૫. વેપાર, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય

વેપાર, – શ્રીરામ શર્મા આચાર્ય

જો તમે કોઈ વેપાર કરતા હોય અને તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી, તો એક દિવસ શાંત ચિત્તથી વિચારો કે આનું કારણ શું છે ? જોવામાં આવ્યું છે કે મોટા ભાગે નીચેનાં કારણોથી સફળતા મળતી નથી. (૧) એવું કામ કરવું જેના તરફ જનતાને રુચિ ન હોય (૨) જે શ્રેણીના લોકો સાથે વ્યવહાર કરવાનો છે તેમની કક્ષા કરતાં કાંતો ઉતરતી કે ચઢતી કિંમતનો માલ રાખવો (૩) સમયની અનુકૂળતાનું ધ્યાન ન રાખવું (૪) પોતાની બિનઆવડતવાળું કામ કરવું (૫) ઉધાર આપવા-લેવાનો વ્યવહાર કરવો (૬) સ્વભાવમાં મધુરતા અને ઈમાનદારીનો અભાવ હોવો (૭) ગ્રાહકને સંતોષ આપવાની કલાનો અભાવ (૮) આળસ.

જો આ આઠ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઓછી મૂડીથી કરવામાં આવેલો વેપાર પણ ખૂબ જ લાભદાયક સિદ્ધ થઈ શકે છે અને તેનાથી ધન પ્રાપ્ત કરી શકાય છે. તમે ખૂબ જ ઝીણવટપૂર્વક વિચારો મેં ક્યા કારણથી વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રોગનું નિદાન કર્યા વિના તેનો યોગ્ય ઈલાજ કરી શકાતો નથી.

જો કોઈ આકસ્મિક કારણસર પરિસ્થિતિ વિપરિત બની છે અને ભવિષ્યમાં સારી આશા છે તો એ વેપારને પકડી રાખો અને થોડા દિવસ વધુ ખોટ સહન કરો. થઈ શકે તો ગુજરાન પૂરતું કોઈ બીજું નાનું મોટું કામ સ્વીકારી લો અને પેલા જામેલા ધંધાને ચાલુ રાખો. કારણ કે કામ જેટલું જૂનું થાય, વિશ્વાસ તેટલો જ વધતો જાય છે અને વેપાર કરનારની પ્રામાણિકતા મજબૂત થતી હોય છે રોજ રોજ નવા નવા વેપાર બદલનારને અસ્થિર અને અવિશ્વાસુ સમજવામાં આવે છે. થોડાક દિવસ ખોટ સહન કરીને પણ કોઈક લાભદાયક વેપારને પકડી રાખવામાં આવે તો અંતે તે-ખોટને પૂરી કરી દે છે. જો એવું લાગે કે આ ધંધો અમારા બાપદાદાના સમયનો છે અને અત્યારના સમયને અનુરૂપ નથી તો તેમાં ફેરફાર કરી લેવો જોઈએ. જે પ્રકારનો જનસમાજ તમારી સાથે સંબંધ રાખે છે તે મુજબ તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્તમ તથા સસ્તી વસ્તુઓનો વેપાર કરો. જો તમારું દિલ તમારી યોગ્યતાની સાક્ષી ન પૂરે તો પહેલાં અનુભવ મેળવી લો. કોઈને ત્યાં રહીને અથવા તો નાના પાયા પર તેને શરૂ કરીને અનુભવ મેળવી શકાય છે. જે લોકો સમયની માંગને સમજી લે છે અને તકનો લાભ લેવાનું ચૂકતા નથી તેઓ હમેશાં ફાયદામાં જ રહે છે. ધંધામાં ‘પ્રદર્શન અને જાહેરાત’ એ આ યુગની ખાસ જરૂરિયાત છે. વસ્તુને પ્રદર્શનમાં રાખવી અને તેના ગુણો દર્શાવવા તે વેપાર વધારવાનું મુખ્ય અંગ છે. પ્રદર્શનના અનેક પ્રકારો છે. અહીં તેનું વર્ણન કરવું શક્ય નથી છતાં જે વસ્તુઓ તમારી પાસે છે તે બધા જોઈ શકે એ રીતે દુકાનમાં મૂકો. આની પાછળ એક મોટું મનોવૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું છે બહાર પડેલ વસ્તુઓ જોઈને લોકોને પોતાની જરૂરિયાત યાદ આવી જાય છે. સારી વસ્તુઓ અને એ પણ સજાવેલી હોય તો તે વેપારીની પ્રામાણિકતામાં ઓર વધારો કરે છે.

સારાં કપડાં પહેરનારને મોટો માણસ સમજવામાં આવતો હોય છે. ઝભ્ભો પહેરીને ખુલ્લા પગે ફરનાર મહાપુરુષ લાંબા સમય અને પરીક્ષાના અંતે જ ઓળખાય છે, પરંતુ ઊંચી જાતના કીમતી કપડાં તેના મોટાપણાની સાક્ષી પૂરતાં હોય છે. આથી તમે જે કંઈ કામ કરો છો તેમાં સફાઈ, સજાવટ તથા પ્રદર્શનનો પૂરેપૂરો ખ્યાલ રાખો. આના સિવાય આજના યુગમાં સારો વેપાર કરવો શક્ય નથી. બીજો ઉપાય આનાથી પણ મહત્ત્વપૂર્ણ છે. સાચું પૂછો તો પહેલો ઉપાય બીજા ઉપાયનું જ એક અંગ છે. જાહેરાતોમાં ખૂબ શક્તિ છે. હું એવું નથી કહેતો કે જૂઠી જાહેરાતો આપી લોકોનાં ખીસ્સાં કાપો. આપણા દેશમાં એવા ઘણાય ધૂર્તો છે જે નકલી વસ્તુઓનાં ભારે ગુણગાન ગાઈને ચાર આનાની વસ્તુનો રૂપિયો પડાવી લે છે. આ ખૂબ જ ખરાબ છે. આવા માણસો પર બીજી વાર કોઈ વિશ્વાસ કરતું નથી અને જ્યારે તેમની બદનામી ચારે બાજુ ફેલાઈ જાય છે ત્યારે તેમનો ધંધો બંધ થઈ જાય છે. સાચી અને ઉપયોગી વસ્તુનો પરિચય કરાવવો જરૂરી છે કારણ કે એવા ઘણા લોકો જાણતા નથી કે પોતાની જરૂરી વસ્તુ કઈ જગ્યાએથી કિફાયત ભાવે મળશે. સચ્ચાઈ પોતે જ એક ઉત્તમ જાહેરખબર છે. આથી તેની ખ્યાતિ ધીમેધીમે આસપાસના વિસ્તારમાં ફેલાશે. જેમને ખૂબ જ જલદી અને દૂરદૂર સુધી પોતાની વસ્તુનો પરિચય કરાવવો છે તેને માટે જાહેર ખબર ખૂબ જ જરૂરી છે. જે રીતે સજાવટ અને પ્રદર્શનના વિવિધ ઉપાયો આ નાનકડા પુસ્તકમાં લખી શકાય નહીં, તેમ જાહેરાતના પ્રકારોનું પણ વર્ણન અહીં શક્ય નથી. જે લોકોમાં તમારી વસ્તુ વેચાય છે અથવા વેચવા વિચારો છો, વિચાર કરો કે તેમની પાસે સમાચાર કેવી રીતે પહોંચી શકે ? જો અશિક્ષિત ગામડાના લોકો પાસે પહોંચાડવી છે તો પ્રત્યક્ષ પ્રદર્શન જરૂરી છે. એજ રીતે શિક્ષિત લોકો પાસે છાપાઓમાં જાહેરાત આપીને, પેમ્ફલેટ છપાવીને, દિવાલો પર પોસ્ટર ચોંટાડીને સૂચના પહોંચાડી શકાય છે. આજે તો નવા નવા અને પોતાની બુદ્ધિ અનુસાર વિવિધ પ્રકારની જાહેરખબરો આપવાની પદ્ધતિઓ શોધી રહ્યા છે. તમે પણ અવલોકન કરીને તમારા ધંધાને અનુરૂપ ઉપાય પસંદ કરી શકો છો. યાદ રાખો કે આ યુગમાં પ્રદર્શન અને જાહેરાત વેપારના ડાબોજમણો બે હાથ છે. આના અભાવમાં વેપારનો વિકાસ કરવો કઠિન છે.

તમો જે ધંધો કરો છો તે આળસ, ઉદાસીનતા તથા અધૂરા મનથી કરો નહીં. સમગ્ર મન ધંધા પર એકાગ્ર કરી દો. તમારા ધંધાને એક ખેલ સમજો અને તેમાં પૂરેપૂરો રસ કેળવો. એકાગ્રતામાં મોટી શક્તિ રહેલી છે. મન આડુંઅવળું ભટક્યા વગર જ્યારે એક જ કામ પર એકાગ્ર થાય છે, ત્યારે ઉન્નતિના અનેક માર્ગો સુઝતા હોય છે. જ્યારે સમય મળે ત્યારે આડીઅવળી વાતો કર્યા વગર, પોતાના ધંધા વિશે વિચારો. તેમાં સુધારોવધારો કરવાનું વિચારો. શોધ કરવાથી ઘણું બધું મળતું હોય છે. આ શોધખોળમાં ક્યારેક એવી ચાવી હાથ લાગી જતી હોય છે, જેના વડે સોનાથી ભરેલા ખજાનાનું તાળું ખુલી જાય છે.

આજે તો ઉધાર આપવા-લેવાનો રિવાજ બની ગયો છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. વેચીને પૈસા આપી દેવાય તેટલા સમય સુધી માલ ઉધાર લઈ શકાય. આમાં કોઈ નુકસાન નથી. આ તો વ્યાપારિક વ્યવહાર છે. પરંતુ અનિશ્ચિત સમય માટે પૈસા વ્યાજે લેવા અને પરત આપવાની બિલકુલ વ્યવસ્થા ન કરવી તે વેપાર માટે સત્યાનાશ બરાબર છે. વ્યાજ ખોટ, મનની ચિંતા, આશંકા, માનસિક દબાવ, પ્રતિષ્ઠામાં ઊણપ આ બધી જ બાબતો ઉધાર લેવાથી પેદા થાય છે અને એક દિવસ ઉન્નતિની જગ્યાએ પડતી લાવીને મૂકી દે છે. ગ્રાહકોને ઉધાર આપવું તે રૂપિયા અને ગ્રાહક બંને ગુમાવવા જેવું છે. દેવાદાર પૈસા આપી શકતો નથી પરિણામે લેવડ-દેવડ બંધ કરી દેવી પડે છે. એક વિદ્વાનનું કહેવું છે કે, “જેની સાથે તમારે મિત્રતા રાખવી હોય તેની સાથે ન તો લેવડ-દેવડ કરો કે ન વાદવિવાદ કરો.’’ જોવામાં આવ્યું છે કે ખરાબ સમય આવ્યે ઉધાર આપનાર બરબાદ થઈ જાય છે અને મિત્રો પોતાના શત્રુ બની જાય છે. તમારે તમારા ગ્રાહકો સાથે વિનય નમ્રતા તથા ઉદારતાપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ. એક કરોડપતિ વેપારીનું કહેવું છે કે,

“ગ્રાહક અમારો માલિક છે કોઈ પણ ગ્રાહકને કશું જ ન કહો. જ્યારે ગ્રાહક કંઈ જ ન લે ત્યારે દુકાનદારો ખરું ખોટું સંભળાવે છે. આવા દુકાનદારો વેપારને લાયક નથી. તમે ગ્રાહકને તમારો શિકાર નહીં પણ અતિથિ સમજો. તે જે કંઈ જાણવા માગતો હોય તે તેને પ્રેમપૂર્વક કહો, જેથી તે તમારા પ્રમ, ભાવના અને નમ્ર વ્યવહાર પર મુગ્ધ થઈ જાય. ચીડિયા દુકાનદારો, ગ્રાહકની રૂપિયાનો માલ લેવાની ઈચ્છા હોવા છતાં, તે આઠ આનીની જ વસ્તુ વેચી શકતા હોય છે પરંતુ વિનયી, નમ્ર અને મધુર વાણીવાળા દુકાનદાર તેજ આગ્રહ પાસેથી એની જગ્યાએ પાંચ રૂપિયાનો માલ આપી શકે છે. ગ્રાહકને સંતોષ આપવો એ એક એવો ગુણ છે જેનાથી વેપારી ધનવાન બની શકે છે. ઉત્તમ સ્વભાવવાળા દુકાનદાર પાસે ગ્રાહક હમેશાં દોડીને આવતો હોય છે. ગ્રાહકની અંગત વાતોમાં રસ લેવો, સલાહ આપવી, મદદ કરવી અને ક્યારેક કંઈક ભેટ પણ આપવી. આ વાતો જોવામાં સામાન્ય લાગે પણ આનાથી અદ્ભૂત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જે પોતાની ભલાઈ અને ઈમાનદારીની છાપ ગ્રાહક ઉપર બેસાડી દે છે, તે સમજી લે કે સાક્ષાત્ લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પોતાના ઘરમાં બેસાડી દે છે. પરિશ્રમ, ઉદ્યોગ, મહેનત, વસ્તુઓ એકત્ર કરવી, સ્ફૂર્તિ સાથે તક ઝડપી લેવી, મોકો ન ચુકવો વગેરે એવી તકેદારી રાખવાની બાબતો છે જે વેપારને વધારનારી છે. બિચારા આળસુ માણસો આ વાતોને ક્યારેય નહીં સમજે અને ભાગ્યને દોષ દેતા રહેશે.

સંભવ છે તમારો વેપાર જમાનાને અનુરૂપ ન હોય અથવા વસ્તુઓ સમય પહેલાંની છે અથવા એ વસ્તુઓ સાથે તમારી રુચિ ઓછી હોય, તો તમારી રુચિ, સમય અને જમાનાને અનુરૂપ વેપાર બદલી લેવો જોઈએ. જો તમે વર્ષોથી એક જ પ્રકારનો ધંધો કરતા હોય અને હવે બદલવાની જરૂર જણાય છે તો તેને મળતો ફેરફાર કરો કારણ કે વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાથી શક્તિઓ પણ તે પ્રમાણે વિકસિત થઈ ગઈ હોય છે. પાછળથી તેને દબાવીને નવી યોગ્યતા પ્રાપ્ત કરવી કઠિન બની જાય છે. પરંતુ એવા નવયુવકો જે હજુ પોતાના કાર્યમાં વિશેષ પ્રવીણ થયા નથી તેઓએ પોતાની રુચિ અનુસાર પોતાનો ધંધો બદલી લેવો જોઈએ. નવું કામ શરૂ કરતાં પહેલાં તે બાબતનો અનુભવ મેળવી લેવો અત્યંત જરૂરી છે. કારણ કે અનુભવ વિના લાભદાયક વેપારમાં પણ ખોટ જવાની પૂરી સંભાવના છે.

જો તમે પગાર લેનાર નોકર નથી અથવા તો ભીખ માંગતા નથી તો તમારી ગણના વેપારીમાં જ થશે. દરેક વેપારીઓ ઉપરોક્ત બાબતો ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ અને પોતાના કાર્યમાં કોઈક ખામી જણાય તો સંશોધન કરવું જોઈએ અને જરૂરી સુધારા, દેઢતા અને સ્થિર બુદ્ધીથી કરવામાં આવશે તો મરેલો વેપાર સમજી બની જશે અને ખોટ કરનાર દુકાન નફો કરવા લાગશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: