પ્રકૃતિનો રુદ્રાભિષેક – સંભાળીને ચાલનારાં ખચ્ચર, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – સંભાળીને ચાલનારાં ખચ્ચર, સૂનકારના સાથીઓ
પહાડીઓમાં ભારવાહકનું કામ કરનારાં જાનવરોમાં બકરી ઉપરાંત ખચ્ચરની પણ ગણના થાય છે. સવારી માટે પણ તે ઉપયોગી છે. જેવી રીતે આપણાં શહેરોમાં રોડ પર ગાડી, રીક્ષા, ઘોડાગાડી, હાથલારી વગેરે મળે છે તેવી જ રીતે ચઢાણ ઊતરાણના ખાબડખૂબડ રસ્તા પર સામાન્ય રીતે ખચ્ચર જ જોવા મળે છે. મેં એ જોયું કે જેવી સાવધાનીથી, ઠોકર અને ખતરાથી આપણી જાતને બચાવીને આપણે આવા રસ્તે ચાલીએ છીએ એવી જ સાવધાનીથી આ ખચ્ચરો પણ ચાલે છે. આપણા માથાની રચના જ એવી છે કે આપણે નીચે જમીન જોતા જોતા આરામથી ચાલી શકીએ છીએ, પણ ખચ્ચરોની બાબતમાં આવું નથી. એમની આંખો એવી જગ્યાએ આવેલી છે અને ડોકનો વળાંક એવો છે, જેનાથી ફક્ત સામેની દિશામાં તો જોઈ શકાય, પરંતુ પગ નીચે જોવું મુશ્કેલ છે. આવું હોવા છતાં ખચ્ચરનું દરેક કદમ ખૂબ જ સાવધાનીથી અને બિલકુલ સાચી જગ્યાએ જ મુકાય છે. ગઈકાલે એક વાછરડું ગંગોત્રીના રસ્તા નીચે પટકાઈને મરી ગયેલું જોયું હતું. સહેજ આડાઅવળા પગ પડ્યા હશે, જેથી ૮૦ ફૂટની ઊંચાઈએથી આ રસ્તે પટકાઈ પડ્યું હતું. આવું ક્યારેક જ બને છે. ખચ્ચરોની બાબતમાં તો આવું સાંભળ્યું જ નથી.
ખચ્ચરો ૫૨ વજન લાદનારાને પૂછ્યું તો તેણે બતાવ્યું કે ખચ્ચર રસ્તે ચાલવા માટે ખૂબ જ કુનેહ અને સાવધાની વાપરી શકે છે. ઝડપી ચાલે છે, પરંતુ તેનું પ્રત્યેક ડગલું માપી માપીને જ મૂકેલું હોય છે. ઠોકર લાગવા જેવું કે ખતરા જેવું કંઈક લાગે તો તરત જ પોતાની જાતને સંભાળી લે છે. આગળ વધેલાં ડગ પાછાં લઈ લે છે અને બીજા પગને ટેકે વધુ સલામત જગ્યા શોધી લઈ ત્યાં પગ મૂકે છે. ચાલવામાં એ પોતાના પગ અને જમીનની સ્થિતિનો ખ્યાલ રાખે છે. જો એમ ન કરી શકતું હોત તો આ ન વિકટ જગ્યામાં તેની કોઈ ઉપયોગિતા ન હોત.
ખચ્ચરની બુદ્ધિમત્તા પ્રશંસનીય છે. મનુષ્ય આગળપાછળનું વિચાર્યા વિના ખોટે રસ્તે પગલું ભરે છે અને એક પછી એક ઠોકર ખાવા છતાં સમજતો નથી, પણ આ ખચ્ચરનું તો વિચારો ? એક એક કદમ સમજી વિચારીને મૂકે છે. સહેજેય ચૂકતાં નથી. આપણે પણ આ ચઢાણ-ઊતરાણવાળી જિંદગીમાં આપણું પ્રત્યેક કદમ સાવધાનીથી ભરીએ, તો આપણું જીવન પણ આ પહાડી પ્રદેશમાં ખચ્ચરોના જેવું જ પ્રશંસનીય બને.
પ્રતિભાવો