૬. પ્રકૃતિનો રુદ્રાભિષેક – પાંદડાંનું શાક, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – પાંદડાંનું શાક, સૂનકારના સાથીઓ

શાકભાજીનું અહીં મહત્ત્વ નથી. બટાકા સિવાય બીજી કોઈ શાકભાજી મળતી નથી. નીચે દૂરના પ્રદેશોમાં પેદા થતા બટાકા અહીં મોંઘા પણ છે. ટેકરીના દુકાનવાળા એક રૂપિયે શેર વેચે છે. આમ તો નાનાં નાનાં ઝરણાં આગળ થોડીઘણી સિંચાઈ થઈ શકે છે, પણ શાકભાજી વાવવાનો અહીં રિવાજ નથી. રોજ બટાકા ખાઈને કંટાળી ગયા. શાકભાજી બાબતે અહીંના રહેવાસીઓ અને દુકાનદારો સાથે થયેલી વાતચીતથી ખબર પડી કે જંગલમાં થતી ભાતભાતની વનસ્પતિમાંથી મારચા, લિંગડા અને કોલા એ ત્રણ એવા છોડ થાય છે, જેમનાં પાનનું શાક બનાવી શકાય છે.

એક પહાડી માણસને મજૂરીના પૈસા આપી ત્રણમાંથી કોઈ એક પ્રકારના છોડનાં પાંદડાં લાવવા મોકલ્યો. છોડ ટેકરીની પાછળ જ હતા અને જોતજોતામાં જ પેલો ૨-૪ રતલ મારચાનાં પાંદડાં તોડી લાવ્યો. ભાજી બનાવવાની રીત પણ તેની પાસેથી જાણી. તે પ્રમાણે ભાજી તૈયાર કરી, ખૂબ સ્વાદિષ્ટ લાગી. બીજે દિવસે લિંગડાનાં અને ત્રીજે દિવસે કોલાનાં પાન ત્યાંના રહેવાસીઓ પાસે મંગાવ્યાં અને ભાજી બનાવી ખાધી. ત્રણે પ્રકારની ભાજી એકબીજાથી વધુ સ્વાદિષ્ટ લાગી. મનમાં ઘણી ખુશી થઈ. એક મહિનાથી લીલાં શાકભાજી મળ્યાં ન હતાં, તેથી તે ખાઈ સંતોષ અનુભવ્યો.

ત્યાંના પહાડી નિવાસીઓ રસ્તામાં મળતા હતા. એમની સાથે જ્યાં ત્યાં મેં ચર્ચા કરી કે આટલો સ્વાદિષ્ટ ભાજીપાલો અહીં થાય છે તો આપ તેનો ઉપયોગ કેમ નથી કરતા ? ભાજી તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઉત્તમ છે, પરંતુ તેમણે ન તો મારી સલાહ માની કે ન તો એ શાકભાજીને લાભદાયક અથવા સ્વાદિષ્ટ માની. ફક્ત અવગણના જાહેર કરીને વાત સમાપ્ત કરી દીધી.

વિચારું છું કે આ સંસારમાં કોઈ વસ્તુનું મહત્ત્વ જ્યારે તેના ઉપયોગની ખબર હોય ત્યારે જ સમજાય છે. આ ત્રણેય ભાજીઓ મારી દૃષ્ટિએ ઉપયોગી હતી, એટલે એ સ્વાદિષ્ટ અને મહત્ત્વપૂર્ણ લાગી. આ પહાડી લોકોએ તેની ઉપયોગિતા જાણી નથી કે તેનો અનુભવ કર્યો નથી, જેથી તેમની સમક્ષ આ મફતનાં શાકભાજી વિપુલ જથ્થામાં હોવા છતાં તેઓ લાભ લઈ શક્યા ન હતા. કોઈ વસ્તુ કે વાતની ઉપયોગિતા જાણ્યા કે અનુભવ્યા વિના મનુષ્ય ન તો તે તરફ આકર્ષાય છે કે ન તો તેનો ઉપયોગ કરે છે. એટલા માટે કોઈ વસ્તુનું હોવું જેટલું મહત્ત્વપૂર્ણ છે, તેથી વધુ મહત્ત્વનું તો તેનો ઉપયોગ જાણી તેનાથી પ્રભાવિત થવું એ છે.

આપણી સમક્ષ પણ એવાં કેટલાંય સત્ય છે, જેમની ઉપયોગિતા સમજીએ તો તેનો ખૂબ જ લાભ મળી શકે છે. બ્રહ્મચર્ય, વ્યાયામ, પ્રાતઃકાળે વહેલા ઊઠવું, વ્યસનોથી દૂર રહેવું, મીઠી વાણી બોલવી, શિષ્ટાચાર રાખવો વગેરે અનેક એવાં સત્યો છે, જેમના ઉપયોગથી આપણને ઘણો જ લાભ થાય છે તેમ જ આ સત્યો આપણા હૃદયને પુલકિત કરે છે. વળી, આ બધું આચરણમાં મૂકવું પણ અઘરું નથી, છતાં આપણામાંથી કેટલાય એવા છે, જે આ બધાની અવગણના કરે છે, એમને અર્થહીન સમજે છે, ઉપરાંત લાભદાયક હોવા છતાં તેનાથી વંચિત રહે છે.

પહાડી લોકો ઉપયોગ ન સમજવાને કા૨ણે જ પોતાની ખૂબ નજીક વિપુલ પ્રમાણમાં મળતાં પાંદડાંની શાકભાજીનો લાભ નથી લેતા, તે માટે એમની નિંદા કરવી વ્યર્થ છે. આપણી પાસે પણ આત્મકલ્યાણનાં નેક ઉપયોગી તથ્યો વિખરાયેલાં પડ્યાં હોવા છતાં આપણે ક્યારેય તેમને આચરીએ છીએ ખરા? તેમનો લાભ લઈએ છીએ ? અજ્ઞાની રહેવામાં કોઈ કોઈનાથી કેમ પાછળ રહી જાય?

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: