૧. ગરીબાઈ માંથી છુટકારો, ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો – શ્રીરામ શર્મા આચાર્ય

ગરીબાઈ માંથી છુટકારો, – શ્રીરામ શર્મા આચાર્ય

“ગરીબાઈથી મનુષ્યને શરમ આવે છે, શરમથી પરાક્રમ નષ્ટ થઈ જાય છે. પરાક્રમ નષ્ટ થઈ જતાં અપમાન થાય છે. અપમાનથી દુઃખ થાય છે, દુઃખથી શોક થાય છે, શોકથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થતાં જ મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું છે કે ગરીબાઈ બધાં જ દુઃખોનું મૂળ છે.’’

– એક મહાપુરુષ શું તમો ગરીબાઈની જંજીરોમાં જકડાયાં છો ? આમાંથી છુટકારો મેળવવા પોતાને અસહાય સમજો છો ? કદાચ તમે તમારા દુર્ભાગ્યનાં રોદણાં રડતાં હશો અને આ દુઃખદ પરિસ્થિતિ માટે ભાગ્યને, ઈશ્વરને કે અન્ય મનુષ્યોને દોષિત ગણાવતા હશો. તમે વિચારતા હશો કે, ભગવાન અને તેનો સંસાર કેટલો અન્યાયી છે, જે કોઈકને તો વિપુલ સંપત્તિ આપે છે, તો કોઈકને ગરીબાઈના ડુંગર નીચે આંસુ વહેવડાવતાં મૂકી દે છે.

જો તમે આવું વિચારતા હો, તો તે એક મોટી ભૂલ છે. તમારી ગરીબાઈ અથવા વિપત્તિનું કારણ આમાંથી એક પણ નથી. જેને તમે દોષિત માનો છો તેને ભૂલી જાઓ, રોવાનું અને નિંદવાનું છોડી દો. વિચારપૂર્વક જુઓ. તમને દુઃખદાયક લાગતી પરિસ્થિતિઓનાં બીજ તમારી અંદર છૂપાયેલાં પડ્યાં છે. બીજાને દોષ દેવો અને કાયરોની જેમ રોવું-સબડવું એ સાબિત કરે છે કે, તમારે ગરીબાઈમાં જ પડ્યા રહેવું જોઈએ અને એનાથી પણ વધુ દુઃખ ભોગવવું જોઈએ. આત્મવિશ્વાસ રાખવો, પોતાના ઉપર ભરોસો રાખવો, આગળ વધવા પ્રયત્ન કરવો, એ એવા ગુણ છે જે દરેક ઉન્નતિશીલ મનુષ્યમાં હોય છે. ચિંતા કરવી, દુઃખી રહેવું, બીજાને દોષિત ઠરાવવા વગેરે એક પ્રકારની આત્મહત્યા છે. શું આજ સુધી કોઈ આત્મહત્યારો
દુઃખના અંધકારને દૂર કરીને સુખનો પ્રકાશ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે ?

ઊઠો, ગરીબાઈના વિચારોને હટાવીને એક બાજુ ફેંકી દો. એવું ક્યારેય ન વિચારો કે અમે ગરીબ રહેવા માટે પેદા થયા છીએ. દિલને અમીર બનાવો. પછી જુઓ કે બહારની પરિસ્થિતિ બદલાતાં પણ વાર નહીં લાગે. વિશ્વાસ રાખો કે મારી પાસે જેટલી પણ યોગ્યતા છે, તેનો વધુને વધુ સારો ઉપયોગ કરી શકું તેમ છું. નાનાં કામોની ઉપેક્ષા કરીને, મોટાં કામો મેળવી શકાતાં નથી. આથી જો પ્રગતિ કરવા માગતા હો તો, અત્યારે જે કોઈ સ્થિતિમાં છો, તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ સાબિત કરી દો કે અમે મોટી સમૃદ્ધિનાં અધિકારી છીએ. પહેલા ધોરણની ઉપેક્ષા કરીને દસમા ધોરણનું ભણવા બેસે તો તે મોટી ભૂલ કરે છે. જો તે આવો પ્રયત્ન કરશે તો તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. કોઈક સંજોગોમાં તે ઉપલા ધારેણનાં પુસ્તકો કોઈક રીતે મેળવી પણ લે તો તે પરત લઈ લેવાં પડે. પ્રકૃતિનો એક અખંડ નિયમ છે કે, જે પોતાને મળેલી વસ્તુઓ વધુને વધુ સદુપયોગ કરે છે તો, તે તેને વધુને વધુ આપવામાં પણ આવે છે, અને જે દુરુપયોગ કરે છે અથવા તો ઉપેક્ષા સેવે છે તો, તે વસ્તુ તેની પાસેથી છીનવી લેવામાં આવે છે. જ્યારે તમે દુઃખદ પરિસ્થિતિઓમાં પડી જઈને રડો છો અને કર્તવ્યહીન થઈને બેસી જાઓ છો, તો તમે એ સાબિત જ કરો છો કે તમે બરોબર આ જ પરિસ્થિતિને લાયક છો, જે આ આજે તમને પ્રાપ્ત થઈ છે.

તમે એક નાનકડી ઝૂંપડીમાં રહો છો અને ઈચ્છો છો કે કોઈ મોટું મકાન મળી જાય. તમારી ઈચ્છાને ઈશ્વર ચોક્કસ પૂર્ણ કરશે, પરંતુ શરત એ છે કે તમે મોટા મકાન માટે લાય છો, તેવું સાબિત કરી આપવું પડે. તમે તમારી આજની ઝૂંપડીને જેટલી બનાવી શકો તેટલી સાફ, સ્વચ્છ, સુંદર તથા આકર્ષક બનાવો. તમારી પાસે તેને સજાવવા માટે
પૈસા નથી તો તેની કોઈ ચિંતા નહીં. સંસારમાં સજાવટ કરવા માટે એટલો બધો કીમતી સામાન પડ્યો છે કે જેની કોઈ સીમા નથી. અને તે દરેક ગરીબ કે અમીર બધાંને મફત મળે છે. સુંદરતાની તલાશ કરો. તમારા દૃષ્ટિકોણને સુંદર બનાવો. અસંખ્ય સાધનો તમારી સામે આવીને ઊભા થઈ જશે.

પેલી ઝૂંપડીને મોટા મહેલની જેમ સુંદર બનાવી શકશો. પ્રથમ તમારી મનોવૃત્તિને મોટી અને સુંદર બનાવો તો સુંદર મકાન પણ તમને મળી જશે. જો તમે આજે તમારી ઝૂંપડીને સડેલી, કચરાવાળી, ગંદી તથા અવ્યવસ્થિત બનાવી રાખી છે, તો ક્યા મોઢે તમે કહી શકો કે અમારે રહેવા માટે સુંદર મકાન જોઈએ. શું પરમાત્મા આવા આળસુ લોકો ઉપર પોતાની વિભૂતિઓને સાચવવાની જવાબદારી સોંપશે ? એક ધર્મશાળામાં કેટલાક લોકો રોકાયેલા હતા. આમાંના કેટલાક તો સુશિક્ષિત હતા, પણ કેટલાક તો સાવ ફૂવડ હતા. શિક્ષિતો અ પોતાના ઓરડાને વાળીઝૂડીને એકદમ સ્વચ્છ બનાવી દીધો પણ પેલા આળસુ અને ફૂવડ લોકોએ તો ચારે બાજુ ઉ૫૨થી ગંદકી ફેલાવી દીધી. ધર્મશાળાનો માલિક જ્યારે નિરીક્ષણ કરવા આવ્યો તો તેને ખુશ થઈને શિક્ષિત લોકોને એનાથી પણ વધારે સુંદર અને સારી જગ્યા રહેવા માટે આપી અને પેલા ગંદા લોકોને ખૂબ જ ધમકાવ્યા. જોકે દયાળુ સ્વભાવનો હોવાથી રૂમ ખાલી તો ન કરવ્યો, પણ નાનકડા એવા તૂટેલા-ફૂટેલા અને ગંદકીવાળા ઓરડામાં મોકલી દીધા. આ ઓરડામાં લગભગ આવા જ પ્રકારના લોકોને રાખવામાં આવતા હતા. જે મનુષ્યો પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરે છે અને આળસુપણાની ટેવથી ઘેરાયેલો હોય છે તે લગભગ દરિદ્ર જ હોય છે. એવા મનુષ્યની ગરીબાઈ સ્વયં પ્રગટે છે. આત્મવિશ્વાસ દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે જેઓ હિનમનોવૃતિ સ્વીકારીને ગરીબાઈ માંગે છે, ભગવાન તેમને એ જ વસ્તુ આપે છે. મધમાખી માટે ફૂલની અને છાણના કીડા માટે છાણની ભગવાનની સૃષ્ટિમાં વ્યવસ્થા કરેલી છે જ. પોતાની ઈચ્છા મુજબ જેને જે જોઈએ તેને તે પસંદ કરી લે છે અને તે વસ્તુ તેને થોડા પ્રયત્ને મળી જતી હોય છે.

શક્ય છે કે તમારે વધારે પરિશ્રમ કરવો પડતો હોય અને ફુરસદનો સમય ઓછો મળતો હોય, બારીકાઈથી જોતાં જરૂર જણાશે કે નિત્ય કર્મ અને અધિક પરિશ્રમ કર્યા પછી પણ ઘણો બધો સમય બચે છે અથવા બચાવી શકાય છે. જો આ સમયનો સારો ઉપયોગ કરવાની ઈચ્છા નથી, તો ભગવાન વધારે સભય અને સગવડ આપશે પણ નહીં, કારણ કે તે જો વધારે સમય આપે અને પરિશ્રમ ઓછો કરી આપે તો તમારામાં આળસુપણું, ઉદાસીનતા અને કામચોરીનો વધારો થશે. આથી એવું ના વિચારો કે અમને વધારે સગવડ મળી જાય તો અમે વધુ સફળતા પ્રાપ્ત કરી લઈએ. જેઓ સંપન્ન દેખાય છે, તેમણે ખૂબ જ મહેનતપૂર્વકનું કામ કર્યું છે અને નાનામાંથી મોટા બન્યા છે. સૌથી વધુ મરુભૂમિમાં સુંદર ફૂલો ખીલે છે, એ જ રીતે કઠિન પરિસ્થિતિમાં જ મનુષ્ય ઉન્નતિ કરે છે. મુશ્કેલીઓ સામે સંઘર્ષ અને વિપત્તિઓથી ટક્કર લઈને જ મનુષ્ય ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય ત્યાં સુધી સમૃદ્ધ રહી શકે છે જ્યાં સુધી તેનામાં ઉત્સાહ હોય, જ્યાં કઠોર કર્તવ્યથી બચવાની અને મોજશોખ કરવાની મનોવૃત્તિ પેદા થઈ, ત્યાં બેરનો ખજાનો પણ સ્થિર રહી શકતો નથી. આપણે જોઈએ છીએ કે ધનવાનોનાં છોકરાં કે જેમને મોજ-મસ્તી કરવાનું જ શિક્ષણ મળ્યું છે, તેઓ સ્વતંત્રતા મળતાં જ નકામા ખર્ચમાં બાપદાદાની સમગ્ર મિલકત વેડફી દે છે અને અંતે પોતાનું યોગ્ય પદ-ગરીબી પ્રાપ્ત કરી લે છે.

