શક્તિ સંચયની પ્રણાલી | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 9, 2022 Leave a comment
શક્તિસંચયની પ્રણાલી
સંસારમાં શક્તિની આવશ્યકતા અને મહત્ત્વને સમજીને બુદ્ધિમાન વ્યક્તિ હમેશાં એનો સંચય કરવામાં તત્પર રહે છે. કોઈ જપ – તપ કરીને આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરે છે, કોઈ વ્યાયામ દ્વારા શારીરિક શક્તિ વધારે છે, તો કોઈ જાતજાતની વિદ્યાઓ અને કલાઓનો અભ્યાસ કરીને બૌદ્ધિક શક્તિને તીક્ષ્ણ કરે છે. સારાંશ એ છે કે પ્રત્યેક વ્યક્તિને સંસારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શક્તિનો સંચય કરવાની જરૂર પડે છે. નિર્બળતા એક બહુ મોટું પાપ છે. અશક્ત વ્યક્તિ પોતાનો ખરાબ પ્રભાવ જે નજીકના તેમ જ કુટુંબીજનો પર પાડે છે, એમની મનોવૃત્તિ પણ એ જ ઢાંચામાં ઢળવા લાગે છે. આ રીતે આ ચેપી બીમારી એકથી બેમાં, બેથી દસમાં અને દસથી સેંકડોમાં ફેલાતી જાય છે. કાયર, આળસુ, નકામા, નિર્બળ, ભિખારી, દીન તથા દાસવૃત્તિના લોકો બીજાને પણ પોતાના જેવા બનાવી દે છે.
નિર્બળ વ્યક્તિ જીવનભર દુ:ખ ભોગવે છે. જેમનું શરીર નિર્બળ છે તેમને બીમારીઓ સતાવશે, તેમને સાંસારિક સુખોથી વંચિત રહેવું પડશે. ઈન્દ્રિયો સાથ નહીં આપે, તો સુખદાયક વસ્તુઓ પાસે હોવા છતાં પણ એમનું સુખ મેળવી શકાશે નહીં. જેઓ આર્થિક દૃષ્ટિથી નિર્બળ છે તેઓ જીવન માટે ઉપયોગી વસ્તુઓ પણ મેળવવામાં સફળ થઈ શકે નહીં. સુખી અને સફળ મનુષ્યોના સમાજમાં એને દીન, હીન તથા ગરીબ સમજીને તિરસ્કૃત કરવામાં આવશે. અનેક સ્વાભાવિક આકાંક્ષાઓને એણે મન મારીને મસળી નાખવી પડશે.
સંસારમાં પાપ, અનીતિ તેમ જ અત્યાચારની વૃદ્ધિનું મહત્ત્વનું કારણ નિર્બળતા છે. નબળાં ઘેટાં – બકરાંને માંસાહારી મનુષ્ય અને પશુઓ ખાઈ જાય છે, પણ વરુનું માંસ રાંધવાની કોઈને ઈચ્છા થતી નથી. કમજોરીમાં એક એવું આકર્ષણ છે કે એનો અનુચિત લાભ લેવાની દરેકને ઈચ્છા થઈ આવે છે. નાનાનાના અદૃશ્ય રોગકીટાણુ, જે હવામાં ઊડતા ફરે છે તે એના પર જ આક્રમણ કરે છે, જે નબળા હોય છે. આપણે આપણી ચારે બાજુ જોઈ શકીએ છીએ કે કમજોર પર સૌ કોઈ હુમલો કરવાનું વિચારે છે. જેમ ગંદકી એકઠી થવાથી માખીઓ આપોઆપ પેદા થઈ જાય છે અથવા દૂર દૂરથી ભેગી થઈને ત્યાં આવી જાય છે, એમ કમજોરોનો અનુચિત લાભ ઉઠાવવા ઘરનાં, પડોશીઓ તેમજ દૂર દેશની વ્યક્તિઓ પણ એકત્ર થઈ જાય છે. જો કમજોરીનો અંત આવી જાય તો અત્યાચાર અથવા અન્યાયનો અંત પણ નિશ્ચિત છે.
દુર્બળ મનુષ્ય સ્વયં પોતાની અંદર સ્વસ્થ વિચારધારા ધારણ કરી શકતો નથી. એનાં કારણે કેટલાંય છે. જેવાં કે – ( ૧ ) શારીરિક દૃષ્ટિએ કમજોર વ્યક્તિના મગજમાં પૂરતું લોહી પહોંચતું નથી. એટલે એ જરાક જેટલી વાતમાં ઉત્તેજિત, ચિંતિત, ભયભીત, બેચેન તેમ જ કિંકર્તવ્યમૂઢ બની જાય છે. આવી અવસ્થાઓમાં મગજ યોગ્ય નિર્ણય કરી શકતું નથી. એ અંધકારપૂર્ણ રસ્તા તરફ આગળ વધે છે. (૨) પુરુષાર્થ શક્તિના અભાવમાં એ ઈચ્છિત વસ્તુઓને બાહુબળથી પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ ઈચ્છા એને સતાવે છે. આ ઈચ્છાની પૂર્તિ માટે એ અધર્મ રીતે ભોગવસ્તુઓ તથા સંપદાઓ મેળવવા પ્રવૃત થાય છે. (૩) પોતાની હીન દશા અને બીજાની સારી દશા જોઈને એના મનમાં ખટકો, આત્મગ્લાનિ, ચીડ તેમજ ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં દુર્ભાગ્ય કે નિરાશાજનક ભાવ કે જલનથી, પ્રતિહિંસાની ઘાતક ભાવના એના મગજમાં જાગે છે. (૪) અભાવોને કારણે જે મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેનાથી વિચલિત થઈને મનુષ્ય અધર્મ આચરે છે. (૫) નિર્બળતા એક પ્રકારનો રોગ છે. એ રોગી અવસ્થામાં વિચાર પણ રોગી બની જાય છે. ઉચ્ચ કોટીના આધ્યાત્મિક વિચાર એ અવસ્થામાં થઈ શકતા નથી. શાસ્ત્રકારો કહે છે, “ ક્ષીણાનરા : નિષ્કરુણા ભવન્તિ ” એટલે કે દુર્બળ મનુષ્ય નિર્દય થઈ જાય છે.
આ કારણોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ભૌતિક ઉન્નતિ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ બળવાન બનવું આવશ્યક છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે “શક્તિનો પ્રયોગ કરવા માટે શક્તિનું પ્રદર્શન જરૂરી છે.” પ્રકૃતિનું, મનુષ્યોનું, રોગોનું તથા શેતાનનું આક્રમણ આપણા ઉપર થતું રોકવાનો એક માત્ર ઉપાય એ છે કે આપણે શારીરિક, બૌદ્ધિક તથા આત્મિક બળને એટલું વધારી દઈએ કે એને જોતાં જ આક્રમણકારી પાછો પડી જાય. બળનો સંચય અનેક આવનારી વિપત્તિઓથી અનાયાસ બચાવી લે છે. સબળતા એક મજબૂત કિલ્લો છે, જેને જોઈ શત્રુઓના મનસૂબા ધૂળમાં મળી જાય છે.
શાક્ત લોકો અષ્ટભુજા દુર્ગાની પૂજા કરે છે. ભવાની શક્તિની મૂર્તિઓમાં આપણે એમની આઠ ભુજાઓ જોઈએ છીએ. એનું તાત્પર્ય છે કે આઠ સાધન છે- (૧) સ્વાસ્થ્ય (૨) વિદ્યા (૩) ધન (૪) વ્યવસ્થા (૫) સંગઠન (૬) યશ (૭) શૌર્ય (૮) સત્ય. આ આઠેય એકત્ર થવાથી એક પૂર્ણ શક્તિ બને છે. આ શક્તિઓ જેની પાસે જેટલા પ્રમાણમાં હશે એને એટલો જ શક્તિવાન માનવામાં આવશે.
(૧). સ્વાસ્થ્યની મહત્તા આપણે સૌ જાણીએ છીએ. એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ છે. અસ્વસ્થ મનુષ્ય તો આ પૃથ્વી પર ભારરૂપ છે, જે બીજાના કષ્ટનું કારણ બની પોતાના શ્વાસ પૂરા કરે છે. તે સાચા જીવનનો સ્વાદ લેવાથી અને મનુષ્યતાની જવાબદારીઓ પૂર્ણ કરવાથી વંચિત રહી જાય છે. કોઈ ક્ષેત્રમાં ઉન્નતિ કરવાનું તો દૂર, પરંતુ એને માટે પ્રાણ ધારણ કરી રાખવાનું પણ બહુ અઘરું થઈ જાય છે. .સ્વાસ્થ્ય સર્વપ્રથમ અને સર્વોપરી બળ છે. આ બળ વિનાનાં બધાં બળ નિરર્થક છે. એટલે સ્વસ્થતા તરફ સૌથી વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
અસ્વસ્થ હોવાનાં થોડાંક કારણ છે. જો આપણે એ તરફ સતર્ક રહીએ તો બીમારી અને કમજોરીથી બચીને સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ. સ્વાસ્થ્ય તરફ પૂરતું ધ્યાન ન આપવું, નીરોગી બનવામાં પૂરો રસ ન લેવો એ તંદુરસ્તી ખરાબ હોવાનું સૌથી મોટું કારણ છે. ધન કમાવામાં, કારોબાર, વેપાર કે અન્ય અનેક કામોમાં જેટલી તીક્ષ્ણ દૃષ્ટિથી, હોશિયારી અને રસથી કામ કરીએ છીએ એનાથી દસમા ભાગનું ધ્યાન પણ તંદુરસ્તી તરફ આપવામાં આવે તો દુર્બળ બનવાની નોબત ન આવે. આમ તો લોકો શરીરને આરામ આપવાની અને શણગારવાની ફિકર કરે છે, ઈન્દ્રિય ભોગોનાં સાધન મેળવે છે, પરંતુ એ નથી વિચારતા કે ચિરસ્થાયી સ્વાસ્થ્ય અને દીર્ઘજીવન કેવી રીતે પ્રાપ્ત થાય. જો આપણે ધનવાન બનવાની ઈચ્છાની જેમ સ્વસ્થ તેમ જ દીર્ઘજીવી બનવાની ઈચ્છા રાખીએ તો અવશ્ય એ મનોરથ સફળ થઈ શકે છે. ધનવાન બનવા કરતાં સ્વસ્થ થવાનું સહેલું છે.
સ્વાદ, ફેશન કે આરામ તરફ ધ્યાન આપવાના બદલે આરોગ્યની દષ્ટિએ આપણે આપણા જીવનક્રમ બનાવવો જોઈએ. પ્રાત : કાળે વહેલા જાગવું, રાત્રે વહેલા સૂઈ જવું, નિયમિત વ્યાયામ કરવો, ત્વચાને ખૂબ ઘસી ઘસીને સ્નાન કરવું, માલિશ, મળની સારી રીતે સફાઈ, સ્વાદલોલુપતાને એકદમ તિલાંજલિ આપીને સાત્ત્વિક મનથી પ્રમાણસર, ખૂબ ચાવીને પ્રસન્નતાપૂર્વક ભોજન કરવું, સામર્થ્ય પ્રમાણે શ્રમ કરવો, ચિંતાથી બચવું, વીર્યરક્ષા વગેરે બાબતોની તકેદારી રાખવામાં આવે તો સ્વસ્થતા પડછાયાની જેમ સાથે રહેશે. તંદુરસ્તી હકીમ – ડૉક્ટરના દવાખાનામાં કે રંગબેરંગી શીશીઓમાં નહીં, બલકે આહારવિહારની સાત્ત્વિક્તા તેમ જ સાવધાનીમાં છે. આડંબર, કૃત્રિમતા, સ્વાદલોલુપતા, પ્રકૃતિ વિરુદ્ધની આળસુ રહેણીકરણીથી આપણે રોગી બનીએ છીએ. એનો ત્યાગ કરીને જો સીધોસાદો, સરળ અને પ્રકૃતિને અનુકૂળ જીવનક્રમ અપનાવવામાં આવે તો સ્વસ્થતા નિશ્ચિત રૂપે આપણી સાથે રહેશે. (૨) વિઘાના બે વિભાગ છે : એક શિક્ષણ, બીજી વિધા. સાંસારિક માહિતીને શિક્ષણ કહે છે, જેમકે ભાષા, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, ચિકિત્સા, વેપાર, શિલ્પ, સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન, નીતિ, ન્યાય વ્યવસ્થા વગેરે. મનુષ્યનાં કર્તવ્યો અને ઉત્તરદાયિત્વને હ્રદયંગમ કરવાને વિદ્યા કહે છે. ધર્મ, અધ્યાત્મ, શિષ્ટાચાર, સેવા, પુણ્ય, પરમાર્થ, દયા, ત્યાગ, સરળતા, સદાચાર, સંયમ, પ્રેમ, ન્યાય, ઈમાનદારી, ઈશ્વરપરાયણતા, કર્તવ્યભાવના વગેરે વૃત્તિઓનું જીવનમાં ભળી જવું તે વિદ્યા છે. શિક્ષણ અને વિદ્યા બંનેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણથી સાંસારિક જીવનની શ્રીવૃદ્ધિ થાય છે, જયારે વિદ્યાથી આત્મિક જીવનમાં સુસંપન્નતા આવે છે.
બૌદ્ધિક વિકાસ માટે જિજ્ઞાસાની સૌથી વધુ આવશ્યકતા છે. જેના મનમાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને અનેક તર્કવિતર્ક થાય છે, ચિંતન, મનન અને વિવાદ કરવામાં જેને રસ પડે છે, જે પોતાની જાણકારી વધારવા પ્રયત્નશીલ રહે છે, જેને જ્ઞાન સંગ્રહનો શોખ છે, જે જ્ઞાનવાન બનવાના મહત્ત્વ અને આનંદથી પરિચિત છે એ વધુ જ્ઞાનવાન બનતો જશે. જ્ઞાની બનવાનાં અનેક સાધન એને ડગલે અને પગલે પ્રાપ્ત થતાં રહેશે. મૂઢમતિ મનુષ્યોને જયાં કોઈ ‘ખાસ વાત” નથી દેખાતી ત્યાં જિજ્ઞાસુ વ્યક્તિની સૂક્ષ્મ દૃષ્ટિ બહુ જાણવા જેવી બાબત શોધી કાઢે છે.
જ્ઞાની બનવાની તીવ્ર આકાંક્ષા થયા વિના મસ્તકની એ સૂક્ષ્મ શક્તિઓ સંચિત થઈ શકતી નથી કે જેના આધારે શિક્ષણ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’ ના સૂત્રકારે જ્ઞાન સાધનાના પ્રથમ ઉપાય તરીકે જિજ્ઞાસાને દર્શાવી છે. જિજ્ઞાસુ હોવું તે વિદ્વાન હોવાનું પૂર્વરૂપ છે.
પર્યટન, યાત્રા, સમાચારપત્રો વાંચવા, વિચારપૂર્વક પુસ્તકોનું અધ્યયન, સત્સંગ, સામાન્ય લોકોની મનોવૃત્તિનું અધ્યયન, ઘટનાઓ પર વિચાર અને એમનું નિરૂપણ તેમ જ અનુભવ સંપાદન વગેરેમાં રુચિ લેનારા મનુષ્યો બુદ્ધિમાન થઈ જાય છે. જેઓ પોતાની ભૂલો શોધીને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવા માટે દુરાગ્રહથી દૂર રહે છે અને પોતાના મગજને ખુલ્લું રાખે છે તે આવશ્યક તેમ જ ઉપયોગી જ્ઞાન પર્યાપ્ત માત્રામાં એકત્રિત કરી લે છે. સમર્થક અને વિરોધી એમ બંને તથ્યોને સમજવા અને એની વિવેચના કરવા માટે જેઓ તત્પર રહે છે તેઓ ભ્રમથી તથા અજ્ઞાનથી બચીને વાસ્તવિકતા સુધી પહોંચી જાય છે. પોતાની જાણકારીની અલ્પતાને સમજવી અને વધુ માત્રામાં તેમ જ વધુ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવાની નિરંતર ઈચ્છા રાખવી તે મનુષ્યને ક્રમશઃ જ્ઞાની બનાવતી જાય છે. જ્ઞાનવૃદ્ધિ કરવાના અવસરને જે લોકો શોધતા રહે છે અને એવો અવસર મળતાં જ એનો યોગ્ય લાભ ઉઠાવે છે, એમની વિદ્યા દિવસે – દિવસે વધતી જાય છે.
(૩) ધન : સમયના પ્રભાવથી આજે મનુષ્યના જીવનમાં પૈસાનું સ્થાન મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મનુષ્યની લઘુતા તથા મહાનતા પૈસાના માપદંડથી મપાવા લાગી છે. પૈસા દ્વારા બધી સુખસામગ્રી, બધા પ્રકારની યોગ્યતા અને શક્તિઓ ખરીદી લેવામાં આવે છે. આજે જે અનુચિત તથા વધારે મહત્ત્વ પૈસાને આપવામાં આવે છે, એ તરફ ધ્યાન આપવામાં ન આવે તો પણ એટલું તો માનવું જ પડશે કે પૈસાની આવશ્યકતા સૌ કોઈને છે. ભોજન, વસ્ત્ર તેમ જ મકાનની જરૂર પડે છે. અતિથિસત્કાર, પરિવારનું ભરણપોષણ, બાળકોનો અભ્યાસ, લગ્ન, દવાદારૂ, દુર્ઘટના, દુષ્કાળ, આપત્તિ, યાત્રા વગેરે માટે થોડાઘણા પૈસા દરેક સદ્ગૃહસ્થની પાસે હોવા આવશ્યક છે. ધન ઉપાર્જનની અનેક પ્રણાલીઓ સંસારમાં પ્રચલિત છે. એમાં વેપાર, ઉત્પાદન તેમ જ નિર્માણની પ્રણાલી સૌથી ઉત્તમ છે. શિલ્પ, વાણિજય, કલાકૌશલ, ખેતી, પશુપાલન, દલાલી વગેરે દ્વારા સહેલાઈથી ધન પેદા કરી શકાય છે. મૂડી વિનાના અને ઢીલા સ્વભાવવાળાઓ નોકરીનો સહારો લે છે. એવા જ કોઈ ઉત્તમ કાર્યથી આજીવિકા મેળવવી જોઈએ. ન્યાયોચિત માર્ગે પૂરતી આજીવિકા પ્રાપ્ત કરી લેવાનું અઘરું નથી. થોડા પ્રયત્નોથી વધુ ધન કમાવા માટે લોકો ચોરી, ડાકુગીરી, લૂંટ, લાંચ, છેતરપિંડી, ઉઠાઉગીરી, બેઈમાની, દગો, ભેળસેળ, વિશ્વાસઘાત, જુગાર, સટ્ટો, લોટરી, અન્યાય, શોષણ, અપહરણ વગેરે નીચ તથા વખોડવા લાયક માર્ગોનો આશ્રય લે છે. આ પ્રકારનું ધન કમાવવામાં લોકનિંદા, રાજદંડ, શત્રુતા, ધૃણા તથા હિંસાનો ભય તો પ્રત્યક્ષ છે જ. એ સિવાય આ પ્રકારના ધનનો બિનજરૂરી રીતે અપવ્યય થાય છે. જે પૈસો પસીનો વહાવી, કરકસરથી ભેગો કરવામાં આવ્યો નથી, તેને ખર્ચવામાં બહુ દુઃખ થતું નથી. ચોર, જુગારી, ઠગ વગેરે એક હાથે વિપુલ ધન કમાય છે અને બીજા હાથે તેને સ્વાહા કરી નાખે છે. આ પ્રકારના અપવ્યયથી અનેક પાપ, દુર્ગુણ તેમ જ અયોગ્ય ઉદાહરણ પેદા થાય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને પરિશ્રમપૂર્વક ઈમાનદારીથી યોગ્ય માર્ગો દ્વારા ધન કમાવું જોઈએ અને કરકસરથી કંઈક બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોગ્ય માર્ગે ધનવાન બનવાનું પ્રશંસનીય છે. ધન એકઠું કરી કરીને મોટી રકમ જમા કરવામાં નહીં, પરંતુ એનો યોગ્ય સમયે આવશ્યક તેમ જ યોગ્ય ઉપયોગ કરી લેવામાં ડહાપણ છે. ધન વિવેકપૂર્વક કમાવવું જોઈએ અને વિચારપૂર્વક ખર્ચવું જોઈએ. ત્યારે ધનની શક્તિનો વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકાય છે
(૪) વ્યવસ્થા : વ્યવસ્થા બહુ મોટી શક્તિ છે. મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સારો વ્યવસ્થાપક હોવો જોઈએ. જે વ્યક્તિ કામ પૂરું કરવાનો યોગ્ય પ્રબન્ધ કરી શકે છે એ બહુ મોટો જાણકાર છે. ધનવાન, વિદ્વાન અને સ્વસ્થ પુરુષ ઓછાં સાધનોથી મોટાં મોટાં કામો માટે સામગ્રી ભેગી કરી નાખે છે અને પોતાની હિંમત, ચતુરાઈ, બુદ્ધિમતા તેમ જ વ્યવસ્થાના બળે એમને પૂર્ણ કરે છે.
(અ) બીજાઓ પર પ્રભાવ પાડવો. (બ) ઉપયોગી મનુષ્યોનો સહયોગ મેળવવો. (ક) કામની બરાબર યોજના બનાવવી. (ડ) નિયમિત કાર્યપ્રણાલીનું સંચાલન કરવું. (ઈ) સામે આવી પડતી પડેલી મુશ્કેલીઓનું નિરાકરણ કરવું. ઓ પોચ ગુણ વ્યવસ્થાપકોમાં જોવા મળે છે. એ મધુરભાષા, શિષ્ટાચાર, સદ્દવ્યવહાર, લોભ, ભય વગેરે દ્વારા બીજાઓને પ્રભાવિત કરવાનું જાણે છે. અનુપયોગી તથા અયોગ્ય લોકોની ઉપેક્ષા કરી કામના માણસોને સહયોગ માટે રાખે છે. તેઓ લાભ અને હાનિના દરેક પાસાને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અનુભવ અને આંકડાના આધારે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કર્યા પછી પોતાના કામની યોજના બનાવે છે. સમયપાલન, નિયમિતતા, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું, સ્વચ્છતા, કર્મઠતા તેમ જ જાગૃતિ એમના સ્વભાવનું એક અંગ બની જાય છે. દોષને તેઓ બારીકાઈથી શોધી લે છે અને એને દૂર કરવા સદા પ્રયત્નશીલ રહે છે. બદલાતી પરિસ્થિતિઓના કારણે જે જોખમો ઉત્પન્ન થાય છે એમને રોકવા તેમ જ તેમનું શમન કરવા માટે પૂરું ધ્યાન રાખે છે. સફળ વ્યવસ્થાપકમાં આ પ્રકારના ગુણ હોય છે. એમની સૂઝ – બૂઝ વ્યાવહારિક હોય છે.
કર્મઠતા, જાગૃતિ, સ્વચ્છતા, નિયમિતતા, સમયપાલન તથા મર્યાદાનું ધ્યાન રાખવાથી મનુષ્યના વિચાર અને કાર્યો વ્યવસ્થિત થવા લાગે છે અને એ ધીરે ધીરે પોતાના ક્ષેત્રમાં એક કુશળ વ્યવસ્થાપક બની જાય છે. આવા માણસ પાસે દુનિયા પરાજય સ્વીકારે છે. સફળતા એની પાસે આવીને અને સલામ ભરે છે.
(૫) સંગઠન : શાસકારોએ “સંઘશક્તિ કલૌયુગે” સૂત્રમાં વર્તમાન સમયમાં સંઘશક્તિ, સંગઠન તથા એકતાને મુખ્ય શક્તિ માની છે. જે ઘરમાં, કુટુંબમાં, જાતિમાં કે દેશમાં એકતા છે એ શત્રુઓના આક્રમણથી બચે છે, તેમ જ દિન – પ્રતિદિન ઉન્નતિ કરે છે. ફાટફૂટથી જે બરબાદી થાય છે એ જગજાહેર છે. સારા મિત્રોનો, સાચા મિત્રોનો સમૂહ એકબીજાની સહાયતા કરતાં કરતાં આશ્ચર્યજનક ઉન્નતિ કરે છે. શરીરબળ, ધનબળ, બાહુબળ વગેરેની જેમ સંખ્યાબળ પણ મહત્ત્વપૂર્ણ છે. જેની સાથે દસ માણસો હોય એ શક્તિશાળી છે. જનશક્તિ દ્વારા બહુ અઘરાં કામોને સરળ બનાવી લેવામાં આવે છે. ઘરમાં અને બહાર દરેક જગ્યાએ મિત્રતા વધારવી જોઈએ. સમાનતાના આધારે પરસ્પર સહાયતા કરનારાં જૂથ બનાવવા જોઈએ. એમને વિકસાવવા અને મજબૂત કરવાં જોઈએ સંઘશક્તિથી અને જનબળથી જીવનવિકાસમાં ખૂબ મદદ મળે છે. સંગઠિત ગાયોનું ઝૂંડ સામૂહિક હુમલો કરીને બળવાન વાઘને પણ મારી ભગાવે છે. તમે સામૂહિક પ્રયત્નોમાં વધુ રસ લો. એકલા માળા ફેરવવાને બદલે સંધ્યા, ભજન કીર્તનોમાં સામૂહિક રૂપે જોડાવાનું પસંદ કરો. એકલા કસરત કરવાને બદલે સામૂહિક રમતોમાં ભાગ લેવાનું અને અખાડામાં જવાનું યોગ્ય માનો. સામાજિક, રાજનૈતિક, ધાર્મિક, આર્થિક, બૌદ્ધિક તેમ જ મનોરંજનની સંસ્થાઓમાં ભાગ લો. જો એ તમારે ત્યાં પ્રાપ્ત ન હોય તો તેમની સ્થાપના કરો. પોતાના જેવા સમાન વિચારના લોકોની એક મિત્રમંડળી બનાવી લો અને એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધારો. ઘરમાં અને બહાર સાચી મૈત્રીને, એકતાને વધારવી તે એક મહત્ત્વપૂર્ણ વાસ્તવિક લાભ છે.
(૬) યશઃ નીતિકારોનું કહેવું છે કે જેને યશ મળ્યો છે એનું જીવન જ સાચું જીવન છે. પ્રતિષ્ઠા, આદર, વિશ્વાસ તથા શ્રદ્ધા મેળવવા ખરેખર બહુ મોટી કમાણી છે. શરીર મૃત્યુ પામે છે, પરંતુ યશ નથી મરતો. ઐતિહાસિક સપુરુષોનો સ્વર્ગવાસ થયાને હજારો વર્ષ વીતી ગયાં, પરંતુ એમનાં પુનિત ચરિત્રોનું ગાન કરીને અસંખ્ય મનુષ્યો હાલમાં પણ પ્રકાશ પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાના સારા આચરણ અને વિચારોને કારણે સેવા, સાહસ, સચ્ચાઈ તેમ જ ત્યાગને કારણે લોકોની શ્રદ્ધા પ્રાપ્ત કરી લે છે એને માગ્યા વિના જ અનેક પ્રકારે પ્રગટ અને અપ્રગટ સહાયતા મળતી રહે છે. યશસ્વી વ્યક્તિ પર કોઈ સંકટ આવે છે ત્યારે એનું નિવારણ કરવા માટે અનેક લોકો આશ્ચર્યજનક સહાયતા કરે છે. આ રીતે ઉન્નતિ માટે ઉચિત સહયોગ પ્રાપ્ત કરે છે. ખ્યાતિ દ્વારા જેમણે બીજાનાં હૃદય જીત્યાં છે તેઓ આ સંસારમાં સાચા અર્થમાં વિજયી છે. પ્રતિષ્ઠા આત્માને તૃપ્ત કરનારી દૈવી સંપત્તિ છે. બજારમાં ઈમાનદારી તેમજ સચ્ચાઈ માટે જેની ખ્યાતિ છે એ વેપારી સ્થાયી લાભ મેળવે છે. યશસ્વી વ્યક્તિ પર હુમલો કરી પોતાની જાતને સૌની નજરમાં ઉતારી પાડવાનું દુસ્સાહસ કોઈ વિરલા જ કરે છે. સદ્દગુણોથી, સત્કર્યોથી, સદ્દવિચારોથી તેમ જ અંદર – બહારથી વિશ્વાસ ધરાવવા યોગ્ય લોકોને જ આ યશ પ્રાપ્ત થાય છે.
(૭) શૌર્યઃ સાહસિક વ્યક્તિ મેદાન મારી જાય છે. હિંમતવાળાઓને ઈશ્વર મદદ કરે છે. આપત્તિમાં વિચલિત ન થવું, સંકટ સમયે ધૈર્ય રાખવું, વિપત્તિના સમયે વિવેક જાળવી રાખવો તે મનુષ્યની બહુ મોટી વિશેષતા છે. અવગુણ સામે લડવું, સંઘર્ષ કરવો અને એમને પાછા પાડીને જંપવું એ શૌર્ય છે. શાંતિ સારી છે, પરંતુ અશાંતિનો અંત લાવનારી અશાંતિ પણ શાંતિની જેમ જ સારી છે. સ્વાભિમાન, ધર્મ અને મર્યાદાની રક્ષા માટે મનુષ્ય બહાદુર બનવું જોઈએ. જોખમ ઉઠાવવાની ઈચ્છા, નિર્ભયતા, બહાદુરી, જોશ આ સઘળાં આંતરિક પ્રેરકશક્તિનાં, ગરમ લોહીનાં ચિહ્ન છે. જેઓ ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે તેઓ વિચારતા અને મોકો શોધતા રહી જાય છે, પરંતુ સાહસિક પુરુષ કૂદી પડે છે અને તરીને પાર પહોંચી જાય છે. દબાયેલા, ડરપોક, કાયર, કમજોર તથા શંકાશીલ મનુષ્યો વિચારતા અને ડરતા રહે છે. એમનાથી કોઈ મોટું કામ નથી થઈ શકતું. આ પૃથ્વી વીરભોગ્યા છે. વીરપુરુષોના ગળામાં જ એ જયમાળા પહેરાવે છે. ઉદ્યમી સિંહપુરુષ જ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મનુષ્ય સાહસિક હોવું જોઈએ. વિપત્તિ આવે ત્યારે શોક, ચિંતા, ભય, ગભરાટ વગેરે દૂર કરીને વિવેકપૂર્વક એ સંકટનું સમાધાન કરવા માટે યોગ્ય વિચારવાનું સાહસ હોવું તે મનુષ્યતાનું લક્ષણ છે. અત્યાચારીઓ સામે ટકરાવાની બહાદુરી જોઈએ. આગળ વધવાના માર્ગમાં જે જોખમ છે એની સાથે ટકરાવામાં જેને મઝા આવે છે તે શૂરવીર છે. જે સાહસી, પરાક્રમી, કર્મઠ તથા નિર્ભય છે તે શક્તિશાળી છે કેમ કે સાહસરૂપી પ્રચંડશક્તિ એના હૃદયમાં વિદ્યમાન છે.
(૮) સત્ય : સત્યમાં અપાર બળ રહેલું છે.સાચને ક્યાંય આંચ નથી. સત્ય એટલું મજબૂત છે કે એને કોઈ પણ હથિયારથી નષ્ટ નથી કરી શકાતું. જેના વિચાર અને કાર્ય સરખાં છે એ આ સંસારમાં સૌથી વધુ બળવાન છે. એને કોઈ નથી હરાવી શકતું. સત્યપૂર્ણ દરેક કાર્ય પાછળ દૈવી શક્તિ હોય છે. અસત્યનાં ચરણ થોડીક વાતમાં ડગમગી જાય છે અને એનો ભેદ ખૂલી જાય છે, પરંતુ સત્ય અડગ ખડકની જેમ સુસ્થિર ઊભું રહે છે. એના પર પ્રહાર કરનારા ખરેખર પાછા પડે છે. સારો ઉદેશ, સદ્ભાવ, સદ્વિચાર, સત્કર્મ તથા સત્સંકલ્પ ભલે ગમે તેટલા નાના રૂપમાં સામે આવે, પરંતુ વાસ્તવમાં તો એમાં બહુ ભારે, પ્રભાવશાળી મહાનતા છુપાયેલી હોય છે. હજાર આડંબરોથી લદાયેલું અસત્ય જે કાર્ય નથી કરતું તે કાર્ય સીધા અને સરળ સત્ય દ્વારા પૂરું થઈ જાય છે. જે સત્યનિષ્ઠ છે, મન, કર્મ અને વચનથી સત્યપરાયણ રહે છે એના બળની કોઈ પણ ભૌતિક બળ સાથે તુલના ન કરી શકાય.
પ્રતિભાવો