૧૦૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉત સ્વઃ પશ્યન્ન દદર્શ વાતમુત ત્વઃ શૃણ્વન શ્રુણોત્યેનામ્ ।  (ઋગ્વેદ ૧૦/૭૧/૪)

ભાવાર્થ : જે સદુપદેશ સાંભળે, પરંતુ તેને પોતાના જીવનમાં ધારણ ન કરે તે આંધળા અને બહેરા સમાન જ છે.

સંદેશ : ઋષિપરંપરા ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર છે. સમાજમાં બુદ્ધિમાન અને બુદ્ધિહીન બધા પ્રકારના માણસો રહે છે. દરેક માણસ ન તો વાંચીલખી શકે છે અને ન ગ્રંથોને વાંચીને તેમનો વાસ્તવિક અર્થ સમજી શકે છે. ઋષિગણ પોતાનું સમગ્ર જીવન અધ્યયન અને જ્ઞાનપ્રાપ્તિમાં જ ખર્ચી નાખતા હતા. નિરંતર ચિંતનમનન કરતાં કરતાં માનવમાત્રની માનસિક જરૂરિયાતો પૂરી કરવાની ચિંતામાં ડૂબેલા રહેતા હતા. ધર્માચાર્યો અને વિદ્વાનોએ ઘણી જ ગંભીરતા અને તત્પરતાથી માનવનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. સમયની જરૂરિયાત અનુસાર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનો માર્ગ શોધીને મનુષ્યને અંધકારમાં ભટકતાં બચાવ્યો છે. તીર્થો તથા બીજાં સગવડતાવાળાં સ્થળો પર ધાર્મિક આયોજનો આ ઉદ્દેશ્યથી થતાં હતાં. આ ગોષ્ઠીઓમાં પ્રવચન તથા ઉપદેશોના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપવામાં આવતું હતું, જેનાથી તેઓ તકલીફોમાંથી છુટકારો મેળવી શકે. આ જ્ઞાન તેમને એટલું બધું સામર્થ્ય આપતું હતું કે તેઓ પોતાના દોષદુર્ગુણોનો ત્યાગ કરીને તેમના સ્થાને સદ્ગુણોની સ્થાપના કરી શકે અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે.

આ પરંપરા આજે પણ હયાત છે. સ્કૂલ-કૉલેજોમાં, મંદિરોમાં, બીજાં ધાર્મિક આયોજનોમાં અપાતા ઉપદેશોનું લક્ષ્ય આ જ હોય છે. આ પ્રવચનો અને ઉપદેશ કોઈ તર્કવિતર્ક અથવા વાદવિવાદનો વિષય હોતાં નથી, પરંતુ તેમને પોતાના આચરણમાં ઉતારવા પડે છે. વિદ્વાન લોકો તો પહેલાં જ ઊંડા ચિંતન, મનન અને પ્રયોગો દ્વારા એ હકીકતોની સત્યતાને પારખીને માનવને ઉપયોગી અંશ જ આપણી સામે રજૂ કરે છે. તેમના ઉપદેશો પર શંકા કરીને તો આપણે પોતાની જ સ્થિતિને હાસ્યાસ્પદ બનાવી દઈએ છીએ.

પરંતુ આજે સ્થિતિ કંઈક એવી બની ગઈ છે કે જે માણસ જેટલો વધારે અજ્ઞાની છે તે પોતાની જાતને એટલો જ વધારે બુદ્ધિમાન પ્રદર્શિત કરે છે. કોઈ સારી વાત સાંભળવી તેને ગમતી જ નથી. ઉપદેશ ભલેને માતાપિતાનો હોય કે વિદ્વાન સંતમહાત્માનો, પણ તેમને સાંભળવામાં અને તેનું આચરણ કરવામાં તે પોતાનું અપમાન સમજે છે અને ઊલટો તેમની મજાક ઊડાવે છે.

ધર્મની જે વ્યાખ્યાઓ આપણા ઋષિઓએ આપી છે તેની સામે સંસારમાં કોઈ પણ બુદ્ધિમાનને વિરોધ ન હોઈ શકે. ધર્મ શું છે ? નૈતિક નિયમોનો સંગ્રહ જ ધર્મ છે. આ નિયમોનું પાલન કર્યા વગર મનુષ્યનું નતો વ્યક્તિગત જીવન સારી રીતે ચાલી શકે છે કે ન સામાજિક જીવન. આ નિયમોનું પાલન નહિ કરવાના કારણે જ મનુષ્યજીવનમાં વિકાર આવે છે. જો આ નિયમો સારી રીતે ચાલતા રહે તો માનવસમાજમાં શાંતિ, આનંદ અને સદ્ભાવનો વાસ થાય છે. જ્યાં એ નિયમો પ્રમાણે લોકો આચરણ નથી કરતા ત્યાં દુઃખ, કલહ અને કલેશનું વાતાવરણ રહે છે.

વિદ્વાનોનો ઉપદેશ આ જ ધ્યેયની પૂર્તિ કરે છે, પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આંધળાબહેરાની જેમ તેની ઉપર ધ્યાન નથી આપતા અને પોતાની ઉન્નતિના સોનેરી અવસરોને એમ જ ગુમાવી દઈએ છીએ.

આપણે સદુપદેશો પ્રમાણે આચરણ કરવાને આપણા સ્વભાવનું એક અંગ બનાવી લેવું જોઈએ.

૧૧૧. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨/૧૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨/૧૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સુરરસ વર્ચોધા અસિ તનૂપાનોડિસ । આપ્નુહિ શ્રેયાંસમતિ સમં ક્રામ ॥  (અથર્વવેદ ૨/૧૧/૪)

ભાવાર્થ : હે મનુષ્યો ! માનવજીવનને સાર્થક બનાવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરો, તેજસ્વી બનો અને શારીરિક દૃષ્ટિથી બળવાન બનો. પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ ન રહેતાં આગળ વધવાનો પ્રયાસ કરતા રહો.

સંદેશ : પ્રાચીનકાળમાં અધ્યયન પૂરું કરીને શિષ્યો જ્યારે ગુરુકુળમાંથી વિદાય લેતા હતા ત્યારે ગુરુ તેમને ઉપદેશ આપતા હતા, “સત્યંવદ, ધર્મ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ” અર્થાત્ સાચું બોલો, ધર્મનું આચરણ કરો અને સ્વાધ્યાયમાં કદીયે આળસ ન કરો. આ ઉપદેશ યોગ્ય છે. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, પરંતુ જો તેને સતત પરિમાર્જિત ન કરવામાં આવે તો કાળાંતરે તે નિરુપયોગી થઈ જાય છે. વાસણોને ફક્ત એકવાર માંજવાથી કામ ચાલતું નથી. વાતાવરણનો પ્રભાવ તેમને મલિન કરી નાંખે છે. તેમને સ્વચ્છ તથા ઉપયોગી રાખવા માટે નિત્ય માંજવાં તથા ધોવાં પડે છે. એ જ પ્રમાણે જ્ઞાનને પણ સ્વાધ્યાય દ્વારા પ્રખર કરવામાં ન આવે તો તેના પર પણ અજ્ઞાનતાની ધૂળ જામવા લાગે છે અને અભ્યાસ ન રહેવાને કારણે તે ભુલાઈ જાય છે.

સ્વાધ્યાય માટે સર્વશ્રેષ્ઠ ગ્રંથ તો વેદ જ છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઈશ્વરનો પ્રાણ છે. તે અનાદિ અને અનંત છે. પ્રતિભાવાન ઋષિમુનિઓ દ્વારા ઉગ્ર તપશ્ચર્યા કરીને જીવનભરના અધ્યયન દ્વારા સંપાદિત જ્ઞાનનો સંગ્રહ જ વેદ છે. વેદોમાં સંસારની બધી કળાઓ, કૌશલ્ય, વિજ્ઞાન, રાજનીતિ અને ભવિષ્યના કોઈ પણ વિષય પર નવીનતમ પ્રકાશ પાડવાનું સામર્થ્ય છે.

માનવજીવનમાં પેદા થતી વિવિધ મુશ્કેલીઓનું અધ્યયન કરીને તેમના ઉકેલનો માર્ગ શોધવાની વિદ્યા આપણને સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. પુસ્તકોને પોપટની જેમ ગોખવાને અથવા પાંડિત્ય બતાવવાને સ્વાધ્યાય કહેવાતો નથી. મહાપુરુષોના વિચારોને વાંચીને તેમનું મનન ચિંતન કરવાથી સરળ શબ્દોનો પણ અનંત અને અજ્ઞાત અર્થ પ્રગટ થાય છે. જ્ઞાનની ઉપાસના કરવાની સર્વોત્તમ વિધિ સ્વાધ્યાય જ છે.

આજકાલ સ્વાધ્યાયની વાત તો જવા દો, વિદ્યાલયોમાં પાઠ્યપુસ્તકોનું પણ અધ્યયન પૂરેપૂરી રીતે થતું નથી. શિક્ષકો પોતાના વિષયનું સર્વાંગી વાંચન કરીને પારંગત બનતા નથી અને વિદ્યાર્થીઓ પણ કોઈ પણ પ્રકારનો રસ લેતા નથી. પરીક્ષામાં પાસ થવા પૂરતી ગાઈડ ખરીદી લે છે, કેટલાક પ્રશ્નો તથા જવાબો ગોખી નાખે છે કે પછી ચોરી કરીને પાસ થઈ જાય છે. મોટા ભાગના શિક્ષકોએ શિક્ષણને ફક્ત ધંધો જ બનાવી દીધો છે. તેઓ વિદ્યાર્થીઓને પાસ થવા પૂરતું જ જ્ઞાન આપે છે. તેનાથી વધારે તેમની પાસે હોતું જ નથી. જ્યારે કૂવામાં જ પાણી ન હોય તો ન હવાડામાં ક્યાંથી આવે ? મોટા ભાગે આવી જસ્થિતિ છે. એના પરિણામે આજે સમાજમાં જ્ઞાન ઓછું અને અજ્ઞાન વધારે છે. સર્વત્ર ફેલાયેલ ભ્રષ્ટાચારનું આ પણ એક કારણ છે.

દિનપ્રતિદિન સમાજમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. લોકોની પાસે રૂપિયાપૈસાની કોઈ જ ખોટ નથી. સુખસમૃદ્ધિનાં ઘણાં સાધનો વસાવ્યાં છે. ઘરમાં દુનિયાભરનો સામાન જોવા મળશે, પણ સારાં પુસ્તકો ભાગ્યે જ કોઈ ઘરમાં જોવા મળશે. આજે અધ્યયનશીલતાનું યોગ્ય વાતાવરણ કોઈ જગ્યાએ દેખાતું જ નથી.

વસ્તુતઃ માનવજીવનમાં ગ્રંથોનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. ગ્રંથોમાં માનવીય વિચારો રહેલા હોય છે. સગ્રંથો સંસ્કાર આપે છે, મનુષ્યને ઉપદેશ આપે છે, સત્-અસત્નો વિવેક શિખવાડે છે. સુખના સમયે તેના આનંદમાં વૃદ્ધિ કરે છે, દુ:ખના સમયે સહાનુભૂતિ દર્શાવીને તેનું દુઃખ ઘટાડે છે. જો યોગ્ય રીતે એકાગ્રતાપૂર્વક સ્વાધ્યાય કરવામાં આવે તો મનુષ્યમાં ઓજસ અને તેજસની વૃદ્ધિ થાય છે. માનસિક તથા શારીરિક બળ વધે છે અને માનવજીવન સાર્થક થાય છે.

સ્વાધ્યાયથી મનુષ્યનું ચરિત્ર સોનાની જેમ ચમકવા લાગે છે. તેનાથી સદ્ગુણોની વૃદ્ધિ થતી જાય છે અને દોષદુર્ગુણોથી છુટકારો મળે છે. વાસ્તવિકતાનું જ્ઞાન થઈ જવાથી વ્યસનો પ્રત્યે આપોઆપ જ અરુચિ થવા લાગે છે. તેનાથી શારીરિક તંદુરસ્તી પણ વધે છે અને સુખસમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે. મનુષ્ય તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બને છે.

ચારિત્ર્ય મનુષ્યની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. તેનું રક્ષણ આપણા જીવનરક્ષણ કરતાં પણ ઘણું જ મહામૂલું છે. જે તેમાં સફળ થાય છે તે જ જીવનલક્ષ્ય સુધી પહોંચીને સંસારમાં યશસ્વી બની શકે છે.

૧૧૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ચેન દેવા ન વિયન્તિ નો ય વિદ્વિષતે મિથઃ । તત્ કૃણ્મો બ્રહ્મ વો ગૃહે સંજ્ઞાનં પુરુષેભ્યઃ ॥ (અથર્વવેદ ૩/૩૦/૪)

ભાવાર્થ : વિદ્વાન લોકો કદીય લડતાઝઘડતા નથી કે ઈર્ષ્યા કરતા નથી. મનુષ્યના વિચારો શ્રેષ્ઠ બને એટલા માટે સત્સાહિત્યના સ્વાધ્યાયની જરૂરિયાત છે.

સંદેશઃ સંસારમાં અનેક જાતની વિચારધારાવાળા મનુષ્યો રહે છે. પરિસ્થિતિઓની મૂલવણી કરવાની તથા તેમાંથી નિષ્કર્ષ કાઢીને તેના ૫૨ આચરણ કરવાની દરેકની રીત જુદી જુદી હોય છે. એ જરૂરી નથી કે દરેક માણસનો આપણા વિચારો સાથે મેળ ખાય અને તે પ્રમાણે આચરણ પણ કરે. વિચારોના સંઘર્ષમાંથી જ ઈર્ષ્યા અને દ્વેષની ભાવના જન્મ લે છે. આલોચના-પ્રતિઆલોચનાનો ક્રમ ચાલે છે, કડવાશ વધે છે અને ઉત્થાનના માર્ગમાં તકલીફો ઊભી થાય છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા અભિમાન, મિથ્યા ભાષણ અને જૂઠાણાં પ્રત્યેના દુરાગ્રહના ફળસ્વરૂપે લોકો એકબીજાની નિંદા કરે છે. નિંદા કરવાથી આત્મા મલિન થાય છે અને વારંવાર બીજાઓની ખરાબ ટેવોનાં વખાણ કર્યાં કરવાથી પોતાનામાં પણ એ ખરાબ ટેવ આવી જાય છે.

આધ્યાત્મિક વિદ્વાન માણસોએ પોતાના ભૌતિક જીવનને સુખમય બનાવવા માટેદ્વેષભાવનો ત્યાગ કરી દેવો જોઈએ. જ્યાં દ્વેષ હોય છે ત્યાં ઈર્ષ્યા, મદ અને શત્રુતા હોય છે. શત્રુતાથી સંદેહ અને ભય ઉત્પન્ન થાય છે. પોતાને નિર્ભય રાખવા માટે એ જરૂરી છે કે પહેલાં પોતાના હૃદયને દ્વેષની ભાવનાથી મુક્ત કરીએ. પ્રેમ પ્રેમને જન્મ આપે છે અને ધૃણા ઘૃણાને. પ્રેમનું વાતાવરણ જ નિર્ભયતાનો સુખદ વિક્લ્પ છે.

સમાજમાં નિર્ભયતા, સુવ્યવસ્થા અને સુખશાંતિ માટે એવા માણસોનો તિરસ્કાર કરવો જોઈએ, જેઓ સદા ઈર્ષ્યા તથા દ્વેષમાં ફસાયેલા રહે છે અને સર્વત્ર કલેશનું વાતાવરણ પેદા કરે છે. આવા માણસો પોતાની સ્વાર્થપરાયણતાની ભાવનાને કારણે નિરંતર બીજાઓનું શોષણ કરતા રહે છે, તેમને વિવાદ અને કલેશમાં ફસાવી રાખે છે અને નીચા દેખાડવાના પ્રયાસો કરતા રહે છે.

સત્સાહિત્યના સ્વાધ્યાયમાં જ એવી શક્તિ છે કે તે મનુષ્યના વિચારોને એક સર્વોપયોગી માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી શકે છે. તેના દ્વારા વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી તેમના મતમતાંતર દૂર થાય છે અને ચિંતનને સાચી દિશા મળે છે. સ્વાધ્યાયના માધ્યમથી મન પર જામેલી ભ્રમ તથા ભ્રાંતિની કાળાશ દૂર થઈ જાય છે, બૌદ્ધિક ભૂખ શાંત થઈ જાય છે અને માનસિક શ્રેષ્ઠતાનો વિકાસ થાય છે. તેનાથી સમાજમાં ઉદારતા અને સહકારની ભાવનાનો વિકાસ થાય છે અને સંદેહ તથા ભયના સ્થાને પ્રેમ તથા વિશ્વાસનાં મૂળિયાં ઊંડાં ઊતરે છે, ભાઈચારામાં વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય કલ્પવૃક્ષ સમાન છે. તેની છાયામાં બેસવાથી મનગમતાં ફળોની પ્રાપ્તિ થાય છે, બધી ચિંતાઓ દૂર થઈ જાય છે અને જીવનમાં મધુરતા તથા સાત્ત્વિકતા આવે છે. સ્વાધ્યાય દ્વારા આપણને એવા વિદ્વાનોનો સત્સંગ પણ પ્રાપ્ત થાય છે, જેઓ સેંકડો હજારો વર્ષ પહેલાં આ ધરતીની શોભા હતા. તેમનાં પુસ્તકો દ્વારા આપણો સંપર્ક તેમની સાથે જોડાઈ જાય છે અને એવું લાગે છે કે જાણે આપણે તેમની સાથે પ્રત્યક્ષ વાતો કરી રહ્યા છીએ અને તેઓ આપણી મુશ્કેલીઓનું સમાધાન કરીને માર્ગ બતાવી રહ્યા છે.

નિત્યક્રમની જેમ જ સારું સાહિત્ય વાંચવાના ક્રમનો આપણી દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ.

૧૦૯. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૦૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૦૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

પાવમાનીઃ સ્વસ્ત્યનીસ્તાભિર્ગચ્છતિ નાન્દનમ્ । પુણ્યાંશ્ચ ભક્ષાન્ભક્ષયત્યમૃતત્વં  ગચ્છતિ II  (સામવેદ ૧૩૦૩)

ભાવાર્થ : જેના વડે મનુષ્યના વિચાર સત્કર્મ તરફ પ્રેરિત થતા હોય એવા સાહિત્યના સ્વાધ્યાયથી સ્ત્રીપુરુષોને આનંદ મળે છે. તેઓ જીવનભર ઉત્તમ પદાર્થોનું સેવન કરતા રહીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.

સંદેશ : મનુષ્યનું મન કોરા કાગળ, સ્લેટ અથવા ફોટોગ્રાફીની પ્લેટ જેવું છે. જે પરિસ્થિતિઓ, ઘટનાઓ તથા વિચારણાઓ સામે આવે છે તેમનો પ્રભાવ તેની ઉપર અંકિત થતો જાય છે અને તેવા જ પ્રકારની મનોભૂમિ બની જાય છે. માણસ સ્વભાવથી નથી તો બુદ્ધિશાળી કે નથી મૂર્ખ, નથી ભલો કે નથી ખરાબ. વસ્તુતઃ તે ખૂબ સંવેદનશીલ પ્રાણી છે. આસપાસના પ્રભાવને ગ્રહણ કરે છે અને જેવું વાતાવરણ મગજ ઉપર છવાયેલું રહે છે તેવા બીબામાં ઢળવા લાગે છે. તેની આ વિશેષતા પરિસ્થિતિઓના સપાટામાં આવીને ક્યારેક અધઃપતનનું કારણ બને છે કોઈકવાર પ્રગતિનું. ઈશ્વરભક્તિ, સત્સંગ અને સ્વાધ્યાયથી જ પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે.

સ્વાધ્યાય શબ્દના બે અર્થ છે – પહેલો વેદ અને વેદસંમત સગ્રંથોનું અધ્યયન અને બીજો સ્વઅધ્યયન અર્થાત્ પોતાનું અધ્યયન, આત્મનિરીક્ષણ. દરરોજ થોડીકવાર આત્મનિરીક્ષણ કરવાથી વ્યક્તિ પોતાના દોષોને જોવાની પ્રવૃત્તિ બનાવી લે છે અને તેમને દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે.

સદ્દગ્રંથોનો પાઠ જ સ્વાધ્યાયનો મુખ્ય અર્થ છે. સગ્રંથોનો પાઠ અમૃતપાન સમાન હોય છે અને જીવનના ગાઢ અંધકારમાં દીવાદાંડીનું કાર્ય કરે છે. સારા ગ્રંથોનો પાઠ મનુષ્યની ઉન્નતિનો આધાર છે, જ્યારે ખરાબ ગ્રંથોનું વાંચન તેની અધોગતિનું કારણ બને છે. સારાં પુસ્તકો સાચા મિત્રની ગરજ સારે છે અને તેની આધ્યાત્મિક અથવા નૈતિક ઉન્નતિમાં મદદરૂપ બને છે. ચારે બાજુએ ફેલાયેલી આસુરી ભાવનાઓ અને ઘટનાઓ આપણને હલકી માન્યતાઓ અને પ્રવૃત્તિઓને અપનાવવાનું પ્રોત્સાહન આપે છે. આ દુષ્ટ પ્રભાવને નષ્ટ કરવા માટે મહાપુરુષોનો સત્સંગ અને તેમનાં પુસ્તકોનો સ્વાધ્યાય રામબાણ ઔષધિનું કાર્ય કરે છે. આવાં પુસ્તકોના અધ્યયન અને તેમના વિચારોના ચિંતનમનનથી હકીકતમાં આપણું મન તે મહાપુરુષ સાથે ભાવનાત્મક તાદાત્મ્ય સ્થાપી લે છે, જેનાથી આપણા વ્યક્તિત્વ, ચરિત્ર અને મનોબળમાં દિવસે દિવસે શ્રેષ્ઠતાની વૃદ્ધિ થતી જાય છે. સત્સાહિત્યે અનેક માણસોને ઊંચા ઉઠાવ્યા છે અને આત્મબળસંપન્ન બનાવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની ગીતાના જ્ઞાનથી એકલા અર્જુનને જ લાભ નથી મળ્યો, પરંતુ આ મહાન ગ્રંથ વિશ્વના કરોડો-અબજો માણસોને જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડ્યો છે.

વિટંબણા એ છે કે આજકાલ સડેલા-ગળેલા, અપ્રાસંગિક, અશ્લીલ અને બેઢંગા વિચારોની ચોપડીઓ જ બધે જોવા મળે છે. સસ્તા મનોરંજનના નામે લોકો તેમાં રસ લે છે. સ્વાધ્યાય માટે પસંદ કરેલ સારા વિચારોવાળું સાહિત્ય જ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. નિત્ય નિયમિત એક કલાક સ્વાધ્યાય માટે કાઢી શકીએ તો થોડા જ સમયમાં મનુષ્યના વિચારોની શ્રેષ્ઠતા પ્રદર્શિત થવા લાગે છે.

સ્વાધ્યાયને જીવનનું અભિન્ન અંગ અને દૈનિક કાર્ય બનાવવું જોઈએ.

૧૦૮. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૩૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૩૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

કેતું કૃણ્વન્નકેતવે પેશો મર્યાડઅપેશસે । સમુષદ્રિભરજાયથા:  II (યજુર્વેદ ૨૯/૩૭, ઋગ્વેદ ૧/૬/૩, સામવેદ ૧૪૭૦, અથર્વવેદ ૨૦/૩૯/૧૧)

ભાવાર્થ : જે પુરુષ પોતાની જેમ જ બીજાઓને પણ સુખી જોવાની કામના રાખે છે તેમની પાસે રહેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, ધન પ્રાપ્ત થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે. તેથી આપણે બધા આત્મદર્શી મહાપુરુષોની નજીક રહીએ.

સંદેશ : આત્મદર્શી પુરુષો તો આજે કયાંય દેખાતા નથી. જેને જુઓ તે આત્માને ભૂલીને ફક્ત પોતાના શરીરની પૂજા કરવામાં જ વ્યસ્ત છે. હંમેશાં તેને શણગારવામાં, ઇન્દ્રિયોની લાલસા તથા કામનાઓને પૂરી કરવાની વેતરણમાં જ લાગેલો રહે છે, પરંતુ આ શરીર છે શું ? એવા શરીરમાં અને મૃત્યુ પછી તેના મડદામાં શો ફરક છે ? કશોય નથી. શરીરની જીવંતતા શેનાથી છે ? જ્યાં સુધી એમાં આત્માની ચેતના છે ત્યાં સુધી શરીરની સાર્થકતા છે, નહિતર એ શબ છે. પછી એમાં શું રહી જાય છે ? ન જ્ઞાન, ન રૂપ, ન ભાવના કે ન કોઈ સંવેદના. તેને તો અડકવા માત્રથી જ મનુષ્ય અપવિત્ર થઈ જાય છે.

પરમપિતા પરમાત્માનો જ અંશ એવો આત્મા જ્યાં સુધી આ મરણશીલ, અરૂપ તથા અસુંદર શરીરમાં રહે છે ત્યાં સુધી જ તેને રૂપસૌંદર્યની આભા બક્ષે છે. જ્ઞાનરહિત અવસ્થાવાળા આ શરીરમાં તે જ્ઞાન અને જીવન લાવે છે. પરમાત્મા પોતાની બધી જ શક્તિઓની સાથે ચેતનાના રૂપમાં આ શરીરમાં નિવાસ કરે છે. તેમનો સમાવેશ થયેલો હોવાના કારણે તેમના સ્પર્શથી જ આ શરીર પવિત્ર રહે છે. તે પરમેશ્વરનું કેટલું અદ્ભુત માહત્મ્ય છે ! અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતો મનુષ્ય એ પરમ સત્યને સમજી જ શકતો નથી. તેને સમજી લે તેવા આત્મદર્શી પુરુષો વિરલા જ હોય છે. ઓછા ભલે હોય, છતાં પણ આવા પુરુષો આજે પણ જોવા મળે છે. તેમને શોધવાનો જે પ્રયત્ન કરે છે તેમને જ તેમાં સફળતા મળે છે, પરંતુ જેઓ તેનો પ્રયત્ન નથી કરતા અને હાથ પર હાથ રાખીને બેસી રહે છે તેઓ સામે આવવા છતાં મહાપુરુષોને ઓળખી શકતા નથી.

આવા મહાપુરુષોનો સત્સંગ પારસ પથ્થરની જેમ જીવનને સોના જેવું ચમકદાર બનાવી દે છે, અવિઘાના અંધારામાંથી બહાર કાઢીને વિદ્યાના સોનેરી પ્રકાશમાં પહોંચાડી દે છે, જીવનની સાર્થકતા અને ઉપયોગિતાનું જ્ઞાન કરાવી દે છે. આનાથી જીવનના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં આશાજનક પ્રગતિ થવા લાગે છે. દોષ, દુર્ગુણો અને કુવિચારોનાં ઝાડીઝાંખરા મનમાં આડેધડ વધતાં નથી. તે માનસિક શક્તિ તથા આત્મબળના તેજની ગરમીથી સુકાઈ જાય છે. તેમની જગ્યાએ સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓનાં સુંદર સુગંધિત પુષ્પો ખીલવાથી મનના બગીચામાં આનંદ તથા પ્રફુલ્લતા ભરાઈ જાય છે. ગુણ, કર્મ અને સ્વભાવમાં શ્રેષ્ઠતા અને આદર્શવાદનો સમાવેશ થવાથી માનવમાં આ સંસારને, ભગવાનના આ વિરાટ રૂપને હજી વધારે સુરભિત, સુગંધિત તથા સુવિકસિત કરવાના ઉમંગો પેદા થાય છે. લોકમંગળ માટે, પરમાર્થ માટે, સમાજમાં ફેલાયેલ અજ્ઞાન, અનાચાર અને પછાતપણાને દૂર કરવા માટે પછી તે પોતાની બધી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ હસતાં હસતાં કરવા માંડે છે.

સત્સંગના પ્રભાવથી આખો સમાજ સ્વર્ગ બની જાય છે.

૧૦૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૧/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૧/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સ નો બોધિ પુરએતા સુગેષૂત દુર્ગેષુ પથિકૃદ્વિદાનઃ | યે અશ્રમાસ ઉરવો વહિષ્ઠાસ્તેભિર્ન ઇન્દ્રાભિ વક્ષિ વાજમ્ ॥  (ઋગ્વેદ ૬/૨૧/૧૨)

ભાવાર્થ : જેઓ બધાનું મંગળ કરતા હોય, પોતે ધર્મના માર્ગ પર ચાલે અને બીજાઓને પણ સન્માર્ગ તરફ અગ્રેસર કરે તેઓ જ વિદ્વાન છે. આ વૃત્તિ સત્સંગથી જાગૃત થાય છે.

સંદેશ : વિદ્વાન તથા ધર્મનિષ્ઠ માણસોના સત્સંગથી મોટો લાભ થાય છે. સત્સંગનો મહિમા અપરંપાર છે. “સઠ સુરહિં સત સંગત પાઈ” અર્થાત્ સજ્જન પુરુષોનો સંગ મેળવીને મૂર્ખ પણ સુધરી જાય છે. કાળીદાસ કેટલો મોટો મૂર્ખ હતો. તે જે ડાળી પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. કેટલાક લોકોએ ખૂબ જ વિચિત્ર વિધિથી તેનાં લગ્ન વિદ્યોત્તમા નામની અદ્વિતીય વિદુષી સ્ત્રી સાથે કરાવી દીધાં. એક બાજુ મૂર્ખતાની પરાકાષ્ઠા, તો બીજી બાજુ વિદ્વત્તાનો ચરમ ઉત્કર્ષ, પરંતુ આ સત્સંગે કાળીદાસના હૃદયમાં વિદ્યાધ્યયનની ચાનક જગાડી દીધી અને અંતે તે સંસારના શ્રેષ્ઠતમ મહાકવિ બની ગયા. વિષયોના કીચડમાં ફસાયેલા તુલસીદાસ પણ પોતાની સ્ત્રીના સત્સંગથી જ મહત્મા તુલસીદાસ બન્યા હતા.

સત્સંગ દ્વારા કેટલાયે માણસોના જીવનની દિશા બદલાઈ છે. જીવનને મહાન અને દિવ્ય બનાવવાનું સર્વોત્તમ સાધન વિદ્વાનોનો સત્સંગ જ છે. કહ્યું છે કે –

ચન્દનં શીતલં લોકે, ચન્દનાદપિ ચંદ્રમા I ચંદનચંદ્રદ્ભયોર્મધ્યે શીતલા સાધુ સંગતિઃ ॥

અર્થાત્ ચંદન શીતળ છે, પરંતુ ચંદ્રમા ચંદનથી પણ શીતળ છે અને શ્રેષ્ઠ સાધુ, વિદ્વાન પુરુષોનો સંગ એ બંને કરતાં પણ શીતળ છે. વિદ્વાનોની પાસે જ્ઞાનનો ભંડાર અને અનુભવની ઊર્જા હોય છે. તેનાથી તેઓ કોઈને પણ પ્રાણવાન બનાવી શકે છે. તમામ પ્રકારની તકલીફોનું સમાધાન કરી શકવાનું સામર્થ્ય તેમનામાં હોય છે. તેઓ ધીર, ગંભીર અને સંયમી હોય છે તથા દરેક પ્રકારના સહયોગ અને સહકાર માટે તત્પર રહે છે. તેમનું એક મૃદુ સ્મિત જ મનુષ્યને દૈહિક, દૈવિક તથા ભૌતિક તાપોથી મુક્ત કરીને શાંતિ પહોંચાડવામાં સમર્થ હોય છે. તેમના સંસર્ગથી લાભ જ થાય છે.

આ રોગ તથા ભોગગ્રસ્ત સંસારમાં સાચા વિદ્વાનોનો સત્સંગ મળવો ઘણો જ મુશ્કેલ છે. દુષ્ટ, દુર્જન, ઢોંગી તથા બદમાશ માણસો પીળાં કપડાં પહેરીને, તિલક ચંદન લગાડીને લોકોને છેતરતા રહે છે. આવા માણસોનો કુસંગ પાપને વધારે છે, બુદ્ધિને મલિન કરી નાંખે છે, કીર્તિને નષ્ટ કરી દે છે, નીતિને હણે છે, અનીતિને વધારે છે અને ક્રોધને ઉગ્ર બનાવે છે. કુસંગતિથી મનુષ્યના લોક તથા પરલોક બંનેનો નાશ થાય છે.

બાવળના ઝાડની નીચે બેસવાથી કાંટા જ ભોંકાય છે એ જ રીતે દુષ્ટજનોની સંગતિથી તકલીફ થવી નિશ્ચિત જ છે. દુષ્ટ તથા દુરાચારી પ્રકૃતિના લોકોથી દૂર રહેવું જોઈએ. જેઓ નાસ્તિક છે, વેદ, ધર્મ અને ઈશ્વરના વિરોધી છે એવા માણસોની પાસે બેસવાથી આપણને ફક્ત કુવિચારો સિવાય બીજું શું પ્રાપ્ત થઈ શકે ? જો જીવનમાં કશુંક કરવું હોય, મહાન બનવું હોય તો આપણે સજ્જન, સદાચારી તથા વિદ્વાન લોકોનો જ સત્સંગ કરવો જોઈએ.

૧૦૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૧૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૧૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વિદ્વેષાંસીનુહિ વર્ધયેલાં મદેમ શતહિમાઃ સુવીરાઃ । (ઋગ્વેદ ૬/૧૦/૭)

ભાવાર્થ : વિદ્વાન પુરુષોનું કર્તવ્ય છે કે તેઓ શ્રેષ્ઠ કર્મ કરે અને બીજા પાસે કરાવે. એનાથી દોષો દૂર થાય છે અને બળ, બુદ્ધિ, વિદ્યા તથા ઉંમરમાં વૃદ્ધિ થાય છે.

સંદેશ : વિદ્વાન કોને કહેવાય ? જેમને ભૌતિક સૃષ્ટિ તથા પદાર્થોનું જ્ઞાન હોય, જેઓ માનવસમાજની જાણકારી રાખતા હોય, જીવનનિર્માણના સિદ્ધાંતોને સમજતા હોય, આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાથી પરિચિત હોય તેઓ વિદ્વાન કહેવાય છે. કોઈપણ વસ્તુના સાચા સ્વરૂપને જાણવું એને જ જ્ઞાન કહેવાય છે.

વિદ્યા અને અવિદ્યાના તફાવતને જાણનાર વિદ્વાન હોય છે. સંસાર, શરી૨ વગેરે ક્ષણિક પદાર્થોને જ કાયમી માનવા, જૂઠું બોલવું, ચોરી વગેરે અપવિત્ર કર્મોને પવિત્ર સમજવાં, વિષયસેવન વગેરે દુઃખોને સુખરૂપ માનવાં, શરીર અને જડ પદાર્થોને ચેતન માનવા એ અવિદ્યા છે. તેનાથી વિપરીત, બધા પદાર્થોની વાસ્તવિકતા, મૂળ ભાવનાના યથાર્થ સ્વરૂપનું ભાન હોવું એ જ વિદ્યા છે.

વિદ્યા અને જ્ઞાનનો સામાન્ય અર્થ ભાષાઓ, સામાજિક જ્ઞાન અને વિજ્ઞાન સંબંધી વિષયો છે. તેનો વિશેષ અભિપ્રાય આત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા અને સમાધિ દ્વારા જડ તથા ચેતનના જ્ઞાન સાથે છે. જ્ઞાનનો અભિપ્રાય એ સૂત્ર અથવા વાક્ય સાથે પણ છે, જેના કારણે મનુષ્યના પતિત જીવનનો ઉદ્ધાર થઈ જાય છે અથવા સૂતેલો આત્મા જાગી ઊઠે છે. વિદ્યાધન જ બધાં ધનોમાં સર્વશ્રેષ્ઠ છે. વિદ્યા અને જ્ઞાનથી પરિપૂર્ણ માણસ જ વિદ્વાન કહેવાય છે. તપ આપણાં પાપોનો નાશ કરી નાખે છે અને વિદ્યા દ્વારા અમૃતપદ પ્રાપ્ત થાય છે.

આવા જ્ઞાની અને વિદ્વાન માણસોના સંપર્કથી હંમેશાં મનુષ્યમાં દાનશીલતા તથા અહિંસાની ભાવનાની અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સત્સંગ હંમેશાં મનુષ્યનો ઉદ્ધાર કરે છે. સત્સંગથી મોટામાં મોટા પતિત માણસોએ પણ નારકીય જીવનમાંથી ઊંચા ઊઠીને સ્વર્ગીય જીવન પ્રાપ્ત કર્યાં છે. મહાપુરુષોનાં જીવન આવાં ઉદાહરણોથી ભરપૂર છે. અંગુલિમાલ અને આમ્રપાલીનું જીવન મહાત્મા બુદ્ધના સંગથી કેવી રીતે બદલાઈ ગયું એ આપણે જાણીએ છીએ. મહર્ષિ વાલ્મીકિનું પૂર્વ જીવન પાપમય હતું, પરંતુ સત્સંગે તેમને કેટલા ઉચ્ચ સ્તરના બનાવી દીધા કે ભગવાન રામે પણ દેવી સીતાને રહેવા માટે એમનો જ આશ્રમ પસંદ કર્યો.

શ્રેષ્ઠ અને વિદ્વાન વ્યક્તિઓનું એ કર્તવ્ય છે કે તેઓ પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ માટે જ ન કરે, પરંતુ પોતાના સંપર્કમાં આવનારા બધા લોકોને તેનો લાભ આપે. જ્ઞાન આપવાથી ઘટતું નથી, વધે જ છે. એનાથી બંનેને લાભ થાય છે. દુર્ગુણોના નાશ અને સદ્ગુણોની વૃદ્ધિથી લોકોની વિવેકબુદ્ધિ જાગૃત થાય છે, જેનાથી વિદ્યા અને બળ વધે છે તથા મનુષ્ય સત્કર્મ કરતાં કરતાં દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે.

જે માણસ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ બીજાઓને આપવામાં કંજૂસાઈ કરે છે તે પશુસમાન જ છે. તેનું સંચિત જ્ઞાન તેના પોતાના જ કામમાં આવતું નથી અને ધીરેધીરે તેની પ્રખરતા નષ્ટ થતી જાય છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનો આખાય સમાજને લાભ આપવો તે મનુષ્યનો ધર્મ છે.

ચારિત્ર્યવાન વિદ્વાનોનું આ જ કર્તવ્ય છે.

૧૦૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

તે અસ્મભયં શર્મ યંસન્નમૃતા મર્ત્યેભ્યઃ । બાધમાના અપ દ્વિષઃ ॥ (ઋગ્વેદ ૧/૯૦/૩)

ભાવાર્થ : જેઓ વિદ્વાન હોય અને શ્રેષ્ઠ કર્મ કરતા હોય તેમનું જ શિક્ષણ ગ્રહણ કરે. ખોટા સ્વભાવના માણસોથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. એમાં જ મનુષ્યમાત્રનું કલ્યાણ છે.

સંદેશઃ આપણા દેશમાં સાધુ, સંતો અને વિદ્વાનો પ્રત્યે જનતાને ભારે શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનું પ્રતિદાન આપવાની જવાબદારી પણ એ લોકો પર જ રહે છે. જૂના જમાનામાં આ વર્ગના લોકો પોતાના ઉચ્ચ ચરિત્ર, મહાન જ્ઞાન અને ઉદાત્ત સેવાભાવનાનો પૂરેપૂરો લાભ જનતાને આપતા હતા અને એટલા નિઃસ્પૃહ રહેતા હતા કે ભોજન તથા વસ્ત્રની ચિંતા પણ ભગવાનના ભરોસે છોડી દેતા હતા. આ વર્ગ પોતાનો થોડોક સમય ઈશ્વરની ઉપાસના, સ્વાધ્યાય, જ્ઞાનવર્ધન અને આત્મબળના શુદ્ધિકરણમાં ખર્ચતો હતો અને મોટા ભાગનો સમય જન-જીવનની ભૌતિક તથા આત્મિક પ્રગતિમાં મદદ કરતાં કરતાં વિતાવતો હતો. એ જ ઋષિધર્મ હતો. વિદ્વાન, સાધુ તથા સંત આ પવિત્ર કાર્યથી પોતાને બંધાયેલા માનતા હતા. ઉપાસના અને સ્વાધ્યાય દ્વારા વધારેલ આત્મબળ અને જ્ઞાનબળનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરતા નહોતા, પરંતુ તેના દ્વારા તેઓ લોકમંગળનું વધારેમાં વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા હતા. સાધુ, સંતો અને વિદ્વાનોના રૂપમાં લોકસેવકોની એક વિશાળ સેના સમાજમાં તૈયાર રહેતી હતી. આવા ઉદાર મનવાળા ઘણા ઉપયોગી વર્ગ પ્રત્યે લોકોના મનમાં ભાવભર્યો આદર રહેતો હતો.

આજકાલ તો સ્થિતિ ઘણી જ વિષમ થઈ ગઈ છે. અજ્ઞાની જનતા જો પોતાનાં કર્તવ્યોને ભૂલી જાય તો માફ કરી શકાય, પરંતુ ભારતના આત્માના પ્રતીક રૂપ આ વિદ્વદ્ સમાજ જો પથભ્રષ્ટ થવા લાગે તો તેને દુર્ભાગ્યપૂર્ણ જ કહેવામાં આવશે. જનતા પાસેથી યેનકેન પ્રકારે ધનલાભ અને પૂજાસન્માન પ્રાપ્ત કરવા માટે ઋષિઓએ આ વર્ગની સ્થાપના નહોતી કરી. આજે મોટે ભાગે લોકો પોતાના જ્ઞાન અને વિદ્વત્તાને જનતા સુધી પહોંચાડવાના બદલે તેને લૂંટવામાં જ રચ્યાપચ્યા રહે છે. મફતનું ખાવાને પોતાનો જન્મસિદ્ધ હક માનવાની અ ંતા જામી ગઈ છે. મફતનું લેવું એને ચોરીથી પણ વધારે મોટું પાપ માનવામાં આવે છે.

એ આપણું સૌભાગ્ય છે કે આજે પણ સમાજમાં કેટલાક એવા વિદ્વાન માણસો મોજૂદ છે, જેમનામાં સેવાની ભાવના, બુદ્ધિ, ઉમંગ અને યોગ્યતા જીવંત છે. તેમના જ સત્પ્રયાસોથી પ્રાચીન ગૌરવ જળવાઈ રહેશે અને જનતાની શ્રદ્ધા પણ ટકી રહેશે. આ વિદ્વાનોની જીવનચર્યાનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય એ જ છે કે તેઓ જનમાનસને ઊંચું ઉઠાવવા અને સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા માટે પોતાની બધી ક્ષમતા અને યોગ્યતા વાપરતા રહે. સામાજિક કુરિવાજો અને અનૈતિક દુષ્પ્રવૃત્તિઓથી જર્જરિત થયેલા આ દેશને શ્રેષ્ઠ વિચારધારાની ડગલે ને પગલે જરૂર છે. એના માટે શિક્ષણાત્મક, રચનાત્મક અને સંઘર્ષાત્મક અનેક પ્રયત્નો કરવા પડશે. તેમના આધારે માનવના કલ્યાણ માટેના નક્કર તથા હિતકારી પ્રયાસો થઈ શકશે.

આ કાર્ય ભાવનાશીલ વિદ્વાન લોકો જ કરી શકે છે. તેઓ સ્વયં શ્રેષ્ઠ કર્મો કરે, શ્રેષ્ઠ આચરણ રાખે અને સમાજમાં પ્રત્યેકને શ્રેષ્ઠ માર્ગે ચાલવાની તથા સદ્ગુણો અપનાવવાની પ્રે૨ણા આપે.

૧૦૪. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અપાધમપ કિલ્વિષમપ કૃત્યામપો ૨૫: । અપામાર્ગ ત્વમસ્મદપ દુઃષ્વપ્ન્ય ગુમ્ સુવ ॥ (યજુર્વેદ ૩૫/૧૧)

ભાવાર્થ : જે મનુષ્ય પોતાના આચરણને શુદ્ધ બનાવે છે અને બીજાઓને શુદ્ધ બનાવે છે તેમનું આપણને સામીપ્ય મળે કે જેથી મનની મલિનતા અને દુષ્ટ પાપનો નાશ થાય.

સંદેશ : અગ્નિથી અગ્નિ સળગે છે, જીવનથી જીવન પ્રકાશિત થાય છે, પ્રીતિથી પ્રીતિ વધે છે અને વેરથી વેર વધે છે. કાચંડાને જોઈને કાચંડો રંગ બદલે છે.

જો આપણે બીજાઓનું નિર્માણ કરવા માગતા હોઈએ તો પહેલાં આપણા જીવનમાં ક્રાંતિ લાવવી પડશે, આપણી જાતે લોહચુંબક બનવું પડશે, આપણા જીવનમાં વિશેષતા ઉત્પન્ન કરવી પડશે. ત્યારે જ બીજાઓનો સુધાર અને ઉદ્ધાર થઈ શકશે. એક સળગતો દીપક હજારોલાખો દીવાઓને સળગાવી શકે છે, પણ લાખો ઓલવાઈ ગયેલા દીપકો ભેગા થઈને એક દીપકને પણ પ્રગટાવી શકતા નથી. એક મહાપુરુષ, જેનામાં જીવનજ્યોતિ છે તે લાખોને જીવનજ્યોતિ ભેટમાં આપી શકે છે, તેમને સન્માર્ગ પર લાવી શકે છે, તેમના જીવનમાં નવજ્યોતિ પ્રગટાવી શકે છે.

જે વ્યક્તિ પોતે શાંત નથી તે બીજાઓને કેવી રીતે શાંતિ આપી શકે ? જે સ્વયં અજ્ઞાની છે તે બીજાઓને જ્ઞાનવાન કેવી રીતે બનાવી શકે ? જે પોતે જ તરવાનું જાણતો નથી તે બીજાઓને તરવાનું કેવી રીતે શીખવી શકે ? જે સ્વયં, આળસુ અને પ્રમાદી છે તથા બકવાસ કરે છે તે બીજાઓને સ્ફૂર્તિવાળા અને મિતભાષી કેવી રીતે બનાવી શકે ? બીજાઓને શાંતિ આપતા પહેલાં આપણે સ્વયં શાંત બનવું પડશે. બીજાઓને જ્ઞાનવાન અને સરિત્રવાળા બનાવતાં પહેલાં પોતે જ્ઞાનવાન અને સદાચારી બનવું પડશે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, યોગીરાજ શ્રીકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ વગેરેની જેમ પહેલાં આપણે પોતે પ્રકાશવાન બનીએ, તો પતંગિયાંઓ પોતાની મેળે જ આવી જશે. આપણે શક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનીએ તો લોકો સ્વયં આપણી તરફ ખેંચાશે. જ્યારે પુષ્પ ખીલે છે ત્યારે મધમાખીઓ સ્વયં આવી જાય છે અને પરાગરજ લઈ જાય છે.

મનુષ્ય પોતાના આચરણમાં સદ્ગુણોનો સમાવેશ કરીને તેને શુદ્ધ, પવિત્ર અને સુગંધિત બનાવવું જોઈએ. આપણા જીવનને સવિતાની પ્રખરતાથી ઓતપ્રોત કરી દઈએ. આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને જીવનમાં નિયમિતતા ધારણ કરીએ. સેવા, સદાચાર, સુશીલતા અને સજ્જનતા દ્વારા સૂર્યની જેમ આપણી જાતને આકર્ષણનું કેન્દ્ર બનાવીએ. સ્વયં તેજસ્વી, વર્ચસ્વી અને ઓજસ્વી બનીએ. એવા માણસોના સંપર્કમાં આવવાથી સમાજમાં અનેક લોકો સન્માર્ગે ચાલવા લાગે છે. તેમના દુર્ગુણોનો નાશ અને સદ્ગુણોની વૃદ્ધિ થાય છે.

સ્વયં કુમાર્ગેથી પાછા વળીને પ્રકાશિત તથા ઉદાર બને, સ્વયં ઊંચા ઊઠો ત્યારે જ જીવનથી જીવન પ્રકાશવાન થાય છે, દીપથી દીપ સળગે છે. આવા જ્ઞાની માણસો જ સમાજમાં યશ મેળવે છે. તેમના સંપર્કમાં આવનારા માણસો પર પણ તેમના સદ્ગુણોનો પ્રભાવ પડે છે. ફળસ્વરૂપે દોષદુર્ગુણોનો પણ નાશ થાય છે. એક માછલી આખાયે તળાવને ગંદું કરી નાંખે છે તો એક સત્પુરુષ પોતાના સત્ય આચરણની સુગંધથી સમાજને સુવિકસિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમનું તેજ તથા ઓજ બધાને શક્તિ તથા ઊર્જા બક્ષે છે.

સદ્ગુણી વ્યક્તિઓનો સંપર્ક ચારિત્ર્યનિમાર્ણમાં મદદરૂપ થાય છે.

૧૦૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૪૧/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૪૧/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મા વો ધ્વન્તં  મા શપન્તં પ્રતિ વોચે દેવયન્તમ્ । સુસ્વૈરિદ્ધ આ વિવાસે | (ઋગ્વેદ ૧/૪૧/૮)

ભાવાર્થ : જે લોકો ધર્મનિષ્ઠ અને સદાચારી પુરુષોની મિત્રતા કરે છે, તેમનું રક્ષણ કરે છે અને સર્વ્યવહાર, ભોજન, વસ્ત્ર વગેરે દ્વારા તેમનું સન્માન કરે છે તેમને હંમેશાં સુખ પ્રાપ્ત થાય છે. દુષ્ટ દુર્જનોના પ્રભાવથી હંમેશાં દૂર રહેવું જોઈએ. જેઓ ધર્માત્માઓની મિત્રતા કરે છે તેઓ વિદ્વાન છે.

સંદેશ : પિતા-પુત્ર, માતા-પુત્ર અને પતિ-પત્નીના સંબંધ તો બીજાં જીવજંતુઓમાં પણ હોય છે, ભલેને તે અલ્પકાળ માટેનો જ કેમ ના હોય, પરંતુ ગુરુ-શિષ્યનો સંબંધ ફક્ત મનુષ્યોમાં જ હોય છે. પશુપક્ષી કોઈ બીજાને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય નથી શિખવાડતાં. એકબીજાને શિખવાડવાની વિશેષતા ફક્ત માનવમાં જ છે. મનુષ્યમાં ઇચ્છા, બુદ્ધિ, ભાષા, પરોપકારની ભાવના, દીર્ઘદૃષ્ટિ બધું હોય છે. પોતાનો લાભ બીજાઓને આપવો અને બીજાનો લાભ પોતે લેવો એ તેની સહજ પ્રવૃત્તિ છે. પોતાના જ્ઞાન, અનુભવ, કલ્પના, ભાવના વગેરેનું મનુષ્ય સતત આદાનપ્રદાન કરતો રહે છે. આ વિશેષતાને કારણે જ ગુરુશિષ્યની પરંપરા વિકસિત થઈ છે.

બીજાં પ્રાણીઓ શારીરિક દૃષ્ટિથી મનુષ્યની સરખામણીમાં વધારે શક્તિશાળી છે, પરંતુ બુદ્ધિમાં તો મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ છે. આ બુદ્ધિમત્તામાં જે જ્ઞાનનું ફળ લાગે છે તે જ અમૃત ફળ છે. સંસારમાં બધું નાશવંત છે, ક્ષણભંગુર છે. માનવ પણ મરણશીલ છે, પણ જ્ઞાનના કારણે તે અમર થઈ જાય છે. માનવજીવનમાં સહસંવેદનાનું ઘણું જ મહત્ત્વ છે. પ્રાપ્ત વસ્તુનો એકલાએ જ ઉપભોગ કરવો તે પશુપ્રવૃત્તિ છે. પોતાને મળેલી વસ્તુ બીજાઓને પણ વહેંચીએ, બધાને તેનો લાભ મળે, આ માનવપ્રવૃત્તિ જ તેને મનુષ્ય બનાવે છે.

ગુરુ ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ નહિ, પરંતુ સંસ્કાર પણ આપે છે. ફક્ત વિદ્યાલયના શિક્ષકો અથવા કોઈ મઠ કે આશ્રમના અધિકારી જ ગુરુ નથી હોતા. અનેક ધર્મનિષ્ઠ, સદાચારી માણસો પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ. કોઈવાર કેટલાક એવા માણસો સાથે પણ આપણો સંપર્ક થાય છે કે જેમનું આચરણ તથા વ્યક્તિત્વ પોતે જ એક પાઠ જેવું હોય. તેમનું જીવન આપણા જીવનને પ્રભાવિત કરે છે, તેમના વ્યક્તિત્વે આપણા વ્યક્તિત્વને આકાર આપ્યો હશે. વગર કહ્યુ, વગર બોલ્યે તેમને જોઈને તેમનું અનુકરણ કર્યું હશે અને ઘણુંબધું શીખ્યા હોઈશું.

આવા વિદ્વાન મહાપુરુષોની સેવા, સત્કાર અને સન્માન કરવું એ મનુષ્યનું પુનિત કર્તવ્ય છે. આવા માણસોની મિત્રતા સદૈવ સદ્ગુણોની વૃદ્ધિમાં સહાયક બને છે અને તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

પરંતુ આજે સ્થિતિ ઊલટી થઈ ગઈ છે. માત્ર શિક્ષક જ નહિ, સમાજમાં ચારેબાજુએ કુસંસ્કારી, દુર્બુદ્ધિવાળા અને દુર્ગુણી માણસો જ જોવા મળે છે. નાની વયમાં, વિદ્યાર્થી અવસ્થામાં જ બાળકોનાં મન પર ઘોર કુસંસ્કારોનો પ્રભાવ પડી રહ્યો છે. ફળસ્વરૂપે ચારે બાજુએ અનુશાસનહીનતા અને અરાજકતાનું જ સામ્રાજ્ય છે. જ્યાં જુઓ ત્યાં દુષ્ટ તથા દુરાચારી માણસો જ દેખાય છે. સદાચારી માણસો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે, છતાં પણ જો આપણે ઇચ્છીએ તો સારા માણસો પણ મળી જશે.

આપણે હંમેશાં દુષ્ટ, દુરાચારી માણસોથી દૂર રહેવું જોઈએ અને ધર્મનિષ્ઠ,સજ્જન તથા સદાચારી માણસો સાથે મિત્રતા રાખવી જોઈએ.

%d bloggers like this: