મારા દેશ્ય જીવનની અદેશ્ય અનુભૂતિઓ, સૂનકારના સાથીઓ
May 30, 2022 Leave a comment
મારા દેશ્ય જીવનની અદેશ્ય અનુભૂતિઓ, સૂનકારના સાથીઓ
મારી અધ્યાત્મસાધનાનાં બે લક્ષ્યાંક ૨૪ વર્ષમાં પૂરાં થયાં. પરસ્ત્રી માતા સમાન અને પરદ્રવ્ય માટી સમાનના આદર્શોની ચકાસણી યુવાવસ્થામાં જ થાય. કામ અને લોભની પ્રબળતા પાંચ વર્ષથી માંડીને ચાલીસ વર્ષ સુધીમાં તો ઢળી ગઈ. કામના, વાસના, તૃષ્ણા, મહત્ત્વાકાંક્ષા આ ઉંમરમાં જ આકાશપાતાળ એક કરે છે. આ અવધિ સ્વાધ્યાય, મનન તથા ચિંતન સાથે આત્મસંયમ અને જપધ્યાનની સાધનામાં લાગી ગઈ. આ ઉંમરે મનોવિકારો પુષ્કળ રહે છે. તેથી સામાન્ય રીતે પરમાર્થનાં કાર્યો માટે પરિપક્વ ઉંમરની વ્યક્તિઓને જ નીમવામાં આવે છે.
પરિપક્વ ઉંમરના લોકો અર્થવ્યવસ્થાથી માંડીને સૈન્ય સંચાલન સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોની જવાબદારી પોતાના માથે લે છે અને તેમણે આવી જવાબદારીઓ લેવી પણ જોઈએ. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે આ ક્ષેત્રોમાં ઘણો અવસર મળે છે. સેવાકાર્યોમાં નવયુવકો ઘણું યોગદાન આપી શકે છે, પરંતુ લોકમંગળનાં કાર્યો માટે નેતૃત્વ કરવાની તેમની ઉંમર નથી. શંકરાચાર્ય, દયાનંદ, વિવેકાનંદ, રામદાસ, મીરા, નિવેદિતા જેવા થોડાક જ અપવાદ એવા છે, જેમણે યુવાન વયે જ લોકમાંગલ્યનાં કાર્યોનું નેતૃત્વ સફળતાપૂર્વક કર્યું હતું. સામાન્ય રીતે અપરિપક્વ ઉંમર અવ્યવસ્થા ઊભી કરે છે. યશ, પદની ઇચ્છા, ધનનો લોભ તથા વાસનાત્મક આકર્ષણો સાથે જેઓ સાર્વજનિક ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે તેઓ વિકૃતિઓ જ પેદા કરે છે. જાહેર સંસ્થાઓની અવનતિ માટે અપરિપક્વ ઉંમર કારણભૂત બની શકે છે. આમ તો દુર્ગુણોને ઉંમર સાથે કોઈ
સંબંધ નથી, છતાં પ્રકૃતિની પરંપરા કંઈક આવી જ ચાલી રહી છે, જેને કારણે યુવાવસ્થાને મહત્ત્વાકાંક્ષાનો સમય માનવામાં આવે છે. પરિપક્વ ઉંમરે સ્વાભાવિક રીતે જ માણસ કંઈક સૌમ્ય બને છે અને તેની ભૌતિક લાલસાઓ પણ સંયમિત બને છે. મૃત્યુ નજીક આવતું હોવાની યાદ આવતાં લોક, પરલોક તથા ધર્મકર્મ વધુ ગમે છે, એટલા માટે જ તત્ત્વવેત્તાઓએ વાનપ્રસ્થ અને સંન્યાસ માટે આયુષ્યનો પાછળનો ભાગ જ ઉપયોગી માન્યો છે.
જાણે શો ભેદ હશે કે મારા માર્ગદર્શકે મને કિશોરાવસ્થામાં જ તપશ્ચર્યાના કઠોર હેતુ માટે તૈયાર કરી દીધો અને જોતજોતામાં આ પ્રયત્નોમાં ૪૦ વર્ષની ઉંમર થઈ ગઈ. બનવા જોગ છે કે તે ઉંમરે વર્ચસ્વ જમાવવાનો કે નેતૃત્વના અહંકારમાં, મહત્ત્વાકાંક્ષાઓમાં, લોભલાલચમાં ઢસડાઈ જવાનો ડર સમજ્યા હોય ! બનવા જોગ છે કે આંતરિક પરિપક્વતા તથા આત્મિક બલિષ્ઠતા મેળવ્યા વિના કોઈ સિદ્ધિ ન મળવાની શંકા ગઈ હોય. બનવા જોગ છે કે મહાન કાર્યો માટે અત્યંત આવશ્યક સંકલ્પબળ, ધૈર્ય, સાહસ તથા સંતુલન ઓળખી શકાયું ન હોય. જે હોય તે, મારી ઊગતી ઉંમર જ આ સાધનાક્રમમાં વીતી ગઈ.
આ ગાળામાં બધું જ સામાન્ય રહ્યું. અસામાન્ય એક જ હતું ગાયના ઘીથી સળગતો અખંડ દીપક. પૂજાની ઓરડીમાં તે નિરંતર સળગતો રહ્યો. આનું વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક રહસ્ય શું છે તે બરાબર સમજાવી શકાય તેમ નથી. ગુરુ એટલે ગુરુ, હુકમ એટલે હુકમ, શિસ્ત એટલે શિસ્ત અને સમર્પણ એટલે – સમર્પણ. એક વાર સમજી લીધું કે તેમની હોડીમાં બેસવાથી ડૂબવાની બીક નથી, તેથી આંખો બંધ કરીને બેસી જ ગયો. લશ્કરના જવાનોને જેમ શિસ્ત પ્રાણથી પણ અત્યંત વહાલું હોય છે તેમ આને મારી શિસ્તપ્રિયતા કહો કે અંધશ્રદ્ધા, પણ જીવનની દિશા નક્કી થઈ ગઈ. જે કાર્યપદ્ધતિ બતાવવામાં આવી તેને સર્વસ્વ માની પૂરી નિષ્ઠા અને તત્પરતાથી કરતો ગયો. સાધનાખંડમાં અખંડ દીપકની સ્થાપના પણ આવી જ પ્રક્રિયાઓમાં આવે છે. માર્ગદર્શક પર વિશ્વાસ મૂક્યો. મારી જાતને તેમને સોંપી દીધી, પછી ચિંતા શી ? શંકા-કુશંકા શા માટે ? જે સાધના કરવાનું મને બતાવવામાં આવ્યું તેમાં અખંડ દીપકનું મહત્ત્વ સમજાવ્યું, તેથી તેની સ્થાપના કરી લીધી અને પુરશ્ચરણોની સંપૂર્ણ અવધિ સુધી એને નિરંતર સળગતો રાખવામાં આવ્યો. પાછળથી તો તે પ્રાણથી પણ અધિક પ્રિય થઈ ગયો. ચોવીસ વર્ષ પછી તેને હોલવી શકતો હતો, પણ તે કલ્પના એવી લાગી કે જાણે મારો જ પ્રાણ બુઝાઈ જશે. એટલે તે દીપકને આજીવન ચાલુ રાખવામાં આવશે. હું અજ્ઞાતવાસમાં ગયો હતો. હવે ફરી જઈ રહ્યો છું, તેથી તેને મારી ધર્મપત્ની સળગતો રાખશે. જો એકલો હોત, પત્ની ન હોત તો કોઈ સાધના થઈ શકી જ ન હોત. અખંડ દીપક સળગાવી રાખવો મુશ્કેલ હતો. સાંસારિક પરિજનો, આડંબરી શિષ્યો અથવા આત્મવિકાસ વગરના લોકો આવા દિવ્ય અગ્નિને પ્રદીપ્ત રાખી શકે નહિ. અખંડ દીપક સ્થાપિત કરનારાઓમાં કેટલાયના દીપક સળગતા-બુઝાતા રહે છે, નામમાત્રના જ અખંડ છે. મારી જ્યોતિ અખંડ રહી તેનું કારણ બાહ્ય સતર્કતા નહિ, પણ અંતરની નિષ્ઠા જ સમજવી જોઈએ. તેને જીવંત રાખવામાં મારી ધર્મપત્નીએ પણ અસાધારણ ફાળો આપ્યો.
બનવા જોગ છે કે અખંડ દીપક યજ્ઞનું સ્વરૂપ હોય. દીપક અગરબત્તીની, હવનસામગ્રીની, જપમંત્રોચ્ચારની અને ઘી હોમવાની જરૂરિયાત પૂરી કરતો હોય અને તે પ્રમાણે અખંડ હવનની કોઈ સ્વયંસંચાલિત પ્રક્રિયા બની જતી હોય. બનવા જોગ છે કે પાણી ભરેલો કળશ અને તેની સ્થાપનામાં અગ્નિજળનો સંયોગ રેલવે એંજિનના જેવી વરાળશક્તિનો સૂક્ષ્મ હેતુ પાર પાડતો હોય. બનવા જોગ છે કે અંતર્જ્યોતિ જગાવવામાં આ બાહ્યજ્યોતિથી કંઈક સહાયતા મળતી હોય. જે હોય તે. આ અખંડ જ્યોતિથી ભાવનાત્મક પ્રકાશ, અનુપમ આનંદ અને ઉલ્લાસ ભરપૂર મળતાં રહ્યાં. બહાર ચોકી ઉપર રાખેલો દીપક કેટલાક દિવસ તો બહાર ને બહાર સળગતો જોયો, પછી અનુભૂતિ બદલાઈ અને લાગ્યું કે મારા અંતઃકરણમાં આ પ્રકાશયોતિ સળગ્યા કરે છે અને જે રીતે પૂજાની ઓરડી પ્રકાશથી ભરાઈ જાય છે તેવી જ રીતે મારું અંતર આનાથી જયોતિર્મય થઈ રહ્યું છે. શરીર, મન અને આત્મામાં સ્થૂળ જયોતિર્મયતાનું જે ધ્યાન ધરું છું તે સંભવતઃ આ જ અખંડ દીપકની પ્રક્રિયા હશે. દીપક જાતે જ ઉપાસના ખંડમાં જેવો પ્રકાશ પાથરી ઝગમગાટ ફેલાવે છે તેવું જ ભાવનાક્ષેત્ર ઉપાસનાના પૂરા સમય સુધી પ્રકાશથી ઝગમગતું રહ્યું છે. મારું સર્વસ્વ પ્રકાશમય છે. અંધકારનાં આવરણ દૂર થઈ ગયાં. આંધળી મોહવાસનાઓ બળી ગઈ. પ્રકાશપૂર્ણ ભાવનાઓ તથા વિચારો શરીર અને મન પર જોરશોરથી આચ્છાદિત થઈ ગયાં. સર્વત્ર પ્રકાશનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો છે અને હું તળાવની હું માછલીની જેમ તે જ્યોતિરૂપી સરોવરમાં ક્રીડાકિલ્લોલ કરતો ઘૂમી રહ્યો છું. અનુભૂતિઓએ આત્મબળ, દિવ્યદર્શન અને આ અંતઃઉલ્લાસને વિકાસમાન બનાવવામાં એટલી બધી સહાયતા કરી છે કે તેનું શાબ્દિક વર્ણન શક્ય નથી. બનવા જોગ છે કે આ કલ્પના પણ હોઈ શકે, પણ એમ ચોક્કસ વિચારું છું કે જો આ અખંડ જ્યોતિ ન સળગાવી હોત તો પૂજાના ઓરડાના ધૂંધળા અજવાળાની જેમ મારું અંતઃકરણ પણ ધૂંધળું જ રહ્યું હોત. હવે તો આ દીપક દીપાવલીના દીપપર્વની જેમ મારી નસનાડીઓને ઝગમગાવતો જોવા મળે છે. મારી ભાવવિભોર અનુભૂતિઓના પ્રવાહમાં જ જયારે તેત્રીસ વર્ષ પહેલાં પત્રિકા પ્રકાશિત કરી તો સંસારનું જે સર્વોત્તમ નામ પસંદ હતું તે ‘અખંડજ્યોતિ’ રાખી દીધું. બનવા જોગ છે કે તે ભાવાવેશમાં શરૂ થયેલ પત્રિકાથી નાનુંસરખું અભિયાન આ સંસારમાં મંગલમય પ્રગતિનાં, પ્રકાશનાં કિરણો ફેલાવવામાં સમર્થ અને સફળ બની શક્યું હોય.
સાધનાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરતાં આત્મવત્ સર્વભૂતેષુ બધામાં પોતાને નિહાળો – નાં કિરણો ફૂટી નીકળ્યાં. પરસ્ત્રી માતા સમાન અને પરધન માટી સમાનની સાધના મારા પોતાના જ શ૨ી૨ સુધી સીમિત હતી. બે આંખોમાં પાપ આવ્યું તો ત્રીજી વિવેકની આંખ ખોલી પાપને ડરાવીને ભગાડી મૂક્યું. શરીર પર કડક પ્રતિબંધ મૂકી દીધો અને આશંકાવાળી પરિસ્થિતિઓનું મૂળ જ કાપી નાખ્યું, જેથી દુષ્ટ વ્યવહાર શક્ય જ ન બને.
પરસ્ત્રી માતા સમાનની સાધના અડચણ વિના ફાવી ગઈ. તેણે મને ફક્ત શરૂઆતના દિવસોમાં જ હેરાન કર્યો. શરીરે સદા મને સાથ દીધો. મેં જયારે હાર સ્વીકારી લીધી, એટલે તે હતાશ થઈ હરકતોથી તંગ આવી ગયું. પાછળથી તો તે સાચો મિત્ર અને સહયોગી બની ગયું. સ્વેચ્છાથી ગરીબી સ્વીકારી લીધી. જરૂરિયાતો ઘટાડી તેને અંતિમ બિંદુ સુધી લઈ ગયો અને સંગ્રહની ભાવના છોડી દીધી, જેથી પ૨દ્રવ્યનું આકર્ષણ જ ઘટી ગયું. પેટ ભરવા અને શરીર ઢાંકવા પૂરતું જ્યારે મારા પ્રયત્નોથી જ મળી રહેતું હોય તો પરદ્રવ્ય હડપ કરવાની વાત કઈ રીતે વિચારી શકું ? જે બચ્યું, જે મળ્યું તે વહેંચતો જ રહ્યો. વહેંચવાનો, આપવાનો જેને ચસ્કો લાગી જાય છે, જે તેની અનુભૂતિનો આનંદ મેળવી શકે છે તે સંઘરાખોર હોઈ શકે નહિ. પછી શા માટે પરદ્રવ્યનું પાપ ભેગું કરું ? ગરીબીનું, સાદગીનું, અપરિગ્રહી બ્રાહ્મણનું જીવન મારી અંદર એક અસાધારણ આનંદ, સંતોષ અને ઉલ્લાસ ભરી બેઠું છે. આવી અનુભૂતિ જો લોકોને થઈ શકે તો ભાગ્યે જ કોઈનું મન પરદ્રવ્યનું પાપનું પોટલું પોતાને માથે લાદવા તૈયાર થાય. અપરિગ્રહી કહેવા પૂરતા જનહિ, પણ ભોગ આપવાની પ્રક્રિયા અંતઃકરણ પર કેવી અનોખી છાપ પાડે છે તે કોઈ ક્યાં જાણે છે ? પણ મને તો આ દિવ્ય વિભૂતિઓનો ભંડાર અનાયાસે જ હાથ લાગી ગયો.
આગળ ડગલું ભરતાં પહેલાં ત્રીજી મંજિલ આવે છે – સહુમાં પોતાને નિહાળો. બધાને પોતાના જેવા જુઓ. કહેવા સાંભળવામાં આ શબ્દ મામૂલી જેવો લાગે છે અને સામાન્ય રીતે નાગરિક તરીકેનાં કર્તવ્યપાલન, શિષ્ટાચાર તથા સવ્યવહાર અપનાવ્યા બાદ બધું પૂરું થયેલું લાગે છે, પણ હકીકતમાં આ તત્ત્વજ્ઞાનનું ક્ષેત્ર એટલું મહાન છે કે એનો પરિધ જ્યાં પહોંચે છે ત્યાં પરમસત્તા સાથે વિલીન થઈ જવાની સ્થિતિ આવી પહોંચે છે. આ સાધના માટે બીજાનાં અંતર સાથે આપણા અંતરને જોડવું પડે છે અને તેમનાં દુખોને આપણાં માનવાં પડે છે. વસુધૈવ કુટુંબકમની માન્યતાનું મૂર્ત સ્વરૂપ એ છે કે આપણે બધાંને આપણાં જ માનીએ, બીજાને આપણામાં અને આપણે બીજામાં પરોવાયેલા, ભળી ગયેલા અનુભવીએ. આ અનુભૂતિની પ્રક્રિયા એ છે કે બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના દુખમાં આપણું દુખનો અનુભવ થવા માંડે છે. એવો મનુષ્ય પોતાના જ સ્વાર્થનું વિચારતો નથી. સ્વાર્થી રહેવું તેના માટે મુશ્કેલ બને છે. બીજાંનું દુખ દૂર કરવા અને સુખ વધારવાના પ્રયત્ન એને એવા લાગે છે, જાણે તે પોતાના સ્વાર્થ માટે જ ન કરતો હોય !
સંસારમાં અગણિત પુણ્યાત્મા અને સુખી છે. લોકો સન્માર્ગ પર ચાલતાં અને માનવજીવનને ધન્ય બનાવતાં પોતાનું તેમ જ બીજાઓનું કલ્યાણ કરે છે, એવું વિચારી તેમના જીવને ઘણો સંતોષ મળે છે. મને લાગે છે કે સાચે જ પ્રભુએ આ દુનિયા પવિત્ર ઉદ્દેશ્યો પૂરા કરવા જ બનાવી છે. અહીં પુણ્ય અને જ્ઞાન મોજૂદ છે, જેના આધારે કોઈ પણ વ્યક્તિ આનંદ, ઉલ્લાસ, શાંતિ અને સુખની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. પુણ્યાત્મા, પરોપકારી અને સ્વાવલંબી વ્યક્તિઓનો અભાવ નથી. તેઓ ભલે ઓછી સંખ્યામાં હોય, પણ પોતાનો પ્રકાશ તો ફેલાવે જ છે અને તેમનું અસ્તિત્વ એ સાબિત કરે છે કે મનુષ્યમાં દેવત્વ મોજૂદ છે અને જો ઇચ્છે તો થોડાક પ્રયત્નોથી તેને સજીવ તેમ જ સક્રિય કરી શકે છે. ધરતી વીર સંતાનોથી ભરેલી છે. અહીં નરનારાયણનું અસ્તિત્વ છે. પરમાત્મા કેટલા મહાન, ઉદાર અને દિવ્ય હોઈ શકે છે તેનો પરિચય પરમાત્માની પ્રતિકૃતિ એવા આ આત્માઓમાં જોઈ શકાય છે, જેમણે શ્રેયનો રસ્તો અપનાવ્યો છે અને કાંટા ખૂંદતા ખૂંદતા લક્ષ્ય તરફ શાંતિ, શ્રદ્ધા અને હિંમતથી આગળ ધપતા ગયા. ભગવાન વારંવાર મનુષ્યાવતાર લઈ જન્મવા લલચાય તે માટે પણ આ મહામાનવોનું ધરતી પરનું અસ્તિત્વ અગત્યનું છે. આદર્શોની દુનિયામાં વિહરતા, ઉત્કૃષ્ટતા પર આધાર રાખનારા મહાનુભાવો બહારથી સામાન્ય લાગતા હોવા છતાં અંતરથી સમૃદ્ધ અને સુખી રહે છે એ જોઈ મારું મન પણ પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. તેમની શાંતિ મારા અંતઃકરણને સ્પર્શી ગઈ. મહાભારતની તે કથા કોઈક વાર યાદ આવી જાય છે, જેમાં પુણ્યાત્મા યુધિષ્ઠિર થોડોક સમય નરકમાં ગયા તો ત્યાં રહેતાં બધાં પ્રાણીઓ આનંદવિભોર થઈ ઊઠ્યાં હતાં. એમ લાગે છે કે જેમના સ્મરણમાત્રથી આપણને સંતોષ અને પ્રકાશ મળે છે, તો તે પુણ્યાત્મા પોતે કેટલી દિવ્ય અનુભૂતિ કરતા હશે !
આ અરૂપ દુનિયામાં જે કંઈ સૌંદર્ય છે તે આ પુણ્યાત્માઓની જ ભેટ છે. અસીમ અસ્થિરતાથી નિરંતર પ્રેતપિશાચો જેવાં ડાકલાં વગાડતી, નાચતી, અણુપરમાણુની બનેલી આ દુનિયામાં જે સ્થિરતા અને શક્તિ છે તે આ પુણ્યાત્માઓ દ્વારા ઉત્પન્ન થયેલી છે. સર્વત્ર વિખરાયેલાં જડ પંચતત્ત્વોમાં જે સરસતા અને શોભા જણાય છે તેની પાછળ આ સત્યમાર્ગીઓનો પ્રયત્ન અને પુરુષાર્થ જ દેખાય છે. પ્રલોભનો અને આકર્ષણોની જંજાળનાં બંધનો કાપી જેમણે આ સૃષ્ટિને શોભામય અને સુગંધમય બનાવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે તેમની શ્રદ્ધા જ ધરતીને ધન્ય બનાવી રહી છે. એવી ઇચ્છા થતી રહે છે કે જેમના પુણ્ય પ્રયાસ હરહંમેશ લોકમંગલનાં કાર્યો માટે કાર્યરત રહે છે તેવા નરનારાયણોનાં દર્શન તથા સ્મરણ કરી પુણ્યફળ મેળવ્યા કરું અને તેમની ચરણરજ માથે ચઢાવીને મારી જાતને ધન્ય બનાવું. જેમણે આત્માને પરમાત્મા બનાવી દીધો એવા પુરુષોત્તમમાં પ્રત્યક્ષ ભગવાનની ઝાંખી કરી. એવું લાગતું રહ્યું કે હજીય ભગવાન સાકાર રૂપમાં આ પૃથ્વી પર રહેતા તથા ફરતા જોવા મળે છે. મારી ચારે બાજુ એટલા બધા પુણ્ય પરમાર્થીઓ હયાત રહેવાથી મને ખૂબ સંતોષ થયો અને અહીં અનંતકાળ સુધી રહેવાનું મન થતું રહ્યું. આ પુણ્યાત્માઓનું સાંનિધ્ય મેળવવામાં સ્વર્ગ, મુક્તિ વગેરેથી વધુ આનંદ મેળવી શકાય છે. આ સચ્ચાઈના અનુભવોથી મુશ્કેલીઓ ભરેલા જીવનક્રમમાં વચ્ચે વચ્ચે વિશ્વાસના સૌંદર્યનું ભરણ થવાથી આનંદિત રહી શકાયું. આત્મવત્ સર્વભૂતેષુની આ સુખમય ઉપલબ્ધિ એકાકી ન રહી. નાટકનો બીજો અંક પણ સામે આવી ઊભો. સંસારમાં દુખ પણ ઓછું નથી. કષ્ટ અને કલેશ, શંકા, સંતાપ, અભાવ તથા ગરીબીથી અગણિત વ્યક્તિઓ નરકની યાતના ભોગવી રહી છે. પ્રશ્નો, ચિંતાઓ અને સમસ્યાઓ માણસને ખાઈ રહી છે. અન્યાય અને શોષણના વિષચક્રમાં અસંખ્ય લોકો ભીંસાઈ રહ્યા છે. દુર્બુદ્ધિએ સર્વત્ર નરકના જેવું વાતાવરણ બનાવી દીધું છે.
અપરાધો અને પાપોના દાવાનળમાં સળગતા, ટળવળતા, ચીસો પાડતા, ડૂસકાં ભરતા લોકોની યાતનાઓ એવી છે, જે જોનારાનેય હચમચાવી મૂકે છે, તો જેના પર એ વીતી રહ્યું હશે તેનું શું થતું હશે ? સુખ અને સુવિધાઓની સાધનસામગ્રી આ સંસારમાં ઓછી નથી, છતાં દુખદરિદ્રતા સિવાય કંઈ જોવા મળતું નથી. પહેલાંના સમયમાં એકબીજાને પ્રેમ તથા સદ્ભાવનો સહારો આપી વેદનાઓથી, વ્યથાથી તેમને છોડાવી શકતા હતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંભાવના જગાવી શકતા હતા, પણ જ્યાં મનોભૂમિ જ વિકૃત થઈ ગઈ હોય, બધું ઊલટું વિચારાય, અયોગ્ય આચરણ થાય ત્યાં ઝેરનું બી વાવી અમૃતફળ પામવાની આશા ક્યાંથી સફળ થાય ?
સર્વત્ર ફેલાયેલાં દુખ, દારિદ્રય, શોક, સંતાપ બધી રીતે મનુષ્યોને કેટલાં હેરાન કરી રહ્યાં છે ? પતન અને પાપની ખીણમાં લોકો કેટલી ઝડપથી ગબડતા, મરતા જઈ રહ્યા છે ? આવું દયા ઉપજાવે તેવું દૃશ્ય જોયું તો અંતરાત્મા રડવા લાગ્યો. મનુષ્ય પોતાના ઈશ્વરીય અંશના અસ્તિત્વને કેમ ભૂલી ગયો ? તેણે પોતાના સ્વરૂપને અને સ્તરને આટલાં નીચાં કેમ પાડી દીધાં ? આ પ્રશ્ન નિરંતર મનમાં ઊઠ્યા કર્યો, પણ તેનો જવાબ ન મળ્યો. બુદ્ધિશાળી વ્યક્તિઓ, ચતુરતા, સમય કંઈ જ ઓછું નથી. લોકો એકએકથી ચડિયાતાં કલાકૌશલ ઉપજાવે છે અને એકએકથી ચઢિયાતા ચાતુર્યના ચમત્કારોનો પરચો આપે છે, છતાં પણ આટલું કેમ સમજી શકતા નથી કે તેઓ દુષ્ટતાના પલ્લામાં બેસી રહ્યા છે અને જે પામવાની ઇચ્છા રાખે છે તે મૃગજળ સમાન જ સાબિત થશે ? તેમને ફક્ત પતન અને સંતાપ જ મળશે. માનવીય બુદ્ધિમત્તામાં જો સમજદારીની કડી જોડાયેલી હોત, પ્રામાણિકતા અને સૌજન્યનો વિકાસ કર્યો હોત, તેને માનવતાનું ગૌરવ સમજ્યો હોત તેમ જ તેની જરૂરિયાત પ્રગતિ માટે છે એમ વિચાર્યું હોત તો સંસારની સ્થિતિ જુદી જ હોત. બધા જ સુખશાંતિનું જીવન જીવતા હોત. કોઈને કોઈ પર અવિશ્વાસ કે શંકા ન રહેત. કોઈ વ્યક્તિ બીજા દ્વારા ઠગાતી ન હોત. સતામણી ન થતી હોત, તો અહીં દુખદારિદ્રયનું નામનિશાન ન રહેત અને સર્વત્ર સુખશાંતિની સુવાસ ફેલાતી હોત.
સમજદાર માણસો આટલા નાસમજ કેમ છે, જે પાપનું ફળ દુખ અને પુણ્યનું ફળ સુખ છે એટલી સામાન્ય વાત પણ માનવા તૈયાર નથી થતા ! ઇતિહાસ અને અનુભવોનો પ્રત્યેક ભાગ પોતાના ગર્ભમાં એ છુપાવીને બેઠો છે કે અનીતિ, સ્વાર્થ તથા સંકીર્ણતામાં જકડાઈ રહેલા દરેકને પતન અને સંતાપ જ હાથ લાગ્યાં છે. ઉદાર અને નિર્મળ બન્યા વિના કોઈએ શાંતિ મેળવી નથી. સન્માન અને ઉત્કર્ષની સિદ્ધિ આદર્શવાદી રીતિનીતિ અપનાવ્યા વિના મળતી નથી. કુટિલતા સાત પડદા ચીરીને જાતે પોતાનું પોલ ખોલે છે. આ આપણે ડગલે ને પગલે જોઈએ છીએ, છતાંય કેમ જાણે એક જ વિચારીએ છીએ કે આપણે સંસારની આંખોમાં ધૂળ નાંખીને આપણી નાલાયકી છુપાવી શકીશું. કોઈને આપણાં દુષ્કૃત્યોની ગંધ પણ નહિ આવે, છાનાછપના આપણે આ ખેલ સદાય ખેલી શકીશું. આવું વિચારનારા કેમ ભૂલી જાય છે કે હજાર આંખથી જોનાર, હજાર કાનથી સાંભળનાર અને હજાર પક્કડથી પકડનાર પરમાત્મા કોઈની નાલાયકી પર પડદો પડેલો રહેવા દેતો નથી. સચ્ચાઈ પ્રગટ થઈને જ રહે છે અને દુષ્ટતા માથે ચડીને પોકારે છે. સનાતન સત્ય અને પુરાતન તથ્યને જો લોકો સમજી શક્યા હોત તો શા માટે સન્માર્ગનો રાજપથ છોડી કાંટાકાંકરાથી ભરેલા કુમાર્ગ પર ભટકતા હોત ? અને શા માટે રડતાં કકળતાં માનવજીવનને સડેલી લાશની જેમ વેંઢાર્યા કરતા હોત ?
દુર્બુદ્ધિની કેવી જાળજંજાળ વિખેરાયેલી પડી છે અને તેમાં કેટલાંય નિર્દોષ પ્રાણીઓ કરુણ ચિત્કાર કરતાં ફસાયેલાં છે ! આ દુર્દશા મારા અંતરને ચીરી નાખે તેવી પીડાનું કારણ બની ગઈ. આત્મવત્ સર્વભૂતેષુની સાધનાએ વિશ્વમાનવીની આ પીડાને મારી પીડા બનાવી દીધી. એવું લાગવા માંડ્યું કે મારા જ પગને કોઈ સળગાવી રહ્યું છે. “સૌમાં મારો આત્મા પરોવાયેલો છે અને સૌ મારા આત્મામાં પરોવાયેલા છે.” ગીતાનું આ જ્ઞાન વાંચવા-સાંભળવામાં કોઈને કંઈ ચિંતા નથી, પણ વ્યવહારમાં ઊતરીને અંતઃકરણમાં પ્રવેશ કરે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. આપણાં અંગ-અવયવોનું દુખ આપણને જેવા વ્યથિત તથા બેચેન બનાવે છે, આપણી પત્ની તથા પુત્રોની પીડા જેવી રીતે આપણું મન વિચલિત કરી નાખે છે તેવી જ રીતે આત્મવિસ્તારની દિશામાં આગળ ધપતા માનવીને લાગે છે કે વિશ્વવ્યાપી દુખ આપણું જ દુખ છે અને પીડિતોની વેદના આપણને પોતાને જ કોર્યા કરે છે. –
પીડિત માનવતાની, વિશ્વાત્માની, વ્યક્તિ અને સમાજની વ્યથા મારી અંદર પેદા થવા લાગી, મને બેચેન બનાવવા લાગી. આંખ, દાઢ તથા પેટનાં દર્દોથી માણસ વ્યાકુળ થઈ જાય છે. કઈ રીતે, કયા ઉપાયે એ કષ્ટમાંથી છુટકારો મળે ? શું કરું ? ક્યાં જાઉં ? ની હલચલ મનમાં ઊઠે છે અને જે શક્ય હોય તે કરવા આતુર થઈ જાય છે, વ્યગ્ર બની જાય છે. મારા મનમાં પણ આમ જ થયું. અકસ્માતમાં હાથપગ તૂટેલા બાળકને લઈને હૉસ્પિટલે દોડી જવામાં મા પોતાનો તાવ, દુખ બધું ભૂલી જાય છે અને બાળકને સંકટમાંથી બચાવવા બેચેન થઈ જાય છે. લગભગ આવી જ મનોદશા મારી થઈ રહી છે. પોતાનાં સુખસાધનો વહેંચવાની ફુરસદ કોને છે ? ભોગવિલાસની સામગ્રી મને ઝેર જેવી લાગે છે. વિનોદ અને આરામનાં સાધનો વસાવવાની જયારે પણ વાત આવી ત્યારે આત્મગ્લાનિથી એવી ક્ષુદ્રતાને ધિક્કારવા લાગ્યો. જે મરણપથારીએ પડેલા મનુષ્યને જીવિત રાખી શકે તેવા સમર્થ પાણીનો ગ્લાસ મારા પગ ધોવામાં કેમ વેડફાવા લાગ્યો ? ભૂખથી ટળવળતા, પ્રાણત્યાગની સ્થિતિએ પહોંચેલા બાળકના મોંમાં જતો કોળિયો ઝૂંટવીને કઈ માતા પોતાનું પેટ ભરી શકે ? દર્દથી કણસતા બાળકને તરછોડીને કયો નિષ્ઠુર પિતા પાનાં ટીચવા કે શેતરંજ રમવા તૈયાર થાય ? આવું તો કોઈક પિશાચ જ કરી શકે. આત્મવત્ સર્વભૂતેષુની સંવેદના પ્રખર થઈ કે નિષ્ઠુરતા તત્ક્ષણ સળગીને ભસ્મ થઈ ગઈ. મનમાં ફક્ત કરુણા જ બાકી રહી. તે જ કરુણા અત્યારના, જીવનના અંતિમ અધ્યાય સુધી એવી ને એવી જ રહી છે. તે સહેજ પણ ઓછી નથી થઈ, પરંતુ રોજે રોજ વધતી જ જાય છે.
એમ સાંભળ્યું છે કે આત્મજ્ઞાની સુખી હોય છે અને આરામથી ઊંઘી શકે છે, પણ મારે માટે આવું આત્મજ્ઞાન હજુય દુર્લભ જ રહ્યું છે. આવું આત્મજ્ઞાન મળશે કે કેમ તે શંકા જ છે. જયાં સુધી વ્યથાવેદનાનું અસ્તિત્વ આ ધરતી પર હોય, જયાં સુધી પ્રાણીમાત્રને કલેશ અને દુખની આગમાં સળગવું પડતું હોય ત્યાં સુધી મનેય ચેનથી બેસવાની ઇચ્છા ન થાય તેવી મનોમન પ્રાર્થના કર્યા કરું છું. મારે ચેન નહિ, પણ એ કરુણા જોઈએ, જે પીડિતોની વ્યથાને મારી વ્યથા સમજવાની અનુભૂતિ કરાવી શકે. મારે સમૃદ્ધિ નહિ, એવી શક્તિ જોઈએ, જે રડતી આંખોનાં આંસુ લૂછવામાં પોતાની સમર્થતા સિદ્ધ કરે. ફક્ત આટલું જ વરદાન પ્રભુ પાસે માગ્યું અને એમ લાગ્યું કે દ્રૌપદીને વસ્ત્ર આપી તેની લાજ બચાવનાર ભગવાન મને કરુણાની અનંત સંવેદનાઓથી ઓતપ્રોત કરતા જ રહે છે. મને કંઈ દુખ કે અભાવ છે તેવું વિચારવાની ફુરસદ જ ક્યારે મળી ? મારે કયાં કયાં સુખસાધન જોઈએ છે તેવો ખ્યાલ નથી આવ્યો. ફક્ત પીડિત માનવતાની વ્યથાવેદના જ રોમેરોમમાં સમાઈ રહી છે અને એમ જ વિચારું છું કે વિશ્વવ્યાપી પરિવારને સુખી બનાવવા શું કરવું જોઈએ ? જે મેળવ્યું તેનો એકેએક કણ મેં આ જ હેતુમાં ખર્ચો છે, જેનાથી શોકસંતાપની વ્યાપકતા ઓછી થાય અને સંતોષનો શ્વાસ લેવાની સ્થિતિ ઉત્પન્ન કરવામાં થોડીક સહાયતા મળી શકે.
કેટલીય રાતો ડૂસકાં ભરતાં કાપી છે. કેટલીય વાર બાળકની જેમ માથાં ફૂટી ફૂટીને રડ્યો છું તે કોઈ ક્યાં જાણે છે ? લોકો મને ફકત સંત, સિદ્ધ અને જ્ઞાની માને છે. કોઈ લેખક, વિદ્વાન, વક્તા કે નેતા સમજે છે, પણ કોઈએ મારું અંતઃકરણ ખોલીને અભ્યાસ કર્યો છે ? જો કોઈ એને જોઈ શક્યો હોત તો તેને માનવીય વ્યથાવેદનાની અનુભૂતિઓથી, કરુણ વેદનાથી હાહાકાર કરતો, કોઈ ઉદ્વેગથી ભરેલો આત્મા જ આ હાડકાંના બીબામાં ટળવળતો બેઠેલો જોવા મળશે. ક્યાં આત્મજ્ઞાનની નિશ્ચિતતા, નિર્દદ્વતા અને ક્યાં મારો કરુણ ચિત્કાર કરતો આત્મા ? બંનેમાં કોઈ તાલમેલ નથી. તેથી જયારે વિચાર્યું છે ત્યારે એ જ વિચાર્યું છે કે નિશ્ચિતતા, એકાગ્રતા અને સમાધિસુખ આપી શકે તે જ્ઞાન ઘણું દૂર છે. કદાચ તે ક્યારેય નહિ મળે કેમ કે આ દર્દમાં ભગવાનની અનભૂતિ થાય છે. પીડિતોનાં આંસુ લૂછવામાં જ આનંદ મળે છે, તો નિષ્ક્રિય મોક્ષ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે ક્યારેય મન તૈયાર થશે એવું લાગતું નથી. જેની ઇચ્છા જ ન હોય તે મળે કઈ રીતે ?
પુણ્ય પરોપકારની દૃષ્ટિથી ક્યારેય કંઈ કર્યું હોય, થઈ ગયું હોય તે યાદ નથી. ભગવાનને ખુશ રાખવા કંઈ કર્યું હોય તેવું સ્મરણ નથી. આત્મવત્ સર્વભૂતેષુના આત્મવિસ્તારે બધે જ મારું મારું જ વેરાયેલું બતાવ્યું, તેથી તે માત્ર જોવા પૂરતું જ ન રહ્યું. બીજાની વ્યથાઓ પણ મારી બની ગઈ અને એટલી બધી વેદના પેદા કરવા લાગી કે તેની પર મલમ લગાડવા સિવાય બીજું કશું સૂઝ્યું નહિ. પુણ્ય કોઈ કરે છે ? પરમાર્થ માટે ફુરસદ જ કોને છે ? પ્રભુને ખુશ કરી સ્વર્ગમોક્ષનો આનંદ લેતાં આવડ્યું છે જ કોને ? વિશ્વમાનવનો તલસાટ મારો તલસાટ બની રહ્યો હતો. તેથી પહેલાં તેના માટે જ લડવાનું હતું. બીજી વાતો એવી છે કે જેના માટે સમય અને મોકાની રાહ જોઈ શકાય એમ છે. મારા જીવનના કાર્યક્રમ પાછળ એનો કોઈ હેતુ શોધવા ચાહે તો તેણે એટલું જ જાણવું પૂરતું થઈ પડશે કે સંત અને સજ્જનોની સદ્ભાવના અને સત્પ્રવૃત્તિઓનાં જેટલી ક્ષણો સુધી સ્મરણદર્શન થઈ શક્યાં તેટલો સમય ચેન પડ્યું અને જયારે માનવોની વ્યથા-વેદનાઓ સામે ઊભેલી જોઈ તો મારી પોતાની પીડા કરતાં વધુ દુખ અનુભવ્યું. લોકમંગલ, પરમાર્થ, સુધારા, સેવા વગેરે પ્રયત્નો કદી મારાથી થયા હોય તો તે બાબતે એટલું જ કહેવું પૂરતું છે કે તે મારી અંતઃસ્ફુરણા હતી. દુખના દાવાનળે એક ક્ષણ માટે પણ ચેનથી બેસવા દીધો નથી, તો હું કરુંય શું ? મારા અત્યાર સુધીના બધા જ પ્રયત્નોને લોકો ચાહે તે નામ આપે, ચાહે તે રંગથી રંગે. સચ્ચાઈ એ છે કે વિશ્વવેદનાની આંતરિક અનુભૂતિએ કરુણા અને સંવેદનાનું રૂપ ધારણ કર્યું અને હું વિશ્વવેદનાને આત્મવેદના માની તેનાથી છુટકારો પામવા બેચેન ઘાયલની જેમ પ્રયત્નો કરતો રહ્યો. ભાવનાઓ એટલી ઉગ્ર રહી કે સ્વાર્થ તો ભૂલી જ ગયો.
ત્યાગ, સંયમ, સાદગી, અપરિગ્રહ વગેરે દૃષ્ટિએ કોઈ મારાં કાર્યો પર નજર નાખે તો તેણે એટલું સમજવું જોઈએ કે જે બીબામાં મારું અંતઃકરણ ઢળાઈ ગયું તેમાં ‘સ્વ’ નો અંત સ્વાભાવિક હતો. મારી સમૃદ્ધિ, પ્રગતિ, સવલતો, બોલબાલા મને પસંદ નથી એવું ચોક્કસ ન કહી શકાય. મેં તેમને જાણીબુઝીને ત્યાગી તેવુંય નથી. હકીકતમાં વિશ્વમાનવની વેદના મારી વેદના બની. તે એટલી હદે મારા અંતઃકરણ પર છવાઈ રહી કે મારી પોતાની બાબતે કંઈ વિચારવાની તક જ ન મળી. તે પ્રસંગ સદાય ભૂલી ગયો. આ ભુલાઈ જવાની ક્રિયાને કોઈ તપસ્યા કે સંયમ કહે તો તેની મરજી, પણ જયારે સ્વજનોને મારા જીવનરૂપી પુસ્તકનાં બધાં ઉપયોગી પાનાં ઉઘાડીને જણાવી રહ્યો છું ત્યારે હકીકત બતાવવી યોગ્ય જ છે.
મારી ઉપાસના તથા સાધના સાથોસાથ ચાલી રહ્યાં છે. ભગવાનને એટલા માટે મેં પોકાર્યા છે કે તે પ્રકાશ બની આત્મામાં પ્રવેશ કરે અને તુચ્છતાને મહાનતામાં બદલી દે. તેમની શરણાગતિમાં એટલા માટે ગયો કે તેમની મહાનતામાં મારી ક્ષુદ્રતા ભળી જાય. વરદાન ફક્ત એટલું જ માગ્યું કે મને તે સહૃદયતા અને વિશાળતા આપે, જે મુજબ મારામાં બધાને અને બધામાં મને જોવાની શક્યતા રહે. ચોવીસ મહાપુરશ્ચરણોનું તપ, ધ્યાન, સંયમ, સાધના બધું આની આજુબાજુ ઘૂમતું રહ્યું છે.
મારી સાધનાત્મક અનુભૂતિઓ અને તે રસ્તે ચાલતાં સામે પડકારતા ઉતારચઢાવની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું જો કોઈ આત્મિક પ્રગતિની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવા માગતો હોય અને વિચારતો હોય કે વર્તમાન પરિસ્થિતિઓમાં રહેનારને આ બધું મળવું કઈ રીતે શક્ય બને ? આનું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવું હોય તો તેને મારી જીવનયાત્રા ખૂબ જ માર્ગદર્શન આપી શકે છે. હકીકતમાં હું એક અખતરારૂપ જીવન જીવ્યો છું. આધ્યાત્મિક આદર્શોનો વ્યાવહારિક જીવનમાં તાલમેળ બેસાડતાં આંતરિક પ્રગતિના રસ્તે કઈ રીતે ચાલી શકાય અને તેમાં ભૂલ કર્યા વિના સફળતા કઈ રીતે મેળવી શકાય એવા તથ્યની હું શોધ કરતો રહ્યો છું અને તેના પ્રયોગમાં મારું ચિંતન અને શારીરિક કાર્યક્રમોને કેન્દ્રિત કરતો રહ્યો છું. મારા માર્ગદર્શકનો આ દિશામાં સંપૂર્ણ સહયોગ રહ્યો છે, તેથી ખોટી જંજાળોમાં ગુંચવાયા વિના સીધા રસ્તા પર સાચી દિશામાં ચાલતા રહેવાની મને સરળતા રહી છે. તેનું પુનરાવર્તન અહીં એટલા માટે કરી રહ્યો છું, જેથી કોઈને આ માર્ગે ચાલવાનું અને સુનિશ્ચિત સફળતા પ્રાપ્ત કરવાનું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવાની જરૂર હોય તો તેના અનુકરણ માટે એક પ્રામાણિક આધાર મળી શકે.
આધ્યાત્મિક પ્રગતિના રસ્તે એક સુનિશ્ચિત તેમ જ ક્રમબદ્ધ યોજના અનુસાર ચાલતાં મેં એક એવી સીમા સુધીનો તબક્કો પૂરો કર્યો છે અને એટલો આધાર પ્રાપ્ત કરી લીધો છે, જેના બળે એવો અનુભવ થઈ શકે કે પરિશ્રમ એળે ગયો નથી. પ્રયોગ અસફળ રહ્યો નથી. કઈ વિભૂતિઓ કે સિદ્ધિઓ મળી તેની ચર્ચા મારા મોંએથી શોભે નહિ. તે જાણવા, સાંભળવા અને શોધવાનો અવસર હું આ દુનિયામાંથી જતો રહું પછી જ મળવો જોઈએ. તેની એટલી બધી સાબિતીઓ વિખરાયેલી મળશે કે કોઈ અવિશ્વાસુ પણ વિશ્વાસ કરવા વિવશ થઈ જશે કે ન તો આત્મવિદ્યાનું વિજ્ઞાન જૂઠું છે કે.ન તો તે માર્ગે સાચી રીતે ચાલનાર માટે આશાજનક સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી છે. આ માર્ગે ચાલનાર આત્મશાંતિ, આંતરિક શક્તિ અને દિવ્ય અનુભૂતિના ક્ષેત્રમાં છુપાયેલી અનેક ઉપલબ્ધિઓથી કેવી રીતે લાભ મેળવી શકે તેની પ્રત્યક્ષ સાબિતી શોધવા માટે ભવિષ્યના શોધકોને મારું જીવન ખૂબ જ મદદરૂપ થશે. સમયાનુસાર એવા સંશોધકો તે વિશેષતાઓ અને વિભૂતિઓની અગણિત સાબિતીઓ – પ્રત્યક્ષ સાબિતીઓ જાતે શોધી કાઢશે, જે આત્મવાદી પ્રભુપરાયણ જીવનમાં મારી જેમ કોઈને પણ મળવી સંભવ છે.
પ્રતિભાવો