ધૃણાની હાનીકારક મનોવૃત્તિ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
September 8, 2022 Leave a comment
ધૃણાની હાનીકારક મનોવૃત્તિ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
સહયોગનું મૂળ પ્રેમભાવના છે. જો આપણે આપણા પરિચિત, પાડોશીઓ વગેરે સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખીએ તો પરસ્પર સહયોગની વૃદ્ધિ થતી જશે. એના બદલે જો આપણા હૃદયમાં બીજા પ્રત્યે ધૃણાની ભાવના હોય તો આપણે એમને તિરસ્કારની દૃષ્ટિએ જોઈશું. પરિણામે આપણી આસપાસ વૈમનસ્યભર્યું વાતાવરણ ઊભું થશે, એટલે સહયોગની અપેક્ષા રાખનારે ઘૃણાની ભાવનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ. ધૃણા બીજા માટે નહિ, આપણા માટે પણ ઘાતક પુરવાર થાય છે.
ધૃષ્ણાની મનોવૃત્તિ આપણા મનમાં એક વિશેષ પ્રકારની વિચારધારા જન્માવે છે. સંવેગો ઉત્તેજિત થતાં ક્યારેક એ જ બાહ્ય વિચારનું રૂપ ધારણ કરે છે અને એને જેટલા વધુ પ્રમાણમાં ભૂલવા જાઓ એમ એ આપણા મનને વધુ જકડતા જાય છે અને અંતે માનસિક રોગનુંરૂપ ધારણ કરી લે છે. અચેતનાવસ્થામાં જે વિચાર આપણા મનમાં ઘર કરી જાય, એ જ વિચાર થોડા સમય પછી આપણી વિશેષ પ્રકારની મનોવૃત્તિ બની જઈને જુદાં જુદાં કાર્યોમાં પ્રદર્શિત થવા લાગે છે. માની લો કે એક માણસ કોઈ કુષ્ઠરોગી માણસને જુએ છે અને એના હૃદય ઉપર એનો ઘેરો પ્રભાવ પડે છે અને એ એના જ વિશે વિચાર કરવા લાગે છે અને એ વિચારો ધીમે- ધીમે દૃઢ બનતા જાય છે. એના પર ધ્યાન આપવાની ઇચ્છા ન હોવા છતાં પણ એ માણસ એ વિચારોને રોકી શકતો નથી. જો એ અવસ્થા વધુ દિવસ રહે તો એ બીમારીનાં ચિહ્નો કુષ્ઠરોગીના વિચાર કરનાર માણસમાં પણ પ્રગટ થવા લાગે છે અને એ પણ છેવટે કુષ્ઠરોગી બની જાય છે. પરંતુ જ્યારે આપણે ધૃણાજનક વ્યક્તિને ધૃણામુક્ત થઈને જોઈએ ત્યારે એને લગતા બાહ્ય વિચારોથી મહદંશે મુક્તિ મેળવવામાં સફળતા મેળવી શકીએ છીએ. મોટા જ ભાગે ઘૃણા અને ડરના કારણે જ આપણે શારીરિક કે માનસિક બીમારીના ભોગ બનીએ છીએ. જો કોઈ વ્યક્તિ કદરૂપા માણસને ધૃણાથી જુએ ત્યારે પ્રત્યક્ષ રીતે એનાથી દૂર રહેવાની ચેષ્ટા કરે છે. પરંતુ જ્યારે ઘૃણાની ભાવના પ્રબળ બને ત્યારે સ્વપ્નમાં પણ એ જ વ્યક્તિને જોવા લાગે છે. આ બધું એટલા માટે થાય છે કે ધૃણાનો ભાવ એક રીતે આત્મનિર્દેશથી પ્રભાવિત થાય ત્યારે આપણે ધૃણિત ગુણોને અનાયાસે જ આપણામાં ચરિતાર્થ કરવા લાગીએ છીએ.
જો આપણે ઈચ્છીએ તો અન્ય લોકોની શક્તિઓને નિર્લેપ ભાવે જોઈ શકીએ છીએ. આનાથી આપણા મન પર કોઈ પણ પ્રકારની અવળી અસર થતી નથી, પરંતુ જ્યારે આપણે કોઈના દુર્ગુણો પ્રત્યે સંવેગાત્મક રીતે વિચારવા લાગીએ ત્યારે આપણા વિચાર આપણા મન પર અવળી અસર પાડવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના દુર્ગુણો વિશે વારંવાર વિચારવાથી આપણા વિચાર સંવેગાત્મક રૂપ ધારણ કરી લે છે અને આવા વિચારો હંમેશાં હાનિકારક પુરવાર થાય છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સંસારના મહાપુરુષોએ અપરાધીને ક્ષમા કરવાનો ઉપદેશ આપ્યો છે. અપરાધીને ક્ષમા કરીને આપણે પોતાની ધૃષ્ણાની ભાવનાનું સહાનુભૂતિ દ્વારા રેચન કરીએ છીએ.
ધૃષ્ણાની મનોવૃત્તિનું મૂળ કારણ આપણા મનમાં રહેલી કોઈ ગ્રંથિ હોય છે. આપણે એ ગ્રંથિને ઓળખીને એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ગ્રંથિનો ઉકેલાવાથી ધૃષ્ણાની મનોવૃત્તિ પણ આપમેળે જ નષ્ટ થઈ જાય છે. સાધારણ રીતે આપણે આપણા દોષોનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતા. પરંતુ આધ્યાત્મિક નિયમ અનુસાર આપણે કોઈ ને કોઈ દિવસ આપણા દોષોનો સ્વીકાર કરવો જ પડતો હોય છે. આપણી પ્રકૃતિ ધીમેધીમે આપણને આત્મ-સ્વીકૃતિ તરફ લઈ જવાનું શરૂ કરી દેછે. પહેલાં આપણે પોતાના આ દુર્ગુણોને બીજામાં જોવા લાગીએ છીએ અને ધીમેધીમે એ વિશે જ વિચાર કરતાં કરતાં પોતે જ એનો શિકાર બની જઈએ છીએ. વાસ્તવમાં દુર્ગુણ ક્યાંય બહારથી નથી આવતા. એ તો પહેલેથી જ આપણી અંદર મોજૂદ હોય છે. પરંતુ આપણે તેની ઉપસ્થિતિનો સ્વીકાર કરતા ન હોવાથી પ્રકૃતિ આડા-અવળા રસ્તેથી પણ એનો સ્વીકાર કરાવે છે. જો શરૂઆતમાં જ આપણે આ દુર્ગુણોને ઓળખી જઈએ તો એનાથી છુટકારો મેળવી શકાય છે. જ્યારેપ્રકૃતિ બળજબરીથી તેનો સ્વીકાર કરાવે છે, તે તે આપણને પકડી લે છે. પછી એનાથી છૂટકારો મેળવવાનું દુષ્કર બની જાય છે.
જ્યારે સામી વ્યક્તિની માનસિક સ્થિતિ આપણા સવિચારો ગ્રહણ કરવા યોગ્ય હોય ત્યારે જ એનો પ્રભાવ પડે છે. આ જ વાત આપણા પોતાના વિચારોની બાબતમાં પણ સાચી છે. આપણા મનમાં સારા-નરસા જે પણ વિચારો ઉદ્ભવે છે, એ બધાની પૃષ્ઠભૂમિ આપણી અંદર જ હોય છે. કોઈ વ્યક્તિ અંગેના ખરાબ વિચારોનું કારણ પણ આપણી અંદર જ રહેછે. વાસ્તવમાં અજ્ઞાત રૂપે દુર્ગુણો આપણામાં ઉપસ્થિત હોય છે. પરંતુ બહાર આવવાનો ઉચિત માર્ગ ન મળવાથી એનું દમન થઈ જાય છે અને તક મળતાં નિંદા-કૂથલીરૂપે ફૂટી નીકળે છે. આ જ પરિસ્થિતિ બીજા પ્રત્યે આપણા શ્રદ્ધાભાવની પણ છે. હકીકતમાં શ્રદ્ધાના યોગ્ય ગુણોની પૃષ્ઠ ભૂમિ પણ આપણા મનમાં જ હોય છે. આપણું મન એ સદ્ગુણોને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી એ આવા ગુણોનું સન્માન કરવા માટે પણ આપણે પ્રેરિત કરે છે. ઉદાર ચિત્તવાળા માનવીઓના વિચારો ઉદાર હોય છે. આવા લોકો હંમેશાં બીજામાં ભલાઈજ જોતા હોય છે. એમની નજર કોઈના દોષો પર જતી નથી.
પ્રતિભાવો