ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ

ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ  ;  ઉપાસના-સમર્પણ-યોગ

પાણીમાં ઊતરતાં જ તેની શીળતા કે ઉષ્ણતાનું તરત જ ભાન થાય છે. અગ્નિની પાસે બેસનારને તેની ગરમી મળે તે સ્વાભાવિક છે. કોઈ પણ વસ્તુની સમીપતા મનુષ્યના જીવનમાં પોતાની એક વિશિષ્ટ પ્રભાવ જરૂર છોડે છે. ખરાબ લોકોના સંગથી બૂરાઈ વધે છે અને ભલા લોકોના સંગથી ભલાઈ વધે છે. લોકો આ જ કારણે સારા માણસો અને સારી વસ્તુઓનો સંગ કરવા ઇચ્છે છે.

ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – ઈશ્વરની પાસે બેસવું. જળ, અગ્નિ કે વાયુની સમીપતાથી જેવી રીતે માણસ તરત જ તેમના ગુણોના પ્રભાવનો અનુભવ કરે છે, બરાબર એ જ રીતે પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થતાં જ જીવનો દર્પ વિસ્તાર થવા માંડે છે,  તેની શકિતઓ વહેંચાવા લાગે છે. એ પ્રકાશથી મનુષ્ય ફકત પોતે જ માર્ગદર્શન કરે છે, પરંતુ તે બીજાઓને પણ સન્માર્ગની પ્રેરણા આપે છે. એક ઈશ્વરના ઉપાસકની શકિત એટલાં માટે મોટી અને જાજ્વલ્યમાન ગણાય છે કેમ કે તે સર્વશક્તિમાન જ્યોતિમાં સમાઈને પોતે પણ એમના વારસાનો અનુભવ કરવા માંડે છે અને આ બાબતમાં પ્રકાશ પાડતા યજુવેદમાં કહેવામાં આવ્યું છે. -સ પર્થ્યગાચ્છુક્રમકાયમવ્રણમસ્નાવિર ગુમ શુઘ્ધમપાપવિઘ્ધમ્   કવિર્મનીષી પરિભૂ સ્વયમ્ભૂર્યાથાતથ્યતોર્થાન્  વ્યદધાચ્છાશ્વતીભ્ય  સમાભ્ય: ॥    – યજુર્વેદ ૪૦/૮

જે પરમાત્મા દેવ તેજસ્વી, નિરાકાર, વ્રણ રહિત, સ્નાયુ રહિત, અલૌકિક, પાપરહિત, કવિ, મનીષી, સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન છે, તે બધાને આ શકિતઓથી ઓત પ્રોત કરે.

આ મંત્રમાં પરમાત્માની ઉપાસનાથી પ્રાપ્ત થતા મહાન આધ્યાત્મિક લાભોને ઈશ્વરીય ગુણોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. આ ગુણ અગ્નિની ઉષ્ણતા તથા જળની શીતળતાની સમાન છે અને જે માણસ જેટલો એમની નજીક જાય છે, એટલાં જ પ્રમાણમાં તેનામાં આ ગુણોનો આવિર્ભાવ થતો જાય છે અને અંતે એમાં જ લીન થઈને તે જીવ ભાવથી મુક્ત થઈ જાય છે.

પરમાત્માને ‘શક્રમ્’ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. પ્રકાશ-તેજસ્વિતા, નિર્દોષતા તથા જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વરની ઉપાસનાથી જીવાત્માની ઉન્નતિ થવા માંડે છે. જયાં સુધી મનુષ્ય પોતાના જીવ ભાવમાં હોય, ત્યાં સુધી તે અજ્ઞાની છે, તેને સંસારની વસ્તુ સ્થિતિનું કંઈ પણ જ્ઞાન હોતું નથી. તે ક્ષણિક સુખોની પૂર્તિ ને જ પોતાના જીવનનું લક્ષ્ય માને છે અને ભોગમાં જ લિપ્ત રહે છે. એનું કારણ એ છે કે તેનું જીવન દોષમુક્ત હોય છે. શારીરિક ભાગો, રોગ, શોક પેદા કરે છે. ઈન્દ્રિયોની દક્ષતા અને શકિત નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ તરફ ઝડપથી આગળ વધે છે. ભોગોથી જયાં શારીરિક રોગો વધે છે, બીજી બાજુ માનસિક ચિંતાઓ પણ વધે છે. આ ચિંતાઓ મનુષ્યને બંધનમાં બાંધે છે અને દુખી કરે છે, પરંતુ જ્યારે પરમાત્માનું શુક્રમ્ અર્થાત્ પ્રકાશતત્વે એના જીવનમાં પ્રવેશે છે ત્યારે તેને સાંસારિક ભોગો સાર વગરના લાગે છે. હવે તેને ક્ષણિક સુખ નિરર્થક લાગે છે અને તે દૈવી પ્રકાશમાં પોતાનું જીવન લક્ષ્ય ચક્કી કરે છે. તે વિચારે છે કે જ્યારે મને માત્ર સુખ અને અસીમ સુખ મેળવવાની જ ઇચ્છા છે, તો પછી હું આ ક્ષુદ્ર વાસનાઓની પાછળ શા માટે ભટકું ? એવા જ પ્રશ્નો એના જીવનમાં આવે છે, જેનાથી સંસારના ઊંડા રહસ્યો તથા પારલૌકિક માનવ જીવન વિશે તે વિચારવા લાગે છે, આ જ્ઞાન જ પરમાત્માનો પ્રકાશ છે, એને જ તેમની કૃપા માની શકાય. પરમાત્માનો આ પ્રકાશ મળ્યા વગર, મનુષ્યના જીવનનો ઉદ્ધાર થવો શક્ય નથી.

પ્રકાશ મનુષ્યના જીવન ના વિકાસની પ્રારંભિક અવસ્થા પણ છે અને અંતિમ પણ છે. પ્રારંભિક એટલાં માટે કે જીવની શકિતઓનો વિકાસ થવાનું અહીંથી શરૂ થાય છે. આ જ્ઞાનનો ઉદય થવાની સાથે જ મનુષ્યના મનમાં આત્મજ્ઞાનની તીવ્ર આકાંક્ષા જાગે છે. અંતે જીવન આ પ્રકાશમાં જ વિલીન થાય છે, તેથી એ પરમ લક્ષ્યની અંતિમ અવસ્થા પણ છે. આથી જ વેદ શાસ્ત્રોમાં જ્ઞાનના મહત્વને સર્વશ્રેષ્ઠ માન્યું છે અને જ્ઞાન વગરના મનુષ્યને પશુ જેવો ગણવામાં આવ્યો છે.

પરમાત્માનો બીજો ગુણ છે – અકાયમ્. તે નિરાકાર છે. તેનો માણસોની જેમ શરીર નથી આથી તે માણસ જેવું કાર્ય કરી શકતો નથી. ઉપાસકના અંતઃકરણમાં આ ગુણ પણ શીઘ્ર ચમકે છે. જ્યારે તે પરમાત્માનું જ્ઞાન તત્વ યા પ્રાણ તત્વ જ્યારે તે ધારણ કર્યું, ત્યારે સૌ પ્રથમ એને એવો અનુભવ થયો કે અત્યાર સુધી તે શરીરને જ સંસારના સુખો અને અહંકારની પૂર્તિનું મુખ્ય સાધન માનતો હતો અથવા એમ કહીએ કે અત્યાર સુધી તે પોતાના શરીરને જ જીવન અને પ્રાણ સમજતો હતો. તેનાથી હવે તેને વિરક્તિ થવા માંડે છે. વિરકિતનો અર્થ એ નથી કે તે શારીરિક ક્રિયાઓ છોડી દે છે, પરંતુ હવે તે શરીરને એક સાધન યા પરમાત્માનું મંદિર માનવા લાગે છે. અત્યાર સુધી જે ઈન્દ્રિયલિપ્સાઓ એને પરેશાન કરતી હતી, તે વિચારે છે કે આ શારીરિક વિકૃતિઓથી તેને પરેશાન ન થવું જોઈએ. આ શરીર પંચ ભૌતિક છે, નાશવંત છે, ગમે ત્યારે તેનો નાશ થઈ શકે છે, તેથી હવે તેના પર આધિપત્ય જમાવીને, તેનો સદુપયોગ કરવો જોઈએ.

આ ભાવનાઓના ઉદયની સાથે જ એણે પ્રાણ તત્વ યા શરીરમાં રહેલી ચેતનાનો અનુભવ થાય છે અને તે વિચારે છે કે હવે મારે અદશ્ય શરીરથી પ્રાણ શરીર પ્રાપ્ત કરવું જોઈએ. આ પ્રાણ શરીર નિરાકાર છે, જે ચિંતન અને વિચાર દ્વારા જ એનો અનુભવ કરી કાય શકાય છે. સૂક્ષ્મ ઈન્દ્દ્રિયો જ એને જાણી શકે છે. તેથી તેની મનોવૃત્તિઓ અંતર્મુખી થવા માંડે છે. તે શારીરિક સુખોથી વિમુખ થઈને પોતાના નિરાકાર સ્વરૂપનું ચિંતન કરે છે અને તેનું રહસ્ય જાણવા ઇચ્છે છે.

પરમાત્મા ‘અવ્રણમ્’ છે અર્થાત્ એને કોઈ પણ પ્રકારના ઘા લાગતા નથી. ઘા તો મનુષ્યના શરીરને લાગી શકે છે. શાસ્ત્રકારે કહ્યું છે – “નૈનં છિન્દન્તિ શસ્ત્રોણિ નૈનં દહતિ પાવક:|”  –  (ગીતા ર/ર૩) અર્થાત્ શસ્ત્રો આત્માને છેદી શકતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી. જયાં સુધી મનુષ્યમાં શરીર ભાવ હોય છે, ત્યાં સુધી સાંસારિક તાપ અને શારીરિક કષ્ટ એને અપ્રિય લાગે છે અને દરેક ક્ષણે એમાંથી છુટકારો મેળવવાનો તે પ્રયત્ન કરે છે,પરંતુ હવે તે વિચારે છે કે શારીરિક લાલસાઓ અત્યારે ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં અવરોધ રૂપ છે, તેથી તેમનો ત્યાગ કરવો જોઈએ. આ તપના અર્થમાં છે. તપની શારીરિક તિતિક્ષા પણ કહેવામાં આવે છે, અર્થાત્ શરીરને જાણી જોઈને કષ્ટ આપવામાં આવે છે, જેથી આત્મ ભાવ સ્પષ્ટ થવા લાગે અને જીવભાવમાંથી મુકિત મળે.

શરીરને કષ્ટ આપવાનો અર્થ એવો નથી કે એને શસ્ત્રોથી કાપવામાં આવે કે આગથી બાળવામાં આવે, પરંતુ એને એવી તિતિક્ષાઓમાં બાળવાનો છે જેનાથી લૌકિક સુખો ભોગવવાની ઈચ્છા મરી જાય. નિયમિત જીવન, સ્વચ્છતા, જપ, પ્રાણાયામ, ઉપવાસ, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે તપ કહેવામાં આવે છે. એમનો ઉદ્દેશ્ય આત્માને તપાવવાનો છે અને એને પરમાત્મામાં ભળી જવા યોગ્ય શુધ્ધ અને તેજસ્વી બનાવવાનો છે.

મનુષ્યની યુગ યુગાંતરોની દમિત વાસનાઓ એકદમ નષ્ટ નથી થતી. શરીર અને મનની આ સફાઈ બરોબર એવી છે જેમ કોઈ ગંદી નીકમાં શુધ્ધ જળ રેડીને કરવામાં આવતી સફાઈ જેવી છે. સફાઈ કરતી વખતે તેમા ઘણા સમયથી જામેલી ગંદકીની દુર્ગંધ એટલી તીવ્રતાથી ફેલવા લાગે છે કે તે બાજુ બાજુ લોકોના મગજ દુર્ગધથી ભરે દે છે, ખરાબ કરી દે છે. આત્મિક ઉન્નતિની સાધનાઓ વખતે પણ આપણા શરીરમાં વાસનાઓ અને લૌકિક કામનાઓની એવી દુર્ગધ પેદા થાય છે, જે મનને હચમચાવી નાખે છે. થોડીક વાર માટે તો મનને કાબૂમાં રાખવાનું પણ મુશ્કેલ બની જાય છે. આ હિલચાલની પ્રક્રિયાને જ અગ્નિ દીક્ષા યા પ્રાણ દીક્ષાના નામથી ઓળખવામાં આવે છે અને એ સ્થિતિને સંભાળવા માટે જ કોઈ અનુભવી માર્ગદર્શકની અતિ જરૂર પડે છે. પરમાત્માનો ‘અસ્નાવિરમ્’  ગુણ એ વાતનો બોધ કરાવે છે કે ઉપાસક પરમાત્માની પ્રાપ્તિ માટે જ્યારે સંધાન કરે, ત્યારે તેણે શરીરની ચંચળતાને બધી બાજુથી રોકવી જોઈએ, એવી કહી શકાય છે કે પરમાત્મા સાથે અચળ ભાવનાથી જોડાયેલો જીવાત્મા શારીરિક ચંચળતા, ઈન્દ્રિયોની ઉત્તજના કે મનોવિકારોથી પ્રભાવિત થતો નથી.

પરમાત્મા નિત્ય શુધ્ધ છે, તે પોતાના ઉપાસકમાં પાપ કઈ રીતે જોઈ શકે છે ? દૂધમાં શુધ્ધ પાણી ભળી શકે છે, પરંતુ ગંદુ અને ડહોળું પાણી તો દૂધને જ ખરાબ કરી નાખે છે. અગ્નિમાં લોખંડ નાખવામાં આવે છે, ત્યારે તે અગ્નિ વર્ણ બની જાય છે. એ જ રીતે પરમાત્મા પોતાના ભક્તના પાપોને બાળી નાખીને એને પોતાના જેવો પરમ પવિત્ર બનાવી દે છે. ઉપાસક પોતે પણ એ માટે પોતાના તરફથી પ્રયત્ન કરે છે. તેને લાગે છે કે જેમ પાપ પૂર્ણ જીવન જીવીને પરમાત્માને મેળવી શકતો નથી, તેવી જ રીતે જૂના પાપોનું ફળ ભોગવ્યા વગર પણ એને સિદ્ધિ મળી શકે નહીં. આ બન્ને સ્થિતિ વચ્ચે સંતુલન જાળવીને તે પોતાના પાપોને ધીરજ પૂર્વક ઘુએ છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા જેવી યોગ્યતા મેળવવામાં સંલગ્ન રહે છે.

વિચારો કરતા ભાવનાઓની શક્તિને મોટી માનવામાં આવે છે. પરમાત્મા વિદ્વાન પણ છે અને કવિ પણ છે. કવિતા આત્માની સર્વવ્યાપકતાની અભિવ્યકિત છે. આત્માનો જ્યારે વિકાસ થાય છે, ત્યારે આખા સંસારના સુખ દુઃખમાં તે પોતાના સુખ દુઃખનો અનુભવ કરે છે. ઈશ્વરના ઉપાસકમાં પણ આ ગુણ એ જ રીતે જાગૃત થાય છે. એનામાં પણ દયા, પ્રેમ, ત્યાગ, ઉદારતા, સહાનુભૂતિ અને કષ્ટોને સહન કરવાની શકિત જેવી કવિ ભાવનાઓ જાગે છે. પોતાના સ્વાર્થના પરિત્યાગને બદલે એને પરમાર્થમાં વધારે આનંદ આવે છે. સંસારમાં જેટલા પણ સંતો તથા ભકતો થયા છે એમણે માનવ સેવાને જ પરમ ધર્મ ગણાવ્યો છે. આવું થવાનું કારણ એ છે, પરમાત્માની ઉપાસના ફળ સ્વરૂપે એમની કવિ-ભાવનાઓ જાગૃત થઈ ગઈ. ઇતિહાસ પ્રસિધ્ધ ઘટના છે કે વાલ્મીકિ, અજામિલ તથા સદન કસાઈ જેવો કઠોર અને દુષ્ટ પ્રકૃતિના લોકોએ જ્યારે ઈશ્વરનું શરણ સ્વીકાર્યુ, ત્યારે તેઓ એટલા બધા સહૃદય બની ગયા કે તેમણે માનવ જાતની સેવા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું.

વિચાર અને ભાવનાઓની સર્વોચ્ચ સ્થિતિએ પહોંચતા સાધક ઈશ્વરની ‘પરિભૂ’  શક્તિનો રસાસ્વાદન કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે, પરિભૂ છે. સંસારના અણુએ અણુમાં એની સત્તા સમાયેલી છે. પહાડ, નદીઓ, સાગર વૃક્ષો, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે તમામનું સર્જન તેણે જ કર્યું છે. સર્વત્ર એનો જ પ્રકાશ ફેલાયેલો છે. કણ કણમાં, રજ રજમાં તે જ રમી રહ્યો છે. જળ, સ્થળ, નભમાં એવું કોઈ સ્થાન નથી, જયાં પરમાત્મા ન હોય. આ વિરાટ જગત એમનું જ સ્વરૂપ છે. એમનાથી કશું છુપું નથી. એમની નજર માંથી કોઈ બચી શકતું નથી. કોઈ માણસ કોઈક ખરાબ વાત કહે અને તે ન સાંભળે એવું બની જ ન શકે. ઉપાસક પરમાત્માની આ સર્વવ્યાપકતાની અનુભૂતિ પ્રાપ્ત કરીને આનંદ વિભોર થઈ જાય છે. તે પોતાની જાતને પણ એ અવિનાશી તત્વમાં વિલીન થઈ ગયેલી સર્વવ્યાપક સત્તાના રૂપે જુએ છે અને પોતે પણ સર્વવ્યાપક થઈ જાય છે.

પરમાત્મા સર્વશક્તિમાન પણ છે. તેની વ્યવસ્થા ખૂબ વિશાળ અને અનોખી છે. તે સંસારના બધા કર્મોની દેખરેખ રાખે છે અને કર્મનું ફળ પણ એ જ આપે છે. પરંતુ તે આ બધું અલિપ્ત, નિર્વિકાર ભાવથી કરે છે. સંસારના કલ્યાણની દૃષ્ટિથી જ તેણે પોતાની બધી શકિતઓને વિકસિત કરેલ છે. અને એમનો લાભ પણ તે આખા સંસારને આપી રહ્યો છે, એના શરણે જનાર સાધક પણ અંતે આ મહાન વિભૂતિ પ્રાપ્ત કરીને અલિપ્ત, નિર્વિકાર અને જીવન મુક્ત બની જાય છે. માનવ શરીરમાં જ તે પરમાત્માની શકિતઓ અને સિઘ્ધિઓનો સ્વાદ માણીને અંતે એ જ સુખ સ્વરૂપ, તેજસ્વી અને દુઃખ નાશક પરમાત્માના દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ જાય છે.

ઉપાસનાનું ફળ કેવી રીતે મળે ? ઉપાસના સમર્પણ યોગ

ઉપાસનાનું ફળ કેવી રીતે મળે ?  :   ઉપાસનાનો મુખ્ય હેતુ છે – ઈશ્વરનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવું. કોઈ માણસ જયાં સુધી પૂજા, અર્ચના, સ્તવન, જપ, ધ્યાન તથા કીર્તન વગેરેની ઉપાસના વિધિમાં નિરત રહે છે, ત્યાં સુધી તેને એવું લાગે છે કે પરમાત્મા તેની પાસે છે અથવા તે પોતે પરમાત્માની નજીક છે અને તે જે કંઈ કરી રહ્યો છે, તે બધું પરમાત્મા માટે જ કરી રહ્યો છે. પરમાત્મા એની પૂજાનો સ્વીકાર કરી રહ્યા છે તથા એની પ્રાર્થના અને કીર્તન સાંભળી રહ્યાં છે. આમ, ઉપાસના દરમ્યાન ઉપાસક ભાવનાત્મક રૂપે પરમાત્માના સાન્નિઘ્યમાં રહે છે.

પરમાત્મા અણુ અણુમાં વ્યાપેલો છે. તે ઘટ ઘટમાં નિવાસ કરી રહ્યો છે. કોઈ સ્થાન એના વગરનું નથી. તે સર્વત્ર હર હંમેશ વિદ્યમાન રહે છે. શું ઉપાસક તથા ઉપાસનાની સામગ્રીમાં, બધામાં પરમાત્મા દરેક સમયે હાજર હોય છે. એવું નથી કે ઉપાસના કરતી વખતે જ તે ઉપાસકની પાસે હોય છે. તે હરહમેશ દરેકની પાસે જ રહે છે, તે સર્વવ્યાપક છે. જો વિશેષ ઉપાસના વિધિ અપનાવીને તે પોતાના દરેક કામને પરમાત્માને સોંપી દે, દરેક કામને તેનું જ કામ માને તથા દરેક કામને ઉપાસના જેવી શ્રદ્ધા તથા આસ્થાથી કરે, તો મનુષ્યના સામાન્ય નિત્ય નૈમિત્તિક કાર્યો પણ ઈશ્વરની ઉપાસનાના રૂપમાં બદલી જાય છે અને એનાથી એને શાંતિ, સંતોષ તથા આનંદ જેવા પવિત્ર ફળો પ્રાપ્ત થાય છે, પરંતુ આ ખૂબ સરળ લાગતું હોવા છતાંય બહુ ઊંચી અને દૂર ની વાત છે. સામાન્ય માણસોનો માનસિક અને આત્મિક વિકાસ હજુ આ સ્તર સુધી પહોંચ્યો નથી.

સર્વવ્યાપક પરમાત્માની સર્વકામદ ઉપાસના કરતા રહેવું દૈનિક જીવન માટે તો મંગળ મય છે જ, પરંતુ સર્વ ફળ આપનારી ઉપાસના કરવા યોગ્ય મનોવિકાસ પ્રાપ્ત કરવો પણ ખૂબ જરૂરી છે.

સાચી ભાવનાથી કરવામાં આવેલી ઉપાસના, ચમત્કારની જેમ ફળ આપે છે. ભાવનાને પૂર્ણ રૂપે પરમાત્મા સાથે જોડીને થોડીક વાર કરવામાં આવેલી ઉપાસના પણ જીવન પર કાયમી પ્રભાવ પાડે છે, તે ઉચ્ચ વિચારો, નિર્વિકાર સ્વભાવ તથા સત્કર્મોના રૂપમાં જોવા મળે છે. ઉપાસના કરવા છતાંય જો માણસ ગુણ, કર્મ તથા સ્વભાવ અને મન, વચન તથા કર્મથી ઉત્કૃષ્ટતા બને, તો એવું જ માનવું પડે કે તેણે ઉપાસના કરી જ નથી, માત્ર ઉપાસના કરવાનું નાટક કર્યું છે.

ભજન પૂજન અથવા જપ કીર્તન કરતી વખતે જો મનુષ્ય પોતાની ચેતના અથવા હ્રદયમાં પરમાત્માની સમીપતાનો અનુભવ કરતો રહે, તો એટલી વારની એ સમીપતા આખા દિવસ સુધી આનંદ અને ઉત્સાહનો સંચાર કરતી રહેશે. ઉપાસના વખતે જેટલા ઊંડાણથી પોતાના મન તથા ભાવનાને પરમાત્માની સાથે જોડી રાખવામાં આવશે, તેટલા જ ઊંડાણથી તે અનુભવ જીવનમાં સ્થિર થતો જશે અને એક દિવસ એવો આવશે કે મનુષ્ય પોતાની અંદર અને બહાર તે પરમ પિતાને સતત ઓત પ્રોત રહેલો જોશે.

આવી સ્થિતિ આવતાં મનુષ્યનો આત્મોઘ્વાર થવો નિશ્ચિત છે. એના ગુણ, કર્મ અને સ્વભાવ પરમાત્મા જેવા પાવન પ્રભુની નજીકથી ઉત્કૃષ્ટ અને પવિત્ર બની જશે. પરમાત્માની સમીપતાની સ્થાયી અને સ્પષ્ટ અનુભૂતિ થતાં ભક્તને વિશ્વાસ થઈ શકે કે “પરમાત્મા બધે વ્યાપેલો છે”, એના વગરનું કોઈ સ્થાન નથી. તે અંતર્યામી અને સર્વજ્ઞ છે. પરમાત્માની ઉપસ્થિતિનો વિશ્વાસ થવાના કારણે સૌ પ્રથમ તો માણસ સ્વાભાવિકનો વિશ્વાસ થવાના કારણે સૌ પ્રથમ તો માણસ સ્વાભાવિક રૂપે કશું જ ખોટું નહિ કરે અને જો કદાચ તે ધૃષ્ટતા પૂર્વક એવું કરે, તો તેને એનો કેટલો ભયંકર દંડ મળશે, એની કલ્પના કરી શકાય નહીં.

ઉપાસનાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તેના દ્વારા પરમાત્માનું વધારેમાં વધારે સાન્નિધ્ય પ્રાપ્ત કરવામાં આવે, જેના દ્વારા પરમ પિતાની એવી કૃપા મેળવી શકાય, જેનાથી આપણી આત્મને મુકિત મળી શકે. આવું ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે આપણી ઉપાસના નિર્લોભ તથા નિષ્કામ હોય અને આપણી જીવન પદ્ધતિ અને ગતિવિધિ ઉપાસનાને અનુરૂપ જ મહાન અને પવિત્ર હોય.

ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? ઉપાસના સમર્પણ યોગ

ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ?

સમડી પોતાના શિકારની શોધ માટે આકાશમાં ઊંચે ઉડે છે. તે ઊંચે જઈને ચકરાવો લેતી રહે છે. ત્યાંથી તે દૂર દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. સમડી તે ઉંચાઈએથી જમીન પરની બધી દૃશ્ય અને વસ્તુઓને સહેલાઈથી જુએ છે, પારખે છે અને જ્યારે એને પોતાનો શિકાર જણાય છે, ત્યારે એકદમ ઝપટ મારે છે અને તેને પકડી લે છે.

સમડી આ કામ જમીન પર રહીને અથવા તો કોઈ વૃક્ષ પર બેસીને પણ કરી શકે, પરંતુ ઓછી ઉંચાઈએથી નાના વિસ્તારનું જ અવલોકન થઈ શકે છે. ઓછા વિસ્તારમાંથી શિકાર મળે કે ન પણ મળે, આથી તે ખૂબ ઊંચે ઉંડે છે અને સહેલાઈથી પોતાનો શિકાર શોધી લે છે.

માણસની સ્થિતિ પણ બરાબર આવી જ છે. પોતાની આજુ બાજુની વસ્તુઓને તે સ્થૂળ આંખોથી અને ઓછા વિવેકથી જુએ છે તેથી તે મનુષ્યનું શરીર ધારણ કરવાનું પોતાનું લક્ષ્ય સારી રીતે સમજી શકતો નથી. પોતાના જીવનના ઉદ્દેશ્યથી અપરિચિત માણસની રીત ભાત, રહેણી કરણી, વિચાર અને વ્યવહાર મોટા ભાગે અસ્ત વ્યસ્ત શ્રેણીના હોય છે. જે માણસને સાચા લક્ષ્યનું ભાન ન થયું હોય, તેનું જીવન વ્યર્થ છે એમ જ માનવું જોઈએ.

ઈશ્વરની ઉપાસનાથી મનુષ્યને એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, જ્યાંથી તે વધારે સૂક્ષ્મતા, દીર્ઘદૃષ્ટિ અને વિવેકની સાથે સંસાર તથા તેની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના જ અહંકાર સાથે સંસારની સરખામણી કરવાથી મનુષ્યના દરેક કાર્યમાં સંકીર્ણતા બની રહે છે. સંકીર્ણતાના કારણે આત્મા પોતાની અપાર શકિત અને સામર્થ્યનો આનંદ લઈ શકતો નથી. મનુષ્ય બીજા જીવ જંતુઓ જેવો તુચ્છ જ રહે છે. આત્માના સાચા સ્વરૂપને ઓળખવા માટે એણે ઊંચા ઊઠવું પડે છે, તે ઊંચાઈ ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. તે સ્થિતિનું વારંવાર મનન કર્યા વગર સાચા લક્ષ્યનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી.

જ્યારે પણ કોઈ ઈશ્વરની ઉપાસના કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તે એવું માનીને કરે છે કે આ સંસારની કોઈ મુખ્ય નિયામક શકિત અવશ્ય હોવી જોઈએ. દરેક વસ્તુઓ કોઈકને કોઈક તો જરૂર સર્જન હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોવો જ જોઈએ ને. જ્યારે માણસના અંતઃકરણમાં આવી માન્યતાનો ઉદય થાય છે, ત્યારે તેના વિચારવાની રીત બદલાઈ જાય છે. અત્યાર સુધી જે બાબતો તેને સામાન્ય લાગતી હતી, એમાં હવે વિશદ જ્ઞાન ભરેલું દેખાય છે. આ રીતે મનુષ્યના જ્ઞાનનો વિકાસ થાય છે અને વિશ્વના સાચા સ્વરૂપને જાણવાની તાલાવેલી પણ વધે છે. આ બન્ને બાબતો માણસના સાચા લક્ષ્યની પસંદગી માટે જરૂરી છે. એ બન્ને ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત  થાય છે.

ઉદાહરણ તરીકે સૂર્ય, ચંદ્રમાં, પૃથ્વી, સાગર, નદીઓ, પહાડ વગેરે પ્રાકૃતિક વસ્તુઓને સામાન્ય મનુષ્ય એમ જ જુએ છે, જ્યારે ઈશ્વરનો ઉપાસક તેમને વિરાટ રૂપમાં જુએ છે. તે વિચારે છે કે આટલો મોટો સંસાર બન્યો કેવી રીતે, પદાર્થ શું છે, શરીર ક્યાંથી આવ્યું અને એની અંદર નિવાસ કરનારા અહંકારનું સ્વરૂપ શું છે ? ઉપાસનાનું સ્તર જેટલું વિકસિત થાય છે, એટલાં જ પ્રમાણમાં ગૂઢ પ્રશ્નો પણ વધે છે. એટલાં જ પ્રમાણમાં વિચાર કરવાની ક્ષમતા પણ વધે છે અને ત્યારે મનુષ્ય પોતાના જીવનના ઉદ્દેશ્યની નજીકતાની તરફ એટલી જ તીવ્રતાથી આગળ વધે છે.

સામાન્ય લોકો આ સંસારના ભૌતિક પદાર્થોમાં સુખ શોધ છે, એમને જ્ઞાનનું કોઈ મહત્વ હોતું નથી, એના લીધે માનવ જીવનમાં વિચારો પેદા થાય છે અને દોષ દુર્ગુણો તથા મુશ્કેલીઓ વધે છે. જ્યારે સુધી માણસ ભૌતિક સુખોમાં ભટકે છે, ત્યાં સુધી તેની મુશ્કેલીઓ જ વધે છે. એને સુખ અને દુઃખમાં શો તફાવત છે, તેનું જ્ઞાન થતું નથી ? જ્યારે સુખ માનીને ભોગવવામાં આવતા ભોગો અને ઈન્દ્રિયો જ માણસના મૃત્યુનું કારણ બને છે, ત્યારે તેને ખબર પડે છે કે અજ્ઞાનતાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે અને તેનું નિરાકરણ એક જ રીતે થઈ શકશે તેનું જ નામ છે ઈશ્વરની ઉપાસના, અહીંથી જ જ્ઞાનનો જન્મ થાય છે.

ઈશ્વરની ઉપાસનામાં લાગેલી બુદ્ધિ મનુષ્યમાં એટલો વિવેક જગાડી દે છે, જેનાથી તે સંસારની ક્ષુદ્ર વાસનાઓથી બચવાનો પ્રયત્ન કરે. સચ્ચાઈનો અનુભવ કર્યા વગર સુખ ક્યાંથી મળે ? અજ્ઞાન જ મનુષ્યના દુઃખનું કારણ બતાવ્યું છે.

પોતાની આંખોથી પોતાની જ આંખોને જોઈ શકાતી નથી. જ્યારે કોઈ એવી જરૂર પડે છે, ત્યારે અરીસો શોધીએ છીએ અને એની મદદથી આંખની સ્થિતિ જોઈએ છીએ. એ જ રીતે મનુષ્ય પોતાની અંદર રહીને પોતાની સ્થિતિનું સાચું અનુમાન કરી શકતો નથી. વળી પોતાના વિશેની માહિતી જ પૂરતી નથી, આપણી આજુ બાજુની વસ્તુઓ, જે પરિસ્થિતિઓથી મનુષ્ય સતત પ્રભાવિત થાય છે, એમના વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. આ બધાનું જ્ઞાન કોઈક ઊંચી જગ્યાએ બેસવાથી જ થાય છે. એ સ્થિતિ બ્રહ્મની જ હોઈ શકે છે. બ્રહ્મની અનુભૂતિ થવાની સાથે જ સંસાર વિશે પણ સાચું જ્ઞાન થાય છે.

ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – પોતે પોતાને વિકસિત કરવા. સમડીને જેમ ઊંચે જઈને પોતાના નિરીક્ષણ  ક્ષેત્રને મોટું કરવું. જે જેટલો ઊંચો ઊઠીને નિરીક્ષણ કરે છે, તેને એટલો જ દીર્ઘદષ્ટિવાળો તથા વિવેક વાન માનવામાં આવે છે. જ્યારે બધી વસ્તુઓની સ્થિતિની સાચી ખબર પડી જાય છે, ત્યારે શું પસંદ કરવું અને શું ન કરવું તે સરળ બની જાય છે. આમ જ્ઞાન થયા વગર મનુષ્ય સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકતો નથી.

સામાન્ય રીતે માણસ, શરીરને જ સર્વસ્વ માને છે અને આખું જીવન એ શરીરની ઈન્દ્રિય  લિપ્સાને સંતોષમાં જ વિતાવી દે છે. એનાથી અમુક હદ સુધી લૌકિક જરૂરિયાતો કદાચ પૂરી થઈ જાય, પરંતુ પર લોકને ભૂલી જવાય છે. પરલોકની માન્યતાઓ સાવ પાયા વગરની છે, એમ પણ કહી શકાય  નહીં, વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે બીજા ગ્રહો ઉપર પણ જીવન શક્ય છે. આવી સ્થિતિમાં સ્વર્ગ અને નરકની કલ્પનાનો પણ કોઈક આધાર હોવો જોઈએ. આ આધારભૂત જ્ઞાન મેળવવામાં માટે લૌકિક જીવન જ પૂરતું નથી, પરંતુ એના માટે આપણી અંદરના ચેતન તત્વ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. આ આંતરિક ચેતના માટે બ્રહ્મ અરીસા સમાન છે. ઈશ્વરની માન્યતા દ્વારા માણસ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને એની મદદથી પારલૌકિક જીવનનું જ્ઞાન પણ મેળવે છે.

પરમાત્મા સાથે તાદાત્મ્ય કેળવવું તે આત્માને વિશાળ બનાવવાની પ્રક્રિયા છે. અહંકારને દૂર કર્યા વગર મનુષ્યનું પારલૌકિક હિત સધાતું નથી. મનુષ્ય જ્યારે પોતાપણાને ભૂલી જાય છે, ત્યારે તે સમગ્ર વિશ્વને જ આત્મ સ્વરૂપમાં માનવા લાગે છે. તેને બધા પોતાના જ વિવિધ સ્વરૂપો દેખાય છે. જ્યારે બધા પોતાના જ લાગે, તો પછી તે કોઈની સાથે છળ કપટ નહિ કરી શકે, તેને ક્રોધ નહિ આવે અને તે કોઈના પ્રત્યે વેરની ભાવના પણ નહીં રાખી શકે. બધાના સુખમાં તેને સુખ મળશે. બધા તેને વહાલા લાગશે, બધા જ પોતાના સગા સંબંધી લાગશે.

આ આંતરિક વિશાળમાં જ જીવાત્માને સાચો આનંદ અને સાચો સંતોષ અને સાચી તૃપ્તિ મળે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્યનું જીવન સાર્થક બની જાય છે. મનુષ્ય આનંદ માટે જ પેદા થયો છે, પરંતુ વચ્ચે માર્ગ ભૂલી જવાના કારણે તે દુખી થઈ જાય છે. હવે ફરીથી સાચા રસ્તા પર આવવા અને અંતે એમાં જ વિલીન થઈ જવા માટે ઈશ્વરને જાણવો જરૂરી બની જાય છે. પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ છે. એને જાણવાથી જ આત્માની તરસ છીપે છે, સંતોષ મળે છે અને સદગતિ થાય છે, આ સિવાય આત્મકલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. પરમાત્માની શરણાગતિ પામ્યા વગર, માનવ જીવન જેવો અમૂલ્ય અવસર પણ વેડફાઇ જાય છે.

ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા, ઉપાસના સમર્પણ યોગ

ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા

ઉપાસના અનિવાર્ય અને આવશ્યક પણ આ સંસારમાં જે કંઈ શુભ છે, શ્રેષ્ઠ છે, મંગળમય છે – તે બધો પરમાત્માનો જ વૈભવ છે. ગીતામાં વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે આ સંસારમાં જે કંઈ શ્રેષ્ઠ જોવા મળે છે, તેને ભગવાનની વિભૂતિ જ માનવી જોઈએ.

પરમાત્માની જેટલા નજીક જઈએ છીએ, એટલી જ શ્રેષ્ઠતા આપણા અંતઃકરણમાં પેદા થાય છે તથા વધે છે. એના પ્રમાણમાં જ આંતરિક શાંતિ પણ મળે છે.

હિમાલયમાં રહેતા લોકોને ત્યાંની ઠંડી આબોહવા વધારે શીતળતા પ્રદાન કરે છે, એ જ રીતે આગની ભઠ્ઠીઓની નજીક કામ કરતા લોકોને વધારે ગરમી લાગે છે. જીવ જેમ જેમ પરમાત્માની નજીક પહોંચતો જાય છે, તેમ તેમ એને એમની વિભૂતિઓનો પોતાની અંદર અનુભવ થવા માંડ છે. જે તે પરમ પ્રભુમાં ઓત પ્રોત છે.

ઉપાસનો અર્થ છે – પાસે બેસવું. પરમાત્માની પાસે બેસવાથી જ તેની ઉપાસના થઈ શકે છે. સામાન્ય વસ્તુ તથા પ્રાણી પોતાની વિશેષતાઓની છાપ બીજા પર પાડે છે, તો પછી પરમાત્માની પાસે બેસનારાઓ ઉપર એમની દૈવી વિશેષતાઓનો પ્રભાવ કેમ ન પડશે ?

બગીચામાં જતાં જ ફૂલોની સુગંધ અને ર્સૌદર્યથી મન પ્રસન્ન થાય છે. ચંદનના વૃક્ષો પોતાની આજુ બાજુના વૃક્ષોને સુગંધિત બનાવે છે. સજજનોના સત્સંગથી સામાન્ય લોકોની મનોભાવનાઓ સુધરે છે, તો પછી પરમાત્મા પોતાની મહત્તાની છાપ તે લોકો પર કેમ ન છોડશે, જે એમની નજીકતા માટે પ્રયત્નશીલ રહે છે.

ગરમ તથા ઠંડા લોખંડને એકબીજાની સાથે રાખવામાં આવે તો જેવું થાય છે એવું જ આત્મા પરમાત્માની પાસે પહોંચે ત્યારે થાય છે. ગરમ લોખંડની ગરમી ઠંડા લોખંડમાં જાય છે અને થોડીવારમાં બન્નેનું તાપમાન લગભગ એક સરખું થઈ જાય છે. તે તળાવો જયાં સુધી અલગ અલગ રહે છે, ત્યાં સુધી તેમના પાણીનો સ્તર ઉંચો-નીચો રહે છે, પણ જ્યારે બન્ને એક નીક દ્વારા જોડી દેવામાં આવે છે, ત્યારે વધારે ભરેલા તળાવનું પાણી ઓછા પાણીવાળા તળાવમાં જાય છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જયાં સુધી બન્નેનું લેવલ સરખું ના થાય.

ગરમ તથા ઠંડું લોખંડ ભેગાં મળવાથી અને બે જળાશયોને જોડવાની જેમ એકરૂપતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે ઉપાસના દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન થતાં જીવમાં દૈવી ગુણોની ઝડપથી વૃદ્ધિ થવા માંડે છે.

કોઈ વ્યકિતની ઉપાસના સાચી છે કે ખોટી, એની એક જ પરીક્ષા છે કે સાધકની અંતરાત્મામાં સંતોષ, પ્રફુલ્લતા, આશા, વિશ્વાસ અને સદૃભાવનાનું કેટલી માત્રામાં અવતરણ થયું. જો તેનામાં આ ગુણો ન આવે અને હીન વૃત્તિઓવાળો જ રહે, તો સમજી લેવું જોઈએ કે વ્યકિત ભલે ગમે તેટલા પૂજા પાઠ કરતો હોય ઉપાસનાથી હજુ દૂર જ છે.

પૂજા-પાઠ અને ઉપાસના બન્ને જુદી જુદા બાબતો છે. માત્ર કર્મ કાંડની ચિન્હ પૂજા કરવાથી ઉપાસનાનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જીવને જીવન ધારણ કરવા માટે શરીરની જરૂર પડે છે, પરંતુ શરીર જ જીવન નથી. જીવ વગરનું શરીર જોવા તો મળે જ છે, પરંતુ તેનાથી કોઈ લાભ નથી. આ જ પ્રકારે ઉપાસના વિહીન પૂજા પણ થાય છે, પણ તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.

આત્મા જ્યારે પરમાત્માના ખોળામાં બેસે છે, ત્યારે એને પ્રભુની સહેજ કરુણા અને અનુકંપા (દયા) નો લાભ મળે છે. એને તરત જ નિર્ભયતા તથા નિશ્ચિંતતા પ્રાપ્ત થાય છે. હાનિ, રોગ, શોક, વિયોગ, ચિંતા, અસફળતા અને વિરોધ જેવી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ તેને વિચલિત થવાની જરૂર નથી. એને આ પ્રતિકૂળતાઓમાં પણ પોતાના હિત સાધનનું જ કોઈક વિધાન છુપાયેલું દેખાય છે. વાસ્તવમાં દુઃખ આપણી ત્રિટિયોને દૂર કરવા અને પુરુષાર્થમાં વધારો કરવા માટે જ આવે છે. આળસ અને પ્રમાદને, અહંકાર અને ઈર્ષાને મસ્તિષ્કમાંથી દૂર કરવાનો હેતુ જ એ પ્રતિકૂળતાઓનો હોય છે. સાચા આસ્તિકને પોતાના પ્રિય પરમેશ્વર પર સાચી આસ્થા હોય છે અને તે અનુકૂળતાઓની જેમ જ પ્રતિકૂળતાઓનું પણ ખુલ્લા દિલે સ્વાગત કરે છે.

માતા બાળકને મધુર મિષ્ટાન પણ ખવડાવે છે અને જરૂર પડે ત્યારે કડવી દેવા પણ પિવડાવે છે. વહાલથી ખોળામાં લઈને ફરે છે, જ્યારે જરૂર પડે છે, ત્યારે તેને ડૉક્ટર પાસે ઇન્જેક્શન મુકાવવા અને ઓપરેશન કરાવવા પણ લઈ જાય છે. માતાની દરેક ક્રિયા બાળકના કલ્યાણ માટે જ હોય છે. પરમાત્મા તો જીવો પ્રત્યે માતા કરતા પણ વધારે મમતા રાખે છે. જે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે ત્યારે એમાં તેની નિષ્ઠુરતા હોતી નથી, પરંતુ આપણું હિત કરવાની જ ભાવના છુપાયેલી હોય છે.

જે લોકો માત્ર પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે તથા પોતાની સગવડો વધારવા માટે જ પ્રાર્થના કરે છે, તેઓ ઉપાસનાના તત્વજ્ઞાનને સમજતા નથી. એમને એવી બાળક બુઘ્ધિવાળા માનવા જોઈએ જે પ્રસાદની લાલચથી મંદિરે જાય છે. એવા લોકોને ભકિતરસમાં નિમગ્ન થઈ એક ભાવનાશીલને ભગવાનની સામે પોતાનું મસ્તક ઝુકાવી પોતાનું હૃદય ખોલનાર ભકતને જે આનંદ મળે છે, એવા બાળકોને તે આનંદ ક્યાંથી મળે. પ્રભુના ચરણોમાં પોતાના અંતરાત્માને સમર્પિત કરનારા એક ભાવવિભોર ભકત અને મીઠાઈને પ્રસાદ ખાવા માટે ઉભા રહેલા એક ભિખારીમાં જે અંતર હોય છે, એવું જ અંતર સાચા અને ખોટા ઉપાસકોમાં હોય છે. એકનો ઉદ્દેશ્ય પરમાર્થ હોય છે, જ્યારે બીજાને ઉદ્દેશ્ય સ્વાર્થ હોય છે. સ્વાર્થીને ક્યાંય સન્માન નથી મળતું પરમાત્માની દૃષ્ટિમાં એવા લોકોનું મૂલ્ય કેટલું હોય ?

લોહાર પોતાની દુકાને લોખંડના ટુકડાઓમાંથી જાત જાતની વસ્તુઓ બનાવે છે. એ ટુકડાઓને તે ભઠ્ઠીમાં ગરમ કરે છે, ટીપે છે અને ક્યારેક પાણીમાં બોળીને ઠંડા પણ કરે છે. આ વિસંગતિને જોઈને કોઈ ભોળો માણસ વિચારમાં પડી જાય છે કે લોહાર બે વિરોધી કામ કેમ કરે છે, પરંતુ તે કારીગરને ખબર હોય છે કે લોખંડના ટુકડાને પાણીદાર હથિયારમાં બદલવા માટે આ બન્ને પ્રકારની પ્રક્રિયા કરવી જરૂરી છે. એ જ રીતે મનુષ્યના જીવનમાં પણ સુખ દુઃખનું, તડકા છાંયડાનું આગવું મહત્વ હોય છે. રાત દિવસની અંધારી તથા અજવાળી પરિસ્થિતિઓ જ સમય પસાર કરવાનું એક સર્વાંગ પૂર્ણ વિધાન રજૂ કરે છે. જો માણસ હંમેશા સુખી અને સંપન્ન જ રહે, તો તેની આંતરિક પ્રગતિ અવશ્ય રોકાઈ જશે. પ્રગતિ માટે જે ઝાટકા આપવા જરૂરી છે, એમને જ આપણે દુઃખ કહીએ છીએ. એમને સાચો ભકત કડવી દવાની જેમ માથે ચડાવે છે. સન્નિપાતનો રોગી જેમ ડૉક્ટરને ગાળો ભાડે છે, એવું ભૂલ સમજુ આસ્તિક ભગવાન પ્રત્યે કદાપિ કરતો નથી.

દુઃખની પરિસ્થિતિમાં ધીરજ ન ખોવી, માનસિક સમતોલન ન ગુમાવવું, આશા તથા પુરુષાર્થને ન છોડવા આસ્તિકતાની પહેલી નિશાની છે. જેને પરમાત્મા જેવી અનંત સત્તા સાથે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તે કોઈ પણ વ્યકિત કે પરિસ્થિતિથી શા માટે ડરે, શા માટે અધીરો બને, શા માટે નિરાશા અને કાયરતા પ્રગટ કરે  ? એના મનમાંથી ધીરજ તથા સાહસનો નિરંતર જ પ્રવાહ વહેતો રહે છે.

જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા પ્રકાશવાન જ લાગે છે.

ઉપાસનાનું બીજું પ્રતિફળ છે – શ્રેષ્ઠતામાં વધારો થવો. પરમાત્મા તમામ શ્રેષ્ઠતઓનું કેન્દ્ર છે, તેથી તેનું સાન્નિધ્ય આત્માને રોજેરોજ ઉત્કૃષ્ટ બનાવે છે. ભકતને પોતાનો ભગવાન બધે જ જોવા મળે છે, તેથી તે બધામાં સારું જ જુએ છે અને તેની ચર્ચા કરતા પોતાના આનંદ અને બીજાના સદ્દભાવમાં વધારો કરે છે. નિંદા અને ઈર્ષા એ બન્ને અસુરતાના મુખ્ય લક્ષણો છે. જે લોકોને આપણે પારકા માનતા હોઈએ, શત્રુ ગણતા હોઈએ એમની જ આપણે નિંદા તથા તિરસ્કાર કરીએ છીએ. જ્યારે બધાં આપણા પોતાના જ હોય, તો પછી નિંદા કેવી ! અને ઈર્ષા કેવી !!

તે હંમેશા ભલાઈ વધારવા માટે જ પ્રયત્ન કરે છે. ભલાઈ વધારવી તે બૂરાઈ ઘટાડવા બરાબર છે. બૂરાઈને છોડયા પછી જો એના બદલે ભલાઈની સ્થાપના કરવામાં ન આવે, તો તે બૂરાઈ ફરીથી પેદા થઈ જાય છે. આસ્તિકતાનો દૃષ્ટિકોણ  ભલાઈને વધારવાનો હોય છે, જેથી બૂરાઈ માટે કોઈ ગુંજાશ ન રહે. તે હંમેશા સારી બાબતોની જ ચર્ચા કરશે. પ્રેમથી દુષ્ટતાને પરાજિત કરશે. પ્રેમથી દુષ્ટતાને પછાડી શકશે.દુષ્ટતા કરીને પ્રેમના અંકુરોને બાળી નાખવા તે અસજ્જન લોકોનું કામ છે. સાચો આસ્તિક કદી અસજ્જન બનતો નથી.

પ્રેમ, કરુણા, આત્મીયતા અને સૌજન્યનો નિરંતર પ્રવાહ પરમાત્મામાંથી વહેતો જ રહે છે. પ્રાણિ માત્રનું પોષણ, સંરક્ષણ અને અભિવર્ધન એ વિશેષતાઓ દ્વારા જ તે કરે છે. આવા પ્રભુની પાસે બેસનારમાં અને ઉપાસના કરનારમાં આ વિશેષતાઓ આવી જ જાય છે. પોતાના ભાઈ બહેનો પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે અનંત કરુણા અને આત્મીયતાની ભાવનાઓ ઉપાસકના અંતઃકરણમાં પેદા થાય છે. એને ચરિતાર્થ કરીને તે પોતાના જીવનને યશસ્વી બનાવે છે અને તેમને પોતાના અંતરમાં ધારણ કરીને અનંત શાંતિનો અનુભવ કરે છે.

પરમાત્માની ઉપાસનાનું પ્રતિફળ મેળવવા માટે એવા લોકોએ રાહ જોવી પડે છે, જેઓ પુરુષાર્થ અને પ્રતિભાના મૂલ્યો પર મળતી ભૌતિક સંપત્તિઓને પરમાત્મા પાસેથી મફતમાં મેળવવાની આશા રાખીને દીન-હીન ભિક્ષુકની જેમ બેઠા રહે છે. જેઓ ત્યાગ અને પ્રેમની ઉચ્ચ ભાવનાથી પ્રેરિત થઈને ભગવાનના ચરણોમાં બેસવાની ઇચ્છા છે, એમને પોતાના પ્રિયતમનો પ્રેમ મેળવવા માટે સહેજ પણ રાહ જોવીપ ડતી નથી. ઉપાસના, વાસનાની આગને ઓલવી નાખે છે, તૃષ્ણાની બળતરાને શાંત કરે છે તથા માણસને સતત અશાંત કરનારી ચિંતા, ભય, ઘૃણા જેવી બાબતોને દૂર કરે છે. ઉપાસના અને આત્મ શાંતિ એક જ પ્રક્રિયાના બે પાસા છે. જો આત્મા પોતાની ઉદૃગમ સત્તા પરમાત્મા તરફ મુખ રાખશે, તો અવશ્ય એને પ્રકાશ મળશે. પરમાત્માનો પ્રકાશ પડતા જ આત્મા પણ પોતાના સત્ ચિત્ આનંદમય સ્વરૂપ સહિત પ્રકાશિત દેખાય છે. આવા પ્રકાશવાન આત્મા જીવનમાં નર માંથી નારાયણથી, પુરુષમાંથી પુરુષોતમની અને આત્મામાંથી પરમાત્મા પ્રત્યક્ષ બનતો જોવા મળે છે. આથી જ ઉપાસના કરવી તેને માણસ જીવનની સૌથી શ્રેષ્ઠ બુદ્ધિમત્તા માનવામાં આવી છે.

%d bloggers like this: