પ્રસ્તાવના, ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો : શ્રીરામ શર્મા આચાર્ય
June 6, 2022 Leave a comment
ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો : પ્રસ્તાવના
આજે સર્વત્રી ધનનો અભાવ અને દરિદ્રતાનું સામ્રાજ્ય જોવા મળે છે. જ્યાં જોઈએ ત્યાં ગરીબી અને બેકારી દેખાય છે. બધી જ જગ્યાએ પૈસાની માંગ છે, પણ તેની પ્રાપ્તિ થતી નથી. ધન વગર મનુષ્યનો વિકાસ અટકી પડે છે. તેનો ઉત્સાહ નષ્ટ થઈ જાય છે અને અરમાનો કચડાઈ જાય છે અને વિવિધ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. આજે સમાજની કોઈ મહત્ત્વની સમસ્યા હોય તો તે છે પૈસો.
સમયની અસ્થિરતા અને રાજનૈતિક કાવાદાવા આનું કારણ છે, પણ સૌથી મોટું કારણ તો છે લોકોની વ્યક્તિગત અયોગ્યતા. બુદ્ધિશાળી મનુષ્યો ખરાબ સમયમાં પણ સુખી રહી શકે છે અને સમૃદ્ધિ એકઠી કરી લે છે. લક્ષ્મી ઉદ્યોગી પુરુષની દાસી છે, તે પોતાને રહેવા યોગ્ય સ્થાન જ્યાં જુએ છે, ત્યાં આપ મેળે ચાલી જાય છે.
આ પુસ્તકમાં કોઈ વેપાર બાબતની વિશિષ્ટ વિધિઓ બતાવવામાં આવેલ નથી, પરંતુ એવા ગુણો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, જે પ્રાપ્ત કરવાથી બેકાર માનવી કામે લાગી શકે છે, કામે લાગેલો ઉન્નતિ સાધી શકે છે અને ઉન્નતિના માર્ગે ચાલનારો સમૃદ્ધ બની શકે છે. જે લોકો, કોઈ મંત્ર જપવાથી પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરવાનું વિધાન આ પુસ્તકમાં શોધશે તો તેમને નિરાશા જ મળશે. હા, આ પુસ્તકમાં એવા લોકો માટે પૂરતો મસાલો મળી રહેશે. જેઓ એ જાણવા ઈચ્છતા હોય કે, પ્રગતિશીલ પુરુષો કયા માર્ગનો આધાર લઈ ઉન્નતિના શિખરે પહોંચ્યા છે. અમારો વિશ્વાસ છે કે કર્તવ્યશીલ નવયુવકોને આનાથી પોતાનો માર્ગ નક્કી કરવામાં પૂરતી મદદ મળશે.
– શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો