વિશ્વસમાજનું સભ્યપદ, સૂનકારના સાથીઓ

વિશ્વસમાજનું સભ્યપદ, સૂનકારના સાથીઓ

રોજની જેમ આજે પણ ત્રીજા પહોરે સુરમ્ય વનશ્રી નિહાળવા નીકળ્યો. ભ્રમણમાં જ્યાં સ્વાસ્થ્ય અને વ્યાયામની દૃષ્ટિ હોય છે ત્યાં આવા નિર્જન વનમાં સૂનકારના સાથીઓના, કુટુંબીઓના ક્ષેમકુશળ પૂછવા તેમ જ તેમને મળીને આનંદ અનુભવવાની ભાવના પણ રહે છે. પોતાની જાતને માત્ર માનવજાતિના સભ્ય માનતી સંકુચિત દૃષ્ટિ જ્યારે વિસ્તૃત થઈ તો વૃક્ષ, વનસ્પતિ, પશુ, પક્ષી, જીવાત બધાં પ્રત્યે પણ લાગણી અને આત્મીયતા ઊભરાઈ આવી. આ કુટુંબીઓ માણસની ભાષા બોલતાં નથી કે એમની દૈનિક ક્રિયા માણસો જેવી નથી, છતાંય તેમની મૌલિકતા અને વિશેષતાઓને લીધે આ મનુષ્યેતર પ્રાણીઓની દુનિયા પણ ખૂબ અગત્યની છે. જે રીતે ધર્મ, જાતિ, રંગ, પ્રાંત, દેશ, ભાષા કે વેશને આધારે મનુષ્યો વચ્ચે સંકુચિત સાંપ્રદાયિકતા ફેલાયેલી છે એવી જ એક સંકીર્ણતા એ પણ છે કે આત્મા પોતાને ફક્ત માનવજાતિનો જ સભ્ય માને છે. અન્ય પ્રાણીઓને પોતાનાથી અલગ જાતિનાં સમજે છે અને તેમને ઉપયોગની, શોષણની વસ્તુ માને છે. પ્રકૃતિના અનેક પુત્રોમાં મનુષ્ય પણ એક છે. માની લઈએ કે તેનામાં અમુક વિશેષતાઓ છે, પરંતુ અન્ય પ્રકારની અગણિત વિશેષતાઓ સૃષ્ટિનાં બીજાં જીવજંતુઓમાં પણ જોવા મળે છે અને તે પણ એટલી હદે કે તેમને જોયા પછી માણસ પોતાની જાતને પછાત માને.

આજે ફરતાં ફરતાં આવો જ વિચાર મનમાં આવી રહ્યો હતો. શરૂઆતમાં આ નિર્જન સ્થાનની જે જે વસ્તુ, જીવજંતુ, વૃક્ષ, વનસ્પતિ તુચ્છ લાગતાં હતાં, વ્યર્થ લાગતાં હતાં તે બધાંને ધ્યાનથી નિહાળવાને લીધે તે મહાન દેખાવાં લાગ્યાં અને એવું લાગવા માંડ્યું કે ભલે પ્રકૃતિએ માણસને વધારે બુદ્ધિ આપી હોય, પણ અનેક ભેટ એણે પોતાના આ અબુધ જણાતા સજીવોને આપી છે. આ ભેટો મેળવી તેઓ ઇચ્છે તો મનુષ્યની સરખામણીએ પોતાની જાત પર કેટલોય અધિક ગર્વ કરી શકે છે.

આ પ્રદેશમાં કેટલીય જાતનાં પક્ષીઓ છે, જે પ્રસન્નતાપૂર્વક દૂર દૂરના દેશો સુધી ઊડીને જાય છે, પર્વતો ઓળંગે છે, ઋતુઓના ફેરફાર પ્રમાણે પોતાની પાંખો વડે દેશવિદેશ બદલ્યા કરે છે. શું માણસને ઊડવાની આવી કળા પ્રાપ્ત થઈ છે ? વિમાન બનાવી તેણે એક પ્રયત્ન તો કર્યો છે, પણ પક્ષીઓની પાંખો સાથે તેને કઈ રીતે સરખાવી શકાય ? પોતાને સુંદર બનાવવા સૌંદર્ય પ્રસાધનો વાપર્યાં, પણ ચિત્રવિચિત્ર પાંખોવાળાં, સ્વર્ગની અપ્સરાઓ જેવાં પંખીડાં જેવું રૂપ એને ક્યાં મળ્યું છે ? ઠંડીથી બચવા કેટલાય લોકો ભાતભાતનાં વસ્ત્રો પહેરે છે, પરંતુ રોજ નજર આગળથી પસાર થતાં જંગલી ઘેટાં અને રીંછના શરીર પર જામેલા વાળ જેવા ગરમ ઊનના કોટ હજુય કોઈ મનુષ્યને પ્રાપ્ત થયા નથી. દરેક છિદ્ર દ્વારા દરેક પળે દુર્ગંધ બહાર કાઢનાર મનુષ્યને હરઘડી ફૂલો વડે સુગંધીનો પમરાટ ફેલાવનારા છોડવેલ સાથે કઈ રીતે સરખાવી શકાય ? ૬૦-૭૦ વર્ષે મરી જનાર માણસની તુલના ચારસો વર્ષ હસીખુશીથી જીવી જનાર અજગરો સાથે કઈ રીતે થઈ શકે ? વડ અને પીપળાનાં ઝાડ પણ હજારો વર્ષ સુધી જીવંત રહે છે.

કસ્તુરી મૃગ સામેની ટેકરીઓ પર કૂદકા મારે છે. તે મનુષ્યને દોડમાં હરાવી શકે છે. ભૂરા વાઘ સાથેના મલ્લયુદ્ધમાં કોઈ મનુષ્ય જીતી શકે ખરો ? કીડીના જેવો અથાગ પરિશ્રમ કરવાની સમર્થતા કોઈ માણસમાં છે ખરી ? મધપૂડાની માખીની જેમ ફૂલોમાંથી મધ કોણ એકઠું કરી શકે ? બિલાડીની જેમ રાતના ઘોર અંધકા૨માં જોવાની દૃષ્ટિ કોને મળી છે ? કૂતરા જેવી પ્રાણ શક્તિ (સૂંઘવાની શક્તિ) કયા મનુષ્યમાં છે ? માછલીની જેમ નિરંતર પાણીમાં કોણ રહી શકે છે ? હંસલા જેવો સારઅસારનો ભેદ કોણ પારખી શકે છે ? દૂધ પાણીનો ભેદ કોણ પારખી શકે ? છે ? હાથીના જેવું બળ કઈ વ્યક્તિમાં છે ? આ વિશેષતાસભર પ્રાણીઓને જોઈ પોતે જ સંસારનું શ્રેષ્ઠ પ્રાણી છે તેવો મનુષ્યનો ગર્વ કેટલો મિથ્યા સાબિત થાય છે !

આજે ફરતાં ફરતાં આ વિચાર જ મનમાં ઘૂમરાયા કર્યો કે મનુષ્ય જ સર્વસ્વ નથી. તે સર્વશ્રેષ્ઠ પણ નથી. બધાંનો નેતા પણ નથી. એને બુદ્ધિબળ મળ્યું છે ખરું, જેના આધારે તે પોતાના સુખનાં સાધનો વધાર્યે જાય છે તે પણ સાચું, પણ સાથે એ પણ એટલું જ સાચું છે કે તેણે સુખનાં સાધનો મેળવવા ઘણું જ ખરાબ કૃત્ય કર્યું છે. સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ તેનાં ભાઈભાંડુઓ જ છે. આ ધરતી બીજાઓની પણ છે. તેના પર જીવવાનો, ફળવા ફૂલવાનો, સ્વાધીન રહેવાનો તેમનો ય અધિકાર છે, પણ મનુષ્ય બધાંને પરતંત્ર બનાવી દીધાં. બધાંની સગવડો તથા સ્વતંત્રતાને કચડી નાંખ્યાં. પશુઓને જંજીરોથી બાંધી તેમની પાસેથી અધિકાધિક શ્રમ લેવા માટે પિશાચ જેવું કૃત્ય કર્યું. તેમની ઉપર બેસુમાર સીતમ ગુજાર્યો. તેમનાં બચ્ચાંના હક્કનું દૂધ તે પોતે જ પીવા લાગ્યો. નિર્દયતાથી તેમની કતલ કરીને માંસ ખાવા લાગ્યો. પક્ષીઓ અને જળચરોના જીવનને પણ પોતાના જ સ્વાદ માટે, ભોગવિલાસ માટે ખરાબ રીતે નષ્ટ કર્યું. માંસ માટે, દવાઓ માટે, ફેશન માટે, વિનોદ તથા મનોરંજન માટે એમની સાથે એવો પિશાચી વર્તાવ કર્યો છે કે જેના પર વિચાર કરતાં દંભી મનુષ્યની બધી જ નૈતિકતા પોકળ સાબિત થાય છે.

જે પ્રદેશમાં મારી નિર્જન ઝૂંપડી છે તેમાં ઝાડ, છોડ ઉપરાંત જળચર, સ્થળચર, નભચર જીવજંતુઓ પણ ઘણાં છે. જ્યારે તે ફરવા નીકળે છે ત્યારે અનાયાસે તેમને મળવાનો મોકો મળે છે. શરૂઆતમાં તેઓ મારાથી ડરતાં હતાં, પણ હવે ઓળખી ગયાં છે. મને પોતાના કુટુંબનો સભ્ય જ માની લીધો છે. હવે તેઓ મારાથી ડરતાં નથી. મને પણ એમનો ડર લાગતો નથી. રોજબરોજની આ સમીપતા અને ઘનિષ્ઠતા વધતી જાય છે. લાગે છે કે આ પૃથ્વી પર એક મહાન વિશ્વ હાજર છે. આ વિશ્વમાં પ્રેમ, કરુણા, મૈત્રી, સહયોગ, સૌજન્ય, સૌંદર્ય, શાંતિ, સંતોષ વગેરે સ્વર્ગનાં બધાં જ ચિહ્નો મોજૂદ છે. આનાથી મનુષ્ય દૂર છે. તેણે પોતાની એક નાની શી અલગ દુનિયા બનાવી રાખી છે – માણસોની દુનિયા. આ અભિમાની અને દુષ્ટ પ્રાણીએ જ્ઞાનવિજ્ઞાનની લાંબીપહોળી વાતો ખૂબ કરી છે. મહાનતા અને શ્રેષ્ઠતાનાં, ધર્મ અને નૈતિકતા અંગે લાંબાં પહોળાં વિવેચનો પણ ખૂબ કર્યાં છે, પરંતુ સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ સાથે તેણે જે દુર્વ્યવહાર કર્યો છે તે તમામ પાખંડ ભૂલી જાય છે.

આજે વિચાર ઘણા ઊંડા ઊતરી ગયા. રસ્તો ભૂલી ગયો. કેટલાંય પશુપક્ષીઓને મન ભરીને લાંબા સમય સુધી જોતો રહ્યો. મનુષ્ય એટલા માટે જ સમાજનું સર્વશ્રેષ્ઠ પ્રાણી નથી મનાતું કે તેની પાસે બીજાંની સરખામણીએ વધુ બુદ્ધિ છે. જો બળથી મોટાપણું નક્કી થતું હોય તો દસ્યુ, સામંત, રાક્ષસ, પિશાચ, વૈતાળ તથા બ્રહ્મરાક્ષસની શ્રેષ્ઠતા આગળ તેણે માથું નમાવવું પડત. શ્રેષ્ઠતાનાં ચિહ્ન છે ઃ સત્ય, પ્રેમ, ન્યાય, સંયમ, ઉદારતા, ત્યાગ, સૌજન્ય, વિવેક અને સહૃદયતા. જો આ બધા ગુણો ના હોય તો માત્ર બુદ્ધિનું શસ્ત્ર ધારણ કરેલો નરપશુ લાંબા દાંત તથા નખવાળાં હિંસક પશુઓથી કેટલો અધિક વિકરાળ છે ! હિંસક પશુઓ ભૂખ્યાં હોય છે ત્યારે જ આક્રમણ કરે છે, પણ આ બુદ્ધિશાળી નરપશુ તો તૃષ્ણા અને અભિમાન માટે જ ભારે દુષ્ટ તથા ક્રૂર બની નિરંતર દુષ્કૃત્યો કરતો હોય છે.

ઘણું મોડું થયું હતું. ઝૂંપડી પર પાછા આવતાં આવતાં અંધારું થઈ ગયું. આ અંધકારમાં ઘણી મોડી રાત સુધી વિચારતો રહ્યો કે મનુષ્યની ભલાઈની, તેની સેવાની, તેના જ સાંનિધ્યની તેની ઉન્નતિની જે વાતો આપણે વિચારીએ છીએ તેમાં શું પક્ષપાત નથી કરતા ? આ સંકુચિત દૃષ્ટિકોણ નથી ? સદ્ગુણોની સરખામણીએ જ મનુષ્યને શ્રેષ્ઠ મનાય, બાકી તે અન્ય પ્રાણીઓમાં સૌથી વધુ દુષ્ટ છે. આપણો દૃષ્ટિકોણ મનુષ્યના પ્રશ્નો સુધી જ શા માટે સીમિત રહે ? આપણો વિવેક મનુષ્યેતર પ્રાણીઓ સાથે આત્મીયતા વધારવા, તેમનાં સુખદુખમાં ભાગ લેવા આગળ કેમ ન આવે ? આપણી જાતને માનવસમાજને બદલે સમગ્ર વિશ્વસમાજનો એક સભ્ય કેમ ન માનીએ ?

આ વિચારોમાં રાત ઘણી વીતી ગઈ. વિચારોના તીવ્ર દબાણમાં વારે વારે ઊંઘ ઊડી જતી હતી. ઘણાં સ્વપ્ન જોયાં. દરેક સ્થાનમાં અલગ અલગ જીવજંતુઓ સાથે ક્રીડાવિનોદ તથા સ્નેહમિલન કરવાનાં દૃશ્યો જોતો રહ્યો. બધાં સ્વપ્નોનો નિચોડ એક જ હતો કે મારી ચેતના વિભિન્ન પ્રાણીઓ સાથે સ્વજન સંબંધીઓ જેવી ઘનિષ્ઠતા અનુભવી રહી હતી. આજનાં સ્વપ્ન ઘણાં જ આનંદદાયક હતાં. એમ લાગતું હતું કે મારો આત્મા એક નાના ક્ષેત્રથી આગળ વધીને વિશાળ ક્ષેત્રને પોતાનું ક્રીડાંગણ બનાવી રહ્યો હતો. થોડાક દિવસો પહેલાં આ પ્રદેશનો સૂનકા૨ ખાવા ધાતો હતો, હવે તો એકલાપણું ક્યાંય દેખાતું નથી. બધી બાજુએ વિનોદ કરતા સાથીઓ જ મોજૂદ હતા. ભલે તે મનુષ્યની માફક બોલતા ન હોય. તેમના રીતરિવાજો માનવસમાજ જેવા ભલે ન હોય, પણ આ સાથીઓની ભાવના મનુષ્યની સરખામણીએ ઉત્કૃષ્ટ જ હતી. આવા ક્ષેત્રમાં રહેવાથી કંટાળવાનું હવે કોઈ કારણ ન હતું.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: