૬. નોકરી, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય
June 12, 2022 Leave a comment
નોકરી, – શ્રીરામ શર્મા આચાર્ય
કદાચ તમે બેકાર હશો. ખૂબ શોધખોળ કરવા છતાંય કોઈ કામ નથી મળતું, દરેક જગ્યાએથી નિરાશાજનક જવાબ મળે છે, વિચારો છો કે દુર્ભાગ્યે તમને ઘેરી લીધા છે. વેપાર માટે મૂડી નથી, ભૂખે મરવાની ઘડી આવી પહોંચી છે. કુટુંબીઓ અને મિત્રો ટોણા મારે છેઅને અનાદર કરે છે. જો આ સ્થિતિએ તમને દુઃખી અને ચિંતિત બનાવી દીધા છે, તો પોતાને વધારે દુઃખી ન બનાવશો. થોડોક સમય શાંત ચિત્તે બેસીને મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળી લો. શું તમે સમજો છો કે દુનિયામાં કામ બંધ થઈ ગયાં છે ? શું માણસોની જરૂર નથી ? જો આવું સમજો છો તો ભૂલ કરો છો.
દુનિયામાં અનેક કામ છે અને દરેક જગ્યાએ માણસોની મોટી સંખ્યામાં જરૂર છે. મારે અનેક શ્રીમંત માણસોને મળવાનું થયું છે. તેઓ હમેશાં રોદણાં રડતા હોય છે કે શું કરીએ સાહેબ કોઈ કામ કરનાર માણસો જ નથી મળતા. ઘણાંખરાં કામ માણસોના અભાવે અધૂરાં પડ્યાં છે. કોઈને જો સાચા અર્થમાં માણસ મળી જાય તો તે તેને હીરાની જેમ રાખવા તૈયાર છે. કોઈક મોટા માણસને કેટલાક માણસોની જરૂર હતી. તેણે છાપામાં જાહેરાત છપાવી. આપેલ તારીખ અને સમય મુજબ સેંકડો માણસો આવ્યા. માલિક વારાફરતી બધાંને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા. ઉમેદવારો બી.એ. અને એમ.એ.નાં પ્રમાણપત્રો બતાવતા હતા પણ તેને એક પણ પ્રમાણપત્ર તરફ નજર નાખવાને બદલે આવનારાઓની ચાલ, વ્યવહાર, બોલવાની ઢબ તથા તેમના હાવભાવ તરફ જ નજર નાખી. જ્યારે મુલાકાત પૂરી થઈ તો બધાંને ઘેર જવાનું કહ્યું અને કહ્યું કે “અહીંયાં ફક્ત માણસોની જરૂર છે, વાંદરાઓની નહીં.” વ્યાવહારિકતાનું જ્ઞાન થવાથી જ માણસ માણસ બને છે. નહીં તો મનુષ્ય અને વાંદરામાં શું ફરક છે ?
જૂઠો દંભ અને કહેવાતી બડાશ એક એવો ભયંકર દુર્ગુણ છે, જેણે આજે મોટા ભાગના નવયુવાનોનું જીવન બરાબદ કરી દીધું છે.ફેશનની ટીપટાપવાળા છોકરાને જ્યારે કોઈ સારો માણસ જુએ છે, તો તેને હસવું આવે છે ફેશન જ નહીં, તેમનું મગજ પણ નવાબ જેવું બનેલું હોય છે. બે ટકે એક ટંક ખાતા હશે તોય વાત તો સાહેબપણામાં જ કરશે. દેશી ફેશનવાળા છોકરા ટાઈ નથી પહેરતા પણ મગજ સાતમા આસમાને જ રાખે છે. જ્યારે કોઈની સાથે વાત કરશે તો જાણે કોઈ ખાનદાન ઘરનો નબીરો ન હોય. આ શેખીખોરી નિરંતર મનમાં રહેવાને કારણે આ ખોટી તુમાખી તેમને કોઈ પણ કામના રહેવા દેતી નથી. મનમાં સમજતા હોય છે કે અમે આડીઅવળી વાતો કરીને બીજાને ઉલ્લુ બનાવીએ છીએ પણ વાસ્તવમાં પોતે જ ઉલ્લુ બને છે. તુમાખી લઈને કોઈની પાસે જાય છે તો ઘૃણા લઈને પાછો આવે છે. તમે ખૂબ સારી રીતે વિચાર કરો કે ખોટી મોટાઈ તમારા મગજમાં નથી ઘૂસી ને ! આ એક એવો મોટો દુશ્મન છે જે આગળને આગળ ચાડી ખાતો ચાલે છે. આ નાલાયકને તમારી પાસે બેસવા દો નહીં.
મનુષ્યનો સ્વભાવ સાદો, સીધો અને સરળ હોવો જોઈએ. આત્મવિશ્વાસ, સચ્ચાઈ અને વિનય આ ગુણો ખૂબ સારી રીતે તમારા સ્વભાવમાં ભેળવી દો. ઉત્સાહ, સ્ફૂર્તિ તથા પ્રસન્નતાને કાયમ તમારા ચહેરા પર ચમકવા દો જાણે કોઈએ પાઉડર લગાવીને મેકપ કર્યો હોય. તમારી સજ્જનતા અને કાર્યશીલતા બીજા સામે પ્રગટ થવા દો પછી જુઓ. જ્યાં જશો અને જગ્યા હશે તો તેમને જરૂરથી નોકરી મળી જશે. ઉત્તમ સ્વભાવ અને ભલમનસાઈની ચાલચલગત સૌથી મોટી લાગવગ છે. આજે તમે બેકાર છો તો બીજા ચાર દિવસ વાળા બેકાર રહો. તમારા સડેલા અને ગોધાયેલા સ્વભાવને હટાવીને દૂર ફેંકી દો જેથી એક ચાડીખોર તો કાયમ માટે ઓછો થાય. જે જ્યાં જાઓ તેના પહેલાં જ ત્યાં પહોંચીને અડી-ચૂગલી કરીને કામ બગાડી દેતો હોય છે.
જો તમે ખૂબ જ રંગબેરંગી અને ભડકાઉ કપડાં પહેરો છો તો તેને ઉતારીને સાદગી ઉપર આવી જાઓ. અપટુ-ડેટ ફેશનના કારણે જ પ્રતિષ્ઠા વધે છે એવું માનવું ભૂલ ભરેલું છે. તમે પાંચ હજાર માસિક કમાનાર અધિકારીઓનું અનુકરણ કરો નહીં, એમની વાત અલગ છે. એક બેકાર માનવીની આટલી ફેશનયુક્ત ટીપાટોપ સાબિત કરે છે કે, આટલું ખર્ચ કરનાર વ્યક્તિ જરૂર ચોરી કરશે અને આ ટીપટાપ પાછળ હરામખોરી છૂપાયેલી જ હશે સાદાં, છતાં સ્વચ્છ કપડાંને વ્યવસ્થિત પહેરો તે પ્રામાણિકતા તથા વિશ્વાસનિયતાનું પ્રતીક છે. સસ્તુ કપડું પહેરવું જરાય ખોટું નથી કે ખરાબ નથી પણ તે ધોયેલું અને સ્વચ્છ હોવું જરૂરી છે. પોતાના મગજ અને રીતભાતને સુધારી મુશ્કેલી દૂર થઈ જશે અને સફળતા પાસે આવીને ઊભી રહેશે.
જે લોકો પાસે મૂડી નથી, તેઓ શરૂઆતમાં મજૂરી કરી શકે છે તમે જે પ્રકારની શારીરિક અથવા માનસિક મજૂરી કરી શકો છો, તે પ્રકારનું સ્થળ તપાસ કરીને શોધી કાઢો. પછી ત્યાં તમારો સંપર્ક વધાશે. જે લોકો કામ આપી શકે તેમની કૃપા મેળવો. કૃપા મેળવવાનો એક જ ઉપાય છે તમારી પાત્રતા સાબિત કરવી, તમે જો એ કામને પાત્ર હશો તો જરૂર કામ મળી જશે. શુદ્ધ હૃદયથી કોઈના કામમાં સરળતાથી મદદ કરવી, પોતાની ક્રિયાશીલતા અને સેવાભાવનાની ખાતરી કરાવવી, તે બીજાં પર પોતાનો પ્રભાવ પાડશે. તમે જેની પાસે જાઓ તેનું કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. બની શકે તો નાના મોટા કામ દ્વારા મદદરૂપ થાઓ. અહીં હું ખોટી ખુશામત કરવાનું કે ખોટા મસકા મારવાની વાત કરતો નથી. સ્વભાવમાં સેવા અને સહાયતાનો ભાવ હશે તો સામેની વ્યક્તિને જરૂર પ્રભાવિત કરશે જ. એક વાર કહેવા છતાં કામ ન મળ્યું તો ગુસ્સે ન થાઓ. જ્યારે એ લોકો તમારી પરીક્ષા કરી લેશે તો જરૂરી તમારી મદદ કરશે. જ્યાં ખરેખર જગ્યા કે કામ નથી, તો ત્યાં બેસી રહેવાનો કાઈ અર્થ નથી. પણ જે લોકો મદદ કરી શકે તેમ છે તો તેમની મદદ લેવામાં સંકોચ પણ ન રાખવો જોઈએ. કારણ કે સમગ્ર મનુષ્ય જાત એક સાંકળથી વણાયેલી છે. એકની મદદ વિના બીજાનું કામ થઈ શકતું નથી. જે માણસ આજે આ જગ્યા પર છે, તેને ત્યાં પહોંચવામાં કેટલાય માણસોની સહાયતા અને કૃપા મેળવવી પડી હશે કોને કહું ? શું કહું ? આવું વિચારો નહીં. જેઓ કરી શકે તેમ છે તેમને કામ અપાવવાનું કહો. બાઈબલનો એક મંત્ર છે, “માંગશે તેને આપવામાં આવશે.”
શરૂઆતમાં કોઈ નાનું કામ મળતું હોય તો તેને સ્વીકારી લો. મોટા કામની અપેક્ષામાં બેસી રહેવું અને ભૂખે મરવું વ્યર્થ છે. કોઈ કામ હલકું નથી હોતું. કોઈ મોટો માણસ સામાન્ય કામ કરવા માંડે તો તે સામાન્ય કામ પણ મોટું બની જાય છે. મહાત્મા ગાંધી રેંટિયો કાંતતા હતા તેથી તે નાના ન બની ગયા. કૃષ્ણ ગાયો ચરાવીને ગોવાળીયા ન બન્યા. પણ ગૌસેવાનું મહત્ત્વ વધી ગયું. આથી બેકારીની જગ્યાએ કોઈ નાનું કામ, ઓછા પૈસાનું કામ મળે છે તો, વગર સંકોચે પ્રસન્નતાપૂર્વક તેને સ્વીકારી લો. એવું ક્યારેય ન વિચારો કે નાનું કામ કરવાથી અમારી કક્ષા હલકી થઈ જાય છે, પછી ક્યારેય મોટું કામ નહીં મળે. લાકડાં કાપીને વેચનાર અને ધોબી, ભંગીનું કામ કરનાર ગારફિલ્ડ જો પોતાની પાત્રતાના કારણે અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે છે તો એવું કોઈ જ કારણ નથી કે એકવાર નાનું કામ કર્યા પછી મોટું કામ ક્યારેય નહીં મળે. જો તમે હીરો છો તો વિશ્વાસ રાખો કે તમારે વધારે સમય ચમારના ઘરમાં પડ્યા રહેવું પડશે નહીં. આમથી તેમ રખડતાં-ભટકતાં છેવટે ઝવેરીની દુકાને પહોંચી જશો. નાના કામને ક્યારેય જવા દેશો નહીં. આંગળી પકડીને આગળ વધો. કામની જગ્યાઓના સંપર્ક કરો. પ્રામાણિકતા વધારો. હું ચોક્કસપણે કહીશ કે તમે બેકાર નહીં રહો અને એક દિવસ સંતોષજનક કામ મેળવી લેશો.
કેટલાય માણસો ભૂખે બેસી રહ્યા છે પણ કામ નાનું છે એમ સમજીને કામ સ્વીકારતા નથી. એક મેટ્રિક ભણેલા બાબુને ખેડૂત, મોચી, વણકર, લુહાર અથવા દરજીનું કામ કરવામાં શરમ આવે છે. તેને તો ઓફિસમાં ખુરશી પર બેસીને કારકુની કરવી છે, જેથી બીજા લોકોને આદરની દૃષ્ટિથી જુઓ. અહીં મને ભારતવાસીઓની બુદ્ધિ પર દયા આવે છે. સદીઓની રાજનૈતિક ગુલામીથી તેમના વિચારો અને દૃષ્ટિકોણ પણ કેટલા ગુલામ થઈ ગયા છે. સત્ય એ છે કે જે પોતાના પૌરુષત્વને તિલાંજલિ આપીને ચાકરીની શુદ્રવૃત્તિનો અંગિકાર કરે છે, તે સંસારમાં પોતાની હીનતાનું પ્રદર્શન કરે છે. આવા મનુષ્યોનો આવી જ ગુલામવૃત્તિવાળા માણસો આદર કરી શકે. પૌરુષત્ત્વને પ્રગટાવવું એ તો પુરુષનો સ્વાભાવિક ધર્મ છે. યોગ્યતાથી ઉપાર્જન કરવું એ સિંહવૃત્તિ છે અને પરાશ્રિત થઈને પેટ ભરવું એ શ્વાન વૃત્તિ છે. મારી દૃષ્ટિએ તો આખો દિવસ તિરસ્કાર સહન કરીને કટકો ખાનાર ભીખારી કરતાં પેલો મોચી વધારે આદરણીય છે, જે પોતાની બુદ્ધિ અને પરિશ્રમથી સરસ જોડું બનાવી લે છે. આ કામ કોઈ નાનું કામ નથી. જે કામના કરનારાઓ હલકા હોય છે તે કામ હલકું હોય છે. ઉદ્યોગી પુરુષો જ્યારે નાનું કામ કરે છે તો તે કામ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો તમે બેકાર હો તો જરા પણ સંકોચ અનુભવશો નહીં કે નાનું કામ કેમ કરાય ! તમારી શરમને એક ખૂણામાં ફેંકી દો અને જે નિર્દોષ કામ સામે આવે તેને સ્વીકારી કરવાનું શરૂ કરી દો. શ્રીમાન ફૂલર કહે છે, “નાનું કામ કરવામાં શરમાવાની કોઈ જરૂર નથી. શરમાવું તો એમને જોઈએ જે ગેરરીતિથી કમાય છે. નિશમોજ ચર્ચનો પાદરી ફલોન્ચર જુવાન થયો ત્યાં સુધી દીવાની વાટ વણીને પેટ ગુજારો કરતો હતો. જ્યારે તે ઉન્નતિ કરીને ઊંચા હોદા પર પહોંચ્યો ત્યારે એક ડૉક્ટરે તેનો પહેલાંનો ધંધો યાદ કરીને ટોણો માર્યો. બિશપે જવાબ આપ્યો, “જો તું મારી જેમ બત્તીઓ બનાવવાનો ધંધો કરતો હોત તો આખો જન્મારો એ જ કરતો હોત મારી જેમ ઉન્નતિ કરી શક્યો ન હોત.’
વૈજ્ઞાનિક ફરીડે લુહારનો છોકરો હતો. બાળપણમાં તેની રુચિ વિજ્ઞાન તરફ હતી. તે રસાયણશાળામાં કામ કરવા ઈચ્છતો હતો.તે પ્રયોગશાળામાં નોકરીની તપાસ કરવા ત્યાં ગયો અને શીખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. માલિકે તેને બાટલીઓ ધોવા રાખી લીધો. સાથે એ પણ વિચાર્યું કે જો પ્રગતિશીલ સ્વભાવ હશે તો નાનકડા કામમાંથી પણ આગળ વધી જશે; અને જો મૂર્ખ હશે તો મામૂલી કામ કરવામાં શરમ અનુભવી નાશી જશે. ફેરીડે નાઠો નહીં. તેણે બાટલીઓ સાફ કરવામાં અને તૂટેલાં વાસણ ગોઠવવામાં એવી તો કાર્યકુશળતા બતાવી કે માલિકને મોટું કામ આપવા માટે વિવશ થવું પડ્યું અને એક દિવસ તે એ જ રસાયણશાળાનો મહાન વૈજ્ઞાનિક બની ગયો. એક મૂર્તિકાર ખૂબ જ ઊંચી જાતના પથ્થરની ખોજમાં હતો, જેનાથી તે ભગવાન શિવની સુંદર મૂર્તિ બનાવવા માગતો હતો. પણ તેની મરજીનો પથ્થર ક્યાંય ન મળ્યો. આથી તે હતાશ થઈને બેસી રહ્યો. એક રાતે શિવાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે બેસી રહેવા કરતાં તો જેવો પથ્થર મળે તેની મૂર્તિ બનાવવી વધુ યોગ્ય છે. બીજા દિવસથી તેને સામાન્ય પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એ મૂર્તિ એટલી તો સુંદર બની કે તેની પશંસા ચારે બાજુ ફેલાઈ ગઈ. તમે સંપન્ન બનવા ઈચ્છો છો તો અવસરની શોધ માટે હાથ પર હાથ રાખીને બેસી રહો નહીં. આજે એ સર્વોત્તમ તક છે. મોટું અને સારું કામ નથી મળતું તો કોઈ ચિંતા નથી. નાનકડું કામ શરૂ કરી દો અને નાનામાંથી મોટા બનવાનો પ્રયત્ન કરતા રહો. તમને સફળતા મળી જશે. એક પારસી કહેવત છે, “આજે નાનું કામ શરૂ કરો, કાલે મોટું કામ તમારી પાસે આવીને પ્રાર્થના કરશે કે મને પૂર્ણ કરો.”
વગર મૂડીવાળાઓ માટે મજૂરી એ વેપાર છે કારણ કે શરૂઆતમાં તેઓ કશું કરી શકતા નથ. પણ જેમની પાસે મૂડી છે તેઓએ વેપારમાં જોડાવું જોઈએ નોકરીમાં જેટલો પગાર મળે છે, તેટલું ખર્ચ પણ થઈ જાય છે. ખૂબ જ ઓછા દાખલા એવા મળશે કે નોકરીથી વગર ચોરી કર્યે કોઈ ધનવાન બન્યું હોય મજૂરીમાં આરામથી પેટગુજારો કરી શકાય છે, પણ ધન એકઠું કરી શકાતું નથી. કહ્યું છે કે, “વ્યાપાર વસતેં લક્ષ્મી’ અર્થાત્ લક્ષ્મીનો વેપારમાં વાસ હોય છે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ પ્રાપ્ત થતી હોય છે. અર્થાભાવને કારણે મજબૂરી હોય, અથવા તો કોઈ આદર્શ અથવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે ગુજરાન ચલાવવું તે અલગ વાત છે. આ સિવાય જે લોકો નોકરી કરીને જીવન વિતાવે છે, તેઓ પોતાની મહાનતા સાથે રમત કરે છે અને એક પ્રાચીન વિદ્વાનના મતાનુસાર, ભાગ્યને વેચી નાખે છે. આવા લોકો વેપાર સિવાય ક્યારેય ધનવાન બની શકતા નથી.
બાકી ભલમનસાઈ અને પરિશ્રમી સ્વભાવવાળાને કામ ન મળે તેવું તો બની શકે જ નહીં. તેને ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ કામ મળી જ રહેશે. સદ્ગુણી વ્યક્તિની આજે બધે માંગ છે. દુનિયા તેને છાતીએ લગાડવા હાથ ફેલાવીને ઊભી છે. કચરા, કાંકરાને બહાર ફેંકવામાં આવે છે. તમે કચરો નહીં પણ સદ્ગુણી બનો. મનુષ્ય નહીં પણ માનવ બનો. તમને જરૂર કામ મળી જશે. જો તમારામાં મહત્ત્વાકાંક્ષા હશે, ઉન્નતિ કરવાની અદમ્ય અભિલાષા હશે તો નાનકડાં પગથિયાં ચર ચઢતાં ચઢતાં ઊંચે, ખૂબ ઊંચે એટલે સુધી કે સૌથી ઊંચા પદ પર પહોંચી જશો.
પ્રતિભાવો