૩. કરકસર – ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય, શ્રીરામ શર્મા આચાર્ય

કરકસર, – શ્રીરામ શર્મા આચાર્ય
મનુષ્ય કેવી રીતે પૈસા કમાય છે, કેવી રીતે ખર્ચ કરે છે અને કેવી રીતે બચાવે છે, તે જોઈને તેની વિવેકબુદ્ધિની પરીક્ષા કરી શકાય છે. જોકે જીવન ધન સંઘરવા માટે નથી, પણ પૈસાને તુચ્છ સમજવા એ પણ અરોબર નથી. ખાલી કોથળો ક્યારેય સીધો ઊભો રહી શકતો નથી. જ્યાં સુધી તેનું પેટ પૂરેપૂરું ભરાતું નથી, ત્યાં સુધી તેને વારંવાર ઊભો કરવા છતાંય, તે તેના પગ પર ઊભો રહી શકતો નથી. સમજદારી, ઉદારતા, દૂરદર્શિતા જેવા ગુણો ઈમાનદારી સાથે સંબંધ ધરાવે છે. ગરીબ માણસ ક્યારેક ક્યારેક વિવશ થઈને પણ અન્યાય, અધર્મ તથા ન કરવા જેવાં કામો કરવા તૈયાર થઈ જાય છે. ચતુર કોણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં એક વિદ્વાને કહ્યું છે કે જેઓ પૈસાને ઊચિત રીતે કમાવાનું, ખર્ચ કરવાનું અને બચાવવાનું જાણે છે, તે જ બુદ્ધિશાળી છે.

પૈસાનો તે જ સદુપયોગ કરી શકે છે. અને બચાવી શકે છે, જે મહેનત કરીને કમાય છે. ક્યાંક મફતનો માલ હાથમાં આવી ગયોતો વ્યર્થ ખર્ચમાં વેડફાઈ જવાનો. એક કહેવત છે કે ચોરોને મહેલ હોતાં નથી, કહેવત સાચી છે. જેને મેળવવામાં શ્રમ નથી કર્યો તે તેની કદર પણ નથી કરી શકવાનો. અને ભગવતી લક્ષ્મી એટલી તો બેશરમ નથી કે, જે તેનું અપમાન કરે તેના ઘરે વધારે સમય પડી રહે ! કેટલાક એવા પણ માણસો છે જે આજની કમાણી આજે જ ખર્ચી નાખતાં હોય છે. શહેરોમાં ધોબી, મોચી, રિક્ષાવાળા અને એવા અનેક કારીગરો જે રોજના દસથી બાર રૂપિયા કમાય છે, પણ બીજા દિવસ માટે કશું બચાવતા નથી. તાડી, દારૂ, ગાંજો, પાન, બીડી અને અન્ય મોજમજામાં પોતાની કમાણી ખર્ચી નાખે છે. જીવનભર કમાતા હોય છે, પણ નથી તો પોતાનાં છોકરાંને પૂરતું શિક્ષણ આપી શકતાં કે નથી સુખમય જીવન જીવતાં. મરતી વખતે પાછળ ચાર-છ માસ છોકરાં ખાય તેટલું પણ મૂકીને જતાં નથી. ઉડાઉ ખર્ચ એક પ્રકારનો દેશદ્રોહ છે, કારણ કે આનાથી બેકારી, નિરાશ્રયતા, ગુંડાગીરી તથા ખરાબ અડ્ડાઓનો વધારો થાય છે. સોક્રેટિસ કહેતા, “જેઓ દેશની ઉન્નતિ કરવા વિચારે છે, તે પહેલાં પોતાની ઉન્નતિ કરે.” ખોટું ખર્ચ કરનાર મનુષ્ય કોઈ મોટું કામ નહીં કરી શકે અને ન પોતાનું આત્મસન્માન જાળવી શકશે. શ્રીમાન કાવડે એક વાર ગરીબોને સંબોધિત કરતાં કહ્યું હતું, “દુનિયામાં અમીર-ગરીબનો ભેદ નથી. અમીર -ગરીબનું સાચું નામ છે મિતવ્યયી અને અપવ્યયી. જેઓ બચાવવાના સિદ્ધાંતને માને છે તેઓ એક દિવસ ચોક્કસ સમૃદ્ધ બની જશે અને જેમને ઉડાવવાનો ચસકો પડ્યો છે તેઓ ગરીબ જ રહેશે. ખર્ચ કરવામાં ખૂબ જ ધ્યાન રાખનાર માણસોએ મિલ, કારખાનાં અને જહાજો બનાવ્યાં અને તમે જ એવા છો જે દારૂ પીવામાં અને બેવકૂફી કરવામાં પૈસા સમાપ્ત કરી દો છો.”

સુખી બનવા માટે કરકસરની ખૂબ જરૂર છે. આના માટે કોઈ યોગ્યતાની જરૂર પડતી નથી. ખૂબ જ જરૂરી હોય તેવી વસ્તુઓ જ યોગ્ય પ્રમાણમાં ખરીદવી. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કોઈ પણ મનુષ્ય સારી રીતે ઘર ચલાવી શકે છે, પણ આનો અર્થ કંજૂસાઈ ક૨વી એ નથી. કાલ માટે બચત કરવાની ઈચ્છાથી આજે ભૂખે મરવું તે મૂર્ખતા છે. કરકસર કરનાર મનુષ્ય ધનને ઈશ્વર સમજી તેની પૂજા કરતો નથી, પણ તેનો ઉપયોગ સમજી વિચારીને એક શસ્ત્રની જેમ જ્યાં જરૂર પડે ત્યાં જ કરે છે. તમે કંજૂસ નહીં પણ કરકસરવાળા બનો, કારણ કે કરકસરપણું એ દીર્ઘદર્શિતાની પુત્રી છે, સંયમની બહેન છે અને સ્વતંત્રતાની માતા છે. તે આપણા ચરિત્ર, આનંદ તથા પ્રતિષ્ઠાનું રક્ષણ કરે છે. જ્યારે ફ્રાન્સિસ હેનરીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, તો તેના પિતાએ કહ્યું, ‘“બેટા, મારા હૃદયના આશીર્વાદ છે કે તું સદાય પ્રસન્ન રહે. આ ખુશીના સમયે હું તને એક રત્નની ભેટ આપું છું અને તે છે કરકસરપણું. કેટલાક લોકો આનું મહત્ત્વ સમજતા નથી અને મશ્કરી કરે છે, પરંતુ મારા લાંબા અનુભવને કારણે મેં એ જાણ્યું છે કે કોઈ પણ ગૃહસ્થ જો સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા માગે છે તો તેને ખર્ચ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. બેટા, જો તું મારા આ રત્નને સંભાળીને રાખીશ, તો આ તને સૌભાગ્યની જેમ દરેક વખતે મદદ કરશે.” દરેક માનવીનો ધર્મ છે કે તેને પોતાની આવક પર ગુજારો ક૨વો જોઈએ. જે એવું નથી કરતો તે કાં તો ભીખ માંગશે અથવા કોઈના ૫૨ બોજો બનશે અથવા બેઈમાની કરશે. હું એવા કેટલાય લોકોને જાણું છું કે, જે જેઓએ પોતાની પૈતૃક સંચિત કમાણીને નાચગાનમાં ફૂંકી મારી હોય અને જીવનભર ગરીબીના નરકમાં સડતા રહ્યા હોય, માથે ફૂટીફૂટીને પસ્તાતા હોય. આ હરામ ચસકાવાળી વ્યક્તિઓ પોતાની વાસનાને તૃપ્ત કરવા માટે જ્યારે પોતાની પાસે ધન નથી હોતું, તો એવાં કાર્યો કરવા માટે તૈયાર થઈ જાય છે, જેનાથી એનાં લોક અને પરલોક બંને બગડતાં હોય છે. જો શરૂઆતથી જ તેઓ ખોટા ખર્ચના દુર્ગુણમાં ન ફસાયા હોત તો, આજે તેમને પતનની ઊંડી ખાઈમાં પડવા માટે વિવશ બનવું પડ્યું ન હોત.

એક પૈસો ખૂબ સામાન્ય વસ્તુ છે, પરંતુ કરોડો પરિવારનું સુખ એક પૈસો ભેગો કરવા અને ઉચિત પ્રસંગે ખર્ચ કરવા ઉપર નિર્ભર છે. જે એક પૈસાનો દુરુપયોગ કરી શકે છે તે એક રૂપિયાનો પણ કરી શકે છે. જો આપણે આ પૈસાને બચાવતા રહ્યા તો આપણી શક્તિ વધી જશે અને ભવિષ્યને બમણા વેગથી સુધારી શકીશું. કેટલીક વાર આપણે સસ્તું લેવાના પ્રલોભનમાં આવી જઈને બેકાર વસ્તુઓ ખરીદી લાવીએ છીએ. આ એક પ્રકારનો ખોટો ખર્ચ છે. તમે એ વસ્તુઓ ખરીદો, જેની ખરેખર જરૂર હોય. વસ્તુ કામમાં નથી આવતી તેને ભૂલેચૂકે પણ ના ખરીદો, પછી ભલેને તે એકદમ સસ્તી કેમ ન મળતી હોય ? ટોમસ રાઈસ નામના એક પરોપકારી કાર્યકર્તાએ હજારો ખરાબ સ્ત્રી-પુરુષોને સુધારીને ભલા તથા પ્રતિષ્ઠાવાન નાગરિક બનાવી દીધા હતા. તે પોતાની ડાયરીમાં લખે છે, “સ્વેચ્છાથી ખૂબ જ ઓછા મનુષ્યો ખરાબ કામો કરે છે, કારણ કે દરેકનો આત્મા કુકર્મ કરવા પણ પોતાને ધિક્કારે છે. મોટા ભાગના મનુષ્યો પોતાની જરૂરિયાતો અથવા તૃષ્ણાઓથી મજબૂર બનીને ચોરી, લૂંટ, છેતરપિંડી કરતા હોય છે. જો મનુષ્યને કામે લગાડી દેવામાં આવે અને તેના ખર્ચનું આયોજન કરવાનું શીખવી દેવામાં આવે તો તેની અડધી કૂટેવો દૂર થઈ જશે.’ ટોમસ એક મિલમાં કામ કરતો હતો. જ્યારે તેને નવરાશ મળતી તો તે કહેવાતા ખરાબ માણસો પાસે જતો અને પોતાના મધુર સ્વભાવને કારણે પોતાની સહમતિથી ખર્ચ કરવા માટે સંમત કરી લેતો. એવા માણસો બેકાર થઈ જતાં, તો તેમના માટે કામ શોધી આપતો અને રોજ તેમની પાસે જઈને તેમને કરકસરના પાઠ ભણાવતો. એટલું જ નહિ, આજે જે ખર્ચ કર્યું છે, તેની સમીક્ષા કરતો અને બીજા દિવસનું બજેટ બનાવી આપતો. આવી રીતે થોડાક દિવસોમાં કરકસરની ટેવ પડી જતી પેલા બધા દુર્ગુણોથી મુક્ત બની જતા જે નકામા ખર્ચથી પેદા થતા હતા. એમણે સાદું જીવન જીવવાની આદત શીખવીને કેટલાય નવજુવાન યુવક-યુવતીઓને ખોટા માર્ગથી પાછા વાળીને બચાવ્યા હતા જે પોતાનું કર્તવ્ય ભૂલીને પતનની ખાઈ તરફ ધકેલાઈ રહ્યા હતા.

ટીપે ટીપે સરોવર ભરાય, એ કહેવતને સાર્થક કરતો ઈરાનનો એક કરોડપતિ આસ્ટર ઓલ્ડ શરૂઆતમાં ખૂબ જ ગરીબ હતો .તે જ્યારે દારૂ વેચનારની દુકાન તરફ જતોતો, દારૂની બોટલો પરનાં કાગળ પોતાના ખિસ્સામાં ભરી લેતો. આઠ વર્ષમાં આ કાગળો એટલાં બધાં ભેગાં થયાં તેની કિંમત સો રૂપિયા આવી. આ સો રૂપિયામાં તેણે પોતાનો નવો ધંધો શરૂ કર્યો. કરકસરના સિદ્ધાંતને અપનાવીને વેપાર વધારતો ગયો, ઉન્નતિ કરતો ગયો. આખરે એક દિવસ તે કરોડપતિ બની ગયો.
ખરાબ બુદ્ધિના મનુષ્યોએ ધનવાન થવું, એ તેમના વિનાશ માટે છે. પૈસા પેદા કરવા કેટલાય સરળ કેમ ન હોય, પણ તેને યોગ્ય રીતે ખર્ચવા તે ખૂબ જ કઠિન બાબત છે. ધનને યોગ્ય રીતે ખર્ચવું તે ખૂબ જ ઓછા માણસો જાણે છે. જે પૈસાથી જીવનની મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે, એ જ પૈસાને લોકો વ્યર્થ બાબતોમાં વેડફી નાખે છે. એવા માણસોની આવક ભલે ને ગમે તેટલી હોય, તેઓ તો હમેશાં ગરીબાઈનાં રોદણાં જ રડ્યા કરવાનાં, ગરીબ જ રહેવાને સર્જાયા છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: