૮. તીર્થોનાં અભિન્ન અંગ :
July 12, 2022 Leave a comment
તીર્થોનાં અભિન્ન અંગ :
પરિવ્રાજકોને તીર્થોનાં અભિન્ન અંગ માની યુગઋષિએ યુગતીર્થોમાં પ્રાણવાન પરિવ્રાજકોની નિમણૂક અને તેમની મર્યાદાઓ પર પ્રકાશ પાડતાં અખંડજ્યોતિ મે – ૧૯૭૯માં લખ્યું હતું :
“પ્રવ્રજ્યા અભિયાન અને ગાયત્રી તીર્થની સ્થાપના એકબીજાનાં પૂરક છે. બંને વચ્ચે એકબીજાની મદદનો સંબંધ રહેશે. શક્તિપીઠોને પાંચ તત્ત્વોથી બનેલું શરીર અને તેમાં પ્રવૃત્તિઓનો સંચાર કરનાર પાંચ પ્રાણના પ્રતીકરૂપે પાંચ પરિવ્રાજકોને જોઈ શકાશે.
ગાયત્રી તીર્થોનું નિર્માણ ઉચ્ચ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે થઈ રહ્યું છે. તેમની પ્રવૃત્તિઓનું સંચાલન કરનારી વ્યક્તિઓ પણ તેને અનુરૂપ શ્રેષ્ઠ હોય તો જ સંપર્કમાં આવનાર વ્યક્તિમાં શ્રદ્ધા અને ધર્મનો સંચાર કરી શકે. માત્ર પરિવ્રાજકોની ઉચ્ચ ગુણવત્તા પર જ ધર્મસંસ્થાનોની સફળતા સિદ્ધ થવાની આશા રાખી શકાય.
શક્તિપીઠોના પરિવ્રાજકો બ્રહ્મવર્ચસ, શાંતિકુંજમાં તાલીમ મેળવશે. સોંપેલી જવાબદારીઓ સારી રીતે સંભાળી શકે તે માટે તેમને ગુણ, કર્મ અને સ્વભાવની દૃષ્ટિએ શ્રેષ્ઠ અને યોગ્ય બનાવવામાં આવશે. તીર્થપુરોહિતને ઉપાસના પદ્ધતિ અને ધાર્મિક વિધિવિધાન કરાવવાની શાસ્ત્રીય જાણકારી હોવી જરૂરી છે. તેઓ પોતાના વિષયમાં પારંગત થશે ત્યારે તેમને તીર્થોમાં મોકલવામાં આવશે. સીધેસીધી કોઈની ક્યાંય નિમણૂક નહિ થાય અને જરૂરી તાલીમ ન મળે ત્યાં સુધી કોઈને તીર્થસંચાલનની જવાબદારી પણ નહિ સોંપાય.
પરિવ્રાજક એક વર્ષથી વધારે સમય ક્યાંય નહિ રહે. દર વર્ષે તેમની બદલી થશે. પાંચેય એક સાથે રહે એ જરૂરી નથી. જૂની ટોળીઓ ક્યારેક અપવાદ રૂપે જ એક વર્ષથી વધારે સમય એક જગ્યાએ રહેશે. તે સિવાય સામાન્ય રીતે દરેકની બદલી થતી રહેશે. તેનાથી તેમને તીર્થસેવનનો મોટો લાભ મળશે અને પ્રવ્રજ્યા લેતી વખતે પરિભ્રમણ કરવાની લીધેલી પ્રતિજ્ઞા પણ પૂરી કરી શકાશે. સરકારી કર્મચારીઓની ફરજિયાત બદલી કરવામાં આવે છે. વહેતા પાણીમાં સ્વચ્છતા ટકી રહે છે. બંધિયાર જળાશયો ગંધાય છે. એક સ્થળે રહેનારા સંતો પણ ક્યારેક સામાન્ય ગૃહસ્થની જેમ લાલચુ, સંઘરાખોર અને કાવતરાબાજ બની જાય છે. ગાયત્રી તીર્થોના સંચાલક લોભમોહનાં બંધનોમાં ન બંધાય. કોઈ પણ સ્થાન પચાવી પાડવાનો પ્રપંચ ન કરે તે માટે શરૂઆતથી જ સ્થળાંતરની વ્યવસ્થા કરી છે. મોહવશ સ્થળ છોડવું ગમતું નથી, પણ છોડવાના ફાયદા વધારે છે.”
આ નિર્દેશ જ્યારે શક્તિપીઠો માત્ર ગણીગાંઠી સંખ્યામાં બનવાની હતી ત્યારે લખાયો છે. સંખ્યા પુષ્કળ વધવાથી નિયુક્તિ અને બદલીઓમાં વ્યવહારુ ફેરફાર કરવામાં આવ્યા છે, જે “સંગઠનની રીતિનીતિ ’” પુસ્તિકામાં વાંચી શકશો.
નિમણૂક અને નિભાવ :
યુગાંતરીય ચેતનાના પ્રવાહ દેશના ખૂણેખૂણે પહોંચ્યો છે. નવસર્જનની પ્રેરણાઓને જાગૃત કરી હોય એવા આત્માઓને શોધવા મુશ્કેલ નથી. પરિવ્રાજકો જો પોનાના ક્ષેત્રમાંથી જ મળી જાય તો તે વધારે ઉપયોગી બને છે. અખંડ જ્યોતિ મે ૧૯૭૯માં તેમણે લખ્યું છે :
“વ્યવસ્થિત અને નિયમિત સેવાસાધનામાં રત રહી શકે એવા સેવાભાવીઓમાં કમાવાની જવાબદારીથી મુક્ત લોકો પણ હોઈ શકે કે જેમના પર કોઈ કૌટુંબિક જવાબદારી નથી, જેમનાં બાળકો પગભર થઈ ગયાં છે અથવા બાપદાદાની એટલી મિલકત હે કે તેના ભાડા કે વ્યાજમાંથી પણ નિભાવ થઈ શકે છે. આવી પ્રતિભાઓને વાનપ્રસ્થો જેવી પ્રવૃત્તિ અપનાવવા સંમત કરવી જોઈએ.
આ પ્રકારના સેવાભાવી અને સ્વાવલંબી લોકો ન મળે તો જેમના બ્રાહ્મણોચિત નિભાવની વ્યવસ્થા પ્રજ્ઞાસંસ્થાનો કરે એવા પ્રતિભાસંપન્ન લોકોને પણ શોધી કાઢીને નિયુક્ત કરવા જોઈએ. ઘરની મહિલાઓ ઇચ્છે તો થોડીઘણી આવક ઊભી કરી શકે છે. સંચિત નાણાંના મળતા બીજમાંથી પણ પૂરું થઈ શકે, ઓછું પડે તો પ્રજ્ઞાસંસ્થાનો એની વ્યવસ્થા કરે.
શક્તિપીઠો સાથે જોડાયેલા પરોવ્રાજકોના નિભાવની વ્યવસ્થાના કેટલાક સ્તર છે. કુટુંબ માટે કંઈ મોકલવું ન પડે તેવાને પ્રાથમિકતા આપવી જોઈએ. શક્તિપીઠ પર રહેનાર પરિવ્રાજકોનો નિભાવ શક્તિપીઠો કરશે. એમાં કેટલાક એવા પણ હોઈ શકે, જે પોતાને ઘેરથી નિભાવ માટે જરૂરી રકમ મંગાવતા રહે. દરેક શક્તિપીઠ પર એક વાનપ્રસ્થ પત્ની સાથે રહેતો હોવો જોઈએ. તેની સાથે બાળકો નહિ હોય. આ પતિપત્ની સાથે મળીને પૂજા, આરતીથી માંડીને અતિથિસત્કારની વ્યવસ્થા સંભાળે. આ સિવાય ચાર બીજા પરિવ્રાજકો હશે. ચારેય પાસે સાયકલો હશે. બે-બેની ટોળીમાં નક્કી કર્યા પ્રમાણે તેઓ સંપર્કક્ષેત્રમાં જશે અને એક એક દિવસ એક એક ગામમાં રોકાશે. તેમનો નિભાવ શક્તિપીઠ કરશે. પોતાનું મૂળ વતન નજીક હોય અને રાત્રે પોતાને ઘેર રહી દિવસે આ ફરજો પૂરી કરવાનુ કામ કરી શકે એવા પરિવ્રાજકો પણ ઉપયોગી સાબિત થશે. આવી સ્થિતિમાં ઘર અને શક્તિપીઠ બંનેન સંભાળવા શક્ય બનશે અને કુટુંબીઓનો વિરોધ પણ નરમ પડશે. જરૂર પડ્યે આવા લોકોના નિભાવમાં ખૂટતી વ્યવસ્થા શક્તિપીઠ કરી શકે.
નિભાવ ખર્ચ બાબતે બધાને એક લાકડીએ હાંકી ન શકાય. પરિસ્થિતિની ભિન્નતાને સમજી ફેરફાર કરવાં પડે. છતાં યોગ્ય યુગશિલ્પીઓએ અ દ્વિધામાં રહેવાની જરૂર નથી કે તેઓ નિભાવ વ્યવસ્થા ન થઈ શકવાથી મિશનનું કામ કરી શકતા નથી.
આ માટે સક્ષમ ભાવનાશીલોએ આગળ આવવું જોઈએ. અખંડજ્યોતિ ફેબ્રુઆરી ૧૯૭૯ના અંકના પાન ૫૩-૫ ૪ ઉપર પુજ્યરે લખ્યું છે :
“યુગસંધ્યાની આ વિશષ્ટ વેળા છે નવસર્જન માટે યોગદાન આપવામાં આનાકાની ન કરવો જોઈએ. જાગૃત આત્માઓ માટે નવસર્જનનું આમંત્રણ અંતરિક્ષમાંથી ઊતર્યું છે. તેનો અસ્વીકાર કરવામાં દરેક દૃષ્ટિએ ખોટ જ જવાની છે. આ જેટલું વહેલું સમજી શકો તેટલું સારું.
મહાકાલના આહ્વાનને જાગૃત આત્માઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી નવસર્જન માટે સમયદાન આપવું જોઈએ. સુદામાએ બગલમાં દબાવી રાખેલી પૌંઆની પોટલી આપવી પડતી હતી. કર્ણે સોનાથી જડેલા દાંત ઉખાડી આપવા પડ્યાં હતા, બિલ અને હરિશ્ચંદ્રે રાજ સિંહાસન ખાલી કરવાં પડ્યા હતાં. શબરીએ બોર અને ગોપીઓએ દહીંમાખણ ગુમાવવાં પડ્યાં હતાં. ગરીબ વિદુરજી માત્ર ભાજી જ પીરસવાની સ્થિતિમાં હતા, છતાં જે આપી શકતા હતા તેમાં કંજૂસાઈ ન કરી. સાધન ન હોય પણ શ્રમ અને મનોયોગ તો દરેક પાસે હોય છે. તે તો ગીધ, ખિસકોલી, રીંછ, વાનરો જેવા સાધનહીન લોકો પણ આપી શકે છે. સમયદાનની માગ એવી છે કે કોઈ પણ ભાવનાશીલ તે પૂરી કરી શકે. ગરીબાઈ, નવરાશ ન હોવી, ચિંતા, વિટંબણાઓનાં બહાનાં ઊભાં કરવાની જરૂર નથી. આવી બનાવટોમાં આપણા મગજનું કારખાનું એટલું ઝડપી છે કે વાત જ ના પૂછો. સહયોગ ન આપી શકવાનાં સેંકડો બહાનાં તથા કારણો બતાવી દેશે.
હકીકત કંઈક જુદી જ છે. અતિવ્યસ્તતામાંથી પણ માનવી ધારે તો પોતાને પ્રિય કામ કરવા માટે કોઈ ને કોઈ રીતે સમય ફાળવી શકે છે. ગરીબાઈ, બીમારી, વ્યસ્તતા અને સમસ્યાઓની જાળજંજાળ પણ એને એ કામ કરતાં રોકી શકે નહિ. કેટલાય એવા ભાવનાશીલો છે, જે પોતાના અંતરાત્માનો, મહાકાલનો તથા યુગનો પોકાર સાંભળવામાં અને સ્વીકા૨વામાં ગૌ૨વ અનુભવે છે. આપણો અંતરાત્મા જેને અગત્યનું માને તે કામને વધારે અગ્રિમતા આપવી જોઈએ.
સંચાલકો પાસે આશા
પૂ. ગુરુદેવે સંગઠનને કૌટુંબિક આધાર પર વિકસિત કર્યું છે. પીઠોનું સંચાલન પણ જાગૃત પારિવારિક તંત્ર દ્વારા જ થવું જરૂરી છે. પીઠોનું નિર્માણ, વ્યવસ્થા, નિભાવ અને અન્ય બાબતો માટે ક્ષેત્રના સક્રિય સમયદાનીઓ તથા પરિવ્રાજકો સાથે તાલમેલ બેસાડી આગળ વધવું જરૂરી છે. આ સંદર્ભેપ્રજ્ઞા અભિયાન જૂન – ૧૯૮૧ માં તેઓ લખે છે :
“કાર્યકર્તાઓની નિમણૂક બાદ સંચાલકોએ એવી આશા ન રાખવી જોઈએ કે સંસ્થાનની પ્રવૃત્તિઓ ચલાવવા પ્રતિભાશાળી વ્યક્તિઓ મળી જ જશે. જે ઉત્સાહ, ધગશ તથા કૌશલ્ય ભવન નિર્માણ વખતે રાખ્યાં હતાં તેવાં જ આ પ્રવૃત્તિઓ ચલાવવા માટે પણ રાખવાં પડશે.
ક્ષેત્રને જાગૃત કરવા, વિધિવ્યવસ્થા સંભાળવા અને જનસંપર્ક કરવા યોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ. આ કાર્યકર્તાઓ પ્રજ્ઞાસંસ્થાનની વિધિવ્યવસ્થા સંભાળી, સ્થાનિક દિનચર્યા પૂરી કર્યા પછી બીજું કંઈક કરશે એવી આશા ન રખાય. આ માટે સંચાલકોએ જાતે જ સજાગ અને તત્પર રહેવું પડશે. પ્રજ્ઞાસનનું માળખું આ રીતે જ ચાલે છે. અમુક ચૂંટેલા પ્રતિનિધિઓ નીતિ નક્કી કરે છે અને તેનો અમલ કરવાની જવાબદારી સચિવો પર છોડે છે. તેમનો સમય દફતર સંભાળવામાં નહિ, પણ જનસંપર્ક કરી યોગ્ય વાતાવરણ બનાવવામાં જાય છે. પ્રજ્ઞાસંસ્થાનોમાં પણ આ રીતે કામ લાગશે. મંદિરોની વર્તમાન વ્યવસ્થા પણ આ રીતે જ ચાલી રહી છે. આવી પદ્ધતિથી દૂર રહી વિશુદ્ધ આદર્શવાદી કાયપદ્ધતિ અપનાવવી વર્તમાન સ્થિતિઓમાં શક્ય નથી. સમય બદલાતાં સેવાભાવી સમયદાનીઓ કોઈ આશા (આર્થિક ઉપાર્જનની) રાખ્યા વિના હળીમળીને કામ કરશે એવી પરિસ્થિતિઓ આવશે. અન્ય સંસ્થાઓએ પણ કલાર્ક, પટાવાળા, પ્રચારક વગેરે નીમવા પડે છે. જરૂર પડ્યે પ્રજ્ઞા સંસ્થાનોએ પણ આ વ્યવસ્થા કરવી પડશે. પ્રથમ સંપર્ક સાધવાની અને સંમત કરવાની જવાબદારી સંચાલકોની છે. આ લોકોને મળવાનો તથા વિચારવિમર્શ કરવાનો ક્રમ પણ એમણે ચલાવવો પડશે. જેઓ પ્રભાવિત થાય તેમનો જન્મદિવસ ઊજવવાની અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સંચાલકોની છે. નિમણૂક પામેલા કાર્યકર્તાઓ તો ચીધેલાં કામ પૂરાં કરવા માટે દોડાદોડી કરી શકે છે. તે માટે ફુરસદના સમયવાળી સેવાભાવી વ્યક્તિને પૂરા અથવા થોડા સમય માટે મિશનરી ભાવનાથી યા નજીવી આર્થિક સહાય આપીને નીમી શકાય છે.
પ્રજ્ઞાપીઠો પર નિમણૂક પામેલા કર્મચારીઓ પર જ બધી જવાબદારી નાખી પોતે નિશ્ચિત ન થઈ જવું જોઈએ. પ્રજ્ઞાપુત્રોએ, પ્રજ્ઞાસંસ્થાનના સંચાલકોએ સંસ્થાનના કામકાજ તથા પ્રવૃત્તિઓ માટે હરહંમેશ આગળ પડતો ભાગ લેવા તત્પર રહેવું જોઈએ.
પ્રતિભાવો