AA-05 : પહેલો અધ્યાય – આત્મબોધ, હું કોણ છું ?
June 10, 2022 Leave a comment
પહેલો અધ્યાય : હું કોણ છું?
કઃ કાલ કાનિ મિત્રાણિ કો દેશઃ કૌ વ્યયાડડગમૌ । કૠારૂં કા ચ મે શક્તિરિતિચિન્હેં મુહુર્મુહુઃ ॥ – ચાણક્ય નીતિ-૫-૧૮ –
કયો સમય છે, મારા મિત્રો કોણ છે, શત્રુ કોણ છે, કયો દેશ (સ્થાન) છે, મારી આવક તથા ખર્ચ શું છે, હું કોણ છું, મારી શક્તિ કેટલી છે વગેરે બાબતોનો બરાબર વિચાર કરતા રહો. બધા તત્ત્વદર્શીઓએ જ્ઞાનનું એક જ સ્વરૂપ બતાવ્યું છે અને તે છે “આત્મબોધ’ પોતાના સંબંધમાં પૂરી જાણકારી મેળવી લીધા પછી આ સંસારમાં કંઈ જાણવા જેવું બાકી રહેતું જ નથી. જીવ હકીકતમાં ઈશ્વર જ છે. વિકારોમાં બંધાઈ જવાના કારણે તે વિકૃત સ્વરૂપે દેખાય છે, પરંતુ તેની અંદર તો અમૂલ્ય ખજાનો છુપાયેલો છે. તે શક્તિનું કેન્દ્ર છે અને તે એટલો સક્ષમ છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. આ દુનિયાનાં બધાં દુઃખોનું મૂળ કારણ એ છે કે આપણે પોતાની જાતને જાણતા નથી. જ્યારે આત્મસ્વરૂપને ઓળખી લઈએ છીએ ત્યારે કોઈ દુઃખ રહેતું નથી. આત્મસ્વરૂપનો અનુભવ કર્યા પછી તે કહે છે –
નાહં જાતો જન્મ મૃત્યુઃ કુતો મે, નાહં પ્રાણઃ ક્ષુત્પિપાસા કુતો મે । નાહં ચિત્તું શોકમોહો કુતો મે, નારૂં કર્તા બંધમોક્ષૌ કુતો મે હું ઉત્પન્ન થયો જ નથી, પછી મારાં જન્મ અને મૃત્યુ કેવાં ? હું પ્રાણ નથી, તો પછી મને ભૂખતરસ ક્યાંથી
લાગે ? હું ચિત્ત નથી, તો પછી મને શોક અને મોહ શેના ?
હું કર્તા નથી, તો પછી મારે બંધન અને મોક્ષ કેવાં ? જ્યારે તે જાણી જાય છે કે હું કોણ છું ? ત્યારે તેને વાસ્તવિક જ્ઞાન થાય છે અને બધી વસ્તુઓને સાચા સ્વરૂપે જોઈ તેનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. ગમે તે દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો સમજાશે કે આત્મજ્ઞાન જ સર્વસુલભ અને સર્વોચ્ચ જ્ઞાન છે.
કોઈ વ્યક્તિને એમ પૂછવામાં આવે કે આપ કોણ છો ? એટલે તરત એ વ્યક્તિ પોતાની જાતિ, કુળ, ધંધો, હોદ્દો કે સંપ્રદાયનો પરિચય આપી દેશે. “હું બ્રાહ્મણ છું, પટેલ છું, ઠાકોર છું, વૈષ્ણવ છું, જમીનદાર છું, વેપારી છું વગેરે જવાબ આપશે. વધુ પૂછતાં તે પોતાનાં નામઠામ વગેરે વિગતોની ઊંડાણથી માહિતી આપશે. પ્રશ્ન પૂછયો એટલે આવો જવાબ મળ્યો એવું નથી. હકીકતમાં જવાબ આપનાર પોતાની જાતને એવો જ માને છે. શરીરભાવમાં માનવી એટલો તલ્લીન થઈ ગયો છે કે તે પોતાની જાતને શરીર જ માની બેઠો છે.
વંશ, વર્ણ, ધંધો કે હોદ્દો શરીરનો હોય છે. શરીર એ માનવીનું વસ્ત્ર અથવા હથિયાર છે, પણ ભ્રમ અને અજ્ઞાનના લીધે માનવી પોતાને શરીર જ માને છે અને શરીરના સ્વાર્થને પોતાનો સ્વાર્થ માની લે છે. આ ગૂંચવણમાં જ જીવન અનેક પ્રકારની અશાંતિ, ચિંતાઓ અને આધિ, વ્યાધિ તથા ઉપાધિઓનું ઘર બની જાય છે. માનવી શરીરમાં રહે છે એ સાચું છે, પણ શરીર એ માનવી નથી એ પણ એટલું જ સાચું છે. જીવનના અંતકાળે જ્યારે પ્રાણ નીકળી જાય છે ત્યારે શરીર જેમનું તેમ પડી રહે છે. તેમાં કોઈ વસ્તુ ખૂંટતી ન હોવા છતાં મૃત શરીર બેકાર બની જાય છે. થોડો સમય રહેવા દેતાં લાશ સડવા લાગે છે, દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને તેમાં જીવાત પડી જાય છે. શરીર તેનું તે જ છે. જ્યાંનું ત્યાં જ છે, છતાં પ્રાણ નીકળી જતાં તેની આવી દુર્દશા થાય છે. આ સાબિત કરે છે કે માનવી શરીરમાં નિવાસ તો કરે જ છે, પણ હકીકતમાં તે શરીરથી જુદો છે. આ જુદા અસ્તિત્વને “આત્મા” કહે છે. વાસ્તવમાં તે જ મનુષ્ય છે. હું કોણ છું? નો સાચો જવાબ એ છે કે “હું આત્મા છું”
શરીર અને આત્મા જુદા છે તેવી વાતો આપણે બધાં સાંભળીએ છીએ, તેને માનીએ છીએ. કદાચ કોઈ એવો વિરોધ કરે કે શરીરથી જીવ જુદો નથી. આપણે સૈદ્ધાંતિક રીતે તો માનીએ છીએ કે જીવ અને શરીર અલગ અલગ છે, પણ વ્યવહારમાં આપણે એવું કરતા નથી. પોતે જ શરીર છે એવો વ્યવહાર બધાં કરતાં હોય છે. શરીરને થયેલ નુકસાનને પોતાનું નુકસાન માની લે છે અને તેને થયેલો લાભ પોતાને થયો છે તેમ માને છે. કોઈ વ્યક્તિને ઝીણવટથી જોઈએ અને નોંધીએ કે તે શું વિચારે છે ? શું કહે છે ? શું કરે છે ? તો ખબર પડશે કે તે પોતાના શરીર સંબંધે જ વિચારે છે. એને લગતી જ વાતો કરે છે અને પોતાના શરીરને કેન્દ્રમાં રાખી કામ કરે છે, એણે શરીરને જ “હું” માની લીધું છે. શરીર આત્માનું મંદિર છે. તેની સ્વસ્થતા, સ્વચ્છતા અને સગવડો માટે કામ કરવું જરૂરી છે, છતાં આપણે આપણા શરીર માટે જ વિચારીએ, એને જ આપણું રૂપ માની લઈએ અને આપણા વાસ્તવિક રૂપને ભૂલી જઈએ છીએ એ ખોટું છે. પોતાની જાતને શરીર માની લેતાં શરીરને થતાં લાભ નુકસાનને પોતાનાં માની લઈએ છીએ અને વાસ્તવિક હિતને ભૂલી જઈએ છીએ. આ ભુલભુલામણીનો ખેલ જીવનને ઝેર જેવું બનાવી દે છે.
આત્મા શરીરથી જુદો છે. શરીર અને આત્માના સ્વાર્થ પણ જુદા જુદા છે. શરીરના સ્વાર્થોનું પ્રતિનિધિત્વ ઇન્દ્રિયો કરે છે. દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન આ બધાં શરીરને કેન્દ્રમાં રાખીને જ વિચારે છે અને કામ કરે છે. સ્વાદિષ્ટ ભોજન, સુંદર કપડાં, મનોહર દશ્ય, મધુર સંગીત, સ્વરૂપવાન પત્ની એવા કેટલાય પ્રકારના ભોગવિલાસની એ ઇન્દ્રિયોને આકાંક્ષાઓ હોય છે. ઊંચું પદ, હોદ્દો, અઢળક ધનસંપત્તિ, પ્રતિષ્ઠા, ઠાઠમાઠ આ બધી મનની આકાંક્ષાઓ છે. આ બધી ઇચ્છાઓ સંતોષવામાં જ સમગ્ર જીવન ખર્ચાઈ જાય છે. જ્યારે આ ઇચ્છાઓ તીવ્ર બને છે ત્યારે માનવી કોઈ પણ ભોગે તેમને સંતોષવાનું નક્કી કરે છે. સારાનરસાનો ભેદ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે અને તે કોઈ પણ ભોગે સ્વાર્થ સાધે છે. બધાં પાપોનું મૂળ કેન્દ્રબિંદુ જ આ છે.
શરીરભાવમાં જાગૃત રહેતો માનવી જો આહાર, ઊંઘ, ભય અને મૈથુનનાં સામાન્ય કાર્યોમાં રચ્યોપચ્યો રહે તો એવું પશું જેવું જીવન જીવવાનો કાંઈ અર્થ નથી. એમાંય જો તેની ઇચ્છાઓ થોડી તીવ્ર બને, તે ઉત્સુક બને તો તે માણસ પશુ નહીં, પરંતુ શેતાન બની જાય છે. અનીતિપૂર્વક સ્વાર્થ સાધતાં તે સહેજેય ખચકાતો નથી કે ડરતો નથી. આ રીતે માણસ જાતે સુખી રહી શકતો નથી અને બીજાને સુખેથી રહેવા દેતો નથી. કામ અને લોભ એવાં તત્ત્વો છે કે તેમને કેટલાય ભોગ આપો છતાં તે અતૃપ્ત જ રહે છે. જેટલું ભોગવે છે એટલી જ તૃષ્ણાની સાથોસાથ અશાંતિ, ચિંતા, કામના અને વ્યાકુળતા વધ્યા કરે છે. આ ભોગોથી જે સુખ મળે છે તેનાથી અનેકગણું દુઃખ મળે છે અને આગળ જતાં પાપ, તાપ, તૃષ્ણા તથા અશાંતિ તરફ માનવીને ઢસડી જાય છે.
જીવનની વાસ્તવિક સફળતા અને સમૃદ્ધિ આત્મભાવમાં જાગૃત રહેવામાં છે. જ્યારે માનવી પોતાને આત્મા માને છે ત્યારે તેની ઇચ્છા, આકાંક્ષા અને લગન જેનાથી આધ્યાત્મિક સુખ મળે છે તેવાં કાર્યો પ્રત્યે વળે છે. આપણે જોઈએ છીએ કે ચોરી, હિંસા, વ્યભિચાર, છળકપટ કે અનીતિભર્યાં કાર્યો કરતાં અંતઃકરણમાં જે એક પ્રકારનો ખળભળાટ મચી જાય છે, પાપ કરતાં પગ ધ્રૂજે છે અને હૃદયના ધબકારા વધી જાય છે, એનો અર્થ એ થાય છે કે આવાં કૃત્યોને આપણો આત્મા પસંદ કરતો નથી. આવાં કૃત્યો આત્માના સ્વાર્થ અને ઉત્કર્ષની વિરુદ્ધ છે, પણ જ્યારે માનવી પરોપકાર, પરમાર્થ, સેવા, મદદ, દાન, ઉદારતા, ત્યાગ અને તપથી ભરેલાં પુણ્યકાર્યો કરે છે ત્યારે તે ખૂબ જ સંતોષ, હળવાશ, શાંતિ, આનંદ અને ઉલ્લાસ અનુભવે છે. આનો અર્થ એ થાય છે કે આવાં પુણ્યકર્મો આત્માના સ્વાર્થનાં છે, આત્માના ઉત્કર્ષ માટેનાં છે અને આત્મા આવાં જ કાર્યો પસંદ કરે છે. આત્માનો અવાજ સાંભળનાર અને તે પ્રમાણે ચાલનાર હંમેશાં પુણ્યકર્મ કરે છે. પાપ તરફ તેમની પ્રવૃત્તિ હોતી નથી અને તેથી જ તેઓ નીચ કાર્ય કરતા નથી.
આત્માને સત્કર્મોથી તરત જ સુખ મળે છે. શરીરનું મૃત્યુ થયા બાદ જીવને સદ્ગતિ મળે તે માટે કરેલાં કાર્યો સત્કર્મ જ હોય છે. આલોક અને પરલોકમાં આત્મિક સુખશાંતિ સત્કર્મોના આધારે જ મળે છે. આ માટે આત્માનો સ્વાર્થ પુણ્યકર્મોમાં હોય છે. શરીરનો સ્વાર્થ તેનાથી વિરુદ્ધ છે. ઇન્દ્રિયો અને મન સંસારના ભોગો વધુ વધુ ભોગવવા ઇચ્છે છે. આ કાર્યપ્રણાલી અપનાવવાથી માનવી નાશવંત શરી૨ની ઇચ્છાઓ પૂરી કરવામાં જ પોતાનું જીવન ખર્ચી નાખે છે અને પાપનાં પોટલાં બાંધ્યે રાખે છે. એનાથી શરીર અને મનને તો આનંદ મળે છે, પણ આત્માએ આલોક અને પરલોકમાં યાતનાઓ જ ભોગવવી પડે છે. આત્માના સ્વાર્થનાં કાર્યોમાં શરીરે પણ દુ:ખ તથા કષ્ટ ભોગવવાં પડે છે. તપ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્ય, સેવા, દાન વગેરે કાર્યોથી શરીરની કડક પરીક્ષા થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે શરીરનો સ્વાર્થ અને આત્માનો સ્વાર્થ તદ્દન વિરોધી છે. એ બે વચ્ચે મેળ ખાતો નથી. એકનું દુ:ખ બીજાનું સુખ બની રહે છે. આ બે પરસ્પર વિરોધી તત્ત્વોમાંથી આપણે ગમે તે એક ૫૨ પસંદગીનો કળશ ઢોળવાનો છે. જે વ્યક્તિ પોતાને શરીર માને છે તે આત્માના સુખની પરવા કરતી નથી અને શરીરસુખ માટે ભૌતિક સંપત્તિ તથા ભોગસામગ્રી એકઠી કરવામાં જ આખું જીવન વેડફી નાખે છે. આવા લોકોનું જીવન પશુવત્, પાપરૂપ અને નીચ કક્ષાનું હોય છે. ધર્મ, ઈશ્વર, સદાચાર, પરલોક, પુણ્ય, પરમાર્થ વગેરેની ચર્ચા તેઓ ભલે કરે. પણ વાસ્તવમાં તેમનું પુણ્ય અને પરલોક તેમના અંગત સ્વાર્થમાં જ હોય છે. પ્રતિષ્ઠા માટે પોતાનું અભિમાન સંતોષવા તથા બીજા પર ધાક જમાવવા તેઓ ક્યારેક ધર્મનો આશરો લે છે. આમ તો તેમનું મન સદાય શરીરનો સ્વાર્થ સાધવામાં જ લાગેલું હોય છે, પણ જ્યારે મનુષ્ય આત્માના સ્વાર્થને સ્વીકારે છે ત્યારે તેની પરિસ્થિતિ સમૂળગી બદલાઈ જાય છે. ભોગ અને એશઆરામ એને બાળકોની રમત જેવાં લાગે છે. શરીર, જે ખરેખર તો આત્માનું વસ્ત્ર કે હથિયાર છે તેવા અમૂલ્ય જીવનને તે બરબાદ કરવા તૈયાર થતો નથી. આત્મભાવમાં જાગૃત માનવી પોતાની જાતને આત્મા માને છે અને । આત્મકલ્યાણનાં,આત્માની ભૂખ સંતોષવાનાં કાર્યોમાં જ તેને રસ પડે છે અને તેવાં કાર્યો કરવા તે પ્રયત્નશીલ રહે છે. તેને આવાં પુણ્યકાર્યોમાં પોતાના સમયની એકેએક ક્ષણનો ઉપયોગ કરવાની તમન્ના રહે છે. આ રીતે શરીરભાવમાં પ્રવૃત્ત માનવીનું જીવન પાપ તથા પશુતા તરફ ઢસડાય છે, જ્યારે આત્મભાવમાં જાગૃત માનવીનું જીવન પુણ્ય તરફ, દેવત્વ તરફ વળે છે. બધા જાણે છે કે આલોક અને પરલોકમાં પાપનું પરિણામ દુઃખના રૂપમાં જ અને પુણ્યનું પરિણામ સુખના રૂપમાં જ ભોગવવું પડે છે. પોતાને આત્મા માનનાર માનવી સદા પરમાનંદની સ્થિતિનો રસાસ્વાદ માણતો રહે છે.
જેને આત્મજ્ઞાન થઈ જાય છે તે નાની મોટી ઘટનાઓથી પ્રભાવિત થતો નથી. એવા બનાવોથી તે ઉત્તેજિત થતો નથી કે વિહ્વળ પણ થતો નથી. લાભ, નુકસાન, જીવન, મરણ, વિરહ, મિલન, માન, અપમાન, લોભ, કામ, ક્રોધ, ભોગ, રાગ, દ્વેષ વગેરેનો કોઈ પણ બનાવ તેને વિચલિત કરી શકતો નથી, કારણ કે તે જાણે છે કે આ બધા બનાવો પરિવર્તનશીલ સંસારમાં રોજ બન્યા કરે છે. ઇચ્છિત વસ્તુ કે પરિસ્થિતિ સદાય પ્રાપ્ત થતી નથી. કાળચક્રના પરિવર્તન સાથે સાથે અનિચ્છિત ઘટનાઓ પણ બન્યા કરે છે. તેથી આવાં પરિવર્તનોને, આવા બનાવોને એક મનોરંજનની જેમ, નાટકના રંગમંચની જેમ, કુતૂહલ અને હળવાશથી મૂલવવાં જોઈએ. આત્મજ્ઞાની કોઈ અજૂગતી ઘટના બનતાં બેચેન થતો નથી. તે આવાં માનસિક સંકટોથી સહજ રીતે બચી જાય છે, જ્યારે આવા જ પ્રસંગોથી શરીરભાવવાળો માનવી સદા વ્યથિત અને બેચેન રહે છે, ક્યારેક ઉત્તેજિત થઈ આત્મહત્યા જેવાં પગલાં પણ ભરે છે.
જીવનને શુદ્ધ, સરળ, સ્વાભાવિક તેમ જ પુણ્ય પ્રતિષ્ઠાથી ભરપૂર બનાવવાનો એક જ રાજમાર્ગ છે કે આપણે આપણા શરીરભાવમાંથી ઊંચા ઊઠીએ અને આત્મભાવમાં જાગૃત થઈએ. તેનાથી સાચું સુખ, શાંતિ અને જીવનલક્ષ્યની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મવિદ્યાના તત્ત્વચિંતકોએ આ તથ્યનો ખૂબ અનુભવ કર્યો છે અને તેથી પોતાની સાધનામાં પ્રથમ સ્થાન આત્મજ્ઞાનને જ આપ્યું છે. હું કોણ છું ? આ પ્રશ્ન પર વિચાર કરતાં ફક્ત એક જ જવાબ મળે છે કે હું આત્મા છું. આ ભાવ જેટલો દૃઢ હોય તેટલા જ તેના વિચારો અને કાર્યો આધ્યાત્મિક અને પુણ્યશાળી બનતાં જાય છે. આ પુસ્તકમાં એવી જ સાધનાઓ બતાવી છે, જેના દ્વારા આપણે આપણા આત્મરૂપને ઓળખીએ અને હૃદયમાં કંડારી લઈએ. આત્મજ્ઞાન થતાં એ સાચો માર્ગ મળે છે, જેના પર ચાલી આપણે જીવનલક્ષ્યને, પરમપદને સહેલાઈથી મેળવી શકીએ છીએ.
આત્મસ્વરૂપને ઓળખવાથી મનુષ્ય જાણી જાય છે કે હું સ્થૂળ અથવા સૂક્ષ્મ શરીર નથી, આ મારાં કપડાં છે. મનની ઇચ્છાઓ, એની ચેતના એ મારાં ઓજારો છે. તે મારું બંધન નથી. હું તે બધાંથી બંધાયેલો નથી. સાચી વાત સમજાતાં જ બધો ભ્રમ ભાંગી જાય છે અને વાંદરો મુઠ્ઠીમાંનું અનાજ છોડી દે છે. આપે એ વાત સાંભળી હશે કે એક સાંકડા મોંવાળા ઘડામાં અનાજ ભર્યું હતું. વાંદરાએ તે અનાજ લેવા ઘડામાં હાથ નાંખ્યો અને મુઠ્ઠી ભરી તે અનાજ કાઢવા લાગ્યો. સાંકડા મોંને લીધે હાથ ઘડામાં ભરાઈ ગયો અને બિચારો વાંદરો ચીસો પાડતો રહ્યો કે અનાજે મારો હાથ પકડી રાખ્યો છે, મને છોડાવો, પણ જેવી તેને ખબર પડી કે મેં જ મુઠ્ઠીમાં અનાજ પકડી રાખ્યું છે, એટલે મુઠ્ઠી ખોલી કે તરત જ અનાજે વાંદરાનો હાથ છોડી દીધો. કામ, ક્રોધ, વગે૨ે આપણને સતાવે છે, કારણ કે આપણે તેમની ગુલામી સ્વીકારી લીધી છે. જે દિવસે આપણે તેની સામે બંડ પોકારીશું તે જ દિવસે ભ્રમ ભાંગી જશે. ઘેટાં સાથે ઊછરતું સિંહનું બચ્ચું પોતાને પણ ઘેટું જ માનતું હતું. જ્યારે તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે તેને ખબર પડી કે હું ઘેટું નથી, પણ સિંહ છું. આત્મસ્વરૂપનું ભાન થતાં જ તેનું ઘેટાપણું તાત્કાલિક દૂર થઈ ગયું. આત્મદર્શનની મહત્તા કંઈક આવી જ છે. જે તેને જાણી લે છે તે પોતે જેનાથી હરહંમેશ પીડાતો હતો તે બધાં દુ:ખદારિદ્રથી છુટકારો મેળવી લે છે.
આ સંસારમાં જાણવા યોગ્ય વસ્તુઓ અનેક છે, પણ એ બધામાં મુખ્ય પોતાની જાતને જાણવી તે છે. જેણે પોતાને જાણી લીધો એણે જીવનનું રહસ્ય સમજી લીધું છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધકોએ અનેક આશ્ચર્યજનક સંશોધનો કર્યાં છે. કુદરતની અંદર છુપાયેલી વિદ્યુતશક્તિ, ઈશ્વરશક્તિ, પરમાણુશક્તિ વગેરે શોધી કાઢી છે. અધ્યાત્મજગતના મહાન સંશોધકોએ જીવનસિંધુનું મંથન કરી આત્મારૂપી અમૃત મેળવી લીધું છે. આ આત્માને જાણનાર સાચો જ્ઞાની બની જાય છે અને તે જ્ઞાન પ્રાપ્ત કરનાર વિશ્વવિજયી, માયાતીત કહેવાય છે. દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે પોતાને જાણે, હું કોણ છું ?એ પ્રશ્ન પોતાની જાતને પૂછે અને વિચાર, મનન તથા ચિંતનપૂર્વક એનો સાચો જવાબ મેળવે. પોતાના સાચા સ્વરૂપની ખબર પડવાથી આપણે પોતાનાં વાસ્તવિક હિત અહિત સમજી શકીએ છીએ. વિષયાનુરાગી સ્થિતિમાં જીવ જે વાતોમાં લાભ જુએ છે તેના માટે લલચાય છે. આ જ
લાભને આત્માનો અનુરાગી તુચ્છ માને છે, નુકસાનકારક માને છે. માયામાં રાચતો જીવ જે વાતોથી દૂર ભાગે છે તેમાં આત્મપરાયણ માણસને રસ વધતો જાય છે. આત્મસાધનાના રાજમાર્ગનો પથિક પોતાની અંદરની આંખો ખોલી શકે અને તે જીવનનાં મહત્ત્વપૂર્ણ રહસ્યોને સમજીને શાશ્વત સત્ય તરફ પૂરા જોશ અને ઉમંગથી ઝડપી કદમ માંડતો ચાલ્યો જાય છે. અનેક સાધકો અધ્યાત્મના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પણ તેમને ફક્ત અધૂરી સાધના જ શીખવવામાં આવે છે. મનુષ્ય પોતાને સાચી રીતે ઓળખે તો જ તેનો નશો ઊતરી શકે. જે ઈલાજથી દર્દી માત્ર હાથપગ હલાવવા બંધ કરે કે તેની આંખોની લાલાશ દૂર થઈ જાય તે ઈલાજ સંપૂર્ણ નથી. યજ્ઞ, જપ, તપ, દાન, વ્રત, અનુષ્ઠાન વગેરે સાધનાઓ લાભદાયી છે. એમની ઉપયોગિતા વિષે પણ કોઈ શંકા નથી, છતાં તે માત્ર પૂરતું નથી. તેનાથી પવિત્રતા વધે છે, સદ્દગુણ વધે છે, પુણ્ય વધે છે, પણ એ ચેતના મળતી નથી, જેના દ્વારા બધા પદાર્થોના વાસ્તવિક રૂપની ખબર પડે અને બધો ભ્રમ ભાંગી જાય. આ પુસ્તકમાં મારો ઉદ્દેશ્ય સાધકને આત્મજ્ઞાનની ચેતના માટે જાગૃત કરવાનો છે, કારણ કે હું માનું છું કે મુક્તિ માટે આનાથી સારો, સહેલો અને ચોક્કસ રસ્તો બીજો કોઈ હોઈ શકે જ નહીં. જેણે આત્મસ્વરૂપનો અનુભવ કરી લીધો, સદ્ગુણો તેના દાસ બની જાય છે અને દુર્ગુણો ક્યાં ચાલ્યા જાય છે તેની ખબર પણ પડતી નથી.
આત્મદર્શનનું આ અનુષ્ઠાન સાધકને ઊંચે ઉઠાવશે. આ અભ્યાસની મદદથી તેઓ જ્યાં ઊભા હતા ત્યાંથી ઊંચે ચઢશે. આ ઊંચા શિખરે પહોંચી તે જોશે કે દુનિયા કેટલી વિશાળ છે. મારો પ્રભાવ ઘણો વધારે છે, મારું રાજ્ય વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જેટલી ચિંતા અત્યાર સુધી હતી તેનાથી અનેકગણી વધુ ચિંતા હવે મારે કરવાની છે. હું પહેલાં જે વસ્તુઓને જોતો હતો તેનાથી ઘણી વધારે વસ્તુઓ મારી છે. હવે સાધક વધુ ઊંચા શિખરે ચઢે છે અને અનુભવે છે કે મારી પાસે હજુ આનાથી વધારે સંપત્તિ તો નથી ને ? જેમ જેમ તે ઊંચે જાય છે, તેમ તેમ તેને વધારે ને વધારે વસ્તુઓ પોતાની લાગે છે. અંતે તે સર્વોચ્ચ શિખરે પહોંચીને સમગ્ર વિશ્વમાં બધી જ ચીજવસ્તુઓને પોતાની અનુભવશે. અત્યાર સુધી તેને એક બહેન, બે ભાઈ, માબાપ, બે ઘોડા, દસ નોકરોના પાલનની ચિંતા હતી. હવે તેને હજારગણાં પ્રાણીઓના પાલનની ચિંતા થાય છે. આ અહમ્ભાવનો વિસ્તાર છે. બીજા તત્ત્વજ્ઞાનીઓ આને જ અહમ્ભાવનો નાશ કહે છે. વાત એક જ છે. ફરક માત્ર કહેવા-સાંભળવામાં છે. રબ્બરના ફુગ્ગામાં હવા ભરીને રમતાં બાળકો તો તમે જોયાં હશે. એમાંથી એકાદ ફુગ્ગો લઈ હવા ભરો. જેટલી હવા ભરતા જશો તેટલો તે ફુગ્ગો મોટો થતો જશે અને ફાટવાની તૈયારીમાં આવી જશે. થોડી વધારે હવા ભરાતાં તે ફુગ્ગાને ફોડીને પોતાના વિરાટરૂપ આકાશમાં ભરેલા મહાન વાયુતત્ત્વમાં મળી જશે. આત્મદર્શનની આ જ પ્રણાલી છે. આ પુસ્તક તમને બતાવે છે કે આત્મસ્વરૂપને જાણો અને તેનો વિસ્તાર કરો. બસ, આ સૂત્રમાં એ મહાવિજ્ઞાન છુપાયેલું છે, જેના આધારે અધ્યાત્મના અલગ અલગ માર્ગો બનાવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની સાચી સાધનાથી કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે પ્રાપ્ત થતા ફળનું એ બીજ છે.
આત્માના વાસ્તવિક રૂપને એકવાર જોઈ લેનાર સાધક પાછો નથી ફરતો. પાણીની તરસથી વ્યાકુળ માનવી, જેનો જીવ પાણી માટે તરફડિયાં મારતો હોય તેવો માનવી ગંગાનું શીતળ જળ છોડી શું ફરીવાર વેરાન રણમાં આવવાની ઇચ્છા રાખે ખરો કે જ્યાં તરસના કારણે દરેક ક્ષણે મૃત્યુ જેવી અસહ્ય વેદના સહન કરવી પડે છે ? ભગવાન કહે છે “યદ્ગત્વા ન નિવર્તતે તદ્વાર્ પરમં મમ । ’’ જ્યાં જઈને પાછા આવવાનું શક્ય નથી એ મારું ધામ છે. સાચે જ ત્યાં પહોંચ્યા પછી એકપણ ડગલું પાછા વળાતું નથી. યોગભ્રષ્ટ થવાનો ત્યાં પ્રશ્ન જ નથી. ઘેર પહોંચ્યા પછી શું કોઈ વ્યક્તિ ઘે૨ જવાનો રસ્તો ભૂલી શકે ?
કામ, ક્રોધ, લોભ, મોહ, વગેરે વિકારો અને ઇન્દ્રિયોની વાસના મનુષ્યના આનંદમાં બાધક બની તેને દુઃખમાં નાખી દે છે. પાપ અને બંધનનું મૂળ એ જ છે. પતન એનાથી જ થાય છે અને જીવ ધીરેધીરે અધોગતિ તરફ ઢસડાય છે. જુદા જુદા અધ્યાત્મમાર્ગોની વિરાટ સાધનાઓ આ દુષ્ટ શત્રુઓને હરાવવાના ચક્રવ્યૂહ સમાન છે. અર્જુનરૂપી મનને આ મહાભારતમાં પ્રવૃત્ત થવા ભગવાન લલકારે છે.
આ પુસ્તકના આગલા અધ્યાયોમાં આત્મદર્શન માટે જે સરળ સાધનાઓ બતાવી છે તે કરવાથી આપણે સાંસારિક પ્રવૃત્તિઓ ન પહોંચી શકે એવા સ્થળ સુધી ઊંચે ઊઠી શકીએ છીએ. જ્યારે દુર્ગુણો રહેશે નહીં ત્યારે જે બાકી રહેશે તે માત્ર સદ્ગુણો જ હશે. આમ આત્મદર્શનનું સ્વાભાવિક ફળ દૈવીસંપદા પ્રાપ્ત કરવાનું છે. આત્મસ્વરૂપનો, અહં- ભાવનો વધુ ને વધુ વિસ્તાર થતાં રબ્બરના ફુગ્ગાની જેમ બંધન તૂટી જશે અને આત્મા પરમાત્મામાં ભળી જશે. આ ભાવાર્થ જાણીને ઘણા સાધકો નિરાશ થશે અને કહેશે કે આ તો સંન્યાસીઓનો માર્ગ છે. જેઓ ઈશ્વ૨માં લીન થવા માગે છે અથવા પરમાર્થની સાધના કરવા માગે છે, તેમના માટે આ સાધનાઓ ઉપયોગી છે. આનો લાભ માત્ર પારલૌકિક છે, પણ આપણા જીવનનો બધો કાર્યક્રમ ઈહલૌકિક છે. આપણો દૈનિક કાર્યક્રમ ધંધો, નોકરી, જ્ઞાન મેળવવું, ધન મેળવવું, મનોરંજન વગેરે છે. એમાંથી થોડો સમય આપણે પારલૌકિક કાર્યો માટે ફાળવી શકીએ છીએ, પરંતુ આપણી મોટાભાગની જીવનચર્યા સાંસારિક કામોમાં વ્યસ્ત હોય છે. તેથી આપણા જીવનના મોટા ભાગના કાર્યક્રમોમાં આનો શો લાભ ઉઠાવી શકીએ ?
ઉપરોક્ત શંકા સ્વાભાવિક છે, કારણ કે આપણી વિચારધારા અત્યારે એવી ગુંચવાઈ ગઈ છે કે લૌકિક અને પારલૌકિક સ્વાર્થોના બે ભાગ પાડવા પડે છે. વાસ્તવમાં એવા કોઈ ભાગ પાડવાની જરૂર જ નથી. જે લૌકિક છે તે જ પારલૌકિક છે. બંને એક જ સિક્કાની બે બાજુની જેમ જોડાયેલા છે, પેટ અને પીઠની જેમ જોડાયેલા છે. આમ છતાં હું તમારી સંપૂર્ણ વિચારધારાને ખોટી પાડવા માગતો નથી. અહીં તો એટલું જ કહેવું વાજબી માનું છું કે આત્મદર્શન વ્યાવહારિક જીવનને સફળ બનાવવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આત્મોન્નતિ સાથે જ સાંસારિક ઉન્નતિ પણ જોડાયેલી છે. જેની પાસે આત્મબળ છે એની પાસે બધું જ છે અને તમામ પ્રકારની સફળતા તેનાં ચરણોમાં આવીને આળોટશે.
વ્યક્તિ પોતાના આત્મસ્વરૂપને ઓળખે, પોતાના ગૌરવને જાણે, પોતાના હક્કો શોધે અને પોતાના પરમપિતાની અમૂલ્ય સંપત્તિના વારસા માટે પોતાનો દાવો નોંધાવે. યોગનું આ સ્વાભાવિક અને સાધારણ રહસ્ય છે. સીધો, સાદો, સાચો અને નુકસાન વગરનો આ માર્ગ છે. આ મહાન વાત દરેકના ધ્યાનમાં આવવી જોઈએ કે પોતાની શક્તિ અને સાધનોની કાર્યક્ષમતાની જાણકારી કોઈ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા માટે અત્યંત આવશ્યક છે, કારણ કે ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિશાળી મનુષ્ય પણ જ્યાં સુધી વસ્તુઓના સ્વરૂપને સારી રીતે જાણતો નથી ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકતો નથી.
અધ્યાત્મશાસ્ત્ર કહે છે,“ હે અવિનાશી આત્માઓ ! તમે તુચ્છ નહીં પણ મહાન છો ! તમારે ભીખ માગવાની જરૂર નથી. તમે બીકણ તથા નમાલા પણ નથી. તમે અનંત શક્તિશાળી છો. તમારે બળની ચિંતા કરવાની જરૂર નથી.
જે સાધનો લઈને તમે અવતર્યા છો તે બધાં અચૂક બ્રહ્માસ્ત્રો છે. તેમની શક્તિ અનેક ઇન્દ્રવજ્ર કરતાં ય વિરાટ છે. સફળતા અને આનંદ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ઊઠો ! પોતાને, પોતાનાં હથિયારોને અને કર્તવ્યોને સાચી રીતે સમજી લો, ઓળખી લો અને બુદ્ધિપૂર્વક જોડાઈ જાવ. પછી જુઓ કે તમારે જે જોઈએ છે તે તમને મળે છે કે નહીં તમે કલ્પવૃક્ષ છો, કામધેનુ છો અને સફળતાની સાક્ષાત્ મૂર્તિ છો. ભય અને નિરાશાનો એક નાનકડો અંશ પણ તમારી અંદર મૂક્યો નથી. આ લો, તમારા અધિકારો સંભાળો.”
આ પુસ્તક તમને બતાવશે કે તમે શરીર નથી, જીવ નથી, પણ ઈશ્વર છો. શરીરની,મનની જેટલી પણ મહાન શક્તિઓ છે એ તમારાં હથિયાર છે. ઇન્દ્રિયોના તમે ગુલામ નથી, ટેવો તમને વિવશ કરી શકતી નથી. માનસિક વિકારોનું કોઈ અસ્તિત્વ જ નથી. પોતાને અને પોતાનાં વસ્ત્રોને બરાબર ઓળખી લો. પછી જીવનો સ્વાભાવિક ધર્મ તે બધાંનો સાચો ઉપયોગ કરવા લાગશે. દૃઢ મનોબળવાળી તત્ત્વદર્શી બુદ્ધિથી દરેક કાર્ય કુશળતાપૂર્વક થઈ શકે છે. આ જ કર્મ કૌશલ્ય યોગ છે. ગીતાજી કહે છે – યોગઃ કર્મસુ કૌશલમ્ । તમે એવા જ કુશળ યોગી બનો, લૌકિક અને પારલૌકિક કાર્યોમાં તમે તમારું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરતાં સફળતા મેળવી શકો અને નિરંતર વિકાસ તરફ આગળ વધતા રહો, એ જ આ સાધનાનો ઉદ્દેશ્ય છે. ઈશ્વર આપને આ માર્ગે જવા પ્રેરણા આપે.
પ્રતિભાવો