AA-05 : એકતાનો અનુભવ કરવાનો અભ્યાસ, હું કોણ છું?
June 10, 2022 Leave a comment
એકતાનો અનુભવ કરવાનો અભ્યાસ, હું કોણ છું?
ધ્યાનમગ્ન થઈને ભૌતિક જીવનપ્રવાહ પર ધ્યાન ધરો. અનુભવ કરો કે સમસ્ત બ્રહ્માંડોમાં એક જ ચેતનાશક્તિ વહી રહી છે અને તેમાંથી જ પાંચ તત્ત્વો બન્યાં છે. ઇન્દ્રિયો દ્વારા જુદા જુદા પ્રકારનાં જે સુખદુઃખોનો અનુભવ થાય છે તે એ તત્ત્વોની જુદીજુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે, જે ઇન્દ્રિયોના તારો સાથે ટકરાઈ અલગ અલગ પરિસ્થિતિઓ અનુસાર ઝંકાર ઉત્પન્ન કરે છે. બધા લોકોનું મૂળ તત્ત્વ એક જ છે અને બીજાની જેમ હું પણ તેમાંથી ગતિ મેળવી રહ્યો છું. આ એક કામળો છે, જેમાં લપેટાઈને આપણે બધાં બાળકો બેઠાં છીએ. આ સત્ય હકીકતને સારી રીતે કલ્પનામાં લાવો, બુદ્ધિથી આ સ્થિતિનો બરાબર અનુભવ કરો, સમજો અને હૃદયમાં ઉતારી લો.
સ્થૂળ ભૌતિક પદાર્થોની એકતાનો અનુભવ કર્યા બાદ સૂક્ષ્મ માનસિક તત્ત્વોની એકતાની કલ્પના કરો. તે પણ ભૌતિક દ્રવ્યની જેમ એક જ તત્ત્વ છે અને તમારું મન એક વિરાટ મનનું એક ટીપું માત્ર છે. જે જ્ઞાન અને વિચાર મગજમાં ભરેલાં છે તે હકીકતમાં તો બધે જ વ્યાપેલા જ્ઞાન અને વિચારધારાના થોડાક પરમાણુ માત્ર છે અને તેમને પુસ્તકો દ્વારા, ગુરુમુખેથી કે આકાશમાં વહેતા ઈથરના પ્રવાહમાંથી પ્રાપ્ત કર્યા છે. આ પણ એક અખંડ ગતિમાન શક્તિ છે અને તેનો ઉપયોગ કાચબાની જેમ કરીએ છીએ.
નદીને તળિયે પડી રહેલો કાચબો અવિરત ગતિએ વહેતા નદીના જળમાંથી થોડું પાણી પીએ છે અને પછી તેમાં જ મૂત્ર રૂપે ત્યાગ કરી દે છે તેવું તમે કરી રહ્યા છો. આ સત્યને હૃદયમાં પચાવો અને મગજમાં સ્પષ્ટ રીતે આંકી લો.
પોતાનાં શારીરિક અને માનસિક વસ્ત્રોના વિસ્તારની ભાવના દૃઢ થતાં જ સંસાર તમારો અને તમે સંસારના બની જશો, કોઈ વસ્તુ પરાઈ નહીં લાગે. આ બધું જ મારું છે અને મારું આમાનું કંઈ જ નથી. એ બે વાક્યોમાં તમને કોઈ ફરક નહીં લાગે. વસ્ત્રોની ઉપર આત્માને જુઓ. આત્મા નિત્ય, અખંડ, અમર, અપરિવર્તનશીલ અને એકરસ છે. તે જડ, અવિકસિત, નીચ પ્રાણીઓ, તારા, ગ્રહો, બ્રહ્માંડોને પ્રસન્નતાથી અને આત્મીયતાથી જુએ છે. પારકો, તિરસ્કારને પાત્ર કે ઘૃણાને પાત્ર, છાતીએ લગાડવાને પાત્ર કોઈ પદાર્થને જોતો નથી, પોતાનું ઘર અને પક્ષીઓના માળામાં તેને કોઈ ફરક લાગતો નથી. આવી ઉચ્ચ કક્ષાએ પહોંચી જવું એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ અથવા પરમાત્માને માટે જ નહીં, પણ સાંસારિક લાભ માટે પણ જરૂરી છે. ઊંચાઈના આ શિખરે પહોંચી માનવી સંસારના સાચા રૂપને ઓળખી શકે છે અને તેવી પરિસ્થિતિઓમાં કોની સાથે કેવો વ્યવહાર કરવો તે પણ જાણી શકે છે. સદ્ગુણોનો ખજાનો શોધવો પડતો નથી. ઉચ્ચ ક્રિયાઓ, કુશળતા, સદાચાર વગેરે શીખવાં પડતાં નથી, પણ ફક્ત આ જ વસ્તુઓ તેની પાસે બાકી રહે છે
અને જીવનને દુઃખી બનાવનારો ખરાબ સ્વભાવ ક્યાંનો ક્યાંય નાસી જાય છે.
અહીં પહોંચેલો માનવી સ્થિતપ્રજ્ઞ બની જાય છે. તે જુએ છે કે બધા અવિનાશી આત્માઓ જે અત્યારે સ્વતંત્ર, તેજ સ્વરૂપ અને ગતિવાન દેખાય છે તે બધાંની મૂળ સત્તા એક જ છે. અલગ અલગ ઘડાઓમાં એક જ આકાશ તત્ત્વ ભરેલું છે અને જળપાત્રોમાં એક જ સૂર્યનું પ્રતિબિંબ ઝળકી રહ્યું છે. જોકે બાળકનું શરીર અલગ છે, છતાં તેના બધા જ અવયવો તેના માબાપના અંશથી જ બનેલા છે. આત્મા સત્ય છે, પણ તેની સત્યતા પરમેશ્વર છે. વિશુદ્ધ અને મુક્ત આત્મા પરમાત્મા છે, આટલે પહોંચી જીવ કહે છે. “સોહમસ્મિ’ એટલે કે તે પ૨માત્મા હું છું. તેને અનુભૂતિ થઈ જાય છે કે સંસારનાં બધાં સ્વરૂપોની નીચે એક જીવન, એક બળ, એક સત્તા તથા એક વાસ્તવિકતા છુપાયેલી છે.
સાધકોને ચેતનામાં જાગૃત થવા વારંવાર અપીલ કરું છું, કારણ કે “હું શું છું ? આ સત્યતાનું જ્ઞાન મેળવવું એ સાચું જ્ઞાન છે. જેણે સાચું જ્ઞાન મેળવી લીધું છે તેનું જીવન પ્રેમ, દયા, કરુણા, સહાનુભૂતિ, સત્ય અને ઉદારતાથી ભરેલું હોવું જોઈએ. શેખચલ્લીની કલ્પનાર કે પોપટિયા ગોખણપટી કે પોથીપાઠથી શો લાભ મળી શકે ? સાચી સહાનુભૂતિ જ સાચું જ્ઞાન છે અને સાચા જ્ઞાનની પરીક્ષા જીવનવ્યવહારમાં તેને ઉતારવામાં જ હોઈ શકે.
આ પાઠના મુદ્દા
– મારી ભૌતિક વસ્તુઓ એક મહાન તત્ત્વની ઝલક માત્ર છે.
– મારી માનસિક વસ્તુઓ એક અખંડ માનસતત્ત્વનો અંશ માત્ર છે.
– ભૌતિક અને માનસિક તત્ત્વો નિર્વિઘ્ને વહી રહ્યાં છે, તેથી મારી વસ્તુઓને કોઈ જ બંધન નથી. સમસ્ત બ્રહ્માંડની વસ્તુઓ મારી છે.
– અવિનાશી આત્મા પરમાત્માનો જ અંશ છે અને વિશુદ્ધ રૂપમાં આત્મા પરમાત્મા જ છે. – હું વિશુદ્ધ થઈ ગયો છું, ૫૨માત્મા અને આત્માની એકતાનો અનુભવ કરી રહ્યો છું “સોહમસ્મિ – હું તે છું”
પ્રતિભાવો