અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭
August 7, 2022 Leave a comment
અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭
હરિદ્વારથી અશ્વમેધ યજ્ઞોની શૃંખલા શરૂ થઈ. પહેલો અશ્વમેધ જયપુરમાં થવાનો હતો. હું સવારે મંદિરમાં પૂજ્ય ગુરુદેવની ચરણપાદુકાઓને પ્રણામ કરી રહ્યો હતો. મેં ગુરુદેવને મનમાં પૂછ્યું કે ગુરુદેવ ! આ અશ્વમેધ યજ્ઞોમાં તપોભૂમિની ભૂમિકા શું હશે ? મને પ્રેરણા મળી કે બેટા ! તું બ્રહ્મભોજ કર. (બ્રહ્મભોજ વિશે અહીં વિસ્તારથી કહેવાની જરૂર નથી કેમ કે આ યોજના ફોલ્ડરોના માધ્યમથી બધા પરિજન જાણી ચૂક્યાં છે.) અડધી કિંમતે સાહિત્ય પ્રાપ્ત કરાવીને દરેક માણસ સુધી અમારા વિચારો પહોંચાડો. મેં વિચાર્યું કે અનુદાન ક્યાંથી આવશે અને વ્યવસ્થા કેવી રીતે થશે ? હું વિચારી રહ્યો હતો કે શાંતિકુંજથી ગાડી લઈને મારા જૂના મિત્ર રામેશ્વરભાઈ નૈનીવાલ આવ્યા. એમણે વિશ્વાસ આપ્યો કે દસ દિવસમાં જ એક લાખ રૂપિયા એકઠા કરી તમારી પાસે બ્રહ્મભોજ માટે જમા કરાવી દઈશું. એમણે એ સમયમાં દસ લોકો પાસેથી દસ દસ હજાર રૂપિયા અનુદાન લાવી પત્રિકા છપાવી દીધી. મેં સાહિત્યના પહેલા પાના પર અનુદાન આપનારનું નામ છાપી ચોંટાડી દીધું. આ રીતે અડધી કિંમતનું ચાર લાખ રૂપિયાનું સાહિત્ય જયપુર અશ્વમેધમાં બ્રહ્મભોજના રૂપમાં મોકલી આપ્યું. હું જયપુર, ગુના, ભિલાઈ અને લખનૌ આ ચાર જગ્યાએ અશ્વમેધ યજ્ઞોમાં ગયો. લખનૌમાં જ મેં માતાજીને કહ્યું કે હવે હું કોઈ અશ્વમેધમાં જઈશ નહીં. માતાજીએ કહ્યું, બેટા ! તારી જેવી મરજી હોય તેમ કર. પછી હું ૧૦૮ પુસ્તકોના સંકલન અને સંપાદન કાર્યમાં લાગી ગયો.
પ્રતિભાવો