ગરીબાઈ એક અસ્વાભાવિક વસ્તુ છે. આત્મા ઐશ્વર્યશાળી છે, એની સાથે દરિદ્રતાનો શું સંબંધ હોઈ શકે ? દયામય પરમાત્માની ક્યારેય એવી ઈચ્છા નથી હોતી કે, તેનો પુત્ર ગરીબાઈ અને મુશ્કેલીમાં જ જીવન પસાર કરે. મનુષ્યને ફક્ત રોટી, કપડા માટે જ નહીં, પણ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે આ સંસારમાં મોકલવામાં આવ્યો છે. આપણે જ્યાં સુધી ગરીબાઈમાં સપડાયા છીએ, ત્યાં સુધી નથી તો કોઈ મહત્ત્વનું કામ કરી શકતા કે નથી આપણી સવૃત્તિઓનો સારી રીતે વિકાસ કરી શકતા. ભૂખ્યો મનુષ્ય કઈ રીતે પોતાના શરીર અને મગજનો સુવ્યવસ્થિત રાખી શકે ? આનંદ અને આશાનો નાશ કરનારા આ અસ્વાભાવિક પરિસ્થિતિ ફક્ત ઉન્નતિનો માર્ગ જ બંધ નથી કરતી, પરંતુ અનેક બદીઓને પણ જન્મ આપે છે અને પ્રેમની જગ્યાએ ઝઘડો અને આનંદના સ્થાને દુઃખ પેદા કરે છે. કેટલીકવાર તો એ મનુષ્યને મનુષ્ય રહેવા દેતી નથી અને અપમાન, અભાવ, લાંછન, શોક વગેરે દ્વારા આત્મહત્યા જેવી દુઃખદ ઘટના તરફ દોરી જાય છે. કેટલાક અસંખ્ય જીવન આવી રીતે બરબાદ થઈ ગયા છે. સંસારમાં ગરીબાઈથી બચવા યોગ્ય અને કષ્ટદાયક બીજી કોઈ વસ્તુ નથી. મનુષ્યનું જીવન એ રીતે વણાઈ ગયું છે કે તે સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકે છે, તે આપણે સારી રીતે સમજી લેવું જોઈએ. પ્રભુની ઈચ્છા પણ એવી છે કે આપણે આનંદમય પરિસ્થિતિનો ઉપયોગ કરીએ. જ્યારે પણ કદી આનાથી વિપરીત સ્થિતિ પેદા થાય અને ગરીબાઈ ઘેરી વળે. તો સમજવું જોઈએ કે આપણી અંદર કોઈ વિકાર પેદા થયો છે. આપણે રસ્તો ભૂલી રહ્યા છીએ અને રાજમાર્ગને છોડીને કોઈક અસમાન કાંટાળા માર્ગે ભૂલા પડ્યા છીએ. જો તમે ગરીબી અવસ્થામાં ફસાઈ ગયા છો તો વિચાર કરો કે આપણા અંતઃકરણને કઈ દુવૃત્તિઓએ ઘેરી લીધું છે, જેના કારણે ગરીબી ભોગવવાનો વારો આવ્યો છે.

ક્યારેક જો કોઈ એવાં દૈવી કારણો સર ગરીબાઈ અનિવાર્ય થઈ પડે, તો એમાં કોઈ બેઆબરૂની વાત નથી. શારીરિક અસમર્થતા અથવા તો કોઈ અન્ય કારણથી લોકો ગરીબ થઈ જાય છે. તો દુનિયા એમની ધૃણા કરતી નથી, પરંતુ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી ઉ૫૨થી મદદ કરે છે. બેઆબરૂની પરિસ્થિતિતો ત્યાં ગણાય કે હાથ, પગ અને બુદ્ધિ હોવા છતાં આપણે અભાવોના કારણે દુઃખો ભોગવ્યા કરીએ. નિઃશંક ગરીબાઈનું કારણ દુર્બુદ્ધિ છે. કુબેરને પણ ગરીબ બનાવનાર દુર્ગુણો આ છે (૧) આળસમાં સમય વેડફવો (૨) નિરાશામાં પડ્યા રહેવું (૩) અપ્રિય સ્વભાવ બનાવી દેવો (૪) કામ ન કરવાની ટેવ પાડવી (૫) નાનું કામ કરવામાં શરમ અનુભવવી (૬) સ્થિતિ કરતાં વધુ ખર્ચ કરવું. આ દુર્ગુણો છે જે કુબેરને પણ ગરીબ બનાવી દે છે. જો તમે ગરીબ છો તો ઉપરના બધા જ અથવા થોડા પણ દુર્ગુણોથી ઘેરાયેલા હશો. પછી ભલેને તમારી આંખે તમને દેખાતું ન હોય. તમે સમજતા હશો કે આ દુર્ગુણો નાના છે. આના માટે ગરીબાઈ જેવી કઠોર સજા ન મળવી જોઈએ. પરંતુ જયારે વિચારપૂર્વક જોવામાં આવે તો, ખ્યાલ આવશે કે આ આદતો તુચ્છ નહીં, પણ ખૂબ ભયંકર છે. દારુણ પાપોને પેદા કરવાવાળી છે. જૂઠ, છળ, કપટ, અનાચાર, ચોરી, હિંસા, હત્યા જેવાં દુષ્ટ કર્મો કોઈ મનુષ્ય સ્વાભાવિક રીતે કરવાનું ઈચ્છતો નથી, પરંતુ આજ ખરાબ આદતો મનુષ્યને દુષ્ટ કામો કરવા માટે મજબૂર કરે છે. મારો મત છે કે ચોરી અને હત્યા જેવા જ, આળસ, કામ ટાળવાની વાત, ઉડાઉ ખર્ચ વગેરે દોષો છે. અને આ પાપોના પરિણામે જીવતા હોવા છતાં નરકની આગમાં શેકાવું પડે છે. આમ કહેવું જરાય ખોટું નથી કે ગરીબ નરક ભોગવી રહ્યો છે. આવી નારકીય વ્યક્તિને સંસાર ધૃણાની દૃષ્ટિથી જુએ છે તો એમાં જરાય અનુચિત નથી.

એક ભલા માણસને શરમ આવવી જોઈએ કે તે ગરીબાઈથી પીડાઈ રહ્યો છે તો તે ગરીબાઈને દૂર કરવી એ આપણા હાથની વાત છે, તો પછી શા માટે એને દૂર ન કરવી જોઈએ ? કહેવત છે કે ગરીબોની કોઈ મદદ કરતું નથી. ખરું પૂછો તો એ બધાં એને યોગ્ય જ છે કે જેથી તેમની કોઈ મદદ કરતું નથી. હું જ્યારે મારી ચારે બાજુ નજર ફેરવીને છું. જોઉં છું તો ગરીબાઈનાં ભયંકર દશ્યો જોવાં મળે છે. ફિક્કા અને સૂકાયેલા મોં વાળા નવયુવકો જેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નષ્ટ થઈ ગયું છે, બેઢંગા જીવનના ભારથી વાંકા વળેલા નજરે પડે છે. જોકે આ માટે બધી જ રીતે રાજ્યતંત્ર જવાબદાર છે. તેમ છતાં નવયુવકો પણ નિર્દોષ તો નથી જ. આમાંથી કેટલાંકના હૃદયમાં તો આ વિશ્વાસ ખૂબ જ સારી રીતે પોતાનાં મૂળ ઊંડાં નાખીને ઘર કરી ગયો છે કે આ ગરીબીમાંથી બહાર નીકળી શકીશું નહિ. ગરીબાઈ અમારો કેડો છોડશે નહિ તેઓ વિચારે છે કે જે ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે. જો અમારા નસીબમાં ધનવાન થવાનું લખાયું હોત તો કોઈ ધનવાનના ઘરમાં જ જન્મ મળત. જ્યારે તેઓ કોઈ ધંધા તરફ નજર દોડાવે છે તો તેમને સૌથી પહેલાં એ સિદ્ધાંત યાદ આવે છે કે, પૈસો પૈસાને લાવે છે. જ્યારે આપણી પાસે પૈસા જ નથી તો ધનવાન કઈ રીતે બનાય ? તેઓ પોતાની યોગ્યતા ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે છે અને જુએ છે કે તેમના માટે કોઈ કામ નથી. અમારે આ જ દુઃખમાં પડ્યા રહેવું પડશે. પોતાની જાત ઉપરથી વિશ્વાસ ઊઠાવી લેવો, નિરાશ થઈ જવું, ઉદ્યમને તિલાંજલી આપી દેવી વગેરે એવાં કારણો છે જેની સાથે ગરીબાઈ બંધાયેલી રહે છે.

ગરીબાઈ જેટલી વિધાતક નથી, તેટલા. તેના વિચારો છે. અમે તો તુચ્છ છીએ. અમારે તો ગરીબ જ રહેવાનું છે. અમે શું કરી શકીએ ? આવા વિચારો જ પોતાને ગરીબાઈમાં જકડી રાખે છે. જેઓ પોતાને દીન-હીન અને ભિખારી સમજે છે તેઓ પોતાના વિશ્વાસના આધારે એવા જ બની રહેવાના. એમના માટે શુભ દિવસ ક્યારેય નહીં આવે. જો તમે વિચારો છો કે સમય ખૂબ ખરાબ છે, અમારી દશા બગડતી જ જશે, તો વિશ્વાસ રાખજો કે સમય ખરાબ નહીં હશે તો, પણ તમારા માટે તો સમય ખરાબ જ હશે અને તમારી દશા વધારે બગડતી જશે. વિચારોમાં એક મોટી ચુંબકીય શક્તિ રહેલી છે. મનમાં રહેનાર વાત પોતાના આકર્ષણ દ્વારા અનંત આકાશમાંથી એવાં તત્ત્વોને આકર્ષિત કરે છે કે, જેઓ એને બળ આપે છે. જોવામાં આવ્યું છે કે ભયની ક્લ્પના કરનારની સામે ભય સાક્ષાત આવીને ઊભો થઈ જાય છે. પ્રકૃતિનો ભંડાર આપણા માટે ખુલ્લો છે. જે જેટલું ઈચ્છે તે પોતાની ઈચ્છાનુસાર લઈ શકે છે. જો તમે આખો દિવસ ગરીબનો જ વિચાર કરો છો તો ગરીબી તમારો ઈષ્ટદેવ બની જશે અને ખુશ થઈને તમારી ચારે બાજુ ઘેરો ઘાલીને બેસી જશે. જે પશ્ચિમ તરફ થઈ રહ્યા છે તેને પૂર્વમાં પહોંચવાની આશા સેવવી જોઈએ નહીં. ગરીબ મનોવૃત્તિવાળી વ્યક્તિ ક્યારેય સમૃદ્ધિ મેળવી શક્તી નથી.

એક વાર એક માણસનો હીરાનો હાર ખોવાઈ ગયો. તે સમજ્યો કે કોઈક ચોરી ગયું છે. તેની બાકી રહેલી સંપત્તિનો પણ નાશ થઈ ગયો અને તે બેચાર આનામાં મજૂરી કરવા લાગ્યો. ગરીબીના કારણે તે ખૂબ દુ:ખ ભોગવતો હતો. એકવાર તેને હાથ ગળેથી ફાટેલા ઝભ્ભા પર ગયો, તો તેના હાથમાં હાર આવ્યો. તેને ખબર પડે કે હીરાનો હાર તો ગળામાં જ હતો. ગરીબીના સમય દરમિયાન લાખો રૂપિયાનો હાર તેની સાથે રહ્યો હતો, છતાં ભૂલી જવાને કારણે તે દુઃખ ભોગવતો રહ્યો.

દક્ષિણ ભારતમાં ગોવળકોંડા ગામે પ્રસિદ્ધ હીરાની ખાંણ આવેલી છે. આ જગ્યા પહેલાં અલિહાફિજ નામના પારસીની પાસે હતી. તેને એક હીરાની જરૂર હતી, તેથી તેણે આ જગ્યા થોડાક રૂપિયામાં વેચી દીધી અને બજારમાંથી એક નાનકડો હીરો ખરીદી લીધો. તેને બિચારાને ક્યાં ખબર હતી કે જે જગ્યા વેચી રહ્યો છું તે તો હીરાનો ખજાનો છે. નેવડાની બહુ કીમતી ખાણને તેના માલિકે એક વ્યક્તિને પોતે ફક્ત પાંચસો રૂપિયામાં વેચી દીધી હતી. જો તેને ખબર હોત તો તે આવું કરત નહિ. મનુષ્યમાં કમાવાની અને તેનો સંગ્રહ કરવાની ભરપૂર શક્તિ પડેલી છે, પરંતુ તે જાણી શકતો નથી અને ઉપરોક્ત ઉદાહરણોનું અનુકરણ કરતો રહે છે. આકાશમંડળમાં વિદ્યુતશક્તિનો ભંડાર પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છૂપાયેલો છે, પરંતુ તે હાથમાં ત્યારે જ આવ્યો, જ્યારે મનુષ્યે તેને મેળવવા પ્રયત્ન કર્યો. તમારી અંદર પણ આવી અનેક યોગ્યતાઓ ભરેલી પડી છે, જે બહુ જ ઓછા સમયમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે છે. એ બધી અહલ્યાની જેમ કોઈ રામની પ્રતીક્ષા કરી રહી છે, જે આવીને સજીવ કરે. ક્યારેય એવું વિચારો નહીં કે, અમે ગરીબ છીએ, અમે શું કરી શકીએ ? અમારી પાસે યોગ્યતા છે જ નહીં, આવું કદાપિ ન કહો. સંસારમાં અદ્ભુત ન અને આશ્ચર્યજનક શોધ કરનાર માણસો ગરીબ જ હતા.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: