૧૭. શક્તિપીઠ પ્રાચીન અને નવીન

શક્તિપીઠ પ્રાચીન અને નવીન
દેવી સતી શિવશક્તિ સ્વરૂપા છે. શક્તિનું સ્વરૂપ બદલાય છે, તે નષ્ટ થતી નથી. સતીનું પણ રૂપાંતર થયું. રૂપ બદલાઈ જાય, પણ તત્ત્વ તેનું તે જ રહે છે. સતીનાં અંગો – શક્તિના અંશોની સ્થાપના શક્તિપીઠોના રૂપમાં કરવામાં આવી. પૂજ્યગુરુદેવ ચાલીસમા પાના પર લખે છેઃ


“મૃત સતીની લાશને ખભા પર લઈ રુદ્ર પાગલની જેમ આકુળવ્યાકુળ થઈ ફરવા લાગ્યા. તેમનું આવું વિકરાળ સ્વરૂપ, રૌદ્ર રૂપ જોઈને દસે દિશાઓ કાંપવા લાગી. સતી અર્થાત્ સત્પ્રવૃત્તિ ન રહેવાની સ્થિતિ શિવ માટે અસહ્ય બની. ગુસ્સામાં તેઓ હુંકાર ભરવા લાગ્યા. ઓગણ પચાસે ઓગણ પચાસ પવન આંધી તોફાન બનીને સ્થિતિને પ્રલયમાં ફેરવવા તત્પર બન્યા.
દેવો કાંપ્પા, સ્થિતિ કટોકટીભરી થઈ ગઈ. વિચાર કરવામાં આવ્યો કે સૃષ્ટિના પાલક વિષ્ણુ આગળ આવે. તેમણે સુદર્શનચક્રથી સતીના મૃત શરીરને અગિગાર ભાગમાં કાપી નાખ્યું. તે ટુકડા દૂર દૂર જઈ પડ્યા. સતી તો અમર છે, તે મરી શકે નહિ. એ અગિયાર ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠની સ્થાપના થઈ. સંસારમાં અગિયાર શક્તિપીઠ પ્રખ્યાત છે. દરેક જગ્યાએ સતી(શક્તિ) નું નવું રૂપ પ્રગટ થયું. શિવજી પોતાની સહધર્મિણીને અગિયાર ગણી વિકસિત જોઈ સંતોષ પામ્યા અને અગિયાર રુદ્રના રૂપમાં ફરીવાર આનંદથી પોતાના કામકાજમાં જોડાઈ ગયા. એકની બાજુમાં એક લખીએ તો અગિયાર બની જાય છે. શિવ અને સતીનો, પરમાત્મા અને સત્પ્રવૃત્તિનો સુયોગ જ્યારે અને જ્યાં પણ ઊભો થશે ત્યાં ત્યાં એક અને એક મળી અગિયારનો સહયોગ પેદા થશે એ ઉક્તિ ચરિતાર્થ બની.’
પૂજ્ય ગુરુદેવે પાન ૪૮ પર લખ્યું છે :
‘‘મહાકાલનો ગુસ્સો તે વખતે એક જ રીતે શાંત થયો હતો અને અત્યારે પણ એક જ રીતે શાંત થશે, જો તેમની પ્રાણપ્રિય સતી(સત્પ્રવૃત્તિ)ને પુનર્જીવિત કરવામાં આવે. સતીનાં અંગોમાંથી અગિયાર સતીઓ પેદા થઈ અને અગિયાર શક્તિપીઠો બની. આપણે આવાં અગણિત એવાં શક્તિકેન્દ્રો સ્થાપિત કરીએ, જે ભગવાન શિવના સંસારને સુરમ્ય, સુવિકસિત અને સુસંસ્કૃત રાખવામાં સમર્થ હોય.’’
પૂ. ગુરુદેવે આ લીટીઓ સન્ ૧૯૬૭-૬૮મા લખી હતી. સમય આવતાં એના આધાર પર જ યુગશક્તિ ગાયત્રીનો વિકાસ તથા વિસ્તાર કરવા ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, પ્રજ્ઞાસંસ્થાનોની યોજના બનાવી અમલમાં મૂકી.
ભૂલ ન કરો, મતભેદથી બચો :
પૂજ્ય ગુરુદેવે લખ્યું છે : “આજે પણ દક્ષો(શક્તિમાન) એ આવું જ કરી મૂક્યું છે. તે કહેવાતા હોશિયાર લોકો સમાજના મોભી બની બેઠા છે. પોતાના કાવાદાવા અને ભાષા દ્વારા બીજાંને ઉલ્લુ બનાવવાની કળાના સહારે આ બધું કરી રહ્યા છે. બીજાનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી છળકપટથી આગળ વધે છે અને ઊંચે બેસે છે. તપ અને ત્યાગનું નામ નહિ. આવા મોભી લોકોનું પ્રાધાન્ય જ વ્યક્તિ અને સમાજના આત્માઓને કચડી રહ્યું છે. મહાકાલ માટે આ સ્થિતિ અસહ્ય હતી. આ સતી જ એમની સહચરી છે. જે તેને આઘાત પહોંચાડે છે તે માનવતાનો દુશ્મન છે. જેમ દક્ષનો સમગ્ર પરિવાર દુર્ગતિ પામ્યો તે રીતે આજનો માનવી પોતાના ભાષાચાતુર્યથી સુખસગવડનાં સાધનો વધારવાના અભિયાનમાં સાચો રસ્તો ભૂલી ગયો છે તેની પણ એવી જ દુર્ગતિ થશે.” (મહાકાલ અને તેની યુગપ્રત્યાવર્તન પ્રક્રિયા પાન – ૪૬)
દેવતાનું મહોરું પહેરી દક્ષ પશુતા આચરતો હતો. એટલા માટે શિવજીએ તેનું માથું કાપી નાખી તેના સ્થાને મેં મેં કરતા બકરાનું માથું ચોંટાડી દીધું, જેથી સમાજને તેના સાચા રૂપની ખબર પડે અને તેનાથી છેતરાય નહિ. આજે આ ભૂલ ફરીવાર ન થાય તે જ જોવાનું છે. બીજાંથી આવી ભૂલ થાય તો ભલે થાય, પણ મહાકાલ સાથે જોડાયેલા લોકોથી તો ન જ થવી જોઈએ.

ગોસ્વામી તુલસીદાસે ભવાની – શંકરની વંદના કરતાં તેમને શ્રદ્ધા – વિશ્વાસનું રૂપ કહ્યાં છે. જો યુગાવતાર પ્રત્યે શ્રદ્ધા જાગી હોય તો તેને એટલા પ્રમાણ સક્રિય કરવી જોઈએ કે જનવિશ્વાસ લેવા – આપવામાં મુશ્કેલી ન પડે. શ્રદ્ધાના નામે જનવિશ્વાસ તથા ઋષિસત્તાના વિશ્વાસની અવગણના પુરુષાર્થને સફળ થવા દેશે નહિ. શ્રદ્ધા અને વિશ્વાસને એકબીજાનાં પૂરક બનાવી આગળ વધવાથી જ સફળતા મળી શકશે. યુગસાધક આ પૌરાણિક ઉપાખ્યાનમાંથી વર્તમાનની દિશાધારા સમજી આગળ વધે એ એના માટે સૌભાગ્યપ્રદ હશે.
કસોટીમાંથી પાર ઊતરો :
નવસર્જન માટે મહાકાલ શિવ સંકલ્પિત છે, શક્તિ સંકલ્પ પૂરો કરવા તત્પર છે. એમને જરૂર છે શરીરધારી પ્રામાણિક માધ્યમોની અને લીલાસહચરોની. કામ જેટલું ગૌરવંતુ છે તેટલી જ સહચરોની પાત્રતા પણ પ્રામાણિક હોવી જરૂરી છે. પૂ. ગુરુદેવે પાન ૨૧-૨૨ ઉપર લખ્યું છે :
“પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે મહાકાલ તેમનું ત્રિશૂળ ફરીથી ધારણ કરી રહ્યા છે. ત્રિપુરારી મહાકાલે ભૂતકાળમાં પણ આવી વિવિધ માયા – મરીચિકાઓને પોતાના (૧) શિક્ષણ,(૨) સંહાર અને (૩) નિર્માણના ત્રિશૂળથી તોડીફોડી નાખી હતી. હવે ફરીવાર તેઓ એવું જ કરવા તૈયાર થયા છે. ધર્મ જીવવાનો છે, અધર્મ મરવાનો છે. લોભ, મોહ અને અહંકારની ચુંગાલમાંથી માનવતાને ફરીવાર મુક્તિ મળવાની છે. સંહારની આગમાં તપેલો માણસ આવતા દિવસોમાં પશ્ચાત્તાપ, સંયમ અને નમ્રતાના પાઠ ભણીને સજ્જનો જેવી સત્પ્રવૃત્તિઓ અપનાવશે. આ દિવસ જલદીથી લાવનારા ત્રિપુરારી મહાકાલ ! આપનો જય હો ! આપનો વિજય હો !”
જિજ્ઞાસા એ થાય છે કે ત્રિપુરારી મહાકાલના આ વિજયી અભિયાનમાં કોણ ભાગીદાર બનવાનું છે ? સંહારની આગમાંથી બચનારા અને તેના તાપથી તપનારા, તપીને વધારે તેજસ્વી બનનારા ભાગ્યશાળી કોણ હશે ? તેનો જવાબ યુગઋષિના સમીક્ષાત્મક વર્ણનમાં છે. તેમના ત્રિશૂળનાં ત્રણ ફળાં શિક્ષણ, સંહાર અને નિર્માણ છે. તેઓ તેમને ધારવાળાં તથા ચમકતાં કરી રહ્યા છે. વચ્ચે સંહાર છે, જેને મહાકાલ જાતે જ સંભાળશે, આજુબાજુનાં શિક્ષણ અને નિર્માણની જવાબદારી લીલા સહચરોને સોંપશે. જેઓ પોતાના વ્યક્તિત્વમાં શિક્ષણ અને નિર્માણની પ્રવૃત્તિઓને, ક્ષમતાને ધારદાર બનાવવાની સાધનામાં પ્રવૃત્ત રહેશે તેઓ જ યુગદેવતાના નજીકના સહચર બનવાનું સૌભાગ્ય મેળવી શકશે, પણ તે માટે તેમણે પરીક્ષાની કસોટીમાં ખરા સાબિત થવાનું છે. એવું કેમ ? આ બાબતે પૂજ્યવરે પાન ૧૩૪-૩૫ પર લખ્યું છે :

“મોટાં કામ સામાન્ય શક્તિથી થતાં નથી. કામમાં અગત્યનાં સ્થળોએ મુકાયેલાં યંત્રો તથા ઓજારોનું પરીક્ષણ પહેલાં કરી લેવામાં આવે છે. મહત્ત્વનાં પદો માટેની પરીક્ષાઓ વધારે મુશ્કેલ હોય છે. આત્મિક સ્તર પર કરવાનાં મોટાં કામો સબળ આત્માઓ દ્વારા જ થઈ શકે છે. એ માટે જો કડક પરીક્ષા ન રાખવામાં આવે તો કુપાત્રોના હાથમાં જવાથી આખી યોજના જ બરબાદ થઈ જશે. નવનિર્માણનાં અગત્યનાં કાર્યો માટે જે મહાન આત્માઓએ ઉન્નતિ કરીને આગળ આવવાનું છે તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની પ્રામાણિકતાનો પરિચય આપી આગળ વધવું પડશે.”
પરીક્ષાના સંદર્ભે તેઓ લખે છે, “પરીક્ષા તે આપનારના દાવાની વાસ્તવિકતા કે અવાસ્તવિકતાનો, ખરા ખોટાપણાનો નિર્ણય કરી દે છે. આ રીતે આદર્શવાદીના જીવનમાં એવો પરીક્ષાનો સમય આવે છે, જેની કસોટી પર એ સાબિત થઈ જાય છે કે સિદ્ધાંતો તથા આદર્શો માટેની તેમની આસ્થા કેટલી સાચી, કેટલી ખોટી છે રાજા હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, કર્ણ, ભીષ્મ, રામ, કૃષ્ણ, દધીચિ, શિવ વગેરે સામે આવી પરીક્ષાનો સમય આવ્યો હતો. એમાં તેઓ ખરા સાબિત થયા હતા અને સાચા આદર્શવાદીઓની શ્રેણીમાં પહોંચી ગયા.”
પૂજ્ય ગુરુદેવે આ સમયને એવો જ અસાધારણ સૌભાગ્ય પ્રદાન કરનાર પરીક્ષાકાળ ગણાવ્યો છે. તેઓ પાન ૧૩૯ ઉપર લખે છે : “આમ તો સમસ્ત બુદ્ધિશાળી વર્ગ પાસે પોતાની સમજદારીનો પરિચય આપવાની તક છે, પરંતુ યુગનિર્માણ પરિવારના પરિજનોએ પાછલા દિવસોમાં જે શિક્ષણ મેળવ્યું છે તેને સાચી રીતે સમજ્યા છે કે નહિ, યોગ્ય રીતે અપનાવ્યું છે કે નહિ તેની પરખનો આ જ સાચો સમય છે. શિવશક્તિના લીલાસહચર બનવામાંથી આપણામાંથી કોઈએ વંચિત રહેવાનું નથી.’ તેમની શક્તિપીઠ યોજનાને ક્રાંતિકારી સ્તર સુધી વિકસિત કરવાની છે.
જાગૃત તીર્થોનો જીવંત સંદેશ
આ નવી શક્તિપીઠો પર તીર્થયાત્રી પહોંચે અને પ્રેરણા પ્રકાશ મેળવે એ જરૂરી છે, પણ આટલું જ પૂરતું નથી. એમના માધ્યમથી તીર્થચેતનાનો પ્રકાશ, યુગસર્જનનો ઉત્સાહ દૂર દૂર સુધી ફેલાવો જોઈએ. આ સંદર્ભે શું કરવાનું છે તે માટે પૂજયવરનું પુસ્તક “ધર્મચેતનાથી જનજાગરણ” ના પાન પર થી ૫૪નો આ અંશ પૂરતો પ્રકાશ પાડે છે :
ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાને સૌથી વધારે પુણ્ય ફળ આપનાર કૃત્ય માનવામાં આવે છે. તીર્થનિર્માણ માટે અને તેની યાત્રા માટે જે ધન અને શ્રમ ખર્ચાય છે એટલાં આખા ધર્મક્ષેત્રમાં બીજા કોઈ કામમાં નથી ખર્ચાતાં. જેઓ તીર્થયાત્રા કરવામાં અસમર્થ છે તેઓ સ્થાનિક પીપળો, આમળી, તુલસી, પર્વત, સરોવર, મંદિર વગેરેની પરિક્રમા કરીને પોતાના મનને સંતોષ આપે છે. તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ પદયાત્રાનું છે. પ્રાચીનકાળમાં ધાર્મિક લોકો પોતાની મંડળીઓ બનાવી ધર્મપ્રચાર માટે નીકળતા હતા. તેઓ રસ્તામાં ગામેગામ ધર્મનો સંદેશ સંભળાવતા, પડાવનાં સ્થળોએ કથાકીર્તન કરતા, સર્વત્ર ધર્મનિષ્ઠા જગાડતાં આગળ વધતા હતા. આ તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ સર્વસાધારણને સમજાવવું જોઈએ, જેથી ધર્મગ્રંથોમાં એ માટે ગવાયેલો મહિમા, મહત્ત્વ અને તેના આધારે મળતાં સત્પરિણામોથી લોકો માહિતગાર થાય.
પ્રત્યેક તીર્થયાત્રીને સ્વાસ્થ્યસુધાર, જ્ઞાનવૃદ્ધિ, પરિચય, અનુભવ અને ઉદાર દૃષ્ટિકોણના પાંચ વ્યક્તિગત લાભ મળી શકે છે.
બધા પ્રશ્નો, અભાવો અને મુશ્કેલીઓનું કારણ મનુષ્યનું ભાવનાત્મક પતન છે. ભૌતિક સમૃદ્ધિ વધારવાની સાથે સાથે દૃષ્ટિકોણને શુદ્ધ કરવો ખૂબ જ જરૂરી છે. જનમાનસના શુદ્ધિકરણ માટે સંપૂર્ણ મનોયોગથી જોડાવું એ માનવતાની સૌથી મોટી સેવા છે. આપણી તીર્થયાત્રાઓ આ હેતુ સિદ્ધ કરશે. એ યાદ રાખવું જોઈએ કે તીર્થયાત્રા દરમ્યાન જેની સાથે પણ સંપર્ક થાય તેની સદ્ભાવનાઓને જગાડીને સત્પ્રવૃત્તિઓમાં જોતરવાની છે. આપણી આ સત્પ્રવૃત્તિ વધારવાના કાર્યક્રમમાંહાલ ૨૦ સૂત્રો છેઃ
ક્રિયાપરકઃ
(૧) સાક્ષરતાના વિકાસ માટે પ્રૌઢશાળાઓ, રાત્રિ પાઠશાળાઓ (૨) મહિલા જાગૃતિ માટે ત્રીજા પહોરની પાઠશાળાઓ (૩) સ્વાસ્થ્ય સંવર્ધન માટે વ્યાયામશાળાઓ (૪) વૃક્ષારોપણ (૫) શાકવાટિકાઓ (૬) સ્વચ્છતા અભિયાન (૭)
ગૃહઉદ્યોગોનું પ્રચલન (૮) સામૂહિક શ્રમદાન (૯) પરિવાર નિયોજન (૧૦) સહકારિતાના વિકાસના પ્રયત્નો
વિચારપરકઃ
દીવાલો પર સાક્ય લેખન (૨) સાહિત્યનાં પુસ્તકાલયોની સ્થાપના (૩) બાળલગ્ન, કજોડાં, લગ્નોમાં થતો અતિ ખર્ચ અને દહેજનો વિરોધ (૪) બારમું મૃત્યુભોજન, મોટી પાર્ટીઓ, લાજપ્રથા, શિક્ષણનો વ્યવસાય, અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓનો ત્યાગ (૫) ભૂતપલીત, નસીબ, મુહૂર્ત, શુકન, ટોણાટુચકા જેવા અંધવિશ્વાસનું નિવારણ (૯) નશાખોરી, માંસાહાર જેવી કુટેવોનો ત્યાગ (૭) જુગાર, લાંચરુશવત, ઠગાઈ, નફાખોરી, કામચોરી, ગુંડીગીરી જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓનો ત્યાગ, અસહયોગ અને વિરોધ (૮) રાત્રે પ્રેરણાદાયી પ્રવચન અને સભાઓનું આયોજન (૧૦) પર્વતહેવારોના સામૂહિક રૂપની પરંપરા સ્થાપિત કરીને વ્યક્તિ, પરિવાર અને સમાજના નવનિર્માણની પ્રેરણા ફેલાવવાની વ્યવસ્થા.
આપણા નૈષ્ઠિક પરિજનોએ એ વાત ખૂબ સ્પષ્ટ રીતે હૃદયંગમ કરી લેવી જોઈએ કે યુગઋષિની ગાયત્રી શક્તિપીઠ યોજના આ યુગની મહાક્રાંતિનું એક મહત્ત્વપૂર્ણ એકમ છે. જ્યાં પણ લોકોએ તેમના પ્રત્યેની શ્રદ્ધાને લીધે શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠોની સ્થાપના કરી છે તેમણે તેમને શક્ય એટલી જલદી પૂજ્ય ગુરુદેવના નિર્દેશ અનુસાર પ્રામાણિક સ્તર સુધી પહોંચાડવી જોઈએ.

૧૬. યુગને અનુરૂપ બ્રાહ્મણપરંપરા

યુગને અનુરૂપ બ્રાહ્મણપરંપરા
પૂજ્ય ગુરુદેવે આ પરંપરાને ફરીવાર જીવિત કરવાની વાત કહી છે. ‘તીર્થસેવનથી આત્મશુદ્ધિ’ પુસ્તકના પાન ૯૫-૯૬ પર તેમણે લખ્યું છે :
“બ્રાહ્મણપરંપરાના પરિપોષણને અનાદિકાળથી ઉચ્ચ શ્રેણીનો પરમાર્થ માનવામાં આવે અને અનંતકાળ સુધી મનાતો રહેશે, ઉપયોગિતાની દૃષ્ટિએ આનાથી ચડિયાતું, શ્રેયસ્કર પુણ્યનું કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે. આમાં એક જ કમી છે કે દાતાનો લાંબા ગાળા સુધી ઢંઢેરો પીટનારું કોઈ સ્મારક નથી બનતું. જેમનું મન આ બાલક્રીડાથી લલચાતું ના હોય તેમના માટે બ્રાહ્મણત્વનું પોષણ કરવા જેવું બીજું કોઈ દાનપુણ્ય નથી. યોગ્ય વ્યક્તિઓ જ ઇચ્છિત હેતુ પૂરો કરી શકે છે. ધર્મધારણાના વિસ્તારમાં ચોક્કસપણે બ્રાહ્મણ કક્ષાની પ્રતિભાઓ જ સફળ થાય છે.


બ્રાહ્મણત્વ ઓછું તો થયું છે, પણ સાવ નષ્ટ નથી થયું. કુપાત્રોએ દાનદક્ષિણા બાબતે અશ્રદ્ધાનું વાતાવરણ જરૂર બનાવ્યું છે, છતાં એ શાશ્વત સત્ય અને સનાતન તથ્ય આજે પણ એવું ને એવું જ છે. લોકસેવીઓનો, ખાસ કરીને ધર્મક્ષેત્રના માળીઓ અને ચોકીદારોના નિર્વાહ તથા નિભાવની વ્યવસ્થા કરનારી અંતઃશ્રદ્ધાને, દાનદક્ષિણાને જીવંત જ રાખવી જોઈએ. એ મૃતપ્રાયઃ બને તે પહેલાં સંભાળી લેવું જોઈએ.
નવયુગને અનુરૂપ નવી બ્રાહ્મણપરંપરાને જન્મ આપવામાં આવ્યો છે. આ તથ્ય આંખો સામે જ છે. સર્જનશિલ્પીઓની એક વિરાટ ધર્મવાહિની યુગાંતરીય ચેતના દ્વારા લોકમાનસમાં પ્રકાશ ભરવા શ્રમશીલ કર્મનિષ્ઠોની જેમ આગલા મોરચે લડી રહી છે. નૈતિક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિની લાલ મશાલ લઈ દૂષણોને ઉખેડી નાખવા કામે લાગેલી છે. અનૈતિકતા, અંધવિશ્વાસ તથા કુરિવાજોની જાળને કાપવા ભગવાન પરશુરામ જેવો તેમનો કુહાડો અવિરત ગતિએ ફરતો જોઈ શકાય છે. ‘આપણે બદલાઈશું, યુગ બદલાશે’ નો ઉદ્ઘોષ આકાશને ગજવીને વિશ્વવ્યાપી બની રહ્યો છે.
આ ધર્મવાહિનીનું બીજું કાર્ય સત્પ્રવૃત્તિઓ વધારવાનું છે. વ્યક્તિનિર્માણ, પરિવારનિર્માણ અને સમાજનિર્માણની દૃષ્ટિએ પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક સત્પ્રવૃત્તિઓનો અભિનવ પ્રવાહ વહી રહ્યો છે, જેને ભગીરથ દ્વારા ગંગાવતરણના જેવું જ પુનરાવર્તન કહી શકાય. એક કાળે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણની વાતને દિવાસ્વપ્ન ગણવામાં આવતું હતું. હવે જ્યારે સૃજનચેતના મત્યાવતારની જેમ વ્યાપક બની છે, આંધીતોફાનની જેમ ગગનચુંબી બની છે તે જોતાં એ ઉદ્ઘોષને, મહાકાલના સંકલ્પને સુનિશ્ચિત ભવિષ્યના રૂપમાં જોઈ તથા સમજી શકાય છે. આ પ્રગતિ કઈ રીતે શક્ય બની ? એનો એકમાત્ર જવાબ એ હોઈ શકે કે નિષ્ઠાવાન યુગશિલ્પીઓ આ પ્રયોજનમાં સંપૂર્ણ મનોયોગથી જોડાયા છે અને અશક્યને શક્ય બનાવી રહ્યા છે. એ બધાને સાચા અર્થમાં બ્રાહ્મણપરંપરાના વારસદારો માની શકાય છે.
પ્રશ્ન અને સમાધાન હજુ પણ એ જ કેન્દ્ર પર આવીને ઊભું છે, જે પ્રાચીનકાળમાં પણ હતું. બ્રાહ્મણના નિભાવની વ્યવસ્થા તે સમયે સર્વોચ્ચ સ્તરના પુણ્યનું કામ ગણાતી હતી. આજે ફરીવાર એને જાગૃત કરવાની છે. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એ બરાબર છે, પણ અનુભવથી ખબર પડે કે છાશ ઠંડી જ હોય છે, તેથી તેને ફૂંક મારવાની જરૂર નથી. યુગશિલ્પીઓનું બ્રાહ્મણત્વ જો નિર્વિવાદ સાબિત થતું હોય તો દાનપુણ્યના ઝરણાનો સદુપયોગ એ બાગને સીંચવામાં થવો જોઈએ.
તીર્થોમાં દાનપુણ્યની પરંપરા અનાદિકાળથી ચાલે છે. આમ તો આ પ્રક્રિયાને હંમેશાં ધર્મધારણાનું અભિન્ન અંગ જ માનવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક તે પૂરી પણ કરવામાં આવે છે, પણ સામાન્ય જગ્યા કરતાં તીર્થસ્થળમાં તેનું વિશેષ મહત્ત્વ, વિશેષ પુણ્ય શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, તે અકારણ નથી. એની પાછળ પણ તથ્ય છે. તીર્થના ઋષિઆશ્રમો ધર્મધારણાની શક્તિ પેદા કરી તેને ફેલાવનારાં વીજળીઘર જેવા હતા. તે વિશાળ ક્ષેત્રમાં શક્તિધારા મોકલી લોકોના અભાવોની પૂર્તિ પણ કરતા હતા. તેમને વિશાળકાય બંધો (જળાશયો) ની ઉપમા આપી શકાય કે જેમાંથી અનેક નહેરો નીકળે છે અને વ્યાપક ક્ષેત્રમાં સિંચાઈનું કામ કરે છે.
શક્તિપીઠો પર પૂજ્ય ગુરુદેવની આશા પ્રમાણેના બ્રાહ્મણત્વ ધરાવનારા લોકસેવકો નીમીએ એ આપણા બધાંનું પવિત્ર કર્તવ્ય છે.

૧૫. બ્રાહ્મણત્વના વિકાસની જરૂર છે.

બ્રાહ્મણત્વના વિકાસની જરૂર છે.
સમયની માગ છે કે સમાજમાં જાગૃત વિભિન્ન દિશાધારાઓને લોકહિતમાં જોડવામાં જે બ્રાહ્મણત્વની ખોટ પડી છે તે કુશળતાપૂર્વક અને તાત્કાલિક પૂરવી જોઈએ. સ્વામી વિવેકાનંદે આ જ અપીલ કરી હતી અને પૂ. ગુરુદેવનો જીવંત પુરુષાર્થ સતત આ દિશામાં પૂરી નિષ્ઠાથી જોડાયેલો રહ્યો.


વાત ૧૯૫૪ – ૫૫ની આસપાસની છે. પૂ. ગુરુદેવ કોઈ ક્ષેત્રીય આયોજનમાં જઈ રહ્યા હતા. ઝાંસી સ્ટેશને ગાડી બદલવામાં થોડાક કલાકનો સમય મળ્યો. ત્યાં સહજ વાતચીતમાં પૂ. ગુરુદેવે કહ્યું :
“આપણું સંગઠન બ્રાહ્મણોનું સંગઠન છે. સમાજને સાચી દિશા બતાવવાનું કામ બ્રાહ્મણોનું છે. એ બ્રાહ્મણ (બ્રાહ્મણત્વ) મરી ગયો, તેના લીધે સમાજની આ દુર્દશા છે. આપણો પ્રયત્ન તેને ફરીવાર જાગૃત, સક્રિય અને પ્રતિષ્ઠિત કરવાનો છે. જેવી રીતે કોઈ દુકાનદારનાં બાળકો સમર્થ તથા સમજણા થાય તે પહેલાં જો દુકાનદાર મરી જાય તો તેનો ધંધો ખતમ થઈ જાય છે. બાળકો સમજદાર થતાં પોતાની શક્તિ અને કુશળતા પ્રમાણે નાનોમોટો ધંધો કરી લે છે એવું આપણે બ્રાહ્મણત્વને જાગૃત કરવા બાબતે કર્યું છે. આશા રાખીએ છીએ કે પરિપક્વતા અને અનુભવ વધતાં બાળકોનો ધંધો વિકસશે. ધીમે ધીમે બ્રાહ્મણત્વ એટલું વિકસાવીશું કે તે સમાજને સાચી દિશા અને પ્રેરણા આપી શકે.’
તેમના આ પ્રયત્નથી અત્યાર સુધી જે સફળતાઓ મળી છે તેને આ યુગમાં અસાધારણ તથા અનુપમ જ કહી શકાય. જીવનમાં બ્રાહ્મણત્વનો વિકાસ કરવાની ગાયત્રી વિદ્યા અને યજ્ઞવિજ્ઞાન આજે ભેદભાવ વિના સામાન્ય લોકો માટે સુલભ બન્યાં છે. સમાજના દરેક વર્ગમાં ધર્મતંત્રથી લોકશિક્ષણનું કામ કરનારા પુરોહિતો બનાવવાનો ક્રમ ચાલુ છે. લગભગ લુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં જતી રહેલી સંસ્કાર પરંપરા આળસ મરડીને બેઠી થઈ છે. જે મહિલાઓને ધર્મસંસ્કૃતિના અલગ અલગ અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી તે આજે કોઈ ખચકાટ વિના સંસ્કાર પરંપરાને આગળ વધારવાની જવાબદારી ઉઠાવી રહી છે. સમાજના દરેક વર્ગમાં ભગવાન તથા યુગઋષિની સાથે ભાગીદારી માટે સમય અને સાધનોનો એક અંશ કાઢનારા યુગસાધકોની સંખ્યા અને ક્ષમતા ધીમે ધીમે વિકસિત થતી જાય છે.
આ બધી સિદ્ધિઓ પ્રશંસાપાત્ર અને અનોખી છે, છતાં તે પૂરતી નથી. અત્યાર સુધીનાં બંધ બારણાં હજુ માત્ર ખૂલ્યાં જ છે, બંધ ૨સ્તો માત્ર ખુલ્લો જ થયો છે, અંતિમ ધ્યેય સુધી પહોંચવા ઘણું બધું કરવાનું બાકી છે. હજુ તો બ્રાહ્મણત્વનાં જીવંત સૂત્રોનો સમાજને માત્ર પરિચય મળ્યો છે. તેમને એટલાં પ્રખર અને સક્ષમ બનાવવાનાં છે કે સમાજમાં યુગનિર્માણ માટે પ્રતિભાઓનું યોગ્ય નિયોજન સ્વાભાવિક રીતે થતું રહે. યુગઋષિ સાથે આપણે જેટલો સંબંધ છે, ભાવનાત્મક જોડાણ છે તેના આધારે આ પ્રક્રિયા આગળ વધારી સર્જનના પડકારોને ઝીલી યોગ્ય બ્રાહ્મણત્વ વિકસાવવાની જવાબદારી માથે આવવાની છે. આપણે પાછા ન પડવું જોઈએ.
દિવ્ય અવતરણનું માધ્યમ બનો :
યુગઋષિએ પોતાના અવતરણનું લક્ષ્ય યુગનિર્માણની ઈશ્વરીય યોજનાને સાકાર કરવાનું બતાવ્યું છે. ‘મારું વિલ અને વારસો’માં તેમણે લખ્યું છે કે આ મહાન યોજના સાકાર કરવા ઋષિતંત્ર સંકલ્પિત અને સક્રિય છે. હિમાલયયાત્રા દરમિયાન પૂજ્ય ગુરુદેવે ઋષિઓને એ આશ્વાસન આપ્યું હતું કે સૂક્ષ્મ પ્રવાહને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા તેઓ સુયોગ્ય સમર્પિત વ્યક્તિત્વો તૈયાર કરશે. ઈશ્વરીય પ્રવાહ અને ઋષિઓના તપપ્રયોગોના સંયુક્ત પ્રભાવથી તે વ્યવસ્થા સૂક્ષ્મ જગતમાં બની ચૂકી છે. હવે તેને માત્ર જીવનમાં ઉતારવાની જ છે. ઉચ્ચ સ્તરના પ્રાણસંપન્ન લોકો જ આ માટે યોગ્ય માધ્યમ બની શકે છે. આવાં વ્યક્તિત્વો તૈયાર કરવા જ તેમણે પ્રાણ અને તપનાં વરદાન ખુલ્લે હાથે વહેંચ્યાં. જેમના માટે આ બધું કર્યું, તેમની પાસે કેટલીક અપેક્ષાઓ છે. તેઓ લખે છે :
“યુગપરિવર્તનમાં જે સતયુગના અવતરણનું લક્ષ્ય છે તેને તમે સર્વપ્રથમ આત્મસત્તામાં ધારણ કરો. એક પ્રજ્વલિત દીપક અસંખ્ય દીપકોને પ્રગટાવી શકે છે એ કથન પર વિશ્વાસ કરો. પોતે બદલાઓ, પ્રવાહને બદલો અને પરાક્રમી યુગપ્રવર્તકોની આગલી હરોળમાં ઊભા રહો. આ જ સમયની માંગ અને આત્માનો પોકાર છે, જેની કોઈ પણ પ્રાણવાન અવગણના ન કરે. (પ્રજ્ઞા અભિયાનનું સ્વરૂપ અને કાર્યક્રમ પાન – ૨૩)”
યુગઋષિની કાર્યયોજના સાવ સ્પષ્ટ છે. તેમણે યુગનિર્માણ પરિવારમાં પ્રાણવાનોને એકત્ર અને વિકસિત કર્યા છે. જો તે પરિજનો પ્રાણવાન ન હોત તો હજારો વર્ષોથી પ્રતિબંધિત ગાયત્રી અને યજ્ઞને જનસુલભ બનાવવાનો મોરચો કઈ રીતે જીત્યા હોત, પરંતુ હવે આગળનું કામ આના કરતાં વધારે મોટું છે. પ્રત્યેક વ્યક્તિ નવયુગના અવતરણ માટે એક અગ્રગામી માધ્યમના રૂપમાં તૈયાર થાય. એ પરિવર્તનનો ક્રમ પ્રશંસાપાત્ર ભાષણોથી નહિ, પણ અપનાવવા યોગ્ય આદર્શોભર્યું જીવન જીવવાથી ગતિશીલ થશે. આ માટે તેમણે ઉપરનું આહ્વાન કર્યું છે. સ્પષ્ટ છે કે આ પાત્રતા બ્રાહ્મણોચિત જીવન, સાદું જીવન તથા ઉત્કૃષ્ટ આદર્શોના પાલનથી જ વિકસિત થશે.
તેમણે પોતાના પ્રત્યેક પરિજનને કહ્યું છે કે તેઓ પોતાનો સમય, પ્રભાવ, જ્ઞાન તથા પુરુષાર્થનો એક અંશ નિયમિતરૂપે નવસર્જન માટે ખર્ચતા રહે. શરૂઆત થોડાથી થાય, પણ ધીમે ધીમે અંશદાન વધારવું જોઈએ. જો સર્જનશિલ્પી પોતાની અને કુટુંબની જરૂરિયાતો ઓછી રાખે તો જ આ શક્ય બને. જો જરૂરિયાતો વધારે હશે તો લોકમંગલ માટે આપવા સાવ થોડું જ બચશે. તેઓ લખે છે :
“યુગનિર્માણ પરિવારના પ્રત્યેક પરિજને આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને જોવું જોઈએ કે સરેરાશ ભારતીય નાગરિક કરતાં તેઓ પોતાના માટે વધારે ખર્ચ તો નથી કરતા ને ? જો વધારે ખર્ચ કરતા હોય તો આત્માનો, ન્યાયનો અને કર્તવ્યનો પોકાર સાંભળીને એ વધારાના ખર્ચને તત્કાલ ઘટાડવો જોઈએ.’’(વાંડ્મય ૬૬ પાન ૧.૩૨)
પૂજ્યવર સ્પષ્ટ કહે છે કે આપણે પરિજન હોવાને લીધે આ ઓછામાં ઓછી શરતો પૂરી કરીએ તે પૂરતું નથી. આપણામાં અગ્રદૂતોની જેમ વધુને વધુ કામ કરવાનો ઉમંગ હોવો જોઈએ. એ માટે આત્મસમીક્ષા કરો. ત્રણ અવાજ સાંભળો. આત્માનો, ન્યાયનો અને જવાબદારીનો.
આત્માનો અવાજ : આપણે આત્મિક રીતે ઋષિતંત્ર સાથે જોડાયેલા છીએ. કટોકટીના સમયે આપણે પૂરા મનોયોગથી પ્રયત્ન કરતા નથી. તે આત્મા કઈ રીતે સહન કરશે ? આમકરવાથી આપણું આત્મબળ નબળું જ રહેશે.
ન્યાયનો અવાજ ઈશ્વર ન્યાય કરનારો છે. ન્યાય કહે છે કે જે સરેરાશથી વધારે વાપરે છે તે બીજાનો હક હડપ કરી જવાનો ગુનો કરે છે. જો આપણે ન્યાયને સમજીએ નહિ, તો ન્યાય કરીશું કઈ રીતે ?
જવાબદારીનો અવાજ: આપણે સર્જનસૈનિક છીએ. આપણે યુગઋષિને આપણા બ્રહ્મવર્ચને જગાડવાનું વચન આપ્યું હતું. આપણું કર્તવ્ય છે કે આપણે ઓછામાં ઓછું વાપરી વધારેમાં વધારે યુગસર્જન માટે, યુગધર્મ માટે, કટોકટી માટે, યુગની જવાબદારીઓ નિભાવવા માટે વાપરીએ.
તેમનું અનુશાસન માનો, તેમને દુઃખી ન કરો :
તેમણે વારંવાર કહ્યું છે કે આપણે આ સમયમાં આવ્યા જ છીએ તે અકારણ નથી આવ્યા. કેટલીક વિશેષ જવાબદારીઓ છે, જેમનું પાલન આપણે કરવું જ જોઈએ. જેઓ પોતાની મહાન જવાબદારીઓને ભૂલી જાય છે, સુખસગવડ મેળવવામાં તથા અહંકાર બતાવવામાં સમય વેડફી દે છે તેઓ બાળકો જેવી અણઘડ હરકતો કરે છે. પૂ. ગુરુદેવ કહે છે :
“આપણો કાફલો વરિષ્ઠો, વિશેષજ્ઞો અને વિશિષ્ટ લોકોનો છે. તેમને બાળકો જેવી હરકતો કરતા જોઈએ તો સ્વાભાવિક જ ઊંડી ચિંતા થાય. ચિંતાનું કારણ તેમની પોતાની અવગણના સુધી મર્યાદિત નથી, પણ તેમની સાથે જોડાયેલી જવાબદારીઓનો પણ પ્રશ્ન છે કે જે જીવનમરણ બનીને માનવના અસ્તિત્વ અને ભવિષ્યની ગરદન પર તલવાર બનીને લટકે છે. વરિષ્ઠો લોકોનું જો પતન થશે તો પછી બચશે શું ? (મહાકાલ અને તેની યુગપ્રત્યાવર્તન પ્રક્રિયા)
આ મહત્ત્વપૂર્ણ સમયમાં જેમણે આળસુ બનીને પડી રહેવું હોય તે પડ્યા રહે, પરંતુ જાગૃત આત્માઓ યુગઋષિ સાથે આત્માથી જોડાયેલા છે તેમને આ છોકરમત શોભતી નથી. તેમને ગમે ત્યાં અટવાતા તથા ભટકતા જોઈને યુગઋષિને ચિંતા થાય છે. તેઓ જોઈ રહ્યા છે.

  • કેટલાક લોકો જપ, પૂજા, કર્મકાંડ વગેરે તો કરે છે, પણ જીવનમાં બ્રાહ્મણોચિત સાદગી, વિનમ્રતા તથા આદર્શનિષ્ઠા તરફ ધ્યાન નથી આપતા. કેટલાક લોકો વક્તા તો બની ગયા, ઉપાસનાનાં કર્મકાંડ પણ કરી લે છે, પણ જીવનસાધના, નિરહંકારિતા, ‘વડીલોની સલાહ લો, નાનાંને સન્માન આપો’ ની પ્રવૃત્તિથી દૂર છે.
  • પૈસાના મદમાં કેટલાકપોતાની જરૂરિયાતો સરેરાશ ભારતીય સ્તરની રાખતા નથી, તો કેટલાક મહેનત મજૂરી કરી સાદગીથી રહીને જેવા ધનસંપન્ન બને છે કે તરત બધું ભૂલી જાય છે.
    પૂ. ગુરુદેવ આ બધી હરકતોને છોકરમત ગણાવે છે. આ ગુમરાહ થવાનું મૂળ કારણ પોતાની ગરિમાને ભૂલી જવી તે જ છે. એનાથી તેમને ચિંતા તથા દુ:ખ થાય છે. એનાથી તેમને ચિંતા પણ થાય છે અને દુઃખ પણ થાય છે. તેઓ લખે છે :
    “પરિજનો ! તમે આપણી વંશપરંપરાને સમજો. જો મને ખબર પડશે કે તમે મારી પરંપરા નિભાવી નથી, પોતાના સ્વાર્થી તાણાવાણા વણવાના શરૂ કર્યા છે, પોતાનો વ્યક્તિગત અહંકાર, વ્યક્તિગત યશકામના, વ્યક્તિગત ધનસંગ્રહ, સગવડોના સંગ્રહની શૃંખલા શરૂ કરી દીધી છે, વ્યક્તિગત રૂપે મોટા માણસ બનવાનું શરૂ કરી દીધું છે તો મારી આંખમાંથી આંસુ ટપકશે અને તે આંસુ આપને ચેન નહિ પડવા દે. આપને હેરાન કરી દેશે.” (સંદેશ – માર્ચ ૨૫,૧૯૮૭)
    આપણે તેમને દુઃખી કરીશું તો ઘણી મોટી ખોટ જશે. કેટલાય જન્મોના પુરુષાર્થ પર પાણી ફરી વળશે. આપણે તેવું થવા નહિ દઈએ. ઊંડી આત્મસમીક્ષા કરો, જ્યાં ભૂલ દેખાય ત્યાં પ્રાયશ્ચિત્ત કરો, નવા ઉત્સાહથી યુગધર્મમાં જોડાઈ જાવ. બહાનાં ના કાઢો. એમના પ્રેરણાપ્રવાહને જીવનમાં ધારણ કરો, પ્રામાણિકતાથી બ્રાહ્મણત્વ વિકસાવવા પ્રયત્ન કરો. ગુરુકૃપાથી ઉચ્ચ સ્તરનું સૌભાગ્ય તથા સિદ્ધિઓનું વરદાન સ્વાભાવિક રીતે જ મળી રહેશે.

૧૪. સમયબદ્ધ લક્ષ્ય બનાવીને ચાલો

સમયબદ્ધ લક્ષ્ય બનાવીને ચાલો
યુગસંધિ મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિ સાથે જ એકવીસમી સદીમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવા દેવપરિવાર, યુગનિર્માણ પરિવાર કે ગાયત્રી પરિવારને સુસંગઠિત કરી પ્રત્યેકને ચોક્કસ જવાબદારી સોંપવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે. સમજદાર તથા ઈમાનદાર પરિજનોએ થોડાક સમયમાં જ જવાબદારી સ્વીકારીને બહાદુરી સાથે આગળ વધવાનો પ્રશંસાપાત્ર ઉત્સાહ બનાવ્યો છે. ઘણી જગ્યાએ આનાં શુભ પરિણામ પ્રત્યક્ષ આવી રહ્યા છે.

શક્તિપીઠ અભિયાનના રજતજયંતી કાર્યક્રમોને શાનદાર રીતે લાગુ કરવાની આશા આવા પ્રાણવાન પરિજનોવાળા એકમો પાસે રાખી શકાય છે. એવો વિશ્વાસ છે કે નિષ્ઠાવાન પરિજનોનો પુરુષાર્થ અને દિવ્ય ઋષિતંત્રનાં અદ્ભુત વરદાનોનો સંયોગ એવાં શાનદાર પરિણામો લાવશે, જેના માટે ગર્વ થઈ શકે.
જેમની પાસે આ પહેલની આશા રાખવામાં આવે છે તેઓ છે :

  • જ્યાં સંગઠનનાં ઝોનલ અને ઉપઝોનલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે તેવી તમામ શક્તિપીઠો,
  • જિલ્લાની મુખ્ય શક્તિપીઠ અથવા અલગ અલગ સ્થળોએ આવેલી જીવંત શક્તિપીઠો તથા પ્રજ્ઞાકેન્દ્રો, જેમણે જિલ્લાના નક્કી કરેલા ક્ષેત્રમાં નવસર્જન અભિયાન ચલાવવાની જવાબદારી ઉઠાવી છે.
    આ બધાં જાગૃત એકમોની સંયુકત સમન્વય સમિતિને એ જવાબદારી સોંપવામાં આવી છે કે પોતાના ક્ષેત્રમાં આવેલી ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, ગાયત્રી મંદિરો, પ્રજ્ઞાકેન્દ્રો તમામને અગાઉનાં વર્ષો કરતાં વધારે પ્રામાણિક, વ્યવસ્થિત અને સમર્થ બનાવવા માટે સંકલ્પ લે. આ પુણ્ય પ્રયાસમાં મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ, હરિદ્વારનાં સમર્થ અંગ અવયવોની ભૂમિકા નિભાવીને ગૌરવ પ્રાપ્ત કરવું જોઈએ.
    આ સંદર્ભે જવાબદારીઓનાં મુખ્ય બે પાસાં હશે :
    (૧) પોતાના કેન્દ્ર/પીઠને અપેક્ષા કરતાં વધારે સમર્થ અને પ્રભાવશાળી બનાવવી.
    (૨) પોતાના ક્ષેત્રમાં આવેલી શક્તિપીઠોને વ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવવા માટે યોજનાબદ્ધ પ્રયત્ન કરવો.
    આ બંને પ્રકારની ધારાઓ માટે ટાળીઓ બનાવીને જવાબદારી વહેંચી કામની શુભ શરૂઆત કરવી જોઈએ.
    સ્થાનિક
    પોતાના કેન્દ્ર/પીઠના નીચેના ચાર વિભાગો માટે પ્રગતિનાં લક્ષ્ય નક્કી કરો –
    (ક) કાનૂની તંત્ર અને અર્થવ્યવસ્થાને વધારે પારદર્શી અને પ્રામાણિક બનાવો.
    (ખ) પીઠ/કેન્દ્રને જનશ્રદ્ધાનું, આધ્યાત્મિક ઊર્જાસંપન્ન કેન્દ્ર બનાવવા અંગે.
    (ગ) સંગઠનને વધારે શિસ્તવાળું તથા પ્રભાવશાળી બનાવવા માટે, પરિજનોની સંખ્યા અને ગુણવત્તા વધારવા બાબતે
    (ઘ) લોકહિતનાં આંદોલનોને આગળ વધારવા માટે આપણા તથા આપણા જેવા વિચારવાળાં બીજાં સંગઠનોના સહકારથી આગળ વધવાનાં બીજાં ચરણોના સંદર્ભમાં હાલની પરિસ્થિતિ કરતાં વધુ પ્રગતિ કરવા માટે આગળની યોજના બનાવી તેને લાગુ કરવી.
    *ક્ષેત્રીય
    પોતાને લાગતાવળગતા ક્ષેત્રમાં જ્યાં પહેલેથી ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞામંદિર કે પ્રજ્ઞાકેન્દ્ર હોય તેનું સર્વેક્ષણ કરવું :
    (૧) તે ક્યાં આવેલાં છે ? (૨) તેમની કાયદાકીય સ્થિતિ કેવી છે ? (૩) તેમની સાથે જોડાયેલ જવાબદાર વ્યક્તિઓ કોણ કોણ છે ? (૪) તેમને યુગઋષિના આદેશ અનુસાર અદા કરવાની જવાબદારીઓનું કેટલું ભાન છે ? (૫) વિકાસ માટે આગળ જે પગલાં ભરવાનાં છે તેના માટે તેમનામાં ઉત્સાહ અને તાકાતનું સ્તર કેવું છે ? (૬) ઇચ્છિત પ્રગતિ માટે પહેલા ચરણની જરૂરિયાતો કઈ છે ?

  • આ બંને સ્થાનિક અને ક્ષેત્રીય જવાબદારીઓનું સર્વેક્ષણ તથા અન્ય બાબતો પહેલેથી નક્કી કરી લેવી જોઈએ. આ પુણ્યકાર્યને અનુષ્ઠાન માની એ પૂરું થાય ત્યાં સુધી કોઈ વિશેષ તપનો નિયમ લેવો તે લાભદાયક રહેશે.
    તબક્કાવાર પ્રગતિ કરતા રહો
    આ સમયગાળામાં સર્વેક્ષણની પ્રામાણિક ક્રિયા પૂરી કરી સ્થાનિક અને ક્ષેત્રીય પીઠો, કેન્દ્રો માટે પ્રગતિની યોજનાબદ્ધ પ્રવૃત્તિઓ શરૂ કરો. સમયબદ્ધ કાર્યયોજના પ્રમાણે નાનાં નાનાં લક્ષ્ય બનાવી તેમને સિદ્ધ કરતાં આગળ વધો.
    સ્થાનિક સમર્થ પીઠો સાથે જોડાયેલા પરિજનોએ મિશનની પત્રિકાઓના ગ્રાહકો, દેવસ્થાપના કરાયેલાં ઘરો, નિયમિત ઉપાસકો, સમયદાનીઓ, અંશદાનીઓ વગેરેની સંખ્યા એક વર્ષમાં દોઢ ગણીથી બમણી કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
    ઉપરનાં કેન્દ્રો પર સાધનાસત્રો અને સમયદાનીઓનાં તાલીમસત્રો ચલાવવાં જોઈએ. આ સત્રો એક-બે કલાકવાળાં અથવા ૩ થી ૭ દિવસની ટૂંકી અવધિનાં હોય, ભલે આવાં સત્ર મહિનામાં એકાદવાર જ ચાલે, પરંતુ તેમનું ગરિમામય સંચાલન વ્યવસ્થિત તથા નિયમબદ્ધ ચાલવું જોઈએ.
    કેન્દ્ર પર પ્રચારકો, વક્તાઓ, પ્રશિક્ષકો, યોજના ઘડનારા અને બધાંનું આયોજન કરનારાઓની યોગ્યતા અને સંખ્યા વધારવાનો પ્રયત્ન ચાલતો રહેવો જોઈએ. યુગનિર્માણ માટે ક્ષેત્રની ભૂખ સંતોષવા એમની સંખ્યા વધારવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આગામી દિવસોમાં જ્યારે આંદોલન વેગ પકડશે, ગામ સફાઈ અને આપત્તિ પ્રબંધન જેવાં આયોજનો હાથમાં લેવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં શ્રમયજ્ઞ માટે સેવાભાવીઓ અને વિશેષજ્ઞોની જરૂર પડશે.
    ક્ષેત્રીય પીઠો યા કેન્દ્રો માટે સંકલ્પપૂર્વક આગળ વધો. મિશનરી ભાવનાવાળા કોઈ પણ પૂરા સમયના સમયદાની અથવા માનદ વેતન આપી ઓછામાં ઓછો એક પરિવ્રાજક વહેલી તકે નિયુક્ત કરવો જોઈએ. એની ભાવના અને યોગ્યતા વધારવાની, તેનું ઘડતર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. ધીમે ધીમે જરૂર પ્રમાણે તેમની સંખ્યા પણ વધારવી જોઈએ. સંબંધિત ટ્રસ્ટીઓ અને જવાબદાર લોકોએ પૂજ્ય ગુરુદેવની યોજનાને અનુરૂપ તેમને કાયદાકીય તથા નૈતિક જવાબદારીઓનું જ્ઞાન આપવા અને તે પ્રમાણે કામ કરવાની પ્રેરણા અને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
    કાયદાકીય વ્યવસ્થામાં પીઠની જમીન અને મકાનની માલિકી ટ્રસ્ટને નામે હોવી, ટ્રસ્ટની નિયમિત બેઠકો, મિનિટ બુક, આવક – ખર્ચના ઓડિટ વગેરેના સંદર્ભમાં પ્રામાણિકતા લાવવી જોઈએ. આ માટે અનુભવી સ્થાનિક વ્યક્તિ ન હોય તો નજીકની કોઈ સમર્થ પીઠના ટ્રસ્ટને આવી વ્યવસ્થા સોંપી શકાય. સ્થાનિક વ્યવસ્થા માટે સ્વતંત્ર સમિતિ બનાવવાથી કામ ચાલી શકશે. આવા પ્રસંગોએ સક્રિય ઝોન કે ઉપઝોન અથવા શાંતિકુંજનો સહયોગ પ્રાપ્ત કરવો પણ જરૂરી છે.
    નૈતિક જવાબદારીઓ અંતર્ગત મંદિર વ્યવસ્થા કે આશ્રમવ્યવસ્થા સાથે તમામ પ્રવૃત્તિઓ યુગઋષિની યોજનાની ગરિમાને છાજે તે રીતે વિકસિત કરવા, ધર્મતંત્રથી લોકશિક્ષણની પ્રવૃત્તિઓ ચલાવવા, નક્કી કરેલાં આંદોલનોમાંથી સાધના આંદોલનની સાથે સાથે એક બે અન્ય આંદોલન હાથમાં લેવા જેવાં તબક્કાવાર લક્ષ્ય રાખવાં જોઈએ.
    આ કાર્યમાં નીચેનાં પુસ્તકોના અભ્યાસથી માર્ગદર્શન મળી રહેશે:
    (૧) સૌના માટે સરળ ઉપાસના – સાધના (૨) જીવનદેવતાની સાધના – આરાધના (૩) લોકસેવીઓ માટે દિશાધારા (૪) સંગઠનની રીતિનીતિ
    શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, પ્રજ્ઞાકેન્દ્રો, સંગઠિત એકમોની સક્રિય અને જવાબદાર વ્યક્તિઓ, ટ્રસ્ટીઓ, સમન્વય સમિતિના સભ્યો વગેરેએ હળીમળીને ઉપરનાં પુસ્તકોનો અભ્યાસ પાઠ્યપુસ્તકોની જેમ કરવો જોઈએ. આમ કરવામાં જે કંઈ મુશ્કેલી આવે તે હલ કરવા ઉપઝોન, ઝોન તથા શાંતિકુંજનો સહયોગ મેળવી શકાય છે.
    આટલું તો બધાં કરે :
    ઉપરની પંક્તિઓમાં સમર્થ કેન્દ્ર દ્વારા પોતાની અને ક્ષેત્રમાં ફેલાયેલી બીજી પીઠોના વિકાસ માટે તબક્કાવાર પ્રક્રિયા નક્કી કરવાની તથા જવાબદારી ઉઠાવવાની વાત કહેવામાં આવી છે. દરેક ક્ષેત્રની પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વિવેકપૂર્વક નિર્ણયો કરવા જોઈએ. રજતજયંતી વર્ષમાં દરેક શક્તિપીઠ / કેન્દ્ર માટે અનિવાર્ય કાર્યસૂચિ આપવામાં આવી રહી છે તે પણ એક સફળ બનાવવાની છે.
  • દરેક પીઠ પર યુગનિર્માણ સત્સંકલ્પનું મોટું બોર્ડ તથા વ્યાખ્યા સહિત લાલ મશાલનું ચિત્ર પરિસરની શોભા અને કદ અનુસાર મહત્ત્વની જગ્યાએ મૂકવાં જોઈએ. આ બંનેને ક્ષેત્રના પ્રત્યેક ઘર અને જન જન સુધી પહોંચાડવાનું અભિયાન ચલાવવું જોઈએ. નાનાં નાનાં લક્ષ્ય નક્કી કરી આગળ વધવું જોઈએ. યુગનિર્માણ સત્સંકલ્પનાં ખિસ્સામાં રાખી શકાય તેવાં રંગીન અને આકર્ષક પોકેટ કાર્ડ બનાવવામાં આવ્યાં છે, જેના પહેલા પાન પર સત્સંકલ્પનું મહત્ત્વ, વચ્ચેનાં બે પાન પર સત્સંકલ્પ અને પાછળના પૂંઠા પર વ્યાખ્યા સાથે મશાલનું ચિત્ર છાપ્યું છે. શાંતિકુંજમાં આ કાર્ડ દસ રૂપિયાનાં ૪૦ લેખે મળે છે. પરિજનોએ આ ફોલ્ડર કાર્ડ પોતાની પાસે રાખવાં જોઈએ અને પોતાના સંપર્કમાં આવનારને તે આપી તેનો લાભ ઉઠાવવા પ્રેરણા આપવી જોઈએ. અલગ અલગ આકારમાં મશાલનાં ચિત્ર પણ મળે છે.
  • પ્રત્યેક પીઠ – કેન્દ્રએ ચારે દિશાઓમાં ઓછાં ઓછા ૧૦ કિ.મિ. વિસ્તારમાં દીવાલો પર સાક્ય લેખનનું વ્યાપક અભિયાન ચલાવવું જોઈએ. વિશેષ રૂપથી મનુષ્યમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ, એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય, ત્રણ નિર્માણ, ત્રણ ક્રાંતિઓ, ચાર મંત્રો વગેરેને મહત્ત્વ આપવું જોઈએ. ક્ષેત્રની પસંદગી પ્રમાણે અન્ય પ્રેરણાદાયી વાક્યો પસંદ કરી શકાય.
  • પ્રત્યેક પીઠના કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછા ૧૦૦૦ નવા સાધકો બનાવી તેમનામાં શ્રદ્ધા જન્માવી સમયદાન, અંશદાન સાથે પીઠના સંપર્કમાં લાવવાનું ધ્યેય રાખવું જોઈએ. નવા જૂના સાધકોને મંડળોના રૂપમાં સંગઠિત કરવામાં આવે. શક્તિપીઠ કે કેન્દ્રની કિંમત તેના મકાન તથા ભભકાથી નહિ, પણ તેની સાથે જોડાયેલ કર્મઠ પરિજનોનાં મંડળો, નવચેતના કેન્દ્રો, સક્રિય સંગઠિત એકમો દ્વારા જ આંકવામાં આવશે.
  • ઉજ્જવળ ભવિષ્યની શક્યતાને સાકાર કરવા અલગ અલગ સ્થળોએ કલાક – બે કલાકના સમયમાં ૨૪૦૦૦ અથવા સવા લાખ ગાયત્રી મંત્ર જપનાં સામૂહિક અનુષ્ઠાન સંકલ્પપૂર્વક કરાવવાં જોઈએ. આવાં આયોજનોની ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
  • ઋષિચેતનાના સૂક્ષ્મ પ્રભાવથી તમામ ધાર્મિક, સામાજિક સંગઠનોના સૂત્રસંચાલકોએ પોતાના અનુયાયીઓએ ગાયત્રી મહામંત્ર જપવા પ્રેરણા આપી છે. એ બધાનો સંપર્ક કરી ગાયત્રી મહામંત્ર જપ કરવાની સરળ વિધિઓ સમજાવવા અમુક જાણકાર પરિજનોને નિયુક્ત કરવા જોઈએ.
  • ક્ષેત્રનાં કેન્દ્રોની આસપાસ અથવા એક કેન્દ્રથી બીજા કેન્દ્ર કે શક્તિપીઠ સુધી સાઈકલ પ્રચારયાત્રાઓ યોજવી જોઈએ. સાંસ્કૃતિક મંડળો, યુવામંડળોના સભ્યોનો ઉપયોગ કરી શકાય છે.
    *દરેક જગ્યાએ શક્તિપીઠોનો પરિચય અને ત્યાંની પ્રવૃત્તિઓ, સગવડો, ત્યાં કરવામાં આવતાં વિધિવિધાનોનાં નાનાં નાનાં પત્રકો, ફોલ્ડર છપાવીને રાખવાં જોઈએ. ક્ષેત્રમાં આનું વિતરણ કરી ઇચ્છુકોને આકર્ષિત કરી શકાય. પીઠ / કેન્દ્ર પર પહોંચવા માટે અનેક જગ્યાએમાર્ગદર્શન આપતા એરો (બાણ) તથા લખાણ મૂકવાં જોઈએ.
    *પરિજન / કાર્યકર્તા સંચાલકગણ પોતાની શક્તિપીઠ / કેન્દ્ર/પ્રજ્ઞાપીઠને દરેક રીતે સમર્થ તથા સશક્ત બનાવવા પોતાના નજીકના ક્ષેત્રમાં દેવપરિવાર બનાવવાનું અભિયાન ચલાવે.
    *દરેક પીઠ પર ક્ષેત્રના પ્રજ્ઞાપરિજનો, ગ્રાહકો, સાધકોનાં નામ, સરનામાં, જન્મદિવસ તથા લગ્નદિવસની નોંધ કરી રાખવી જોઈએ. તેમના જન્મદિન તથા લગ્નદિન પર પોસ્ટકાર્ડ લખી કે ફોન કરીને તેમને શક્તિપીઠ/ કેન્દ્ર પર આવવા આમંત્રણ આપવું જોઈએ. તેઓ આવે કે ન આવે, તો પણ પીઠ કેન્દ્રના નિયમિત યજ્ઞમાં તેમના માટે મંગલ કામના સાથે આહુતિઓ અવશ્ય આપવી જોઈએ.
    આવા નાના નાના નિયમો ઋષિસત્તાનાં અમોઘ સૂત્ર છે. એના ઉપયોગથી શક્તિપીઠ/ કેન્દ્રોની છાપ થોડા જ સમયમાં વધવી શરૂ થશે.
    આ તમામ કાર્યો કરવા લોકસેવાની ભાવનાવાળા નૈષ્ઠિક સાધકોનું સમયદાન જરૂરી છે. સમયબદ્ધ કાર્યયોજનાને તેઓ જ ક્રિયાશીલ કરી શકશે. તેઓ જ અલગ અલગ પ્રતિભાઓને, શક્તિઓને ગુમરાહ થતાં રોકી યુગસર્જન માટે મિશન સાથે જોડી શકશે.
    યુગઋષિ પૂ.ગુરુદેવે ઉપરના વિષયને પોતાનાં વક્તવ્યોમાં અને જીવનમાં ખૂબ જ સ્પષ્ટ કર્યો છે. એમણે સ્પષ્ટ જોયું અને સમજાવ્યું કે આજે ટેકનોલોજીના વિકાસથી શ્રમશક્તિ, અર્થ શક્તિ અને તાકાતમાં ઘણો બધો વધારો થયો છે. ગુણ, કર્મ અને વિભાગ પ્રમાણે આ વિશેષતાઓ શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય વર્ગ દ્વારા વિકસિત કરવાનો નિયમ છે. આ બધી શક્તિઓને વ્યક્તિ, પરિવાર અને સમાજના હિતમાં જોતરી, યોગ્ય ઉપયોગમાં લાવવા આત્મશક્તિના જાગરણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગની જરૂર પડે છે. આ વિશેષતાને જાગૃત અને જીવંત રાખનારાઓને ‘બ્રાહ્મણ’ કહે છે. આજે સમાજના વિકાસમાં મોટામાં મોટો અવરોધ આ બ્રાહ્મણત્વની કમી જ છે. આ વિશેષતા જન્મથી કે જાતિથી નહિ, પણ ગુણ, કર્મની ઉત્કૃષ્ટતાની સાધનાથી વિકસિત કરવાની પરંપરા છે. એટલા માટે યોગીરાજ શ્રીકૃષ્ણ દ્વારા ગીતામાં કહેવામાં આવ્યું છે કે ચાતુર્વર્યં મયા સૃષ્ટ, ગુણકર્મવિભાગશઃ – એટલે કે આ ચારે વર્ણ મારા (૫૨માત્મા) દ્વારા ગુણ-કર્મોના આધાર પર વિકસિત કરવામાં આવ્યા છે.

૧૩. પ્રતિભા વિકસાવવાનો ક્રમ :

પ્રતિભા વિકસાવવાનો ક્રમ :
જયારે પ્રતિભાઓ યુગશક્તિ સાથે જોડાશે ત્યારે યુગપરિવર્તનનું ચક્ર ઝડપી ગતિથી ચાલશે. તેમના વ્યક્તિત્વમાં ઉત્કૃષ્ટતા આવશે. વિચારો અને ભાવનાઓમાં શ્રેષ્ઠ તત્ત્વો વધશે. શ્રેષ્ઠ વ્યક્તિઓના શ્રેષ્ઠ સમૂહો બનશે. તેઓ જીવનનાં, રાષ્ટ્રનાં, વિશ્વનાં વિભિન્ન ક્ષેત્રોમાં “હું” ને બદલે “આપણે બધાં” ના હિતના શ્રેષ્ઠ ભાવ સાથે સક્રિય થશે. શિક્ષણ, ધર્મ, રાજનીતિ, અર્થ, સમાજ વગેરે ક્ષેત્રોમાં યુગશક્તિની પ્રેરણાથી વ્યક્તિગત સ્વાર્થ અને સુખને બદલે સામૂહિક સ્વાર્થ અને સામૂહિક હિતને મહત્ત્વ મળશે. નકારાત્મક કાર્યો છોડી દઈને પ્રતિભાશાળીઓ જો પ્રગતિ તથા સર્જનના માર્ગે આગળ વધશે તો ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ થવામાં વાર નહિ લાગે. “આપણે સુધરીશું – યુગ સુધરશે, આપણે બદલાઈશું – યુગ બદલાશે” નો દિવ્ય ઉદ્ઘોષ દરેક ક્ષેત્રમાં મૂર્તિમંત થતો જણાશે. જુદી જુદી પ્રતિભાવાળા લોકો પોતાની પસંદગી અને સ્વભાવના આધારે સાધના, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, પર્યાવરણ, મહિલાજાગૃતિ, વ્યસનો તથા કુરિવાજોના નિવારણ જેવાં આંદોલનો ધપાવવા આગળ આવશે.

પૂ. ગુરુદેવ કહેતા રહ્યા છે કે નવસર્જનના અભિયાનમાં આ યુગની તમામ પ્રતિભાઓની ભાગીદારી હોવી જોઈએ. જ્યારે પ્રતિભાઓના દિલો-દિમાગમાં યુગચેતનાનો પ્રવાહ ઊતરશે ત્યારે તેઓ નવસર્જનના યજ્ઞમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
શક્તિકેન્દ્રોએ સમર્થ બનવું જોઈએ :
યુગસર્જન માટે દિવ્ય ઊર્જાકેન્દ્રોના રૂપમાં પીઠોની સ્થાપના કરવામાં આવી છે. ઋષિતંત્ર પોતાનાં સમર્થ અનુદાનો સાથે તૈયાર છે, જે કેન્દ્રો પ્રયોજનને પૂરું કરવા માટે શિસ્તમાં રહીને પ્રયત્નો કરશે તેમને અનાયાસ જ આ દિવ્ય અનુદાનો સહજ રીતે મળશે. એમને સમર્થ બનાવવા માટે જરૂરી છે કે

  • એમની સાથે જોડાયેલા પરિજનો સમયનું મહત્ત્વ, યુગશક્તિની ગરિમા અને પોતાના ગૌરવમય કર્તવ્યને સારી રીતે સમજે અને તે માટે પ્રામાણિકતાથી પ્રયત્ન કરે.
  • ગાયત્રીવિદ્યાના સાર્વભૌમ સ્વરૂપને સમજે અને ભેદભાવથી પર રહીને એના વિસ્તાર અને તાલીમની યોજના બનાવે.
  • પ્રત્યેક પીઠ પર સમયદાનીઓની એવી વ્યવસ્થા થાય કે જેથી ત્યાં જનારા લોકોને યુગશક્તિ સાથે જોડાવાની અને યુગસાધનામાં આગળ વધવાની પ્રેરણા સદાય મળતી રહે, એ સાથે શક્તિપીઠોના કાર્યક્ષેત્રમાં ઘેરેઘેર પહોંચી તેના વિસ્તારનો ક્રમ ચલાવવામાં આવે.
  • યુગઋષિએ એ માટે સાધનાવિધિ અને મહત્ત્વ દર્શાવતું અણમોલ સાહિત્ય રચ્યું છે. સાધનાની સફળતા માટે સૂક્ષ્મ જગતમાં અનુકૂળ પ્રવાહ પણ ઊભો કર્યો છે. થોડા પુરુષાર્થથી ખૂબ શ્રેય તથા સૌભાગ્ય મળવાનો સુયોગ પણ તૈયાર છે.
    પ્રત્યેક પીઠના પ્રાણવાન અને જવાબદાર પરિજનોએ નવા યુગસાધકો બનાવવાનો અને જૂનાને દઢ અને પ્રભાવશાળી બનાવવાનું અભિયાન શરૂ કરવાનો અત્યારે જ સંકલ્પ લેવો જોઈએ. ગાયત્રી શક્તિપીઠ અભિયાન શરૂ થવાના રજતજયંતી વર્ષમાં ઓછામાં ઓછું પ્રત્યેક શ્રદ્ધાવાન તથા ભગવાનની ઉપાસના પ્રત્યે આસ્થાવાન લોકોને ગાયત્રી સાધના કરવાની પ્રેરણા આપવી જોઈએ અને તૈયાર થનારાને તાલીમ આપવાનો ક્રમ ચલાવવો જોઈએ.
  • ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ દરેક શ્રદ્ધાળુને સાધના તથા સ્વાધ્યાયમાં પહેલાં કરતાં વધારે નિયમિત તથા ગંભીર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુદાં જુદાં સંગઠનોની યાદી બનાવી લેવી જોઈએ. આમાંથી જે ધર્મગુરુઓએ ગાયત્રી સાધના કરતાં પોતાના અનુયાયીઓને રોક્યા નથી અને ગાયત્રીનું મહત્ત્વ સમજાવ્યું છે તે બધાને પ્રેરિત કરવાનું શરૂ કરવું જોઈએ. તે માટે સાધના વિષયક સાહિત્ય અને ગોષ્ઠિઓનું આયોજન કરવું જોઈએ. આવા સાધકોએ પોતાની ઉપાસનાની સાથે ગાયત્રી ઉપાસનાને જોડવાનો લાભ બતાવવો જોઈએ. માત્ર ગાયત્રી મંત્ર અને સૂર્યની આભાવાળું ચિત્ર રાખવા પર ભાર મૂકવો જોઈએ. દેવસ્થાપનાની જેમ મંત્રસ્થાપનાનું અભિયાન ચલાવવું જોઈએ. જો તેઓ ઇચ્છે તો પરંપરાગત દેવસ્થાપનાવાળા ચિત્રનું સ્થાપન પણ કરી શકાય છે. પૂ.ગુરુદેવે અહીં નિર્દેશ આપ્યો છે કે જુદા જુદા મતમતાંતરોવાળા લોકોને ગાયત્રી મંત્ર સાથે જોડવા હોય તો તેમને સ્થૂળ પ્રતીકોથી મુક્ત રાખવા પડશે. યુગશક્તિના પ્રતીક રૂપ લાભ મશાલને તેમણે યોગ્ય પ્રતીક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે આ પ્રતીક સાર્વભૌમ છે. તેમાં જ ગાયત્રી શક્તિ અને ગુરુસત્તાને રહેલાં જોઈ શકાય. માત્ર દીપક અથવા ઊગતા સૂર્યના ચિત્રને પણ પ્રતીક માની ગાયત્રી મંત્રની સાધના કરી શકાય છે.
    તેમણે સૂક્ષ્મીકરણ બાદ એટલે સુધી કહ્યું હતું કે ગાયત્રી મંત્ર સંસ્કૃતમાં હોવાથી કેટલાય લોકોને તેના જપમાં મુશ્કેલી થાય છે એટલા માટે મેં નવી ગાયત્રી બનાવી છે – ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના : “હે પ્રભુ ! અમને બધાંને ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર ચલાવો.’ આ ભાવ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરવાથી ધિયો યો નઃ પ્રચોદયાત્’ જેવો પ્રભાવ બની જશે,
    આ બધું કરવા માટે સાધકોએ સંગઠિત બનીને કાર્યયોજના બનાવવી પડશે. શક્તિપીઠોએ સર્જનસૈનિકોની છાવણી બનવું પડશે. સંગઠનને મહત્ત્વ આપવું પડશે. ગાયત્રી મંત્ર જપમાં પણ જ્યાં સુધી “હું” ના બદલે “અમે” ના રૂપમાં વિકસિત થવાનો ઉત્સાહ નથી જાગતો ત્યાં સુધી ગાયત્રી ઉપાસનાને, અધ્યાત્મ સાધનાને માત્ર પ્રતીકપૂજા જ માની શકાય. મિશન દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘સૌના માટે સરળ સાધના – ઉપાસના’ નો ઉપયોગ આ હેતુ માટે સહેલાઈથી થઈ શકે છે.
  • સંગઠનના નીતિનિયમો અનુસાર એક વ્યવસ્થાક્રમ બનાવી દરેક પીઠ પર વિકસિત કરવો જોઈએ. આનાથી પ્રતિભાઓને વિકસવાની અને યુગસર્જનમાં નિયોજિત કરવાની લાંબાગાળાની જવાબદારી સંભાળી શકાશે.

૧૨. યુગશક્તિના પ્રવાહને પ્રખર બનાવો

યુગશક્તિના પ્રવાહને પ્રખર બનાવો
મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આ યુગની સમસ્યાઓનું સમાધાન અને નવા યુગની સંભાવના સામાન્ય માનસથી થવાની નથી, એ માટે અતિમાનસના અવતરણની જરૂર પડશે. આ સંદર્ભે તેમણે ‘સાવિત્રી’ જેવા ગંભીર ગ્રંથની રચના કરી.


યુગઋષિ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું : “નવયુગ સર્જનના ઈશ્વરીય સંકલ્પને મૂર્તિમંત કરવા મહાપ્રજ્ઞાના અવતરણની વ્યવસ્થા બની ગઈ છે. આદિશક્તિ ગાયત્રી યુગશક્તિના રૂપમાં અવતરવા થનગની રહી છે. પ્રત્યેક ભાવનાશીલને તેનો લાભ લેવા સાદર આમંત્રણ છે.’’ આ દિવ્યધારાનું જ્ઞાન આપવા તેમણે ગાયત્રી મહાવિજ્ઞાન ગ્રંથની જનસુલભ ભાષામાં તૈયારી કરી.
સન્ ૧૯૫૮માં થયેલા ૧૦૦૮ કુંડીય યજ્ઞ, બ્રહ્માસ્ત્ર અનુષ્ઠાનના સમયે તેમણે ઘોષણા કરી હતી કે આદ્યશક્તિ ગાયત્રી વેદમાતા, દેવમાતાની ભૂમિકાથી આગળ વધી વિશ્વમાતાના રૂપમાં સક્રિય થઈ રહી છે. સમગ્ર વિશ્વ ગાયત્રી મંત્રની ઉપાસના કરશે એવો સમય જલદીથી આપવાનો છે.
મથુરાથી વિદાય (સન્ ૧૯૭૧)લેતા પહેલાંનો પ્રસંગ છે. પત્રકારોએ તેમને પૂછ્યું : આપ યુગનિર્માણ જેવા સાર્વભૌમ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યા છો અને આપ ઇશ્વરીય સત્તાનો સંદર્ભ આપ્યા કરો છો, પરંતુ આપણા દેશમાં જ ભગવાનના નામ પર અનેક વિવાદ તથા મતભેદ છે ને ઝઘડા પણ થઈ રહ્યા છે. આવી વિસંગતિથી આપ સમાજને કઈ રીતે બચાવી શકશો ?
એ દિવસોમાં બેંકોનું રાષ્ટ્રીકરણ થયું હતું. એ સમાચારો બધે છવાયેલા હતા. આચાર્યશ્રીએ કહ્યું : “ઈશ્વરની અલગ અલગ ધારણા તથા માન્યતાને લીધે વિસંગતિઓ દેખાય છે. હું બેંકોની જેમ ઈશ્વરનું પણ રાષ્ટ્રીયકરણ કરી દઈશ.” સ્પષ્ટ છે કે તેમનો સંકેત સમર્થ ગાયત્રીવિદ્યા તરફ હતો, તેના આધારે ઈશ્વરનાં રૂપ અને નામથી તથા તે અંગેના વિવાદોમાંથી બહાર નીકળી ઈશ્વરની સાર્વભૌમ સત્તાનું સહજ જ્ઞાન મેળવી શકાય છે.
હરિદ્વારમાં સૂક્ષ્મીકરણ સાધના (સન્ ૧૯૮૪ થી ૧૯૮૬) બાદ તેમણે કહ્યું : આપણી ગાયત્રી હવે સમુદ્ર બની ગઈ છે. એટલે કે અલગ અલગ દિશાધારાઓવાળી નદીઓ જે રીતે સમુદ્રમાં એકાકાર થઈ જાય છે તે રીતે સાધનાની વિવિધ ધારાઓ ગાયત્રી મહાવિદ્યાના પ્રભાવથી સમરસ થઈ જશે.
વિવેકદૃષ્ટિથી ઉપરોક્ત કથનોની સાર્થકતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગાયત્રી મહામંત્રના ઉપયોગ પરનો નિષેધ સંપૂર્ણ પ્રભાવહીન થઈ ગયો છે. ગાયત્રી મહામંત્રની કેસેટ, સી.ડી. વગેરેનો ઉપયોગ ખુલ્લંખુલ્લા દેશ વિદેશમાં થઈ રહ્યો છે. તમામ સંતો તથા ધાર્મિક નેતાઓએ પોતપોતાના શિષ્યોને ગાયત્રી મંત્રનો ઉપયોગ કરવાની છૂટ આપી પ્રેરણા આપવાની શરૂ કરી છે. ઇસ્લામના અતિમહત્ત્વના સૂરહ ફાતિહા અને ગાયત્રી મંત્રમાં એકાત્મતાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. સનાતની, આર્યસમાજી, જૈન, બૌદ્ધ, ઇસ્લામ, ઇસાઈ તમામ મતમતાંતરો સાથે જોડાયેલા પ્રગતિશીલ સાધકો ગાયત્રી મહામંત્રને સાર્વભૌમ માનવા લાગ્યા છે. આગળનાં પગલાં પ્રખર બને પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે કે હવે વિશ્વની એકતાનો સમય આવી ગયો છે. વિશ્વધર્મ, વિશ્વસંસ્કૃતિ, વિશ્વવ્યવસ્થા તથા વિશ્વભાષાની સ્થાપના તરફ પ્રગતિનાં ચરણ ગતિમાન થતાં જાય છે. આ બધાં શ્રેષ્ઠ લક્ષ્ય માટે વિવેકદાતા મહાપ્રજ્ઞા ગાયત્રીની ભૂમિકા અતિ મહત્ત્વપૂર્ણ રહેશે. યુગનિર્માણ માટે સમર્પિત ગાયત્રી પરિવાર તથા યુગશક્તિના ઊર્જાસંચાર કેન્દ્રોના રૂપમાં પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો તથા ચરણપીઠો સાથે જોડાયેલા તંત્રને આ હેતુ માટે વ્યાપક અને પ્રભાવશાળી બનાવવું જરૂરી છે.
સમજો અને સમજાવોઃ
ગમે તે નામ, રૂપ કે માધ્યમથી પરમાત્માનું ભજન કરનાર કોઈ પણ શ્રદ્ધાળુ ગાયત્રી મહામંત્રનો નિઃસંકોચ ઉપયોગ કરી શકે છે.
ગાયત્રી મંત્રના જપ કોઈ પણ પવિત્ર સ્થળે થઈ શકે છે. એના જપથી યુગશક્તિની સમર્થ ધારાઓનો પ્રવાહ સાધકને લાભ આપી શકે છે.
ગાયત્રી મહામંત્રનાં વિભિન્ન ચરણ બ્રહ્મવિદ્યાનાં વિભિન્ન પાસાં અને પ્રમાણોનો સાક્ષાત્કાર સાધકને કરાવી શકે છે. જેમ કે –
ૐ – પરમાત્મ સત્તાનું નામ, રૂપથી પર એવું સ્વવાચક ૐ સંબોધન, જે પરમાત્મામાં વિશ્વના ઉદ્ભવ, વિકાસ અને વિનાશની શક્તિનું બોધક છે.
ભૂર્ભુવઃ સ્વઃ – તે પરમાત્મા પૃથ્વી, અંતરિક્ષ અને પાતાળ એ ત્રણે લોકમાં વ્યાપેલો છે. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક અને સુખસ્વરૂપ છે એટલે કે તે સર્વવ્યાપી અને સર્વગુણસંપન્ન છે.
તત્ સવિતુર્વરેણ્ય – તે બધાંને ઉત્પન્ન કરનાર સવિતા સ્વરૂપ દિવ્યઊર્જાનો સ્રોત હોવાના લીધે વરણ કરવા યોગ્ય, આત્મસાત્ કરવા યોગ્ય છે.
ભર્ગો દેવસ્ય ધીમહિ – આપણે તેને આપણા અંતઃકરણમાં ધારણ કરીએ કારણ કે તે વિકારોનો વિનાશ અને દેવત્વનો વિકાસ કરવામાં સમર્થ છે.
ધિયો યો નઃ પ્રચોદયાત્ – આપણા અંતઃકરણમાં સ્થાન ગ્રહણ કરીને આપણી બુદ્ધિને સન્માર્ગ પર ચલાવે. મ
હામંત્રનાં આ વિભિન્ન પાસાં સાધકને ધીમે ધીમે પરમાત્મ સત્તાનાં સાર્વભૌમ તત્ત્વનું જ્ઞાન કરાવે છે, સાથેસાથે સાધક સાથે અનાયાસ સંબંધ જોડે છે, તેના જીવનમાં સુધાર કરી વિકસિત કરે છે અને શ્રેયના માર્ગે આગળ વધવાની શક્તિ પ્રદાન કરે છે. જો આ રીતે સમજાવી લોકોને યુગશક્તિની ધારામાં જોડવા માટે યોજનાબદ્ધ ક્રમ ચલાવવામાં આવે તો કરોડોની સંખ્યામાં નવા યુગસાધકો તૈયાર કરી શકાય. તેઓ પરંપરાગત ક્રમમાં કોઈ પણ મૂર્તિ, ચિત્ર કે ગુરુમાં શ્રદ્ધા રાખતા હોય, છતાં પણ ગાયત્રી મહામંત્રનો પ્રયોગ શરૂ કરી શકે છે. આ માટે ગાયત્રી મંત્રનાં માનવ આકૃતિ વિનાનાં ચિત્રો પણ તૈયાર કરાવ્યાં છે, જેમાં માત્ર સૂર્ય અને તેના આભામંડળમાં ગાયત્રી મંત્ર મોટા અક્ષરે છાપેલો છે. આને ગાયત્રી મંત્રના પ્રયોગ માટે સંકલ્પના પ્રતીક રૂપે નિઃસંકોચ સ્થાપિત કરી શકાય.
ગાયત્રી યુગશક્તિના રૂપમાં કામ કરી રહી છે. એટલા માટે ગાયત્રી મંત્ર સાથે ભાવના સાથે જોડાતાં જ સાધકના અંતઃકરણમાં દિવ્ય હલચલ થવા માંડે છે. જે રીતે ઋતુના પ્રભાવથી બીમાંથી અંકુર ફૂટે છે તેવી જ રીતે યુગશક્તિના પ્રભાવથી યુગસર્જનનો ઉમંગ ઉભરાવા લાગે છે. આ સંદર્ભમાં યુગઋષિએ ફેબ્રુઆરી ૧૯૭૯ની અખંડજ્યોતિના ‘અપનોં સે અપની બાત’ માં લખ્યું હતું :
“દૂધ ગરમ કરવાથી મલાઈ ઉપર આવે છે. વૃક્ષ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ફળફૂલ ધારણ કરે છે, વાદળોની પાણી સંઘરવાની શક્તિ સંતોષાય ત્યારે ઊંચે જવાનું બંધ કરી નીચે ઊતરી આવે છે અને ધરતી પર વરસવા લાગે છે, ચંદ્રમા જ્યારે પૃથ્વીની નજીક હોય છે ત્યારે સમુદ્રમાં ભરતીઓટ આવે છે અને ધરતી પર કેટલીય અદેશ્ય હલચલ મચી જાય છે. શરીરનો વિકાસ પૂરો થતાં જ પ્રજનનનો ઉમંગ જાગે છે.
વિચારણા અને ભાવનાના ક્ષેત્રમાં પ્રવેશેલી સદાશયતાનું એકમાત્રચિહ્ન છે કે તે પુણ્ય૫રમાર્થનાં લોકમંગલનાં કાર્યોમાં સ્વાભાવિક રૂપે પરોવાવા લાગે છે. શ્રદ્ધાની પરિપક્વતાની સાબિતી આદર્શો પ્રત્યે વધતો પ્રેમ જ છે. ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણ પ્રત્યે તથા તેના જેવી નીચ હરકતો પ્રત્યે પ્રચંડ ગુસ્સો આવે છે. અસુરની સામે લડ્યા વિના તેની પાસે કોઈ જ રસ્તો રહેતો નથી. ભગવાનના અવતરણના બે જ હેતુઓ હોય છે. ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. જેના અંતરાત્મામાં જેટલા પ્રમાણમાં દૈવીતત્ત્વ વધશે તેટલા પ્રમાણમાં આ બંને હેતુ માટે તે તત્પર રહેશે.
આસ્થાવાન નિષ્ક્રિય રહી ન શકે. એની નિષ્ઠા એની પાસે પ્રબળ પુરુષાર્થ કરાવીને જ જંપશે. શ્રદ્ધાનો પરિચય કરુણાના રૂપમાં મળે છે. આ કરુણાની અંતઃવેદના, સંવેદના, પીડા અને પતનની આગ હોલવવા પોતાની આંતરિક ગરિમાનું યોગ્ય પ્રમાણ આપી શકે છે. આધ્યાત્મિકતા, આસ્તિકતા અને ધાર્મિકતાની માત્ર વાતો કરનારા લોકો સંકુચિતતા અને સ્વાર્થપરાયણતાના કાદવમાં પડ્યા રહે છે, પણ જેમના અંતરાત્મામાં દૈવી પ્રકાશનું હકીકતમાં અવતરણ થયું હશે તેઓ તો રાજહંસની જેમ વિરાટ આકાશમાં વિચરણ કરશે. વિશ્વકલ્યાણમાં જ તેમને આત્મકલ્યાણનો જણાય છે. તેવી વ્યક્તિઓ જીવનપર્યંત આદર્શો માટે સમર્પિત હોય છે. ગાયત્રી મહાવિદ્યા સાથે પ્રત્યેક માણસને જોડવા પૂ. ગુરુદેવે પોતાની દૈહિક યાત્રાના છેલ્લા ચરણમાં મહત્ત્વપૂર્ણ સાહિત્ય લખ્યું છે. આ સાહિત્ય શ્રદ્ધાપૂર્વક લોકોને વંચાવવામાં આવે તો તેમનામાં ગાયત્રી સાધના કરવાનો ઉમંગ જાગી શકે છે. અખંડજ્યોતિના આ લેખમાં તેઓ લખે છે :
“અત્યાર સુધી ગાયત્રી વિષયક ઘણું સાહિત્ય લખાઈ ગયું છે અને તેના તત્ત્વજ્ઞાનની વિશેષ જાણકારી આપવા માટે યુગશક્તિ ગાયત્રી સાત ભાષાઓમાં પ્રકાશિત થઈ રહી છે, છતાં આ નવું સાહિત્ય વિશેષ હેતુથી લખવામાં આવ્યું છે. ગાયત્રીના તત્ત્વદર્શનથી અપરિચિત લોકોને પણ વિશ્વના નવનિર્માણના પાયાનું સ્વરૂપ સમજવવાની તક મળે એ હેતુથી આ નવું સાહિત્ય લખવામાં આવ્યું છે. તેનો અનુવાદ ભારતની મોટાભાગની ભાષાઓમાં પ્રકાશિત થશે અને થોડાં વર્ષોમાં ગીતા અને બાઈબલની જેમ વિશ્વની ૭૦૦ ભાષાઓમાં અનુવાદિત, પ્રકાશિત અને પ્રસારિત કરવાનો યોજનાબદ્ધ પ્રયત્ન કરવામાં આવશે. જે તત્ત્વદર્શન વિશ્વના નવનિર્માણની મુખ્ય ભૂમિકા ભજવવાનું છે તેની જાણકારી સમગ્ર માનવસમાજને થવી જરૂરી છે. સ્પષ્ટ છે કે ગાયત્રીને જાતિ, લિંગ કે ક્ષેત્રની જાગીર રહેવા દેવામાં નહિ આવે, પણ તે વિશ્વસંસ્કૃતિની કરોડરજ્જુ જ હતી અને ભવિષ્યમાં પણ એનું એ જ સ્વરૂપ પ્રખર બનશે.”

૧૧. નવસર્જનનો ઉત્સાહ અને કૌશલ્ય વધારો

નવસર્જનનો ઉત્સાહ અને કૌશલ્ય વધારો
યુગઋષિના જીવનનો ઉદ્દેશ્ય યુગપિવર્તન માટે સમગ્ર ક્રાંતિનો તીવ્ર પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે. એવો પ્રવાહ જે મનુષ્યમાં દેવત્વના ઉદય તથા મનુષ્યમાત્ર માટે ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં રોકાય નહિ, તેમણે સમગ્ર ક્રાંતિની ત્રણ ધારાઓને જરૂરી બતાવી છે : (૧) બૌદ્ધિક ક્રાંતિ (૨) નૈતિક ક્રાંતિ અને (૩) સામાજિક ક્રાંતિ. આ ત્રણેય ક્રાંતિઓને ગતિ આપવા પૂ. ગુરુદેવના વ્યક્તિત્વનાં ત્રણ પાસાં સમર્થ છે. વેદમૂર્તિ, તપોનિષ્ઠ અને આચાર્ય.


વિચારક્રાંતિને ગતિ આપવા પોતે વેદમૂર્તિ બન્યા. જ્ઞાનની એવી પ્રખર ધારાઓ પ્રવાહિત કરી, જે જડબુદ્ધિવાળાંને તેમના નિષ્કૃષ્ટ ચિંતનમાંથી બહાર કાઢી વિવેકનો રસ્તો બતાવે. આ ક્રાંતિ માટે સૃજનસૈનિકોએ પોતાના ચિંતનના સ્તરને એટલું પવિત્ર અને પ્રખર બનાવવું પડશે કે જેના આધારે અશ્રદ્ધાળુ પણ શ્રદ્ધાવાન બની જાય.
નૈતિક ક્રાંતિને ગતિશીલ બનાવવા યુગઋષિનું તપોનિષ્ઠ રૂપ સક્ષમ છે. તપશક્તિ વિના નૈતિક આસ્થાઓનું પોષણ કરવું શક્ય નથી. તેમણે જીવનમાં ઉપાસના, સાધના અને આરાધના માટે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ આપવાનું સૂત્ર આપી યુગને અનુરૂપ તપની પ્રભાવશાળી, પ્રખર અને જીવંત વ્યાખ્યાઓ આપી. આ ક્રાંતિને ગતિ આપવા સર્જનસૈનિકોએ પોતાના ચરિત્રને એટલું ઊંચું બનાવવું પડશે કે પ્રજ્વલિત દીપકની જેમ એના સંપર્કમાં આવતા બીજા લોકોને પ્રકાશવાન બનાવી શકે.
સામાજિક ક્રાંતિને ગતિ આપવા યુગઋષિનું આચાર્ય રૂપ આગળ આવ્યું. પોતે દર્શાવેલ દરેક જીવનસૂત્ર પોતાના જીવનમાં ઉતારી એ આદર્શોને વ્યાવહારિક સાબિત કરી બતાવ્યા. તેઓ જાતે જ ક્રાંતિનો પર્યાય બન્યા. સામાજિક ક્રાંતિને ઇચ્છિત સફળતા અપાવવા યુગસૈનિકોનો વ્યવહાર એવો શાનદાર હોવો જોઈએ કે જે નજીક આવે તે બધાં જોડાઈ જાય. આ રીતે યુગઋષિની ત્રણ ક્રાંતિઓ માટે તેમના જીવનનાં ત્રણ પાસાં પ્રગટ્યાં અને યુગસૈનિકોને ચિંતન, ચરિત્ર અને વ્યવહારની સાધનાને પ્રખર પ્રભાવશાળી બનાવવા સશક્ત ટેકો આપ્યો. સમગ્ર ક્રાંતિ માટે આ ત્રિવિધ ક્રાંતિઓની સમર્થ છાવણીઓના રૂપમાં શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી. તેમના આદેશથી બનેલી પ્રત્યેક શક્તિપીઠે આ નૈતિક જવાબદારીઓ અદા કરવા સક્ષમ બનવું જ જોઈએ.
મહત્ત્વ સમજો અને જવાબદારી નિભાવો
યુગઋષિના જીવનની દિશાધારાના જેવી જ તેમનાં “પોતાનાં” ની પણ દિશાધારા હોવી જોઈએ. યુગસાધકો તેમના પોતાના છે અને ગાયત્રી પીઠો તેમની પોતાની છે. યુગઋષિના સંબંધે તેમની યુગનિર્માણ યોજના આમ તો આખા યુગ માટે છે, પણ તેને વિસ્તારવાની જવાબદારી તો તેમના પોતાના માણસોએ અને પોતાનાં સ્થાનકોએ જ ઉઠાવવી પડશે. યુગનિર્માણ અભિયાનને પૂરું કરવામાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિભા તથા વિભૂતિઓનો ઉપયોગ કરી પોતપોતાની ભૂમિકા નિભાવવી પડશે, પણ એ માટેની પહેલ તો પોતાના જ માણસોએ કરવી પડશે.
આ કાર્ય સામાન્ય નથી. આનું મહત્ત્વ સમજીને જવાબદારીઓ સ્વીકારવી એ સામાન્ય મનઃસ્થિતિના લોકો કરી શકે નહિ. સામાન્ય સ્થિતિમાં માર્ગ પરથી ચલિત થઈ જવાનો ભય હોય છે. જો તેમને યુગદેવતા સાથે જોડાઈ રહેવાની અનુભૂતિની વાત કરશો તો તેઓ શંકા કરી દૂર ભાગશે અને જવાબદારી ઉઠાવવાની વાત કરશો તો છટકબારી શોધશે. સામાન્ય મનઃસ્થિતિવાળા લોકો સ્વાભાવિક રીતે આવું જ કરે છે, આત્મીય સ્તરથી જોડાયેલા યુગસાધકો માટે આવી સ્થિતિ યોગ્ય નથી. આત્મીય સ્તરથી જોડાયેલા આત્માઓની મનઃસ્થિતિ બીજાથી અલગ હોય છે. પોતાના સૌભાગ્ય બદલ તેઓ અભિમાન કરતા નથી,પણ પ્રભુકૃપા સમજી કૃતજ્ઞતાપૂર્વક વિનમ્ર બની જાય છે. ફળોથી લદાયેલાં વૃક્ષોની જેમ ઝૂકી જાય છે. એ જ રીતે મુશ્કેલીઓ જોતાં છટકબારી શોધતા નથી, પણ વધારે ઉત્સાહ બતાવી તેમનો ઉકેલ કાઢવામાં લાગી જાય છે. તેઓ પોતાની ભૂમિકા હનુમાન, જટાયુ, શબરી તથા ખિસકોલીની જેમ નિભાવવા હર ક્ષણ તૈયાર રહે છે.
ગાયત્રી શક્તિપીઠ તથા પ્રજ્ઞામંડળો સાથે જોડાયેલા તમામ પરિજનોએ આજે વિશેષરૂપથી પોતાના સમય અને યુગધર્મનું મહત્ત્વ સમજીને શક્તિપીઠોની મહાન જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ. યુગદેવતા સાથે જોડાવાની બાબતમાં પોતાના સૌભાગ્ય અને કર્તવ્યોનું ભાન સતત રહેવું જોઈએ, એમાં વધારે પ્રખરતા આવવી જોઈએ.
જે રીતે શરીર માટે ભોજન, પાચન અને સ્વાસ્થ્યનો ક્રમ છે તે જ રીતે મિશન માટે જ્ઞાન, ભાન, અભ્યાસ અને પ્રગતિ માનવાં જોઈએ. વર્તમાનનું જ્ઞાન, શાનને કાર્યઊર્જામાં બદલવાનો અભ્યાસ અને ઊર્જાવિકાસને પ્રગતિમાં લગાવવાનો ક્રમ ચાલતો રહે તે જરૂરી છે. આ ક્રમ પ્રજ્ઞાપુત્રોના જીવનમાં પણ હોવો જોઈએ અને પ્રજ્ઞાસંસ્થાનોના ક્ષેત્રમાં પણ તેનો સમાવેશ થવો જોઈએ.

સાધનો અને તંત્ર પ્રામાણિક બને :
રોજબરોજનાં કાર્યો માટે હાલ જેમ વીજળી વપરાય છે તે રીતે યુગશક્તિ પણ સક્રિય છે. કામ એટલું વિરાટ અને વિવિધતાપૂર્ણ છે, જેને અનુરૂપ શક્તિની ફાળવણીની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટાં મોટાં પાવર હાઉસોથી માંડીને ટ્રાન્સફોર્મરો અને અન્ય સંચારસાધનો દ્વારા વિકેન્દ્રીકરણનું તંત્ર બનાવવામાં આવે છે. નાનાં નાનાં કાર્યો માટે સ્વતંત્ર યંત્રો લગાવવામાં આવે છે, પણ મોટાં કાર્યો માટે વિવિધ યંત્રોને કાર્યશાળા (વર્કશોપ) અથવા ફેક્ટરોનું રૂપ આપવામાં આવે છે. એ સાચું છે કે બધું કામ વીજળીશક્તિ જ કરે છે, પણ જુદીજુદી ક્રિયાશક્તિઓમાં રૂપાંતર કરવાનું કામ તો ટ્રાન્સફોર્મરો દ્વારા જ થાય છે.
ઈશ્વરીય ચેતનાના રૂપમાં યુગશક્તિ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. ઋષિતંત્રે તેને દરેક ઉપકરણ તથા ઉપયોગના ક્ષેત્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે જ્યાં જે રીતે યાંત્રિક ઉપકરણ તૈયાર થાય છે તેને ઊર્જા આપતા રહેવાની વ્યવસ્થા કરી શકાય છે. આ દિવ્ય સર્જનમાં યુગસાધકો, પ્રજ્ઞાપુત્રોએ વિવિધ યંત્રોના રૂપમાં, સંગઠિત એકમોને કાર્યશાળા, વર્કશોપ કે ફેકટરીના રૂપમાં તથા શક્તિપીઠો પ્રશાસંસ્થાનોને ઊર્જાસંચાર તંત્રના રૂપમાં વિકસિત અને કાર્યરત બનવાનું છે. આ રીતે જ યુગસર્જનની દૈવી યોજના સાકાર અને સાર્થક થશે.
એ વાત સાચી છે કે બધાં કામ વીજળી જ કરે છે, પણ એના કારણે યંત્રોએ, કાર્યશાળાઓએ પોતાનો પુરુષાર્થ તો છોડી દેવો ન જ જોઈએ ને ! આ યંત્રોના અંદરના તાણાવાણા (ઈનરસર્કિટ) જો વ્યવસ્થિત ન હોય તો ઊર્જા પોતાનું ધાર્યું કામ કરી શકે નહિ. પોતાની અંદરની સર્કિટમાં ગરબડ ન થાય તે જોવાની જવાબદારી આપણે લેવી પડશે.
આપણા આંતરિક તંત્રને પ્રામાણિક બનાવવા તથા દિવ્ય ઊર્જાને ઇચ્છિત કાર્યોમાં વાપરવાના ભગીરથ કાર્યને જ પૂજ્યવરે જીવનસાધના ગણાવી છે. એ ઊર્જાપ્રવાહની સાથે જોડાવાની ક્રિયાને ઉપાસના ગણાવી છે. જ્યાં જ્યાં ઉપાસના, સાધનાનો ક્રમ સફળ રીતે ચાલતો હશે ત્યાં આરાધના – સેવા અર્થાત્ યુગસર્જનનું કાર્ય અનાયાસ આગળ ધપતું રહેશે.
જેવી રીતે કારખાનામાં એક વ્યવસ્થિત ઓજાર બનાવવા માટે કેટલાંયે યંત્રો એક પછી એક કામ કરે છે, એકનું કામ પતે એટલે બીજાનું શરૂ થાય છે. એમાં તમામ યંત્રો વ્યવસ્થિત કામ કરતા એકમો જ હોય છે, છતાં તેઓ એકલાં એ ઓજાર બનાવી શકે નહિ. એ તમામની સંવાદિતા, તાલમેલ તથા સમન્વય જ એ ઓજાર બનાવી શકે છે. પ્રત્યેક યુગસાધક પોતે પોતાની રીતે સક્ષમ એકમ બનાવી શકે છે, પણ યુગસર્જન માટે, ઇચ્છિત ફળ માટે તો એણે એ વિરાટ તંત્રનો એક અવયવ – ભાગ બનવું જ પડશે. સંગઠિત એકમોથી માંડીને શક્તિપીઠો, ઝોન, ઉપઝોન વગેરેના તાણાવાણા આટલા માટે જ વણ્યા છે.
આપણે સાર્થક સાબિત ન થઈએ તો પણ સમર્થ સત્તાનું કામ રોકાવાનું નથી. એ સત્તા નવાં યંત્રો, સ્પેર પાર્ટ બનાવી એનું કામ કરી લેશે, પણ બેકાર યંત્રો તો કબાડીના ઢગલામાં જ ફેંકાઈ જશે.આવી દુર્ઘટના કોઈ પણ પ્રજ્ઞા પરિજન, પ્રજ્ઞાકેન્દ્ર કે શક્તિપીઠ સાથે ન થાય એ આપણા બધાં માટે યોગ્ય છે.

ક્રાંતિ થઈને જ રહેવાની છે :
યુગઋષિએ યુગશક્તિના અવતરણની વ્યવસ્થા બનાવી અને સમગ્ર ક્રાંતિ, યુગનિર્માણ, ઉજ્જવળ ભવિષ્ય માટે અભિયાન ચલાવ્યું. આ મહાન સર્જન માટે યુગસાધકોને યંત્ર અને સંગઠિત એકમોને, પ્રજ્ઞાકેન્દ્રોને તંત્રના રૂપમાં કામ કરવા વ્યવસ્થા બનાવી. શક્તિપીઠો, પ્રજ્ઞાકેન્દ્રોની સ્થાપના પાછળ એક વ્યાપક અને અસરકારક તંત્ર ઊભું કરવાની જ ભાવના હતી. શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં તેમને જીવંત તથા જાગૃત બનાવવા આપણે કમર કસવી જોઈએ. એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. એ જ આપણો પુરુષાર્થ છે. એટલે આપણા મગજમાં સતત આવો જયઘોષ ગુંજવો જોઈએ :

આપણી ઓળખ – યુગનિર્માણ
આપણું લક્ષ્ય – યુગનિર્માણ
આપણું અભિયાન – યુગનિર્માણ
આ સમગ્ર ક્રાંતિ અંતર્ગત ત્રણ ક્રાંતિને દરેક જગ્યાએ જીવંત અને પ્રભાવશાળી બનાવવાની છે :
વિચારક્રાંતિ માટે – વેદમૂર્તિની નિયમિત ઉપાસના કરો, પ્રજ્ઞાને પ્રખર બનાવવાની સાધના કરો, ચિંતનને ઉચ્ચ બનાવો. પોતાની ગરિમા અને કર્તવ્યબોધને પ્રગાઢ બનાવો. નવા ક્ષેત્ર અને નવી વ્યક્તિઓને પ્રચાર માધ્યમોથી પ્રભાવિત કરી સર્જન માટે ઉપયોગી થવા સંમત કરો. નૈતિક ક્રાંતિ માટે – તપોનિષ્ઠ રૂપની ઉપાસના કરો, ચરિત્રને તપાવી પ્રખર બનાવો. પ્રચાર માધ્યમના અભિયાનથી પ્રેરાઈને જોડાયેલી વ્યક્તિઓને શ્રેષ્ઠ આચરણમાં પ્રવૃત્ત કરવા પુરોહિત અને પ્રશિક્ષક સ્તરની ભૂમિકા નિભાવો.
સામાજિક ક્રાંતિ માટે – યુગાચાર્યના સાંનિધ્ય માટે ઉપાસના કરો. વ્યવહારને ઉચ્ચ અને પવિત્ર બનાવો. યોજનાના પ્રશિક્ષકની પાત્રતા વિકસાવો. પોતાના સ્નેહ અને સદ્ભાવને એવાં જીવંત બનાવો કે જેને તે સ્પર્શે તે તમારી સાથે જોડાઈ જાય. ઋષિતંત્ર આ મહાન કાર્ય કરવાની શક્તિ તો આપશે જ, પણ એને પૂરું કરવાની કુશળતા તો આપણે જ પોતાના અભ્યાસથી તથા તપથી મેળવવી પડશે.

૧૦. સર્જન સૈનિકોની છાવણીઓ સાબિત થાય

સર્જનસૈનિકોની છાવણીઓ સાબિત થાય
યુગના પોકાર મુજબ પ્રત્યેક વખતે જુદાંજુદાં આંદોલનો ચાલે છે. દરેકનો હેતુ તે વખતની સમસ્યાઓનું નિરાકરણ કરી યોગ્ય દિશામાં આગળ વધવાનો છે. યુગની માગ દરેક વખતે જુદા જુદા પ્રશ્નોના સમાધાનની હોય છે. એટલે દરેક વખતે અભિયાનોએ જાતે જ રસ્તો કાઢી અ નુભવ મેળવવો પડે છે.

એટલા માટે શરૂઆતમાં તમામ અભિયાનો નાનાં બાળકો જેવાં હોય છે, જેમાં ઉત્સાહ તો ઘણો હોય છે, પણ અનુભવ હોતો નથી. આને લીધે લક્ષ્યથી ચલિત થઈ જવાનો ડર હરહંમેશ રહ્યા કરે છે. આનો ઈલાજ કરતાં કરતાં આગળ વધવાનું છે. સમય જતાં અનુભવ પાકો થતાં અનુભવીઓ મળવા લાગે છે અને અભિયાનમાં ધીમે ધીમે પરિપક્વતા આવે છે. કોઈ પણ અભિયાનની રજત જયંતીની ઉજવણીનો અર્થ એ છે કે તંત્ર સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ અભિયાનની પ્રૌઢતાને ઓળખે અને તે પ્રમાણે તેની ગરિમા વધારવા માટે કટિબદ્ધ થઈ આગળ વધે.
ગાયત્રી શક્તિપીઠ અભિયાન સાથે પણ આવું જ કંઈક છે. શરૂઆતમાં જ્યારે પૂજ્યવરે શક્તિપીઠોની યોજના બનાવી ત્યારે નવા કામ માટેના ઉત્સાહ સાથે થોડીક આનાકાની તથા સંકોચ પણ હતો. એમ લાગતું હતું કે શક્તિપીઠ બનાવવાનું કાર્ય તો મોટા સમર્થ લોકોનું, તપસ્વીઓનું છે. તે આપણે કઈ રીતે કરી શકીશું ? આ ખચકાટ ઋષિયુગ્મના પ્રેમ અને તેમના પ્રત્યેની શ્રદ્ધા આગળ ટકી શક્યો નહિ. સંકલ્પો થવા લાગ્યા. માતાપિતા જે રીતે વિકાસ પામતાં બાળકોની નાનીમોટી હરકતોને દરગુજર કરી, આંખમિંચામણાં કરી પ્રોત્સાહન આપ્યા કરે છે તેવું ઋષિયુગ્મ પણ કર્યું. નાની મોટી દરેક વ્યક્તિ અને દરેક પ્રયત્નને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું રાખ્યું અને ક્રમ આગળ વધતો ગયો.

શરૂઆતનો આ ક્રમ કાયમ માટે ચલાવી શકાય નહિ. બાળકો મોટાં થાય, અનુભવ મેળવ પછી એ જ માબાપ, જે પહેલાં બાળકોના અણઘડ પ્રયત્નોને પ્રોત્સાહન આપતાં હતાં તેઓ તેના કામમાં ક્ષતિઓ શોધી કામ દીપાવવાનો પ્રયત્ન કરવાનો આગ્રહ રાખે છે. જો બાળક ન માને તો ધમકાવવાનું, શિક્ષા કરવાનું કામ પણ કરે છે. ઋષિયુગ્મ પણ આવું જ કર્યું. પહેલાં માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપ્યું, પણ જ્યારે ઉત્સાહના અતિરેકમાં મર્યાદાઓ ન સચવાઈ ત્યાં નારાજગી પણ બતાવી. તેમણે એટલે સુધી કહ્યું : “મેં જ તમને ગાયત્રી શક્તિપીઠોમાં ગાયત્રી મંદિર અને મૂર્તિની સ્થાપના માટે પ્રેરણા આપી હતી, પણ જો તમે આધ્યાત્મિક ઊર્જાસંપન્ન સર્જન કેન્દ્રના રૂપમાં વિકસાવવાની જવાબદારી પૂરી નહિ કરો, તો હું જ ત્યાંથી મૂર્તિઓ હઠાવી લઈને એ જગ્યા લોકહિતનાં અન્ય કાર્યો માટે ખાલી કરાવી નાખીશ.”
સ્પષ્ટ છે કે તેઓ બાળકોના વિકાસમાં રસ રાખતા હતા, પણ તેમને માત્ર છોકરમતમાં જ રચ્યાપચ્યા રહેવા દેવા માગતા ન હતા. આપણી દરેક પ્રવૃત્તિ તથા કાર્યમાં પરિપકવતા, શાલીનતા તથા પ્રખરતા આવે એ આ રજતજયંતી વર્ષનો સંદેશ છે.
જવાબદારીઓનું ભાન તથા પાલન :
અત્યાર સુધી પરિજનોને શક્તિપીઠ અભિયાન સાથે જોડાયેલી જવાબદારીઓનો પાઠ ભણાવવામાં આવ્યો. જવાબદારીઓનું ભાન અને તેનું પાલન – આ બંનેનું મહત્ત્વ છે. ભાન વિના પાલન કઈ રીતે થઈ શકે ? એ જ રીતે પાલન ન કરીએ તો એ ભાન શા કામનું ? આ બંને પ્રક્રિયા એકબીજાની પૂરક છે, અભિન્ન છે, પણ બંને માટે પ્રયત્ન જુદીજુદી રીતે કરવો પડે છે.
ભાન માટે લાગણી અને સમજણનો ઉપયોગ કરી આપણા સ્તરને ઊંચે લાવવું પડે છે.
અભ્યાસ માટે સમજણ સાથે પ્રામાણિકતાથી પ્રયત્ન તથા પુરુષાર્થ કરવા પડે છે.
પ્રગતિ માટે પ્રામાણિક પ્રયત્નો સાથે જવાબદારી અને બહાદુરીના ગુણો વિકસાવવા પડે છે.
આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલાં છે. ભાન હોય તો અભ્યાસ કરવો જ જોઈએ અને અભ્યાસ કરો તો પ્રગતિ થવી જ જોઈએ. જ પ્રગતિના પ્રત્યેક પગથિયે નવી જવાબદારીઓનું ભાન રાખવું પડતું હોય છે. નવા ભાન સાથે નવો અભ્યાસ અને પ્રગતિનાં નવાં લક્ષ્ય સામે આવે છે. એટલા માટે કોઈપણ અભિયાનને આગળ ધપાવવા જવાબદારીનું ભાન અને તેના પાલનનો ક્રમ અવિરત ચલાવવો જરૂરી હોય છે. યુગનિર્માણ અભિયાન સાથે જોડાયેલા સાધકો, સૈનિકો પાસે આવી જ આશા રાખવામાં આવે છે.

  • શરૂઆતમાં ભાન થયું કે યુગનિર્માણ અભિયાનનો વિસ્તાર થઈ રહ્યો છે. તેમાં જોડાનારા સાધકો – સૈનિકો માટે સાધના, તાલીમ અને પ્રસાર માટે પોતાનાં કેન્દ્રોની જરૂર છે, તે પ્રમાણે યુગશક્તિ ગાયત્રીનાં શ્રદ્ધા પ્રતીક તથા યુગધર્મનાં પ્રતીક એવાં યજ્ઞશાળાઓ સહિત શક્તિપીઠોનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું.
  • ભાન થયું કે સામાજિક સંપત્તિ વધારવા અને તેના ઉપયોગ માટે કાયદાના નિયમો પાળવા જરૂરી છે, જે માટે ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી. આ માટે નિયમો બનાવવામાં આવ્યા, તેની તાલીમની વ્યવસ્થા કરવામાં આવી.
  • ભાન થયું કે આ શ્રદ્ધાકેન્દ્રોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા તથા શ્રદ્ધાળુ સાધકોને સ્નેહ, સન્માન અને માર્ગદર્શન આપવા સુપાત્ર વ્યક્તિ જોઈએ. આના માટે પ્રગતિશીલ વિચારોવાળા સેવાભાવી પરિવ્રાજકોની તાલીમની વ્યવસ્થા તથાનિમણૂકનો ક્રમ ચલાવ્યો.
  • ભાન થયું કે પ્રત્યેક પીઠની પ્રવૃત્તિઓ ચલાવવા સાધનો અને વિભૂતિઓની જરૂર પડશે. એ માટે અંશદાન અને સમયદાનની બાબત દરેક પીઠ સાથે જોડવામાં આવી.
  • ભાન થયું કે વ્યક્તિ અને સંસ્થાનોએ પોતાના વિકાસ માટે જાતે જવાબદારી ઉઠાવવી જોઈએ તથા અભિયાનને સશક્ત બનાવવા એકબીજાના સહકારથી તાલમેળ બેસાડી કામ કરવું જોઈએ. આ માટે સંગઠનની રીતિનીતિ બનાવી લાગુ કરવામાં આવી.
  • આ રીતે વધારાની જવાબદારીઓ અને તેમના પાલનનો ક્રમ ચાલતો રહ્યો. કાયદાની વ્યવસ્થા સાથે આશ્રમવ્યવસ્થા, સંગઠન અને આંદોલનવ્યવસ્થા બનાવવા વિવિધ પ્રયોગો શરૂ કર્યા. દરેક પીઠ પર સાધના, સ્વાધ્યાય, સંયમ, સંસ્કાર, સેવા વગેરે કાર્યો માટે પ્રચાર, અભ્યાસ, તાલીમ અને વિકાસની યોજનાઓ અમલમાં આવવા લાગી.
    આ બધી પ્રવૃત્તિઓએ શક્તિપીઠ અભિયાનને એક પ્રભાવી અને પરિપક્વ અભિયાનનું રૂપ આપ્યું. આ ક્રમ વધુ અસરકારક રીતે, વધુ વ્યવસ્થિત ચાલે તેવા સંકલ્પ સાથે રજતજયંતી વર્ષ ઊજવવાની યોજના બનાવી છે.

નૂતન મધ્યભારત :
પૂ. ગુરુદેવે વારંવાર એ વાત બતાવી છે કે માનવમાત્રના ઉદ્ભવળ ભવિષ્ય માટે અને જમીન પર સ્વર્ગ ઉતારવા જેવી પરિસ્થિતિઓ લાવવા માટે એક નવું મહાભારત યુદ્ધ શરૂ કરવું પડશે. આ યુદ્ધમાં કોઈ જોડાયા વિના રહી શકશે નહિ. આ યુદ્ધ દરેક ક્ષેત્રમાં, દરેક ઘરમાં, દરેકના મગજમાં લડાશે. જેઓ આ માટે સંકલ્પ સાથે તૈયાર થશે તેમને શક્તિ મળતી જશે અને અગ્રદૂત બનવાનું શ્રેય તથા ગૌરવ મળશે. જે ઉદાસીન બની આનાથી બચવાનો પ્રયત્ન કરશે તેઓ શ્રેય તો ગુમાવશે જ,તદ્ઉપરાંત તેમણે ધાર્યા કરતાં વધારે મુસીબતોનો સામનો પણ કરવો પડશે. યુગનિર્માણ અભિયાન આ યુગમાં જીવતી પ્રત્યેક વ્યક્તિને આ સુનિશ્ચિત તથ્યનું ભાન કરાવવા અને તેને શ્રેય, સૌભાગ્યના ભાગીદાર બનાવવા કટિબદ્ધ છે. શક્તિપીઠોની સ્થાપના આ કટિબદ્ધતા નિભાવવા માટે કરવામાં આવી છે.
જ્યારે કોઈ રાષ્ટ્ર યુદ્ધમાં જોડાયું હોય તો માત્ર સૈનિકો જ યુદ્ધ નથી લડતા, પરંતુ દરેક નાગરિકે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે એમાં ભાગીદાર બનવું પડે છે. સૈનિકોની આગળની હરોળો તૈયાર રાખવી, સાધનસરંજામનો જથ્થો પૂરતા પ્રમાણમાં મેળવી આપવો, પોતાની સુરક્ષા કરવી તથા શત્રુની ચાલબાજીનો પર્દાફાશ કરવા જાગૃતતા બધાંએ રાખવી પડે છે. આ તમામ કાર્યો માટે ઠેર ઠેર લશ્કરી છાવણીઓ ઊભી કરવામાં આવે છે. આ છાવણીઓમાં સૈનિકોની સંખ્યા અને ગુણવત્તા વધારવાના અગત્યના કામ સાથે તૈયાર સૈનિકોને વિભિન્ન મોરચા પર ગોઠવવા, સામાન્ય નાગરિકોને જાગૃત રાખવા અને સંકટના નિવારણ માટે જરૂરી તાલીમ આપવાનું કામ પણ થતું હોય છે. શક્તિપીઠોએ યુગસર્જનના મહાયુદ્ધની સૈનિક છાવણીઓના રૂપમાં ભૂમિકા નિભાવવાની છે. આ માટે તૈયાર થવાનું છે. જેઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તેઓ અસાધારણ શ્રેય, સૌભાગ્ય, સન્માન અને સંતોષ મેળવશે. જે ઊણા ઊતરશે તેઓ ઉપેક્ષા, તિરસ્કાર, અસંતોષ,આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપથી પીડાશે. આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ.
નાનું લક્ષ્ય નક્કી કરો
અગાઉ પીઠોને સમર્થ તંત્રનું સશક્ત અંગ બનાવવાની વાત કહી છે. આ ક્રમમાં જરૂરી નૈતિક અને કાનૂની જવાબદારીઓ સમજવા અને તેમના પાલનની વ્યવસ્થા કરવાનો દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. જો કાનૂની શિસ્ત નહિ જાળવીએ તો કાયદાની દૃષ્ટિએ આપણે નબળા રહીશું, જો નૈતિક જવાબદારીઓ પૂરી નહિ કરી શકીએ તો સમાજ અને ઋષિસત્તા સાથે છળ કર્યાનું પાપ લાગશે.
દરેક શક્તિપીઠ, પ્રજ્ઞાસંસ્થાનના નૈષ્ઠિક પરિજનોએ આ રજતજયંતી વર્ષમાં કરવા જેવાં કાર્યોનું ન્યૂનતમ લક્ષ્ય નક્કી કરવું જોઈએ. પીઠ કેટલા વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે ? એ ક્ષેત્રમાં હાલ પરિસ્થિતિ શું છે ? મિશનમાં કોઈ પણ રૂપમાં જોડાયેલાં નરનારી કેટલી સંખ્યામાં છે? તેમનો પીઠ સાથેનો સંપર્ક ગાઢ કઈ રીતે કરી શકાય ? સમયદાન અને અંશદાન માટે તેમને તૈયાર કરવા અને તેમનો ઉપયોગ કરવા શું કરવું જોઈએ? આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી એક યોજના બનાવવી જોઈએ.
યોજના બનતાં જ પ્રશ્ન ઊભો થશે કે આ બધી જવાબદારીઓ કોણ નિભાવશે? પીઠો સાથે જોડાયેલ નૈતિક જવાબદારીઓ ઘણી બધી છે. ઉપરના મુદ્દા આવરવા વધારે પ્રમાણમાં કાર્યકરો અને તેમની ઊંચી ક્ષમતા જરૂરી છે. પૂ. ગુરુદેવે યુગનિર્માણના આધાર તરીકે વ્યક્તિ નિર્માણને જરૂરી જણાવ્યું છે. આ માટે દરેક પીઠે વ્યક્તિનિર્માણની ટંકશાળ તથા સાધના અને તાલીમ કેન્દ્રના રૂપમાં તો વિકસિત થવું જ પડશે. આપણી અંદર એક સંક્લ્ય વારંવાર જાગવો જોઈએ.
આપણે આવું કરી શકીએ છીએ અને તેવું જરૂર કરીશું.

૯. શક્તિપીઠો સમર્થ તંત્રનું શક્તિશાળી અંગ બને

શક્તિપીઠો સમર્થ તંત્રનું શક્તિશાળી અંગ બને
યુગઋષિના કહેવા અનુસાર ઈશ્વરીય યુગનિર્માણ અભિયાનને ઇચ્છિત ગતિ આપવા સશક્ત કેન્દ્રોના રૂપમાં શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય પૂજાપાઠનાં કેન્દ્રો અથવા તો મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ દ્વારા જુદાજુદા હેતુઓ માટે બનાવેલાં સંસ્થાનો નથી. ઈશ્વરીય યોજના અનુસાર, ઋષિઓના શિસ્તના આધાર પર નૈષ્ઠિક સર્જન સૈનિકોની છાવણીના રૂપમાં એમને વિકસિત કરવામાં આવી રહ્યાં છે. એ એક મહાન ઉદ્દેશ્ય માટે કટીબદ્ધ, સમર્થ તથા વ્યાપક તંત્રના પ્રામાણિક એકમો છે. શક્તિપીઠોને આ ધારણા અનુસાર ગરિમાને છાજે તે રીતે વિકસિત કરવાના પ્રયત્નો કરવાના છે. ગાયત્રી શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં નૈષ્ઠિકોના સંગઠિત તંત્રના દરેક એકમને આવા ઉચ્ચ સ્થાન પર લાવવાના યોજનાબદ્ધ પ્રયત્નો કરવાના છે અને એક વર્ષમાં સંકલ્પ પ્રમાણે નિર્ધારિત દરજ્જા સુધી લઈ જવાના છે.


શક્તિપીઠોને મહાન નૈતિક જવાબદારી સ્વીકારવાના રૂપમાં ઊભી કરી છે. આ જવાબદારીઓનું તંત્ર વિશાળ અને વિવિધતાથી ભરપૂર છે. જવાબદાર પરિજન કેન્દ્ર અને ક્ષેત્રીય સંગઠનના એકમોના સહયોગથી પોતપોતાનાં લક્ષ્ય નક્કી કરી પૂરાં કરશે. યુગઋષિના આદેશ પ્રમાણે ક્યાં, કઈ પરિસ્થિતિઓમાં શું કરવાનું છે ? એ યોજનાબદ્ધ રૂપે સ્પષ્ટ કરવામાં આવશે. આ સાથે શક્તિપીઠો સાથે જોડાયેલી કેટલીક કાનૂની જવાબદારીઓ પણ છે. પૂ. ગુરુદેવ દ્વારા બનાવેલા ટ્રસ્ટના નિયમો(ટ્રસ્ટ ડીડ)ના આધારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટોનાં નામ રજિસ્ટર્ડ કરાવવામાં આવ્યાં છે. આ બધાં ટ્રસ્ટોએ ભારતીય ટ્રસ્ટ અધિનિયમોના આધારે ટ્રસ્ટની કાયદાકીય વ્યવસ્થા નિભાવવાની જવાબદારી ઉઠાવવાની છે. (આને વિસ્તારથી સમજવા ‘ટ્રસ્ટ બુક’ પુસ્તિકા વાંચો)
સારાંશ એટલો છે કે શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોને સમર્થ તંત્રનાં શક્તિશાળી અંગ બનાવવા માટે તેમની સાથે જોડાયેલા પરિજનોએ નૈતિક અને કાનૂની જવાબદારીઓ ઉઠાવવી પડશે. રજતજયંતી વર્ષમાં ઓછામાં ઓછું આ બંને ક્ષેત્રોમાં પ્રામાણિક બનવાના પ્રયત્નો કરવાના છે.
જવાબદારી ઉઠાવો અને સહયોગ વધારો
દરેક પ્રાણવાન સંગઠન એકમ પોતાની જવાબદારી સમજી પૂરી કરવાની પહેલ કરે. કોઈ બીજું આ કામ કરે એવી રાહ જોવામાં સમય બરબાદ ના કરે. પોતે પહેલ કરી પ્રાણવાન પરિજનોને વિશ્વાસમાં લઈને તેમનો સહયોગ મેળવી યોજનાને ગતિશીલ કરે. જો કોઈએ પહેલ કરી દીધી હોય તો તેને સહકાર આપે. આ કાર્ય માટે સંગ્રઠન અંતર્ગત તાલુકા, જિલ્લા, ઉપઝોન તથા ઝોન કક્ષાની સંયુક્ત સમન્વય સમિતિઓ સાથે સંપર્ક રાખે. જો ક્ષેત્રમાં આવું કોઈ એકમ ન હોય તો સંગઠન કે શક્તિપીઠ શાંતિકુંજના સહયોગથી કામ આગળ ધપાવે.
એ યાદ રાખો કે યુગનિર્માણ આંદોલનને વેગ આપવા પૂ. ગુરુદેવે ગાયત્રી શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોની સ્થાપના કરી છે. તેની સાથે જોડાયેલા પરિજનોની એ નૈતિક જવાબદારી છે કે તેઓ પીઠોને યુગઋષિના આદેશ અનુસાર વિકસિત કરી પ્રભાવશાળી બનાવે. આ માટે જવાબદાર વ્યક્તિઓની એક સમર્થ ટુકડી હોવી જોઈએ. એમની બે મુખ્ય જવાબદારીઓ છે :
(૧) ત્યાં સમયદાનીઓ તથા નૈષ્ઠિકોનું એટલું તંત્ર વિકસિત થાય કે પીઠ દ્વારા નક્કી કરાયેલાં ક્ષેત્રનાં ગામેગામ અને ઘરેઘર સુધી નવસર્જનની પ્રેરણા અને શક્તિનો સંચાર કરવાની જવાબદારી નિભાવે. આ સાથે પ્રચારપ્રસાર, સાધના, તાલીમ તથા આંદોલનોને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન થતું રહે.
(૨) ટ્રસ્ટ અંતર્ગત જે સ્થાવર તથા જંગમ સંપત્તિ ઊભી કરવામાં આવી છે તે આ કાર્યને અનુરૂપ પ્રામાણિક અને પારદર્શી હોય.
પૂજ્ય ગુરુદેવે આ સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. તેમનું કહેવું છે કે શક્તિપીઠના નામે ઈમારત બનાવીને પોતાની તથા વૈધાનિક જવાબદારીઓથી વિમુખ રહે તેને સામાન્ય શબ્દોમાં ‘છોકરમત’ અથવા કડક શબ્દોમાં ‘યુગદેવતા સાથે ધોખો’ જેવું પાપ કહી શકાય. તેઓ જનતા અને પ્રજ્ઞાસન બંનેની દૃષ્ટિએ ગુનેગાર છે. જો કાનૂની વ્યવસ્થા હિસાબકિતાબ બધું ન બરાબર હોય, પણ નૈતિક તથા સામાજિક કર્તવ્યોનું પાલન થતું હોય તો તેવાને સમાજ ધુતારાની કક્ષામાં જ ગણશે. આનાથી ઊલટું જેઓ નૈષ્ઠિક રીતે કામ કરે છે, પણ કાનૂની તથા હિસાબી પાસું બરાબર ન રાખે તો ગમે ત્યારે કાયદાના સકંજામાં ફસાઈ શકે છે. તેઓ ભલા હોવા છતાં મૂર્ખ જ ગણાશે.
આજે નૈતિક પરિજનો પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે રજતજયંતી વર્ષમાં પોતાના ક્ષેત્રનાં પ્રજ્ઞાસંસ્થાનોમાં આ બંને પાસાં વ્યવસ્થિત કરવા કટિબદ્ધ બને. નૈતિક જવાબદારીઓનો ખ્યાલ તો પૂ. ગુરુદેવના અત્યાર સુધીના નિર્દેશોમાંથી આવી ગયો છે. આગળ પણ સવિસ્તાર ચર્ચા કરવામાં આવશે. અહીં થોડોક પ્રકાશ કાનૂની જવાબદારીઓ પર પાડવામાં આવ્યો છે.
મહત્તા અને મર્યાદા સમજો
યુગનિર્માણ મિશનનાં વધતાં કાર્યો પૂરાં કરવા પોતાનાં મકાનોની જરૂર જણાતાં શક્તિપીઠો ઊભી કરવામાં આવી. ક્ષેત્રમાં કાર્ય વિસ્તારની જવાબદારી તો ક્ષેત્રી- કાર્યકતાઓ ઉઠાવે છે. તમને સાધના, તાલીમ તથા આંદોલન ચલાવવા માટે જરૂરી સગવડ પૂરી પાડવા માટે નિયમાનુસાર ટ્રસ્ટો બનાવી રાક્તિપીઠ ઊભી કરી. આ વ્યવસ્થા સંભાળવા સ્ટીઓ નીમવામાં આવ્યા. તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાની જવાબદારીઓ તત્પરતાથી પૂરી કરે, જેથી કાયકત્તાઓ ઉત્સાહપૂર્વક અભિયાનન ગતિ આપવાનું કામ કરતા રહે. જનતાનાં સાધનોથી લોકમંગળના કાર્યો ચાલતાં રહે અ તો સરકાર પણ ઇચ્છે છે. એટલા માટે લોકસવી ટ્રસ્ટોને અનેક સગવડો આપવાની જોગવાઈઓ પણ તેની પાસે છે.
પાછલા દિવસોમાં સરકારે આપેલી છૂટછાટોનો ગેરલાભ ઉઠાવવા કેટલાંય સ્વાર્થી તત્ત્વોએ ગોરખધંધા કર્યા. ટ્રસ્ટોને મળતી છૂટછાટો તો લીધી, પણ જનસેવાની જવાબદારીઓ નિભાવી નહિ, જેથી સરકારે જરા કડક નિયમો અપનાવ્યા છે. સ્ટોના કાયદા કડક બનાવવાની પ્રક્રિયા ચાલે છે. આ નિયમોનો અભ્યાસ અને તેમનું પાલન કરવામાં ખામી રહેશે તો કાયદાકીય રીતે તેમને ગુનેગાર માની કાર્યવાહી કરી શકે છે. આપણે સરકારની મુશ્કેલી સમજીને કાયદાનું પ્રામાણિક રીતે પાલન કરવું જોઈએ.
શું કરીશું ?

  • ક્ષેત્રનાં સંગઠિત એકમો, જિલ્લા, ઉપઝોન કે ઝોનની સમન્વય સમિતિઓની વિધિવ્યવસ્થા, નીતિનિયમો અને હિસાબકિતાબને ઊંડાણથી સમજનારા પરિજનોનો સમાવેશ કરો.
  • ક્ષેત્રમાં જ્યાં જ્યાં પ્રજ્ઞાસંસ્થાન છે તેમનો સંપર્ક કરો. ટ્રસ્ટીઓને તેમની જવાબદારીઓ અને મર્યાદાઓ સમજાવો. આ માટે યોગ્ય વ્યક્તિઓને સમીક્ષકો બનાવી મોકલો. દરેક સંસ્થાનમાં નીચે પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરી જરૂરી સુધારાવધારાની પ્રક્રિયા ચલાવોઃ
  • શું શક્તિપીઠ કે ટ્રસ્ટ મિશનના ધારાધોરણ પ્રમાણે રજિસ્ટર્ડ થયેલું છે ?
  • શું ટ્રસ્ટની બેઠકો નિયમિત રીતે થાય છે ? તેમની નોંધ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે ?
  • આવકજાવકનો હિસાબ સરકારી નિયમો પ્રમાણે રાખવામાં આવે છે ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ થઈ એનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ?
  • જે જમીન પર પીઠ બની છે તે કાનૂની રીતે ટ્રસ્ટના કબજામાં લીધેલી છે ? * ટ્રસ્ટીઓમાં અંદરોઅંદર તાલમેલ છે ? તેઓ પોતાની જવાબદારીઓ અને મર્યાદાઓ સમજે છે ?
  • નિષ્ક્રિય અને અવસાન પામેલા ટ્રસ્ટીઓની ખાલી જગ્યાઓ વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે છે ? * ટ્રસ્ટીઓ અને ક્ષેત્રના કાર્યકર્તાઓ વચ્ચે તાલમેળ છે ?
    નૈતિક વિધિ સહગમન
  • જો આમાંથી ગમે તેમાં કમી જણાતી હોય તો સંબંધિત વ્યક્તિઓને સમજાવીને સ્થાનિક એકમો અથવા જરૂર પડ્યે શાંતિકુંજને વચ્ચે રાખી સુધારી શકાય. કોઈ પણ પ્રકારની અનિયમિતતા કાયદાકીય ગુનો છે. આપણા તંત્રે નૈતિક અને કાનૂની રીતે પણ પ્રામાણિક અને પારદર્શી બનાવવાનું છે. શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એક પણ પીઠ કાયદાની દૃષ્ટિએ પાંગળી ન રહે. ન આગામી દિવસોમાં કાયદા કડક થવાના છે. અજ્ઞાનતાને કાયદાની દૃષ્ટિએ માન્ય રાખવામાં આવતી નથી, જેથી ઓછામાં ઓછું આપણી ગરિમા ટકાવી રાખવા પણ આપણે જાગૃત રહેવું જોઈએ.
  • પીઠોનું મુખ્ય કાર્ય બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિને ગતિશીલ બનાવવાનું છે. નૈષ્ઠિક સમયદાનીઓથી જ આ કામ થઈ શકે, છતાં પીઠની કાયદાકીય પ્રામાણિકતાનું રક્ષણ તો ટ્રસ્ટીઓ કરે છે. એના વિના સરકારી તંત્ર દ્વારા પીઠ અપ્રમાણિક જ સાબિત થશે. દરેક પીઠ પર કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ વચ્ચેનો તાલમેળ હોવો ખૂબ જ જરૂરી છે. તેમની વચ્ચે પ્રેમ તથા આત્મીયતાભર્યા સંબંધો આવશ્યક છે. પૂરેપૂરી જવાબદારીઓ એકલા ટ્રસ્ટીઓ ઉઠાવી શકે નહિ અને એકલા ક્ષેત્રીય કાર્યકર્તાઓ પણ ઉઠાવી શકે નહિ. બંનેએ એકબીજાની અગત્યતા સમજી, તાલમેળ બેસાડી, એકબીજાને સન્માન આપી આગળ વધવાની રીત જ અપનાવવી પડશે.
  • એટલા માટે રજત જયંતી વર્ષમાં પીઠોની કાયદાકીય વ્યવસ્થા સંભાળવાની સાથેસાથે ટ્રસ્ટીઓ અને કર્મઠ પરિજનો વચ્ચે સમન્વય તંત્ર પણ ગોઠવવાનું છે. આ સંદર્ભે ‘સંગઠનની રીતિનીતિ’ પુસ્તિકા ઉપયોગી બનશે. અહીં સંક્ષિપ્તમાં તેનો માત્ર ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે.
  • ટ્રસ્ટીમંડળની પૂરક કાર્યકારી સમિતિ પણ સક્રિય હોવી જરૂરી છે, જેને સંયુક્ત સમન્વય સમિતિ પણ કહી શકાય. ક્ષેત્રમાં કાર્યવિસ્તાર, સમયદાનીઓની પસંદગી, તાલીમ, આયોજનોનું કામ આ કાર્યકારી સમિતિ જ સંભાળે છે. ટ્રસ્ટે તેનાં કાર્યો માટે જરૂરી સગવડો પૂરી પાડવાની છે. બંનેમાં સમન્વય હોવો જરૂરી છે. કાર્યકારી સમિતિની બેઠકોમાં ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ એ પણ હાજર રહી આ સમિતિને વિશ્વાસમાં લઈ પારદર્શી વ્યવસ્થા બનાવવી જોઈએ.
  • પીઠના ક્ષેત્રનાં દરેક મંડળ ટ્રસ્ટની રસીદો પર ફંડફાળો ઉઘરાવી એનો ચોખ્ખો હિસાબ રાખે. માસિક હિસાબ ટ્રસ્ટના એકાઉન્ટન્ટને આપે. જરૂર હોય તો એકાઉન્ટન્ટ પાસેથી કાયદાકીય રીતે ચોખ્ખો હિસાબ રાખવાની પદ્ધતિ શીખી લેવી જોઈએ.
  • શક્તિપીઠ માટે સમયદાનીઓ મેળવી આપવાનું કામ કાર્યકારી સમિતિનું છે. તે આશ્રમવ્યવસ્થા, સંગઠનવ્યવસ્થા અને આંદોલન વ્યવસ્થા માટે જરૂરી કમિટિઓ બનાવે અને બધાં સાથે વ્યાવહારિક તાલમેલ બેસાડે.
    રજત જયંતી વર્ષમાં ઓછામાં ઓછી આટલી વ્યવસ્થા બધી પીઠોમાં થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. જે આ વ્યવસ્થા ન કરી શકે તેમને યુગઋષિના તંત્રના નિયમો અંતર્ગત પીઠની માન્યતા નહિ મળે. એને પરંપરાગત ગાયત્રી મંદિર જ માનવામાં આવશે. સંચાલકગણે પોતાની જવાબદારીઓ સમજવા અને સ્વીકારવા ‘સંગઠનની રીતિનીતિ’ અને લોકસેવીઓ માટે દિશાબોધ’ પુસ્તિકાઓનો અભ્યાસ કરવો જોઈએ.

૮. તીર્થોનાં અભિન્ન અંગ :

તીર્થોનાં અભિન્ન અંગ :
પરિવ્રાજકોને તીર્થોનાં અભિન્ન અંગ માની યુગઋષિએ યુગતીર્થોમાં પ્રાણવાન પરિવ્રાજકોની નિમણૂક અને તેમની મર્યાદાઓ પર પ્રકાશ પાડતાં અખંડજ્યોતિ મે – ૧૯૭૯માં લખ્યું હતું :
“પ્રવ્રજ્યા અભિયાન અને ગાયત્રી તીર્થની સ્થાપના એકબીજાનાં પૂરક છે. બંને વચ્ચે એકબીજાની મદદનો સંબંધ રહેશે. શક્તિપીઠોને પાંચ તત્ત્વોથી બનેલું શરીર અને તેમાં પ્રવૃત્તિઓનો સંચાર કરનાર પાંચ પ્રાણના પ્રતીકરૂપે પાંચ પરિવ્રાજકોને જોઈ શકાશે.


ગાયત્રી તીર્થોનું નિર્માણ ઉચ્ચ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે થઈ રહ્યું છે. તેમની પ્રવૃત્તિઓનું સંચાલન કરનારી વ્યક્તિઓ પણ તેને અનુરૂપ શ્રેષ્ઠ હોય તો જ સંપર્કમાં આવનાર વ્યક્તિમાં શ્રદ્ધા અને ધર્મનો સંચાર કરી શકે. માત્ર પરિવ્રાજકોની ઉચ્ચ ગુણવત્તા પર જ ધર્મસંસ્થાનોની સફળતા સિદ્ધ થવાની આશા રાખી શકાય.
શક્તિપીઠોના પરિવ્રાજકો બ્રહ્મવર્ચસ, શાંતિકુંજમાં તાલીમ મેળવશે. સોંપેલી જવાબદારીઓ સારી રીતે સંભાળી શકે તે માટે તેમને ગુણ, કર્મ અને સ્વભાવની દૃષ્ટિએ શ્રેષ્ઠ અને યોગ્ય બનાવવામાં આવશે. તીર્થપુરોહિતને ઉપાસના પદ્ધતિ અને ધાર્મિક વિધિવિધાન કરાવવાની શાસ્ત્રીય જાણકારી હોવી જરૂરી છે. તેઓ પોતાના વિષયમાં પારંગત થશે ત્યારે તેમને તીર્થોમાં મોકલવામાં આવશે. સીધેસીધી કોઈની ક્યાંય નિમણૂક નહિ થાય અને જરૂરી તાલીમ ન મળે ત્યાં સુધી કોઈને તીર્થસંચાલનની જવાબદારી પણ નહિ સોંપાય.
પરિવ્રાજક એક વર્ષથી વધારે સમય ક્યાંય નહિ રહે. દર વર્ષે તેમની બદલી થશે. પાંચેય એક સાથે રહે એ જરૂરી નથી. જૂની ટોળીઓ ક્યારેક અપવાદ રૂપે જ એક વર્ષથી વધારે સમય એક જગ્યાએ રહેશે. તે સિવાય સામાન્ય રીતે દરેકની બદલી થતી રહેશે. તેનાથી તેમને તીર્થસેવનનો મોટો લાભ મળશે અને પ્રવ્રજ્યા લેતી વખતે પરિભ્રમણ કરવાની લીધેલી પ્રતિજ્ઞા પણ પૂરી કરી શકાશે. સરકારી કર્મચારીઓની ફરજિયાત બદલી કરવામાં આવે છે. વહેતા પાણીમાં સ્વચ્છતા ટકી રહે છે. બંધિયાર જળાશયો ગંધાય છે. એક સ્થળે રહેનારા સંતો પણ ક્યારેક સામાન્ય ગૃહસ્થની જેમ લાલચુ, સંઘરાખોર અને કાવતરાબાજ બની જાય છે. ગાયત્રી તીર્થોના સંચાલક લોભમોહનાં બંધનોમાં ન બંધાય. કોઈ પણ સ્થાન પચાવી પાડવાનો પ્રપંચ ન કરે તે માટે શરૂઆતથી જ સ્થળાંતરની વ્યવસ્થા કરી છે. મોહવશ સ્થળ છોડવું ગમતું નથી, પણ છોડવાના ફાયદા વધારે છે.”
આ નિર્દેશ જ્યારે શક્તિપીઠો માત્ર ગણીગાંઠી સંખ્યામાં બનવાની હતી ત્યારે લખાયો છે. સંખ્યા પુષ્કળ વધવાથી નિયુક્તિ અને બદલીઓમાં વ્યવહારુ ફેરફાર કરવામાં આવ્યા છે, જે “સંગઠનની રીતિનીતિ ’” પુસ્તિકામાં વાંચી શકશો.
નિમણૂક અને નિભાવ :
યુગાંતરીય ચેતનાના પ્રવાહ દેશના ખૂણેખૂણે પહોંચ્યો છે. નવસર્જનની પ્રેરણાઓને જાગૃત કરી હોય એવા આત્માઓને શોધવા મુશ્કેલ નથી. પરિવ્રાજકો જો પોનાના ક્ષેત્રમાંથી જ મળી જાય તો તે વધારે ઉપયોગી બને છે. અખંડ જ્યોતિ મે ૧૯૭૯માં તેમણે લખ્યું છે :
“વ્યવસ્થિત અને નિયમિત સેવાસાધનામાં રત રહી શકે એવા સેવાભાવીઓમાં કમાવાની જવાબદારીથી મુક્ત લોકો પણ હોઈ શકે કે જેમના પર કોઈ કૌટુંબિક જવાબદારી નથી, જેમનાં બાળકો પગભર થઈ ગયાં છે અથવા બાપદાદાની એટલી મિલકત હે કે તેના ભાડા કે વ્યાજમાંથી પણ નિભાવ થઈ શકે છે. આવી પ્રતિભાઓને વાનપ્રસ્થો જેવી પ્રવૃત્તિ અપનાવવા સંમત કરવી જોઈએ.
આ પ્રકારના સેવાભાવી અને સ્વાવલંબી લોકો ન મળે તો જેમના બ્રાહ્મણોચિત નિભાવની વ્યવસ્થા પ્રજ્ઞાસંસ્થાનો કરે એવા પ્રતિભાસંપન્ન લોકોને પણ શોધી કાઢીને નિયુક્ત કરવા જોઈએ. ઘરની મહિલાઓ ઇચ્છે તો થોડીઘણી આવક ઊભી કરી શકે છે. સંચિત નાણાંના મળતા બીજમાંથી પણ પૂરું થઈ શકે, ઓછું પડે તો પ્રજ્ઞાસંસ્થાનો એની વ્યવસ્થા કરે.
શક્તિપીઠો સાથે જોડાયેલા પરોવ્રાજકોના નિભાવની વ્યવસ્થાના કેટલાક સ્તર છે. કુટુંબ માટે કંઈ મોકલવું ન પડે તેવાને પ્રાથમિકતા આપવી જોઈએ. શક્તિપીઠ પર રહેનાર પરિવ્રાજકોનો નિભાવ શક્તિપીઠો કરશે. એમાં કેટલાક એવા પણ હોઈ શકે, જે પોતાને ઘેરથી નિભાવ માટે જરૂરી રકમ મંગાવતા રહે. દરેક શક્તિપીઠ પર એક વાનપ્રસ્થ પત્ની સાથે રહેતો હોવો જોઈએ. તેની સાથે બાળકો નહિ હોય. આ પતિપત્ની સાથે મળીને પૂજા, આરતીથી માંડીને અતિથિસત્કારની વ્યવસ્થા સંભાળે. આ સિવાય ચાર બીજા પરિવ્રાજકો હશે. ચારેય પાસે સાયકલો હશે. બે-બેની ટોળીમાં નક્કી કર્યા પ્રમાણે તેઓ સંપર્કક્ષેત્રમાં જશે અને એક એક દિવસ એક એક ગામમાં રોકાશે. તેમનો નિભાવ શક્તિપીઠ કરશે. પોતાનું મૂળ વતન નજીક હોય અને રાત્રે પોતાને ઘેર રહી દિવસે આ ફરજો પૂરી કરવાનુ કામ કરી શકે એવા પરિવ્રાજકો પણ ઉપયોગી સાબિત થશે. આવી સ્થિતિમાં ઘર અને શક્તિપીઠ બંનેન સંભાળવા શક્ય બનશે અને કુટુંબીઓનો વિરોધ પણ નરમ પડશે. જરૂર પડ્યે આવા લોકોના નિભાવમાં ખૂટતી વ્યવસ્થા શક્તિપીઠ કરી શકે.
નિભાવ ખર્ચ બાબતે બધાને એક લાકડીએ હાંકી ન શકાય. પરિસ્થિતિની ભિન્નતાને સમજી ફેરફાર કરવાં પડે. છતાં યોગ્ય યુગશિલ્પીઓએ અ દ્વિધામાં રહેવાની જરૂર નથી કે તેઓ નિભાવ વ્યવસ્થા ન થઈ શકવાથી મિશનનું કામ કરી શકતા નથી.
આ માટે સક્ષમ ભાવનાશીલોએ આગળ આવવું જોઈએ. અખંડજ્યોતિ ફેબ્રુઆરી ૧૯૭૯ના અંકના પાન ૫૩-૫ ૪ ઉપર પુજ્યરે લખ્યું છે :
“યુગસંધ્યાની આ વિશષ્ટ વેળા છે નવસર્જન માટે યોગદાન આપવામાં આનાકાની ન કરવો જોઈએ. જાગૃત આત્માઓ માટે નવસર્જનનું આમંત્રણ અંતરિક્ષમાંથી ઊતર્યું છે. તેનો અસ્વીકાર કરવામાં દરેક દૃષ્ટિએ ખોટ જ જવાની છે. આ જેટલું વહેલું સમજી શકો તેટલું સારું.
મહાકાલના આહ્વાનને જાગૃત આત્માઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી નવસર્જન માટે સમયદાન આપવું જોઈએ. સુદામાએ બગલમાં દબાવી રાખેલી પૌંઆની પોટલી આપવી પડતી હતી. કર્ણે સોનાથી જડેલા દાંત ઉખાડી આપવા પડ્યાં હતા, બિલ અને હરિશ્ચંદ્રે રાજ સિંહાસન ખાલી કરવાં પડ્યા હતાં. શબરીએ બોર અને ગોપીઓએ દહીંમાખણ ગુમાવવાં પડ્યાં હતાં. ગરીબ વિદુરજી માત્ર ભાજી જ પીરસવાની સ્થિતિમાં હતા, છતાં જે આપી શકતા હતા તેમાં કંજૂસાઈ ન કરી. સાધન ન હોય પણ શ્રમ અને મનોયોગ તો દરેક પાસે હોય છે. તે તો ગીધ, ખિસકોલી, રીંછ, વાનરો જેવા સાધનહીન લોકો પણ આપી શકે છે. સમયદાનની માગ એવી છે કે કોઈ પણ ભાવનાશીલ તે પૂરી કરી શકે. ગરીબાઈ, નવરાશ ન હોવી, ચિંતા, વિટંબણાઓનાં બહાનાં ઊભાં કરવાની જરૂર નથી. આવી બનાવટોમાં આપણા મગજનું કારખાનું એટલું ઝડપી છે કે વાત જ ના પૂછો. સહયોગ ન આપી શકવાનાં સેંકડો બહાનાં તથા કારણો બતાવી દેશે.
હકીકત કંઈક જુદી જ છે. અતિવ્યસ્તતામાંથી પણ માનવી ધારે તો પોતાને પ્રિય કામ કરવા માટે કોઈ ને કોઈ રીતે સમય ફાળવી શકે છે. ગરીબાઈ, બીમારી, વ્યસ્તતા અને સમસ્યાઓની જાળજંજાળ પણ એને એ કામ કરતાં રોકી શકે નહિ. કેટલાય એવા ભાવનાશીલો છે, જે પોતાના અંતરાત્માનો, મહાકાલનો તથા યુગનો પોકાર સાંભળવામાં અને સ્વીકા૨વામાં ગૌ૨વ અનુભવે છે. આપણો અંતરાત્મા જેને અગત્યનું માને તે કામને વધારે અગ્રિમતા આપવી જોઈએ.
સંચાલકો પાસે આશા
પૂ. ગુરુદેવે સંગઠનને કૌટુંબિક આધાર પર વિકસિત કર્યું છે. પીઠોનું સંચાલન પણ જાગૃત પારિવારિક તંત્ર દ્વારા જ થવું જરૂરી છે. પીઠોનું નિર્માણ, વ્યવસ્થા, નિભાવ અને અન્ય બાબતો માટે ક્ષેત્રના સક્રિય સમયદાનીઓ તથા પરિવ્રાજકો સાથે તાલમેલ બેસાડી આગળ વધવું જરૂરી છે. આ સંદર્ભેપ્રજ્ઞા અભિયાન જૂન – ૧૯૮૧ માં તેઓ લખે છે :
“કાર્યકર્તાઓની નિમણૂક બાદ સંચાલકોએ એવી આશા ન રાખવી જોઈએ કે સંસ્થાનની પ્રવૃત્તિઓ ચલાવવા પ્રતિભાશાળી વ્યક્તિઓ મળી જ જશે. જે ઉત્સાહ, ધગશ તથા કૌશલ્ય ભવન નિર્માણ વખતે રાખ્યાં હતાં તેવાં જ આ પ્રવૃત્તિઓ ચલાવવા માટે પણ રાખવાં પડશે.
ક્ષેત્રને જાગૃત કરવા, વિધિવ્યવસ્થા સંભાળવા અને જનસંપર્ક કરવા યોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ. આ કાર્યકર્તાઓ પ્રજ્ઞાસંસ્થાનની વિધિવ્યવસ્થા સંભાળી, સ્થાનિક દિનચર્યા પૂરી કર્યા પછી બીજું કંઈક કરશે એવી આશા ન રખાય. આ માટે સંચાલકોએ જાતે જ સજાગ અને તત્પર રહેવું પડશે. પ્રજ્ઞાસનનું માળખું આ રીતે જ ચાલે છે. અમુક ચૂંટેલા પ્રતિનિધિઓ નીતિ નક્કી કરે છે અને તેનો અમલ કરવાની જવાબદારી સચિવો પર છોડે છે. તેમનો સમય દફતર સંભાળવામાં નહિ, પણ જનસંપર્ક કરી યોગ્ય વાતાવરણ બનાવવામાં જાય છે. પ્રજ્ઞાસંસ્થાનોમાં પણ આ રીતે કામ લાગશે. મંદિરોની વર્તમાન વ્યવસ્થા પણ આ રીતે જ ચાલી રહી છે. આવી પદ્ધતિથી દૂર રહી વિશુદ્ધ આદર્શવાદી કાયપદ્ધતિ અપનાવવી વર્તમાન સ્થિતિઓમાં શક્ય નથી. સમય બદલાતાં સેવાભાવી સમયદાનીઓ કોઈ આશા (આર્થિક ઉપાર્જનની) રાખ્યા વિના હળીમળીને કામ કરશે એવી પરિસ્થિતિઓ આવશે. અન્ય સંસ્થાઓએ પણ કલાર્ક, પટાવાળા, પ્રચારક વગેરે નીમવા પડે છે. જરૂર પડ્યે પ્રજ્ઞા સંસ્થાનોએ પણ આ વ્યવસ્થા કરવી પડશે. પ્રથમ સંપર્ક સાધવાની અને સંમત કરવાની જવાબદારી સંચાલકોની છે. આ લોકોને મળવાનો તથા વિચારવિમર્શ કરવાનો ક્રમ પણ એમણે ચલાવવો પડશે. જેઓ પ્રભાવિત થાય તેમનો જન્મદિવસ ઊજવવાની અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સંચાલકોની છે. નિમણૂક પામેલા કાર્યકર્તાઓ તો ચીધેલાં કામ પૂરાં કરવા માટે દોડાદોડી કરી શકે છે. તે માટે ફુરસદના સમયવાળી સેવાભાવી વ્યક્તિને પૂરા અથવા થોડા સમય માટે મિશનરી ભાવનાથી યા નજીવી આર્થિક સહાય આપીને નીમી શકાય છે.
પ્રજ્ઞાપીઠો પર નિમણૂક પામેલા કર્મચારીઓ પર જ બધી જવાબદારી નાખી પોતે નિશ્ચિત ન થઈ જવું જોઈએ. પ્રજ્ઞાપુત્રોએ, પ્રજ્ઞાસંસ્થાનના સંચાલકોએ સંસ્થાનના કામકાજ તથા પ્રવૃત્તિઓ માટે હરહંમેશ આગળ પડતો ભાગ લેવા તત્પર રહેવું જોઈએ.

%d bloggers like this: