૧૪૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૩૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૩૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યશા ઇન્દ્રો યશા અગ્નિર્યશાઃ સોમો અજાયત । યશા વિશ્વસ્ય ભૂતસ્યાહમસ્મિ યશસ્તમઃ ।।  (અથર્વવેદ ૬/૩૯/૩)

ભાવાર્થ : સંસારમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિની જેમ મારો યશ ફેલાય. હું બધા પ્રાણીઓથી વધારે યશસ્વી થાઉં.

સંદેશઃ કોઈ માણસમાં આપણને તેના અંતરની તેજસ્વિતાના કારણે શ્રેષ્ઠતા જણાય છે. કોઈનું મુખમંડળ જ્ઞાન તથા સત્કર્મોના તેજથી પ્રકાશમાન થાય છે, તો કોઈનું ભાષણ એટલું ધારદાર અને આવેશપૂર્ણ હોય છે કે સાંભળનારના હૃદયમાં ઊંડે સુધી ઊતરી જાય છે. એક એક પગલે ધરતી કંપી જાય એવી કોઈની ચાલ હોય છે, તો દૃષ્ટિમાત્રથી મદોન્મત શત્રુના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય એવી કોઈની નજર હોય છે. આવા તેજસ્વી પુરુષોને જ સંસારમાં આદર, શ્રદ્ધા, સન્માન, . યશ, ઐશ્વર્ય વગેરે આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. શું સૂર્યનારાયણને કદીયે પોતાની શ્રેષ્ઠતાનું વ્યાખ્યાન આપવું પડે છે ? ચંદ્રમાને શું કદી પોતાની શીતળતાની જાહેરાત કરવી પડે છે ? શું અગ્નિને કદી પ્રાર્થના કરવી પડે છે કે મને પગ નીચે કચડો નહિ ? શું વનરાજ કેસરીને કોઈ દિવસ વૉટ માટે ભીખ માગવી પડે છે ? શ્રેષ્ઠ ગુણોના આધારે જ ચારે દિશાઓમાં તેમનો યશ ફેલાય છે. સૂર્ય, ચંદ્ર વગેરે નિઃસ્વાર્થ ભાવથી સંસારનું કલ્યાણ કરવામાં નિરંતર લાગેલા રહે છે. સૂર્યપ્રકાશ પોતાના તાપ તથા ઊર્જાથી જીવજંતુઓમાં પ્રાણશક્તિનો સંચાર કરે છે. એની સાથેસાથે ગંદકીને સૂકવીને નષ્ટ પણ કરી નાખે છે. સદ્ગુણો વધા૨વા અને દુર્ગુણોનો નાશ કરવો એ જ તેમનો ધ્યેય છે અને આ ઉત્તમ લક્ષ્યની પૂર્તિમાં લાગ્યા રહેવાથી જ તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. માનવજીવનનું પણ આ જ લક્ષ્ય છે. પોતે શરીરના અંતિમ શ્વાસ સુધી બળતા રહીને સંસાર ૫ર ઉપકાર કરતા રહેવું એ જ સાચું અધ્યાત્મ છે.

અધ્યાત્મવાદી જીવન મનુષ્યના ગૌરવની દૃષ્ટિથી, ઉજ્જવળ ભવિષ્યની દૃષ્ટિથી, સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિથી સર્વોપરી છે. આત્મશાંતિ તથા આંતરિક સંતોષની દૃષ્ટિથી પણ તે ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. એવું જીવન જીવવા માટે જેને પ્રેરણા થાય અને અભિલાષા જાગે તેને સાચા અર્થમાં સૌભાગ્યશાળી અને દૂરદર્શી કહેવો જોઈએ. આવું દિવ્ય જીવન જીવવા માટે કોઈને કપડાં રંગવાની, ઘર છોડવાની, ભીખ માગવાની કે વેશ બદલવાની જરૂર નથી. તેણે આખો દિવસ જપ, તપ, વ્રત, સ્નાન, દેવદર્શન કે કથાકીર્તનમાં લાગ્યા રહેવાની પણ જરૂર નથી. થોડા સમય માટે આત્મચિંતન અને ઈશ્વરીય પ્રકાશની પ્રાપ્તિ માટે ઉપાસના કરી લેવી પૂરતી છે. મુખ્ય વાત તો એ છે કે અધ્યાત્મવાદના સિદ્ધાંતો અને આદર્શોને આપણે કેટલા પ્રમાણમાં આપણા વિચારો, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિમાં સ્થાન આપ્યું છે એનાથી જ મનુષ્ય જીવન યશસ્વી બને છે.

‘સાદું જીવન ઉચ્ચ વિચાર’ના સિદ્ધાંતનું પાલન કરતાં કરતાં માતૃવત્ પરદારેસુ, પરદ્રવ્યેષુ લોષ્ટવત્ અને આત્મવત્ સર્વભૂતેષુના આદર્શો પર ચાલવામાં જ આધ્યાત્મિક જીવનની સાર્થકતા છે. સ્ત્રીઓ પ્રત્યે પવિત્રતાની ઉચ્ચ ભાવના હોવી શ્રેષ્ઠ પુરુષો માટે જરૂરી અને સ્વાભાવિક પણ છે. પ્રજનનની જરૂર જણાતાં પતિપત્નીને કામક્રીડાની ઇચ્છા થઈ શકે છે, પરંતુ સામાન્ય સમયમાં જેવી રીતે કામુક વિચાર એકબીજા પ્રત્યે આવતા નથી એ જ પ્રમાણે નર અને નારીમાં પણ પરસ્પર સ્વાભાવિક સાધના રહી શકે છે. નર નારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખે ત્યારે જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને બધા નાગરિકો ચારિત્ર્યવાન થશે. પ્રત્યેક નારીને ઉંમર અનુસાર માતા, બહેન અથવા પુત્રીની દૃષ્ટિથી જોવી જોઈએ.

બીજાના ધનને માટીના ઢેફા સમાન વ્યર્થ અને બિનઉપયોગી માનવું તે શ્રેષ્ઠ જનોનો આદર્શ છે. આપણે ફક્ત શ્રમ, ઈમાનદારી અને યોગ્ય સાધનોથી કમાયેલા ધનની જ ઇચ્છા કરીને તેનાથી જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ. જે મળે તેને પ્રભુની કૃપા સમજીને સંતોષ માનવો જોઈએ.

શ્રેષ્ઠતાનો સર્વોચ્ચ આધાર તો એ જ છે કે આપણે આપણી જેમ બીજાઓનાં સુખદુઃખને સમજીએ. બીજાઓના સુખમાં સુખનો અને બીજાઓના દુઃખમાં દુઃખનો અનુભવ કરીએ. આ જ ભાવના આપણને ‘વસુધૈવ કુટુંબકમ્’ના ઉચ્ચ આત્મસ્તર સુધી પહોંચાડી દે છે. પીડિત માનવતાની સેવા કરવાની ઉત્કટ અભિલાષા જ આપણને આપણી ચારેબાજુએ વિખરાયેલાં પછાતપણા, અજ્ઞાન, અનાચાર, પાપ અને પતનને દૂર કરીને તેની જગ્યાએ દૈવી આદર્શોની સ્થાપના કરવાની સામગ્રી પૂરી પાડે છે.

મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા અને વિધાતા છે. તેનામાં એટલું બધું સામર્થ્ય છે કે તે સંસારમાં ઊથલપાથલ મચાવી દે. જરૂરિયાત ફક્ત એટલી જ છે કે આત્મનિરીક્ષણ કરતાં કરતાં પોતાના દોષદુર્ગુણોને જીવનમાંથી દૂર કરીએ અને સદ્ગુણોને ધારણ કરીને લોકહિતનાં તથા પરોપકારનાં કાર્યોમાં ડૂબેલા રહીએ.

દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ કરીને જ માનવજીવનના પરમલક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

૧૪૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

પરિચિન્મર્ત્તો દ્રવિણં મમન્યાદૂતસ્ય પયા નમસા વિવાસેત । ઉત સ્પેન ક્રતુના સં વદેત, શ્રયાંરું દક્ષં મનસા જગૃભ્યાત્ II  (ઋગ્વેદ ૧૦/૩૧/૨)

ભાવાર્થઃ સાંસારિક સુખ અને કલ્યાણની અભિલાષા રાખનાર માટે યોગ્ય એ છે કે મનસા,વાચા, કર્મણા સત્ય વ્યવહાર કરીને કલ્યાણના અધિકારી બનવું. આ જ સ્થાયી સુખ મેળવવાનું એકમાત્ર સાધન છે.

સંદેશ : મન, વચન અને કર્મનો ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. મનમાં જેવા વિચાર જાગે છે, તે જ આપણી વાણી દ્વારા પ્રગટ થાય છે અને તે અનુસાર આપણાં કર્મ થાય છે. ત્યાર પછી તે કર્મોનું ફળ પણ મોડું વહેલું આપણે ભોગવવું જ પડે છે. જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બંનેની સાથે સંપર્કમાં રહેવાથી મનની સ્થિતિ સર્વોપરી હોય છે. કોઈ પણ ઇન્દ્રિય મનના સહયોગ વગર કાર્ય કરતી નથી.

આ ચંચળ મનને વશમાં રાખવું તે દૃઢ આત્મબળ દ્વારા જ શક્ય છે. દરેક ક્ષણે મન આમતેમ ભાગતું રહે છે. તેને કઠોરતાપૂર્વક એક સ્થાન પર ટકાવી રાખવું એ જ આધ્યાત્મિક જીવનનો મૂળ આધાર છે. મનને વશમાં રાખ્યા સિવાય કોઈ પણ કાર્યમાં એકાગ્રતા તથા નિષ્ઠા આવી શક્તી નથી. મનની લગામ દ્વારા બધી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે અને દુષ્પ્રવૃત્તિઓ ટકી નથી શકતી. મનને વશ કરવાથી આપણા દોષદુર્ગુણોનો ત્યાગ કરવો સરળ બની જાય છે. મનુષ્ય પાપકર્મોથી દૂર રહે છે અને સમયનો સદુપયોગ કરતાં કરતાં સ્વાધ્યાય તથા સત્સંગ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ સત્યજ્ઞાન આપણા મનની ઉપર એક સુદૃઢ કવચના રૂપમાં રહે છે અને પાપભાવનાને મનમાં પ્રવેશતાં અટકાવે છે. જ્યારે પણ આપણું આ કવચ નિર્બળ બને છે ત્યારે પાપભાવના મનમાં પ્રવેશ કરવા માંડે છે. શ્રેષ્ઠ માણસોના સત્સંગથી, તેમનાં પ્રવચનોને આદરભાવથી ગ્રહણ કરીને આપણે આ વચને મજબૂત બનાવી શકીએ છીએ અને જીવનની સફળતાનો માર્ગ મોકળો કરી શકીએ છીએ.

મનને પાપભાવનાથી બચાવવા માટે ખૂબ જ સાવધાની અને સજગતાની જરૂર છે. શરૂઆતમાં તો મનુષ્યને પાપ કરવાનું મીઠું લાગે છે. મીઠાશનું પ્રલોભન તેને પાપ તરફ વધુ આકર્ષિત કરે છે. બસ, આ મીઠાશ જ તેના વિનાશનું કારણ બની જાય છે. જે આ મીઠાશના પ્રલોભનમાંથી પોતાની જાતને બચાવી લે છે તે વિનાશમાંથી બચી જાય છે.

મનુષ્ય જ્યારે મનને વશમાં કરીને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેની વાણીમાંથી સત્ય નીકળે છે અને કર્મોમાં પણ સદ્ગુણોની સુગંધ રહે છે. સદ્યવહાર અને સત્ય આચરણથી સંસારના કલ્યાણનાં કાર્યો જ થાય છે અને એનાથી જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે. ઈશ્વરીય અનુભૂતિ માટે પોતાના સંપૂર્ણ મનને ઈશ્વર આગળ સમર્પિત કરવાનું હોય છે. ઈશ્વરના સાંનિધ્યને પ્રાપ્ત કરવાનો નિરંતર અભ્યાસ કર્યા વગર અને પોતાના જીવનના પ્રત્યેક અણુમાં ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કર્યા વગર આધ્યાત્મિક વિકાસ થતો નથી.

સત્સંગ તથા સ્વાધ્યાયથી મનને વશમાં કરીને અને ઈશ્વરની ઉપાસના તથા સાધનાથી આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ થોડાક જ સમયમાં આપણા ધ્યેયને ભૂલી જઈએ છીએ. જે કંઈ મળે છે તેને ગુમાવી દઈએ છીએ અને પાછા દુઃખી થઈએ છીએ. સ્થાયી સુખ અને કલ્યાણપ્રાપ્તિ માટે આપણે પરમેશ્વરને આપણા સાક્ષી માનીને પાપકર્મોથી હંમેશાં દૂર રહેવું જોઈએ.

૧૪૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૪/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૪/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

જાયા તપ્યતે કિતવસ્ય હીના કિતવસ્ય માતા પુત્રસ્ય ચરતઃ ક્વસ્વિત્ । ઋણાવા વિભ્યદ્ધનમિચ્છમાનો  ડન્વેષાંમસ્તમુપ નક્તમેતિ ॥ (ઋગ્વેદ ૧૦/૩૪/૧૦)

ભાવાર્થ : જુગારીની સ્ત્રી ઘોર કષ્ટો ભોગવે છે, તેની માતા રડતી રહે છે, તે હંમેશાં દેવામાં ડૂબેલો રહે છે અને ધનની ઇચ્છાથી બીજાઓના ઘરમાં જઈને ચોરી કરે છે. જુગાર ખૂબ જ અશ્લીલ વ્યસન છે. તેનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ.

સંદેશ : કેટલાક લોકોને એવું લાગે છે કે જલદી અને વધારે કમાવા માટે બેઈમાની કરવી જરૂરી છે. ધનવાન લોકોમાંથી મોટા ભાગના આવા જ જોવા મળે છે. તેમના કામકાજમાં બદમાશીનો સમાવેશ થયેલો હોય છે. ઈમાનદાર લોકોમાંથી મોટા ભાગના ગરીબ જોવા મળે છે. એટલે સામાન્ય બુદ્ધિથી જોતાં એવું જ લાગે છે કે જો આપણે પણ ઈમાનદાર રહીશું તો ગરીબ બની જઈશું. આજકાલ ધનનું મહત્ત્વ છે અને ધનથી જ વધારે સુખસગવડ, સાધન, સફળતા અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તેથી જ લોકો બેઈમાની અથવા એવો જ કોઈ માર્ગ અપનાવીને ખૂબ જ ઝડપથી ધનવાન બનવાના પ્રયાસમાં લાગેલા રહે છે.

વસ્તુસ્થિતિનું બારીકાઈથી અધ્યયન કરવાથી સમજાઈ જાય છે કે બેઈમાનીની ગરિમાનો સ્વીકાર કરીને આપણે ખૂબ જ મોટી ભૂલ કરી હતી. આ પ્રમાણે ધન નથી કમાઈ શકાતું અને કમાઈ લેવામાં આવે તો તે લાંબો સમય ટકતું નથી. અયોગ્ય સાધનો દ્વારા જો ખોટી રીતે લાભ પ્રાપ્ત કરી લેવામાં આવે તો તેનું પરિણામ લાભદાયક હોતું નથી. સાહસ, પરિશ્રમ, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા વગેરે એવા જ ગુણો છે, જેમનાથી કમાણી કરી શકાય છે. પરસેવાની કમાણી અમૃત સમાન પવિત્ર હોય છે. બેઈમાની તથા અયોગ્ય સાધનો દ્વારા કમાવામાં આવેલા ધનથી અપયશ, અસહયોગ, અવિશ્વાસ, નફરત, રાજદંડ, આત્મગ્લાનિ વગેરે દુષ્પરિણામો જ પ્રાપ્ત થાય છે. સાચી કમાણી તો સદ્ગુણો દ્વારા જ થાય છે. તેનામાં જ ઉત્પાદક તત્ત્વોનો સમાવેશ હોય છે. સંસારમાં મોટાં કામ, મોટા વ્યાપાર, મોટાં આયોજનો ઈમાનદારીના આધારે જ સફળ થાય છે. સંપત્તિથી નહિ, પણ સદ્બુદ્ધિ અને સત્ પ્રવૃત્તિઓથી જ ઉન્નતિ થાય છે. ધનવાન નહિ, પણ ચારિત્ર્યવાન મનુષ્ય જ સુખ પામે છે.

જુગાર, લોટરી વગેરેનાં વ્યસન પણ આ જ આધારે ફૂલ્યાંફાલ્યાં છે. દરેક માણસ ખૂબ જલદીથી વધારેમાં વધારે ધન કમાઈને ધનવાન બનવા માગે છે. આ શાસ્ત્ર વિરુદ્ધનું આચરણ છે અને નિંદનીય કર્મ છે. એ અંદરોઅંદર ફૂટ પડાવે છે અને ઝઘડો કરાવે છે. એક્બીજાની સાથે કોઈ પણ વાત પર શરત લગાવવી, સટ્ટો રમવો તથા એવાં બીજાં કર્મો જુગાર રમવાનાં જ વિવિધ રૂપો છે. એની લત પડી જવાથી મનુષ્યજીવનનું સારતત્ત્વ જ નાશ પામે છે. તે દરેક વખતે એ જ ગડમથલમાં લાગેલો રહે છે કે આજે નહિ તો કાલે મારો નંબર જરૂરથી લાગશે અને એ ચક્કરમાં તે વધારે ને વધારે દાવ લગાવતો રહે છે. પરિણામ સ્વરૂપે તે ધનની બરબાદી કરતો રહે છે. જીતનું ધન તો મળી શકતું નથી, પરંતુ ગાંઠનું ધન પણ જતું રહે છે. આ હતાશામાં મનુષ્ય પોતાના ઘરના દાગીના, વાસણ તથા કપડાં સુધ્ધાં વેચીને દાવમાં લગાવી દે છે અને પછી કંગાળ થઈને આત્મહત્યા પણ કરી બેસે છે. કુટુંબનું જીવન નરક બની જાય છે તે વધારામાં. જુગારના કારણે જ ધર્મરાજ યુધિષ્ઠિરને ભાઈઓ સહિત દુર્યોધનના દાસ બનવું પડ્યું હતું અને દ્રૌપદીના વસ્ત્રાહરણની યાતનાને આજીવન ભોગવવી પડી હતી. જુગારનાં આવાં જ દુષ્પરિણામ સામે આવે છે. જો આપણું ક્લ્યાણ ઇચ્છતા હોઈએ તો કોઈ પણ પ્રકારનો રમશો નહિ. ઝેરી ફળની માફક એનો પૂર્ણતઃ ત્યાગ કરી દો. જુગાર રમશો નહિ. ઝેરી ફળની માફક એનો પૂર્ણતઃ ત્યાગ કરી દો.

૧૪૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

હત્સુ પીતાસો યુધ્યન્તે દુર્મદાસો ન સુરાયામ્ । ઉધર્ન નગ્ના જરન્તે  ॥  (ઋગ્વેદ ૮/૨/૧૨)

ભાવાર્થ : દુષ્ટ બુદ્ધિના લોકો મનગમતો દારૂ પીને અંદરોઅંદર લડતા રહે છે અને નગ્ન થઈને રાતભર આમતેમ ફરતા રહે છે. એટલા માટે સજ્જનો કદીયે ભૂલથી પણ દારૂ ના પીએ.

સંદેશ : બુદ્ધિશાળી કહેવાતો મનુષ્ય જ્યારે ન કરવાનું કરે છે, ન ખાવાનું ખાય છે અને ન પીવાનું પીએ છે ત્યારે તેની બુદ્ધિમત્તા પર સ્વાભાવિક રીતે શંકા થાય છે. દારૂ, તમાકુ વગેરે ઝેરીલા પદાર્થોની મનુષ્યને ટેવ પડી ગયા પછી તે હંમેશાં વિપરીત અને દુઃખદ પ્રભાવ જ પેદા કરે છે. સંસારના બધા જ દેશોમાં થયેલી શોધોના આધારે આ નશીલી વસ્તુઓને દરેક રીતે મનુષ્ય માટે બિનજરૂરી અને નુકસાનકારક જ ગણાવવામાં આવી છે. તેમના સેવનથી સ્મરણશક્તિ ઘટે છે તથા આળસ, પ્રમાદ, આવેશ, ચીડિયાપણું, ગભરામણ, ઉત્તેજના વગેરે વધી જાય છે. જે તેમનો ઉપયોગ કરશે તે પોતાનામાં આ દોષો વધી ગયા છે એવું પોતે જ અનુભવશે.

નશો ક્ષણિક ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જેવી રીતે હંટર મારવાથી ઘોડો ઉશ્કેરાઈને દોડવા લાગે છે તેવી જ રીતે નશો પણ મનુષ્યના સંચિત શક્તિભંડારને ઉત્તેજિત છે. નશો કરતી વખતે લાગે છે કે ક્ષણિક સ્ફૂર્તિ આવી ગઈ, પરંતુ અંતે તો તેનું પરિણામ ઘાતક જ આવે છે. વારંવાર ચાબુક મારીને ઘોડાને એના સામર્થ્યથી વધારે દોડાવવાથી ઘોડો જલદી થાકી જાય છે અને મરી જાય છે. આ જ વાત મનુષ્યના શરીરને પણ લાગુ પડે છે. દારૂ, તમાકુ વગેરે નશાના સેવનથી શરીરનો સંચિત શક્તિભંડાર જલદીથી નષ્ટ થઈ જાય છે અને યુવાનીમાં જ ઘડપણ આવી જાય છે. શરીર બોદલું અને નિસ્તેજ થઈને અનેક જાતના રોગોનું ઘર બની જાય છે. વ્યસનીના મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાથી બાજુમાં બેઠેલા લોકોના મનમાં નફરત પેદા થાય છે.

કુકર્મોના સંસ્કાર મનુષ્યને પાપોમાં પ્રવૃત્ત કરે છે. મદિરાપાન અનેક દુર્ગુણો અને પાપોનું મૂળ છે. નશો બુદ્ધિને વિકૃત કરી નાખે છે અને ઉન્મત્ત માણસ કોઈ પણ પાપ કરી શકે છે. કર્તવ્યજ્ઞાનના અભાવમાં તે દરેકની સાથે લડતો ઝઘડતો રહે છે અને માનમર્યાદાનું ધ્યાન પણ રહેતું નથી. ન તો તેને પોતાના તન અને મનનો હોશ રહે છે કે ન કપડાંનો. આમતેમ ભટકતાં ભટકતાં તે પોતાનું પતન તો કરે છે, સાથે જ કુટુંબ અને પડોશીઓનું જીવન પણ નરકમય બનાવી દે છે.

આપણી પોતાની તથા રાષ્ટ્રની અબજો રૂપિયાની બરબાદી પ્રતિ વર્ષ દારૂ, તમાકુ વગેરેના ઉત્પાદન, જાહેરાતો અને પ્રચારપ્રસારમાં થાય છે. જો આ ધનનો પૂરેપૂરો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્યની તંદુરસ્તી તથા જીવનનો સ્તર પણ સુધરે અને ગામડાં તથા નગરોનો વિકાસ પણ થઈ જાય. આ વિપુલ ધનરાશિનું આયોજન ગૃહનિર્માણ, વસ્ત્રનિર્માણ, ગૌપાલન વગેરે રચનાત્મક કાર્યોમાં કરવામાં આવે તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય.

સંસારના બધા ધર્માચાર્યો અને મહાપુરુષોએ નશાબાજીની નિંદા કરી છે અને તેને પાપ કહ્યું છે. એ તામસિક દુર્બુદ્ધિ અને ગુનાહિત દુષ્પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે. દુષ્કર્મ કરવામાં તેને લજ્જા આવતી નથી કે સંકોચ પણ થતો નથી, નિરંકુશતા આચરવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ થતો નથી. નશાબાજ વ્યક્તિની આધ્યાત્મિક સંવેદનશીલતા ઘટી જાય છે, છતાં પણ કોણ જાણે કેમ આપણે પ્રકૃતિવિરોધી કાર્યો કરીને પોતાનો ચારેય તરફથી વિનાશ કરવામાં લાગેલા રહીએ છીએ.

૧૪૪. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉત્સકથ્યાડઅવ ગુદં ધેહિ સમંજિ ચારયા વૃષન | ય સ્ત્રીણાં જીવ ભોજનઃ ।।  (યજુર્વેદ ૨૩/૨૧)

ભાવાર્થ : જે સ્ત્રી અથવા પુરુષ વિષયસેવન દ્વારા વ્યભિચારને વધારતાં રહે છે તેમને કઠોર શિક્ષા કરવી જોઈએ. માંસસેવન કરનારા પણ શિક્ષાથી વંચિત રહેવા ન જોઈએ. એ સમાજના ગુનેગાર છે.

સંદેશ : દુષ્કર્મો અને કુવિચારોના કુસંસ્કાર એક પ્રકારનાં ઝેરીલાં પડળોની માફક ચેતન મગજ અને અચેતન ચિત્ત પર જામતા રહે છે. તે મનની ચંચળતા, ઉદ્વિગ્નતા, અસ્થિરતા, આવેગ, વિક્ષોભ વગેરેના રૂપમાં ફૂટી નીકળે છે અને માણસને અર્ધપાગલ જેવો બનાવી દે છે. તે કોઈ પણ કામને એકાગ્ર ચિત્તથી કરી શકતો નથી અને દરેક વખતે ‘કરું કે ના કરું’ની ગડમથલમાં લાગેલો રહે છે. ફળસ્વરૂપે ડગલે ને પગલે તેને અસફળતા જ મળે છે અને તે ઠોકરો ખાય છે. અસંતુલિત વ્યવહારથી ખિજાઈને તે અસંતુષ્ટ થઈ અસહયોગી, વિરોધી અને ગુનેગાર બની જાય છે. પરિવાર અને સમાજમાં બધાની સાથે ઝઘડો કરવા ટેવાયેલ માણસ દરેક ઘડીએ વિક્ષુબ્ધ રહે છે. ન તો તેનું મગજ સારી રીતે વિચારી શકે છે કે ન કોઈ રસ્તો સૂઝે છે. શ૨ી૨થી રોગી અને મનથી વિક્ષુબ્ધ માણસ જીવતો હોવા છતાં નરક ભોગવે છે અને સામાજિક વાતાવરણને પણ દૂષિત કરે છે.

વ્યસન અને મૃત્યુમાં વ્યસન વધારે દુઃખદાયક હોય છે. વ્યસનોથી અલિપ્ત માણસ મર્યા પછી પણ સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ વ્યસનોમાં ફસાયેલો માણસ હ૨પળે મરતો રહે છે અને અધોગતિ પ્રાપ્ત કરે છે. નિર્વ્યસની હોવું તે મનુષ્યની શોભા છે. જે માણસ માદક દ્રવ્યોનું સેવન કરતો નથી તેને નશો કરનાર કરતાં સારો માનવામાં આવે છે. માંસાહાર ન કરનાર માણસને માંસાહારી કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે. જુગા૨ીની તુલનામાં જુગાર ન રમનાર સન્માન અને પ્રતિષ્ઠા મેળવે છે.

દુષ્કર્મો, દુરાચારો અને વ્યસનોમાં સપડાયેલો માણસ પોતાના પતનનું કારણ તો બને જ છે, પણ સાથે સાથે સમાજ પ્રત્યે પણ ઘોર અપરાધ કરે છે. તેના કારણે સમાજમાં અરાજકતા તથા અશાંતિ ફેલાય છે અને કેટલાય લોકોના જીવન પર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. વ્યભિચાર અને બળાત્કારથી પીડિત માણસને આજીવન માનસિક તકલીફ ભોગવવી પડે છે.

આ બધાં વ્યસનો સમાજને માટે અપરાધ છે, તો માંસાહાર જીવ જગત પ્રત્યે અપરાધ છે. એ મનુષ્યને જંગલી અને અશિષ્ટ બનાવે છે અને બુદ્ધિને મલિન કરી નાખે છે. માંસાહારથી મનુષ્યના હૃદયમાંથી દયાનો ભાવ નષ્ટ થઈ જાય છે. તે તેની શારીરિક, આત્મિક, માનસિક તથા બૌદ્ધિક ઉન્નતિને અટકાવીને તેને દુર્ગતિ તરફ લઈ જાય છે. માંસ, માછલી, ઈંડાં વગેરે મનુષ્યનું ભોજન નથી. તેથી તેમને વર્જિત માનવાં જોઈએ. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા છે તે બધા શાકાહારી રહ્યા છે અને તેમણે માંસાહારની ભરપૂર નિંદા કરી છે. માણસ અહિંસાનો ત્યાગ કરે તો જ તે માંસાહાર કરી શકે છે. આપણા ઋષિઓએ હંમેશાં અહિંસાના મહિમાનાં જ વખાણ કર્યાં છે. મહાભારત (આદિપર્વ)માં ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે“અહિંસા પરમોધર્મઃ સર્વપ્રાણભૂતાં વર.” કોઈ પણ પ્રાણીને ન મારવું એ જ પરમ ધર્મ છે. અહિંસાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી.

સમાજ તથા જીવજગતના આ અપરાધીઓને, માનવતાના વિરોધીઓને યોગ્ય દંડ અવશ્ય મળવો જોઈએ. આવી દુષ્પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ઉખાડી નાખવાના કાર્યક્રમો આપણે બધાએ કરવા જોઈએ, તો જ આપણે સામાજિક જવાબદારીને સારી રીતે નિભાવી શકીશું.

૧૪૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૧૨૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૧૨૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યો જામ્યા અપ્રથયસ્તદ્ યત્ સખાયં દુધૂર્ષતિ । જ્યેષ્ઠો યદપ્રચેતાસ્તદદાહુ૨ધરાગિતિ I (અથર્વવેદ ૨૦/૧૨૮/૨)

ભાવાર્થ : જે મનુષ્ય સ્ત્રીઓના સતીત્વનું અપહરણ કરે છે, મિત્રઘાત કરે છે અને વૃદ્ધ હોવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત નથી કરતો તે અધોગતિને પામે છે.

સંદેશ : વૈદિક ધર્મમાં સદાચાર અને નૈતિકતાનું ઘણું જ મહત્ત્વ છે. પ્રત્યેક કર્મ સાર્વદેશિક, સાર્વભૌમ, સર્વકાલિક અને સાર્વત્રિક હોય છે. તેનો કોઈ દેશ, કાળ અથવા ભૂમિવિશેષ સાથે સંબંધ નથી હોતો. સત્ય બોલવું, સેવા કરવી, પરોપકાર કરવો વગેરે એવાં જ કર્યો છે. જે કર્મો કરવાથી મનુષ્યના અંતરાત્માને સંતોષ થાય, પ્રસન્નતા તથા ઉત્સાહની અનુભૂતિ થાય એવાં કર્મોને સદાચાર કહેવામાં આવે છે. એ કર્મો કરવાથી મનુષ્ય કદીય લજ્જિત થતો નથી અને તેનો આત્મા સંતુષ્ટ થાય છે. આવાં જ પવિત્ર તથા નૈતિક કર્મ સદાચાર કહેવાય છે. એનાથી ઊલટું, જે કર્મ કરવામાં શરમ, શોક, ભય વગેરેની અનુભૂતિ થાય તેને દુરાચાર કહેવામાં આવે છે.

દુરાચારનો વ્યાપક અર્થ છે ખરાબ આચરણ, દુષ્ટતાપૂર્ણ વ્યવહાર, પરંતુ તેનો એક અર્થ વ્યભિચાર પણ છે. અશ્લીલતા અને દુરાચારને ધનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય અશ્લીલતાને અપનાવે છે તેની દુરાચાર તરફ પ્રવૃત્ત થવાની શક્યતા રહે છે. આપણા ઋષિઓએ વાસનાત્મક પવિત્રતા પર પણ ઘણો ભાર મૂક્યો છે. શરીર શુદ્ધિ અને પવિત્રતાનું સાધન છે. વ્યસનોથી દૂર રહેવું જોઈએ. દારૂ વગેરે માદક દ્રવ્યોનું સેવન, માંસાહાર, અશ્લીલતા, વ્યભિચાર, જુગાર વગેરે મુખ્ય વ્યસનો છે. તે મનુષ્યના પતનનાં કારણ બને છે. તેમાં કામુકતાનું વ્યસન સૌથી ભયંકર હોય છે અને તેની પર નિયંત્રણ રાખવું તે સૌથી મહત્ત્વપૂર્ણ સદાચાર છે. જ્યાં સુધી મનુષ્યનો કામાગ્નિ પ્રજ્વલિત થતો નથી ત્યાં સુધી જ તેનામાં મોટાઈ, વિદ્વત્તા, કુલીનતા અને વિવેક રહે છે . આ જ ભારતીય સદાચારનો માપદંડ છે.

જે માણસે આંખ, કાન, વાણી અને મગજને પવિત્ર રાખવાનો સંકલ્પ કર્યો હોય અને પવિત્ર રાખતો હોય તે અશ્લીલતાથી અવશ્ય બચી શકશે. ખરાબ વિચારોથી પોતાની જાતને બચાવવા માટે માત્ર આ પ્રતિબંધો મૂકવાના નથી, પરંતુ એની સાથે ઈશ્વરભક્તિ, સારાં પુસ્તકોનું વાંચન, પવિત્ર માણસોનો સાથ વગેરેને પણ અપનાવવાં પડશે. મન જેટલું ઈશ્વરભક્તિમાં લાગેલું રહેશે એટલા જ અશ્લીલ વિચારો દૂર ભાગતા રહેશે. સારા ગ્રંથોનું જેટલું અધ્યયન કરવામાં આવશે, એટલા જ ખરાબ વિચાર દૂર ભાગશે. પવિત્ર માણસોનો સત્સંગ સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપશે.

વૈદિક ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું લક્ષ્ય છે – પ્રાકૃતિક પદાર્થોનો – ઉપભોગ કરતાં કરતાં પરમાત્મા સુધી પહોંચવું. પરમાત્મા શુદ્ધ સ્વરૂપ છે. તેથી શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવા માટે આત્માને શુદ્ધ અને પવિત્ર કરવો પડશે. આત્માની શુદ્ધતા અને પવિત્રતા માટે વ્યસનોને ત્યાગીને સદાચાર અપનાવવો પડશે. સાત્ત્વિકતાને આપણા જીવનનો આધાર બનાવી લેવાથી મનમાં સદ્વિચારોની ઉત્પત્તિ થાય છે. તેનાથી અંતરાત્મામાં ઉચ્ચ, શુદ્ધ તથા પવિત્ર વિચારો વધે છે, જે આપણને નૈતિક આચરણ કરવા માટે પ્રેરિત કરે છે.

વૈચારિક પવિત્રતા સદાચારનો મુખ્ય આધાર છે.

૧૪૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૪૭/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૪૭/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉત વા યઃ સહસ્ય પ્રવિદ્વાન્મર્ત્તો મર્ત્તં  મર્ચયતિ દ્વયેન । અતઃ પાહિ સ્તવમાન સ્તુવન્તમગ્ને માકિર્ગો દુરિતાય ધાયીઃ ॥ (ઋગ્વેદ ૧/૧૪૭/૫)

ભાવાર્થ : જે લોકો હંમેશાં બીજાઓની નિંદા કરે છે અને દોષો શોધતા રહે છે તેમનાથી બચવું જોઈએ, કારણ કે તેમની પાસે રહેવાથી આપણો સ્વભાવ પણ તેમના જેવો જ થઈ જાય છે.

સંદેશ : કહેવત છે કે ‘મનુષ્યને બીજાની આંખનો તલ તો દેખાય છે, પરંતુ પોતાની આંખનો તાડ દેખાતો નથી.’ બીજાના દોષોને વધારીને કહેવામાં તેને ખૂબ જ આનંદ આવે છે. પરનિંદામાં જે મજા આવે છે તે બીજી કોઈ વસ્તુમાં આવતી નથી. ઘણા લોકો આપણા મોઢે તો વખાણ કરે છે, ખુશામત કરે છે, પણ પીઠ પાછળ નિંદા કરે છે. ખુશામત કરવી અને નિંદા કરવી બંને તેમના હલકા સ્તરને પ્રદર્શિત કરે છે. નિંદા કરતા કહેવાથી મનુષ્યની દૃષ્ટિ એવી બની જાય છે કે તેને સર્વત્ર ખરાબ જ દેખાય છે. લોકોના સારા ગુણો તરફ પણ તેનું ધ્યાન જતું નથી.

અહંકાર અને દંભને વશ થઈને લોકો બીજાની નિંદા કરે છે. તેમનામાં એવું અભિમાન જાગૃત થઈ જાય છે કે હું જ મોટો બુદ્ધિશાળી છું, પરાક્રમી છું, કર્તવ્યનિષ્ઠ છું અને બાકીના બધા નકામા, અજ્ઞાની અને કામચોર છે. આ ભાવનાથી તે બીજાઓને પોતાના કરતાં તુચ્છ માનવા લાગે છે તથા તેની સારી વાતોમાં પણ દોષ શોધતા રહેવાનો પ્રયાસ કરે છે. એનાથી બીજાનું કશું બગડે કે ના બગડે, પરંતુ તેની પોતાની પ્રગતિ કુંઠિત થઈ જાય છે. અનેક લોકો પોતે યોગ્ય પુરુષાર્થ કરતા નથી અને જો અસફળતા મળે તો અકારણ જ બીજાઓને દોષ દે છે. તેઓ પોતાની દુર્બળતાને સંતાડવા માટે બીજા લોકોની નિંદા કરીને તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. દ્વેષ તથા ઈર્ષ્યા પણ પરનિંદામાં વધારો કરે છે. મોટાભાગના માણસો બીજાના ગુણોની પરખ કરવાના બદલે મિથ્યા દોષારોપણ કરતા રહે છે. પોતે કોઈ પણ કાર્યમાં કુશળતાનું પ્રદર્શન કરતા નથી અને “નાચવું ન હોય તો આંગણું વાંકું” ના આધારે બીજાઓના દોષ કાઢે છે. જેમની સામે પોતાનું કોઈ સ્પષ્ટ ધ્યેય નથી હોતું, સમયના સદુપયોગની કોઈ યોજના નથી હોતી તેઓ જ પરનિંદામાં મગ્ન રહીને સમયને નષ્ટ કરે છે. પરનિંદાની માદકતા તેમને કશુંય વિચારવા અને સમજવાનો અવસર આપતી જ નથી, બીજાઓને હલકા પાડીને પોતાની પ્રતિષ્ઠા વધારવાનું ચલણ આજકાલ સર્વત્ર દેખાય છે.

દિનપ્રતિદિન સ્થિતિ બગડતી જાય છે. શ્રેષ્ઠ મહાપુરુષોનાં જીવનચરિત્ર ન તો કોઈ વાંચે છે અને ન તેમના જીવનમાંથી કશું શીખવાનો પ્રયત્ન કરે છે. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી વગેરેના જીવનના ત્યાગ, સેવા, શૌર્ય, દઢતા વગેરે સદ્ગુણોની ચર્ચા કરવાનું પણ પસંદ નથી કરતા. સર્વત્ર કામુકતા, અશ્લીલતા, પરનિંદા તથા છિદ્રો શોધવાની વૃત્તિ જ જોવા મળે છે, પછી ભલેને સાહિત્ય હોય યા રેડિયો, ટી.વી. વગેરે હોય.

બીજાઓની નિંદા કદીય કરવી ન જોઈએ. તેનાથી આપણો જ આત્મા મલિન થાય છે. પ્રત્યેક મનુષ્યમાં કોઈ ને કોઈ સદ્ગુણ અવશ્ય હોય છે. મધમાખીની જેમ આપણે પણ બીજાઓના ગુણો જોવાની જ આદત પાડવી જોઈએ. એવું કરવાથી હૃદય શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. હંમેશાં બીજાઓના ગુણ જુઓ, પણ દોષ પોતાના જુઓ, ત્યારે જ ખબર પડશે કે “મુજ સે બૂરા ન કોય.”

નિંદાથી બચીએ તો આપણું શુદ્ધિકરણ શક્ય છે.

૧૪૧. વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૩/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૩/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સુહૃદયં સાંમનસ્યમ વિદ્વેષં કૃણોમિ વઃ । અન્યો અન્યમભિ હર્યંત વત્સં જાતમિવાધન્યા ॥ (અથવર્વેદ ૩/૩૦/૧)

ભાવાર્થ: આપણે પારસ્પરિક વેર ભાવનાનો ત્યાગ કરીને સહૃદય, મનસ્વી તથા ઉત્તમ સ્વભાવવાળા બનીએ. એકબીજાને હંમેશાં પ્યારની દૃષ્ટિથી જોઈએ, તો જ આપણે સુખી રહી શકીશું.

સંદેશ : ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું સ્થાન ઘણું જ મહત્ત્વનું છે. ત્યાગમય જીવનને જ અહીંયાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. દાનમાં કોઈના ૫૨ અહેસાન કરવાનો ભાવ રહે છે.પોતાના અહંકારનું પોષણ થાય છે અને બદલામાં નામ, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વગેરેની આકાંક્ષા પણ રહે છે, પરંતુ ત્યાગ તો દાનથી પણ ઉપરની સ્થિતિમાં છે. તે દુઃખ, મોહ, ક્રોધ, અહંકાર વગેરેથી પર છે. જે વ્યવસ્થામાં રૂપિયા, પૈસા તથા અન્ય ભૌતિક સંપત્તિઓનો ત્યાગ મહત્ત્વનો છે ત્યાં પોતાના દોષદુર્ગુણોના ત્યાગની ગરિમાનો પોતે જ અનુભવ કરી શકાય છે. એમાં પણ પારસ્પરિક વેરભાવનાને ત્યાગવી એ કુટુંબ તથા સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર છે. જ્યારે મનમાંથી દ્વેષભાવ દૂર થઈ જાય છે ત્યારે તેમાં પવિત્રતા અને નિર્મળતાનો વાસ થાય છે. એનાથી મનુષ્યના હૃદયમાં લોકો પ્રત્યે સદ્ભાવના જાગૃત થાય છે અને બદલામાં તેને બધાનો સહયોગ મળે છે.

સમાજ હોય કે કુટુંબ, જ્યાં સુધી બધામાં હૃદયની એકતા, મનની એકતા, દ્વેષનો અભાવ તથા પ્રેમ અને સદ્ભાવનાનો વ્યવહાર નહિ હોય ત્યાં સુધી સુખશાંતિનું વાતાવરણ સ્થપાઈ નહિ શકે. લક્ષ્ય એક હોવા છતાં જો પરસ્પર દ્વેષ હોય, કલેશ, ઈર્ષ્યા અને મનની મલિનતા હોય તો કામ કેવી રીતે ચાલી શકે? જો વિચારભેદ તથા મતભેદ હોય તો લક્ષ્ય પણ એક થઈ શકશે નહિ. જ્યારે લક્ષ્ય જ નિશ્ચિત નહિ હોય ત્યારે તો “અપના અપના સાજ, અપના અપના રાગ’ જેવી સ્થિતિ થઈ જશે. જો ગમે તે રીતે લક્ષ્ય એક થઈ જાય તો પછી બધાનાં મન તથા હૃદય પણ એક થવાં જોઈએ, તો જ પરસ્પર સહયોગ અને સહાનુભૂતિનું વાતાવરણ બનશે. સાચા મનથી સહયોગ મળવાથી જ લક્ષ્ય પૂરું થઈ શકશે. એનાથી જ પ્રેરણા અને ક્રિયાશીલતા આવે છે, પારસ્પરિક પ્રેમ અને સહાનુભૂતિની વૃદ્ધિ થાય છે. સર્વત્ર ઘનિષ્ઠ પ્રેમનો પ્રવાહ વહેતો રહેવાથી લોકો પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને એકબીજાના હિતનું ચિંતન કરે છે અને તે માટે પોતાના પ્રાણ આપવા પણ તૈયાર રહે છે. અરસપરસની પ્રેમભાવનાનું મહત્ત્વ સર્વાધિક છે. પ્રેમ અને સ્નેહથી પણ ઉપર વાત્સલ્યનો ભાવ હોય છે. જેવી રીતે મા પોતાનાં બચ્ચાંને અથવા ગાય પોતાના વાછરડાને વહાલ કરે છે, ચાટે છે તથા તેની ભલાઈ માટે સંસારનાં મોટામાં મોટાં સંકટોને પોતે ઝીલી લેવા તૈયાર રહે છે, એવી ભાવનાને જો આપણે પારસ્પરિક વ્યવહારમાં ઉતારી શકીએ તો આ સંસાર સ્વર્ગ બની જાય.

પરંતુ આ પ્રેમ, સ્નેહ તથા વાત્સલ્યની ભાવના આપણા મનમાં જાગે પણ કેવી રીતે ? ત્યાં તો વેર, દ્વેષ અને મનની મલિનતાનો કાદવ ભરેલો છે. જ્યાં સુધી તેનું નિવારણ ના થઈ શકે ત્યાં સુધી પ્રેમના અંકુર ક્યાંથી ફૂટે ? પ્રેમનો સૌથી મોટો દુશ્મન દ્વેષ છે. પારસ્પરિક એકતા, સ્નેહ, સદ્ભાવ અને સમજાવટથી જ આત્મીયતા તથા સહકાર સ્થાપિત થાય છે તથા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એક્બીજા સાથેનું પ્રેમબંધન બળવાન થવાથી જ એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવાની પ્રવૃત્તિ વધશે. કુટુંબના હિતમાં, સમાજના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં જ લોકો પોતાનું હિત સમજશે.

વેર અને દ્વેષભાવને આપણા મનમાં ઘૂસવા જ ન દેવાં જોઈએ અને જો કદાચ તે આવી પણ જાય તો તેમને ધક્કા મારીને બહાર કાઢી મૂકવાં જોઈએ.

૧૪૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વિશ્વા ઉત ત્વયા વયં ધારા ઉદન્યાઇવ । અતિ ગાહેમહિ દ્વિષઃ ॥  (ઋગ્વેદ ૨/૭/૩)

ભાવાર્થ: જેવી રીતે પાણીની ધારા એક જગ્યાએ ટકતી નથી એવી જ રીતે વેરની ભાવનાઓ પણ એક જગ્યાએ રોકાઈ ના રહે. શત્રુભાવ ત્યાગીને મિત્રભાવ જાગૃત કરવો જોઈએ.

સંદેશ : આપણા મનમાં ભેગા થયેલા બધા કુસંસ્કારોનું મૂળ કારણ અજ્ઞાન હોવાથી ઈશ્વરપ્રાપ્તિમાં તે અવરોધક નીવડે છે. આપણે આપણા દિવ્ય સ્વરૂપ પ્રત્યે ન તો સચેત રહીએ છીએ કે ન તો આપણને આપણી દિવ્યતાનું જ્ઞાન રહે છે. આ અજ્ઞાનતાના કારણે જ અહંકારનો ઉદય થાય છે. હું તે છું, હું આ છું વગેરે અહંભાવ પોતાને બીજાઓથી અલગ માનવા માટે પ્રેરિત કરે છે. તેના લીધે આસક્તિ, ઘૃણા, પોતાના-પારકાની તથા રાગદ્વેષની ભાવના જન્મ લે છે અને આપણે આધ્યાત્મિક માર્ગને ભૂલી જઈને આપણા જ જીવનનું પતન કરીએ છીએ.

વેરભાવનાના સતત ચિંતનથી દુષ્પ્રવૃત્તિઓમાં વધારો થાય છે અને તે અનુસાર મનુષ્યનું આચરણ નીચા સ્તરનું બનતું જાય છે. મનમાં સતત એવા જ વિચાર ચાલતા રહે છે કે કેવી રીતે આપણા વેરી સાથે બદલો લેવામાં આવે, કેવી રીતે તેનું અપમાન કરવામાં આવે. નિરંતર આ જ ગડમથલ ચાલતી રહે છે. આક્ષેપ, વ્યંગ, કટાક્ષ અને કડવાશભર્યું આચરણ અપનાવીને માણસ પોતાનું ચારિત્રિક પતન કરે છે. તેમના સંપર્કમાં આવનાર માણસોને તેનાથી જે માનસિક તકલીફ પડે છે તે અલગ. આવા હલકા માણસો દરેક પળે પોતાના વિરોધીઓના વિનાશની જ કલ્પના કરતા રહે છે અને તેને જરાક પણ હાનિ થાય તો પ્રસન્નતા વ્યક્ત કરવાની નીચતા પણ દેખાડે છે. વહેતું પાણી કેટલું પવિત્ર અને નિર્મળ હોય છે ! નદીઓ તથા ઝરણાંની ધારા બધાને ઉલ્લાસ આપે છે, પરંતુ જો આ પાણીને એક ખાડામાં રોકી દેવામાં આવે તો તે સડવા લાગે છે અને સર્વત્ર દુર્ગંધ ફેલાવે છે. આવી જ હાલત દુશ્મનાવટ તથા દ્વેષની ભાવનાને આપણા મનમાં રોકી રાખવાથી થાય છે. આવા લોકોના મનમાં પ્રેમની જગ્યાએ નફરતનો ભાવ જાગૃત થાય છે અને ચારેબાજુએ વૈમનસ્ય, તિરસ્કાર તથા અસહયોગનું દૂષિત વાતાવરણ બની જાય છે.

સંસારમાં નિર્દોષ માણસોની સંખ્યા ઘણી ઓછી છે. બેચાર દોષ દુર્ગુણ તો દરેક માણસમાં હોય જ છે. આપણે પોતે પણ તેમાં અપવાદરૂપ નથી, પરંતુ મનુષ્ય પોતાના અવગુણો તરફ ધ્યાન જ નથી આપતો અને બીજાઓની જરા અમથી વાતથી તેને દુશ્મન બનાવી બેસે છે. આજકાલનું સામાજિક, આર્થિક તથા રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે લોકો વેરભાવનાના દુર્ગંધયુક્ત કીચડમાં ફસાયેલા રહે છે. શત્રુભાવનો ત્યાગ કરીને જ્યાં સુધી પરસ્પર મિત્રતાની ભાવના પાંગરશે નહિ ત્યાં સુધી સમાજ તથા કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ સ્થપાઈ નહિ શકે. એ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સહિષ્ણુતા અને સંધિની ભાવના. જો ઠંડા દિમાગથી પરિસ્થિતિઓનું અધ્યયન કરવામાં આવે તો ખબર પડશે કે બીજાઓનું આચરણ વેર અથવા દ્વેષભાવનાથી જાણી જોઈને કરવામાં આવ્યું નહોતું. તેમની પરિસ્થિતિમાં જો આપણે હોઈએ તો આપણે પણ એવું જ આચરણ કરી બેસત. આવા વિચારથી મનમાં અકારણ દુરાગ્રહ થશે નહિ અને સહયોગ તથા ક્ષમાભાવનાનો ઉદય થશે.

મન, વચન અને કર્મમાં પૂર્ણ પવિત્રતા શીખવાથી જ વેરની ભાવનાથી છુટકારો મેળવી શકાય છે.

૧૩૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યે મૂર્ખાનઃ ક્ષિતીનામદબ્યાસઃ સ્વયશસઃ । વ્રતા રક્ષન્તે અદ્રુહઃ || (ઋગ્વેદ ૮/૬૭/૧૩)

ભાવાર્થ : હે યશની કામનાવાળા પુરુષો ! કદી કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતાં સત્ય વગેરે સત્કર્મોનું પાલન કરો, જેથી તમારો ભય નષ્ટ થઈ જશે અને તમે મનુષ્યોમાં શ્રેષ્ઠ કહેવાશો.

સંદેશ : આપણા વિદ્વાન ઋષિઓ તથા મનીષીઓએ જીવનના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. રાષ્ટ્રીય, સામાજિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓનું સંચાલન પણ શ્રેષ્ઠ ગુણયુકત યશસ્વી લોકોના હાથમાં રહે એવી ઇચ્છા રાખી હતી. તેમણે વિધાન બનાવ્યું હતું કે રાષ્ટ્રના અધ્યક્ષ, સભાસદ, અધિકારી, વ્યવસ્થાપક વગેરે હંમેશાં એવા જ માણસો બને કે જે ગુણોમાં સર્વશ્રેષ્ઠ હોય, બીજાઓની વિભૂતિ, ઉન્નતિ તથા સુખ જોઈને ઈર્ષ્યા ન કરે. પોતાની વીરતા, સદ્ગુણ, વિદ્યા વગેરે દ્વારા તથા પરિશ્રમ કરીને યશ પ્રાપ્ત કરતા હોય અને કોઈના પ્રત્યે દ્રોહ ન કરતા હોય. આવા માણસો જ ઈશ્વરીય તથા લૌકિક નિયમોનું પાલન કરી શકે છે અને બીજા લોકો પાસે પણ કરાવી શકે છે.

પરંતુ આજકાલ તેનાથી સાવ ઊલટું જ બની રહ્યું છે. જેને જુઓ તે બધા એકબીજાના પગ ખેંચવામાં જ, બીજાને નીચા દેખાડવામાં જલાગેલા છે. ઈદ્વેિષની ભાવના ચરમસીમા પર છે. સત્તાના સંઘર્ષમાં લપેટાયેલો માણસ યોગ્ય-અયોગ્યનું ધ્યાન રાખતો નથી અને સામ, દામ, દંડ, ભેદ ગમે તે રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતો રહે છે. અપરાધી તત્ત્વો પોતાની હલકી હરકતોથી સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યાં છે અને સત્તાધીશો પોતાનો સ્વાર્થ સાધવાના લોભમાં તેમને રોકી પણ નથી શકતા. આવા ગુનેગારોનો સહયોગ જ આજે સત્તાપ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ આધાર બની ગયો છે. દેશ અથવા રાજ્યની સત્તાનો પ્રશ્ન હોય અથવા સામાજિક કે ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થાનો, તેમના પર આવી હલકી વિચારધારાના માણસોએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે. જેઓ પણ તેમનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તેમના પ્રત્યે ખૂબ દ્વેષ અને વેરભાવ રાખે છે. તેઓ તેમના પ્રાણ લઈ લેતાં પણ અચકાતા નથી.

ભગવાન રામને પોતાની સાવકી મા કૈકેયી સાથે જરાય દ્વેષભાવ નહોતો, છતાં પણ તેના કારણે જ રામને રાજ્યસિંહાસનનો ત્યાગ કરીને વનમાં કષ્ટો ભોગવવાં પડ્યાં હતાં. રાવણને તેમણે એટલા માટે દંડિત નહોતો કર્યો કે તેણે તેમની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. વ્યક્તિગત દ્વેષભાવ ત્યાં નહોતો, પરંતુ એ યુદ્ધ તો એટલા માટે લડવામાં આવ્યું હતું કે જનતાને તેની રાક્ષસી વૃત્તિઓમાંથી છુટકારો મળી શકે. સીતાહરણ તો નિમિત્ત માત્ર હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ સામાજિક્તા અને રાષ્ટ્રીયતાની દૃષ્ટિથી બધાને પ્રીતિપૂર્વક, ધર્માનુસાર, યથાયોગ્ય વર્તન કરવાની વાત કરી હતી. સૌના પ્રત્યે પ્રેમ રાખો. બધા મનુષ્યો એ પરમપિતાનાં સંતાનો છે અને આપણા ભાઈઓ છે. તેમની સાથે કોઈ પણ પ્રકારનો દ્વેષ કે વેર રાખવાના બદલે ફક્ત પ્રેમ અને સ્નેહનો જ સંબંધ રાખવો જોઈએ. સાથેસાથે ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર પણ કરવો જોઈએ. જો તેમનું આચરણ અધર્મ તથા અન્યાયયુક્ત હોય તો યોગ્ય ઠપકો અથવા દંડ પણ આપવામાં આવે. કોઈ પણ જાતનો પક્ષપાત અથવા ભાઈ-ભત્રીજાવાદ નહિ, કોઈ આપણો કે પારકો નહિ, બધાની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક વ્યવહાર કરવો એ જ આપણો આદર્શ હોવો જોઈએ.

દ્વેષભાવનાનો ત્યાગ કરવાથી જ લોકહિત અને પરોપકારનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને એનાથી જ સમાજમાં સુખશાંતિનું વાતાવરણ બની શકે છે.

%d bloggers like this: