મારી જીવનસાધનાનાં આંતરિક પાસાં, સૂનકારના સાથીઓ
May 30, 2022 Leave a comment
મારી જીવનસાધનાનાં આંતરિક પાસાં, સૂનકારના સાથીઓ
મારા ઘણા પરિજનો મારી સાધના અને સિદ્ધિઓ બાબત કંઈક વધુ જાણવા ઇચ્છે છે અને તે સ્વાભાવિક પણ છે. મારા સ્થૂળ જીવનના જેટલા અંશ પ્રકાશમાં આવ્યા છે તે લોકોની દૃષ્ટિએ અદ્ભુત છે. એમાં સિદ્ધિઓ, ચમત્કારો અને અલૌકિકતાની ઝલક જોવા મળે છે. કુતૂહલની પાછળ તેનું રહસ્ય જાણવાની ઉત્સુકતા છુપાયેલી હોય છે. તેથી જો લોકો મારી આત્મકથા જાણવા ઇચ્છે, તેના માટે દબાણ કરે, તો તેને આ વર્તમાનકાળમાં અકારણ તો ન જ ગણાવી શકાય.
આમ તો હું કદીય કશું જ છુપાવવા માગતો નથી. છળ, કપટ, દુરાચાર વગેરેની મને ટેવ નથી, પણ આ દિવસોમાં મારી એક લાચારી છે કે જ્યાં સુધી રંગમંચ પર પરોક્ષ રીતે મારો અભિનય ચાલે છે ત્યાં સુધી વાસ્તવિકતા બતાવી દઉં તો દર્શકોનું, પરિજનોનું ધ્યાન, તેમનો આનંદ બીજી દિશામાં કેન્દ્રિત થશે અને પરિજનોમાં જે કર્તવ્યનિષ્ઠા જગાવવા માગું છું તે હેતુ પૂરો નહિ થાય. લોકો રહસ્યવાદની જંજાળમાં ફસાઈ જશે. મારું વ્યક્તિત્વ પણ વિવાદાસ્પદ બની જશે અને જે કરવા – કરાવવા મને મોકલવામાં આવ્યો છે તેમાં પણ મને મુશ્કેલી પડશે. મારું સમગ્ર જીવન અલૌકિકતાઓથી ભરેલું છે તેમાં કોઈ સંદેહ નથી. રહસ્યવાદના પડદા એટલા બધા છે, જેમને નક્કી સમય પહેલાં ખોલવા નુકસાનકારક જ સાબિત થશે. પાછળના જમાના માટે એ છોડી દઉં છું કે વસ્તુસ્થિતિની સચ્ચાઈને પ્રામાણિકતાની કસોટીએ કસે અને જેટલું સાચું લાગે તેના પરથી અનુમાન લગાવે કે અધ્યાત્મવિદ્યા કેટલી સમર્થ અને સારપૂર્ણ છે. તે પારસનો સ્પર્શ કરીને એક તુચ્છ માણસ પોતાના લોખંડ જેવા તુચ્છ કલેવરને સુવર્ણ સમાન બહુમૂલ્ય બનાવવામાં કેવી રીતે સફળ થઈ શક્યો, સમર્થ થઈ શક્યો ? આ દૃષ્ટિએ મારા જીવનક્રમમાં દેખાયેલ અનેક રહસ્યમય તથ્યોની સમય આવ્યે જ શોધ થઈ શકશે અને તે સમયે સંશોધનના કાર્યમાં મારા અત્યંત નિકટના સહયોગીઓ કંઈક મદદ પણ કરી શકશે, પરંતુ હાલ કસમયની વાત છે, જેથી જે પડદો પડેલો છે તે પાડેલો રાખવો જ યોગ્ય છે.
આત્મકથા લખવાનો આગ્રહ તો ફક્ત મારો સાધનાક્રમ જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી જ પૂરો કરી શકાય. હકીકતે મારી બધી સિદ્ધિઓ પ્રભુસમર્પિત સાધનાત્મક જીવનપ્રક્રિયા પર જ આધારિત છે. તે જાણવાથી આ વિષયમાં રસ ધરાવતી દરેક વ્યક્તિને આત્મિક પ્રગતિ અને તે સાથે સંકળાયેલી વિભૂતિઓની પ્રાપ્તિ થશે, જેથી હાલ તેમણે આટલાથી જ સંતોષ માનવો પડશે.
સાઈઠ વર્ષના (પુસ્તક લખતી વખતની ઉંમર – ૧૯૭૦ની સાલ) જીવનમાંથી ૧૫ વર્ષનું શરૂઆતનું બાળપણ કંઈ ખાસ મહત્ત્વનું નથી. બાકીનાં ૪૫ વર્ષમાં મેં આધ્યાત્મિક પ્રસંગોને મારા જીવનક્રમમાં વણાઈ ગયેલા બતાવ્યા છે. પૂજા-ઉપાસનાનો આ પ્રયોગમાં ઘણો નાનો ભાગ છે. ચોવીસ વર્ષ સુધી રોજ છ કલાક નિયમિત ગાયત્રી ઉપાસનાને એટલું મહત્ત્વ ન આપવું જોઈએ, જેટલું માનસિક અને ભાવનાત્મક ઉત્કૃષ્ટતા ભરેલા પ્રયત્નોને અપાય. જો વિચારણા અને કાર્યપદ્ધતિને ઉચ્ચ ન બનાવી હોત તો ઉપાસનાનાં કર્મકાંડ નિરર્થક જ રહ્યાં હોત. કેટલાય પૂજા કરનારા, મંત્રતંત્ર જપનારા હરહંમેશ ખાલી હાથે જ રહ્યા છે. જો મારી જીવનસાધનાને સફળ માનીએ અને તેમાં જણાયેલી અલૌકિકતાને તપાસીએ તો તેનું મુખ્ય કારણ મારી આંતરિક અને બાહ્ય પરિસ્થિતિની ઉચ્ચતાને જ માનવું પડે. પૂજા ઉપાસનાને ગૌણ સમજવી જોઈએ. આત્મકથાના એક ભાગને લખવાનું દુઃસાહસ કરતાં હું એક જ સત્ય સાબિત કર્યે રાખીશ કે મારું સમગ્ર મનોબળ અને પુરુષાર્થ આત્મખોજમાં જ લગાવેલાં છે. જે કંઈ ઉપાસના કરી છે તેને પણ મેં ઉચ્ચભાવના પ્રયત્નોથી જ વણાયેલી રાખી છે. હવે આત્માના ઉત્કર્ષનાં સાધનાત્મક પ્રકરણો પર પ્રકાશ પાડતી ચર્ચા રજૂ કરું છું.
સાધનામય જીવનનાં ત્રણ પગથિયાં છે, જે ચઢીને એક લાંબી મંજિલ પાર કરી. (૧) માતૃવત્ પરદારેષુ – પરસ્ત્રીને માતા સમાન ગણવી. (૨) પરદ્રવ્યેષુ લોષ્ટવત્ – પરધનને માટી સમાન વર્જ્ય ગણવું. (૩) આત્મવત્ સર્વભૂતેષુ – સર્વે પ્રાણીઓમાં પોતાની જાતને નિહાળવી. આમાં પહેલાં બે પગથિયાં સરળ હતાં, જે વ્યક્તિગત સંબંધ ધરાવે છે. લડવાનું મારી જાત સાથે હતું. પોતાના જ ઘરને સંભાળવાનું હતું, જેથી પૂર્વજન્મના સંસ્કારો અને સમર્થ સદ્ગુરુની મદદથી આ બધું સહેલાઈથી પતી ગયું. મન એટલું બધું દુરાગ્રહી ન હતું તેમ જ એટલું દુષ્ટ પણ ન હતું કે તે મને કુમાર્ગે લઈ જવાની હિંમત કરે. કોઈ કોઈ વાર અહીંતહીં ભટકવાની કલ્પના કરતું તો તરત જ પ્રતિરોધનો ઠંડો એના માથા પર જોરથી પડતો. આથી તે હેબતાઈ જતું અને ચૂપચાપ સાચા માર્ગે ચાલતું રહેતું. મન સાથે લડતાં-ઝઘડતાં પાપ અને પતનથી પણ બચતો ગયો. જ્યારે બધો ખતરો ટળી ગયો ત્યારે સંતોષ થયો. દાસ કબીરે ઝીણી વણેલી ચાદરને જતનપૂર્વક ઓઢી હતી અને કોઈ જાતના ડાઘા વિના પરમાત્માને પાછી આપી દીધી. પરમાત્માને અનેક ધન્યવાદ કે તેણે મને પણ એ રસ્તે જ ચાલવા દીધો અને તેના જ પગલે પગલે એ આધારને મજબૂતીથી પકડતો પકડતો એવા સ્થાન પર જઈ પહોંચ્યો, જ્યાંથી ગબડી પડવાનો કોઈ ભય જ ન હતો.
આધ્યાત્મિક જીવનની કર્મકાંડી પ્રક્રિયા ખાસ મુશ્કેલ નથી. સંકલ્પબળ મજબૂત હોય, શ્રદ્ધા અને નિષ્ઠા જોરદાર હોય તો માનસિક ઉદ્વેગ આવતો નથી અને શાંતિથી મન લાગી જાય છે, જેથી ઉપાસનાનાં વિધિવિધાન સરળ અને સચોટ રીતે થયા કરે છે. મામૂલી દુકાનદાર આખી જિંદગી એક જ દુકાન પર, એક જ બેઠક પર પૂરા આનંદથી જીવન ગુજારે છે. તેનું મન કંટાળતું નથી. તેને અરુચિ થતી નથી. પાનસિગારેટની દુકાનવાળો ૧૨-૧૪ કલાક પોતાના ધંધાને ઉત્સાહ અને શાંતિથી આજીવન ચલાવ્યા કરે છે, તો રોજ ૬-૭ કલાકની ગાયત્રી ઉપાસના ૨૪ વર્ષ સુધી ચલાવવાનો મારો સંકલ્પ તોડવાની શી જરૂર પડે ? ઉપાસનાને જે પાનબીડીના, ખેતીવાડીના કે કંદોઈના ધંધા કરતાંય ઓછી જરૂરી યા ઓછી લાભદાયક સમજે છે તેનું મન ચોંટતું નથી. વ્યર્થ કામોમાં મન લાગતું નથી.
ઉપાસનામાં કંટાળવાની અને અરુચિની અડચણ તેને આવે છે, જેની આંતરિક આકાંક્ષા ભૌતિક સુખસાધનોને જ સર્વસ્વ માને છે, જે પોતાની મનોકામના પૂરી થવાના કોડ સેવે છે. નસીબ અને પુરુષાર્થની શૂન્યતાને લીધે પ્રભુનું વરદાન નથી મળતું ત્યારે તેને ગુસ્સો ચઢે છે. શરૂઆતમાં પણ આકાંક્ષાઓ વિરુદ્ધ કામ કરવામાં ઉદાસીનતા રહે છે. આવી સ્થિતિ ઘણાની હોય છે, તેથી તેઓ મન ન ચોંટવાની ફરિયાદ કરે છે. મારો સ્તર જુદો હતો. મહાન વ્યક્તિ બનવાની કે જૂઠી વાહવાહની મહત્ત્વાકાંક્ષા કદીય જાગી નથી. એક જ વાત વિચારતો રહ્યો છું કે હું આત્મા છું તો આત્મવિસ્તાર માટે, આત્મશાંતિ માટે, આત્મકલ્યાણ માટે અને આત્મવિસ્તાર માટે કેમ ન જીવું ? શરીર અને આત્માને બે ભાગોમાં વહેંચી દીધાં. એટલે અજ્ઞાનની દીવાલ તૂટી ગઈ અને અંધકારમાંથી અજવાળું થઈ ગયું.
જે લોકો પોતાના શરીરને જ મહત્ત્વનું માને છે, ઇન્દ્રિયોની તૃપ્તિ સુધી જ પોતાનો આનંદ સીમિત કરી લે છે, વાસના અને તૃષ્ણાની પૂર્તિ જ જેમના જીવનનો ઉદ્દેશ્ય બની જાય છે તેમના માટે પૈસા, અમીરી, મોટાપણું, પ્રશંસા, પદવી વગેરે જ સર્વસ્વ બની જાય છે. તેઓ આત્મકલ્યાણની વાત ભૂલી જાય છે અને લોભમોહની સોનેરી જંજીરો ઘણા જ પ્રેમથી પહેરી શકે છે. તેમના માટે હિતક૨ રસ્તે ચાલવાની સુવિધા નથી મળતી તેવું બહાનું સાચું હોઈ શકે છે. અંતઃકરણની આકાંક્ષાઓ જ સુવિધાઓ મેળવી આપે છે. જ્યારે ભૌતિક સુખસંપત્તિ જ લક્ષ્ય બની જાય છે ત્યારે સમગ્ર ચેતનાપ્રવાહ તે જ મેળવવામાં લાગી જાય છે. ઉપાસના તો એક નાનું ક્રીડાંગણ જ રહી જાય છે. ઉપાસના કરી તોય શું અને ન કરી તોય શું ? કુતૂહલવૃત્તિથી લોકો જોયા કરે છે કે તેમનોય થોડો તમાશો જોઈ લઈએ. કાંઈ મળે છે કે નહિ ? થોડીવાર મન વગરની કંઈક ચમત્કાર થવાની દૃષ્ટિએ ઊલટીસૂલટી પૂજા કરી લીધી અને તેના પર વિશ્વાસ ન બેઠો એટલે ઉપાસના છૂટી ગઈ. શ્રદ્ધા અને વિશ્વાસ વિના, જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાની તીવ્ર લગની વિના કોઈ વ્યક્તિ આત્મિક પ્રગતિ ન કરી શકે. આ બધાં સત્યોની અનાયાસે મને ખબર જ હતી, જેથી શરીર અને કુટુંબ સાચવવા ખૂબ જ અગત્યનાં કારણોસર આપવું પડતું અતિઅલ્પ ધ્યાન આપ્યું. આ પ્રયત્નો મશીનના ભાડા ચૂકવણી જેવી દૃષ્ટિથી ન કર્યા. અંતઃકરણ ધ્યેયસિદ્ધિ માટે તત્પર રહ્યું, તેથી ભૌતિક પ્રલોભનો અને આકર્ષણોમાં ભટકવાની જરૂર ઊભી જ ન થઈ.
જ્યારે મારું પોતાનું રૂપ આત્માની સ્થિતિનો અનુભવ કરવા લાગ્યું અને અંતઃકરણ પરમેશ્વરના પવિત્ર નિવાસસ્થાન સમું લાગવા માંડ્યું તો ચિત્ત અંતર્મુખી બની ગયું. ફક્ત એવો જ વિચાર આવવા લાગ્યો કે પરમાત્માના રાજકુમાર એવા આત્માએ શું કરવું જોઈએ ? કઈ દિશામાં જવું જોઈએ ? પ્રશ્ન સરળ હતો. ઉત્તર પણ સરળ હતો – ઉત્કૃષ્ટ જીવન જીવવું અને = ફક્ત આદર્શવાદી કાર્યપદ્ધતિ અપનાવવી. જેઓ આ માર્ગે ચાલ્યા નથી તેમને ઘણો ડર લાગે છે કે આ રીતિનીતિ અપનાવીશું તો ઘણું સંકટ આવશે. ગરીબી, તંગી અને મુશ્કેલીઓ સહેવી પડશે. મિત્રો દુશ્મન થઈ જશે અને ઘરવાળાં વિરોધ કરશે. મને પણ શરૂઆતમાં આમ જ લાગ્યું અને આવો જ અનુભવ થયો. શરૂઆતના દિવસોમાં મારે ટીકાટીપ્પણો તથા મેણાંટોણાં સાંભળવાં પડ્યાં. પરિવારના લોકો જ સૌથી વધારે આડા આવ્યા. તેમને એમ લાગ્યું કે આ માર્ગને લીધે જે ભૌતિક લાભો મળે છે અથવા મળવા જોઈએ તેમાં ઓટ આવશે. તેથી તેઓ જેમાં પોતાનું નુકસાન સમજતા હતા તેને મારી મૂર્ખતા ગણતા હતા, પરંતુ આ લાંબો સમય ન ચાલ્યું.
આપણી આસ્થા ઊંચી તથા મજબૂત હોય તો જૂઠો વિરોધ ટકી શકતો નથી. કુમાર્ગે ચાલવાથી જે વિરોધ તથા તિરસ્કાર ઊભા થાય છે તે સ્થિર રહે છે. નિષ્ઠા જાતે જ એક વિભૂતિ છે, જે પોતાની સાથે બીજાને પણ પ્રભાવિત કરે છે. વિરોધીઓ અને નિંદા કરનારા લોકો થોડા જ દિવસોમાં પોતાની ભૂલ સમજે છે અને સહકાર આપવાનું ચાલુ કરે છે. આસ્થા જેટલી મહાન હશે, જેટલી મજબૂત હશે તેટલી જલદી પ્રતિકૂળ બાબતો અનુકૂળ બની જશે. કુટુંબીઓનો વિરોધ વધુ સમય સહેવો પડ્યો નહિ. તેમની શંકા-કુશંકાઓ પરિસ્થિતિનો ખ્યાલ આવતાં જ દૂર થઈ. આત્મિક જીવનમાં હકીકતમાં ખોટની કોઈ વાત જ નથી. બહારથી ગરીબ જેવો દેખાતો મનુષ્ય આત્મિક શાંતિ અને સંતોષને લીધે સદા પ્રસન્ન રહે છે. આ સંતોષ અને પ્રસન્નતા દરેકને પ્રભાવિત કરે છે અને વિરોધીઓને સહભાગી બનવામાં મદદરૂપ થાય છે. મારી મુશ્કેલીઓ આમ જ ઊકલી ગઈ.
મોટાઈ, લોભ, મોહ, વાહવાહ અને તૃષ્ણાની જંજીરો તૂટી, તો એવું લાગ્યું. હવે બંધનમાંથી મુક્તિ મળી ગઈ. જંજીરોમાં જકડાયેલા મનુષ્યને આ ભવસાગરમાં ઊંધે મોંએ ઢસડવામાં આવે છે. તેણે અતૃપ્તિ, ઉદ્વેગ, વેદના તથા વ્યથાથી ઉંહકારા ભર્યા કરવા પડે છે. આ ત્રણેની તુચ્છતા સમજીએ અને શ્રદ્ધા વધારીએ તો સમજો કે માયાનાં બંધન તૂટી ગયાં અને જીવતે જીવ જ મુક્તિ મેળવવાનો હેતુ સિદ્ધ થયો. “તારી નજર બદલીશ તો તને બ્રહ્માંડ બદલાયેલું લાગશે’’ એ ઉક્તિ અનુસાર મારી ક્ષુદ્ર ભાવનાઓ આત્મજ્ઞાન થતાં જ સમાપ્ત થઈ ગઈ અને મુક્તિનું લક્ષ્ય સિદ્ધ કરવાની ઇચ્છા આંગળી પકડીને રસ્તો ચીંધવા લાગી. પછી ન તો અભાવ રહ્યો કે ન અસંતોષ. શરીરને જીવતું રાખવા તથા કુટુંબ અને દેહને પરિસ્થિતિ પ્રમાણે પ્રાપ્ત સાધનોથી સંતોષ માનવા શિક્ષણ આપ્યું. તેમનાં લોભમોહનાં મૂળ કાપી નાંખ્યાં. મનનું ભટકવું બંધ થયું એટલે અપાર શક્તિ મળી અને જીવ પણ પ્રફુલ્લિત રહેવા લાગ્યો. આ તથ્ય કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે છે, પણ લોકો તો લોકો જ છે. તેલથી આગ હોલવવા માગે છે. તૃષ્ણાને ધનથી અને વાસનાને ભોગ સાધનાથી તૃપ્ત કરવા ઇચ્છે છે. તેમને કોણ સમજાવે કે એથી તો ફક્ત દાવાનળ જ સળગાવી શકાય છે. આ રસ્તે ચાલનારો માણસ મૃગજળ માટે જ ફાંફાં માર્યા કરે છે તેને કોણ સમજાવે ? સમજનાર અને સમજાવનાર મુશ્કેલીઓ જ ઊભી કરે છે. સત્સંગ અને પ્રવચનો ઘણાં સાંભળ્યાં. વક્તાઓના જીવનમાં ડોકિયું કર્યું તો તેમનામાં શ્રોતાઓ કરતાં પણ વધુ ગંદકી જોઈ. આનાથી જીવ ખાટો થઈ ગયો. મોટા મોટા સત્સંગ, સંમેલન થયા કરતાં, છતાં તે જોવાસાંભળવા જવામાં મન લાગતું નહિ. પ્રકાશ મળ્યો ખરો, પણ મારા અંતરમાંથી જ. આત્માએ હિંમત કરી અને ચારે બાજુ જકડાયેલી જાળજંજાળને કાપવાની બહાદુરી બતાવી એટલે જ કામ ચાલ્યું. બીજાને સહારે બેસી રહ્યો હોત તો હું અજ્ઞાનના અંધારામાં જ ડાફોળિયાં માર્યા કરતો હોત. એવું લાગે છે કે જો કોઈને પણ પ્રકાશ મળવાનો હશે તો તે તેના પોતાના અંતરમાંથી જ મળશે. ઓછામાં ઓછું મારી બાબતમાં તો આ સાચું જ સાબિત થયું છે. આત્મિક પ્રગતિમાં જે બાહ્ય અવરોધના પહાડો ઊભા હતા એમને પાર ક૨વાનું લક્ષ્ય પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રેયપથ પર ચાલવાનું સાહસ કર્યા વિના શક્ય બને નહિ. તેથી જ મારી હિંમત કામ લાગી ગઈ. હું એ માટે જામી પડ્યો, તેથી સહાયકો પણ પુષ્કળ મળવા લાગ્યા. ગુરુદેવ ( દાદા ગુરુદેવશ્રી સર્વેશ્વરાનંદજી)થી માંડીને ભગવાન સુધીના બધા મારો રસ્તો સરળ કરવામાં મદદરૂપ થવા નિરંતર આવતા રહ્યા અને પ્રગતિપથ પર ધીમે ધીમે પણ ચોક્કસ રીતે કદમ આગળ વધવા માંડ્યાં. અત્યાર સુધીનો રસ્તો આ પ્રમાણે જ પૂરો થયો છે.
લોકો કહે છે કે આધ્યાત્મિક જીવન મુશ્કેલ છે, પણ મારો અનુભવ તેનાથી ઊલટો છે. વાસના-તૃષ્ણાઓથી ઘેરાયેલું જીવન જ હકીકતમાં મુશ્કેલ અને સમસ્યાવાળું છે. આ સ્તરનું આચરણ અપનાવનાર વ્યક્તિ જેટલી મહેનત કરે છે, જેટલું વ્યર્થ દુ:ખ ભોગવે છે, જેટલી મૂંઝાયેલી રહે છે એ જોતાં આધ્યાત્મિક જીવનની મુશ્કેલીઓને સાવ નગણ્ય જ કહી શકાય. આટલો શ્રમ, આટલું ચિંતન, આટલો બધો ઉદ્વેગ છતાંય પળભર ચેન નહિ. કામનાઓ પૂરી કરવા અથાગ પ્રયાસ છતાં પરિપૂર્ણતાએ પહોંચતાં પહેલાં મહત્ત્વાકાંક્ષાઓનું સોગણું વધી જવું તે એવડી મોટી જંજાળ છે કે મોટામાં મોટી સફળતાઓ મેળવ્યા બાદ પણ વ્યક્તિ અતૃપ્ત અને અસંતુષ્ટ જ રહે છે. થોડીક સફળતા મેળવવા માટે પણ કેટલો અથાગ પરિશ્રમ કરવો પડે છે તે જાણતા હોવા છતાં પણ તેનાથી મોટી સફળતા મેળવવા ચારગણો, દસગણો પરિશ્રમ કરે છે. જવાબદારીઓ સ્વીકારી લે છે. ગતિ જેટલી વધુ તીવ્ર બને છે એટલી જ સમસ્યાઓ વધે છે અને મુશ્કેલ બને છે. તેમને સરળ બનાવવામાં દેહ, મન અને આત્માનું કચુંબર થઈ જાય છે. સામાન્ય શારીરિક અને માનસિક પરિશ્રમથી આકાંક્ષાઓ પૂરી ન થાય એટલે અનીતિ અને અનાચારનો માર્ગ અપનાવવો પડે છે. પાપકર્મ કરવાથી આકાંક્ષાઓ શી રીતે પૂર્ણ થાય ? હરહંમેશનો ઉદ્વેગ અને અંધકારમય ભાવિ જોતાં જે કંઈ મેળવી શકાય છે તે અતિ અલ્પ જ ગણાય. સામાન્ય રીતે લોકો રડતા-કકળતા, ફરિયાદ કરતા રોષ કે શોકથી નિસાસા નાખતા ગમે તે રીતે પોતાની જિંદગીની જીવતી લાશ વેંઢારતા ફરે છે. હકીકતમાં તેમને જ તપસ્વી કહેવા જોઈએ. જો આધ્યાત્મિક પ્રગતિના પંથે ચાલવા માટે આટલો ત્યાગ, આટલું કષ્ટ, ઉદ્વેગ બધું સહન કર્યું હોત તો મનુષ્ય યોગી, સિદ્ધપુરુષ, મહામાનવ કે દેવ જ નહિ, પરંતુ ભગવાન પણ બની શક્યો હોત. બિચારાએ મેળવ્યું કશું નહિ અને ગુમાવ્યું ધણું. જેમણે અથાગ પરિશ્રમ કરવા છતાં પાપનાં પોટલાં ઊંચકવાનું સાહસ કર્યું છે તે જ સાચા ત્યાગી, તપસ્વી, પરોપકારી, આત્મદાની તથા બલિદાની છે કારણ કે જે કમાયા તે બધું જ સાળા, બનેવી, બાળકો, ભત્રીજા વગેરે માટે છોડી ખુદ ખાલી હાથે જતા રહે છે. બીજાના સુખ માટે જાતે કષ્ટ સહન કરનારા જ હકીકતમાં મહાત્મા, જ્ઞાની કે પરમાર્થી બની શકે છે. તેઓ પોતાને ભલે પાપાત્મા, માયાગ્રસ્ત કે પદભ્રષ્ટ ગણતા હોય.
આપણી આજુબાજુ રહેલા અસંખ્ય મનુષ્યોનાં આંતરિક અને બાહ્ય જીવન જોઈએ તો એમ જ લાગે છે કે સૌથી વધુ સગવડવાળું જીવન આપણે જ જીવી જાણ્યું છે. નુકસાન ફક્ત એટલું જ છે કે આપણે ઓછી સગવડો તથા ઓછાં સાધનોથી જીવન જીવવું પડ્યું. ઘરવખરી ઓછી રહી અને ગરીબ જેવા ગણાવા લાગ્યા. સંપત્તિ ન હોવાથી દુનિયાએ આપણને નાના સમજી અવગણના કરી. બસ, આનાથી વધુ ખોટ કોઈ પણ આત્મવાદીને હોઈ શકે જ નહિ. આ ભાવથી મને દુખ ન થયું કે ન તો મારું કામ રોકાયું. બીજા પકવાન ખાતા રહ્યા, પણ મેં જવ, ચણા ખાઈને કામ ચલાવ્યું. બીજા જીવ દર્દોથી પિડાઈને દવાઓનું દુખ સહન કરતા રહ્યા, જ્યારે મારો સાત્ત્વિક આહાર ઠીક ઠીક પચતો રહ્યો અને હું નીરોગી રહ્યો. મને શું નુકસાન ગયું ? વિલાસીઓની સરખામણીમાં ભૂખના સમયે મને જવની રોટલી મજેદાર લાગી. ધનના પ્રયત્નોમાં લાગેલા સુંદર કપડાં, સુંદર ઘર, સુંદર સજાવટ વગેરે અપનાવીને અભિમાન ધરાવતા અને બીજા ઉપર રોફ કરવા લાગ્યા. હું અલ્પ સાધનોમાં એટલો ઠાઠમાઠ તો ન જમાવી શક્યો, પરંતુ સાદગીએ આત્મસંતોષ અને આનંદ આપ્યો. તેનાથી ઘણો જ પ્રસન્ન થયો. જો કે ઘણા લોકોએ મારી મજાકમશ્કરી કરી, જ્યારે કેટલાક લોકોએ સાદગીના પડદા પાછળ રહેલી મહાનતા વખાણી અને અહોભાવથી પોતાનું શીશ નમાવ્યું. નફામાં કોણ રહ્યું ? વિટંબણાઓ ઉઠાવનારા કે હું ?
પોતાની કસોટી પર જાતને કસ્યા પછી એમ કહી શકાય કે ઓછો પરિશ્રમ, ઓછું જોખમ અને ઓછી જવાબદારીઓ ઉઠાવી હું શરીર તથા મનની દૃષ્ટિએ વધારે સુખી રહ્યો અને સન્માન પણ ઘણું મેળવ્યું. પાગલો પ્રશંસા કરે કે ન કરે તેની કોઈ દ૨કા૨ નથી, પણ મને પોતાને આત્મસંતોષ છે. આત્માથી માંડીને પરમાત્મા સુધી અને સજ્જનોથી માંડીને દૂરદર્શીઓ સુધી મારી ક્રિયાપદ્ધતિ વખાણવા યોગ્ય ગણાઈ. જોખમ ઓછું અને નફો વધારે. ખર્ચાળ તૃષ્ણાથી ભરપૂર, બનાવટી તથા અતિ ભારે જિંદગી પાપ અને પતનનાં પૈડાંવાળી ગાડી પર જ પૂરી કરી શકાય. મારું બધું જ હલકું રહ્યું. બિસ્તરો બગલમાં દબાવ્યો અને ચાલી નીકળ્યા. ન થાક, ન ચિંતા. મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે આદર્શવાદી જીવન સરળ છે. તેમાં પ્રકાશ, સંતોષ, ઉલ્લાસ બધું જ છે. દુષ્ટ લોકો આક્રમણ કરી કંઈ હાનિ પહોંચાડે તેના કરતાં આ સાદું જીવન શું ખોટું ? સંત અને સેવાભાવીઓએ પણ ત્રાસ સહન કરવો પડ્યો છે. દેખાદેખી, ઈર્ષ્યા, દ્વેષ અને વેરને કારણે ભૌતિક જીવનમાં વધારે ખતરો રહે છે. છરાબાજી, ખૂન, ડાકુગીરી, આક્રમણ, ઠગાઈ વગેરેની જે રોમાંચકારી ઘટનાઓ સાંભળવા મળે છે તેમાં ભૌતિક જીવન જીવનારા જ વધારે મરે છે. એટલી જ વ્યક્તિઓ જો સ્વેચ્છાથી પોતાના પ્રાણ ન્યોછાવર કરવા અને ધન વાપરવા તૈયાર થઈ જાય તો તેમને દેવતુલ્ય જ માનવા પડે અને ઇતિહાસ પણ ધન્ય બની ગયો હોત. ઈસુ ખ્રિસ્ત, સોક્રેટિસ, ગાંધીજી જેવા સંતો અથવા એમની કક્ષાના લોકો અકાળે ઘણા ઓછા મર્યા છે. તેનાથી હજારોગણી વધારે હત્યાઓ પતનના માર્ગે લઈ જનારા ક્ષેત્રમાં થયા કરે છે. દાન આપી ગરીબ થયેલા ભામાશાહ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા મળશે, પણ ઠગાઈ, વિશ્વાસઘાત, વ્યસન, વ્યભિચાર, આક્રમણ, કોર્ટનાં લફરાં, બીમારી તથા બેવકૂફીના શિકાર થઈ અમીરમાંથી ફકીર બની જતા લાખો લોકો જોવા મળે છે. આત્મિક ક્ષેત્રમાં ખોટ, આક્રમણ, દુખ વગેરે ઓછાં છે, ભૌતિક ક્ષેત્રમાં તે વધુ છે. આ તથ્યને જો સાચી રીતે સમજી શક્યા હોત તો લોકો આદર્શવાદી જીવનથી ગભરાવાની અને ભૌતિક લાલસામાં ઊંધે મોંએ પડવાની બેવકૂફી ના કરત. મારો વ્યક્તિગત અનુભવ આ જ છે કે તૃષ્ણા તથા વાસનાના પ્રલોભનમાં વ્યક્તિ મેળવે છે ઓછું, જ્યારે ગુમાવે છે વધારે. મારે જે ગુમાવવું પડ્યું છે તે બિલકુલ નગણ્ય છે, પણ જે મેં પ્રાપ્ત કર્યું છે તે એટલું વધારે છે કે વારે વારે એમ જ વિચાર્યા કરું છું કે દરેક વ્યક્તિને આધ્યાત્મિક જીવન જીવવાની ઉત્કૃષ્ટ આદર્શવાદી પરંપરા અપનાવવાનું કહેવું જોઈએ, પણ વાત મુશ્કેલ છે. મેં મારા અનુભવો, સાક્ષીઓ તથા સાબિતીઓ આપી ઉજ્જવળ જીવન જીવવાની વાતો ઘણા સમયથી ક૨ી છે, પણ કેટલાએ તે સાંભળી ? અને સાંભળીને તેમાંથી કેટલાએ તે અપનાવી ?
પરસ્ત્રી માતા સમાન અને પારકું ધન ધૂળ સમાન આ નિસરણીને પણ ચડવી મુશ્કેલ બનત, પણ જીવનનું સ્વરૂપ, હેતુ અને ઉપયોગ હું સારી રીતે સમજ્યો અને જે યોગ્ય જણાયું તે માર્ગે જવાની હિંમત અને બહાદુરીને લીધે બધું સરળ બન્યું. જે વ્યક્તિ શ૨ી૨ને જ પોતાનું સ્વરૂપ માનતી હોય અને તૃષ્ણા વાસના માટે આતુર રહેતી હોય તેણે આત્મિક પ્રગતિથી વંચિત રહેવું પડે છે. પૂજા-ઉપાસનાનાં છૂટાછવાયાં કર્મકાંડોથી કોઈની નાવ પાર ઊતરી શકી નથી. મારે ૨૪ વર્ષ સુધી નિરંતર ગાયત્રી પુરશ્ચરણોમાં રચ્યાપચ્યા રહીને ઉપાસનાનો એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ પૂરો કરવો પડ્યો, પણ આ કર્મકાંડની સફળતાનો લાભ જ્યારે આત્મિક પ્રગતિની ભાવનાત્મક પ્રક્રિયાઓને જીવનસાધના સાથે સાંકળી ત્યારે જ મળ્યો. જો બીજાની જેમ ભગવાનને વશ કરવામાં કે ઠગવામાં અથવા તેમની પાસેથી મનોકામનાઓ પૂરી કરવા માટે તંત્રમંત્રના કર્મકાંડમાં રચ્યોપચ્યો રહ્યો હોત, જીવનના નિર્વાહની આવશ્યકતા જ સમજ્યો હોત તો મને કાંઈ જ પ્રાપ્ત થયું ન હોત. હું અગણિત ભજનિકો અને તાંત્રિકોને જાણું છું, જેઓ પોતાની ધૂનમાં વરસોથી લાગેલા છે, મારાથી વધારે પૂજાપાઠ કરે છે, પણ ખૂબ જ બારીકાઈથી જોયું તો તેમના આંતરિક જીવનમાં છળકપટ જ ભાળ્યું. જૂઠો આત્મવિશ્વાસ એમનામાં જરૂર ભાળ્યો, જેનાથી તેઓ એમ વિચારે છે કે આ ભવે તો નહિ, પણ આવતે ભવે જરૂર સ્વર્ગ મળશે, પણ મારી ભવિષ્યવાણી છે કે આમાંથી એકેયને સ્વર્ગ મળવાનું નથી કે નથી એ લોકોને કોઈ સિદ્ધિ મળવાની કે ચમત્કાર થવાનો.
કર્મકાંડ અને પૂજાપાઠમાં જ્યારે જીવનક્રમ ઉત્કૃષ્ટ બને ત્યારે જ સફળતા મળે. ધુતારા, સ્વાર્થી, કંજૂસ અને પોતાના શરીર માટે તેમ જ પોતાનાં બાળકો માટે જીવનારા લોકો જો પોતાના વિચારો ન બદલે તો તેમને તીર્થ, વ્રત, ઉપવાસ, કથાકીર્તન, સ્નાન, ધ્યાન વગેરેનો કંઈ પણ લાભ મળે તેમાં હું સંમત નથી. કર્મકાંડ ઉપયોગી છે, પરંતુ લખવા માટે કલમની જેટલી ઉપયોગિતા છે તેટલી જ તેની ઉપયોગિતા છે. કલમ વિના કઈ રીતે લખી શકાય ? પૂજાઉપાસના વિના કઈ રીતે આત્મિક પ્રગતિ થઈ શકે ? આ જાણવાની સાથે એ પણ જાણવું જોઈએ કે સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન વગેરે બૌદ્ધિક વિકાસ મેળવ્યા વિના કલમ-કાગળના આધારે કંઈ લખી શકાય છે ? કવિતાઓ બનાવી શકાય છે ? આંતરિક ઉત્કૃષ્ટતા બૌદ્ધિક વિકાસ જેવી છે અને પૂજા સારી કલમ જેવી છે. બંનેનો સમન્વય થાય તો જ ફળીભૂત થવાય. બેમાંથી એક ન હોય તો વાત ન બને. આપણે એ યાદ રાખવું જોઈએ કે સાધનાની ગાડી એક પૈડા પર ન ચાલી શકે. એટલે બંને પૈડાંની વ્યવસ્થા શરૂઆતથી જ કરી દેવી જોઈએ .
મેં ઉપાસના કેવી રીતે કરી એમાં કોઈ રહસ્ય નથી. ગાયત્રી મહાવિજ્ઞાનમાં જેમ લખ્યું છે તે પ્રમાણે ગાયત્રી મંત્રનો મારો સામાન્ય ઉપાસનાક્રમ ચાલતો રહ્યો છે. હા, જેટલી વાર ભજન કરવા બેઠો છું એટલી વાર એવી ભાવના અવશ્ય કરી છે કે બ્રહ્મની પરમ તેજોમયી સત્તા એવી માતા ગાયત્રીનો દિવ્ય પ્રકાશ મારા રોમેરોમમાં ઓતપ્રોત થઈ રહ્યો છે અને પ્રચંડ અગ્નિમાં પડેલા લોખંડની જેમ મારું સમગ્ર શરીર મારા ઇષ્ટદેવતાના શરીર જેવું જ ઉત્કૃષ્ટ બની રહ્યું છે. શરીરના કણેકણમાં મા ગાયત્રીનું બ્રહ્મવર્ચસ સમાઈ જવાથી શરીરનો પ્રત્યેક અવયવ જ્યોતિર્મય બની ઊઠ્યો અને આ અગ્નિથી ઇન્દ્રિયોની લાલસા બળીને ભસ્મ થઈ ગઈ. આળસ જેવા દુર્ગુણો નાશ પામ્યા. રોગવિકારોએ તે અગ્નિમાં પોતાની જાતને સળગાવી દીધી. શરીર તો મારું છે, પરંતુ અંદર પ્રચંડ બ્રહ્મવર્ચસ વહી રહ્યું છે. વાણીમાં ફક્ત મા સરસ્વતી જ રહ્યાં છે. અસત્ય, છળ અને સ્વાદના રાક્ષસ તે દિવ્ય મંદિરનો ત્યાગ કરી નાસી ગયા. નેત્રોમાં ગુણ ગ્રહણ કરવાની શક્તિ અને ભગવાનનું સૌંદર્ય દરેક જડચેતનમાં જોવાની ક્ષમતા જ ભરેલી છે. નિંદા, કૂથલી, કામુકતા જેવા દોષ આંખોમાં રહ્યા નથી. કાન ફક્ત જે મંગળમય છે તે સાંભળે છે. બાકીનું બધું માત્ર કોલાહલ છે, જે કાનના પડદા સુધી પહોંચે છે, પણ ત્યાં ટકરાઈને પાછું પડે છે.
ગાયત્રી માતાનો પરમ તેજસ્વી પ્રકાશ સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં પ્રવેશ કરતાં વધુ તેજોમય લાગ્યો અને અનુભવ કર્યો કે તે બ્રહ્મવર્ચસ મારા મનના એ ખૂણામાં પ્રવેશતું હતું, જ્યાં પાશવી આકાંક્ષાઓ ભેગી થતી હતી. એના બદલે દિવ્યતા ઉત્પન્ન કરનારી આકાંક્ષાઓ સજાગ થવા માંડી. બુદ્ધિ નિર્ણય કરે છે કે ક્ષણિક આવેશો માટે, તુચ્છ પ્રલોભનો માટે માનવજીવન જેવી ઉપલબ્ધિનો દુરુપયોગ ન કરવો જોઈએ. તેની એકે એક પળ આદર્શોની સ્થાપના માટે વાપરવી જોઈએ. ચિત્તમાં ઉચ્ચ નિષ્ઠા ઉદ્ભવ્યા કરતી. સત્યમ્ શિવમ્ સુંદરમ્ તરફ આગળ વધવાના ઉમંગો ઉત્પન્ન કરતા સવિતાદેવતાનું તેજ મારા અંતરમાં પ્રવેશ કરી અહમ્ને દૂર કરતું અને તુચ્છ જીવન જીવતા લોકોની સ્થિતિ પરથી માઇલો ઊંચે લઈ જઈ ભગવાનના સર્વસમર્થ, પરમ પવિત્ર અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં પહોંચાડી દેતું.
ગાયત્રી પુરશ્ચરણોમાં ફક્ત જાપ જ જપતો ન હતો, પરંતુ ભાવનાથી હૃદય હિલોળા માર્યા કરતું. શરીર આત્મબોધ, આત્મદર્શન, આત્માનુભૂતિ અને આત્મવિસ્તારની અનુભૂતિની અંતઃજ્યોતિ અનુભવવા લાગ્યું. એવું લાગ્યું કે પતંગિયું દીપક પર જે રીતે કુરબાન થઈ જાય તેવી જ રીતે મારો આત્મા પરમ જ તેજસ્વી સૂર્યના પ્રકાશમાં વિલીન થઈ ગયો. પ્રકાશના આરોપણ સાથે જ મારું પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ‘હું’ સમાપ્ત થઈ ગયો અને ‘તું’ નું આધિપત્ય બન્યું. દરેક ક્ષણે દિવ્ય આનંદ અનુભવ્યો, જેની ઉપર સંસારભરના બધા જ વિષયોનો આનંદ ન્યોછાવર કરી શકાય. જપ સાથે જ સ્થૂળ તથા સૂક્ષ્મ શ૨ી૨માં દિવ્ય પ્રકાશનું આરોપણ શરૂઆતમાં ધ્યાનધારણાના રૂપમાં કર્યું હતું. બાદમાં તે સ્વાભાવિક પ્રકૃતિ જ બની ગઈ અને છેલ્લે પ્રત્યક્ષ અનુભૂતિ બની ગઈ. જ્યાં સુધી ઉપાસનામાં બેસતો ત્યાં સુધી મારી અંદર અને બહાર પરમ તેજસ્વી સૂર્યદેવની જ્યોતિનો દિવ્ય સાગર જ લહેરાતો રહ્યો અને એવું જ લાગવા માંડ્યું કે મારું અસ્તિત્વ તે દિવ્ય જયોતિ સાથે ઓતપ્રોત થઈ રહ્યું છે. પ્રકાશ સિવાય આંતરિક અને બાહ્ય વાતાવરણમાં કંઈ જ નથી. પ્રાણના પ્રત્યેક સ્ફુરણમાં જ્યોતિકણ સિવાય કંઈ જ બચ્યું નથી. પૂજા સમયની અનુભૂતિને દિવ્ય દર્શન અને દિવ્ય અનુભવમાં જ ઓતપ્રોત બનાવ્યે રાખી. સાધનાનો લગભગ બધો જ સમય આ રીતે વીત્યો.
પૂજાના છ કલાક બાકીના ૧૮ કલાકને ભરપૂર પ્રેરણા આપતા રહ્યા. કામ કરવાનો જે સમય રહ્યો તેમાં એવું લાગતું કે ઇષ્ટદેવનું તેજ મારો માર્ગદર્શક છે. તેના સંકેતો ૫૨ જ પ્રત્યેક કાર્ય થવા લાગ્યું. લાલસા અને નિંદાથી, તૃષ્ણા અને વાસનાથી પ્રેરાઈને મારું કોઈ કાર્ય થઈ રહ્યું હોય એવું લાગ્યું જ નહિ. નાના બાળકને જેમ મા આંગળી પકડી ચલાવે છે તેમ તે દિવ્ય સત્તાએ મારું માથું પકડીને ઉચ્ચ વિચારવા અને શરીર પકડીને ઊંચા બનવા વિવશ કરી દીધો. ઉપાસના બાદ જાગૃત અવસ્થાના જેટલા કલાક રહ્યા તેમાં શારીરિક નિત્યકોથી માંડીને આજીવિકા મેળવી. સ્વાધ્યાય, ચિંતન, પરિવારવ્યવસ્થા વગેરે કાર્યો એ રીતે ચાલતાં રહ્યાં, જાણે ભગવાન જ આ બધાનું નિયોજન અને સંચાલન કરે છે. રાતના સૂવાના છ કલાક એવી ગાઢ નિદ્રામાં પસાર થતા, જાણે સમાધિ લાગી ગઈ હોય અને માતાના ખોળામાં પોતાની જાતને સોંપીને પરમ શાંતિ અને સંતોષની ભૂમિકામાં આત્મસત્તા જોડે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું હોય. સૂઈને ઊઠું એટલે નવું જીવન, નવો ઉલ્લાસ તથા નવો પ્રકાશ માર્ગદર્શન આપવા આગળને આગળ જ ઊભાં હોય.
ચોવીસ વર્ષનાં ૨૪ મહાપુરશ્ચરણ કાળમાં કોઈ સામાજિક કૌટુંબિક જવાબદારીઓ ન હતી, તેથી અધિક તત્પરતા અને તન્મયતાથી આ જપધ્યાનનો સાધનાક્રમ ચાલતો રહ્યો. પરસ્ત્રી માતા સમાન અને પર ધન માટી સમાનની અતૂટ નિષ્ઠાએ કાયાને પાપકર્મોથી બચાવ્યે રાખી. અન્નની સાત્ત્વિકતાએ મનને માનસિક અધઃપતનની ખીણમાં પડતું બચાવવામાં સફળતા આપી. જવની રોટલી અને ગાયની છાશનો ખોરાક ભાવ્યો પણ ખરો અને પચ્યો પણ ખરો. જેવું અન્ન તેવી મનની સચ્ચાઈ મેં જીવનકાળમાં ડગલે ને પગલે અનુભવી. જો શરીર અને મન સાથે કઠોરતાથી વર્તો ન હોત તો જે કંઈ થોડીક પ્રગતિ થઈ શકી છે તે ન થઈ શકી હોત.
પ્રતિભાવો