૮. વર-વધુની ઉમરમાં ફરક : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 11, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
૮. વર-વધુની ઉમરમાં ફરક :
પ્રચલિત માન્યતા અનુસાર છોકરા કરતાં છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. સમાન ઉમરની અથવા મોટી ઉમરની છોકરી સાથેનાં લગ્ન ખરાબ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે પુરુષ નારી પર શાસન ક્યારે કરી શકે કે જ્યારે તે નાની ઉંમરની હોય ત્યારે અને એટલે
જ આવો રિવાજ ચાલ્યો આવે છે. છોકરાની શોધ કરતાં કરતાં જે છોકરીની ઉંમર બાવીસ પચ્ચીસ વર્ષ થઈ જાય તેને માટે આર્થિક સંકટ જ નહિ, પરંતુ મોટી ઉંમરનો છોકરો મળવાનો પણ પ્રશ્ન ઊભો થાય છે. આમ આ મુંઝવણ બેવડાઈ જાય છે. સાથે સાથે કન્યાને કુંવારી રાખવાનું કોઈ પસંદ નથી કરતું. એનું લગ્ન થવું જ જોઈએ, પછી વડલા-પીપળા સાથે પણ ભલે થઈ જાય. આવી વિવાતામાં મોટી ઉંમરની છોકરીઓનાં લગ્ન ઢળતી ઉંમરના વયોવૃદ્ધ વિધુરો સાથે પણ કરવાં પડે છે. મોટા ભાગનાં વૃદ્ધ લગ્નો આવાં કારણોસર થતાં હોય છે. છોકરીનાં માબાપોનાં મનમાં પોતાની દીકરીને વેચવાનો વિચાર એવે સમયે નથી હોતો. જે મળે તે આપીને લગ્નો પતાવી દેવાતાં હોય છે. આવાં લગ્નોમાં વિવશતા, લાચારી અને શરમની લાગણી પણ તેઓ અનુભવતા હોય છે. એમને બીજો કોઈ રસ્તો પણ સૂઝતો નથી. જ્યારે બધા દરવાજા બંધ હોય ત્યારે તેમને આમ કરવાની ફરજ પડે છે. આવી બેવડી મુંઝવણનો મુકાબલો પણ બેવડા સાહસથી કરવો જોઈએ. દહેજપ્રથાનો નાશ કરવા સાથે આવી સ્થિતિનો ઉકેલ પણ એ છે કે છોકરાની ઉંમર કરતાં છોકરીની ઉંમર થોડી મોટી હોય તો ચલાવી લેવું જોઈએ. આમ કરવામાં કોઈ જ નુકશાન નથી. સામાન્ય રીતે છોકરો છોકરી કરતાં એકાદ બે વર્ષ મોટો હોય છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આ નાના મોટાની પ્રતિકૂળ અસર દામ્પત્યજીવન પર કશી જ થતી નથી અને એટલે જ ક્યારેક વર થોડો નાનો હોય અને કન્યા થોડી મોટી જ હોય તો એમાં કશો વાંધો આવતો નથી. વર વધૂ પર શાસન કરે એ પ્રથા સામંતવાદી છે. ઉંમરના થોડાક તફાવત સાથે કોઈ નિસ્બત નથી. તે એકબીજામાં રહેલી પ્રતિભા અને ગુણોનો પ્રશ્ન છે. પતિપત્ની એક જ રથનાં બે પૈડાં છે. એમાં કોઈ કોઈના પર શાસન કરતું નથી. એકબીજાને દાબમાં રાખવાની ઇચ્છા શા માટે રાખે ? બન્ને પ્રેમ, સદ્ભાવ અને વિચારોના વિનિમયપૂર્વક પોતાનું ગૃહસ્થજીવન સફ્ળ બનાવી શકે. એમાં કન્યા મોટી હોય તો કોઈ અંતરાય ઊભો થતો નથી.
પ્રતિભાવો