૨. ધનવાન કેવી રીતે બનાય ?, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય; શ્રીરામ શર્મા આચાર્ય
June 8, 2022 Leave a comment
ધનવાન કેવી રીતે બનાય ? – શ્રીરામ શર્મા આચાર્ય
મેં એવાં અનેક પુસ્તકો વાંચ્યાં છે, જેમાં ધનવાન બનવાની અનેક પ્રયુક્તિઓ બતાવી છે. હું ઘણાય ધનવાન માણસોને મળ્યો છું અને ધનવાન બનવાના ઉપાયો પૂછયા છે, પરંતુ ક્યાંથીયે એવો ઉપાય મળ્યો નહીં કે વાતવાતમાં ધનવાન બની જવાય. વિવિધ વ્યવસાયોમાં સફળતા મેળવવા માટેના વિશેષ નિયમો હોઈ શકે, પણ ધનવાન બનવા માટેનો મૂળ નિયમ એક જ છે અને એ છે – “તમારી યોગ્યતા વધારો, પરિશ્રમ કરો, કરકસર તથા ઈમાનદારીને દઢતાપૂર્વક પકડી રાખો.’ આ બેચાર શબ્દોને તુચ્છ સમજવા જેવા નથી. આમાં લાખો વિદ્વાનોનું તત્ત્વજ્ઞાન અને કરોડો શ્રીમંતોનો અનુભવ દાબી દાબીને ભરેલાં પડ્યાં છે. આજે જે લોકો તમને પૈસાવાળા દેખાય છે તેઓ પહેલાં ગરીબ જ હતા. એમણે જ્યારે થોડીક આવકનું આયોજન મુજબ ખર્ચ કરવાનું શીખી લીધું અને સાથોસાથ કરકસર અપનાવી તો તેમની પાસે થોડીક ૨કમ બચી. પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજના દરે તે વધતી જ ગઈ અને આજે ધનવાનની કક્ષામાં આવી ગયા.
એકવાર કેટલાક દુઃખી અને ગરીબ લોકો શ્રીમાન બ્રાઈડ પાસે ધનવાન બનવાનો ઉપાય પૂછવા ગયા. શ્રીમાન બ્રાઈડે જવાબ આપ્યો “સજ્જનો, તમે લોકો સખત પરિશ્રમ કરો, કોઈ કામને નાનું માનીને શરમાશો નહીં, જરૂર જેટલું જ ખર્ચ કરો અને ઈમાનદારીપૂર્વક રહો આનાથી તમે લોકો ધનવાન બની જશો, હું કોઈ જાદુમંતરથી ધનવાન બન્યો નથી અને નથી કોઈ આવા જાદુ વિશે જાણતો કે જે તમને એકાએક ધનવાન બનાવી દે. જો તમે ધનવાન થવા માગતા હો તો એવા મનુષ્યોનું અનુકરણ કરો, જેઓ ગરીબી સાથે સતત લડતા રહ્યા છે અને પોતાના બાહુબલથી ગરીબીને મહાત કરીને ધનવાન બન્યા હોય.”
શાસ્ત્ર કહે છે, ‘ઉદ્યોગનું પુરુષ સિંહ મુમૈતિ લક્ષ્મીઃ ।’ લક્ષ્મી ઉદ્યમી સિંહ પુરુષોને પ્રાપ્ત થાય છે. જેઓ સાહસિક, પરિશ્રમી, ઉદ્યમી તથા વિશાળ હૃદયવાળા છે, તેઓ જ ધનવાન બની શકે છે. એક વિદ્વાનનો મત છે કે ધન સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં દોહવામાં આવે છે. સોના સિવાયના વાસણમાં લેવામાં આવે તો તે વાસણ ફાટી જાય છે. જેઓ લક્ષ્મીને યોગ્ય હોય છે તેમને જ લક્ષ્મી વરે છે, કુપાત્રોને લક્ષ્મી મળતી નથી. સંજોગવસાત ક્યારેક મળી જાય છે તો તે તેનો નાશ કરીને જલદીથી ચાલી જાય છે. આથી જે કોઈ ધનવાન બનવાનું વિચારે છે તેણે સિંહણનું દૂધ મેળવવાના સુવર્ણપાત્ર સમાન પાત્રતા કેળવવી જોઈએ.
ઉત્તમ ભવિષ્યની અપેક્ષા રાખવી તે શ્રેષ્ઠ સદ્ગુણ છે. જેની પાસે આ પારસ હયાત છે તે લોખંડની જેવી કઠિન પરિસ્થિતિને સોનામાં બદલી શકે છે. જો તમે બેચેન છો, નિર્ધન છો. મુસીબતોથી ઘેરાયેલા છો તો જરાયે ચિંતા કરશો નહિ, જો તમને તમારા ઉજ્જવળ ભવિષ્યની આશા છે, તો પરમાત્માની કૃપા અને આત્માની યોગ્યતા ઉપર વિશ્વાસ છે તો ચોક્કસપણે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો અને સુંદર ભવિષ્ય બનાવી શકશો. તમને ગરીબ બનાવનાર બે જ શત્રુ છે હતોત્સાહ અને શંકા. આ બંને સાપોને કરંડિયામાં પાળીને સુખથી સૂઈ શકાતું નથી. જો આ બંનેને તમે નહીં છોડો તો આનો અર્થ એ થયો કે ગરીબી સાથે તમારી ગાઢ મિત્રતા છે અને તમે કોઈ પણ રીતે તેનો સાથ છોડવા માંગતા નથી. એંજિનિયર જ્યારે કોઈક
મકાન બનાવવાનું ઈચ્છે છે, ત્યારે સૌથી પ્રથમ તેના મનમાં મકાનનો આખો નકશો બનાવી લે છે. ચિત્રકાર ચિત્ર બનાવે તે પહેલાં તેની પૂરી રૂપરેખા તેના મનમાં દોરી લે છે. આ સિવાય મકાન કે ચિત્ર બની શકતું નથી. શું તમે મારા અંતઃકરણમાં સુંદર ભવિષ્યની આશા ધારણ કર્યા વિના જ સમૃદ્ધ બનવાનું વિચારો છો ? આવું ક્યારેય નહીં બની શકે. જો ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારા મનને ધનવાન બનાવો. ધનવાન બનવાનાં સ્વપ્નો જુઓ.
કોઈક વાચકને મારા આ કથન પર આશ્ચર્ય થશે કે માત્ર વિચાર બદલી લેવાથી ધન કેવી રીતે મળી જાય ? એમણે જાણવું જોઈએ કે માનસિક ગરીબાઈ દૂર થઈ જતા મનુષ્ય લક્ષ્મીને લાકય બની જાય છે. ઉદ્યમ અને ઉત્સાહ તેના રક્ત સાથે શરીરમાં ફરવા લાગે છે, આત્મવિશ્વાસની વિદ્યુતશક્તિ તેના સ્નાયુઓમાં સંચરવા લાગે છે. પરિણામ એ આવે કે તેની સામે આવેલ તકનો તે પૂરેપૂરો લભા ઉઠાવે છે તેની વૃત્તિઓમાં એવું અસાધારણ પરિવર્તન આવી જાય છે કે દુનિયા તેને ચાહવા લાગે છે. વળી, ચારે બાજુથી સહયોગ તથા સહાયતા મળવી શરૂ થઈ જાય છે. અનેક ઉદાહરણો છે કે આ પરિવર્તનના કારણે ખૂબ જ દિન-હીન અવસ્થાવાળી વ્યક્તિઓ ટૂંક સમયમાં જ ધનવાન બની જતી હોય છે.
આ કથન સો ટકા સાચું છે કે, ‘જે પોતાની જાતને મદદ કરે છે; ભગવાન તેને જ મદદ કરે છે.’આ કથન પાછળ સૃષ્ટિના આરંભથી લઈને અત્યાર સુધી નતો સમયનો માનવજાતિનો ખૂબ ઊંડો અનુભવ છે. જે પોતાના પગ પર ઊભો થયો, તેણે પ્રગતિ કરી, અને જે હતાશ થઈને બેસી રહ્યો, તેણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું. સંસારની અનેક વ્યક્તિએ સામાન્ય પરિસ્થિતિમાંથી બહાર આવીને ઉદ્યોગ દ્વારા મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમિલ ભાષાના અમર કાવ્ય ‘ચિક્ષુરલ’ના કવિ ઋષિ તરુવલ્લુવર પરિયા નામની પછાત જાતિમાં જન્મ્યા હતા. સંત કબીર વણકર, રૈદાસ ચમાર, નામદેવ દરજી તથા કૃષ્ણદાસ શૂદ્ર હતા. એ જમાનામાં શૂદ્રો અને પછાત ગણાતી જાતિના લોકો માટે ઉન્નતિ કરવી ખૂબ જ કઠિન હતું, તેમ છતાં આ મહાપુરુષોએ સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરરત્ન તરીકે પંકાયા. સંસારના અદ્વિતીય એવા કૂટનીતિજ્ઞ મહાપુરુષ ચાણક્ય ગરીબીમાં જીવન જીવતા હતા. એક વાર તેઓ રાજા નંદની રાજસભામાં ગયા, તો તેમનાં ફાટાં કપડાં જોઈને દરબારીઓએ મશ્કરી કરી હતી. આટલી ગરીબી હોવા છતાંય તેઓ જ્ઞાનની ઉપાસના કરતા રહ્યા. અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાના ધુરંધર દ્રોણાચાર્ય તો એટલા બધા ગરીબ હતા કે તેમના પુત્ર અશ્વત્થામાને દૂધ પીવા માટે પણ આપી શકતા ન હતા, અરે એટલું જ નહીં બાળકની દૂધની હઠને શાંત કરવા માટે દૂધની જગ્યાએ ચોખાનું ઓસામણ આપતા હતા. સંત સુરદાસ, તુલસીદાસ તથા ચૈતન્ય મહાપ્રભુની ગરીબી બધા જ જાણે છે. સંસ્કૃત અને બંગાળીના સુપ્રસિદ્ધ વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યારે ભણતા હતા, ત્યારે એટલા બધા ગરીબ હતા કે રાત્રે વાંચવા માટે દીવાનું તેલ પણ ખરીદી શકતા નહોતા. આથી તેઓ સડક પર મૂકવામાં આવેલી બત્તીના અજવાળે વાંચતા. મદ્રાસ આઈકોર્ટના પ્રસિદ્ધ જજ સર ધ્રુવસ્વામી ઐયર એવા તો ગરીબ હતા કે બાર વર્ષની ઉંમરે તેમને એક રૂપિયાની નોકરી કરવા મજબૂર થવું પડ્યું. અક્બરના નવ રત્નોમાંના બિરબલ અને ટોડરમલ ગરીબ ધરોમાં જન્મ્યા હતા. પંજાબના મહારાજા રણજીતસિંહનો મુખ્ય સેનાપતિ ફૂલસિંહ અડધી ઉંમર સુધી પેટ ભરવાની ચિંતા કરતો રહ્યો. આ બધા પુરુષો મોટે ભાગે ગરીબ ઘરોમાં જન્મ્યા હતા, પ્રગતિ કરવાનાં સાધનોનો લગભગ અભાવ હતો, છતાં તેમની ઉદ્યમપરાયણતા તથા મહત્ત્વાકાંક્ષાઓએ તેમને ઊંચા સ્થાને બેસાડી દીધા હતા. ન્યાયધીશ ગોવિંદ રાનડે, શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, પં. મદનમોહન માલવિયા, દાદભાઈ નવરોજી, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો મધ્યમ પ્રકારનાં ઘરોમાં જન્મ્યા હતા, પરંતુ સખત પરિશ્રમના પરિણામે તેઓ સાધારણમાંથી મહાન બની ગયા.
વિદેશોમાં પણ આવાં અનેક ઉદાહરણો ડગલેને પગલે જોવા મળે છે. સમગ્ર યુરોપ આંગળીના ટેરવે ગણી શકાય તેટલાં વર્ષોમાં પ્રગતિના પંથે પહોંચ્યો. આનું મૂળ કારણ ત્યાંના લોકોની ઉદ્યોગશીલતા છે. શેક્સપિયરના પિતા કસાઈનું કામ કરતા હતા. અને તે ખૂદ ઊન કાંતતો હતો. પાછળથી તે ઘોડાનો લે-વેચનો ધંધો કરવા લાગ્યો, સાથેસાથે નાટકમાં રસ લેવા માંડ્યો. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવા છતાંય તેણે અંગ્રેજી ભાષામાં સર્વોચ્ચ કલાકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. વણકરનું કમ કરતાં કરતાં જોન હંટર પ્રાણીવિદ્યામાં નિષ્ણાત બની ગયો. જ્યોતિષી લયર ભઠિયારો હતો. મહાન સંશોધક આર્કનાઈટ તથા ચિત્રકાર ટર્નર હજામત કરીને પોતાનું પેટ ભરતા હતા. વેન જોનસન વેરો વસૂલ કરવાનું કામ કરતો, સાથે પુસ્તકો પણ વાંચતો. એક દિવસ તે મોટો નાટ્યકાર બની ગયો. ‘રિવ્યુ’ના સંપાદક ગિફડે અને રેવેન્ડર લિવિંગસ્ટન કોઈી હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોનસન એક વાર વોશિંગ્ટનમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કોઈકે તેમને ટોણો માર્યો, “દરજીનું કામ શું ભૂલી ગયા છો ?’ જોનસને જરાય ખોટું લગાડ્યા વિના જવાબ આપ્યો, “હું દરજીપણું ક્યારેય ભૂલી શકું તેમ નથી, કારણ કે એ પૈસાથી જ મેં મારું અડધું જીવન ચલાવ્યું છે. હવે જ મેં તે કામ છોડી દીધું છે, છતાં તે વખતના સદ્ગુણો, સર્વ્યવહાર, સારું કામ કરવું, સમયપાલન કરવું વગેરે અત્યારે પણ મારામાં મોજૂદ છે મને એ કહેતાં જરાય સંકોચ થતો નથી કે દરજીપણાના આ ગુણોને કારણે જ હું આ સ્થાને પહોંચ્યો છું. તમે મને મારું દરજીપણું યાદ અપાવ્યું તે મારે માટે કટાક્ષ નહીં પણ ગૌરવની બાબત છે.’’ બુરર્ટરનો સુપ્રસિદ્ધ ધર્માચાર્ય ડૉક્ટર જહોન પ્રીડાતે એક ખૂબ ગરીબ ઘરમાં જન્મ્યો હતો. જ્યારે અભ્યાસ કરવા માટેની કોઈ સગવડ ન થઈ તો તે કોલેજના છાત્રાલયમાં રસોઈયા તરીકે રહી ગયો. સાથે ભણવાનું ચાલું રાખ્યું. આખરે તેણે આટલું ઊંચું પદ પ્રાપ્ત કર્યું. ઇંગ્લેન્ડનો તે સમયનો સર્વોચ્ચ ન્યાયાધીશ સર એડમંડ સોંડર્સ શરૂઆતમાં એક કોર્ટમાં પટાવાળો હતો. ધીરેધીરે કાયદાનો અભ્યાસ કરવા લાગ્યો અને ઉન્નતિ કરતો રહ્યો. અંતે તેણે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું.
જ્યારે પણ કોઈ મનુષ્યમાં મહત્ત્વાકાંક્ષા જાગૃત થાય છે અને જ્યારે તે ઈચ્છે છે કે હું કોઈક મોટું કામ કરું અથવા મોટો માણસ બનું, તો તેની ઈચ્છા જ તેના માટે અનેક પ્રકારનાં સાધનો અને સગવડો એકઠાં કરી આપે છે. ફરગ્યુસન પાસે ઓઢવા ધાબળો ન હોવાથી વરૂનું ચામડું ઓઢીને પહાડ પર ચાલ્યા જતા અને આકાશનો અભ્યાસ કરતા. આ પ્રકારના પ્રયત્નોથી તેમણે ખગોળવિદ્યા શીખી લીધી. સર જેમ રેનાલ્ડસ કહેતા, ‘કોઈ પણ વ્યક્તિ બુદ્ધિમાન તથા સુયોગ્ય બની શકે છે, પણ શરત એ છે કે તેણે ધૈર્યપૂર્વક પરિશ્રમ કેળવવો જોઈએ. મહેનત એક એવું ખાતર છે કે જે બુદ્ધિને ઉન્નત બનાવે છે અને મંદબુદ્ધિની મંદતાને દૂર કરે છે.” સર બકસ્ટનનો મત છે કે, “સાધારણ સાધનોની મદદથી, અસાધારણ પરિશ્રમ કરવાથી બેડો પાર થઈ શકે છે.” એવું કયારેય વિચારવું ન જોઈએ કે અમારી પાસે ધન અને વિદ્યાની કમી છે, આથી અમે શું કરી શકીએ ? કાલિદાસ યુવાન થયા ત્યાં સુધી અભણ હતા. લગ્નથયા પછી જ્યારે તેમની પત્નીએ ટોણો માર્યો તો તેમણે ભણવાનું શરૂ કર્યું અને ખરેખર તે સમયના સર્વશ્રેષ્ઠ કવિ બન્યા. આજે પણ સંસ્કૃતિ સાહિત્યના મહાન કવિ તરીકે તેમની કીર્તિ અમર છે. રેલવેના શોધક સ્ટીફન્સ યુવાન થયા ત્યાં સુધી એક અક્ષર જાણતા ન હતા, જહોન હંટરે પચીસ વર્ષ પૂરા થયે ઓલમ શીખી. રામકૃષ્ણ પરમહંસ, છત્રપતિ શિવાજી, મહારાજા રણજીતસિંહ અને સમ્રાટ અક્બર વગેરેએ થોડું ઘણું અક્ષરજ્ઞાન મેળવ્યું હતું, છતાં પ્રગતિ સાધવામાં ક્યાંય અવરોધ નડ્યો નહીં.
જેવી રીતે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા કરવી જરૂરી છે, એ જ રીતે મુશ્કેલીઓથી ન ગભરાવું, અસફળતાથી નિરાશ ન થવું તથા વિપત્તિમાં ધીરજ રાખવાની પણ ખૂબ જ જરૂર છે, કારણ કે એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકતી નથી. આ મનુષ્ય આને પાત્ર છે કે કેમ એની પરીક્ષા થયા પછી જ તે ઊદ્દેશ્ય પરિપૂર્ણ થતો હોય છે. સર હમ્ફ્રી જેવીએ કહ્યું હતું કે, “હું અત્યારે જેટલો ચતુર છું એટલો પહેલાં ક્યારેય ન હતો, મેં જે કંઈ મહત્ત્વપૂર્ણ કામો કર્યાં છે, તે ભૂલો, નિષ્ફળતાઓ તથા ત્રુટિઓની મદદથી જ કર્યા છે.” વોશિંગ્ટન જેટલી લડાઈઓ જીત્યા, એનાથી વધારે હાર્યા. મહંમદ ધોરીએ ભારતમાં ત્યારે વિજય પ્રાપ્ત કર્યો, જયારે તે પૃથ્વીરાજ સામે સોળ વાર હાર્યો. મૌરી કહ્યા કરતો કે મનુષ્ય ઢોલના જેવો છે, તે જેટલો ફૂટાય છે તેટલો વધુ વાગે છે. મહાન ગાયક કૈસિમાને પૂછવામાં આવ્યું કે તમે તમારો કંડ આટલો મધુર કેવી રીતે બનાવ્યો ? તો તેણે કહ્યું, “પરિશ્રમ અને આપત્તિઓની મદદથી.” રોનાલ્ડને પૂછવામાં આવ્યું કે આપે ચિત્રકલા ક્યારે શીખી ? તો જવાબ આપ્યો, સમસ્ત જીવન દરમિયાન.” પ્રોફેસર મોરેના પિતા એટલા બધા ગરીબ હતા કે તે કાગળ, પેન અને શ્યાહી ખરીદી શકે તેમ ન હતા. આથી કોલસા વડે જમીન પર લખીને વાંચવા-લખવાનું શીખ્યા હતા અને અભ્યાસ માટેનાં પુસ્તકો કોઈક સહૃદયી વિદ્યાર્થી પાસેથી માગી લાવી તેનો ઉતારો કરી લઈ તે વાંચતા. ડૉક્ટર લી બાળપણમાં ખૂબજ ગરીબ અને આળસુ હતા. એક વાર તેના શિક્ષકે કંટાળી ને કહ્યું, “આજ સુધી આવો નકામો છોકરો બીજો કોઈ મારી પાસે ભણવા આવ્યો નથી.’ એ જ આળસુ અને ઠોઠ વિદ્યાર્થી પોતાના પરિશ્રમના બળે મહાન સાહિત્યકાર સાબિત થયો.
અત્યારે તમને બુદ્ધિ અને યોગ્યતા ભલે મંદ લાગતી હોય, કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના ઉત્સાહપૂર્વક પરિશ્રમમાં લાગી જાઓ એક ને એક દિવસ તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે અને બધી જ ઊણપો પૂર્ણ થઈ જશે. પ્રસિદ્ધ ચિત્રકાર પ્રાઈટોડી કોરટોન એટલો તો મંદબુદ્ધિનો હતો કે તેને ગધેડો કહીને ચીડવવામાં આવતો હતો. ન્યૂટન તેના વર્ગમાં સૌથી છેલ્લી પાટલીએ બેસનાર વિદ્યાર્થી હતો. એડમક્લાર્કના ઘરવાળાં તેને મહામૂર્ખ કહીને બોલવતાં. નાટ્યકાર શૈરીની માન તેના શિક્ષકે કહ્યું, “આવા જડ બુદ્ધિવાળા છોકરાથી હું તંગ આવી ગયો છું. એને ઘેર લઈ જાઓ.” સર વોલ્ટર સ્કોટના શિક્ષકે એવું જાહેર કર્યું હતું કે, આ છોકરો આ જન્મ બુદ્ધુ રહેશે. લોર્ડ ક્લાઈવ કે જેણે ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના કરી, તે એવો તો મૂઢ બુદ્ધિનો હતો કે તેનાથી તેનાં ઘરવાળાં પણ તંગ આવી ગયાં હતાં અતે તેનાંથી છૂટવા માટે સાત સમંદર પાર હિંદુસ્તાન મોકલી આપ્યો. નેપોલિયનને નાનપણમાં કોઈ જ એવું નહોતું કહેતું કે આ મોટો થઈને કોઈ મહાન કામ કરી શકશે. ડૉક્ટર કૈલમર્સ અને ડૉક્ટર કુકને તેમના શિક્ષકે, “આ પથરા સાથે માથું ફોડવું વ્યર્થ છે’એવું કહીને શાળામાંથી કાઢી મૂક્યા હતા. મનુષ્ય જાતિનો મહાન સેવક જહોન હાવર્ડ સતત સાત વર્ષ સુધી ભણતો રહ્યો, પણ તે એક અક્ષરેય શીખ્યો ન હતો. આ બધાં ઉદાહરણો એ બતાવે છે કે જન્મથી જ બુદ્ધિચાતુર્ય ન હોય તો કોઈ ચિંતા નહીં, તેને પરિશ્રમ દ્વારા પોતાની ઈચ્છાનુસાર વિકસાવી શકાય છે. સતત ચાલનારો કાચબો, આળસુ સસલા કરતાં વહેલો પહોંચી જાય છે. મહાશય ડેવી કહેતા, જે કંઈ હું છું તેવો હું બન્યો છું.’’ અધ્યાપક અથવા તો વાલી મનુષ્યની ઉન્નતિમાં જેટલી મદદ નથી કરી શકતા એટલી તે ખુદ કરે છે.
લેડી માનગેટે કહ્યું હતું, “નમ્રતા પોતે તો વગર પૈસે આવે છે, પણ એનાથી બધી જ વસ્તુઓ ખરીદી શકાય છે. મહારાણી એલિઝાબેથનું કથન છે, “જો તમારામાં વિનયશીલતા અને મીઠી વાણી આ બે ગુણો છે, તો લોકોનાં દિલ જીતી શકો છો અને તેમનો પ્રેમ તથા ધન બંને મેળવી શકો છો.’’ વિલિયમ ગ્રાન્ટ તથા ચાર્લ્સ ગ્રાન્ટ નામનાં બે ખેડૂતનાં બાળકો એક ગામમાં રહેતાં હતાં. એકવાર તેમના ગામની નદીમાં ભયંકર પૂર આવ્યું અને તમામ માલમિલકત, ઘરવખરી અને ખેતર બધું તણાઈ ગયું. આ બંને અનાથ છોકરાઓ નિઃસહાય બની પરદેશ જવા નીકળી પડ્યા. બાળકો નાનાં હોવાને કારણે ક્યાં જવું તેનું પૂરું જ્ઞાન ન હતું. ચાલતાં ચાલતાં એક પહાડ પર પહોંચ્યાં, જ્યાં રસ્તો ભૂલી ગયા. પછી તો જ્યાં ઊભા હતા ત્યાં જમીન ઉપર એક લાકડી ઊભી કરી અને નક્કી કર્યું કે આ જે દિશામાં પડશે તે દિશામાં જવું. લાકડી પડી અને તેઓ એ દિશામાં રવાના થયા. ચાલતાં ચાલતાં એક ગામમાં પહોંચ્યા. જ્યાં બંનેને એક છાપખાનામાં કામ મળી ગયું. વિનયશીલતા અને નમ્રતાના કારણે માલિક ખૂબ પ્રભાવિત થયો અને બંને છોકરાઓને છાપખાનાને લગતી તમામ કલા શીખવી દીધી. પાછળથી છોકરાંઓએ મોટાં થઈ પોતાનું સ્વતંત્ર છાપખાનું શરૂ કર્યું. પ્રેમાળ સ્વભાવને કારણે ગ્રાહકો વધારે આવતા ગયા અને પ્રગતિ કરતા ગયા. અંતે તેમણે એક મોટી મિલ શરૂ કરી અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. જ્યાં પેલી લાકડી પડી હતી, ત્યાં યાદગીરીરૂપે એક મિનારો બનાવ્યો, સજ્જન માટે સંપત્તિ એકઠી કરવી કોઈ કઠિન બાબત નથી. સજ્જન શબ્દની વ્યાખ્યા આપતાં એક વિદ્વાને કહ્યું છે, “જે ઈમાનદાર હોય, ભલો માણસ હોય અને નમ્ર હોય તે છે સજ્જન.’ કોઈ માણસે ભલે બધું જ ખોઈ નાખ્યું હોય પણ તેની પાસે જો સાહસ, આશા, આત્મવિશ્વાસ, ધર્મપરાયણતા અને ભલમનસાઈ હોય તો સમજવું કે તેણે કશું જ નથી છતાં તેના પર વિશ્વાસ કરે છે. શું વિશ્વાસ કરવો એ સૌથી મોટી અમીરી નથી ? તે વિપત્તિમાં પણ પ્રસન્ન રહે છે, કે સજ્જનતાનું સૌભાગ્ય તેની સાથે જ છે. કારણ જે કામની આપે શરૂઆત કરી છે, તેને દઢતાપૂર્વક વળગી રહો અને ધીરજપૂર્વક તેના ફળની આશા રાખો અને રાહ જુઓ. ઘણાય માણસો એવા છે જે પોતાના આજના કામનું પરિણામ કાલે જ ઈચ્છે છે અને પેલા બાળક જેવું કરે છે, જે ગોટલી વાવીને કલાકે કલાકે કાઢીને જોયા કરે છે, આંબો ઊગ્યો કે નહીં. બાળક ચાલતાં ત્યારે જ શીખે છે જ્યારે તે અનેકવાર પડે છે, પણ પડવાની ચિંતા કર્યા વગર તે ઉત્સાહપૂર્વક પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. સિકંદર યુદ્ધમાં ઘણી વાર હારતો છતાં અંતે તેનો જ વિજય થતો. ઉષ્ણ કટિબંધના લોકો એટલા માટે વધારે સ્વસ્થ અને સંદર નથી હોતા, કેમ કે તેમને તેમનું ભોજન ખૂબ જ સરળતાથી મળી રહે છે, મેળવવા માટે વધારે કઠોર પરિશ્રમ કરવો પડતો નથી.
વૈજ્ઞાનિકો કહે છે કે, પચાસ એકર જમીન પર પડતાં સૂર્યનાં કિરણો એકત્ર કરી લેવામાં આવે તો, એનાથી એટલી બધી વીજળી મેળવી શકાય કે, જેનાથી દુનિયાભરનાં ‘કારખાનાં ચલાવી શકાય, પરંતુ અસંખ્ય એકર ભૂમિ પર સૂર્યનાં કિરણો પડે છે, પણ એનાથી એક નાનકડું મશીન પણ ચલાવી શકાતું નથી. મનુષ્યમાં પણ અનંત શક્તિનો ભંડાર ભરેલો છે, પણ તેને એકત્ર કરીને કામમાં લેવાને બદલે તે નકામો બની વેડફાઈ જાય છે.
મહાત્મા હોલમીલ કહે છે કે, “જયારે કોઈ સાહસિક અને દૃઢ સંકલ્પવાળો યુવાન આ સંસારરૂપી સાંઢની સામે ઊભો રહીને બહાદુરીપૂર્વક તેનાં શીંગડાં પકડી લે છે, તો તે આશ્ચર્યપૂર્વક જુએ છે કે, શીંગડા તૂટીને તેના હાથમાં આવી જાય છે. એ વખતે તેને અનુભવ થાય છે કે જેટલાં માનવમાં આવતાં હતાં, એટલાં આ શીંગડાં ભયંકર નથી. એ તો ડરપોક અને આળસુ લોકો માટે લગાડવામાં આવ્યાં હોય છે.’
એક વિદ્વાનનું કહેવું છે, મનુષ્યની અડધી બુદ્ધિ તેના સાહસ સાથે ચાલી જાય છે. જો તેમ આપત્તિઓથી ગભરાઈ ગયા તો સમજી લેવું કે સંકટોરૂપી વરૂ તમને ફાડી ખાશે. એક નિરાશ સેનાપતિએ સિકંદરને કહ્યું, “મારાથી આ નહીં બને.” સંસારવિજેતા સિકંદરે કહ્યું, “ચાલ, ભાગી જા, અભાગિયા, તારું કાળું મોઢું કર. મૂર્ખ, મારી નજરોથી દૂર થા. ઉદ્યમી અને પુરુષાર્થી માટે કશું જ અસંભવ નથી.’
એક વિદ્વાનનું કહેવું છે કે, “કિર્તિ, પ્રતિષ્ઠા અને ઊંચું પદ એ પોતાના પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે. નથી તો તે પૈતૃક સંપત્તિથી મળતાં કે નથી દૈવી કૃપાથી અથવા નથી ધનથી ખરીદી શકાતાં. સતત ઉત્સાહી, ઉઘોગી અને દૃઢ ચરિત્રની વેલ પર જ આ ફળ લાગતાં હોય છે.”
એક ગરીબ છોકરો નદીકિનારે માછીમા૨ોને માછલી પકડતાં જોઈ રહ્યો હતો. તે માછીમારો પાસે ગયો અને જોયું તો કેટલાય ટોપલા માછલીઓ પકડેલી છે. છોકરાએ નિઃશ્વાસ સાથે કહ્યું, “કદાચ એક ટોપલી મને મળી જાય તો હું તેને વેચીને તે પૈસામાંથી કેટલાય દિવસની ભોજનસામગ્રી ખરીદી લઉં.’ એક સહૃદયી માછીમાર તેની વાત સાંભળી ગયો અને તેણે પેલા છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું “જો તું મારું એક કલાક કામ કરે તો હું તને એક ટોપલો માછલી આપું. ” છોકરો રાજી રાજી થઈ ગયો. માછીમારે તેને માછલી પકડવાનો કાંટો આત્યો અને ધાટ ઉપર બેસાડી દીધો અને કહ્યું કે આ કાંટામાં જે માછલી ફસાય તેને બહાર કાઢીને ટોપલીમાં મૂકી દેવી. છોકરો એ પ્રમાણે કરવા લાગ્યો. બે કલાક પૂરા પણ ન થયા, ત્યાં તો ટોપલી ભરાઈ ગઈ. પેલા માલીમારે તે ટોપલી તેને આપી દીધી અને કહ્યું, “તારી જ મહેનતથી હું મારું વચન પૂરું કરું છું અને તને ઉપદેશ આપું છું કે, જ્યારે બીજાઓને પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરતા જુઓ, ત્યારે મૂર્ખાઓની જેમ ઊભા ઊભા તમાશો જોવાને બદલે પોતાની જાળ લઈને બેસી જવું.”
પ્રતિભાવો