૪. ધન શું છે ?, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય- શ્રીરામ શર્મા આચાર્ય
June 10, 2022 Leave a comment
ધન શું છે ? – શ્રીરામ શર્મા આચાર્ય
ધનવાન બનતાં પહેલાં વિચારવું જોઈએ કે આ ધન શું છે ? અને તેને કેવી રીતે મેળવી શકાય છે? ફક્ત રૂપિયા, પૈસા કે સોના-ચાંદીના ટૂકડા જ ધન નથી. નથી તો આ બધાં સૌભાગ્ય સાથે આવતાં કે નથી દુર્ભાગ્ય સાથે જતાં રહેતાં. પ્રાચીન સમયમાં રૂપિયા-પૈસાનું ચલણ ન હતું. વસ્તુ વિનિમય ચાલતો અથવા શ્રમનું વસ્તુમાં પરિવર્તન થતું હતું. જેમ કે એક વ્યક્તિ આઠ કલાક પરિશ્રમ કરે તો તેના બદલામાં તેને પાંચ કિલો અનાજ આપવામાં આવે. આ થયું શ્રમથી વસ્તુનું પરિવર્તન. વસ્તુથી વસ્તુનું પરિવર્તન એટલે એક વ્યક્તિ પાસે ગોળ છે અને તેને ધી જોઈએ છે. તો તે સાત શેર ગોળ આપીને એક શેર ઘી મેળવી લે. વસ્તુ રાખવામાં, લાવવા-લઈ જવામાં તકલીફ પડતી હતી આથી તેનું સ્થાન રૂપિયા પૈસાએ લઈ લીધું. વસ્તુઓ પણ મહેનતથી જ પેદા થાય છે.
આથી અદૃશ્ય પરિશ્રમ તત્ત્વનું દૃશ્ય સ્વરૂપ ધન છે. ધન એ જ વસ્તુ છે. એક મહિનો નોકરી કરવાથી ૧૦૦ રૂપિયા મળે એનો અર્થ છે સો રૂપિયામાં ખરીદવાની વસ્તુઓ મળી. ધન ઉપાર્જનનો અર્થ આપણે એ સમજવાનો નથી કે રૂપિયા પૈસા કોઈ અચાનક મળી જતી વસ્તુ છે અને આમની આમ પડેલી ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે.
માની લો કો તમને એક કલાક કામ કરવાના બદલામાં એક શેર અનાજ મળે છે. હવે તમે ઈચ્છો છો કે મારી પાસે પાંચ મણ અનાજ ભેગું થઈ જાય. તો એના માટે તમારે બે ઉપાય કરવા પડશે. વધુમાં વધુ મહેનત અને ઓછામાં ઓછુ ખર્ચ. દશ કલાક કામ કરશો તો આઠ શેર અનાજ બચી જશે. આ રીતે બાર દિવસમાં પાંચ મણ અનાજ ભેગું થઈ જશે. ભેગું કરવા માટેનો આ જ એક સીધો સાદો ઉપાય છે.
જો તમે ઓછા સમયમાં વધારે ધન ભેગું કરવા ઈચ્છતા હો તો ઉપાર્જન શક્તિ વધારો. ફક્ત શારીરિક પરિશ્રમથી જ નહીં, પરંતુ માનસિક યોગ્યતા તથા પરિશ્રમના બદલામાં પણ પૈસા મળે છે. સાચી વાત તો એ છે કે શારીરિક શ્રમ કરતાં માનસિક શ્રમનું મહત્ત્વ હજાર ઘણું વધારે છે. ભાર ઉપાડનાર કૂલી નિશ્ચિત સીમાથી વધુ પૈસા કમાઈ શકતો નથ, પરંતુ બુદ્ધિયુક્ત શ્રમની બાબતમાં આ પ્રતિબંધ નથી. કૂલી કરતાં વેપારી શરીરથી ઓછી મહેનત કરે છે. પણ બુદ્ધિથી વધુ કામ કરે છે. કામની પણ વિવિધ કક્ષાઓ હોય છે. જેમ કે એક પંખો ખેંચનાર કરતાં મિલના મશીન ઉપર કામ કરનાર મજૂરને વધારે પગાર મળતો હોય છે. એ જ રીતે સામાન્ય બુદ્ધિ કરતાં વિશેષ યોગ્યતાયુક્ત બુદ્ધિનું વિશેષ મહત્ત્વ હોય છે. જે લોકો ખૂબ ઝડપથી પૈસા કમાય છે, તે તેમની બુદ્ધિની ઉત્તમતાની જ કીમત છે.
સદ્ગુણો તીક્ષ્ણ બુદ્ધિ કરતાંય વધારે કીમતી છે. ખૂબ શારીરિક અથવા માનસિક મહેનત કરવાથી તથા તીક્ષ્ણ બુદ્ધિ અથવા પ્રકાંડ વિદ્યાના બદલામાં જ વધારે પૈસા મળે છે અને તેને વ્યવસ્થિત રીતે ખર્ચ કરવાથી ધનવાન બને છે; પરંતુ સદ્ગુણોનું મહત્ત્વ આનાથી પણ ઊંચું છે. ઈમાનદારી, ઉદારતા, પ્રેમ, કર્તવ્ય નિષ્ઠા આ બધાંની સાથે બીજો કોઈ ગુણ નથી તો કોઈ ચિંતા નથી. જો કે જાડી બુદ્ધિના માનવીઓને એવું કહેતા પણ સાંભળ્યા છે કે, આ જમાનો ખરાબ છે, અત્યારે તો કપટી અને બેઈમાન તથા ભ્રષ્ટાચારી જ ધનવાન બની શકે છે, પરંતુ તેમનો આ વિચાર માત્ર ભ્રમ છે. બેઈમાનીથી કોઈને એક કે બે વાર છેતરી શકાય છે પણ પછીથી તેને પડખે કોઈ જ ઊભું રહેતું નથી. સત્યમાં આનાથી ઉલટો ગુણ છે. શરૂઆતમાં સત્યનિષ્ઠ વ્યક્તિની આવક ભલેને ઓછી હોય, પણ અંતમાં તે જૂઠી અને બેઈમાન વ્યક્તિ કરતાં વધારે લાભમાં હશે. અમેરિકાના એક પ્રસિદ્ધ ધનકુબેરનું કથન છે કે, “મારા વહીવટે કરેલી ઉન્નતિ સત્યપૂર્ણ વેપારની લીધે છે. અમે ખરાબ માલ આપીને અથવા વધારે પૈસા લઈને આજ સુધી કોઈ પણ ગ્રાહકને નારાજ કર્યો નથી. એક બીજા કારખાનાવાળાનું કહેવું છે કે, “ઓછો નફો, સારો માલ અને સર્વ્યવહાર” આ ગુપ્ત સિદ્ધાંતો છે જેને અપનાવીને અમારું નાનકડું કારખાનું આટલું મોટું બની ગયું. બજારનો વિશ્વાસ છે, જેના આધારે ઉધાર માલ મળી રહે છે. શું ઈમાનદારી વગર મળવું શક્ય છે ? થોડાક દિવસમાં વધારે મેળવી લેવાની ઈચ્છામાં ગેરરીતિનો વ્યવહાર કરનાર એ મૂર્ખનો ભાઈ છે, જેને એક જ દિવસમાં ધનવાન થવા માટે રોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીનું પેટ ચીરી નાખ્યું હતું.
દુઃખની વાત તો એ છે કે લોકો બુદ્ધિ અને પરિશ્રમને જ ઉપાર્જનનું મુખ્ય સાધન સમજે છે અને એ ભૂલી જાય છે કે આ બંનેના મૂળમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ ચરિત્રબળ છે. જૂઠી જાહેરાતોના કારણે કરોડો રૂપિયાવાળી કંપનીઓ ઊઠી જતાં જોઈ છે, અને સચ્ચાઈ પર નિર્ભર રહેનાર નાના વેપારીનો ધંધો દિન-રાત વધતો રહે છે. દુનિયા સત્યનિષ્ઠને ભલેને મૂર્ખ સમજે, પણ ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. ધર્મ પર આશ્રિત વ્યક્તિની ધર્મ રક્ષા કરે છે સુદામા માટે કૃષ્ણ, નરસિંહ માટે શામળિયો શેઠ, પ્રતાપ માટે ભામાશા, ગૌતમ બુદ્ધ માટે અશોક બની તે આવી જાય છે અને તેના કોઈ કામને અટકવા દેતો નથી. બુદ્ધિમાન વેપારી એક દિવસમાં જ બધાનાં ખીસ્સા કાપીને ધન ભેગું કરી લેવાનું ઈચ્છતો નથી, પરંતુ પોતાની પ્રામાણિકતા તથા ઉત્તમત્તાની સંસારની સામે પરીક્ષા આપે છે અને સવાયો પાર ઊતરે છે. આ પરીક્ષા તેને સમૃદ્ધ બનવાનું પ્રમાણપત્ર આપે છે.
જો તમે કોઈ એવો ધંધો કરી રહ્યા હોય, જેમાં ગ્રાહકોને છેતરવા પડતા હોય અથવા તમે કોઈ એવી નોકરી કરી રહ્યા હોય જેમાં ગ્રાહકોને ઠગવામાં તમારું તન, મન લગાવવું પડે તેમ હોય તો આજે જ તેને જ છોડી દો. જો આત્માના અવાજને કચડીને તમે રોટલો મેળવતા હોય, તો ભૂખે મરી જાઓ પણ આ રીતે કમાવાનું બંધ કરો. આત્માનું માંસ કાપીને શરીરને ખવડાવવું મોઘું પડી જશે. રેશમી વસ્ત્રો પહેરો નહીં, કંતાનને અંગે લપેટી રાખો. ષટ્સ ભોજન ખાઓ નહીં. સૂકો રોટલો ખાઈને પાણી પીઓ. આલિશાન બંગલામાં રહો નહીં. તૂટીફૂટી ઝૂંપડીમાં જ ગુજારો કરી લો, પણ અધર્મનો પૈસો લો નહીં. કારણ કે જે સંપત્તિ બીજાને રોવડાવીને લેવામાં આવે છે, તે ચિત્કાર કરીને વિદાય લે છે. આવું ધન કોઈ પણ રીતે તે ધન કહેવાતું નથી. આપ ધનવાન જરૂર બનો, પણ પોતાની યોગ્યતા અને પરિશ્રમશીલતાને વધારીને, ખર્ચમાં કરકસર કરીને અને ઈમાનદારીને દઢતાપૂર્વક પકડી રાખીને તમે સંપત્તિવાન બની જશો. પછી ભલેને આપની પાસે સો પૈસા જ જમા કેમ ન હોય, પણ તે સો સોનામહોરોની જેમ આનંદદાયક સિદ્ધ થશે.
પ્રતિભાવો