AA-05 : ચોથો અધ્યાય – આત્મા અને પરમાત્મા, હું કોણ છું ?

ચોથો અધ્યાય, હું કોણ છું?

ઈશાવાસ્યમિદં સર્વ યત્કિંચ જગત્યાં જગત્ । – ઈશાવાસ્યો. -૧

સંસારમાં જે કંઈ છે તે બધું જ ઈશ્વરથી ઓતપ્રોત છે. પાછલા અધ્યાયોમાં આત્મસ્વરૂપ અને તેનાં આવરણોથી જિજ્ઞાસુને માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અધ્યાત્મમાં આત્મા અને પરમાત્માનો સંબંધ બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યાર સુધી જિજ્ઞાસુ સાધક ‘અહં’નું જે રૂપ સમજી શક્યો છે તે રૂપ વાસ્તવમાં તો તેનાથી ઘણું મહાન છે. વિશ્વવ્યાપી આત્મા, પરમાત્મા, મહત્ તત્ત્વ, પરમેશ્વરનો અંશ માત્ર છે. તેમાં કોઈ જ ભેદ નથી.

તમારે હવે એવો અનુભવ કરવો જોઈએ કે ‘હું’ પોતાને જેટલો સમજતો હતો, તેના કરતાં ઘણો જ વિશાળ છું. ‘અહં’ની મર્યાદાઓ સમસ્ત બ્રહ્માંડના છેડા સુધી પહોંચે છે. તે પરમાત્મા શક્તિની સત્તામાં સમાયેલો છે અને તેમાંથી, જેવી રીતે માતાના પેટમાંથી ગર્ભસ્થ શિશુ પોષણ મેળવે છે તે રીતે ‘અહં’ પોષણ મેળવે છે. તે પરમાત્માનું નિજ તત્ત્વ છે. તારે આત્મા અને પરમાત્માની એકતાનો અનુભવ કરવો પડશે અને ધીમે ધીમે તારા ‘અહં’ને વિસ્તારીને ઘણો મહાન બનાવવાનો અભ્યાસ કરવો પડશે. તું આમ કરીશ તો જ એ જ ચેતનામાં તું જાગી જઈશ, જ્યાં પહોંચી યોગીઓ કહે છેઃ ‘સોહમ્’ (હું તે છું). આવો, હવે આ નવો અભ્યાસ શરૂ કરાવું. પોતાની ચારે બાજુ નજર ફેલાવ અને અંતઃચક્ષુથી જેટલે દૂર સુધીના પદાર્થોને જોઈ શકાય તેમને જોવા પ્રયત્ન કર. તને ખ્યાલ આવશે કે એક મહાન વિશ્વ ચારે બાજુ ઘણે દૂર દૂર સુધી ફેલાયેલું છે. સામાન્ય રીતે તું જાણે છે તેવું વિશ્વ નથી, પણ તે ચેતનાનો અફાટ સાગર છે. પ્રત્યેક પરમાણુ આકાશ અને ઈશ્વર તત્ત્વમાં નિરંતર ગતિ કરતો આગળ વધે છે. શરીરના તત્ત્વો સતત બદલાયા કરે છે. આજે જે રાસાયણિક પદાર્થો એક વનસ્પતિમાં છે તે કાલે ભોજન દ્વારા આપણા શરીરમાં પહોંચશે. બીજે દિવસે મળરૂપે બહાર નીકળી અન્ય જીવોના શરીરનું અંગ બની જશે. ડૉક્ટરો કહે છે કે શારીરિક કોષો દરેક ઘડીએ બદલાયા કરે છે. જૂના નાશ પામે છે અને નવા બનતા જાય છે. શરીર બહારથી જોતાં તો એવું ને એવું જ દેખાય છે, પણ થોડા સમયમાં તે બિલકુલ બદલાઈ જાય છે અને તે વખતે જૂના શરીરનો એક કણ પણ બાકી રહેતો નથી. વાયુ, જળ અને ભોજન દ્વારા નવીન પદાર્થો શરીરમાં પ્રવેશ કરે છે અને શ્વાસ તેમ જ મળમૂત્ર ત્યાગ દ્વારા બહાર નીકળી જાય છે. ભૌતિક પદાર્થો પોતાના નિયમ પ્રમાણે વહ્યા કરે છે. નદીના તળિયે બેઠેલા કાચબાના શરીર પરથી નવી જળધારા વહ્યા કરે છે. છતાં કાચબો માત્ર એવું અનુભવે છે કે પાણીએ મને ઘેરી રાખ્યો છે. હું પાણીમાં પડેલો છું. આપણે પણ આ નિરંતર વહેતી કુદરતની ધારાથી જોઈએ તેટલા માહિતગાર હોતા નથી, છતાં એક પળ પણ થોભ્યા વિના કુદરતની ધારા સતત વહ્યા જ કરે છે. આ ધારા માનવીના શરીર સુધી જ સીમિત નથી, પણ બીજા જીવો, વનસ્પતિ અને જેને આપણે જડ માનીએ છીએ તે પદાર્થોમાંથી પણ પસાર થઈ એ ધારા આગળ વધ્યા કરે છે. દરેક ચીજ હર ઘડી બદલાઈ રહી છે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો, પણ આ પ્રવાહના એક ટીપાને સુધ્ધાં એક ક્ષણ માટે પણ તમે રોકી શકતા નથી. આ ભૌતિક સત્ય આધ્યાત્મિક સત્ય પણ છે. ફકીરો એટલા માટે તો કહે છે “આ દુનિયા ‘આવનજાવન’ છે.’

ભૌતિક દ્રવ્યપ્રવાહને તમે સમજી ગયા હશો. આ વાત માનસિક ચેતનાને પણ લાગુ પડે છે. વિચારધારા, શબ્દાવલિ, સંકલ્પ વગેરેનો પ્રવાહ પણ એ રીતે ચાલુ રહે છે. જે વાતો એક જણ વિચારે છે તે જ વાત બીજાના મનમાં પણ આવે છે. દુરાચારીઓના અડ્ડાનું વાતાવરણ એટલું બધું ઘૃણા ઉપજાવનારું હોય છે કે ત્યાં જતાં જ માનવીનો શ્વાસ રૂંધાય છે. શબ્દધારા હવે વૈજ્ઞાનિક યંત્રોના નિયંત્રણમાં આવી ગઈ છે. રેડિયો, ટેલિફોન, વાયરલેસ વગેરે શબ્દતરંગોનું પ્રત્યક્ષ પ્રમાણ છે. મગજમાં આવતા જતા વિચારોનાં ચિત્રો હવે લઈ શકાય છે, જેનાથી ખબર પડે કે માનવી કયા વિચારોને ગ્રહણ કરી રહ્યો છે અને કેવા વિચારો છોડી રહ્યો છે. વાદળોની જેમ વિચારપ્રવાહ આકાશમાં વહ્યા કરે છે અને માનવીની આકર્ષણશક્તિ દ્વારા ખેંચાઈ શકે છે યા તો ફેંકાઈ શકે છે. આ વિજ્ઞાન ઘણું મહત્ત્વનું છે, ઘણું વિશાળ છે.તેનું વર્ણન આ નાના પુસ્તકમાં કરવું શક્ય નથી.

મનનાં ત્રણેય અંગો પ્રવૃત્ત મન, પ્રબુદ્ધ મન અને આધ્યાત્મિક મન પણ પોતાના સ્વતંત્ર પ્રવાહો ધરાવે છે, એટલે કે એમ માનવું જોઈએ કે ‘નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોડયું સનાતનઃ । ‘ આત્માને બાદ કરતાં બાકીના બધા શારીરિક અને માનસિક પરમાણુઓ ગતિશીલ છે. આ બધી વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે ફર્યા કરે છે. જેમ શરીરનાં જૂના તત્ત્વો આગળ વધી જાય છે અને નવાં આવે છે તેવું જ માનસિક પદાર્થોની બાબતમાં પણ સમજવું જોઈએ. એક દિવસ તમારો નિશ્ચય હતો કે આજીવન બ્રહ્મચારી રહીશ અને આજે તમે વિષયભોગથી સહેજ પણ ધરાતા નથી. તે દિવસે નિશ્ચય કરેલો કે અમુક વ્યક્તિનું ખૂન કરી નાખીશ, જ્યારે આજે તેના જિગરી દોસ્ત બની બેઠા છો. તે દિવસે કહી રહ્યા હતા કે કોઈ પણ રીતે ધન મેળવવું જોઈએ, પણ આજે બધું છોડી સંન્યાસી બની રહ્યા છો. એવાં અસંખ્ય પરિવર્તનો થયા કરે છે. શા માટે ? એટલા માટે કે જૂના વિચારો જતા રહ્યા અને નવા વિચારો આવી ગયા.

વિશ્વની દશ્ય અદશ્ય બધી વસ્તુઓની ગતિશીલતાની ધારણા, અનુભૂતિ અને નિષ્ઠા એવો વિશ્વાસ કરાવે છે કે સંપૂર્ણ સંસાર એક છે. એકતાના આધાર પર તેનું નિર્માણ થયેલું છે. મારી પોતાની વસ્તુ કંઈજ નથી અથવા તો આ સમગ્ર વસ્તુઓ મારી છે. નદીના ધસમસતા વહેણ વચ્ચે તમને ઊભા રાખીને પૂછવામાં આવે કે પાણીના કેટલા અને કયા કયા પરમાણુ તમારા છે ? ત્યારે તમે વિચારશો કે પાણીની ધારા સતત વહી રહી છે. પાણીના જે પરમાણુ આ સમયે મારા શરીરને સ્પર્શી રહ્યા છે તે આંખના પલકારામાં ક્યાંના ક્યાં વહી જશે. જળધારા સતત મને સ્પર્શીને જઈ રહી છે, એટલે કાં તો સંપૂર્ણ જળધારાને મારી ગણાવું કે મારું કંઈ જ નથી એમ ગણાવું ?

આ સંસાર જીવન અને શક્તિનો સમુદ્ર છે. જીવ એમાં રહીને પોતાના વિકાસ માટે આગળ વધે છે અને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અપનાવે છે યા તો છોડી દે છે. કુદરત જીવંત છે. જેને આપણે ભૌતિક પદાર્થ કહીએ છીએ તેનાં બધાં પરમાણુ જીવંત છે. તે બધા શક્તિથી ઉત્તેજિત થઈને ચાલે છે, વિચારે છે અને જીવે છે. આ જીવંત સમુદ્રની સત્તાના લીધે જ આપણે બધાં ગતિશીલ છીએ. આપણે બધાં એક જ તળાવનાં માછલાં છીએ. વિશ્વવ્યાપી શક્તિ, ચેતના અને જીવનના પરમાણુ વિભિન્ન અનુભૂતિઓને ઝંકૃત કરી રહ્યા છે.

ઉપરોક્ત અનુભૂતિ આત્માનાં વસ્ત્રો અને સાધનોના વિસ્તાર માટે પૂરતી છે. આપણે વિચારવું જોઈએ કે આ બધાં જ મારું શરીર છે. આ બધાંમાં અને મારા શરીરમાં એક જ ચેતના ઓતપ્રોત થઈ રહી છે. જે ભૌતિક વસ્તુઓ સુધી તમે તમારાપણું મર્યાદિત રાખી રહ્યા છો તેનાથી હવે ઘણે દૂર આગળ વધવાનું છે અને વિચારવાનું છે કે “આ વિશ્વસાગરનાં અમુક જ ટીપાં મારાં છે એ મનનો ભ્રમ છે. મેં એટલું મોટું વસ્ત્ર પહેર્યું છે કે જેના પાલવમાં સમગ્ર સંસાર ઢંકાયેલો છે.” આ આત્મશરીરનો વિસ્તાર છે. તેનો અનુભવ તમને એ કક્ષાએ લઈ જશે, જ્યાં પહોંચેલો માનવી યોગી કહેવાય છે. ભગવદ્ ગીતા કહે છે –

સર્વ ભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મકા સર્વત્ર સમદર્શનઃ ॥

– ગીતા-૬-૨૬

સર્વવ્યાપી અનંત ચેતનામાં એકીભાવથી સ્થિતિરૂપ યોગથી યુક્ત થયેલા આત્માવાળો તથા બધાંને સમભાવથી જોનારો યોગી આત્માને બધાં પ્રાણીઓમાં અને બધાં પ્રાણીઓને આત્મામાં જુએ છે.

આપણાં વસ્ત્રોનો વિસ્તાર સંપૂર્ણ જીવોનાં બાહ્ય સ્વરૂપોમાં આત્મીયતાનો અનુભવ કરે છે. આત્માની આત્માઓમાં આત્મીયતા તો છે જ. આ બધાં એકબીજા સાથે પ૨માત્મસત્તા દ્વારા બંધાયેલાં છે. આ એકતા જ ઈશ્વરની બિલકુલ નજીક છે. અહીં આપણે પરમાત્માના દરબારમાં પ્રવેશ મેળવવાને પાત્ર અને પરમાત્મામાં વિલીન થવાને યોગ્ય બની જઈએ છીએ. આ અવસ્થા વર્ણવી શકાય તેવી નથી. અવર્ણનીય આનંદની ચેતનામાં પ્રવેશ કરવો એ સમાધિ છે અને તેનું ચોક્કસ પરિણામ આઝાદી, સ્વાતંત્ર્ય, સ્વરાજ્ય, મુક્તિ અને મોક્ષ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: