૪૪. ગાયત્રી સાથે યજ્ઞનો સંબંધ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી સાથે યજ્ઞનો સંબંધ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

યજ્ઞ ભારતીય સંસ્કૃતિનું આદિ પ્રતીક છે. આપણા ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી બીજા કશાને આપવામાં આવી નથી. આપણે કોઈ પણ શુભ-અશુભ ધર્મકૃત્ય યજ્ઞ વિના પૂર્ણ થતું નથી. જન્મથી અંત્યેષ્ઠિ સુધી સોળ સંસ્કારો હોય છે, એમાં અગ્નિહોત્ર આવશ્યક છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના રક્ષણ માટે સૂતકનિવૃત્ત સુધી ઘરમાં અખંડ અગ્નિ રાખવામાં આવે છે. નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન આદિ સંસ્કારોમાં પણ હવન અવશ્ય થાય છે. અંતમાં જ્યારે શરીર છૂટે છે ત્યારે એને અગ્નિને સોંપવામાં આવે છે. મનુષ્ય મરણ પામ્યા પછી ચિતામાં બાળીને તેના શબને ભસ્મ કરી નાખે છે. પરંતુ શાસ્ત્રમાં જોવામાં આવે તો એ પણ એક યજ્ઞ જ છે. એમાં વેદમંત્રોથી વિધિપૂર્વક આહુતિઓ આપવામાં આવે છે અને શરીરને યજ્ઞ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

પ્રત્યેક કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, પર્વ, તહેવાર, ઉત્સવ અને ઉદ્યાપનમાં હવનને આવશ્યક માનવામાં આવે છે. હાલમાં લોકો એનું મહત્ત્વ અને વિધાન ભૂલી ગયા છે અને કેવળ ચિહ્નપૂજા કરીને કામ ચલાવે છે. ઘરોમાં સ્ત્રીઓ કોઈને કોઈ રૂપમાં ચિહ્ન પૂજા તો કરે જ છે. તેઓ તહેવારમાં યા પર્વોમાં અગ્નિને જમાડવાની ક્રિયા કોઈને કોઈ રૂપમાં કરે છે. થોડા અંગાર લઈને ઘી નાખીને પ્રજ્વલિત કરીને તેને નાના નાના ગ્રાસ ચઢાવવા અને જળ એ અગ્નિને ફરતે ફેરવવું-અગ્નિની પરિક્રમા કરવી-એ વાત આપણને કેટલાક સંસ્કારી ઘરમાં જોવા મળે છે, પિતૃઓનું શ્રાદ્ધ જે દિવસે હોય તે દિવસે બ્રાહ્મણ ભોજન પહેલાં અગ્નિને ભોજન કરાવવામાં આવે છે. એવી સ્થિર માન્યતા છે કે અગ્નિના મુખમાં આપેલી આહુતિ દેવતાઓ અને પિતૃઓને પહોંચે છે.

વિશેષ પ્રસંગોએ તો હવન અવશ્ય કરવો જ પડે છે. ચૂલો, ઘંટી, સાવરણી આદિથી થનારી નિત્યની હિંસા અને પાતકોના નિવારણાર્થે નિત્ય પંચયજ્ઞ કરવાનું વિધાન છે. એ પાંચેમાં પણ છે. બલિવૈશ્ય અગ્નિમાં આહુતિ આપીને થાય છે. આ પ્રકારે શાસ્ત્રોની આજ્ઞાનુસાર તો નિત્ય હવન કરવાનું આપણે માટે આવશ્યક છે. તહેવારોના દિવસે અગ્નિહોત્ર કરવું આવશ્યક છે. હોળી તો યજ્ઞનો જ તહેવાર છે. આજકાલ લોકો લાકડાં બાળીને હોળી ઊજવે છે. શાસ્ત્રો કહે છે કે લોકો સાચા યજ્ઞની આવશ્યકતા અને વિધિને ભૂલી ગયા છે. પરંતુ માત્ર લાકડાં બાળીને એ પ્રાચીન પરંપરાને ગમે તેમ સાચવી રહ્યા છે. એ જ રીતે શ્રાવણી, દશેરા તેમજ દિવાળીના તહેવારોમાં કોઈને કોઈ પ્રકારે હવન થાય છે. નવરાત્રિમાં સ્ત્રીઓ દેવોની પૂજા કરે છે ત્યારે અગ્નિમુખમાં દેવીને નિમિત્તે ઘી, લવિંગ, જાયફળ આદિ ચીજો અવશ્ય ચઢાવે છે. સત્યનારાયણની વ્રતકથા, રામાયણ પારાયણ, ગીતાપાઠ, ભાગવત સપ્તાહ આદિ ગમે તે શુભ આયોજન હોય એમાં હવન અવશ્ય હોવાનો જ.

મંત્ર સાધનાઓમાં પણ હવન અનિવાર્ય છે. જેટલા પણ પાઠ, પુરશ્ચરણ, જપ, સાધના કરવામાં આવે છે, તે ચાહે વેદોક્ત હોય, ચાહે તાંત્રિક હોય, એમાં કોઈને કોઈ રૂપમાં હવન કરવો જરૂરી હોય છે. ગાયત્રીની ઉપાસનામાં પણ હવન આવશ્યક છે. અનુષ્ઠાન યા પુરશ્ચરણમાં જપનો દસમો ભાગ હવન કરવાનું વિધાન છે. પરિસ્થિતિ વશ દસમા ભાગની આહુતિઓ ન આપી શકાય તે સોમા ભાગની (શતાંશ) આપવી. ગાયત્રીને માતા અને યજ્ઞને પિતા માનવામાં આવ્યા છે. એ બંનેના સંયોગથી મનુષ્યનો આધ્યાત્મિક જન્મ થાય છે, તેને “દ્વિજત્વ’ કહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહેવામાં આવે છે. એ દ્વિજનો અર્થ છે બે જન્મવાળો. જેમ આપણા શરીરને જન્મ માતાપિતાની સેવા પૂજા કરવી તે મનુષ્યનું નિત્યકર્મ છે, તેમ ગાયત્રીમાતા અને યજ્ઞપિતાની પૂજા એ પણ પ્રત્યેક દ્વિજનું આવશ્યક ધર્મ કર્તવ્ય છે.

ધર્મગ્રન્થોમાં ડગલે ને પગલે યજ્ઞના મહિમાનું ગાન છે. વેદમાં યજ્ઞનો વિષય મુખ્ય છે કેમ કે યજ્ઞ એક એવું વિજ્ઞાનમય વિધાન છે, જેથી મનુષ્યનું આધ્યાત્મિક અને ભૌતિક રીતે કલ્યાણ અને ઉત્કર્ષ થાય છે. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. કહેવામાં આવ્યું છે કે

યો યજ્ઞં યજ્ઞંપરૌંરિચતે યજ્ઞસંજ્ઞિત |  તં યજ્ઞપુરુષ વિષ્ણુ નમામિ પ્રભુમીશ્વરમ્ ||

જે યજ્ઞ દ્વારા પૂજાય છે, યજ્ઞમય છે, યજ્ઞરૂપ છે એ યજ્ઞરૂપ વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે.

યજ્ઞ મનુષ્યની અનેક કામનાઓ પૂર્ણ કરે છે તથા સ્વર્ગ અને મુક્તિ પ્રદાન કરે છે. યજ્ઞ નહીં કરનારની શાસ્ત્રોમાં ઘણી નિંદા કરવામાં આવી છે.

કસ્ત્વા વિમુંચતિ સત્વા વિસુંન્વિ કસ્મૈ ત્વા વિમુંચતિ  તસ્મૈ ત્વા વિમુંચતિ |  પોષાય રક્ષસા ભાગોસિ |

– વજુ ર/ર૩

સુખશાંતિને ચાહનાર કોઈ વ્યક્તિ યજ્ઞનો પરિત્યાગ નથી કરતી. જે યજ્ઞને છોડે છે તેને યજ્ઞરૂપ પરમાત્મા પણ છોડી દે છે. સર્વની ઉન્નતિ માટે યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. જે નથી આપતા તે રાક્ષસ બની જાય છે.

યજ્ઞેન પાપે: બહુભિર્વિમુક્તઃ પ્રાપ્નોતિ લોકાન્ પરમસ્ય વિષ્ણો : | -હારિત

યજ્ઞ દ્વારા અનેક પાપોમાંથી મુક્તિ મળે છે તથા પરમાત્માના લોકની પણ પ્રાપ્તિ થાય છે.

પુત્રાર્થી લભતે પુત્રીન્ ધનાર્થી લભતે ધનમ્ | ભાર્યાર્થી શોભનાં માર્યા કુમારી ચ શુભમ્ પતિમ્ ||  ભ્રષ્ટરાજયસ્તથા રાજ્યં શ્રીકામ: શ્રિયમાપ્નુયાત્ | યં યં પ્રાર્થયતે કામં સર્વે ભવતિ પુષ્કલમ્ |

નિષ્કામઃ કુરુતે યજ્ઞ:  સ પરં બ્રહ્મ ગચ્છતિ છે ||  મત્સ્યપુરાણ ૯૩/૧૧૭

યજ્ઞથી પુત્રાર્થીને પુત્રલાભ, ધનાર્થીને ધનલાભ, લગ્નાર્થીને સુંદર ભાર્યા, કુમારીને સુંદર પતિ, શ્રીની કામનાવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને નિષ્કામ ભાવથી યજ્ઞાનુષ્ઠાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

ન તસ્ય ગ્રહપીડા સ્યાન્ના ચ બન્ધધનક્ષયઃ | ગ્રહ યજ્ઞ વ્રત ગેહે લિખિતં  યત્ર તિષ્ટતિ ||

 ન તત્ર પીડા પાપાનાં ન ચ બન્ધુમ્ | અશેષ-યશફલદ- મમેષાધૌધ-નાશનમ્ | કોટિહોમપદ્ધતિ

યજ્ઞ કરનારને ગ્રહપીડા, બધુનાશ, ધનક્ષય, પાપ, રોગ, બન્ધન આદિની પીડા સહન કરવી પડતી નથી. યજ્ઞનું ફળ અનંત છે.

દેવાઃ સન્તોષિતા યજ્ઞૈર્લોકાન્ સમ્વર્ધયન્ત્યુત ઉભયોલોં ક્યો ! ભૂતિર્યજ્ઞઃ પ્રદશ્યતે તસ્માધજ્ઞાદિવ  યાતિ પૂર્વજૈઃ સહઃ મોદતે નાસ્તિ યજ્ઞસમન્દાન નાપ્તિ યજ્ઞસમો વિધિઃ ||  સર્વધર્મ સમુદેશો દેતિ ! યજ્ઞે સમાહિતીઃ  -મહાભારત

યજ્ઞોથી સંતુષ્ટ થઈને દેવતા જગતનું કલ્યાણ કરે છે. યજ્ઞથી લોકપરલોકનું સુખ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી સુવર્ણની પ્રાપ્તિ થાય છે. તે યજ્ઞથી જ મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને પૂર્વજોની સાથે આનંદ કરે છે. યજ્ઞ સમાન કોઈ દાન નથી. યજ્ઞ સમાન કોઈ વિધિવિધાન નથી. યજ્ઞમાં જ બધા ધર્મોનો ઉદ્દેશ સમાયો છે.

અસુરાશ્ચ  સુરાશ્ચૈવ  પુણ્યહેતોર્મ ખક્રિયામ્ |  પ્રયતન્તે  મહાત્માનસ્તસ્માદ્યજ્ઞપરાયાઃ ||

યજ્ઞૈરેવ મહાત્માનો બભૂ બુરોધિકાઃ સુરાઃ | મહાભારત

અસુર અને સુર સર્વ પુણ્યના મૂળ હેતુ યજ્ઞને માટે પ્રયત્ન કરે છે. સત્પુરુષોએ સદા યજ્ઞપરાયણ થવું જોઈએ. યજ્ઞથી જ ઘણા પુરુષો દેવ બન્યા છે.

યદીક્ષિતાયુર્વદિ વા પરેતો મૃત્યોરતિકં નીતિ એવં |

તમાહરામિ નિઋતે રુપસ્થ તસ્યાર્થમેનં શતશારદાય || અથર્વ ૩/૧/૧ર

જો રોગી પોતાની જીવનશક્તિને પણ ખોઈ ચૂક્યો હોય, નિરાશાજનક સ્થિતિએ પહોંચી ગયો હોય, તો પણ એને મૃત્યુની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવે છે અને સો વર્ષ જીવતો રહેવાને માટે ફરીથી યોગ્ય બનાવી દેવામાં આવે છે.

યજ્ઞેરાપ્યાયિતા દેવા વૃષ્ઠયુત્સર્ગેણ વે પ્રજાઃ | આપ્યાયન્તે તુ ધર્મજ્ઞા: કલ્યાણહેતવઃ || -વિષ્ણુપુરાણ

યજ્ઞથી દેવતાઓનું બળ મળે છે. યજ્ઞથી વર્ષા થાય છે. યજ્ઞથી અન્ન અને પ્રજાપાલન થાય છે. હે ધર્મજ્ઞ ! યજ્ઞ જ કલ્યાણનો હેતુ છે.

પ્રયુકત્યા યથા કેષ્ટૂવા રાજ્યક્ષ્મા પુરોજિતઃ | ના વેદવિહિતામિષ્ટમારોગ્યાર્થી પ્રયોજ્યેત્ ||

-ચરક ચિ. ખંડ ૮/૧૨૨

ક્ષય જેવા રોગોનો પ્રાચીનકાળમાં યજ્ઞના પ્રયોગથી નાશ કરવામાં આવતો હતો. રોગમુક્તિની ઇચ્છા રાખનારાઓએ આ વેદવિદિત યજ્ઞનો આશ્રય લેવો.

અહં ક્રતુરહં  યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ | મન્ત્રોડહમહમેવાજ્યમહમગ્કિરહં  હુતમ્ || -ગીતા ૯/૭૬

હું જ કર્તું છું, હું જ યજ્ઞ છું, હું જ સ્વધા છું, હું જ ઔષધિ છું, હું જ મંત્ર છું, આજીવન હવન પણ હું જ છું.

નાડ્યં લોકોસ્ત્યયજ્ઞસ્ય કુતોડન્યઃ કુરુસત્તમ | -ગીતા ૪/૩૧

હે અર્જુન ! યજ્ઞરહિત મનુષ્યને આ લોકમાં પણ સુખ મળતું નથી તો પરલોકમાં સુખ હોય જ ક્યાંથી ?

નાસ્ત્યયજ્ઞસ્ય લોકો તે નાયજ્ઞો વિદતે શુભમ્ | અયજ્ઞો ન ચ પૂતાત્મા નશ્યન્તિ છિન્નપર્ણ વત્ || -શંખ.

યજ્ઞ ન કરનારો મનુષ્ય લૌકિક અને પારલૌકિક સુખોથી વંચિત થઈ જાય છે. યજ્ઞ ન કરનારનો આત્મા પવિત્ર હોતો નથી અને કાળથી છૂટા પડેલા પાંદડાની જેમ તે નષ્ટ થઈ જાય છે.

સહયજ્ઞાઃ પ્રજ્ઞા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ | અનેન પ્રસવિપ્યધ્વમેષ વો સ્ત્વષ્ઠકામધુક્ || દેવાન્ ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ ||  પરસ્પર ભાવન્તઃ શ્રોય: પરમવાપ્સ્યથ ||  ઈષ્ટાનમોગાન્ હિ વો દેવા દાસ્યન્તે  યજ્ઞભાવિતાઃ ||  ગીતા ૩/૧૦/૧૧

બ્રહ્માજીએ મનુષ્યની સાથે જ યજ્ઞને પેદા કર્યો અને એને કહ્યું કે, આ યજ્ઞ દ્વારા તમારી ઉન્નતિ થશે. આ યજ્ઞ તમારી ઇચ્છિત કામનાઓ. આવશ્યકતાઓને  પૂર્ણ કરશે. તે દેવતાઓને સંતુષ્ટ કરો, તે દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આમ બંને પોતાનાં કર્તવ્યોનું પાલન કરીને કલ્યાણને પ્રાપ્ત કરશો. યજ્ઞથી સંતુષ્ટ કરાયેલા દેવો અનાયાસે તમને સુખશાંતિની વસ્તુઓ આપશે.

અસંખ્ય શાસ્ત્ર વચનોમાંથી કેટલાંક પ્રમાણો ઉપર આપવામાં આવ્યાં છે. તે ઉપરથી યજ્ઞનું મહત્ત્વ સહેજે ધ્યાનમાં આવી જાય છે. પૂર્વકાળમાં પણ આધ્યાત્મિક અને ભૌતિક ઉદેશોને માટે મોટા મોટા યજ્ઞો કરવામાં આવતા હતા. દેવો પણ યજ્ઞ કરતા હતા, અસુરો પણ યજ્ઞ કરતા હતા અને ઋષિઓ પણ યજ્ઞ કરતા હતા. રાજા લોકો અશ્વમેધ આદિ વિશાલ યજ્ઞોનું આયોજન કરતા હતા અને સાધારણ લોકો પણ સમયે સમયે યજ્ઞ કર્યા કરતા. અમુક લોકો હંમેશ યજ્ઞોનો વિધ્વંસ કરતા હતા કે જેથી યજ્ઞથી એમના શત્રુઓનો ઉત્કર્ષ અને લાભ થઈ ન શકે. એ જ પ્રમાણે અસુરોના યજ્ઞનો પણ ધ્વસ કરાતો હતો. રામાયણમાં રાક્ષસોના એવા યજ્ઞનું વર્ણન છે, જેનો હનુમાનજીએ નાશ કર્યો હતો. જો સફળ થાય તો રાક્ષસો અજેય થઈ ગયા હોત.

રાજા દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યાથી ચાર પુત્રો પામ્યા હતા. રાજા નૃગ યજ્ઞ દ્વારા સ્વર્ગે જઈને ઇન્દ્રાસનના અધિકારી થતા હતા. રાજા અશ્વપતિએ યજ્ઞ દ્વારા સંતાન પ્રાપ્ત કરવાને કર્યો હતો. ઈન્દ્ર પોતે પણ યજ્ઞથી જ સ્વર્ગને પામ્યો હતો. ભગવાન રામે પોતાને ત્યાં અશ્વમેધ કરાવ્યો. શ્રીકૃષ્ણની પ્રેરણાથી પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો, આગંતુકોના સ્વાગતનું કામ શ્રીકૃષ્ણ પોતે કર્યું હતું. પાપોના પ્રાયશ્ચિત્ત તરીકે, અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિને માટે, કોઈ અભાવની પૂર્તિને માટે, કોઈ સહયોગ યા સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, રોગ નિવારણ માટે, દેવતાઓને પ્રસન્ન કરવાના હેતુથી, ધનધાન્યની અધિક ઊપજને માટે, અમૃતમયી વર્ષાને નિમિત્તે, વાયુમંડળમાંથી અસ્વાથ્યકર તત્ત્વોનું ઉમૂલન કરવાને માટે હવન-યજ્ઞ કરવામાં આવતા હતા અને તેનાં પરિણામો પણ તેને અનુરૂપ જ આવતાં હતાં.

યજ્ઞ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. જે વૃક્ષોની સમિધાઓ કામમાં લેવામાં આવે છે, તેમાં વિશેષ પ્રકારના ગુણો હોય છે. કયા પ્રયોગમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ, તેનું પણ વિજ્ઞાન છે. એ વસ્તુઓ ભેગી થવાથી એક વિશેષ ગુણવાળું મિશ્રણ તૈયાર થાય છે, જે બળવાથી વાયુમંડળમાં એક વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદમંત્રોના ઉચ્ચારણની શક્તિથી એ પ્રભાવમાં ઉમેરો થાય છે. પરિણામે જે વ્યક્તિ યજ્ઞમાં જોડાય છે, એના પર તથા આજુબાજુના વાયુમંડળ પર એનો ભારે પ્રભાવ પડે છે. સૂક્ષ્મ પ્રકૃતિના અંતરાલમાં જે વિવિધ પ્રકારની શક્તિઓ કામ કરે છે, તેમને દેવતાઓને અનુકૂળ બનાવી એમને ઉપયોગી વાતોમાં પ્રયોજવા, એમની સાથે સંબંધ સ્થાપવો, એનું જ નામ દેવતાઓને પ્રસન્ન કરવા કહેવાય. એ કાર્ય યજ્ઞથી સહેલાઈથી સધાય છે.

જગતમાં કદી કોઈ વસ્તુનો નાશ થતો નથી. કેવળ રૂપાંતર થતું રહે છે. જે વસ્તુ હવનમાં હોમવામાં આવે છે તે તથા વેદમંત્રોની શક્તિથી જે સદ્ભાવનાઓ યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, તે બંને મળીને આકાશમાં છવાઈ જાય છે. એનું પરિણામ આખા જગતને માટે કલ્યાણકારક નીવડે છે. આ પ્રકારે આ જગતની સેવાનું, વિશ્વમાં સુખશાંતિ ઉત્પન્ન કરવાનું યજ્ઞ એક ઉત્તમ માધ્યમ અને પુણ્યમય પરમાર્થ છે. યજ્ઞથી સાધકની આત્મશુદ્ધિ થાય છે, એનાં પાપ નાશ પામે છે તેમજ શાંતિ અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. સાચા હ્રદયથી યજ્ઞ કરનારાના લોક અને પરલોક સુધરે છે. જો એનું પુણ્ય પર્યાપ્ત થાય તો એને સ્વર્ગ કે મુક્તિ મળી જાય છે અને કદાચ બીજા જન્મ લેવો પડે તો સુખી, શ્રીમંત, સમૃદ્ધ અને ઊંચા પરિવારમાં તેનો જન્મ થાય છે. ત્યાર બાદ ભવિષ્યને માટે સુવિધાથી કર્મ કરીને તે પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે.

યજ્ઞનો અર્થ દાન, એકતા, ઉપાસના છે. આ ભાવનાઓ અને મનોવૃત્તિઓને વધારવાને માટે યજ્ઞનું આયોજન સ્થળ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. યજ્ઞનું વેદોક્ત આયોજન, શક્તિશાળી મંત્રોનું  ઉચ્ચારણ, વિધિપૂર્વક બનાવેલો કુંડ, શાસ્ત્રોક્ત સમિધાઓ તથા સામગ્રી જ્યારે ઠીક પ્રમાણમાં વિધાનપૂર્વક હોમવામાં આવે છે, ત્યારે એનો દિવ્ય પ્રભાવ વિસ્તૃત આકાશમંડળમાં ફેલાઈ જાય છે. એ પ્રભાવના પરિણામે પ્રજાના અંત:કરણમાં પ્રેમ, એકતા, સહયોગ, સદ્ભાવના, ઉદારતા, ઈમાનદારી, સંયમ સદાચાર, આસ્તિકતા આદિ સદ્ભાવો અને સદ્વિચારોનો સ્વયમેવ આવિર્ભાવ થવા માંડે છે. પર્ણોથી આચ્છાદિત દિવ્ય આધ્યાત્મિક વાતાવરણના દિવસોમાં જે સંતાન પેદા થાય છે તે પણ સ્વસ્થ, સદ્ગુણી અને ઉત્તમ વિચારો ધરાવનારું થાય છે. પ્રાચીનકાળમાં પુત્રપ્રાપ્તિ માટે પુત્રેષ્ઠિ કરવામાં આવતા હતા. એ ઉપરાંત જેમને સંતાનો થતાં હતાં, તેઓ પણ સદ્ગણી અને પ્રતિભાવાન, સંતાન પ્રાપ્ત કરવાને માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવતા હતા. ગર્ભાધાન, સીમંત, પુંસવન, જાતકર્મ, નામકરણ આદિ સંસ્કારો બાળકનો જન્મ થયા પછી અજ્ઞાન અવસ્થામાં જ થાય છે. એ દરેકમાં હવન થાય છે તેથી બાળકના મન પર દિવ્ય પ્રભાવ પડે છે અને મોટો થયા પછી પુરુષ સિંહ અને મહાપુરુષ થાય છે. પ્રાચીનકાળનો ઇતિહાસ સાક્ષી કે, જે જમાનામાં આ દેશમાં યજ્ઞની પ્રતિષ્ઠા હતી, તે જમાનામાં આ દેશમાં મહાપુરુષો અને નરરત્નોની વિપુલતા હતી. આજે યજ્ઞનો તિરસ્કાર કરીને અનેક દુર્ગુણો, રોગો, કુસંસ્કારો અને ખરાબ આદતોથી ગ્રસિત બાળકોથી આપણાં ઘરો ભરાઈ રહ્યાં છે.

યજ્ઞથી અદૃશ્ય આકાશમાં જે આધ્યાત્મિક વિદ્યુત-તરંગો ફેલાય છે, તે લોકોના મનમાંથી દ્વેષ, પાપ, અનીતિ, વાસના, સ્વાર્થ, કુટિલતા આદિ બૂરાઈઓને દૂર કરે છે. પરિણામે એનાથી અનેક સમસ્યાઓ હલ થાય છે. અનેક ગૂંચવણો, મુશ્કેલીઓ, દાવપેચના પ્રસંગો, ચિંતાઓ, ભય, આશંકાઓ અને ખરાબ સંભાવનાઓ સમૂળી નષ્ટ થઈ જાય છે. રાજા, ધનિક, સમૃદ્ધ લોકો અને ઋષિમુનિઓ મોટા મોટા યજ્ઞો કરાવતા હતા. તેનાથી દૂર દૂરનું વાતાવરણ નિર્મળ થતું હતું અને દેશવ્યાપી-વિશ્વવ્યાપી બૂરાઈઓ અને સંકટોનું નિવારણ થઈ જતું હતું. સામાન્ય લોકો પણ નાના યજ્ઞો કરાવતા હતા, જેનાથી એમના ઘરની, કુટુંબની, ગામની નાની નાની સમસ્યાઓનો ઉકેલ થઈ જતો હતો. વ્યાપક સુખ, સમૃદ્ધિ, વર્ષા, આરોગ્ય, સુખશાંતિને માટે મોટા મોટા યજ્ઞોની આવશ્યકતા પડે છે. પરંતુ નાના હવનો પણ પોતાની મર્યાદા પ્રમાણે લોકોને લાભ આપે છે. હવનમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી હજારો ગણા મૂલ્યની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ અને આપત્તિઓથી નિવૃત્તિ મળે છે.

મોટા યજ્ઞો કરવાનું જેમનું સામર્થ્ય છે, તેમણે તે કરવા જોઈએ. અગ્નિનું મુખ ઈશ્વરનું મુખ છે. એમાં જે કંઈ ખવડાવવામાં આવે તે સાચા અર્થમાં બ્રહ્મભોજન છે. બ્રહ્મ અર્થાત્ પરમાત્મા. યજ્ઞના મુખમાં આહુતિ આપવી, એટલે પરમાત્માને ભોજન કરાવવું. ભગવાન આપણને સહુને ખવડાવે છે, તો આપણે પણ કર્તવ્ય છે કે, પોતાના ઉપર ઉપકાર કરનારની પ્રતિપૂજા કરવામાં કંજૂસાઈ ન કરવી, જેની આર્થિક સ્થિતિ સારી ન હોય, તેણે થોડું થોડું ઉઘરાણું કરીને સામૂહિક યજ્ઞની વ્યવસ્થા કરવી. જ્યાં એમ બની શકે એવું ન હોય ત્યાં કોઈ કોઈ વાર નાના નાના હવન કરવા અથવા જ્યાં નિયમિત યજ્ઞ થતા હોય ત્યાં પણ પોતાના તરફથી થોડીક આહુતિ આપવાની ગોઠવણ કરવી. કોઈ બીજું યજ્ઞ કરી રહ્યું હોય તો એમાં સમય, સહયોગ અને સહાય આપીને અને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો તે પણ ભાગીરથ કાર્ય થવા જેવું જ ગણાય. નિત્યનું અગ્નિહોત્ર બહુ સરલ છે. એમાં એટલો ખર્ચ થતો નથી, કે મધ્યમ વર્ગનો મનુષ્ય તેનો ભાર ન ઉપાડી શકે. જે લોકો નિત્ય હવન કરી શકતા નથી તેમણે સપ્તાહમાં એક વાર રવિવાર અથવા અમાસ અથવા પૂનમે હવન કરવાનો પ્રયત્ન કરવો. આ સાધારણ હવનનું વિધિવિધાન કઠિન નથી. “ગાયત્રી યજ્ઞવિધાન” પુસ્તકમાં એનો સરળ વિધિ આપવામાં આવ્યો છે. એને આધારે પુરોહિત વગર પણ સહેલાઈથી કોઈ પણ માણસ કરાવી શકે છે. જ્યાં કંઈ પણ વિધાનની ખબર ન હોય, ત્યાં કેવળ શુદ્ધ ઘીની આહુતિ ગાયત્રી મંત્રને અંતે “સ્વાહા’ શબ્દ બોલીને આપી શકાય છે. કોઈને કોઈ પ્રકારે યજ્ઞ પરંપરા ચાલુ રાખવામાં આવે તો એ ભારતીય સંસ્કૃતિની બહુ જ મોટી સેવા છે એ નાનું શું કર્મકાંડ પણ આપણા ઘરના વાયુ મંડળને શુદ્ધ કરવામાં અને બધા લોકો પર સત્ત્વગુણનો પ્રભાવ પાડવામાં ખૂબ જ સહાયક થાય છે. જેમના ઘરમાં હવન થતા રહે છે, ત્યાં પાપકર્મનો પ્રવેશ થતો નથી. પ્રેત-પિશાચ, દુઃખ-દુર્ભાગ્ય, અભાવ, દરિદ્રતા અને ક્લેશ-કલહનું શમન થતું રહે છે. યજ્ઞથી અગ્નિહોત્રના દેવતા પ્રસન્ન થઈને સુખશાંતિની વર્ષા કરતા રહે છે.

યજ્ઞ કોઈ પણ જાતનો નુકસાનીનો સોદો નથી, સાધારણ રીતે કરાયેલા હવનમાં જે પૈસા ખર્ચાય છે, તે એક પ્રકારે દેવતાઓની બેંકમાં જમા થાય છે અને તે સંતોષકારક પૂરતા વ્યાજ સાથે સંકટના સમયે આપણને પાછાં મળે છે. વિધિપૂર્વક શાસ્ત્રીય પદ્ધતિ અને વિશિષ્ટ ઉપચારો અને વિધિવિધાનથી કરાયેલા હવન તો વિશેષ મહત્ત્વના છે, એવા યજ્ઞો એક પ્રકારનું દિવ્ય અસ્ત્ર છે. દૈવી સહાય પ્રાપ્ત કરવાનો એ અચૂક ઉપાય છે. પ્રાચીનકાળમાં યજ્ઞથી ધારેલી વર્ષા થતી હતી. યજ્ઞશક્તિથી સુસજ્જિત થઈને યોદ્ધા લોકો અજેય બનતા હતા. યજ્ઞ દ્વારા યોગી લોકો પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરીને આત્મસાક્ષાત્કાર કરતા હતા. યજ્ઞ સમસ્ત રિદ્ધિ-સિદ્ધિઓનો પિતા છે. યજ્ઞને દેવોએ “કામધુક’ કહ્યો છે. તે મનુષ્યના અભાવોને દૂર કરનારો અને વિઘ્નોને દૂર કરનારો છે.

નાના પાયા પર કરેલો હોમ પણ બહુ જ ઉપયોગી થાય છે. એ દ્વારા ઘરની વાયુશુદ્ધિ, રોગનિવૃત્તિ અને અનિષ્ટોથી આત્મરક્ષા થાય છે અને વિધિપૂર્વક થયેલા યજ્ઞો તો અસાધારણ ફળ આપે છે. યજ્ઞ એક વિદ્યા છે. પાંચે તત્ત્વોનું હોમમાં એક વૈજ્ઞાનિક સંમિશ્રણ થાય છે, જેથી એક મહાન શક્તિનો આવિર્ભાવ થાય છે. યજ્ઞની એ પ્રચંડ શક્તિને “દ્વિ મૂર્ધા, દ્વિ નાસિકા, સપ્ત હસ્ત, દ્વિમુખ, સપ્ત જિહ્વા, ઉત્તર મુખ, કોટિ દ્વાદશ મૂર્ના, દ્વિ પંચ, શત્કલાયુતગમ્” આદિ વિશેષણો આપવામાં આવ્યાં છે.

આ રહસ્યમય સંકેતમાં એ બતાવવામાં આવ્યું છે કે, યજ્ઞાગ્નિની મૂર્ધા ભૌતિક અને અધ્યાત્મિક બને છે. આ ક્ષેત્રો સફળ બનાવી શકાય છે. સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિ યજ્ઞની નાસિકા છે. એના પર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. સાતે પ્રકારની સંપત્તિઓ યજ્ઞના હાથમાં છે. વામ માર્ગ અને દક્ષિણ માર્ગ એ બે મુખો છે. સાત લોક જીભ છે. આ બધા લોકોમાં જે કાંઈ પણ વિશેષતાઓ છે, તે યજ્ઞાગ્નિના મુખમાં મોજૂદ છે. ઉત્તર ધ્રુવનું ચુંબકત્વ કેન્દ્ર અગ્નિમુખ છે. યજ્ઞની બાવન કલાઓ એવી છે, જેમાંથી થોડીક પ્રાપ્ત કરીને રાવણ આટલો શક્તિશાળી થઈ ગયો હતો. જો એ બધી કલાઓ પ્રાપ્ત થઈ જાય તો દુનિયાના બધા પદાર્થો અને હસ્તક થઈ જાય છે. યજ્ઞનો મહિમા અનંત છે. એનું આયોજન પણ ફળદાયક થાય છે. ગાયત્રી ઉપાસકોને તો યજ્ઞ પિતાતુલ્ય પૂજનીય ગાયત્રી ઉપાસકોને માટે યજ્ઞ આવશ્યક છે. એમણે યજ્ઞની પરંપરા ચાલુ રાખવી જોઈએ. પોતાના ઘરનું, પોતાની મનોભૂમિનું વાતાવરણ યજ્ઞમય રહે, એ માટે યજ્ઞ ભગવાનની પૂજા કરવી એ દરેક ગાયત્રી ઉપાસકોની ફરજ છે.

૪૩. આ દેવી પ્રસાદ બીજાઓને પણ વહેંચો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

આ દૈવી પ્રસાદ બીજાઓને પણ વહેંચો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

પુણ્યકર્મોની સાથે પ્રસાદ વહેંચવો એ એક આવશ્યક ધર્મકૃત્ય મનાયું છે. સત્યનારાયણની કથામાં છેલ્લે મૃત અને શીરો વહેંચવામાં આવે છે. યજ્ઞમાં આવેલા માણસોને પણ શીરો યા બીજી મીઠાઈ વહેંચવામાં આવે છે. આરતી અને પૂજાકીર્તન કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે,  દેવતા, પીર-મુરીદને પ્રસન્ન કરવા પતાસાં, રેવડી વગેરે વહેંચવામાં આવે છે. મંદિરોમાં, જ્યાં ભીડ થાય છે ત્યાં અધિક પૈસા ખર્ચવાનું પરવડતું ન હોય ત્યાં જલમાં તુલસીપત્ર નાખીને ચરણામૃતને જ પ્રસાદના રૂપે વહેંચવામાં આવે છે. તાત્પર્ય એ છે કે, શુભકાર્યની પાછળ કંઈને કંઈ પ્રસાદ વહેંચવો આવશ્યક છે. એનું કારણ એ છે કે શુભકાર્યની સાથે જે શુભ વાતાવરણ પેદા થાય છે, એને ખાદ્ય પદાર્થોની સાથે સંબંધ કરીને ઉપસ્થિતિ વ્યક્તિઓને અપાય છે ત્યારે તેઓ પણ શુભ તત્ત્વોને થોડા ઘણાં આત્મસાત કરે છે. બીજી વાત એ છે કે મધુર પ્રસાદને સમયે પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે. આ બંને તત્ત્વોની અભિવૃદ્ધિથી પ્રસાદ ગ્રહણ કરનાર અધ્યાત્મ તરફ આકર્ષિત થાય છે અને એ આકર્ષણ એને માટે કલ્યાણકારક સિદ્ધ થાય છે. પ્રસાદની સાથે દિવ્ય તત્ત્વોમાં શ્રદ્ધાની ધારણા થાય છે. આ પરંપરા એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ચાલતી રહે અને ધર્મવૃદ્ધિનું આ ચક્ર બરાબર વધતું રહે, એ લાભને ધ્યાનમાં રાખીને અધ્યાત્મ વિદ્યાના આચાર્યોએ એવો આદેશ કર્યો છે કે, પ્રત્યેક શુભકાર્યને અંતે પ્રસાદ વહેંચવો. લગ્ન સંસ્કાર કથાવ્રત, ઉપવાસ જેવાં યજ્ઞ કાર્યો પછી – બ્રહ્મ ભોજન તથા પ્રીત ભોજનનું આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એવો આદેશ મળે છે કે છેલ્લે પ્રસાદ ન વહેંચવાથી યજ્ઞ નિષ્ફળ થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે પ્રસાદના મહત્ત્વ પ્રત્યે લોકોએ સાવધાન રહેવાનું છે.

ગાયત્રી સાધના પણ એક યજ્ઞ છે. એ અસાધારણ યજ્ઞ છે. અગ્નિમાં સામગ્રીની આહુતિ આપવી એ સ્થૂળ કર્મકાંડ છે પણ આત્મામાં પરમાત્માની સ્થાપના એ સૂક્ષ્મ યજ્ઞ છે, જેની મહત્તા સ્થૂલ અગ્નિહોત્ર કરતાં અનેકગણી વધારે છે. આવા મહાન ધર્મ કૃત્યની સાથોસાથ પ્રસાદનું વિતરણ પણ એવું હોવું જોઈએ, જે એની મહત્તાને અનુરૂપ હોય. રેવડી પતાસાં, લાડવો વહેંચવાથી એ કાર્ય પૂરું થઈ શકતું નથી. ગાયત્રીનો પ્રસાદ તો એવો હોવો જોઈએ જેથી તે ગ્રહણ કરનારને સ્વર્ગીય સ્વાદ મળે અને ખાઈને તેનો આત્મા તૃપ્ત થાય. ગાયત્રી બ્રાહ્મી શક્તિ છે. એનો પ્રસાદ પણ “બ્રાહ્મી પ્રસાદ” હોવો જોઈએ. ત્યારે જ યોગ્ય ગૌરવનું કાર્ય ગણાય.

એ પ્રકારનો પ્રસાદ છે-બ્રહ્મદાન, બ્રાહ્મીસ્થિતિ તરફ ચાલવાનું આકર્ષણ અને પ્રોત્સાહન. જે વ્યક્તિને બ્રહ્માપ્રસાદ આપવો હોય તેને આત્મકલ્યાણની દિશામાં આકર્ષિત કરવી અને તે તરફ ચાલવાને માટે એને પ્રોત્સાહન આપવું એ જ બ્રહ્મપ્રસાદ છે.

એ તો સ્પષ્ટ જ છે કે, ભૌતિક અને આત્મિક આનંદના સમસ્ત સ્રોતો માનવ પ્રાણીના અંતઃકરણમાં છૂપાયેલા છે. જગતમાં સંપત્તિઓ આપણી બહાર નથી. બહાર તો પથ્થરો, ધાતુઓના ટુકડા અને નિર્જીવ પદાર્થો ભરેલા પડ્યા છે સંપત્તિઓનો બધો ખજાનો તો આપણા આત્મામાં રહેલો છે, જેના દર્શન માત્રથી મનુષ્યને તૃપ્તિ મળી જાય છે અને તેના અનેક ઉપભોગો કર્યા પછી આનંદનો પાર રહેતો નથી. એ આનંદ-ભંડારો ઉઘાડવાની કૂંચી આધ્યાત્મિક સાધનાઓમાં છે અને એ સમસ્તમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. એની શ્રેષ્ઠતા અતુલનીય છે, અસાધારણ છે. એની સિદ્ધિઓ અને ચમત્કારોનો કોઈ પાર નથી. એવી શ્રેષ્ઠ સાધનાના માર્ગે જો કોઈને આકર્ષિત કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે અને જોડવામાં આવે તો એનાથી વધે એવો કોઈ ઉપકાર થઈ શકે એમ નથી. જેમ જેમ એનામાં સાત્ત્વિક તત્ત્વોની વૃદ્ધિ થશે, તેમ તેમ એના વિચારો અને કાર્યો પુણ્યમય થતાં જશે અને પ્રભાવ બીજા પર પડવાથી તેઓ પણ સન્માર્ગનું અવલંબન કરશે. એ શૃંખલા જેમ જેમ લાંબી થશે તેમ તેમ જગતમાં સુખશાંતિની, પુણ્યની માત્રા વધશે અને એ ધર્મના પુણ્ય ફળમાં જેણે કોઈને આત્મમાર્ગે પ્રોત્સાહિત કર્યો હશે એ વ્યક્તિનો ભાગ પણ હશે. જેમ કોઈ રાજાને એક વાર રાજી કરવાથી જાગીર મળી જાય છે અને જાગીરની આવક સદાય મળ્યા કરે છે, તેમ એક વ્યક્તિને આત્મ કલ્યાણના માર્ગે ચઢાવી દેવાથી એ ચઢાવનારને એના પુણ્ય ફળનો એક ભાગ સદાય મળતો રહે છે. આ પ્રકારે તે ચોક્કસ અક્ષય પુણ્યનો ભાગીદાર બની જાય છે,

જે વ્યક્તિ ગાયત્રીની સાધના કરે તેણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે, હું ભગવતીને પ્રસન્ન કરવા માટે, એનો મહાપ્રસાદ, બ્રહ્મપ્રસાદ અવશ્ય વહેંચીશ. એ વિતરણ આ પ્રકારે થવું જોઈએ-પોતાના પરિચિતોમાં અને અપરિચિતોમાં એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ કે જેમાં શુભ મોજૂદ હોય એને ધીરે ધીરે ગાયત્રીનું મહાત્મ્ય, રહસ્ય અને લાભ સમજાવતા જવું. જે લોકો આધ્યાત્મિક ઉન્નતિના મહત્ત્વને નથી સમજતા તેમની આગળ ગાયત્રી દ્વારા પ્રાપ્ત થનારા ભૌતિક લાભોનું વિસ્તૃત વર્ણન કરવું જોઈએ. ગાયત્રી તપોભૂમિ-મથુરા દ્વારા પ્રકાશિત ગાયત્રી અંગેનું સાહિત્ય તેમને વંચાવવું જોઈએ. આ રીતે તેમની રુચિ આ દિશા તરફ વાળવી જોઈએ. આથી કરીને તેઓ ગાયત્રી માતાનો આશ્રય ગ્રહણ કરશે. શરૂઆતમાં ભલે તેઓ સકામ ભાવનાથી આ તરફ વળે પણ અંતે તેમની રુચિ નિષ્કામ ભાવનાવાળી થવાની જ. પછી તો તેઓ જાતે જ આ દ્વારા પ્રાપ્ત થનારા મહાન લાભથી મુગ્ધ બનીને તેને છોડવાનું નામ જ નહિ લે. એકવાર ગાડી પાટા પર ચઢી એટલે એ પોતાના માર્ગ પર વ્યવસ્થિત રીતે ચાલતી જ રહેશે.

આ બ્રહ્મપ્રસાદ અન્ય સામાન્ય પદાર્થો કરતાં વિશેષ મહત્ત્વનો છે. આવો, આ પ્રયત્નથી જ વહેંચી શકાય એવા બ્રહ્મપ્રસાદને બધે વહેંચીને વેદમાતાની કૃપા પ્રાપ્ત કરો અને અક્ષય પુણ્યના ભાગીદાર બનો.

૪૨. ષ્ટ્ચક્રોનું વેધન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ષટ્ચક્રોનું વેધન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

કુંડલિની શક્તિના મૂળ સુધી પહોંચવાના માર્ગમાં છ દરવાજા છે અથવા એમ કહેવું જોઈએ કે, છ તાળા મારેલાં છે. એ દરવાજાઓનાં તાળા ઉઘાડ્યા પછી જ જીવ એ શક્તિ કેન્દ્ર સુધી પહોંચી શકે છે. આ છ અવરોધોને આધ્યાત્મિક ભાષામાં ષટ્ચક્ર કહેવામાં આવે છે.

સુષુમ્ણામાં રહેનારી ત્રણ નાડીઓમાં સૌથી અંદર રહેલી બ્રહ્મનાડી સાથે આ ચક્રો સંબંધ ધરાવે છે. માળાના દોરામાં પરોવેલાં કમળ પુષ્પોની તેમને ઉપમા આપવામાં આવે છે. આ પહેલાં આપવામાં આવેલાં ષટ્ચક્રોના ચિત્રમાં વાચકો જોઈ શકશે કે કયું ચક્ર કયે ઠેકાણે છે ? મૂલાધાર ચક્ર યોનિની સામે, સ્વધિષ્ઠાન ચક્ર પેઢા સામે, મણિપૂર ચક્ર નાભિની સામે, અનાહ્રત ચક્ર હ્રદયની સામે, વિશુદ્ધાખ્ય ચક્ર કંઠની સામે અને આજ્ઞાચક્ર ભ્રૂકુટિની મધ્યમાં સ્થિત છે. એ બધાં ઉપર સહસ્ત્રાર કમળ આવેલું છે.

સુષુમ્ણા તથા તેની અંદર રહેનારી ચિત્રણી આદિ નાડીઓ એટલી સૂક્ષ્મ છે કે સાધારણ આંખોથી જોઈ શકાતી નથી. એની સાથે સંબંધિત ચક્ર તો એથીય સૂક્ષ્મ છે કે, શરીરના વાઢકાપ કરતી વખતે આ ચક્રોને નસો-નાડીઓની માફક સ્પષ્ટ રૂપમાં જોઈ શકાતાં નથી કારણ કે આપણાં ચર્મચક્ષુઓની તીક્ષ્ણ શક્તિ બહુ જ સીમિત છે. વાયુના પરમાણુ તથા રોગનાં કીટાણુ આપણી આંખોથી દેખાતાં નથી. છતાં આપણે એમના અસ્તિત્વનો ઈન્કાર કરી શકતા નથી. આ ચક્રો યોગીઓએ પોતાની યોગદષ્ટિથી જોયા છે અને એમનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને મહત્ત્વપૂર્ણ લાભ ઊઠાવ્યા છે અને એ સંબંધી વ્યવસ્થિત વિજ્ઞાનનું નિર્માણ કરીને યોગમાર્ગના પ્રવાસીઓને માટે એ તૈયાર કર્યું છે.

ષટ્ચક્ર એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે, જે પદ્મનાડીના માર્ગમાં છે. એ ચક્રગ્રંથિઓમાં સાધક જ્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેને ત્યાંની સૂક્ષ્મ સ્થિતિનો ભારે અનુભવ થાય છે, તે ગ્રંથિઓ ગોળ હોતી નથી. એમાં ફૂલની પાંખડીમાં હોય છે એવા ખૂણા નીકળેલા હોય છે. એ ખૂણાઓને યા પાંખડીઓને પદ્મદલ કહેવામાં આવે છે. તે એક પ્રકારના તંતુઓનો ગુચ્છ હોય છે.

આ ચક્રોના રંગો પણ વિવિધ પ્રકારના હોય છે, કેમ કે કોઈ ગ્રંથિમાં અમુક અને કોઈ બીજી ગ્રંથિમાં અમુક તત્ત્વ મુખ્ય હોય છે. એ તત્ત્વની વિશેષતાનો એ સ્થાનના લોહી પર પ્રભાવ પડે છે અને એનો રંગ બદલાઈ જાય છે. પૃથ્વીતત્ત્વોની વિશેષતાનું મિશ્રણ લોહીનો રંગ ગુલાબી, પાણીના મિશ્રણથી સિંદૂરિયો, અગ્નિથી ભૂરો, વાયુથી શુદ્ધ લાલ અને આકાશથી ધુમાડિયો થઈ જાય છે. એવા મિશ્રણથી ચક્રોના રંગ બદલાઈ જાય છે.

એક પ્રકારના જંતુ લાકડાને કોતરતાં જાય છે ત્યારે કોતરેલા સ્થાને કેટલીક આકૃતિઓ જણાય છે તેમ આ ચક્રોમાં રહેલો પ્રાણવાયુ આવ-જા કરે છે ત્યારે એનો માર્ગ એ ગ્રંથિઓની સ્થિતિ અનુસાર વાંકોચૂકો થાય છે. એ ગતિની આકૃતિ કેટલાક દેવનાગરી અક્ષરોની આકૃતિ સાથે મળતી આવે છે. આ વાયુ માર્ગને ચક્રોના અક્ષર કહેવામાં આવે છે.

ઝડપથી વહેતી નદીમાં કેટલાંક સ્થળોએ ખાડા પડી જાય છે. એ પાણીના ખાડા ક્યાંક ઊંડા, ક્યાંક છિછરા, ક્યાંક ગોળ, તો કોઈ સ્થાને ચોરસ હોય છે. પ્રાણવાયુનો સુષુમ્ણા પ્રવાહ આ ચક્રોમાંથી પસાર થઈને દઢગતિથી વહે છે તો ત્યાં એક પ્રકારનો સૂક્ષ્મ ભ્રમર પડે છે, જેની આકૃતિ ચતુષ્કોણ, અર્ધચંદ્રાકાર, ત્રિકોણ, ષટકોણ, ગોળાકાર, લિંગાકાર તથા પૂર્ણ ચંદ્રાકાર બને છે. અગ્નિ જ્યારે બળે છે ત્યારે એની જ્વાલા ઉપર જાય છે, જે નીચે જાડી છે અને ઉપર પાતળી હોય છે. એમ અવ્યવસ્થિત ત્રિકોણ જેવી બની જાય છે. એ પ્રકારની વિવિધ આકૃતિઓ વાયુ પ્રવાહમાંથી બને છે. એ આકૃતિઓને ચક્રોનાં યંત્રો કહેવામાં આવે છે.

શરીર પંચતત્ત્વોનું બનેલું છે. એ તત્ત્વોના વત્તાઓછા સંમિશ્રણથી વિવિધ અંગ પ્રત્યાંગોનું નિર્માણ અને તેનું કાર્ય થતું હોય છે. જે સ્થાનમાં જે તત્ત્વની આવશ્યકતા હોય છે, તે વત્તુંઓછું થઈ જવાથી શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. તત્ત્વો યથાસ્થાન, યોગ્ય પ્રમાણમાં હોવા એ નીરોગીતાનું ચિહ્ન મનાય છે. ચક્રોમાં પણ એક એક તત્ત્વની વિશેષતા હોય છે. જે ચક્રોમાં જે તત્ત્વ હોય છે તે જ એનું તત્ત્વ કહેવાય છે.

બ્રહ્મનાડીની પોલી નળીમાં થઈને વાયુની આવજા થાય છે ત્યારે ચક્રોના સૂક્ષ્મ આઘાતથી વાંસળીનાં છિદ્રોમાં વાયુ પ્રવેશવાથી થાય છે એવો એક ધ્વનિ નીકળે છે જે દરેક ચક્રના એક સૂક્ષ્મ છિદ્રમાં વાંસળીના સ્વરો જેવી પ્રતિક્રિયા થવાથી સા, રે, ગ, મ જેવા સ્વરોનો એક વિશેષ ધ્વનિપ્રવાહ થાય છે, જે યં, લં, રં, હં ૐ જેવા સ્વરોમાં સંભળાય છે. એને ચક્રોના બીજ અક્ષરો કહેવામાં આવે છે.

ચક્રોમાં વાયુની ગતિમાં પણ અંતર હોય છે.વાત, પિત્ત, કફની નાડી, કબૂતર, દેડકો, સર્પ, કૂકડો આદિની ગતિએ ચાલે છે. એ ચાલને ઓળખીને વૈદ્ય લોકો પોતાનું કાર્ય કરે છે. તત્ત્વોનું મિશ્રણ વાંકોચૂકો માર્ગ, ભ્રમર, બીજ આદિના સમન્વયથી પ્રત્યેક ચક્રમાં રક્તાભિસરણ અને વાયુની આવજાના સંયોગથી એક વિશેષ ગતિ ત્યાં વરતાય છે. એ ચાલ કોઈ ચક્રમાં હાથીના જેવી મંદગામી, કોઈમાં મગરના જેવી ડૂબકી મારવાવાળી, કોઈમાં હરણના જેવી ફાળ મારનારી, કોઈમાં દેડકાના જેવી કૂદકા મારનારી હોય છે. એ ગતિઓને ચક્રોનાં વાહન કહેવામાં આવે છે.

આ ચક્રોમાં વિવિધ દૈવી શક્તિઓ રહેલી છે. ઉત્પાદન, પોષણ, સંહાર, જ્ઞાન, સમૃદ્ધિ, બળ આદિ શક્તિઓને દેવતા વિશેષની શક્તિ માનવામાં આવે છે અથવા એમ કહોને કે એ શક્તિઓ જ દેવતા છે. પ્રત્યેક ચક્રમાં એક પુરુષ વર્ગની ઉષ્મવીર્ય અને એક સ્ત્રી વર્ગની શીતવીર્ય શક્તિ રહે છે કેમ કે ઋણ અને ધન, અગ્નિ અને સોમ બંને તત્ત્વો મળ્યા વગર ગતિ અને જીવનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ શક્તિઓ જ ચક્રોના દેવીદેવતા છે.

પંચ-તત્ત્વોના પોતપોતાના ગુણો હોય છે. પૃથ્વીનો ગંધ, જલનો રસ, અગ્નિનું રૂપ, વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ ગુણ હોય છે. ચક્રોમાં તત્ત્વોની વિશેષતા પ્રમાણે એના ગુણમાં પણ વિશેષતા હોય છે. એ જ ચક્રોના ગુણ છે.

આ ચક્રો પોતાની સૂક્ષ્મ શક્તિને આખા શરીરમાં પ્રવાહિત તો કરે છે, પણ એક જ્ઞાનેન્દ્રિય અને એક કર્મેન્દ્રિય સાથે એમનો સંબંધ વિશેષ રૂપમાં હોય છે. સંબંધિત ઇન્દ્રિયોને તે વધારે પ્રભાવિત કરે છે. ચક્રોના જાગરણનાં ચિહ્ન ઇન્દ્રિયો પર તરત જોવામાં આવે છે. એ સંબંધ વિશેષને લીધે તે ઇન્દ્રિયો ચક્રોની ઇન્દ્રિયો કહેવાય છે.

દેવશક્તિઓમાં ડાકિની, રાકિની, શાકિની, હાકિની વગેરે વિચિત્ર નામો સાંભળીને એ ભૂતડી, ચૂડલ, મસાણી જેવી કોઈ વસ્તુ હોવાનો ભ્રમ થાય છે. વસ્તુતઃ વાત એવી નથી. મુખથી માંડીને નાભિ સુધી ચક્રાકાર “અ” થી “હ” સુધીના બધા અક્ષરોની એક ગ્રંથિમાલા છે. એ માળાના મણકાઓને ““માતૃકાઓ’ કહે છે. આ માતૃકાઓના યોગદર્શન દ્વારા જ ઋષિઓએ દેવનાગરી વર્ણમાલાના અક્ષરોની રચના કરી છે. ચક્રોના દેવ જે માતૃકાઓથી ઝંકૃત થાય છે, સંબદ્ધ થાય છે તેને તે દેવોની દેવશક્તિ કહેવામાં આવે છે. ડ, ર, લ, શ ની આગળ આદિમાતૃકાઓના બોધક કિની શબ્દની જોડીને રાકિની, ડાકિની આદિ નામો બનાવવામાં આવ્યાં છે, એ જ દેવશક્તિઓ છે.

ઉપરોક્ત પરિભાષાઓને સમજી લેવા ઉપરાંત પ્રત્યેક ચક્ર વિષે નીચે જણાવેલી વિગતો બરાબર સમજી લેવી વાચકોને સુગમ થઈ પડશે. હવે એ ચક્રોનો પરિચય નીચે આપવામાં આવે છે

*  મૂલાકારક ચક્ર

સ્થાન-યોનિ (ગુદાની પાસે. વર્ણ-લાલ, લોક-ભૂલોક, દલોના અક્ષરો-બં, શ, ષ, સં, તત્ત્વ પૃથ્વી. તત્ત્વબીજ-લં, વાહન-ઐરાવત-હાથી. ગુણ-ગંધ દેવ-બ્રહ્મા, દેવશક્તિ-ડાકિની. યંત્ર-ચતુષ્કોણ. જ્ઞાનેન્દ્રિય-નાસિકા. કર્મેન્દ્રિય-ગુદા. ધ્યાનનું ફળ-વકતાપણું, મનષ્યોમાં શ્રેષ્ઠતા, સર્વ વિદ્યા વિનોદ, આરોગ્ય, આનંદમય ચિત્ત કાવ્ય અને લેખનનું સામર્થ્ય.

*  સ્વાધિષ્ઠાન ચક્ર

સ્થાન-પેઢૂ (શિશ્નની સામે. દલ-છ. વર્ણ-સિંદુરિયો. લોક ભુવઃ દલોના અક્ષરો-બં, મં, રં, લં, તત્ત્વ-જલ તત્ત્વ બીજ-બં. બીજનું વાહન-મગર. ગુણ-રસ. દેવ-વિષ્ણુ દેવ-શક્તિ-ડાકિન, યંત્ર ચંદ્રાકાર. જ્ઞાનેન્દ્રિય-રસાના. કર્મેન્દ્રિય-લિંગ. ધ્યાનનું ફળ-અહંકારાદિ વિકારોનો નાશ, શ્રેષ્ઠ યોગ, મોહ-નિવૃત્તિ, રચનાશક્તિ.

*  મણિપર ચક્ર

સ્થાન-નાભિ, દલ-દસ, વર્ણ-નીલ. લોક-સ્વઃ દલોના અક્ષરો ડં, ઢં, ધં, પં. ફં તત્ત્વબીજ-રં. બીજનું વાહન-ઘેટું. ગુણ-રૂપ, દેવ-વૃદ્ધ રુદ્ર. દેવશક્તિ-શાકિની. યંત્ર-ત્રિકોણ, જ્ઞાનેન્દ્રિય-ચક્ષુ, કર્મેન્દ્રિય ચરણ. ધ્યાનનું ફળ-સંહાર અને પાલનનું સામર્થ્ય વચન સિદ્ધિ.

* અનાહત ચક્ર

સ્થાન-હૃદય, દલ-બાર. વર્ણ-લાલ, લોક-મહઃ, દલોના અક્ષરો-કં ખં, ગં, ઘં, ડં, ચં, છં, જં, ઝં, ટં, ઠં, તત્ત્વ-વાયુ. દેવ શક્તિ-શાકિની. યંત્ર ષટ્કોણ. જ્ઞાનેન્દ્રિય-ત્વચા, કમેન્દ્રિય-હાથ. ફળ-સ્વામિત્વ, યોગસિદ્ધ, જ્ઞાન, જાગૃતિ, ઇન્દ્રિય વિજય, પરકાયા પ્રવેશ.

• વિશુદ્ધાખ્ય ચક્ર

સ્થાન-કંઠ. દલ-સોળ. વર્ણ-ધૂમ્ર. લોક-જન, દલોના અક્ષરો “અ” થી માડીને “અ:” સુધીના સોળ અક્ષરો, તત્ત્વ-આકાશ તત્ત્વ બીજ-હં. વાહન-હાથી. ગુણ-શબ્દ. દેવ-પંચમુખી સદાશિવ. દેવ શક્તિ-શાકિની. યંત્ર-શૂન્ય (ગોળાકાર). જ્ઞાનેન્દ્રિય-કાન. કર્મેન્દ્રિય-વાણી. ધ્યાન-ફળ-ચિત્ત શાંતિ, ત્રિકાળ દર્શિત્વ દીર્ઘ જીવન, તેજસ્વિતા, સર્વહિત પરાયણતા.

* આજ્ઞા ચક્ર

સ્થાન-ભૂમધ્ય. દલ-બે. વર્ણ-ધોળો.. દલોના અક્ષરો-હં. ક્ષં. તત્ત્વ-મહઃ, તત્ત્વબીજ-ઊં, બીજનું દેવ વાહન-નાદ. જ્યોતિર્લિંગ, દેવશકિત-હાકિની, યંત્ર-લિંગાકાર. લોક-તપઃ ધ્યાન ફળ-સર્વાર્થ સાધન.

છ ચક્રોમાં ઉપરોક્ત છ ચક્ર આવી જાય છે, પરંતુ સહસ્ત્રાર કમળ યા સહસ્ત્રદલને પણ કેટલાક સાતમું શૂન્ય ચક્ર માને છે એનું વર્ણન નીચે આપવામાં આવે છે.

* શૂન્ય ચક્ર

સ્થાન-મસ્તક. દલ-સહસ્ત્ર. દલોના અક્ષરો અં થી ક્ષં સુધીની પુનરાવૃત્તિઓ. લોક-સત્ય. તત્ત્વ-તત્વોથી અતીત. બીજતત્ત્વ-નિસર્ગ (:) બીજનું વાહન-બિન્દુ. દેવ-પરબ્રહ્મ દેવશક્તિ-મહાશક્તિ. યંત્ર-પૂર્ણચંદ્રવત્. પ્રકાશ-નિરાકાર. ધ્યાનનું ફળ-ભક્તિ, અમરતા, સમાધિ સમસ્ત રિદ્ધિ-સિદ્ધિઓનું હાથમાં આવી જવું.

વાચકો જાણે છે કે કુંડલિની શક્તિનો સ્ત્રોત છે. એ આપણા શરીરનો સૌથી નજીકનો સ્ફલ્લિગ છે. એમાં બીજરૂપે એટલી રહસ્યમય શક્તિઓ રહેલી છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. કુંડલિની શક્તિનાં આ છ કેન્દ્રોમાં એ ચક્રોમાં પણ એનો પૂરતો પ્રકાશ છે. સૌરમંડલમાં નવ ગ્રહો છે. તેમાં સૂર્ય એનું કેન્દ્ર છે અને ચંદ્રમા, મંગલ આદિનો એની સાથે સંબંધ હોવાથી એની પરિક્રમા કરે છે. તે બધા સૂર્યના ઉષ્મા, આકર્ષણ, વિલાયની આદિ શક્તિઓથી પ્રભાવિત અને ઓતપ્રોત રહે છે. એવી જ રીતે કુંડલિનીની શકિતઓ ચક્રોમાં પ્રસારિત થતી રહે. એક મોટી તિજોરીમાં જેમ નાનાં નાનાં ખાનાં હોય છે, જેમ મધપૂડાના નાનાં નાનાં અનેક છિદ્રો હોય છે અને તેમાં થોડું થોડું મધ ભરેલું હોય છે, તેમ કુંડલિનીની શક્તિઓ પ્રકાશ ચક્રોમાં પણ હોય છે. ચક્રોના જાગરણની સાથે જ એમાં રહેલી અનેક રહસ્યમયી શક્તિઓ પણ જાગી ઊઠે છે. એ શક્તિઓ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.

૦ ષટ્ચક્રોનું વેધન

ષટ્ચક્રોનું વેધન કરતાં કરતાં કુંડલિની સુધી પહોંચવું અને એને જાગૃત કરીને આત્મોન્નતિના માર્ગે લગાવી દેવું એક મહાવિજ્ઞાન છે. એવું જ મહાવિજ્ઞાન જેવું કે પરમાણુ બૉમ્બનું નિર્માણ અને તેનો વિસ્ફોટ કરવો એક અત્યંત જવાબદારી ભરેલું કાર્ય છે. કેવળ પુસ્તક વાંચીને પોતે જ એનો આંરભ કરી દેવો ન જોઈએ. એ માટે પણ કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવવું જોઈએ.

ચક્રોનું વેધન ધ્યાન-શક્તિથી કરવામાં આવે છે. એ તો બધા જાણે છે કે આપણું મગજ એક વીજળી ઘર છે અને વીજળી ઘરની મુખ્ય ધારાનું નામ “મન” છે. મનની ગતિ ચંચલ અને બહુમુખી હોય છે. એ હરઘડી ચંચલતામાં મગ્ન અને નાગકૂદ કરતું રહે છે. એ ઉથલપાથલને લીધે એ વિધુતપૂજનું એક સ્થાને કેન્દ્રીકરણ નથી થતું, કે જેથી કંઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપાદન અભાવથી જીવન અસ્તવ્યસ્ત થઈને નકામું થઈ જાય છે. જ્યારે એ શકિતનું એકત્રીકરણ થઈ જાય છે ને એને એક સ્થાને સંચિત કરવામાં આવે છે, ત્યારે બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પેદા થાય છે, તેમ “ધ્યાન’ એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે, જેના દ્વારા મનની વેરાયેલી બહુમુખી શક્તિઓ એક સ્થાને એકત્રિત થઈને કાર્ય કરવા લાગી જાય છે. પરિણામે ત્યાં આ સાધારણ શક્તિનો સ્રોત પ્રવાહિત થઈ જાય છે. ષટ્ચક્રોની કેન્દ્રીભૂત આ વીજળીનું સાધક ધ્યાનથી વેધન કરી શકે છે.

ષટ્ચક્રવેધન સાધના કરવા માટે અનેક ગ્રંથોમાં અનેક માર્ગ બતાવવામાં આવ્યા છે. એ પ્રકારે ગુરુપરંપરાથી ચાલી આવેલી સાધનાઓ પણ વિવિધ પ્રકારની છે. એ બધા માર્ગોથી ઉદ્દેશની પૂર્તિ થઈ શકે છે. સફળતા મળી શકે છે પરંતુ તેની શરત એ છે કે, એ પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠા અને ઉચિત પથપ્રદર્શકની સૂચના સલાહ પ્રમાણે કરવું જોઈએ.

અન્ય સાધનાઓની ચર્ચા અને તુલના કરીને એની આલોચના પ્રત્યાલોચના અમે અહીં કરતા નથી. અહીં તો આપણે એક એવી સુલભ સાધના વાચકો આગળ રજૂ કરીએ છીએ કે, જે દ્વારા ગાયત્રી શક્તિથી, ષટ્ચક્રોનું જાગરણ ભારે સુવિધાપૂર્વક થઈ શકે છે અને બીજી સાધનાઓમાં આવનાર અસાધારણ મુશ્કેલીઓ અને ખતરાઓમાંથી બચી જવાય છે.

સવારે શુદ્ધ અને સ્વસ્થ તથા સાવધાન થઈને પદ્માસન વાળીને બેસવું, અગાઉ વર્ણવેલી બ્રહ્મસંધ્યાના આરંભિક પંચકોષની ક્રિયા કરવી. આસન, શિખાબંધન, પ્રાણાયામ, અઘમર્ષણ અને ન્યાસ કર્યા પછી ગાયત્રીના એકસો આઠ મંત્રોની માળા કરવી.

બ્રહ્મસંધ્યા કર્યા પછી મસ્તકના મધ્ય ભાગ-ત્રિકુટીમાં એક કાનથી બીજા કાન સુધી રેખા દોરવામાં આવે અને બંને ભ્રમરોના મધ્યમાંથી મસ્તકના મધ્ય ભાગ સુધી બીજી રેખા દોરવામાં આવે અને જ્યાં એ બન્નેનું મિલન થાય તે જગ્યાને ત્રિકુટી કહેવામાં આવે છે. તેમાં વેદમાતા ગાયત્રીના જ્યોતિ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. મનને એ જ્યોતિલિંગના મધ્યમાં એ પ્રકારે અવસ્થિત કરવું. જેમ લુહાર પોતાના લોખંડને તપાવવા ભઠ્ઠીમાં નાખી દે છે અને જ્યારે તે લાલ થઈ જાય ત્યારે એને બહાર કાઢે છે અને ટીપીને જોઈતી વસ્તુ બનાવે છે. ત્રિકુટી સ્થિત ગાયત્રી-જ્યોતિમાં મનને થોડીવાર સુધી અવ્યવસ્થિત રાખવાથી મન પોતે પણ તેજસ્વરૂપ થઈ જાય છે ત્યારે એને આજ્ઞાચક્ર સ્થાનમાં લાવવું જોઈએ. બ્રહ્મનાડી મેરૂદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને સહસ્ત્રદલ સુધી ગઈ છે. એ બ્રહ્મનાડીની પોલી નળીમાં દીપ્તિમા મનને પ્રવેશ કરાવીને આજ્ઞાચક્રમાં લઈ જવામાં આવે છે. મનને ત્યાં સ્થિર કરવાથી ચક્રનાં લક્ષણોમાં વર્ણવ્યા મુજબ બધા અનુભવો થાય છે. મનને ચક્રના દલોનો, અક્ષરોનો, તત્ત્વનો, બીજનો, દેવશક્તિનો, યંત્રનો, લોકનો, વાહનનો, ગુણનો, રંગનો અનુભવ થાય છે. શરૂઆતમાં બહુ જ અધૂરા અનુભવો થાય છે. ચક્રમાં કેટલાંક લક્ષણો સ્પષ્ટ કેટલાંક અસ્પષ્ટ અને કેટલાંક વિકૃત જોવામાં આવે છે. ધીરે ધીરે તે સ્પષ્ટ થતાં જાય છે. કદી કદી કોઈ વ્યક્તિઓમાં ચક્રોમાં કઈ લક્ષણ ભેદ પણ નજરે પડે છે. એને પોતાની અંદરના ચક્રની અનુભવ થાય છે.

સ્વસ્થ ચિત્તથી, સાવધાન થઈને, એક માસ સુધી એકની એક સાધના કરવાથી તે પ્રફુટિત થઈ જાય છે. ધ્યાનમાં એનાં લક્ષણો વધુ સ્પષ્ટ થવા માંડે છે અને ચક્રના સ્થાન પર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં અચાનક કંપન, રોમાંચ, પ્રસ્ફુરણ ઉત્તેજના, ખુજલી જેવા અનુભવો થાય છે. ચક્રોના જાગરણનાં એ લક્ષણો છે. એક માસમાં અગર એથી ઓછાવત્તા વખતમાં આ પ્રકારનાં ચિહ્નો પ્રકટ થવા લાગે, ધ્યાનમાં ચક્રનું રૂપ સ્પષ્ટ થવા લાગે ત્યારે એનાથી આગળ વધીને એનાથી નીચેના બીજા ચક્રમાં પ્રવેશ કરવો જોઈએ. વિધિ એ જ છે-માર્ગ એ જ છે, ગાયત્રી જ્યોતિમાં મનને તપાવીને બ્રહ્મનાડીમાં પ્રવેશ કરવો. અને એમાંથી પહેલા ચક્રમો જવું-એ પ્રકારે પ્રત્યેક ચક્રમાં લગભગ એક માસનો સમય લાગે છે. જ્યારે સાધના પાકી જાય છે ત્યારે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સાધના કાચી હોય છે-ત્યાં સુધી દ્વાર બંધ હોય છે. સાધકનું મન આગળ ચાલવા માગે તો પણ બારણું મળતું નથી અને એ ચક્રની તંતુકાળની ભૂલભુલામણીમાં અટવાયા કરે છે.

જ્યારે સાધના લાંબા સમય સુધી પાકતી નથી અને સાધકને આગળનો માર્ગ મળતો નથી ત્યારે એને અનુભવી ગુરુની સહાયની જરૂર પડે છે અને તે જે ઉપાય બતાવે તે પ્રમાણે ચાલવું પડે છે. આ પ્રકારે ધીરે-ધીરે ક્રમશઃ છએ ચક્રો પાર કરીને સાધક મૂલાધારમાં સ્થિત કુંડલિની સુધી પહોચે છે અને ત્યાં એ જ્વાળામુખી કરાલ સ્વરૂપ, મહાશક્તિ સર્પિણીના વિકરાળ સ્વરૂપનું દર્શન કરે છે. મહાકાળનું પ્રચંડ સ્વરૂપ અહીં નજરે પડે છે. કેટલાક સાધકો સૂતેલા સિંહને જગાડવાનું સાહસ કરતાં ધ્રુજી ઊઠે છે.

કુંડલિનીને જગાડવામાં એને પીડિત કરવી પડે છે. છેડવી પડે છે. જેવી રીતે પરમાણનો સ્ફોટ કરવાને માટે એને વચ્ચેથી તોડવો પડે છે. તેવી જ રીતે સુખ કુંડલિનીને ગતિશીલ બનાવવાને માટે એના પર આઘાત કરવો પડે છે. એને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની પીડન કહેવામાં આવે છે. એનાથી પીડિત થઈને ક્ષુબ્ધ કુંડલિની ફુંફાડા મારતી જાગી જાય છે અને એનું સહુથી પહેલું આક્રમણ મનને લાગેલા જન્મજન્માંતરોના સંસ્કારો પર થાય છે. એ સંસ્કારોને ચાવી જાય છે અને એની સ્થૂલતા, માયાપરાયણતાનો નાશ કરીને બ્રહ્મભાવમાં પરિણિત કરી દે છે.

આ કુંડલિનીને જગાડવાનું અને એ જાગ્યા પછી આક્રમણ થવાની ક્રિયાનું પુરાણોમાં બહુ જ અલંકારિક અને હૃદયગ્રાહી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે.

મહિષાસુર અને દુર્ગાનું યુદ્ધ આ આધ્યાત્મિક રહસ્યનું પ્રતીક છે. પોતાની મુક્તિની કામના રાખતો, દેવીના હાથે મરવાની કામનાથી ઉત્સાહિત બનેલો મહિષાસુર (મહિ-પૃથ્વી આદિ પંચભૂતોનું બનેલું મન) ચંડી સાથે, કુંડલિની સાથે લડવા જાય છે. એ ચૂપચાપ બેઠી હોય ત્યારે એના પર આક્રમણ કરે છે. દેવી ગુસ્સે થઈને એની સાથે યુદ્ધ કરે છે. એના પર આક્રમણ કરે છે. એને એના વાહન મહિષને, સંસ્કારો સમૂહને ચાવી નાખે છે. મનના ભૌતિક આચરણને, મહિષાસુરના શરીરને દશે ભુજાઓથી, દશે દિશાઓથી, બધી બાજુથી વિદીર્ણ કરી નાખે છે અને છેવટે મહિષાસુર (સાધારણ જીવ) ચંડીની જ્યોતિમાં મળી જાય છે. મહાશક્તિનો અંશ બનીને જીનલાભને પ્રાપ્ત કરે છે. ભક્તિમયી સાધનાનું આ રૌદ્રરૂપ અત્યંત વિચિત્ર છે. એને સાધના-સમર કહેવામાં આવે છે.

જ્યાં અનેક ભક્તો, પ્રેમ અને ભક્તિ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે ત્યાં એવા પણ અનેક ભક્તો છે જે “સાધના-સમર’માં બ્રહ્મ સાથે લડીને એને પ્રાપ્ત કરે છે. ભગવાન તો નિષ્ઠાના ભૂખ્યા છે. તે સાચા પ્રેમીને પણ મળે છે અને સાચા શત્રુને પણ મળે છે. ભક્તિયોગી પણ એને પામી શકે છે અને “સાધન-સમર’માં પોતાનું બળ બતાવનાર હઠયોગી, તંત્રમાર્ગી પણ એને પામી શકે છે. કુંડલિની જાગરણ એવું જ હઠતંત્ર છે જેને આધારે આત્મા તુચ્છમાંથી મહાન અને અણુમાંથી વિભુ બનીને સર્વ ઈશ્વરીય શક્તિઓથી પરિપૂર્ણ થઈ જાય છે.

ષટ્ચક્રોની સાધના કરતી વખતે સાધક પ્રતિદિન બ્રહ્મનાડીમાં પ્રવેશ કરીને ચક્રોનું ધ્યાન કરે છે. એ ધ્યાન પાંચ મિનિટથી આરંભ કરીને ત્રીસ મિનિટ સુધી લંબાવી શકાય. એકીસાથે એથી વધારે ધ્યાન કરવું હાનિકારક છે. કેમ કે વધારે ધ્યાનથી વધારે ગરમીને સહન કરવાનું કઠણ બને છે. ધ્યાન સમાપ્ત કરતી વખતે એ માર્ગ પર પાછું વાળીને મનને ત્રિકુટીમાં લાવવામાં આવે છે અને પછી ધ્યાનને પૂરું કરવામાં આવે છે.

સાધનાના કાળમાં સાધકે બ્રહ્મચર્ય પાળવું, એક વાર જમવું, સાત્ત્વિક પદાર્થો ખાવા, એકાંતસેવન કરવું, સ્વસ્થ વાતાવરણમાં રહેવું અને દિનચર્ચા સારી રાખવી અનિવાર્ય છે, કેમ કે એ સાધનાની પ્રારંભિક શરતો ગણાય છે.

ષટ્ચક્રોના વેધનની અને કુંડલિનીના જાગરણથી બ્રહ્મરંધમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિનું દર્શન થાય છે. અનેક ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

૪૧. ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

શરીરમાં અનેક સાધારણ અને અનેક અસાધારણ અંગો છે. અસાધારણ અંગને “મર્મસ્થાન પણ કહેવામાં આવે છે. અને મર્મસ્થાન કેવળ એથી કહેવામાં આવતું નથી કે તે બહુ જ સુકોમળ અને ઉપયોગી છે. પરંતુ એથી કહેવામાં આવે છે કે એમાં ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો હોય છે. એ કેન્દ્રોમાં અમુક બીજા સુરક્ષિત રાખી શકે છે. જેમનો ઉત્કર્ષ જાગરણ થઈ જાય તો માનવ કાંઈનો કાંઈ બની જાય છે. એનામાં આત્મશક્તિનો સ્રોત વહેવા માંડે છે અને તેને લીધે તે એવી અલૌકિક શક્તિઓનો ભંડાર બની જાય છે, જે સાધારણ લોકોને માટે “અલૌકિક આશ્ચર્ય”નો વિષય થઈ પડે છે.

એવા મર્મસ્થળોમાં મેરુદંડ (કરોડ)નું પ્રમુખ સ્થાન છે. તે શરીરની આધારશિલા છે. એ મેરુદંડ નાના નાના તેત્રીસ અસ્થિખંડો મળીને બન્યો છે. એ પ્રત્યેક ખંડમાં તત્ત્વદર્શીઓને એવી વિશેષ શક્તિઓ પરિલક્ષિત થાય છે કે, જેનો સંબંધ દૈવી શક્તિઓ સાથે છે. દેવતાઓમાં જે શક્તિનું કેન્દ્ર હોય છે, તે શક્તિઓ ભિન્ન ભિન્ન રૂપમાં મેરુદંડના આ અસ્થિખંડોમાં જોવા મળે છે. તેથી એવો નિષ્કર્ષ કાઢી શકાય છે કે, મેરુદંડ તેત્રીસ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આઠ વરુ, બાર આદિત્ય, અગિયાર રુદ્રો, ઈન્દ્ર અને પ્રજાપતિ એ તેત્રીસ દેવતાઓ, શક્તિઓ એમાં બીજરૂપે રહેલી છે.

આ પોલા મેરુદંડમાં શરીર વિજ્ઞાન મુજબ અનેક નાડીઓ છે અને તે વિવિધ કાર્યોમાં નિયોજિત રહે છે. અધ્યાત્મ વિદ્યા પ્રમાણે એમાં મુખ્ય નાડીઓ છે (૧) ઇડા, (૨) પિંગલા અને (૩) સુષુમ્ણા. આ ત્રણ નાડીઓ મેરુદંડને ચીરવામાં આવે તો પણ આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. એનો સંબંધ સૂક્ષ્મ જગત સાથે છે. એ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે. જેમ વીજળીથી ચાલતાં નેગેટિવ અને પોઝિટિવ-ઋણ અને ધન-કરન્ટ વહે છે અને એ બંનેનું જ્યાં મિલન થાય છે, ત્યાં શક્તિ પેદા થઈ જાય છે. એ પ્રકારે ઇડાને નેગેટિવ અને પિંગલાને પોઝિટિવ કહી શકાય. ઇડાને ચંદ્રનાડી તથા પિંગલાને સૂર્યનાડી પણ કહેવામાં આવે છે. સાદા શબ્દોમાં એને ઠંડી અને ગરમ ધારાઓ કહેવામાં આવે છે. બંનેના મિલનથી જે ત્રીજી શક્તિ પેદા થાય છે, એને સુષુમ્ણા કહે છે. પ્રયાગમાં ગંગા અને યમુના મળે છે. આ મિલનથી એક ત્રીજી સૂક્ષ્મ સરિતાનું નિર્માણ થાય છે, જે સરસ્વતી કહેવાય છે. આમ બે નદીઓમાંથી ત્રિવેણી બની જાય છે. મેરુદંડની અંદર પણ એવી જ આધ્યાત્મિક ત્રિવેણી છે. ઇડા પિંગલાની બે ધારાઓ મળીને સુષુમ્ણાની સૃષ્ટિ સર્જાય છે અને એક પૂર્ણ ત્રિવર્ગ બની જાય છે.

આ ત્રિવેણી ઊંચે મસ્તિષ્કના મધ્ય કેન્દ્ર સાથે, બ્રહ્મરંધ્ર સાથે સહસ્ત્રાર કમલ સાથે સંબંધિત અને નીચે મેરુદંડ જ્યાં પૂરો થાય છે ત્યાં લિંગમૂળ અને ગુદાની વચ્ચેના “સીવન’ સ્થાનની સીધમાં પહોંચીને અટકી જાય છે. તે એ ત્રિવેણીનો આદિ અંત છે.

સુષુમ્ણા નાડીની અંદર એક બીજો ત્રિવર્ગ છે. એમાં પણ ત્રણ અત્યંત સૂક્ષ્મ ધારાઓ પ્રવાહિત થાય છે. એમને વજ, ચિત્રણી અને બ્રહ્મનાડી કહે છે. જેમ કેળના થડને કાપવાથી એક પછી એક પડ નીકળે છે. તેમજ સુષુમ્ણાની અંદર વજની અંદર ચિત્રણી છે અને ચિત્રણીની અંદર બ્રહ્મનાડી છે. આ બ્રહ્મનાડી બીજી બધી નાડીઓનું મર્મકેન્દ્ર અને શક્તિસાર છે, આ મર્મની સુરક્ષાને માટે જ એના ઉપર આટલાં પડ રહેલાં હોય છે.

આ બ્રહ્મનાડી મસ્તિષ્કના કેન્દ્રમાં-બ્રહ્મરંધ્રમાં પહોંચીને હજારો ભાગમાં ચારેબાજુ ફેલાઈ જાય છે. તેથી જ તે સહસ્ત્રદલ કમલ કહેવાય છે. ભગવાન વિષ્ણુની શૈયા શેષની સહસ્ત્ર ફેણ પર હોવાનું રૂપક પણ આ સહસ્ત્રદલ કમલ ઉપરથી જ લેવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ આદિ અવતારી પુરુષોના મસ્તક પર એક વિશેષ પ્રકારના ગૂંચળાવાળા વાળનું અસ્તિત્વ જોઈએ છીએ, તે એ પ્રકારના વાળ નહીં પણ સહસ્ત્રદલ કમલનું કલાત્મક ચિત્ર છે. આ સહસ્ત્રદલ સૂક્ષ્મલોક સાથે, વિશ્વવ્યાપી શક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. રેડિયો, ટ્રાન્સમીટરથી ધ્વનિ-આગ્રહ અને ધ્વનિ વિસ્તારક તંતુ ફેલાવવામાં આવે છે. જેને એરિયલ કહેવામાં આવે છે. એ તંતુઓ મારફત સૂક્ષ્મ આકાશમાં ધ્વનિને ફેંકવામાં આવે છે અને વહેતા તરંગોને પકડી લેવામાં આવે છે. મસ્તકનું એરિયલ પણ સહસ્ત્રાર કમલ છે. એ દ્વારા પરમાત્માની સત્તાની અનંત શક્તિઓને સૂક્ષ્મ લોકમાંથી પકડવામાં આવે છે. જેમ ભૂખ્યો અજગર જાગૃત થઈને જ્યારે લાંબો શ્વાસ ખેંચે છે, ત્યારે આકાશમાં ઊડતાં પક્ષીઓને પોતાની તીવ્ર શક્તિથી જકડી લે છે અને પક્ષીઓ મંત્રમુગ્ધની માફક ખેંચાઈને અજગરના મોઢામાં ચાલ્યા આવે છે, એ જ પ્રમાણે જાગૃત થયેલો શેષનાગ, સહસ્ત્રદલ. કમલ અનંત પ્રકારની સિદ્ધિઓને લોકલોકાંતરોમાંથી ખેંચી લાવે છે. કોઈ અજગર ક્રોધે ભરાઈને ઝેરી ફુત્કાર મારે છે ત્યારે અમુક હદ સુધી વાતાવરણને ઝેરીલું કરી નાંખે છે. એ જ પ્રકારે જાગૃત થયેલા સહસ્ત્રાર કમલ મારફત શક્તિશાળી ભાવના તરંગો પ્રવાહિત કરીને સાધારણ જીવજંતુઓ અને મનુષ્યોને જ નહીં પણ સૂક્ષ્મ લોકોના આત્માને પણ પ્રભાવિત અને આકર્ષિત કરી શકાય છે. શક્તિશાળી ટ્રાન્સમીટર દ્વારા કરાયેલો અમેરિકાનો બ્રોડકાસ્ટ ભારતમાં સંભળાય છે. સહસ્ત્રાર દ્વારા નિક્ષેપિત ભાવનાપ્રવાહ પણ લોકલોકાન્તરોનાં સૂક્ષ્મ તત્ત્વોને હલાવી નાખે છે.

હવે મેરુદંડની હેઠળ જે ભાગ છે તે જોઈએ. સુષુમ્ણાની અંદર રહેલી ત્રણ નાડીઓમાં સૂક્ષ્મ બ્રહ્મનાડી મેરુદંડના અંતિમ ભાગની પાસે એક કૃષ્ણ વર્માના ષટ્કોણવાળા પરમાણુ સાથે લપેટાઈ જઈને બંધાઈ જાય છે. છાપરાને મજબૂત બાંધા માટે દીવાલમાં ખૂંટીઓ મારવામાં આવે છે અને એ ખૂંટીઓને છાપરા સાથે સંબંધિત દોરડું બાંધવામાં આવે છે. એ જ પ્રકારે એ ષષ્ટકોણ કૃષ્ણવર્ણ પરમાણુ સાથે બ્રહ્મનાડીને બાંધીને શરીર સાથેસાથે પ્રાણોરૂપી છાપરાને જકડી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાળા વર્ણના ષટ્કોણ પરમાણુને અલંકારિક ભાષામાં કૂર્મ કહેવામાં આવે છે, કેમ કે એની આકૃતિ કાચબા જેવી છે. પૃથ્વી કૂર્મને ભગવાન પર રહેલી છે. એ અલંકારનું તાત્પર્ય જીવન-ગૃહનું એ કૂર્મના આધાર પર ટકવું એ છે શેષનાગની ફેણ પર પૃથ્વી ટકેલી છે. એ ઉક્તિનો આધાર બ્રહ્મનાડી એ આકૃતિ છે, જેમાં તે કૂર્મ સાથે લપેટાઈને બેઠી છે અને તેણે જીવનને ધારણ કર્યું છે. જો તે પોતાનો આધાર કાઢી લે તો જીવન ભૂમિના ચૂરેચૂરા થઈ જવામાં ક્ષણની પણ વાર લાગે નહીં.

કૂર્મ સાથે બ્રહ્મનાડીના ગૂંથણ સ્થળને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની’ કહેવામાં આવે છે. જેમ કાળા માણસનું નામ કાળિયો પડી જાય છે, તેમ કુંડલાકાર બનેલી એ આકૃતિને “કુંડલિની’ કહેવામાં આવે છે. કર્મની સાથે સાડા ત્રણ આંટા લપેટાયેલી છે. તેનું મોટું નીચે છે. વિવાહ-સંસ્કારમાં એની નકલ કરીને મંગલ ફેરાય છે. સાડા ત્રણ સગવડને ખાતર ચાર ફેરા ફરવા અને મોટું નીચે રાખવાનું એ વિધાન જાણે કુંડલિનીના આધાર પર રખાયું છે કેમ કે ભાવિ જીવન નિર્માણની વ્યવસ્થિત આધારશિલા, પતિપત્નીનું કુકર્મ અને બ્રહ્મનાડીનું મિલન એવું જ મહત્ત્વપૂર્ણ છે, જેવું શરીર અને પ્રાણને જોડનાર કુંડલિનીનું છે.

આ કુંડલિનીનો મહિમા, શક્તિ અને ઉપયોગિતા એટલાં વધારે છે કે એને સંપૂર્ણ રીતે સમજવામાં બુદ્ધિ હારી જાય છે-ભૌતિક વિજ્ઞાનના સંશોધકોને માટે આજે પરમાણું એક કોયડો બન્યો છે. એને તોડવાની એ ક્રિયા માલૂમ પડી જવાનો ચમત્કાર દુનિયાએ પ્રલયકર પરમાણુ બૉમ્બના રૂપમાં જોઈ લીધો છે. હજી એની અનેક વિધ્વંસક એને રચનાત્મક બાજુઓ બાકી છે. સરઆર્થરનું કથન છે, કે જો પરમાણું શક્તિનું પૂરું જ્ઞાન અને ઉપયોગ મનુષ્યને માલૂમ પડી જાય તો એને માટે કશું પણ અસંભવ રહેશે નહીં. એ સૂર્યના ટુકડે ટુકડા કરી નાખીને એને ધૂળમાં મેળવી શકશે અને તે ચાહશે તે વસ્તુ કે પ્રાણી મનમાની રીતે પેદા કરી શકશે. એવા યંત્રો એની પાસે હશે જેથી આખી પૃથ્વી એક મહોલ્લામાં રહેતી વસ્તીના જેવી થઈ જશે. કોઈ પણ માણસ એક ક્ષણમાં ફાવે ત્યાં આવ જા કરી શકશે અને કોઈની સાથે ચાહે તે વસ્તુની આપ લે કરી શકશે. અને બે મિત્રો પાસે બેસીને ગપ્પાં મારતા હોય તેવી રીતે દેશ-દેશાંતરના લોકો સાથે વાતચીત કરી શકશે. જડ જગતના પરમાણુની અજબ શક્તિ અને મહત્તા કલ્પવામાં આવે છે કે જેને જોઈને આશ્ચર્યની સીમા રહેશે નહીં. તો ચૈતન્ય જગતનો એક ફુલ્લિગ જે જડ પરમાણુ કરતાં અનેકગણો શક્તિશાળી છે, કેટલો અદ્ભુત હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

યોગીઓમાં અનેક પ્રકારની અદ્ભુત શક્તિઓ હોવાનાં વર્ણનો અને પ્રમાણો આપણા વાંચવામાં આવે છે. યોગની અનેક રિદ્ધિ-સિદ્ધિઓની અનેક ગાથાઓ આપણે સાંભળીએ છીએ. એથી આપણને આશ્ચર્ય થાય છે, અને તે સાચી હોવાનો વિશ્વાસ બેસતો નથી. પરંતુ જે લોકો વિજ્ઞાનથી પરિચિત છે અને જડ પરમાણુ તથા ચૈતન્ય સ્કુલ્લિગને જાણે છે એમને માટે એ આશ્ચર્યની વાત નથી. જે પ્રકારે આજે પરમાણુ શોધમાં પ્રત્યેક દેશના વૈજ્ઞાનિકો વ્યસ્ત છે, તે જ પ્રકારે પૂર્વકાળમાં આધ્યાત્મિક વિજ્ઞાનના વેત્તાઓએ તત્ત્વદર્શી ઋષિઓએ માનવ શરીરમાં રહેલા એક ખાસ પરમાણુની શોધ કરી હતી. બે પરમાણુઓને તોડવા, જોડવા યા સ્થાનાંતરિત કરવાનું સર્વોત્તમ સ્થાન કુંડલિની કેન્દ્રમાં હોય છે, કેમ કે બીજી જગ્યાના ચૈતન્ય પરમાણું ગોળ અને ચીકણા હોય છે, પરંતુ કુંડલિનીમાં એક મિથુન લપેટાઈ રહ્યું છે. જેવી રીતે યુરેનિયમ ધાતુમાં પરમાણુઓનું ગૂંથન એવી વાંકીચૂંકી રીતે થાય છે કે એને તોડવું અન્ય પદાર્થોના પરમાણુઓ કરતા વધારે સરળ છે. એ જ પ્રકારે કુંડલિનીમાં રહેલી સ્કૂલ્લિગ પરમાણુઓની ગતિવિધિ ઇચ્છા પ્રમાણે સંચાલિત કરવી અધિક સુગમ છે. તેથી પ્રાચીનકાળમાં જાગરણની એટલી જ તત્પરતાથી શોધ થઈ હતી જેટલી આજકાલ કુંડલિની પરમાણુ વિજ્ઞાનની બાબતમાં થઈ રહી છે. આ શોધો, પરીક્ષણ અને પ્રયોગો ને પરિણામ એવા કેટલાંક રહસ્યો તેમને હાથ લાગ્યાં હતાં, જેમને આજે “યોગના ચમત્કારો’ના નામે ઓળખવામાં આવે છે.

મેડમ બ્લેવસ્કીએ કુંડલિની શક્તિને વિષે ઘણી શોધખોળ કરી છે. તેઓ લખે છે કે “કુંડલિની વિશ્વવ્યાપી સૂક્ષ્મ વિધુતશક્તિ છે જે સ્થૂળ વીજળી કરતાં વધારે શકિતશાળી છે. એની ચાલ સર્પની ચાલ જેવી વાંકી છે તેથી એને સર્પાકાર કહેવામાં આવે છે. પ્રકાશની ગતિ એક સેકંડમાં એક લાખ પંચાશી હજાર માઈલ છે. પણ કુંડલિની ગતિ એક સેકંડમાં ૩,૪૨,૦૦૦ માઈલની છે.” પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને “સ્પિટફાયર” અથવા “સરપેસ્ટલ પાવર’ કહે છે. એ વિષે સર જૉન વુડરફે વિસ્તૃત વિવેચન કર્યું છે.

કુંડલિનીને ગુપ્ત શક્તિઓની તિજોરી કહી શકાય. બહુમૂલ્ય રત્નોને રાખવા માટે ગુપ્ત સ્થાનમાં, ગુપ્ત પરિસ્થિતિમાં તિજોરી રાખવામાં આવે છે. અને એને ઘણાં બધાં તાળા મારવામાં આવે છે, જેથી ઘરના કે બહારના અનાધિકારી લોકો એ ખજાનામાં રાખેલી સંપત્તિને લઈ ન શકે.

પરમાત્માએ પણ આપણને અનંત શક્તિઓનો અક્ષય ભંડાર આપીને એને તાળા માર્યા છે. તે તાળા એટલાં માટે મારવામાં આવ્યાં છે કે જ્યારે પાત્રતા આવે, ધનની જવાબદારી ઉત્તમ પ્રકારે સમજાવા લાગે, ત્યારે જ એ બધું પ્રાપ્ત થઈ શકે, તાળાની ચાવી મનુષ્યને સોંપવામાં આવી છે, જેથી જરૂર જણાય ત્યારે તાળા ઉઘાડીને જોઇતી વસ્તુ લઈ શકાય.

આ છ તાળા જે કુંડલિની પર લગાવેલાં છે તે છ ચક્રો કહેવાય છે. એ ચક્રોનું વેધન કરીને જીવ કુંડલિની પાસે પહોંચી શકે છે અને એનો યથોચિત ઉપયોગ કરીને જીવન લાભ પ્રાપ્ત કરે છે. બધા લોકોની કુંડલિની સાધારણ રીતે સુપ્ત પડી રહેલી હોય છે. પણ જ્યારે એને જગાડવામાં આવે છે ત્યારે તે પોતાના સ્થાનેથી ખસી જાય છે અને જેમાં પરમાત્માની શક્તિઓ પ્રાપ્ત થાય તે લોકમાં આપણો પ્રવેશ થવા દે છે. મોટા મોટા ખજાના જે જૂના સમયથી ભૂમિમાં દટાયેલા હોય છે તે ઉપર સર્પની રખેવાળી નજરે પડે છે. ખજાનાના મુખ પર કુંડલિની બેસી રહે છે અને તેની ચોકી કરે છે. દેવલોક પણ એવો જ એક ખજાનો છે, કે જેના મુખ પર ષટ્કોણ કૂર્મની શિલા મૂકવામાં આવી છે અને એ શિલા સાથે લપેટાઈને ભયંકર સર્પિણી કુંડલિની બેઠી છે. જ્યારે કોઈ અધિકારી એની પાસે પહોંચે છે ત્યારે તેને રોક્યા અથવા હાનિ પહોંચાડ્યા વિના તે પોતાના સ્થાનથી ખસી જઈ તેને રસ્તો આપી દે છે. પછી એનું કાર્ય પૂરું થાય છે.

કુંડલિની-જાગરણના લાભો વિષે વાત કરતાં એક અનુભવી સાધકે લખ્યું છે- ભગવતી કુંડલિનીની કૃપાથી સાધક સર્વગુણ સંપન્ન બને છે. બધી જ કળાઓ, બધી જ સિદ્ધિઓ તેને અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. એવા સાધકનું શરીર સો વર્ષ સુધી તદન સ્વસ્થ અને મજબૂત રહે છે. તે પોતાનું જીવન પરમાત્માની સેવામાં જ અર્પી દે છે અને તેના આદેશ પ્રમાણે જ લોકસેવા કરતાં કરતાં સ્વૈચ્છાએ પોતાનું શરીર છોડે છે. કુંડલિની શક્તિ જેને પ્રાપ્ત થઈ છે એવો માણસ સંપૂર્ણ ભયરહિત અને આનંદમય રીતે રહે છે. ભગવતીની તેના પર સંપૂર્ણ કૃપા રહે છે અને સદા પોતાના ઉપર તેની છત્રછાયાનો અનુભવ કરે છે. તેના કાનમાં આ શબ્દો સદા ગૂંજતા રહે છે. ડરવાની જરા પણ જરૂર નથી. હું તારી પાછળ જ ઊભી છે. એ વાતમાં જરા પણ શંકા રાખવા જેવી નથી કે કુંડલીની શક્તિના પ્રભાવથી મનુષ્યનો દૃષ્ટિકોણ દૈવી બની જાય છે અને તેથી કરીને તેનું વ્યક્તિત્વ બધી જ રીતે શક્તિપૂર્ણ અને સુખી બની જાય છે.

જેમ કુંડલિની સુતેલી રહે છે, તેમ મસ્તક અને બ્રહ્મરંધ્રમાં વિખરાયેલું સહસ્ત્રદલ પણ પ્રસુપ્ત અવસ્થામાં જ પડી રહે છે. આટલાં બહુમૂલાં યંત્રો અને કોષો તેની પાસે હોવા છતાં માનવી મહા દીન, દુર્બલ, તુચ્છ, ક્ષુદ્ર તેમજ વિષયવિકારોનો ગુલામ બનીને કીટપંતગોની જેમ જીવન પસાર કરે છે અને દુઃખી દરિદ્રતાની દાસતામાં બંધાઈ રહીને તરફડ્યા કરે છે. પરંતુ ત્યારે જ એ યંત્રો અને રત્નાગારોથી પરિચિત થઈને એમનો ઉપયોગ કરવાનું જાણી લે છે, એમના પર અધિકાર જમાવે છે, જ્યારે તે પરમાત્માના સાચા ઉત્તરાધિકારીની બધી જ યોગ્યતાઓથી પરિપૂર્ણ થઈ જાય છે. કુંડલિની જાગરણથી થતા લાભોને વિષે યોગશાસ્ત્રોમાં ઘણું આકર્ષક અને વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. એ બધાની ચર્ચા ન કરતાં અહીં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે કુંડલિની જાગરણથી આ વિશ્વમાં જે કંઈ છે તે બધું મળી શકે છે. કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી.

૪૦. ગાયત્રી દ્વારા વામમાર્ગી તાંત્રિક સાધનાઓ , ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી દ્વારા વામમાર્ગી તાંત્રિક સાધનાઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

આ પુસ્તકમાં શરૂઆતનાં પાનાઓ પર ગાયત્રીની ઉત્પત્તિની ચર્ચા કરતાં બતાવવામાં આવ્યું છે કે, બ્રહ્મમાંથી શક્તિની ઉત્પત્તિ થઈ છે અને એ શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. એક સંકલ્પમયી ગાયત્રી અને બીજી પરમાણુમયી સાવિત્રી. સંકલ્પમયી ગાયત્રીનો ઉપયોગ આત્મિક શક્તિઓ વધારવામાં અને દૈવી સહાયતા મેળવવામાં થાય છે. આધ્યાત્મિક અનેક વિશેષતાઓ વધવાથી સાધકને સાંસારિક મુશ્કેલીઓ પાર કરવાનું, ઓછાં સાધનોમાં સુખી રહેવાનું અને સુખકર સ્થિતિ પ્રાપ્ત કરવાનું સહેલું થઈ શકે છે. અત્યાર સુધીમાં આ વિધિવિધાનની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. આ યોગવિજ્ઞાન છે અને આને દક્ષિણમાર્ગ પણ કહેવામાં આવે છે. એ સત્ તત્ત્વ ધન હોવાથી હાનિરહિત અને વ્યક્તિ તથા સમાજને માટે સર્વ પ્રકારે હિતકર છે.

શક્તિની બીજી શ્રેણી પરમાણુંમયી સાવિત્રી છે. એ સ્થૂલ પ્રકૃતિ, પંચભૂત, ભૌતિક સૃષ્ટિ એ નામોથી ઓળખાય છે. આ પ્રકૃતિના આકર્ષણ-વિકર્ષણથી જગતમાં અનેક પ્રકારના પદાર્થોની ઉત્પત્તિ, વૃદ્ધિ અને સમાપ્તિ થતી રહે છે. એ પરમાણુઓની સ્વાભાવિક સાધારણ ક્રિયામાં હેરફેર કરીને પોતાને માટે અધિક ઉપયોગી ક્રિયાનું નામ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનના વિભાગો બે છે એક એ કે જે યંત્રો દ્વારા પ્રકૃતિના પરમાણુઓને પોતાને માટે ઉપયોગી બનાવે છે. રેલવે, તાર, ટેલિફોન, રેડિયો, હવાઈજહાજ, ટેલિવિઝન, વિદ્યુતશક્તિ આદિ વૈજ્ઞાનિક યંત્રોથી ઉત્પન્ન થયાં છે અને થઈ રહ્યાં છે એ યંત્રવિજ્ઞાન છે. બીજું તંત્રવિજ્ઞાન જેમાં યંત્રોના સ્થાને માનવીના અંતરાળમાં રહેનારી વિદ્યુત શક્તિને કંઈક એવી વિશેષતા પૂર્ણ બનાવે છે, જેથી પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુઓ મનુષ્ય ધારે એવી સ્થિતિમાં પરિણીત થઈ જાય છે. પદાર્થોની રચના, પરિવર્તન અને વિનાશનું બહુ જ મોટું કામ કોઈ યંત્રની મદદ વિના જ તંત્ર વિદ્યાથી થઈ શકે છે. વિજ્ઞાનના તંત્ર ભાગને સાવિત્રી વિદ્યા, તંત્ર સાધના, વામ માર્ગ આદિ નામોથી ઓળખવામાં આવે છે.

તંત્રવિદ્યાની એક સ્વતંત્ર વિદ્યા છે. આ પુસ્તકમાં એના આધાર અને કાર્યની ચર્ચા કરી શકાય એમ નથી. અહીં તો વાંચકોને તેનો થોડો પરિચય આપવામાં આવે છે. પ્રાચીનકાળમાં ભારતના અનેક વિજ્ઞાનાચાર્યો અનેક પ્રકારના પ્રયોજનને માટે એવું અવલંબન કરતા હતા. પ્રાચીન ઇતિહાસમાં એવા અનેક પુરાવાઓ મળી આવે છે જે ઉપરથી સાબિત થાય છે કે, એ જમાનામાં યંત્રો વગેરેથી પણ એવા અદ્ભુત કાર્યો થતાં હતાં કે જેવાં આજે થવાનો સંભવ નથી. યુદ્ધોમાં આજે અનેક પ્રકારનાં બહુમૂલ્ય શસ્ત્રઅસ્ત્રોનો પ્રયોગ થાય છે. પણ પ્રાચીનકાળના જેવા વરુણાસ્ત્ર જે જળની ભારે વર્ષા કરી દે, આગ્નેયાત્મ-જે ભયંકર અગ્નિજવાળાઓનો દાવાનળ પ્રગટ કરે, સંમોહનાસ્ત્ર-જે લોકોને ભાન વગરના બનાવી દે, નાગપાશ-જે લકવાની માફક સજ્જડ રીતે જકડી લે એ બધું આજે ક્યાં છે ? એવી જ રીતે એંજિન, વરાળ, પેટ્રોલ વગેરેના ઉપયોગ સિવાય આકાશમાં, ભૂમિ પર અને જળમાં ચાલતા રથો આજે ક્યાં છે ? મારીચની જેમ મનુષ્યમાંથી પશુ બની જવું, સુરસાની માફક પોતાનું શરીર બહુ જ મોટા કદનું બનાવી દેવું, હનુમાનની માફક મચ્છરના જેવું અતિ નાનું રૂપ ધારણ કરવું, સમુદ્ર ઉલ્લંઘવો, પર્વત ઉઠાવવો, નળ-નીલની જેમ પાણી પર તરતા પથ્થરનો પુલ બનાવવો. રાવણ-અહિ રાવણની જેમ રેડિયો વગર જ અમેરિકા અને લંકાની વચ્ચે વાર્તાલાપ કરવો, અદૃશ્ય થઈ જવું આદિ અનેક અદ્ભુત કાર્યો થતાં જે આજે યંત્રોથી પણ થઈ શકતાં નથી. પણ એવા કાર્યો તે વખતમાં કેવળ આત્મશક્તિનો તાંત્રિક ઉપયોગ કરવાથી થઈ શકતાં હતાં. આ બાબતમાં ભારતે ઘણી જ પ્રગતિ કરી હતી. આ દેશ જગદ્ગુરુ કહેવાતો હતો અને જગત પર ચક્રવર્તી શાસન કરતો હતો.

નાગાર્જુન, ગોરખનાથ, મરચ્છન્દ્રનાથ આદિ સિદ્ધ પુરુષો પછી ભારતમાં વિદ્યાનો લોપ થતો ગયો અને આજે તો આ ક્ષેત્રમાં અધિકાર ધરાવનારી વ્યક્તિઓ શોધતાં જડવી મુશ્કેલ છે. આ તંત્ર મહાવિજ્ઞાનની કેટલીક લંગડી-લૂલી, શાખા-પ્રશાખાઓ આમતેમ મળે છે અને તેના ચમત્કારો બતાવનારા પણ ક્વચિત્ મળી આવે છે. એમાંની એક શાખા છે – “બીજાના શરીર પર સારો કે બૂરો પ્રભાવ નાખવો.” જે આ કરી શકે છે તે અભિચાર કરે તો સ્વસ્થ આદમીને રોગી બનાવી શકે છે, કોઈ ભયંકર પ્રાણઘાતક પીડા, વેદના યા બીમારીને અટકાવી શકે છે. એના પર પ્રાણઘાતક સૂક્ષ્મ પ્રહાર કરી શકે છે. કોઈની બુદ્ધિમાં ફેરફાર કરી શકે છે. એને પાગલ, ઉન્મત્ત, વિક્ષિપ્ત, મંદબુદ્ધિ યા ઊંધું વિચારનારો કરી શકે છે. ભ્રમ, શંકા, સંદેહ અને બેચેનીના ઊંડા કાદવમાં ફસાવીને એની માનસિક સ્થિતિને અસ્તવ્યસ્ત કરી શકે છે. એ જ પ્રકારે કોઈ અપ્રત્યક્ષ ચેતના શક્તિ દ્વારા કોઈ વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડયો હોય તો તે દૂર કરી શકે છે. નજર લાગવી, ઉન્માદ, ભૂતોન્માદ, ગ્રહોની પીડા, ખરાબ દિવસો, કોઈ તરફથી થયેલો વ્યભિચાર, માનસિક ઉદ્વેગ આદિને શાંત કરવામાં આવે છે. શારીરિક રોગોનું નિવારણ, સર્પ-વીંછીનું ઝેર ઉતારવું વગેરે કામો આ તંત્ર મારફત થઈ શકે છે. નાનાં બાળકો પર આ વિદ્યાનો સહેલાઈથી પ્રભાવ પાડી શકાય છે.

તંત્ર સાધના દ્વારા સૂક્ષ્મ જગતમાં વિચરણ કરનારી અનેક ચેતના ગ્રંથિઓમાંથી કોઈ વિશેષ પ્રકારની ગ્રંથિને પોતાને માટે જાગૃત, ચેતન, ક્રિયાશીલ અને અનુચરી બનાવી શકાય છે. જોવામાં આવ્યું છે કે કેટલાક તાંત્રિકોને સ્મશાન, પિશાચ, ગૌરવ, છાયાપુરુષ, બ્રહ્મરાક્ષસ, વૈતાળ, કર્ણપિશાચ, ત્રિપુરા સુંદરી, કાલરાત્રિ, દુર્ગા આદિની સિદ્ધિ થાય છે જેવી કે કોઈ સેવક પ્રત્યક્ષ શરીરે કોઈને ત્યાં નોકર રહે છે અને તેની આજ્ઞાનુસાર કામ કરે છે. તેવી જ રીતે આ શક્તિઓ અપ્રત્યક્ષ શરીરે તે તંત્રસિદ્ધ પુરુષને વશ રહીને સદા એની સમક્ષ હાજર રહે છે અને જે હુકમ કરવામાં આવે તેનું પોતાના સામર્થ્યનુસાર પાલન કરે છે. આ રીતે કોઈ કોઈ વાર તો એવા અદ્ભુત કામો થાય છે, જે જોઈને આપણે દંગ થઈ જઈએ છીએ.

‘ એમ બને છે કે અદૃશ્ય લોકમાં કેટલીક “ચેતના-ગ્રંથિઓ” સદા વિચરણ કરતી રહે છે. તાંત્રિક સાધના વિધાનો દ્વારા પોતાને યોગ્ય ગ્રંથિઓને પકડીને તેમાં પ્રાણ પૂરવામાં આવે છે. જ્યારે તે પ્રાણવાન થઈ જાય છે, ત્યારે એનું સીધું આક્રમણ સાધક પર થાય છે. જો સાધક પોતાની આત્મિક બલિષ્ઠતાથી એ આક્રમણને સહન કરી લે, એનાથી પરાજય ન પામે, તો હારીને તે ગ્રંથિઓ એને વશવર્તી થઈ જાય છે. ચોવીસ કલાક સાથીની માફક આજ્ઞાકારી સેવકની જેમ કામ કરે છે. આવી સાધનામાં ભારે જોખમ હોય છે, નિર્જન સ્મશાન આદિ ભયંકર જગ્યામાં આવી રોમાંચકારી વિધિ વ્યવસ્થાનો પ્રયોગ કરવો પડે છે, જેથી સાધારણ મનુષ્યનું કલેજું કંપી ઊઠે છે. એ સમયમાં ઘોર અનુભવો થાય છે. ડરી જવું, બીમાર પડી જવું, પાગલ થઈ જવું કે મૃત્યુના મુખમાં પડી જવાની આશંકા રહે છે. એવી સાધના દરેક માણસ કરી શકતો નથી. કોઈ કરે તો સિદ્ધિ જાય છે. પરંતુ એ શક્તિઓને સાચવી રાખવાની શરતો બહુ જ કપરી હોય છે અને તેનું પાલન થઈ શકતું નથી. એ કારણથી કોઈ વિરલાઓ જ આ માર્ગે ચાલવાનું સાહસ કરે છે. જે સાહસ કરે છે, તેમાંથી કોઈક જ સફળ થાય છે અને જે સફળ થાય છે તેમાંથી કોઈ વિરલાઓ જ છેવટ સુધી એનો યોગ્ય લાભ લઈ શકે છે.

અહીં તંત્રસાધનાની કોઈ વિધિઓ બતાવવાનો અમારો ઇરાદો નથી, કેમ કે એ ગુપ્ત રહસ્યોને જનસાધારણ આગળ પ્રકાશિત કરી દેવાનું પરિણામ બાળકોના ક્રીડાંગણમાં દારૂ વિખેરવા જેવું થાય. આથી તો બિચારાઓ ત્યાં ક્રીડા કરીને આનંદ મેળવવાને બદલે તેના જ ભોગ બની જાય. આમાં તો અધિકાર અને અધિકારીના આધાર પર એકબીજાને શીખવવાની જ પરંપરા રહી છે. અમને પોતાને આ માર્ગની પ્રાણઘાતક મુશ્કેલીઓનો કડવો અનુભવ છે. તો પછી કોઈ ભોળા વાચકોને માટે કંઈ જોખમ ઉપસ્થિત કરવાને માટે એ શિક્ષણ વિધિને લખી બેસવાની ભૂલ અમારે શા માટે કરવી જોઈએ ? અહીં તો અમારો ઇરાદો કેવળ એ બતાવવાનો જ છે કે પ્રકૃતિની પરમાણુમયી સાવિત્રીશક્તિ પર પણ આત્મિક વિદ્યુતશક્તિ દ્વારા અધિકાર પ્રાપ્ત કરી શકાય છે અને હવે પછી પણ કરી શકાય એમ છે. એ ઠીક છે કે આજ એવી વ્યક્તિઓ નજરે પડતી નથી, જે પ્રત્યક્ષરૂપે પ્રમાણ આપી શકે. કયા પ્રકારે અમુક યંત્રનું કામ, અંદરની વીજળીથી અમુક પ્રકારે થઈ શકે છે એ વિદ્યા છેલ્લાં બે હજાર વર્ષોથી ધીરે ધીરે લુપ્ત થતી આવી છે અને આજે તો એ વિદ્યાના જાણકાર શોધ્યા મળતા નથી. આમ તો અનેક વૈજ્ઞાનિક યંત્રોની શોધને લીધે આજે એની આવશ્યકતા રહી નથી, છતાં પણ એ મહાવિદ્યાનો પ્રકાશ તો ચાલુ રહેવો જ જોઈએ. આજના તાંત્રિકોનું એ કર્તવ્ય છે કે, લુપ્તપ્રાય સાવિત્રી વિદ્યાને અથાગ પ્રયત્ન દ્વારા પુનર્જીવિત કરીને ભારતીય વિજ્ઞાનની મહત્તા જગતમાં પ્રતિષ્ઠિત કરે. આજના તાંત્રિકોએ પૂર્વકાળ જેવી આત્મશક્તિનો અધિકાર મેળવતાં સુધી ઝંપીને બેસવું ન જોઈએ.

વર્તમાનકાળમાં તંત્રનો જેટલો અંશ પ્રચલિત, જ્ઞાત અને ક્રિયાન્વિત છે, તેની ચર્ચા ઉપર આપવામાં આવી છે. મનુષ્યો પર સારો કે નરસો પ્રભાવ પડવો એ આજના તંત્રવિજ્ઞાનની મર્યાદા છે. વસ્તુઓનું રૂપાંતર, પરિવર્તન, પ્રકટીકરણ, લોપ અને વિશેષ જાતિના પરમાણુઓનું એકીકરણ કરીને એના શક્તિશાળી પ્રયોગનો ભાગ આજે લુપ્ત થઈ ગયો છે. ચૈતન્ય ગ્રંથિઓનું જાગરણ અને એને વશવતી બનાવીને આજ્ઞાપાલન કરાવનાર વિક્રમાદિત્ય જેવા સાધકો આજે કોઈ નથી, પણ કેટલાક અંશે આ વિદ્યાનું અસ્તિત્વ અવશ્ય મોજૂદ છે.

પરંતુ સાથે સાથે જ આ બાબતમાં અમે એક વાત એ પણ સ્પષ્ટ કહી દેવા માંગીએ છીએ કે આ જમાનામાં તંત્રને નામે સર્વસાધારણને ઉત્તેજિત કરનારા અને ઠગવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. આવા લોકો ધનની લાલચથી અથવા અંદરોઅંદર રાગદ્વેષને કારણે અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરે છે. એમના પ્રયત્નો કેટલા સફળ થાય છે અને એમના વચનોમાં કેટલું સત્ય હોય છે એ વાત જુદી છે. પરંતુ એ તો ખરું જ કે એવા લોકોના કાર્યને પરિણામે આ તંત્રવિદ્યાની બદનામી થાય છે અને આ વિદ્યાને લોકો સારા માણસોને માટે અનુપયોગી માનવા લાગે છે. આ સ્થિતિ તદ્દન ઇચ્છવા યોગ્ય ન ગણાય. જે લોકો આવું કુકૃત્ય કરે છે તેઓ ખરેખર દંડને યોગ્ય છે.

તંત્રશાસ્ત્રમાં અનેક મંત્રો છે પરંતુ એ બધા મંત્રોનું કાર્ય ગાયત્રીથી પણ થઈ શકે છે. ગાયત્રીની સંકલ્પ શક્તિની સાધના આ પુસ્તકમાં લખવામાં આવી છે, કારણ કે તે સર્વહિતકારી, સર્વસુલભ અને સર્વમંગલમય છે. પરમાણુંમયી તંત્રપ્રધાન, વામમાર્ગી સાવિત્રી વિદ્યાનો વિષય ગોપનીય-ગુપ્ત રાખવા જેવો છે. એ સંબંધની ગુપ્ત વાતો પર વધારે પ્રકાશ પાડવો અને તે વિષેની સાધનાઓ પ્રકાશમાં લાવવી સાધારણ લોકોના હિતમાં ન હોવાથી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે.

૩૯. સિદ્ધિઓનો દુરુપયોગ ન થવો જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સિદ્ધિઓનો દુરુપયોગ ન થવો જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી-સાધના કરનારાઓને અનેક પ્રકારની અલૌકિક શક્તિઓનો આભાસ થાય છે. એનું કારણ એ છે કે એ એક શ્રેષ્ઠ સાધના છે. જે લાભ અન્ય યોગ સાધનાથી થાય છે, જે સિદ્ધિઓ કોઈ પણ બીજા યોગથી મળી શકે છે, તે સર્વ ગાયત્રી-સાધનાથી મળી શકે છે. શ્રદ્ધા, વિશ્વાસ અને કે થોડા દિવસ ઉપાસના કરવાથી આત્મશક્તિની માત્રા દિવસે દિવસે વધતી જ રહે છે. આત્મતેજ પ્રકાશિત થવા લાગે છે, અંતઃકરણ ઉપર ચઢેલો મેલ દૂર થવા લાગે છે. આંતરિક નિર્મળતા વધવા માંડે છે. પરિણામે આત્માની મંદ જ્યોત તેના મૂળ રૂપમાં પ્રકટ થવા માંડે છે.

અંગારા ઉપર રાખનો મોટો ઢગલો જ્યારે જામી જાય છે ત્યારે તેની દાહકશક્તિ જતી રહે છે. તેને અડવાથી કાંઈ વિશેષ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે એ અંગારા ઉપરથી રાખનો પડદો દૂર કરી દેવામાં આવે છે, ત્યારે ભભકતો અગ્નિ સળગી ઊઠે છે. આત્માના સંબંધમાં પણ એ જ વાત છે. સામાન્ય રીતે મનુષ્યો માયાગ્રસ્ત હોય છે, તેઓ ભૌતિક જીવનની બહિર્મુખ વૃત્તિઓમાં ડૂબેલા રહે છે. આ એક પ્રકારની ભસ્મનો પડદો છે. એનાથી આત્મજ્યોતની ઉષ્ણતા અને પ્રકાશની ઝાંખી થઈ શકતી નથી. જ્યારે મનુષ્ય પોતાને અન્તર્મુખ બનાવે છે, આત્માની ઝાંખી કરે છે અને સાધનો દ્વારા પોતાનો મેલ દૂર કરીને આંતરિક નિર્મળતા પ્રાપ્ત કરે છે ત્યારે આત્મદર્શનથી સ્થિતિ પ્રાપ્ત થાય છે.

આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્મામાં જે જે તત્ત્વ, ગુણ અને બળ છે, તે સર્વ તેમાં પણ મોજૂદ છે. અગ્નિના બધા જ ગુણ ચિનગારીમાં પણ હયાત હોય છે. જો ચિનગારીને અવસર મળે તો એ દાવાનળનું કાર્ય કરી શકે છે. આત્માની ઉપર ચઢેલ મેલ જો દૂર થઈ શકે તો ત્યાં જ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતિબિંબ દેખાશે અને પછી પરમાત્માના અંશમાં જે શક્તિઓ દેખાવી જોઈએ તે સર્વ તેમાં દેખાશે.

અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રસિદ્ધ છે. તે સિવાય પણ ઘણી નાની મોટી રિદ્ધિસિદ્ધિઓ હોય છે, જે સાધના પરિપકવ થતાં જ ઊઠે છે, પ્રકટ થાય છે અને વૃદ્ધિ પામે છે. કોઈ વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ માટે ભલેને પ્રયત્ન કરવામાં આવ્યો જ ન હોય, છતાં જેમ યુવાવસ્થા થતાં યૌવનનાં ચિન્હો આપોઆપ જ દેખાવા માંડે છે, તેમ સાધના પરિપકવ થતાંની સાથે જ સિદ્ધિઓ આપોઆપ જ પ્રગટ થાય છે. ગાયત્રીનો સાધક ધીરે ધીરે સિદ્ધાવસ્થા તરફ આગેકૂચ કરતો જાય છે. એનામાં અનેક અલૌકિક શક્તિઓનાં દર્શન થાય છે. એવો અનુભવ છે કે લોકો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગાયત્રી સાધનામાં લાંબા સમય સુધી તલ્લીન રહે છે, તેમનામાં આ વિશિષ્ટતાઓ સ્પષ્ટરૂપે માલૂમ પડે છે

(૧) એનું વ્યક્તિત્વ આકર્ષક, નેત્રોમાં ચમક, વાણીમાં બળ, ચહેરા પર પ્રતિભા, ગંભીરતા અને સ્થિરતા હોય છે. એનો બીજાઓ પર ધારેલો પ્રભાવ પડે છે. જે વ્યક્તિ એના સંપર્કમાં આવે છે, તે જરૂર તેનાથી પ્રભાવિત થાય છે તથા એની ઇચ્છા પ્રમાણે આચરણ કરે છે

(૨) સાધકને પોતાનામાં એક દૈવી તેની પ્રતીતિ થાય છે. એના અંતઃકરણમાં કોઈ નવી શક્તિ કામ કરી રહી છે એવો તેને અનુભવ થાય છે.

(૩) ખરાબ કામોમાંથી એની રુચિ ઓછી થતી જાય છે અને સારાં કામોમાં મન લાગે છે. કદાચ કંઈ ખરાબ કામ થઈ જાય તો તેને માટે એને ભારે ખેદ અને પશ્ચાત્તાપ થાય છે. સુખના સમયે વૈભવમાં વધારે આનંદ ન થવો અને દુઃખ આપત્તિમાં “ધીરજ ગુમાવીને કિંકર્તવ્યમૂઢ ન બનવું એ એની વિશેષતા હોય છે.’

(૪) ભવિષ્યમાં જે બનાવો બનવાના હોય છે તેનો એના મનમાં અગાઉથી જ આભાસ થવા લાગે છે. શરૂઆતમાં તો થોડું થોડું અનુમાન કરી શકાય છે પણ ધીમે ધીમે એને ભવિષ્યનું સાચું જ્ઞાન થાય છે.

(૫) એણે આપેલા આશીર્વાદ સફળ થાય છે. જો એનો અંતરાત્મા દુઃખી થઈને કોઈને શાપ આપે તો તે વ્યક્તિ પર ભારે આપત્તિઓ આવે છે, તેનું અકલ્યાણ થઈ જાય છે.

(૬) તે બીજાના મનોભાવ તેનો ચહેરો જોઈને જ જાણી જાય છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો છુપાવવાનો પ્રયત્ન કરે તો પણ તેના ભાવો છુપા રહેતા નથી. તે કોઈના પણ ગુણો, દોષો, વિચારો તથા આચરણોને પારદર્શીની જેમ પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ શકે છે.

(૭) તે પોતાના વિચારોને બીજાના હ્રદયમાં દાખલ કરી શકે છે. દૂર રહેતા માણસને તાર કે પત્ર વિના પોતાનો સંદેશ પહોંચાડી શકે છે.

(૮) તે જ્યાં રહે છે તેની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત અને સાત્ત્વિક રહે છે. એની પાસે બેસનારને એ જ્યાં સુધી તેની પાસે રહે છે, ત્યાં સુધી અદ્ભુત શાંતિ, સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.

(૯) તે પોતાની તપસ્યા, આયુષ્ય યા શક્તિનો એક ભાગ બીજા કોઈને આપી શકે છે અને એ દ્વારા બીજી વ્યક્તિ વિના પ્રયાસ યા અલ્પ પ્રયાસથી અધિક લાભાન્વિત બની શકે છે. એવી વ્યક્તિ બીજા પર “શક્તિપાત કરી શકે છે.

(૧૦) એને સ્વપ્નમાં, જાગૃતિમાં, ધ્યાનાવસ્થામાં રંગબેરંગી પ્રકાશપૂંજ, દિવ્ય ધ્વનિઓ, દિવ્ય પ્રકાશ અને દિવ્યવાણીઓ સંભળાય છે. કોઈ અલૌકિક શક્તિ તેની સાથે સતત રહેતી હોય એમ તે માને છે. એવા અનેક પ્રકારના દિવ્ય અનુભવો તેને થાય છે. જે અલૌકિક શક્તિના પ્રભાવ વિના થતા નથી.

આવા ચિહ્નો તો પ્રત્યક્ષ પ્રગટ થાય છે. અપ્રત્યક્ષરૂપે અણિમા, લઘિમા, મહિમા આદિ યોગશાસ્ત્રમાં વર્ણિત બીજી સિદ્ધિઓનો આભાસ થાય છે. તે કદી કદી બહુ જ અદ્ભુત, અલૌકિક અને આશ્ચર્યજનક કાર્યો કરવા સમર્થ થાય છે. જે સમયે સિદ્ધિઓના ઉત્પાદન અને વિકાસનું કાર્ય થઈ રહ્યું હોય છે તે સમય બહુ જ નાજુક અને સાવધાનીનો છે. જ્યારે કિશોરાવસ્થાનો અંત અને નવયૌવનનો પ્રારંભ થાય છે તે સમયે શરીરમાં નવીન વીર્યનો ઉદ્ભવ થાય છે. એ ઉદ્દભવકાળમાં મન ઘણું જ ઉત્સાહિત, કામક્રીડા માટે ઉત્સુક અને ચંચલ રહે છે. જો એ મનોદશા પર નિયંત્રણ ન રાખવામાં આવે તો કાચા વીર્યનો અપવ્યય થવા માંડે છે અને એ યુવક થોડા જ દિવસમાં શક્તિહીન, વીર્યહીન, યૌવનહીન થઈને સદાને માટે નકામો બની જાય છે. સાધનામાં પણ સિદ્ધિનો પ્રારંભ એવી જ અવસ્થામાં છે. ત્યારે સાધક એક નવીન આત્મિક ચેતનાનો અનુભવ કરે છે અને ઉત્સાહિત થઈને પ્રદર્શન દ્વારા બીજાઓ પર પોતાની મહત્તાની છાપ બેસાડવા ચાહે છે. એ કામ ચાલુ થાય તો એ કાચું વીર્ય-પ્રારંભિક સિદ્ધિતત્ત્વ-અલ્પકાળમાં જ અપવ્યય થઈને સમાપ્ત થઈ જાય છે અને સાધક હંમેશને માટે નકામો થઈ જાય છે.

જગતમાં જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે કર્મફળના આધારે ચાલે છે. ઈશ્વરીય સુનિશ્ચિત નિયમોના આધારે કર્મબંધનથી બંધાયેલ પ્રાણી પોતાનો જીવનક્રમ ચલાવે છે. પ્રાણી સાચો માર્ગ એ છે કે એમને સન્માર્ગમાં પ્રેરવા, આપત્તિઓમાં સહન કરવાનું શીખવવું. એ આત્મિક સહાયતા થઈ. તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ભૌતિક મદદની જરૂર છે. આત્મશક્તિ ખર્ચીને કર્તવ્યહીન વ્યક્તિઓને પરિપૂર્ણ બનાવવામાં આવે તો તેઓ વધારે નકામા બની જશે. તેથી બીજાની સેવાને માટે સદ્ગુણો અને વિવેકનું દાન કરવું એ જ શ્રેષ્ઠ છે. દાન આપવું હોય તો ધન આદિ જે હોય તેનું દાન કરવું જોઈએ. બીજાનો વૈભવ વધારવાને માટે આત્મશક્તિ સીધી વાપરવી એ તો પોતાની શક્તિઓ ખલાસ કરી દેવા જેવું છે. બીજાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દેવા અથવા તેમની આગળ પોતાની અલૌકિક સિદ્ધિ પ્રગટ કરવા જેવી તુચ્છ વાતોમાં એક કષ્ટસાધ્ય આત્મબળનો નકામો વ્યય કરી દેવા જેવું કહેવાય. હોળી રમવા માટે કોઈ પોતાના શરીરમાંથી લોહી કાઢીને બીજાને રંગે એના જેવી તે મૂર્ખતા છે. આધ્યાત્મવાદી દૂરદર્શી હોય છે. તે જગતની માનમોટાઈની રતિભાર પણ પરવા કરતો નથી.

પરંતુ આજકાલ સમાજમાં આથી ઊલટી ધારા વહેતી દેખાય છે. લોકોએ ઈશ્વરોપાસના, પૂજાપાઠ, વ્રતતપ વગેરેને સાંસારિક પ્રલોભનો માટેનાં જ સાધન માન્યાં છે. તેઓ જુગાર, લોટરી વગેરેમાં સફળતા મેળવવા માટે ભજન, તપ વગેરે કરે છે અને બાધાઓ ચઢાવે છે. તેઓનો હેતુ કોઈ પ્રકારે ધન પ્રાપ્ત કરવું એ જ હોય છે. પછી તે ચોરી, કાળાબજાર કે છેતરપિંડી પૈકી ગમે તે માર્ગ મળે કે ઈશ્વર ભજનથી મળે.

આવા માણસોને ઉપાસના દ્વારા સફળતા મળતી નથી અને જો કદાચ કોઈ કારણે તે થોડી ઘણી મળી જાય તો તેટલાથી જ તેઓ એવા તો ફુલાઈ જાય છે કે જાતજાતનાં અયોગ્ય કાર્યોમાં ધનનો દુર્વ્યય કરે છે ને તેથી તે સમૂળગી નષ્ટ થઈ જાય છે અને સુખનો માર્ગ તદ્દન બંધ થઈ જાય છે. દૈવી શક્તિઓ કદી પણ કોઈ અયોગ્ય વ્યક્તિને એવી સમર્થતા આપતી જ નથી, જેથી કરીને તે બીજાઓનું અનિષ્ટ કરવા લાગે.

તાંત્રિક પદ્ધતિથી કોઈનું મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ કરવું, સટ્ટો, લોટરી, ભવિષ્ય આદિ બતાવવું, ધન, ચોરીમાં ગયેલી વસ્તુ બતાવવી, કોઈના ગુપ્ત આચરણ યા મનોભાવોને જાણીને એને પ્રગટ કરી દેવા અને તેની પ્રતિષ્ઠા ઘટાડવી આદિ કાર્યો આધ્યાત્મિક સાધકોને માટે સર્વથા નિષિદ્ધ છે. એવું કંઈ અદ્ભુત કાર્ય કરી બતાવવું જેથી લોકો સમજે કે આ કોઈ સિદ્ધ પુરુષ છે, એ પણ ગાયત્રી સાધકોને માટે તદ્દન વજર્ય છે. જો તેઓ આ ચક્કરમાં સપડાયા તો જરૂર જાણી લેવાનું કે તેમની શક્તિનો પ્રવાહ સુકાઈ જવાનો અને પોતાની આધ્યાત્મિક કમાણી તેઓ ખોઈ બેસવાના. સદ્જ્ઞાનનું દાન કરવાનું કાર્ય એમને માટે એટલું મહત્ત્વનું છે, કે જે કરવાથી જનસાધારણનાં આંતરિક, બાહ્ય અને સામાજિક કષ્ટોને સારી રીતે દૂર કરી શકાય અને ઓછી સાધનાથી સ્વર્ગીય સુખોનો આસ્વાદ કરીને લોકોનું જીવન સફળ કરી શકાય. આ દિશામાં કાર્ય કરવાથી એની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. પણ એનાથી ઊલટું ચમત્કારોથી લોકોને ચકિત કરી દેવાના પ્રયત્નો થાય તો પોતાની તેમ જ બીજાની ભારે કુસેવા કરેલી ગણાય.

આ બધી વાતો ધ્યાનમાં રાખીને અમે આ પુસ્તકના વાંચકો અને અનુયાયીઓને સાવધાન કરીએ છીએ અને કડક શબ્દોમાં આદેશ આપીએ છીએ કે તેઓ પોતાની સિદ્ધિઓને ગુપ્ત રાખે, કોઈ પાસે જાહેર ન કરે. કોઈની સામે તેનું પ્રદર્શન ન કરે. જે દૈવી ચમત્કાર પોતાને દૃષ્ટિગોચર થાય, એને વિશ્વાસુ, અભિન્ન-હૃદય મિત્રો વિના બીજા કોઈને ન કહે. ગાયત્રી સાધકોની એ જવાબદારી છે કે તેમણે પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો જરા પણ દુરુપયોગ કરવો નહીં. અમે સાવધાન કરીએ છીએ કે કોઈ સાધકે આ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં.

૩૮. સફળતાનાં કેટલાંક લક્ષણો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સફળતાનાં કેટલાંક લક્ષણોગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી સાધકમાં એક સૂક્ષ્મ દેવી ચેતનાનો આવિર્ભાવ થાય છે. પ્રત્યક્ષ રૂપમાં એના શરીર યા એની આકૃતિમાં કંઈ વિશેષ અંતર પડતું નથી. પણ અંદરખાને ભારે હેરફેર થઈ જાય છે. આધ્યાત્મિક તત્ત્વોની વૃદ્ધિથી પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને મનોમય કોષમાં જે પરિવર્તન થાય છે તેની છાયા અન્નમય કોષ પર જરા પણ ન પડે એવું બનતું નથી. એ સાચું છે કે, શરીરનું માળખું બદલાતું નથી છતાં એ પણ એટલું જ સાચું છે કે, આંતરિક ફેરફારોનાં લક્ષણ પ્રગટ થયા વિના રહેતાં નથી.

સર્પના માંસકોષમાં જ્યારે એક નવી ચામડી તૈયાર થાય છે, ત્યારે તેનું લક્ષણ સર્પના શરીર પર નજરે પડે છે, એનું શરીર ભારે થઈ જાય છે. વેગથી એનાથી દોડાતું નથી. એનાં સ્ફૂર્તિ અને ઉત્સાહ ઓછો થઈ જાય છે અને તે એક જગ્યાએ પડી રહે છે. જ્યારે એ ચામડી પાકી જાય છે, ત્યારે તે બહારની ચામડી જેને આપણે કાંચળી કહીએ છીએ તે ઉતારી નાખે છે. કાંચળી ઉતાર્યા પછી સર્પમાં એક નવો ઉત્સાહ આવે છે. એની બધી ચેષ્ટા બદલાઈ જાય છે. એની નવી ચામડી પર ચીકાશ, ચમક અને કોમળતા સ્પષ્ટ રૂપમાં નજરે પડે છે, એવો જ ફેરફાર સાધકમાં થાય છે. જ્યારે એની સાધના ગર્ભમાં પાકે છે ત્યારે એનામાં ઉદાસી, ભારેપણું, અનુત્સાહ અને શિથિલતાનાં લક્ષણો જોવામાં આવે છે. પરંતુ જ્યારે સાધના પૂર્ણ થઈ જાય છે ત્યારે બીજા જ લક્ષણો પ્રગટ થવા માંડે છે. માતાના ઉદરમાં જ્યારે ગર્ભ પાકે છે ત્યાં સુધી માતાનું શરીર ભારે રહે છે. તેનામાં ઉત્સાહ દેખાતો નથી, પણ જ્યારે પ્રસૂતિથી નિવૃત્ત થઈ જાય છે ત્યારે તેને એક પ્રકારનું હલકાપણું, ઉત્સાહ અને ચૈતન્યનો અનુભવ થાય છે.

સાધક જ્યારે સાધના કરવા બેસે છે ત્યારે તે પોતાની અંદર એક પ્રકારનો આધ્યાત્મિક ગર્ભ ધારણ કરે છે. તંત્રશાસ્ત્રમાં સાધનાને મૈથુન કહેવામાં આવી છે. જેવી રીતે મૈથુનને ગુપ્ત રાખવામાં આવે છે, તેવી જ રીતે સાધનાને પણ ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આત્મા જ્યારે પરમાત્મા સાથે લપેટાય છે, એને આલિંગન કરે છે, ત્યારે તેને એક જાતનો અવર્ણનીય આનંદ થાય છે. તેને ભક્તિની તન્મયતા કહેવામાં આવે છે. જ્યારે બંનેનું પ્રગાઢ મિલન થાય છે ,બન્ને એકબીજામાં આત્મવત્ થાય છે ત્યારે એ સ્ખલનને “સમાધિ” કહેવામાં આવે છે. આધ્યાત્મિક મૈથુનનું સમાધિ સુખ એ અંતિમ અલન છે. ગાયત્રી ઉપનિષદ અને સાવિત્રી ઉપનિષદ માં અનેક મૈથુનોનાં વર્ણન કરવામાં આવ્યાં છે. ત્યાં બતાવવામાં આવ્યું છે કે સવિતા અને સાવિત્રીનું મૈથુન છે. સાવિત્રીની–ગાયત્રીની આરાધના કરવાથી સાધક પોતાના આત્માને એક યોનિ બનાવી લે છે, જેમાં સવિતાનો તેજપુંજ, પરમાત્માનું તેજ-વીર્ય પડે છે. એને શક્તિપાત પણ કહેવામાં આવે છે. આ શક્તિપાત વિજ્ઞાન અનુસાર અમૈથુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે. કુંતીથી કર્ણનું-મરિયમથી ઈસુનું ઉત્પન્ન થવું અસંભવિત નથી. દેવ-શક્તિઓની ઉત્પત્તિ આ પ્રકારનાં સૂક્ષ્મ મૈથુનોથી થાય છે. સમુદ્રમંથન એક મૈથુન હતું. જેના ફલસ્વરૂપ ચૌદ રત્નોનો પ્રસવ થયો. ઋણ અને ધન (નેગેટિવ પોઝીટવ)ના આલિંગનથી વિદ્યુતપ્રવાહનો રસ ઉત્પન્ન થાય છે. તંત્ર શાસ્ત્રમાં અનેક સ્થળે જે મૈથુનની પ્રશસ્તિ કરવામાં આવી છે, તે આ જ સાધના મૈથુન છે.

“સાધના’નો અર્થ છે, પોતાની અંદર શ્રદ્ધા અને અભ્યાસ (તપ)ની એકત્ર શક્તિઓને વધારીને એક નવી શક્તિનો આવિર્ભાવ થવા દેવો. એને દેવી વરદાન કે ચમત્કાર પણ કહી શકાય. આ જાતના ઉદેશની પ્રાપ્તિને માટે સાધના કરતા પહેલાં પણ કેટલાંક સાધનો એકઠાં કરવા જરૂરી છે. દાખલા તરીકે કોઈ ખાસ સ્થળે પહોંચવા માટે ગમે તે રસ્તે આપણે જઈએ છતાં પણ પૈસા, વસ્ત્ર, ભોજન વગેરેની જરૂર તો પડે જ છે. એ જ રીતે દૈવી શક્તિઓની સાધના કરવા માટે પહેલાં સદ્ગુણો, સદ્વિચારો અને સત્કર્મોની પણ આવશ્યકતા છે. જેનું જીવન પહેલેથી જ કલુષિત, પાપપૂર્ણ અને દોષોથી ભરેલું હોય તો તે સાધના પણ કેવી રીતે કરી શકવાનો છે ? આથી, જે લોકો ખરા દિલથી સાધના કરવા માંગે છે એ દ્વારા કંઈક ઉચ્ચ લક્ષ્ય પર પહોંચવા માટે ઇચ્છુક છે તેમણે પહેલાં મન, વચન અને શરીરની શુદ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે જ કોઈ પ્રકારની સિદ્ધિ મેળવવાની આશા રાખી શકાય. તે વિના સિદ્ધિ મેળવવી લગભગ અશક્ય જ છે.

આત્મા અને પરમાત્માનું, સવિતા અને સાવિત્રીનું મૈથુન જ્યારે પ્રગાઢ આલિંગનમાં આબદ્ધ થાય છે, ત્યારે તેનાથી એક આધ્યાત્મિક ગર્ભ ધારણ થાય છે, અને તેને આધ્યાત્મિક ભાષામાં ભર્ગ કહે છે. ભર્ગને સાધક જેટલા પ્રમાણમાં ધારણ કરે છે તેટલા પ્રમાણમાં પોતાની અંદર એ નવા તત્ત્વને સ્થાન આપવાનું હોય છે. નવા તત્ત્વની સ્થાપના માટે પુરાણાં તત્ત્વોને ખસી જવું પડે છે. આ સંક્રાંતિને લીધે સ્વાભાવિક ક્રિયાવિધિમાં અંતર પડી જાય છે અને એ અંતરનાં લક્ષણો ગર્ભવતી સ્ત્રીઓને હેડ જેવા પ્રગટ થયા છે. જેમ ગર્ભવતી સ્ત્રીમાં અરુચિ, કબજિયાત, આળસ અને ઊબકા આદિ નજરે પડે છે, એવા જ લક્ષણો સાધકમાં પણ જણાય છે. કાંચળીવાળા સર્પની માફક તેને પોતાનું શરીર ભારે અને ઉત્સાહ વગરનું લાગે છે. અધ્યાત્મવિદ્યાના આચાર્યો જાણે છે કે સાધકને સાધનાવસ્થામાં કેવી વિષમ સ્થિતિમાં રહેવું પડે છે, તેથી તેઓ અનુયાયીઓને સાધનાકાળમાં ભારે આચાર-વિચારથી રહેવાનો આદેશ આપે છે. રજસ્વલા સ્ત્રીને બીજાઓ સાથે હળવા-મળવાના તેમજ આહાર-વિહારના નિયમો પાળવા પડે છે, તેવા જ કડક નિયમો સાધકે પાળવાના હોય છે. એ પાળવાથી જ સાધક સારી રીતે સંક્રાંતિમાંથી પસાર થઈ શકે છે.

મનુષ્ય ગમે તે મહાન કાર્ય કરવા ચાહે, તેમાં કોઈને કોઈ પ્રકારનાં વિઘ્ન, ભય, પ્રલોભન વગેરે આવે જ અને જે માણસો એ બધાંનો સફળતાપૂર્વક સામનો કરે છે તેઓ જ સફળતાના દ્વાર સુધી પહોંચી શકે છે. આહારદોષ, આળસ, અધીરતા, અસંયમ, તિરસ્કાર, દ્વેષ, વિલાસ, કુસંગ તથા અભિમાન વગેરેને કારણે પણ સાધક પોતાના માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે અને તેને માટે સિદ્ધિની શક્યતાઓ રહેતી નથી. ભ્રષ્ટાચાર, ચોરીની કમાણી, બીજાઓના અધિકારો છીનવી લેવા, અત્યન્ત સ્વાર્થપરાયણતા વગેરે જેવા દોષોનું પ્રમાણ આજે પુષ્કળ વધી ગયું છે. એ દોષો પણ મનુષ્યને દૈવી સફળતાઓને માટે અયોગ્ય બનાવી દે છે. આથી જે વ્યકિત ખરેખર સાધનાને પૂર્ણ કરીને સફળતા તેમજ સિદ્ધિ મેળવવા ઇચ્છે તેણે તે માટે બધા પ્રકારનો ત્યાગ, બલિદાન તેમજ કષ્ટો સહન કરવા માટે સર્વદા તૈયાર રહેવું જોઈએ. આમ કરવામાં આવે તો જ સાધના પરિપકવ થાય અને ઇચ્છિત ફળ પ્રદાન કરે.

ઈંડામાંથી બચ્યું બહાર નીકળે છે. ગર્ભમાંથી સંતાન પેદા થાય છે. સાધકને પણ સાધનાના ફળ તરીકે એક સંતાન પ્રાપ્ત થાય છે, જેને શક્તિ યા સિદ્ધિ કહેવામાં આવે છે. મુક્તિ, સમાધિ, બ્રાહ્મીસ્થિતિ, તુરીયાવસ્થા આદિ પણ એનાં બીજાં નામો છે. આ સંતાન આરંભમાં બહુ જ નિર્બળ અને નાના આકારનું હોય છે. જેમ માતાના ગર્ભમાંથી પ્રગટેલું બાળક બહુ જ કોમળ હોય છે, તેમજ સાધના પૂર્ણ થયા પછી જન્મેલી નવજાત સિદ્ધિ પણ ભારે કોમળ હોય છે. જેવી રીતે કુશળ માતા પોતાના સંતાનને અનિષ્ટોથી બચાવે છે અને પૌષ્ટિક પોષણ આપીને ઉછેરે છે, તેવી રીતે બુદ્ધિમાન સાધક એને પાળીપોષીને મોટી કરે છે.

સાધના જ્યાં સુધી સાધકના ગર્ભમાં પાકતી હોય છે, કાચી હોય છે ત્યાં સુધી એના શરીરમાં આળસ અને વિષાદનાં ચિહ્નો જણાય છે, સ્વાસ્થ્ય ઉતરી જાય છે અને ચહેરો ફિકકો પડી જાય છે. પણ જ્યારે પાકી થાય છે અને સિદ્ધિની સુકોમળ સંતતિનો પ્રસવ થયો છે ત્યારે સાધકમાં તેજ, ઓજ, હળવાશ, ચૈતન્ય તેમજ ઉત્સાહ આવી જાય છે. સિદ્ધિનો પ્રસવ થયો છે કે નહિ એની પરીક્ષા નીચેનાં લક્ષણો ઉપરથી થાય છે. એ દસ લક્ષણો આ પ્રમાણે છે

(૧) શરીરમાં હલકાપણું અને મનમાં ઉત્સાહ રહે છે.

(૨) શરીરમાંથી એક વિશેષ પ્રકારની સુગંધ નીકળવા માંડે છે.

(૩) ચામડી પર ચીકાશ અને કોમળતાનો અંશ વધી જાય છે.

(૪) તામસિક આહાર-વિહાર પ્રત્યે ઘૃણા વધી જાય છે અને સાત્ત્વિકતા તરફ મન વળે છે.

(૫) સ્વાર્થ કરતાં પરમાર્થ તરફ ચિત્ત વધારે લાગેલું રહે છે.  

(૬) નેત્રોની ચમક વધે છે.

(૭) કોઈ વ્યક્તિ અથવા કાર્ય વિષે એ જરા પણ સરખો વિચાર કરે તો પણ એના સંબંધમાં એવી ઘણી વાતો પોતાની મેળે પ્રતિભાસિત થાય છે જે પરીક્ષા કર્યાથી સાચી જ નીકળે છે.

(૮)  બીજાના મનના ભાવ જાણી લેવામાં વાર નથી લાગતી.

(૯) ભવિષ્યમાં બનનારા પ્રસંગોનો પૂર્વાભાસ થવા લાગે છે,

(૧૦) શાપ કે આશીર્વાદ સફળ થવા માંડે છે, પોતાની ગુપ્ત શક્તિઓથી એ બીજાઓને લાભ કે હાનિ કરી શકે છે.

આ દસ લક્ષણો સાધકનો ગર્ભ પાકી ગયો છે અને સિદ્ધિનો પ્રસવ થઈ ગયો એ જાણવાનાં પ્રમાણ છે. આ શક્તિ સંતતિને જે સાધક સાવધાનીપૂર્વક પાળે-પોષે છે અને પુષ્ટ કરે છે, તે ભવિષ્યમાં આજ્ઞાકારી સંતાનવાળા વૃદ્ધોની માફક આનંદમાં જીવન ગુજારે છે પરંતુ જે અજ્ઞાન સાધકો સિદ્ધિનો તુરત જ દુરુપયોગ કરે છે, પોતાની સ્વલ્પશક્તિનો વિચાર ન કરતાં એના પર વધારે ભાર મૂકે છે, તેમનો ખોળો ખાલી થઈ જાય છે અને મૃતવત્સલા માતાની જેમ એમને પશ્ચાત્તાપ કરવો પડે છે.

૩૭, સાધકોનાં સ્વપ્ન નિરર્થક હોતાં નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સાધકોનાં સ્વપ્ન નિરર્થક હોતાં નથીગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સાધનાથી એક વિશેષ દિશામાં મનોભૂમિનું નિર્માણ થાય છે. શ્રદ્ધા, વિશ્વાસ તથા સાધનાવિધિની કાર્યપ્રણાલિ અનુસાર આંતરિક ક્રિયાઓ એ દિશામાં પ્રવાહિત થવા લાગે છે. તેનાથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું ચતુષ્ટય એવું જ રૂપ ધારણ કરવા માંડે છે. ભાવનાઓના સંસ્કારો અંતર્મનના ઊંડે સુધી પ્રવેશ કરી જાય છે. ગાયત્રી સાધકોની ગતિવિધિમાં આધ્યાત્મિકતા અને સાત્ત્વિકતાનું સ્થાન મુખ્ય બની જાય છે. એમને માટે જાગૃત અવસ્થાની જેમ સ્વપ્નાવસ્થામાં એની ક્રિયાશીલતા સારગર્ભિત જ થઈ જાય છે. એમને પ્રાયઃ સાર્થક જ સ્વપ્ના આવે છે.

ગાયત્રી સાધકોને સાધારણ વ્યક્તિઓની જેમ મોટે ભાગે નિરર્થક સ્વપ્ન આવતાં નથી જેમાં ચાહે તેવાં ઊલટાં સૂલટાં સ્વપ્નોનો ઉદ્ભવ થાય એવી એમની અવ્યવસ્થિત મનોભૂમિ હોતી નથી.

જ્યાં વ્યવસ્થા સ્થાપિત થઈ ચૂકી છે, ત્યાંની ક્રિયાઓ પણ વ્યવસ્થિત હોય છે. ગાયત્રી સાધકોના સ્વપ્નાને અમે ઘણા સમયથી ધ્યાનપૂર્વક સાંભળતા આવ્યા છીએ અને એનાં મૂળ કારણો પર વિચાર કરતા આવ્યા છીએ. તે અનુસાર અમારે એવા નિર્ણય પર આવવું પડયું છે કે, તે લોકોનાં સ્વપ્ન બહુ જ ઓછાં નિરર્થક હોય છે. એમાં સાર્થકતાની માત્રા જ અધિક હોય છે.

નિરર્થક સ્વપ્ન અત્યંત અપૂર્ણ હોય છે. એમાં કેવળ કોઈ વાતની થોડીક ઝાંખી હોય છે અને તરત જ તેનું તાદાત્મ્ય બગડી જાય છે. દૈનિક વ્યવહારની સાધારણ ક્રિયાઓની સામાન્ય સ્મૃતિ મગજમાં જાગૃત થતી રહે છે અને ભોજન, સ્નાન, વાયુ સેવન જેવી દૈનિક સ્મૃતિનાં અસ્તવ્યસ્ત સ્વપ્નો દેખાય છે. એ સ્વપ્નોને નિરર્થક જ કહી શકાય. સાર્થક સ્વપ્નો કોઈ વિશેષતા માટેનાં હોય છે. એમાં કોઈ વિચિત્રતા, નવીનતા, ઘટનાક્રમ અને પ્રભાવોત્પાદન ક્ષમતા હોય છે. એમને જોઈને મનમાં ભય, શોક, ચિંતા, ક્રોધ, વિષાદ, લોભ, મોહ આદિના ભાવો ઉત્પન્ન થાય છે. નિદ્રાત્યાગ કર્યા પછી પણ એની છાપ મન પર કાયમ રહેવા પામે છે અને ચિત્તમાં વારંવાર એ જાણવાની ઇચ્છા જાગે છે કે એ સ્વપ્નનો અર્થ શું હશે ?

સાધકોના સાર્થક સ્વપ્નોના ચાર ભાગ પાડી શકાય. (૧) પૂર્વસંચિત કુકર્મોનું નિષ્કાસન (૨) શ્રેષ્ઠ તત્ત્વોની સ્થાપનાનું પ્રકટીકરણ (૩) ભવિષ્યની કોઈ પણ સંભાવનાનો પૂર્વાભાસ અને (૪) દિવ્ય દર્શન. આ ચાર શ્રેણીમાં વિવિધ પ્રકારનાં બધાં સાર્થક સ્વપ્નો સમાઈ જાય છે.

• કુસંસ્કારોને દૂર કરવાની પ્રક્રિયા

કુસંસ્કારોને નષ્ટ કરનારા સ્વપ્નો પૂર્વસંચિત કુસંસ્કારોના નિષ્કાસનમાં એટલાં માટે આવે છે કે, ગાયત્રી સાધના દ્વારા નવાં આધ્યાત્મિક તત્ત્વોની વૃદ્ધિ સાધકના અંતઃકરણમાં થઈ જાય છે. જ્યાં એક વસ્તુ મૂકવામાં આવે ત્યાંથી બીજી વસ્તુને ખસી જવું પડે છે. પ્યાલામાં પાણી ભરવામાં આવે તો પહેલેથી તેમાં રહેલી હવાને ખસી જવું પડે છે. રેલના ડબામાં નવા ઉતારૂઓને સ્થાન મળે એટલાં ખાતર એમાં બેઠેલા મુસાફરો ઊતરી જાય એ આવશ્યક છે. દિવસનો પ્રકાશ આવ્યા પછી અંધકારને નાસી જવાની ફરજ પડે છે. એ જ પ્રકારે ગાયત્રી સાધનાના અંતર્જગતમાં જે દિવ્ય તત્ત્વોની વૃદ્ધિ થાય છે તેથી આગલાં કુસંસ્કારોનો નાશ થાય એ સ્વાભાવિક છે. આ નિષ્કાસન જાગૃત અવસ્થામાં પણ થયા કરે છે અને સ્વપ્નાવસ્થામાં પણ. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે વિસ્ફોટ દ્વારા ઉષ્ણવીર્યના પદાર્થો સ્થાનભ્રષ્ટ થતાંની સાથે જ એક ઝટકો મારે છે. બંદૂક જ્યારે ફોડવામાં આવે છે, ત્યારે એક વાર પાછળ ધસે છે, દારૂ જ્યારે સળગે છે ત્યારે એક ધડાકાનો અવાજ થાય છે. દીવો બુઝાતાં એક વાર જોરથી ભભકી ઊઠે છે. આ જ પ્રકારે કુસંસ્કારો માનસલોકમાંથી પ્રયાણ કરતી વખતે મગજના તંતુઓ પર આધાત કરે છે અને એ આઘાતોની પ્રતિક્રિયા સ્વરૂપે જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે તે એ સ્વપ્નાવસ્થામાં ભયંકર અસ્વાભાવિક અને ઉપદ્રવના રૂપમાં જોવામાં આવે છે.

ભયાનક હિંસક પશુ, સર્પ, સિંહ, વાઘ, પિશાચ, ચોર, ડાકુ આદિનું આક્રમણ થવું; સૂનસાન, એકાંત, ભયજનક જંગલ, કોઈ પ્રિયજનનું મૃત્યુ, આગ લાગવી, રેલ, ભૂકંપ, યુદ્ધ આદિનાં ભયંકર દૃશ્યો નજરે પડવા, અપહરણ, અન્યાય, શોષણ, વિશ્વાસઘાત દ્વારા આપણો શિકાર થાય; કોઈ વિપત્તિ આવવી, અનિષ્ટની આશંકાથી ચિત્તનું ગભરાઈ ઊઠવું આદિ સ્વપ્ના, જેને કારણે મનમાં ચિંતા, બેચેની, પીડા, ભય, ઘૃણા આદિના ભાવો ઉત્પન્ન થાય છે તે પૂર્વસંચિત કુસંસ્કારોની અંતિમ ઝાંખીનું દર્શન કરાવે છે. એ સ્વપ્નો બતાવે છે કે જન્મ- જન્માંતરોની સંચિત એ કુપ્રવૃત્તિઓ હવે છેવટની વિદાય લઈ રહી છે.

કામવાસના બીજી બધી મનોપ્રવૃત્તિઓથી અધિક પ્રબળ છે. કામભોગની જે અનિયંત્રિત ઇચ્છાઓ મનમાં ઊઠે છે, એ બધીનું સફળ થવું અસંભવિત છે. પરંતુ એ કચડાયેલી અતૃપ્ત અને અસંતુષ્ટ ઇચ્છાઓ કોપભવનમાં કોઈ નિરાશ પ્રેમિકાની જેમ પડી રહે છે. પરંતુ તે ચૂપચાપ પડી રહેતી નથી અને તક મળતાં જ નિદ્રાવસ્થામાં પોતાના મનસૂબાઓને ચરિતાર્થ કરવા માટે સ્વપ્નનો અભિનય રચે છે. દિવસે ઘરના માણસો જાગતા હોવાથી ઊંદરો ડરે છે અને પોતાના દરમાં બેસી રહે છે, પરંતુ જ્યારે બધા માણસો ઊંઘી જાય ત્યારે તે પોતાના દરમાંથી બહાર નીકળી પડીને કૂદાકૂદ મચાવી મૂકે છે. કચડાયેલી કામવાસના પણ એવું જ કરે છે. એ વિચારની રોટી ખાઈને કોઈ પ્રકારે પોતાની ભૂખ શમાવે છે. સ્વપ્નાવસ્થામાં સુંદર સુંદર વસ્તુઓને જોવી, સુંદર સ્ત્રીઓને જોવી, એમની સાથે રમવું, એમની નિકટતામાં આવવું, મનોહર નદી, સરોવર, વન, ઉપવન, પુષ્પ, ફળ, નૃત્ય, ગીત, વાઘ, ઉત્સવ, સમારોહ જેવાં દૃશ્યોને જઈને કચડાયેલી વાસનાઓ એમાંથી કોઈક પ્રકારે પોતાને તૃપ્ત કરે છે. ધનની, પદની, મહત્ત્વ પ્રાપ્તિની અતૃપ્ત આકાંક્ષાઓ પણ પોતાની તૃપ્તિને માટે જૂઠા અભિનયો કરે છે. કદી કદી એવું બને છે કે પોતાની અતૃપ્તિના દર્દનો, ઘાનો, પીડાનો વધારે રૂપમાં અનુભવ કરવાને માટે આવા સ્વપ્નો દેખા દે છે, એટલે અતૃપ્તિમાં ઓર વધારો થાય છે. જે થોડું ઘણું સુખ હતું તે પણ હાથમાંથી ચાલ્યું જાય અથવા મનોકામના પૂરી થતાં પહેલાં જ કોઈ આકસ્મિક કારણથી વિઘ્ન ઊભું થયું હોય એમ લાગે છે.

તૃપ્તિઓને અમુક અંશે યા અન્ય કોઈ બીજા પ્રકારે તૃપ્ત કરવાને માટે અતૃપ્તિનો વધારે ઉગ્રરૂપે અનુભવ કરવા માટે ઉપર જણાવ્યા જેવાં સ્વપ્નમાં આવ્યા કરે છે. એ દેખાઈ રહેલી વૃત્તિઓ ગાયત્રીની સાધનાથી ઊંડી જઈને પોતાનું સ્થાન ખાલી કરે છે. તેથી પરિવર્તનકાળમાં તે પોતાનાં ગુપ્ત રૂપોને પ્રગટ કરીને વિદાય થાય છે. તદ્દનુસાર સાધનાકાળમાં પ્રાયઃ આ પ્રકારનાં સ્વપ્ના આવે છે. કોઈ મૃતપ્રેમીનું દર્શન, સુંદર દૃશ્યોનું અવલોકન, સ્ત્રીઓ સાથે હળવું-મળવું, મનોવાંછનાઓ પૂરી થયા પછી પણ ઇચ્છિત વસ્તુઓનો અગાઉના કરતાં અધિક અભાવ જણાય આદિ ઘટનાઓ સ્વપ્નમાં વિશેષ પ્રમાણમાં દેખા દે છે. એનો અર્થ એ છે કે અનેક દબાઈ રહેલી અતૃપ્ત તૃષ્ણાઓ ધીરે ધીરે પોતાની વિદાયની તૈયારી કરી રહી છે. આત્મિક તત્ત્વોની વૃદ્ધિ થવાને લીધે એવું થવું સ્વાભાવિક પણ છે.

* દિવ્ય તત્ત્વોનાં વૃદ્ધિસૂચક સ્વપ્ન

બીજી શ્રેણીનાં સ્વપ્નો એવા હોય છે, જેમાં સાત્ત્વિક વૃત્તિની વૃદ્ધિ નિરંતર થતી હોય છે. સત્ત્વગુણી કાર્યો પોતે કરનારને અથવા કોઈ બીજા પાસે કરાવનારને એવા સ્વપ્નોનો પરિચય થાય છે. પીડિતોની સેવા, અભાવગ્રસ્તોને સહાયતા, દાન, જપ, તપ, યજ્ઞ, ઉપવાસ, તીર્થ, મંદિર, પૂજા, ધાર્મિક કર્મકાંડ, કથા, કીર્તન, પ્રવચન-ઉપદેશ, માતા, પિતા, સાધુ મહાત્મા, નેતા, વિદ્વાન, સજ્જનોનો સહવાસ, સ્વાધ્યાય, અધ્યયન, આકાશવાણી, દેવીદેવતાઓનાં દર્શન, ભવ્ય પ્રકાશ આદિ આધ્યાત્મિક સત્ત્વગુણી શુભ સ્વપ્નોમાં સાધક પોતાની અંદર દાખલ થયેલાં શુભ તત્ત્વોને જુએ છે અને એ દૃશ્યોથી શાંતિનો લાભ મેળવે છે.

* ભવિષ્યનો આભાસ અને દેવી આગાહીને લગતાં સ્વપ્ન

ત્રીજા પ્રકારનાં સ્વપ્નો ભવિષ્યમાં બનનાર ઘટનાઓનો સંકેત કરે છે. સવારે સૂર્યોદય પહેલાં એક બે કલાક દરમિયાન આવેલા સ્વપ્નમાં સચ્ચાઈનો ઘણો અંશ હોય છે. બ્રાહ્મમુહૂર્તમાં એક તો સાધકનું મન નિર્મળ હોય છે બીજું પ્રકૃતિના વાતાવરણનો કોલાહલ પણ રાતની નિઃસ્તબ્ધતાને લીધે મોટે ભાગે શાંત થઈ ગયેલો હોય છે. એ સમયે સત તત્ત્વની પ્રધાનતાને કારણે વાતાવરણ સ્વચ્છ હોય છે અને સૂક્ષ્મ જગતમાં વિચરણ કરતા ભવિષ્યનો, ભાવી વિધાનોનો થોડોઘણો આભાસ થવા માંડે છે.

કદી કદી અસ્પષ્ટ દૃશ્યો જોવામાં આવે છે, જેથી માલૂમ પડે છે કે એ ભવિષ્યમાં થનાર કોઈ લાભ કે હાનિનો સંકેત છે. પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં જણાતું નથી કે એનું તાત્પર્ય શું છે ? એવા સ્વપ્નોનો આ કારણો હોય છે- (૧) ભવિષ્યનું વિધાન પ્રારબ્ધ કર્મોથી બને છે પરંતુ વર્તમાન કર્મોથી એ વિધાનમાં પૂરો હેરફેર થઈ શકે છે. વિધિનાં કોઈ પૂર્વનિર્ધારિત વિધાન સાધકનાં વર્તમાન કર્મોને લીધે થોડાઘણા પરિવર્તિત થઈ જાય છે, ત્યારે એનું નિશ્ચિત અને સ્પષ્ટ રૂપ બગડી જઈ અનિશ્ચિત અને અસ્પષ્ટ થઈ જાય છે. તદ્દનુસાર એ વાત તેને સ્વપ્નમાં દેખાય છે. (૨) કેટલાંક ભાવિ વિધાનો એવા હોય છે જે નવાં કર્મોના, કંઈક પરિસ્થિતિ અનુસાર બને છે અને પરિવર્તિત થતાં રહે છે. તેજી, મંદી, સટ્ટો, લોટરી આદિની બાબતમાં જ્યાં સુધી ભવિષ્ય તૈયાર થતું હોય છે અને એની સંપૂર્ણ રીતે સ્પષ્ટતા જણાતી નથી ત્યાં સુધી એનો પૂર્વાભાસ સાધકને સ્વપ્નમાં મળે તો પણ તે એકાંગી અને અપૂર્ણ હોય છે. (૩) અહંકારની સીમા જેટલાં ક્ષેત્રોમાં હોય છે, તે વ્યક્તિના અહંનું એક આધ્યાત્મિક એકમ હોય છે, આટલાં વિસ્તૃત ક્ષેત્રનું ભવિષ્ય એનું પોતાનું ભવિષ્ય બની જાય છે. ભવિષ્યસૂચક સ્વપ્ન આ “અહં”ની સીમાક્ષેત્ર સુધી આપણને દેખાય છે. તેથી એવું પણ બને છે કે, જે સંદેશ સ્વપ્નમાં મળે છે, તે અહંકારની મર્યાદામાં આવનાર કોઈ કુટુંબી, પાડોશી, મિત્ર અથવા સગાને લગતા હોય છે. (૪) સાધકની મનોભૂમિ સંપૂર્ણ રીતે નિર્મળ ન થઈ હોય તો આકાશના સૂક્ષ્મ અંતરાળમાં વહેતાં તથ્થો અધૂરાં અથવા તો રૂપાંતરિત થયેલા દેખાય છે જેમાં કે કોઈ માણસ પોતાને ઘેરથી આપણને મળવા નીકળી ગયો હોય તો એ માણસને બદલે કોઈ બીજો જ માણસ આવ્યાનો આભાસ થાય ત્યારે બને એમ છે કે સાધકની દિવ્ય દૃષ્ટિ ઝાંખી થઈ જાય છે અને દૂરથી જનાર માણસ “પૂતળા’ જેવો દેખાય છે પણ તેનો ચહેરો પરખાતો નથી. હવે આ ઝાંખાં અસ્પષ્ટ આભાસ ઉપર આપણી સ્વપ્નમાયા એક કલ્પિત આવરણ ચઢાવીને કોઈ જૂઠી આકૃતિને જોડી દે છે અને દોરડાને સર્પ બનાવી દે છે. એવા સ્વપ્ના અડધાં સત્ય અને અડધાં અસત્ય હોય છે, પરંતુ જેમ જેમ સાધકની મનોભૂમિ વધારે નિર્મળ થતી જાય છે, તેમ તેમ તેની દિવ્ય દૃષ્ટિ સ્વચ્છ થતી જાય છે અને એનાં સ્વપ્નો અધિક સાર્થકતાયુક્ત થવા માંડે છે.

* જાગૃત સ્વપ્ન અથવા દિવ્ય દર્શન

સ્વપ્ન ફકત રાતના વખતે નિદ્રાગ્રસ્ત હોઈએ ત્યારે જ આવતાં નથી, એ જાગૃત અવસ્થામાં પણ આવે છે. ધ્યાનને એક પ્રકારનું જાગૃત સ્વપ્ન સમજવું જોઈએ. કલ્પનાને ઘોડે ચડીને આપણે દૂર દૂરનાં સ્થાનોનાં વિવિધ પ્રકારનાં સંભવ અને અસંભવ દૃશ્ય જોયા કરીએ છીએ, એ એક પ્રકારનું સ્વપ્ન જ છે. નિદ્રાગ્રસ્ત સ્વપ્નોમાં અંતર્મનની ક્રિયાઓ મુખ્ય હોય છે. જ્યારે જાગૃત સ્વપ્નોમાં બહિર્મનની ક્રિયાઓ મુખ્ય હોય છે. આટલું અંતર તો અવશ્ય છે, પરંતુ એ નિદ્રા અને જાગૃત સ્વપ્નની પ્રણાલી એક જ છે. જાગૃતાવસ્થામાં સાધકના મનોલોકમાં નાના પ્રકારની વિચારધારાઓ અને કલ્પનાઓ દોડાદોડ મચાવે છે. એ પણ ત્રણ પ્રકારની હોય છે. પૂર્વસંસ્કારોનું નિષ્કાસન, શ્રેષ્ઠ તત્ત્વોનું પ્રગટીકરણ તથા ભવિષ્યના પૂર્વાભાસની સૂચના આપવા માટે મગજમાં વિવિધ પ્રકારના વિચાર, ભાવો અને કલ્પનાઓનાં ચિત્રો રજૂ થાય છે. નિદ્રા અને જાગૃતિમાં આવતાં સ્વપ્નો એ બંનેનાં ફળ એકસરખાં જ હોય છે.

કદી કદી જાગૃત અવસ્થામાં પણ સૂક્ષ્મ, ચમત્કારિક, દેવી, અલૌકિક દૃશ્ય કોઈ કોઈના જોવામાં આવે છે. કોઈકને ઇષ્ટદેવનું દર્શન થાય છે, કોઈકને ભૂતપ્રેત પ્રત્યક્ષ દેખાય છે, કોઈને બીજાના ચહેરા પર તેજોવલય અને મનોગત ભાવોના આકારો નજરે પડે છે. એના આધારે તે બીજાની આંતરિક સ્થિતિને જાણી લે છે. રોગ સારો થવો કે ન થવો, સંઘર્ષમાં હારવું કે જીતવું, ચોરાઈ ગયેલી વસ્તુ, આગામી લાભ-હાનિ, વિપત્તિ સંપત્તિ આદિ વિષે કેટલાક મનુષ્યોના અંતઃકરણમાં એક પ્રકારની આકાશવાણી જેવું સંભળાય છે અને તે કેટલીક વાર તો એટલી સાચી નિવડે છે કે આપણે આશ્ચર્યથી દંગ થઈ જઈએ.

૩૬. માતા સાથે વાર્તાલાપ કરવાની સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

માતા સાથે વાર્તાલાપ કરવાની સાધના ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સાધનાની દિવ્ય જ્યોતિ જેમ જેમ અધિક પ્રકાશિત થતી જાય છે, તેમ તેમ અંતરાત્માની ગ્રહણ શક્તિ વધતી જાય છે. રેડિયો યંત્રની અંદર બલ્બ લગાવેલા હોય છે. વીજળીનો સંચાર થવાથી તે બળવા માંડે છે. પ્રકાશ થતાં જ યંત્રનો ધ્વનિ પકડનારો ભાગ જાગૃત થાય છે અને ઈશ્વર તત્ત્વમાં ભ્રમણ કરતા સૂક્ષ્મ તરંગોને પકડવા માંડે છે. એ ક્રિયાને “રેડિયો વાગે છે એમ કહેવાય છે. સાધના એક વીજળી છે, જેનાથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના બલ્બ દિવ્ય જ્યોતિથી ઝગમગવા લાગે છે. આ પ્રકારનો સીધો પ્રભાવ અંતરાત્મા પર પડે છે. જેથી એનો સૂક્ષ્મ આત્મા જાગૃત થઈ જાય છે અને દિવ્ય સંદેશાઓ, ઈશ્વરીય આદેશોને પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને સમજવાની યોગ્યતા ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકારે સાધકનું અંતઃકરણ રેડિયો જેવું બની જાય છે અને એના દ્વારા સૂક્ષ્મ જગતની મોટી મોટી રહસ્યમય વાતોનું પ્રકટીકરણ થાય છે.

દર્પણ જેવું અંતઃકરણ જેટલું સ્વચ્છ અને નિર્મળ હશે, તેટલું સ્પષ્ટ પ્રતિબિંબ તેમાં પડશે. મેલો અરીસો ઝાંખો હોય છે. તેમાં ચહેરો સાફ દેખાતો નથી. સાધનાથી અંતરાત્મા નિર્મળ થઈ જાય છે અને એમાં દૈવી તત્ત્વોનો ઈશ્વરીય સંકેતોનો અનુભવ સ્પષ્ટરૂપે થાય છે. અંધારાંમાં શું થઈ રહ્યું છે, તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. પણ દીવો સળગાવવાથી ક્ષણ પહેલાંના અંધારાંમાં છુપાયેલી બધી વસ્તુઓ પ્રકટ થાય છે અને તેનું રહસ્ય પ્રત્યક્ષ થઈ જાય છે.

ગાયત્રી સાધકોની મનોભૂમિ સ્વચ્છ થઈ જાય છે અને એમાં અનેક ગુપ્ત વાતોનું રહસ્ય આપણને સ્પષ્ટ દેખાવા લાગે છે. આ તથ્યને ગાયત્રી દર્શન અથવા વાર્તાલાપ પણ કહી શકાય. સાધનાની પરિપકવ અવસ્થામાં તો સ્વપ્નમાં યા જાગૃત અવસ્થામાં ભગવતીનું દર્શન કરવાનો દિવ્ય ચક્ષુઓનો લાભ મળે છે અને એનો સંદેશ સાંભળવાનું સૌભાગ્ય આપણા દિવ્ય કાનોને પ્રાપ્ત થાય છે, કોઈકને પ્રકાશમયી જ્યોતિના રૂપમાં, કોઈકને અલૌકિક દૈવી રૂપમાં, કોઈકને સંબંધિત કોઈ સ્નેહભરી નારીના રૂપમાં દર્શન થાય છે. કોઈ એના સંદેશ પ્રત્યક્ષ વાર્તાલાપની જેમ પ્રાપ્ત કરે છે. કોઈને કોઈ બહાને આડકતરી રીતે વાત સંભળાઈ કે સમજાઈ હોય એવું પ્રતીત થાય છે, તો કોઈકને આકાશવાણીની માફક સ્પષ્ટ શબ્દોમાં આદેશ મળે છે. એ સાધકોની વિશેષ મનોભૂમિ પર આધાર રાખે છે. દરેકને આપ્રકારના અનુભવો થતા નથી.

પરંતુ એક રીતે દરેક સાધક માતા પાસે પહોંચી શકે છે અને પોતાની આત્મિક શક્તિને અનુરૂપ સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉત્તર પ્રાપ્ત કરી શકે છે. તે રીત એવી છે કે, એકાંત સ્થળમાં શાંત ચિત્તે આરામથી શરીરને ઢીલું કરીને બેસવું, ચિત્તને ચિંતામાંથી રહિત રાખવું. શરીર અને વસ્ત્રો સ્વચ્છ રાખવા. આંખો મીંચીને પ્રકાશ જ્યોતિ યા હંસવાહિનીના રૂપમાં હૃદયસ્થાન પર ગાયત્રી શક્તિનું ધ્યાન કરવું અને મનમાંના પોતાના પ્રશ્નો ભગવતીની સામે રજૂ કરવા. આવું ધ્યાન દસ મિનિટ સુધી કર્યા પછી એવી રીતે ત્રણ શ્વાસ લેવા કે જાણે અખિલ વાયુમંડળમાં વ્યાપેલી મહાશક્તિ શ્વાસ દ્વારા આપણા અંતઃકરણના કણકણમાં વ્યાપ્ત થઈ ગઈ છે. હવે ધ્યાન બંધ કરો અને મનને બધા પ્રકારના વિચારોમાંથી બિલકુલ મુક્ત કરી દો. પોતે કોઈ પણ વિચાર શરૂ ન કરો. મન અને હૃદય સર્વથા વિચાર શૂન્ય થઈ જવા જોઈએ.

આ શૂન્યાવસ્થામાં સ્તબ્ધતાનો ભંગ કરે એવી સ્ફુરણા અંતઃકરણમાં થાય છે જેમાંથી અનાયાસે જ કોઈ અચિંત્ય ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એકાએક કોઈ વિચાર અંતરાત્મામાં ઉદ્ભવ થાય છે. જાણે કોઈ અજ્ઞાત શક્તિઓએ ઉત્તર સુઝાડ્યો ન હોય ! પવિત્ર હૃદય જ્યારે ઉપરોક્ત સાધના દ્વારા વધારે દિવ્ય પવિત્રતાથી પરિપૂર્ણ થઈ જાય છે, ત્યારે સૂક્ષ્મ દૈવી શક્તિ જે વ્યષ્ટિ અંતરાત્મા અને સમષ્ટિ પરમાત્મા સમાનરૂપે વ્યાપ્ત છે, એ પવિત્ર હૃદય પર પોતાનું કાર્ય કરવાનો આરંભ કરી દે છે અને કોઈ એવા પ્રશ્નો, સંદેહો અને શંકાઓના ઉત્તરો મળી રહે છે, જે અગાઉ ઘણા જ વિવાદાસ્પદ, સંદેહમય અને રહસ્યમય જણાતા હતા. આ પ્રક્રિયાથી ભગવતી વેદમાતા ગાયત્રી સાધક સાથે વાર્તાલાપ કરે છે અને તેની અનેક જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. આવો ક્રમ જો વ્યવસ્થાપૂર્વક આગળ વધતો રહે તો એ શરીરરહિત દિવ્યમાતા સાથે વાર્તાલાપ કરી શકવાનું સંભવ થાય છે. જન્મ આપનાર મનુષ્ય-શરીરધારી માતા સાથે વાત કરવા જેટલું આ પણ સંભવિત છે.

માતા સાથે વાર્તાલાપનો વિષય નીચે જણાવેલી આવશ્યકતાના સંબંધોને લગતો ન હોવો જોઈએ. વિશેષતઃ આર્થિક પ્રશ્નોને માધ્યમ ન બનાવવા જોઈએ. કેમ કે સ્વાર્થ. લોભ સાંસારિકતા આદિના અન્ય અનેક મલિન ભાવો ઊઠે છે અને અંતઃકરણની પવિત્રતા જે માતાની સાથે વાર્તાલાપ કરવા માટે આવશ્યક છે તેનો નાશ કરી દે છે. ચોરાઈ ગયેલી વસ્તુ, જમીનમાં દાટેલું ધન, તેજીમંદી, સટ્ટો, લોટરી, હારજીત, આયુષ્ય, સંતાન, સ્ત્રી, ખટલો, નોકરી, લાભ કે હાનિ જેવા પ્રશ્નોને માધ્યમ બનાવીને જે લોકો એ દૈવીશક્તિ સાથે વાર્તાલાપ કરવાનું ઇચ્છે છે તેઓ માતાની દૃષ્ટિમાં તેની સાથે વાર્તાલાપ કરવાને યોગ્ય અધિકારી નથી ગણાતા. એવા અધિકાર વગરના લોકોના પ્રયત્નો સફળ થતા નથી. એમની મનોભૂમિમાં પ્રાયઃ કોઈ દૈવી સંદેશા આવતા નથી. અને જો આવે તો તે માતાના શબ્દો ન રહેતાં કોઈ બીજા જ સ્ત્રોતમાંથી આવેલા હોય છે પરિણામે એની સત્યતા અને વિશ્વસનીયતા શંકાને યોગ્ય હોય છે.

વર્તમાન યુગમાં આ જાતનો દોષ લોકોમાં ખૂબ જ ફેલાયેલો દેખાય છે. આ અર્થપ્રધાન યુગમાં ધનને અતિશય મહત્ત્વ મળ્યું છે. જેથી કરીને મનુષ્યની આધ્યાત્મિક શક્તિઓ કુંઠિત થઈ ગઈ છે. એવા અર્થદષ્ટિવાળા માણસોની દૃષ્ટિએ દેવદેવતાઓની પૂજા અને ઈશ્વરની ઉપાસનાનું મૂલ્ય, દુન્યવી વૈભવ અને સંપત્તિની પ્રાપ્તિ સુધી જ મર્યાદિત દૃષ્ટિએ સીમિત જ છે. ધનની મોહિનીએ મનુષ્યોની બુદ્ધિને એવી ભ્રમિત કરી નાંખી છે કે તેને માટે તેઓ ધર્મને ત્યાગવા-વેચવા પણ તૈયાર થઈ જાય છે. થોડા પૂજાપાઠ કે ભજન-કીર્તનથી અલૌકિક શક્તિઓનો આભાસ પ્રાપ્ત કરવાની આજના માનસથી પ્રેરિત થયેલી આશા ખરેખર નિરર્થક જ છે. એ આશાઓ કદી પણ ફળી શકે નહિ. એવી અલૌકિક શક્તિઓને આભાસની પ્રાપ્તિ કરવા માટે તો દૃષ્ટિ અત્યંત ઉચ્ચ અને વિશાળ રાખવી પડે. માત્ર સ્વાર્થી દૃષ્ટિ કામમાં આવે નહિ. પરમાર્થ જ મહત્ત્વનો છે. પરમાર્થનો સતત ખ્યાલ રાખવામાં આવે તો જ અલૌકિક તત્ત્વોની પ્રાપ્તિની આશા રાખી શકાય.

માતા સાથેનો વાર્તાલાપ આધ્યાત્મિક, ધાર્મિક, આત્મકલ્યાણકારી, જનહિતકારી, પારમાર્થિક, લોકહિતના પ્રશ્નો વિષેનો જ હોવો જોઈએ. કર્તવ્ય અને અકર્તવ્યની ગૂંચો, વિવાદાત્મક વિચારો, વિશ્વાસો અને માન્યતાઓ બાબત જ એ વાર્તાલાપનો આરંભ થવો જોઈએ.

આ પ્રકારના વાર્તાલાપોમાં પોતાના તથા બીજા મનુષ્યોના પૂર્વજન્મો, પૂર્વસંબંધો વિશેની કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો બહાર આવે છે, જીવન નિર્માણનો સુઝાવ મળે છે, તેમ જ એવા સંકેતો મળે છે, જે અનુસાર કાર્ય કરવાથી આ જ જન્મમાં આશાજનક સફળતા પ્રાપ્ત થાય છે. સદ્ગુણોનો, સાત્ત્વિકતાનો, મનોબળનો, દૂરદર્શિતાનો, બુદ્ધિમત્તાનો તથા આંતરિક શાંતિનો ઉદ્ભવ તો અવશ્ય જ થાય છે. આમ માતા સાથેનો વાર્તાલાપ સર્વપ્રકારે કલ્યાણકારક સિદ્ધ થાય છે.

૩૫. ગાયત્રીનું અર્થચિંતન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રીનું અર્થચિંતનગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

 ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં  ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |

.           ૐ         …  બ્રહ્મ

            ભૂ:         …  પ્રાણસ્વરૂપ

            ભુવઃ      …  દુઃખનાશક

            સ્વ:       …  સુખસ્વરૂપ

            તત્       …  એ

            સવિતુ:  … તેજસ્વી પ્રકાશવાન

            વરેણ્યં    …  શ્રેષ્ઠ

            ભર્ગો      …  પાપનાશક

            દેવસ્ય    …  દિવ્યને, આપવાવાળા

            ધીમહિ    …   ધારણ કરીએ છીએ

            ધિયો      …   બુદ્ધિ

            યો         …  જે

            નઃ         …  અમારી

            પ્રચોદયાત્ … પ્રેરિત કરો

ગાયત્રી મંત્રના આ અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. આ ભાવો બહુ જ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતોગુણી અને આત્મબળ વધારનારા છે. ભાવોનું હરહમેશ અમુક સમયે મનન કરવું જોઈએ.

મનને માટેના કેટલાક સંકલ્પો નીચે આપવામાં આવે છે. આ શબ્દોને આંખો બંધ કરીને મનમાં ને મનમાં રટવા જોઈએ અને કલ્પનાશક્તિની મદદ વડે એનું માનસચિત્ર મનઃપ્રદેશમાં સારી રીતે અંકિત કરવું જોઈએ

(૧) ભૂ: લોક, ભુવઃ લોક અને સ્વઃ લોક, આ ત્રણે લોકમાં ૐ પરમાત્મા સમાયેલો છે. આ જે વિશ્વ બ્રહ્માંડ છે તે પરમાત્માની સાકાર પ્રતિમા છે. કણે કણમાં ભગવાન રહેલો છે. આ સર્વવ્યાપક પરમાત્માને બધે હાજર જાણીને મારે કુવિચારો અને કુકર્મોથી સદા દૂર રહેવું જોઈએ અને સંસારની અને સુખશાંતિ શોભા વધારવામાં સહયોગ આપીને પ્રભુની સાચી સેવા કરવી જોઈએ.

(૨) તત્ તે પરમાત્મા, સવિતુ: તેજસ્વી, વરેણ્યં-શ્રેષ્ઠ, ભર્ગો-પાપરહિત અને દેવસ્ય-દિવ્ય છે. એને હું અંતઃકરણમાં ધારણ કરું છું. આ ગુણોવાળા ભગવાન મારા અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈને મને પણ તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત અને દિવ્ય ગુણોવાળો બનાવે છે. હું પ્રતિક્ષણ એ ગુણોથી યુક્ત થતો જાઉં છું. એ બંનેની માત્રા મારા મગજ તથા શરીરના કણેકણમાં વધતી જાય છે. હું એ ગુણોથી ઓતપ્રોત થતો જાઉં છું.

(૩) તે પરમાત્મા, નઃ અમારી, ધિયો–બુદ્ધિને, પ્રચોદયાત્ – સન્માર્ગમાં પ્રેરિત કરો. અમારી સર્વેની, અમારાં સ્વજન પરિજનોની બુદ્ધિ સન્માર્ગગામી થાઓ. જગતની સર્વથી મોટી વિભૂતિ, સુખોની આદિ માતા-સદ્બુદ્ધિને મેળવીને અમે આ જીવનમાં જ સ્વર્ગીય આનંદનો ઉપભોગ કરીએ. માનવજન્મને સફળ બનાવીએ.’

ઉપરના ત્રણ ચિંતન સંકલ્પોનું ધીરે ધીરે મનન કરવું જોઈએ. એક એક શબ્દ બોલ્યા પછી થોડી વાર અટકીને એ શબ્દનું કલ્પનાચિત્ર મનમાં ઊભું કરવું જોઈએ.

જ્યારે આ શબ્દો બોલવામાં આવતા હોય કે પરમાત્મા ભૂઃ ભુવઃ સ્વઃ એ ત્રણ લોકમાં વ્યાપ્ત છે, ત્યારે એવી કલ્પના કરવી કે, જાણે આપણે પાતાળ, પૃથ્વી અને સ્વર્ગને સારી રીતે જોઈ રહ્યાં છીએ અને એમાં ગરમી, પ્રકાશ, વીજળી, શક્તિ યા પ્રાણના રૂપે પરમાત્મા બધે સમાયેલા છે. આ વિરાટ બ્રહ્માંડ ઈશ્વરની એક જીવતી જાગતી સાકાર પ્રતિમા છે. ગીતામાં અર્જુનને જે પ્રકારે ભગવાને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું છે, એવું જ વિરાટ પુરુષનું દર્શન આપણા કલ્પનાલોકમાં માનસચક્ષુઓ વડે કરવું જોઈએ. આંખો ભરીભરીને આ વિરાટ બ્રહ્માનું, વિશ્વ પુરુષનું દર્શન કરવું જોઈએ. જાણે કે હું આ વિશ્વ પુરુષના કેન્દ્રમાં બેઠેલો છું એમ અનુભવવું જોઈએ. મારી ચારે બાજુ પરમાત્મા જ છે એવી મહાશક્તિ હોય ત્યાં કુકર્મોના કુવિચારો મારા મનમાં ક્યાંથી જ આવી શકે? આ વિશ્વ પુરુષનો કણેકણ મારે માટે પૂજનીય છે. એની સેવા, સુરક્ષા અને શોભા વધારવાને માટે હું પ્રવૃત્ત રહું એ જ મારે માટે શ્રેયસ્કર છે.

સંકલ્પના બીજા ભાગનું ચિંતન કરીને આપણા હ્રદયને ભગવાનના સિંહાસન તરીકે ગણીને પરમ તેજસ્વી, સર્વશ્રેષ્ઠ, નિર્વિકાર, દિવ્યગુણોવાળા પરમાત્માને તે પર વિરાજમાન થયેલા જોવા જોઈએ. ભગવાનની ઝાંખી ત્રણ રૂપમાં કરી શકાય છે. (૧) વિરાટ પુરુષના રૂપમાં, (૨) રામ, કૃષ્ણ, વિષ્ણુ, ગાયત્રી, સરસ્વતી આદિના રૂપમાં અને (૩) દીપકની જ્યોતિના રૂપમાં. એ આપણી ભાવના અને રુચિ ઉપર આધાર રાખે છે. પરમાત્માનું પુરુષના રૂપમાં યા ગાયત્રીનું માતૃરૂપમાં આપણી રુચિ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. પરમાત્મા સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. ગાયત્રી સાધકોને માતા ગાયત્રીના રૂપમાં બ્રહ્મનું ધ્યાન કરવું વધારે રુચે છે. સુંદર છબીનું ધ્યાન કરીને સૂર્ય જેવી તેજસ્વિતા, સર્વોપરી શ્રેષ્ઠતા, પરમ પવિત્ર નિર્મળતા અને દિવ્ય સત્ત્વગુણની ઝાંખી કરવી જોઈએ. આ પ્રકારના ગુણ અને રૂપવાળી બ્રહ્મશક્તિને આપણા હ્રદયમાં સ્થાયીરૂપે વસાવવાની અને રોમરોમમાં ભરવાની ભાવના કરવી જોઈએ.

સંકલ્પના ત્રીજા ભાગનું ચિંતન કરતી વેળા એવો અનુભવ કરવો કે તે ગાયત્રી બ્રહ્મશક્તિ આપણા હ્રદયમાં નિવાસ કરનારી ભાવના તથા મગજમાં રહેનારી બુદ્ધિને પકડીને સાત્ત્વિકતાના, ધર્મના, કર્તવ્યના, સેવાના સત્પથ પર લઈ જઈ રહી છે. બુદ્ધિ અને ભાવનાને એ દિશામાં ચલાવવાનો અભ્યાસ તથા પ્રેમ ઉત્પન્ન કરી રહી છે તથા તે બંને ખૂબ આનંદ, ઉત્સાહ તથા સંતોષનો અનુભવ કરતાં માતા ગાયત્રીની સાથે જ ચાલી રહ્યાં છે.

ગાયત્રીમાં આવેલી આ ત્રણ ભાવનાઓ ક્રમશઃ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગના પ્રતીક જેવી છે. આ ત્રણે ભાવનાઓનો વિસ્તાર થઈને યોગના જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ આધાર બન્યા છે. ગાયત્રીનું અર્થચિંતન બીજરૂપે આપણા અંતરાત્માને ત્રણે યોગની ત્રિવેણિમાં સ્નાન કરાવ્યા સમાન છે.

આ પ્રકારે ચિંતન કરવાથી ગાયત્રી મંત્રનો અર્થ ઉત્તમ રીતે હૃદયંગમ થઈ જાય છે અને એની પ્રત્યેક ભાવના આપણા મન પર પોતાની છાપ પાડે છે. જેને પરિણામે થોડા જ દિવસોમાં આપણને જણાવા માંડે છે કે આપણે કુવિચારો અને કુકર્મોનો ત્યાગ કરીને વિચારો અને સન્માર્ગમાં ઉત્સાહપૂર્વક રસ લેવા માંડયો છે. આ પ્રવૃત્તિ શરૂઆતમાં ગમે તેટલી મંદ કેમ ન હોય, છતાં એ નિશ્ચિત છે કે, એ ચાલુ રહે તો આત્મા દિનપ્રતિદિન સમુન્નત થતો જાય છે અને જીવનનું ચરમ લક્ષ્ય સમીપ ખેંચાતું ચાલ્યું આવે છે.

%d bloggers like this: