સૂનકારભરી ઝૂંપડી, સૂનકારના સાથીઓ

સૂનકારભરી ઝૂંપડી, સૂનકારના સાથીઓ

આ ઝૂંપડીની ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો છે. કુદરત થંભી ગયેલી જણાય છે. સૂનકાર મને ખાવા ધાય છે. દિવસ વીત્યો, રાત આવી. નવા બદલાયેલા વાતાવરણમાં ઊંઘ ન આવી. હિંસક પશુ, ચોર, સાપ, ભૂત વગેરેની નહિ, પણ એકલવાયાપણાથી બીક લાગતી હતી. શરીરને પાસાં બદલવા સિવાય કોઈ કામ ન હતું. મગજ શૂન્ય હતું. વિચારવાની જૂની વૃત્તિ સળવળી ઊઠી. વિચારવા લાગ્યો, “એકલા પડી જવાથી ડર કેમ લાગે છે ?’’

અંદરથી સમાધાન મળ્યું. મનુષ્ય સૃષ્ટિનું એક અંગ છે. તેનું પોષણ સમષ્ટિ દ્વારા જ થયેલું છે. પાણી તત્ત્વથી ઓતપ્રોત માછલીનું શરીર જેવી રીતે પાણીમાં જ જીવી શકે છે તેવી જ રીતે મનુષ્ય સમષ્ટિનું એક અંગ, સમાજનો એક ઘટક, વ્યાપક ચેતનાનું એક બીજ હોવાથી તેને સમૂહમાં જ જીવવાનો આનંદ આવે છે. એકલવાયાપણામાં તે વ્યાપક ચેતનાથી દૂર થઈ જાય છે એ કારણે આંતરિક પોષણથી તે વિમુખ થઈ જાય છે. આ અભાવના લીધે જ સૂનકારમાં ડર લાગે છે.

કલ્પના આગળ દોડી. રૂઢિગત માન્યતાઓની પૂર્તિમાં જીવનનાં અનેક સંસ્મરણો શોધી કાઢઢ્યાં. સૂનકારના, એકલવાયાપણાના ઘણા પ્રસંગો યાદ આવ્યા. તેમાં આનંદ ન હતો. ફક્ત સમય જ પસાર કર્યો હતો. સ્વાતંત્ર્યસંગ્રામ વખતે જ્યારે જેલમાં જવું પડ્યું હતું તે સમયની યાદ આવી. આમ તો કેદખાનામાં કોઈ દુઃખ તો ન હતું, છતાંય એકલતાનું માનસિક દબાણ ઘણું હતું. એક મહિના પછી છૂટ્યો ત્યારે શરીર પાકી કેરીની જેમ પીળું પડી ગયું હતું. ઊભા થવા જતાં ચક્કર આવતાં હતાં. કારણ કે સૂનકાર ગમતો ન હતો, તેથી મગજનાં બધાં જ કેન્દ્રો સૂનકારની ખોડખાંપણ સાબિત કરવામાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં. મગજ તો એક નોકર જેવું છે. અંતરમાં જેવી ભાવના કે માન્યતા રાખીએ તેને અનુરૂપ જ તે વિચારોના, તર્કોના, સાબિતીઓના, કારણોના, દાખલાદલીલોના પહાડના પહાડ જમા કરી દેતું હોય છે. વાત સાચી કે ખોટી એ નક્કી કરવું તે વિવેકબુદ્ધિનું કામ છે. મગજની તો ફક્ત એટલી જ જવાબદારી છે કે ઇચ્છા જ્યાં જાય ત્યાં તેના સમર્થન માટે, સાબિતી માટે જરૂરી વિચારસામગ્રી રજૂ કરી દેવી. મારું મન પણ અત્યારે આ જ કરી રહ્યું હતું.

મગજ હવે દાર્શનિક રીતે વિચારવા લાગ્યું. સ્વાર્થી લોકો પોતે પોતાની જાતને જ એકલા માને છે. એકલાના જ નફા જ તોટાની વાત વિચારે છે. તેમને પોતાનું કોઈ જ દેખાતું નથી. તેથી જ તેઓ સામૂહિકતાના આનંદથી વંચિત રહે છે. તેમનું અંતઃકરણ ભેંકાર સ્મશાનની જેમ ખાવા ધાય છે. એવી કેટલીય પરિચિત વ્યક્તિઓનાં જીવનચરિત્રો સામે આવી ઊભાં, જેમને ધનવૈભવની, સમૃદ્ધિની કોઈ જ ઇચ્છા ન હતી. ન પોતાના અંગત સ્વાર્થથી ૫૨ હોવાને કારણે જ તેઓ સમષ્ટિનું હિત નિહાળી શક્યા હતા.

વિચારપ્રવાહ પોતાની દિશામાં તીવ્ર ગતિએ દોડી રહ્યો હતો. એમ લાગતું હતું કે વિચારો એકલવાયાપણાને હાનિકા૨ક અને પીડાદાયક સાબિત કરીને જ જંપશે. ત્યારે ઇચ્છા પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે, “આ મૂર્ખતામાં પડ્યા રહેવાથી શો ફાયદો ?

એકલા રહેવું તેના કરતાં જનસમૂહમાં રહી જે ભોગવવા યોગ્ય છે તે શા માટે પ્રાપ્ત ન કરવું ?’’

વિવેકબુદ્ધિએ મનની જૂઠી દોડને ઓળખી અને મનને કહ્યું, જો એકલવાયાપણું બિનઉપયોગી હોત તો ઋષિમુનિઓ, સાધકો, સિદ્ધપુરુષો, વિચારકો, વૈજ્ઞાનિકો શા માટે તેની શોધમાં હોત ? શા માટે એવા એકાંત વાતાવરણમાં રહે છે ? સ્વાધ્યાય અને ચિંતન માટે અને તપ તથા ધ્યાન માટે એકાંત કેમ શોધવામાં આવે છે ? જો એકાંતનું કોઈ મહત્ત્વ ન હોત તો સમાધિસુખ અને આત્મદર્શન માટે શું કામ એની શોધ થઈ હોત ? દૂરદર્શી મહાપુરુષોનો અમૂલ્ય સમય શા માટે એકાંતમાં વેડફાયો હોત ?

લગામ ખેંચવાથી જેમ ઘોડો ઊભો રહી જાય છે તેવી જ રીતે એકલવાયાપણાને દુખદાયક સાબિત કરનારો વિચારપ્રવાહ થંભી ગયો. નિષ્ઠાએ કહ્યું, “જે શક્તિ આ માર્ગે ખેંચી લાવી છે તે ખોટું માર્ગદર્શન નહિ આપે” ભાવનાએ કહ્યું, “જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. એકલો જ પોતાના શરીરરૂપી ઓરડીમાં બેસી રહે છે. આ નિર્ધારિત એકાંતમાં તેને કંઈ એકલાપણું લાગે છે ? સૂર્ય એકલો જ ચાલે છે. ચંદ્રમા એકલો જ ઊગે છે. વાયુ એકલો જ વહે છે. તેમાં એમને કંઈ દુખ છે ?”

વિચારો કરવાથી વિચારો ઊડી જાય છે. માનસશાસ્ત્રના આ સિદ્ધાંતે પૂરું કામ કર્યું. અડધી ઘડી પહેલાં જે વિચારો પોતાનો પૂર્ણ અનુભવ કહી રહ્યા હતા તે કપાયેલા ઝાડની જેમ ફસડાઈ પડવા. વિરોધી વિચારોએ તેમને હરાવી દીધા. આત્મવેત્તાઓએ એટલા માટે જ અશુભ વિચારોને શુભ વિચારોથી કાપવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. ખરાબમાં ખરાબ પ્રબળ વિચાર હોય, પણ ઉત્તમ પ્રતિસ્પર્ધી વિચારથી તેને કાપી શકાય છે. અશુદ્ધ માન્યતાઓને શુદ્ધ માન્યતાઓ કઈ રીતે બનાવી શકાય છે તે આ સૂની રાતે પાસાં બદલતાં મેં પ્રત્યક્ષ જોયું. હવે મગજ એકાંતની ઉપયોગિતા, જરૂરિયાત અને મહત્તા પર વિચારવા લાગ્યું.

રાત ધીરે ધીરે વીતવા લાગી. ઊંઘ ન આવવાથી ઊઠીને ઝૂંપડી બહાર નીકળ્યો તો જોયું કે ગંગાની ધારા પોતાના પ્રિયતમ સમુદ્રને મળવા માટે વ્યાકુળ પ્રેયસીની જેમ તીવ્ર ગતિએ દોડી રહી હતી. રસ્તામાં પડેલા પથ્થરો એનો માર્ગ અવરોધવા પ્રયત્ન કરતા હતા, પણ તેમનાથી તે રોકાતી ન હતી. અનેક ખડકો સાથે અથડાવાથી તેનાં અંગપ્રત્યંગ ઘાયલ થઈ રહ્યાં હતાં, છતાં તે કોઈને કંઈ ફરિયાદ કરતી ન હતી. નિરાશ પણ થતી ન હતી. આ વિઘ્નોની તે પરવા પણ કરતી ન હતી. અંધારાનો, એકલાપણાનો તેને ડર ન હતો. પોતાના હૃદયેશ્વરને મળવાની વ્યગ્રતા તેને આ બધી વાતો ધ્યાનમાં લાવવા દેતી ન હતી. પ્રિય પાત્રના ધ્યાનમાં નિમગ્ન હરહર, કલકલ પ્રેમગીત ગાતી ગંગા નિદ્રા અને વિશ્રામને તિલાંજલિ આપી ચાલતા રહેવાની ધૂનમાં જ મગ્ન હતી.

ચંદ્રમા માથા પર આવી પહોંચ્યો હતો. ગંગાની લહેરોમાં તેનાં અનેક પ્રતિબિંબ ચમકી રહ્યાં હતાં, જાણે એક બ્રહ્મ અનેક શરીરમાં દાખલ થઈ એકમાંથી અનેક થવાની પોતાની માયા રચી રહ્યા હતા. દશ્ય ઘણું જ સોહામણું હતું. ઝૂંપડીમાંથી નીકળી ગંગાકિનારે એક મોટા પથ્થર પર બેઠો અને અનિમેષ આંખે તે સુંદર દૃશ્યનો લહાવો લેવા લાગ્યો. થોડીક જ વારમાં ઝોકું આવી ગયું અને તે ઠંડા પથ્થર પર જ ઊંઘ આવી ગઈ.

એવું લાગ્યું કે તે જળધારા કમળના ફૂલ જેવી એક દેવકન્યાના રૂપમાં ફેરવાઈ ગઈ. તેની અલૌકિક, શાંત અને સમુદ્રના જેવી સૌમ્ય મુદ્રાથી એવું લાગતું હતું કે જાણે આ પૃથ્વીની બધી જ પવિત્રતા એકત્રિત થઈને મનુષ્યદેહે ઊતરી રહી છે. તે નજીકના જ એક પથ્થરના ટુકડા પર બેસી ગઈ. આ બધું જાણે હું જાગ્રતાવસ્થામાં જોઈ રહ્યો હતો. તે દેવકન્યા ધીમે ધીમે અત્યંત શાંત ભાવથી મધુર અવાજે કંઈક કહેવા લાગી. હું મંત્રમુગ્ધ થઈ એકચિત્તે સાંભળવા લાગ્યો. તે બોલી, “હે મનુષ્ય દેહધારી આત્મા ! તું આ નિર્જન જંગલમાં ! તું પોતાની જાતને એકલો ન માનીશ. દૃષ્ટિ ફેલાવીને જો ! ચારે બાજુ તું જ વિખરાયેલો પડ્યો છે. ફક્ત મનુષ્ય પૂરતો તું તારી જાતને બાંધી ન દે. આ વિશાળ સૃષ્ટિમાં મનુષ્ય પણ એક નાનું પ્રાણી જ છે અને તેનું પણ કોઈ એક સ્થાન છે, પરંતુ તે સર્વસ્વ નથી. જ્યાં મનુષ્ય નથી ત્યાં સૂનકાર છે એવું કેમ માની શકાય ? બીજા જડચેતન જીવો પરમાત્માને તારા જેટલા જ વહાલા છે. તું શા માટે તેમને તારા ભાઈઓ માનતો નથી ? તેમનામાં તારા જ આત્માનું દર્શન કેમ નથી કરતો ? તેમને તારા સાથીઓ કેમ નથી માનતો ? આ નિર્જન સ્થાનમાં મનુષ્ય તો નથી, પણ ઘણા જીવો મોજૂદ છે. પશુપક્ષીઓ, જીવજંતુઓ, પતંગિયાં, વૃક્ષ, વનસ્પતિઓ જેવી અનેક યોનિઓ આ ગિરિકંદરાઓમાં નિવાસ કરે છે. બધામાં જીવ છે, આત્મા છે, ભાવના છે. જો તું આ અચેતન લાગતા ચેતનોના આત્મા સાથે તારા આત્માને ભેળવી શકે તો તે પથિક ! તું તારા ખંડિત આત્માને સમગ્ર આત્માના રૂપમાં જોઈ શકીશ.’ ધરતી પર અવતરેલી તે દિવ્ય સૌંદર્યની અદ્ભુત મૂર્તિ સમાન દેવકન્યા અવિરત કહી રહી હતી. “મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, પણ તે અભાગિયો સુખ ક્યાંથી મેળવી શકે ? તૃષ્ણા અને વાસનામાં તેણે દૈવી વરદાનનો દુરુપયોગ કર્યો અને જે આનંદ મળી શકતો હતો તેનાથી વંચિત થઈ ગયો. પ્રશંસાને પાત્ર મનુષ્ય કરુણાપાત્ર થઈ ગયો છે, પણ સૃષ્ટિના બીજા બધા જીવો આવી મૂર્ખતા નથી કરતા. તેમનામાં ચેતનાની માત્રા ભલે થોડીક જ હોય, પણ તારી ભાવનાને તેમની ભાવના સાથે મેળવી તો જો ! એક્લવાયાપણું ક્યાં છે? બધા જ તારા સાથીઓ છે.’

પાસું બદલતાં જ ઝબકીને જાગી ગયો. એકદમ ગભરાઈને બેઠો થઈ ગયો. ચારે બાજુ દૃષ્ટિ દોડાવી તો અમૃતતુલ્ય સુંદર સંદેશ સંભળાવનારી કન્યા ત્યાં ન હતી. એમ લાગ્યું કે જાણે તે નદીમાં જ સમાઈ ગઈ. મનુષ્યદેહ ત્યજી દઈ જલધારામાં ફેરવાઈ ગઈ હોય. મનુષ્યની ભાષામાં કહેલા શબ્દો સંભળાયા નહિ,પણ હરહર, કલકલ અવાજમાં એવો જ ભાવ, એવો જ સંદેશ અનુભવ્યો. સ્થૂળ કાન તો તેને સાંભળી શકતા ન હતા, પણ કાનનો આત્મા હજુય તેને સમજી રહ્યો હતો, ગ્રહણ કરી રહ્યો હતો.

આ સ્વપ્ન હતું કે જાગ્રતાવસ્થા ? સત્ય હતું કે ભ્રમ ? મારા પોતાના વિચારો હતા કે દિવ્ય સંદેશ? કંઈ જ સમજાતું ન હતું. આંખો ચોળી માથે હાથ ફેરવ્યો. જે સાંભળ્યું તથા અનુભવ્યું હતું તેને શોધવાનો પુનઃ પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. કંઈ જ મળતું ન હતું. કંઈ જ સમાધાન થતું ન હતું. એટલામાં જોયું તો ઊછળતી લહેરોમાં અનેક ચંદ્ર પ્રતિબિંબિત થઈ એકાકાર થઈ ચારે બાજુથી એકઠા થઈ રહ્યા હતા અને મરક મરક હસતાં કહી રહ્યા હતા, “અમે આટલા બધા ચંદ્ર તારી સાથે રમવા માટે, મોજમજા માણવા તૈયાર છીએ. શું તું અમને તારા મિત્ર નહિ માને ? શું અમે યોગ્ય મિત્ર નથી ? મનુષ્ય ! તું તારી સ્વાર્થી દુનિયામાંથી આવ્યો છે. જેને જેની સાથે મમતા છે, જેનાથી તેનો સ્વાર્થ સધાય છે તે પ્રિય છે. જેનાથી સ્વાર્થ સધાયો તે પ્રિય તથા પોતાનો, જેનાથી સ્વાર્થ ન સધાયો તે પારકો. આ તમારી દુનિયાના રીતરિવાજો છોડ. અમારી દુનિયાના રિવાજો શીખ. મમતા, સ્વાર્થ, સંકીર્ણતા છોડી દે. અહીં બધા આપણા જ છે. બધામાં આપણો જ આત્મા છે. તું પણ આવું વિચાર. પછી આપણે મિત્રો બનીશું અને તને એકલાપણું નહિ લાગે.’

તું તો અહીં કંઈક સિદ્ધ કરવા આવ્યો છે ને ? સાધના કરતી આ ગંગાને જોતો નથી ? પ્રિયતમના પ્રેમમાં તલ્લીન થઈ કેટલી તન્મયતા તથા આતુરતાથી તેને મળવા જઈ રહી છે ! રસ્તામાં આવતાં વિઘ્નો એને ક્યાં રોકી શકે છે ? અંધકાર અને એકલાપણાને તે ક્યાં જુએ છે ? ધ્યેયની યાત્રામાં એક ક્ષણ માટે પણ તેનું મન ક્યાં વિચલિત થાય છે ? જો સાધનાનો રસ્તો જ અપનાવવો હોય તો તારે પણ આ જ આદર્શ અપનાવવો પડશે. જ્યારે પ્રિયતમને પામવા તારો આત્મા પણ ગંગાની ધારની જેમ તલપાપડ હશે તો તને કઈ રીતે ભીડનું આકર્ષણ અને એકલાપણાનો ભય રહેશે ? ગંગાતટે રહેવું હોય તો ગંગાની પ્રેમસાધના પણ શીખ, સાધક !’’

ઠંડી લહેરો સાથે બાળચંદ્ર નાચી રહ્યા હતા. જાણે ક્યારેક મારા મથુરામાં થયેલું રાસનૃત્ય પ્રત્યક્ષ થઈ રહ્યું ન હોય ! લહેરો ગોપીઓ બની, ચંદ્રે કૃષ્ણનું રૂપ ધારણ કર્યું. એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ ! કેવું અદ્ભુત રાસનૃત્ય આ આંખો જોઈ રહી છે ! મન આનંદવિભોર થઈ રહ્યું હતું. ઋતંભરા પ્રજ્ઞા કહી રહી હતી, “જો, જો, તારા પ્રિયતમની ઝલક જો ! દરેક શરીરમાં એક એક આત્મા નાચી રહ્યો છે, જેવી રીતે ગંગાની શુભ લહેરો સાથે એક જ ચંદ્રમાનાં અનેક પ્રતિબિંબ નાચી રહ્યાં છે.’

આખી રાત પૂરી થઈ. ઉષાની લાલિમા પૂર્વમાંથી પ્રગટ થવા લાગી, જે જોયું તે અદ્ભુત હતું. એક્લાપણાનો પ્રશ્ન જો કે હજુય મનમાં રમતો હતો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: