત્ ‘ આંદોલન ’ કરવું આવશ્યક બની જાય છે . વર્તમાન વિશ્વવ્યાપી સમસ્યાનો સામનો કરવા માટે સાધના આંદોલન જેવા પ્રબળ જાગૃતિ અભિયાનની આવશ્યકતા જણાય છે . આ નાડીને યુગનિર્માણ મિશને ઓળખી લીધી છે , પારખી લીધી છે અને તે અનુસાર પોતાનું લક્ષ્ય નક્કી કર્યું છે . સાધના આંદોલનનું લક્ષ્ય છે – ‘ ‘ ઉપાસના – સાધના – આરાધના દ્વારા (૧) એકે એક મનને સંતુલિત બનાવવું , (૨) મનુષ્યના મનને સર્જનાત્મક દિશામાં ક્રિયાશીલ બનાવવું અને (૩) આ બંને લોકઆંદોલનોનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો કરી વિશ્વના માનવમનની ઉગ્રતાને શાંત કરવી , સર્જનાત્મક કાર્યોમાં સહકારની ભાવનાથી તેનો ઉપયોગ કરવો . ’ ’
અમારી આ માન્યતા સાથે પણ આપ સંમત હશો જ કે માનવમનના નવઘડતર જેવું મુશ્કેલ તથા અદ્ભુત કામ કેવળ સાચો ધર્મ જ કરી શકે છે . સાચો ધર્મ એટલે ઈશ્વરની ત્રણ આજ્ઞાઓનું પાલન – પવિત્ર વિચાર , સૌના હિતની ભાવના અને કર્તવ્યપરાયણતા . એટલા માટે યુગનિર્માણ મિશને ૨૦૦૧ ના વસંતપંચમીના તહેવારથી ઈશ્વરની આ આજ્ઞાને વિશ્વવ્યાપી બનાવવાના મહાન ઉદ્દેશ્યને નજર સામે રાખીને સાત આંદોલનો શરૂ કરવાની જાહેરાત કરી છે . એમાં સાધના આંદોલન પ્રથમ સ્થાને છે . એનું કારણ એ છે કે તે પોતાની દૃષ્ટિએ પૂર્ણ તો છે જ , સાથે સાથે બાકીનાં છ આંદોલનોનું પણ પોષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે .
સાધનાનો વ્યાપક અર્થઃ
સામાન્ય રીતે સાધનાનો અર્થ ‘ સાધવું ’ એવો થાય છે . આધ્યાત્મિક જગતમાં એનો અર્થ ‘ જીવનને સાધવું ’ એવો થાય છે . મનુષ્યના વિચારો અને કર્મો જ તેના સારા કે નરસા સંસ્કારોનું અને એમના અનુસાર તેના સારા કે નરસા જીવનનું ઘડતર કરે છે . એટલા માટે આ ત્રણ સ્તરને નીચે ન પડવા દેવા એ જ જીવનસાધના છે .
લાકડા કે ધાતુના દંડાને ઊભો રાખવો હોય તો તેને પકડી રાખવો પડે છે . જો દંડો મજબૂત રીતે નહિ પકડ્યો હોય તો તે પૃથ્વીના આકર્ષણના કારણે પડી જશે . બરાબર એ જ રીતે સામાન્ય મનુષ્યના વિચારો , ભાવનાઓ અને કર્મોને કોઈ સશક્ત પરિબળનો સહારો ન મળે તો તૃષ્ણા- વાસનાઓના સાંસારિક આકર્ષણના કારણે એ પણ પશુ શ્રેણી સુધી નીચે ઊતરી જશે . આ પતનકારક આકર્ષણોથી બચાવનાર સમર્થ શક્તિ ઈશ્વર જ છે . એટલા માટે સાધનાની પહેલાં ઉપાસનાની અર્થાત્ ઈશ્વરની સર્વવ્યાપકતા અને તેના કર્મફળના નિયોમોનો અનુભવ કરવાની જરૂર છે . જો ઉપાસનાના પ્રથમ પગથિયે ચડી શકાય તો જ સાધનાનું બીજું પગથિયું પણ ચડી શકાશે . આપણે ઉપાસનાને આધાર બનાવી સ્વચ્છ અને સમતોલ જીવન જીવવાની ‘ સાધના કરવી જોઈએ .
જો સાધના થઈ શકે તો આગળ જતાં એવો સદ્ભાવ પણ જાગશે કે જે રીતે આપણે ઉપાસના – સાધના દ્વારા પોતાના જીવનને ઉજ્જવળ માર્ગ પર લઈ જઈ રહ્યા છીએ , એ જ રીતે પોતાનાં સગાંવહાલાંને પણ આ માર્ગ પર ચલાવવાનો પ્રયત્ન કરીએ . પોતાના દીવા વડે બીજાઓના દીવાને પ્રગટાવીએ . આ પરોપકારભાવ અને સેવાસાધના ઈશ્વરની ‘ આરાધના ’ કહેવાય છે , જે સાધનાની સર્વોચ્ચ સ્થિતિ છે . આ બધું મળી સાધનાનો વ્યાપક અર્થ ઉપાસના , સાધના અને આરાધનાની ત્રિપુટી થાય છે . સાધના આંદોલનના આવા ત્રણ સિદ્ધાંતોના ફેલાવાથી વિશ્વકક્ષાએ મનુષ્યના મનની ઉગ્રતાને અવશ્ય શાંત કરી શકાશે . મનુષ્યની અંદર સૂતેલા દેવતાને જગાડવાની અને ધરતી પર સ્વર્ગ ઉતારવાની આ વિદ્યા પહેલાંના સમયમાં પણ સાર્થક અને સફળ રહી હતી . વિશ્વાસ રાખવો જોઈએ કે ઋષિપ્રેરિત આ યોજના આજે પણ સફળ થશે .
વિશ્વ કેટલું મોટું છે તેની ચિંતા આપણે ન કરવી જોઈએ , એ ઋષિની ચિંતાનો વિષય છે . આપણી દુનિયા પોતાનાં કુટુંબીજનો સુધી છે , પોતાનાં સગાંવહાલાં તથા ઓળખીતા સુધી કે પોતાના સંપર્કમાં આવનારી વ્યક્તિઓ સુધી છે . અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે સાધનાનાં આ ત્રણ પગથિયાંને ક્રમશઃ ચડતાં આપ ઈશ્વરના પ્રકાશ તરફ સ્વયં તો આગળ વધો જ , સાથે સાથે પોતાની સાધનાના પ્રકાશ વડે આપણા આ વિશ્વને ઝળહળતું કરવાની પણ સેવા કરો . ઈશ્વર આપણને સૌને આ શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે .
પ્રતિભાવો