૩૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉદ્યાનં તે પુરુષ નાવયાન, જીવાતું તે દક્ષતાતિં કૃણોમિ । આ હિ રોહેમમમૃતં સુખં રથમથ જિર્વિવિંદથમા વદાસિ ॥ (અથર્વવેદ ૮/૧/૬)

ભાવાર્થ : જેઓ દેવેચ્છા અને ગુરુજનોના શિક્ષણને માનીને મુશ્કેલીઓમાં આગળ વધતા રહે છે તેમને સમાજમાં સન્માન મળે છે, તેમની બધે પ્રશંસા થાય છે.

સંદેશઃ દેવેચ્છાથી આપણને આ મનુષ્યશરીર મળ્યું છે. જીવનપથમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ કરતાં હંમેશાં પોતાની અને સમાજની ઉન્નતિ કરતા રહેવાને પરમાત્માએ આપણું મુખ્ય કર્તવ્ય નક્કી કર્યું છે. આપણે ક્યારેય હતાશ થવું જોઈએ નહિ, કારણ કે પરમેશ્વર પોતે આપણી ઉન્નતિમાં સહયોગ આપવા માટે દરેક પળે તૈયાર રહે છે. આપણે તો ભારે પુરુષાર્થ કરવાનો છે. ભગવાન ક્યારેય આપણું પતન ઇચ્છતા નથી. આપણે જાતે જ દુષ્પ્રવૃત્તિઓની જાળમાં ફસાઈને અવનતિનો માર્ગ બનાવી લઈએ છીએ. તેઓ આપણા જીવનને એટલું પ્રાણવાન અને શક્તિશાળી બનાવી દેવા ઇચ્છે છે કે તેના તેજની આગળ આખો સંસાર નતમસ્તક થાય. આપણે આપણા આત્મા અને શરીરની શક્તિને સાચી રીતે ઓળખવી જોઈએ.

મોટા ભાગના માણસો પોતાની આત્મશક્તિને ઓળખતા નથી અને પોતાના શરીરને જ સર્વસ્વ સમજીને તેની સેવામાં પોતાને સમર્પિત કરી દે છે. તેનાથી અનેક પ્રકારના શારીરિક અને માનસિક વિકારો પેદા થાય છે અને તે મનોવિકારો દુર્ગંધયુક્ત કીચડથી ભરાઈ જાય છે. તેઓ ભૂલી જાય છે કે આ શરીર તો માત્ર આત્માનું વાહન છે. જે શરીરને આત્મા ઉપર છવાઈ જવા દે છે તેમના આત્માનો પ્રકાશ બહાર ફેલાતો નથી અને પ્રગતિમાં મદદરૂપ થતો નથી. જેનો આત્મા શરીરરૂપી ઘોડાની લગામને પકડી રાખે છે તે ઉત્તરોત્તર આત્મવિકાસના પગથિયાં ચઢતાં ચઢતાં ઉન્નતિના શિખર ઉપર પહોંચી જાય છે.

એવા માનવીનું પ્રાણબળ દ૨૨ોજ વધે છે અને વૃદ્ધાવસ્થામાં સારી રીતે વિકસિત થાય છે. તે માનવી પોતાના જ્ઞાન અને અનુભવના વિશાળ ભંડારમાંથી સમાજને સુસંસ્કારી બનાવવામાં મદદ કરી શકે છે. તે મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ કરે છે. જીવનપથમાં મુશ્કેલીઓ તો આવતી રહેવાની. બધી વસ્તુઓ આપણી મરજી પ્રમાણે મળતી રહે એ શક્ય નથી. વિપરીત પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવાનું સામર્થ્ય જ આપણા વ્યક્તિત્વને ઉચ્ચ બનાવે છે. તેનાથી સર્વત્ર સન્માન અને પ્રશંસા મળે છે. સંઘર્ષથી આત્મબળ અને પ્રાણબળની પરીક્ષા થાય છે. પરમાત્માની ઇચ્છાથી આ મુશ્કેલીઓ આપણા માર્ગમાં ઊભી થાય છે અને આપણને સુષુપ્તાવસ્થામાંથી જગાડીને આત્મોન્નતિ માટે પ્રેરિત કરે છે. પરમપિતા પરમેશ્વર બહુ દયાળુ છે અને તેની કૃપાની વર્ષા તેના પ્રિય પુત્રો ઉપર નિરંતર થતી રહે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે છે તે બીજી રીતે તેના માટે વરદાન સ્વરૂપ છે. પહેલાંનાં પાપકર્મોના દંડના રૂપમાં તે માનવીને પ્રાયશ્ચિત્ત કરવાનો એક અવસર આપે છે. તેના આત્મબળને સુવર્ણની જેમ ચમકાવવા એક ભઠ્ઠીની ભૂમિકા નિભાવે છે.

જે આ વિકટ પરિસ્થિતિમાં હતાશ થતો નથી અને બીજાને યોગ્ય પ્રોત્સાહન આપે છે તે સાચો બ્રાહ્મણ છે.

૩૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૪  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૪  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉત્ ક્રામાતઃ પુરુષ ભાવ પત્થા મૃત્યોઃ પડવીશમવમજ્જમાનઃ । મા ચ્છિત્થા અસ્માલ્લોકાદગ્ને: સૂર્યસ્ય સંદૃશઃ ॥ (અથર્વવેદ ૮/૧/૪)

ભાવાર્થ : હે મનુષ્યો ! તમારે વર્તમાન અવસ્થાથી જ સંતુષ્ટ થઈ જવું જોઈએ નહિ. તમારે આગળ વધવાનું છે અને શરીર તથા આત્મબળ વડે પુરુષાર્થ કરવાનો છે.

સંદેશ ; પ્રગતિની શું કોઈ મર્યાદા હોય છે ? સંસારમાં કેટલું જ્ઞાન વિજ્ઞાન છે એ કોઈ જાણી શક્યું છે? વેદનાં ગૂઢ રહસ્યોની ભાળ કોઈ મેળવી શક્યું છે ? માનવી આજે પણ સંસારનાં રહસ્યો શોધવામાં પડ્યો છે.

પ્રગતિનો, ઉન્નતિનો આ આધાર છે – ઊઠો, ચાલો, પડો, ફરી ઊઠો, આગળ વધો, વારંવાર આ કરતા રહો, સતત ઉદ્યમી રહો, હિંમત હારો નહિ, ધીમે ધીમે શિખર ઉપર પહોંચી જવાશે. નિષ્ફળતાથી ગભરાશો નહિ. એનાથી ફક્ત એટલું જ જાણી શકાય છે કે સફળતાનો પ્રયાસ પૂરા મનથી થયો નથી. ફરી બમણા ઉત્સાહથી જોડાઈ જાઓ.

આ બધું શું ફક્ત કહેવાથી થઈ જાય છે ? શરીરબળ અને આત્મબળના અભાવે શું આ શક્ય બનશે? ના. આ માટે તો તપ,સંયમ તથા બ્રહ્મચર્યથી શરીરને એટલું તંદુરસ્ત બનાવવું પડશે કે તે બધી સાંસારિક મુશ્કેલીઓને સરળતાથી ઝીલી શકે. ગાંધીજીએ પોતાનું શરીર એવું લોખંડ જેવું બનાવ્યું હતું કે ઈંગ્લેંડની ઠંડી તેમના ખુલ્લા શરીરને પ્રભાવિત કરી શકી ન હતી. શરીર પરનું નિયંત્રણ જ સંયમની સાધનાને સરળ કરી નાખે છે. ઇન્દ્રિયોને વશમાં કરવાનું આ પહેલું પગથિયું છે. તેનાથી આત્મબળ વધે છે. મનનો ઘોડો અહીંતહીં ભટકતો નથી. મહાન બનવા માટે આત્મશક્તિ અત્યંત જરૂરી છે. તેનાથી બીજાં બધાં બળ મેળવી શકાય છે. ધનબળ અને બુદ્ધિબળથી લૌકિક પ્રગતિ શક્ય છે, ભૌતિક સુવિધાઓ મળે છે, પરંતુ આત્મબળથી ઘણુંબધું મળી જાય છે.જેનું આત્મબળ મજબૂત હોય તે જીવનના આદર્શો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે છે.

આપણે સૂર્યદેવતાને આપણો આદર્શ બનાવવો જોઈએ.સૂર્ય દરેક પળે, દરેક ક્ષણે સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. સંસાર માટે પોતાના સમગ્ર જીવનનો ત્યાગ કરી દેવા માટે તૈયાર રહે છે. બધાને પ્રકાશ, તાપ અને ઊર્જાની સહાયતા કરતો રહીને સંસારની ગંદકીને સૂકવીને નષ્ટ કરવાના કામમાં પૂર્ણ આત્મબળથી સંલગ્ન છે. લગાતાર પુરુષાર્થના રસ્તા ઉપર આગળ વધવા છતાં ઊભા રહેવાનું નામ લેતો નથી. એને પોતાનો કોઈ સ્વાર્થ નથી. જીવનમાં સફળતાનું આ રહસ્ય છે.

“નર યદિ પ્રયાસ કરે તો નરસે નારાયણ બન જાયે” આપણા ઋષિઓ અને વિદ્વાનોએ સમગ્ર સંસારને આ આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું છે, પણ આ પ્રયાસ કેવી રીતે કરી શકાય ? તેનું આધારભૂત તત્ત્વ કયું છે ? દેવત્વના ગુણને પોતાના આચરણમાં ઉતારવાના પ્રયત્નોમાં આપણે ક્યારેય ઢીલ કરવી જોઈએ નહિ. તેનાથી નરમાંથી નારાયણ બનવામાં સફળતા મળી શકે છે.

સૂર્યની જેમ સતત પ્રયત્નશીલ રહેવામાં જ જીવન છે. આ જ બ્રાહ્મણનો ધર્મ છે.

૩૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૧૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૧૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

પવમાનઃ પુનાતુ મા ક્રત્વે દક્ષાય જીવસે । અધો અરિષ્ટતાતયે ॥ (અથર્વવેદ ૬/૧૯/૨)

ભાવાર્થ : હે પરમાત્મા ! મારા હૃદયમાં ભક્તિભાવ અને કર્મણ્યતાનો વિકાસ થાય. મને આરોગ્ય અને જીવન મળે, મને બધી બાજુથી પવિત્ર બનાવો.

સંદેશ ; માનવીએ બહારથી અને અંદરથી પવિત્ર રહેવું જોઈએ કેમ કે પવિત્રતામાં જ પ્રસન્નતા રહેલી છે. પવિત્રતામાં મનની પ્રસન્નતા, શીતળતા, શાંતિ, નિશ્ચિંતતા, પ્રતિષ્ઠા અને સચ્ચાઈ રહેલાં હોય છે. ચૈતન્ય, સજાગતા, સુરુચિ, સાત્ત્વિકતા, સ્વચ્છતા, સાદાઈ અને સુવ્યવસ્થામાં સૌંદર્ય છે તેને પવિત્રતા કહે છે.

પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આત્મા સ્વાભાવિક રીતે પવિત્ર અને સુંદર છે એટલે આત્મપરાયણ માનવીના વિચાર, વ્યવહાર અને વસ્તુઓ હંમેશાં સ્વચ્છ અને સુંદર હોય છે.

માનવીએ હંમેશાં બાહ્ય અને આંતરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. અંદરની પવિત્રતાથી તે શ્રેષ્ઠ, શાલીન, સજ્જન અને સુસંસ્કારી બને છે. માનસિક પવિત્રતા માનવીને તપસ્વી, સંયમી અને નિયમિત જીવન તરફ પ્રેરિત કરે છે, જેનાથી તેને સ્વાસ્થ્ય, આરોગ્ય અને દીર્ઘાયુનું વરદાન મળે છે. ઇન્દ્રિયો શક્તિશાળી અને સબળ હોય છે. ઇન્દ્રિયોનું સંચાલન મન વડે થાય છે. આ મન ખરીખોટી ઇચ્છાઓ અને અભિલાષાઓ કર્યા કરે છે અને શરીરને પ્રભાવિત કરે છે.

શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા જરૂરી છે, કારણ કે તેના વગર માનવજીવનનું મુખ્ય લક્ષ્ય એવી આત્મોન્નતિ થઈ શકતી નથી. આધ્યાત્મિક પવિત્રતાથી સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા તથા પરોપકારની ભાવના જાગૃત થાય છે અને દેવત્વનો વિકાસ થાય છે. લોકોમાં સામાન્ય રીતે તમોગુણ અને રજોગુણ મુખ્ય છે. આધ્યાત્મિક સાધના સતોગુણનો વિકાસ કરે છે. સતોગુણી બુદ્ધિ માનવીને જીવંત અને પ્રાણવાન બનાવે છે. સત્સંગ, સ્વાધ્યાય, સેવા, સંયમ અને સાધનાથી પ્રેરિત કરીને યશસ્વી બનાવે છે.

શાસ્ત્રોએ એ વાત સ્પષ્ટ રૂપે કહી છે કે જન્મથી આપણે બધા શૂદ્ર છીએ. કોઈ પણ જન્મજાત બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ બનવા માટે આત્મબળ, તપબળ, નૈતિકબળ અને ધર્માચરણની જરૂર પડે છે. જો કોઈ માણસમાં આ બધા ગુણ ન હોય તો તે બ્રાહ્મણકુળમાં જન્મ લીધો હોવા છતાં શૂદ્રથી પણ નીચી કક્ષાનો છે.આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે મન બદલાઈ જાય, માનવીનું ચરિત્ર બદલાઈ જાય. ફકત બહારની ટાપટીપથી કશું થતું નથી. ઢોંગ અને આડંબર આપણા સૌથી મોટા શત્રુ છે. બહાર કંઈક અને અંદર કંઈક રાખવાથી સફળતા મળતી નથી. જેની કથની અને કરણીમાં અંતર ન હોય તેમના હૃદયમાં ભક્તિ અને કર્મણ્યતાના ભાવ જાગૃત થાય છે. એવા લોકો જીવનમાં દરેક કામમાં સફળતા મેળવે છે અને પોતાના સંપર્કમાં આવનારાને સન્માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. તેઓ પોતાની પ્રતિભા અને ક્ષમતા વડે લોકોના મનની તામસી અને રાજસી વૃત્તિઓને દૂર કરીને તેમનામાં સાત્ત્વિકતાનાં બીજ વાવે છે અને તેમના જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવી દે છે.

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પવિત્રતાથી જીવનોદેશની પ્રાપ્તિ શક્ય છે.

૩૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અનુહૂતઃ પુનરેહિ વિદ્વાનુદયનં પથઃ । આરોહણમાક્રમણે જીવતોજીતોડયનમ્ ॥ (અથર્વવેદ ૫/૩૦/૭)

ભાવાર્થ: મનુષ્ય ! તું હંમેશાં ઊંચે ઊઠ. એ તારો ધર્મ છે. જેમ કીડી વગેરે નાના નાના જીવો ઉપર ચડે છે, તેમ તું પણ ઉન્નતિના ઉપાયો જાણીને હંમેશાં આગળ વધતો રહે.

સંદેશ : સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાનની કેટલી બધી ઉન્નતિ થઈ છે ! જાતજાતની સુવિધાઓ આપણને મળી રહે છે, પરંતુ આ વિજ્ઞાનથી સુખશાંતિ મળતી નથી. સુખશાંતિ હંમેશાં સારા માનવીથી ઉત્પન્ન થાય છે અને સારા માનવી બનાવવા તે વિજ્ઞાનની શક્તિ બહારનું કામ છે. સારા માનવી અધ્યાત્મથી બને છે.

આ અધ્યાત્મ, જે માનવીને ઉચ્ચ અને સારો બનાવે છે તે શું છે ? આ છે ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવેણી, જેમાં ડૂબકી મારવાથી માનવીનું જીવન સફળ થાય છે. ઈશ્વરના દિવ્ય ગુણોને પોતાની અંદર ધારણ કરવા તેને ઉપાસના કહેવાય છે . દિવ્ય સિદ્ધાંતોને સામે રાખીને તેમના આધારે પોતાના કર્તવ્યનો નિર્ણય કરવો અને જે કર્તવ્ય ગમતું હોય તેના ઉપર દૃઢ રહેવું, મોટામાં મોટા આકર્ષણ, પ્રલોભનો અથવા આપત્તિનો સામનો કરતા રહીને અડગ રહેવું. સાધના પોતાના મનની કરવાની હોય છે. તપ, બ્રહ્મચર્ય તથા સંયમથી શરીર અને મનને પૂરેપૂરી રીતે પોતાના વશમાં કરી લેવું, નિયંત્રણમાં રાખવું તે સાધના છે. આરાધનાનો અર્થ સેવા છે. હંમેશાં બીજાની ભલાઈનું ધ્યાન રાખવું. પોતાના સ્વાર્થ અને હિતોની પૂર્તિમાં લાગી રહેવું નહિ, પણ સમાજની ઉન્નતિ માટે વિચારવું. બધાની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ માનવી. જે માનવી આ રીતે ધર્માનુસાર આચરણ કરે છેતે હંમેશાં આગળ વધે છે અને સ્વર્ગીય વાતાવરણ બનાવે છે, બધાને માટે સુખશાંતિનો માર્ગ મોકળો કરે છે.

માનવીનું જીવન વિચિત્ર પ્રકારનું જીવન છે. એમાં તે પશુ કરતાં પણ વધારે નીચે જઈ શકે છે અને એટલો ઉપર પણ ઊઠી શકે છે કે દેવો પણ તેનાથી નીચે રહી જાય છે. તમે જાતે નિર્ણય કરો કે તમારે ક્યાં જવું છે ? આ જે માનવયોનિ મળી છે તેમાં પશુ જેવું આચરણ કરવું છે કે પછી દેવત્વનું આચરણ કરવું છે. નીચે પડવું તો બહુ જ સરળ છે, પણ ઉપર ચડવા માટે, જીવનમાં ઉન્નતિ કરવા માટે પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. માછલીની જેમ નદીના પ્રવાહને ચીરીને સામી દિશામાં તરવાનું સાહસ કરવું પડે છે. માનવીએ જીવનમાં હંમેશાં ઉન્નતિ તરફ આગળ વધવાનું છે. વેદનું સૂચન છે “ઉઘાનં તે પુરુષ નાવયાતનમ્’ હે માનવી ! તારે જીવનમાં ઊંચે ઊઠવાનું છે, નીચે પડવાનું નથી.

જીવનમાં ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધવા માટે પરમેશ્વરના આશ્રયની જરૂર પડે છે. તેમના દૈવી ગુણોનો પોતાના આચરણમાં સમાવેશ કરવો તે એકમાત્ર માર્ગ છે. તેના માટે માનવતાની સાધના કરવાની હોય છે. માનસિક ભાવોની શુદ્ધિ કરવી પડે છે અને આત્મનિરીક્ષણને જીવનનું અંગ બનાવવું પડે છે. તે પછી સજાગતા અને સાવધાનીની જરૂરિયાત પડે છે, જેનાથી તે નિયમોને દૃઢતાપૂર્વક પાળી શકાય. સંસારમાં સૌથી અઘરું કામ માનવીનું નિર્માણ કરવાનું છે. માનવીનું મનુષ્યત્વ તેના માનસિક ભાવોની ઊંચાઈથી પ્રગટ થાય છે.

આ માનવધર્મનું પાલન કરવાથી માણસ માણસ બની શકે છે અને ઈશ્વરીય પ્રયોજનને પૂરું કરી શકાય છે.

૩૨. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મમાગ્યું વર્યો વિહવેષ્વસ્તુ વયં ત્વેન્ધાનાસ્તન્વં પુષેમ । મહ્યં નમન્તાં પ્રદિશશંચત સ્ત્રસ્ત્વયાધંયક્ષેણ પૃતના જયેમ II(અથર્વવેદ ૫/૩/૧)

ભાવાર્થ : માનવોએ સંઘર્ષથી વિચલિત થવું જોઈએ નહિ. પરમાત્માની ઉપાસના કરતાં કરતાં પોતાના આત્મા અને શરીરને બળવાન અને શક્તિવાન બનાવો, જેથી સંસારમાં કોઈ તેમને પદભ્રષ્ટ કરી શકે નહિ.

સંદેશ : આ સંસારમાં માનવી સમક્ષ વિકટ અને વિચિત્ર સ્થિતિ અવારનવાર ઊભી થાય છે. તે જે કોઈ ન્યાયોચિત કામ કરે છે તેને બીજા લોકો પોતાનાં ખરાબ કામોથી નિષ્ફળ બનાવે છે. તેને હાર ઉપર હાર સહેવી પડે છે આ ખરાબ અવસ્થાને દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. ચારેબાજુ ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષા, તૃષ્ણા અને વાસનાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો પોતાની લાલસાની પૂર્તિમાં ઘેટાંની માફક ઊંડા કૂવામાં પડી રહ્યા છે. તે ષડ્ડપુઓ તેમને પોતાની તરફ ખેંચી રહ્યા છે, પણ સત્ય માર્ગને છોડીને પાપના કીચડમાં કૂદીને આત્મહત્યા કરવી યોગ્ય નથી.

માનવજીવન માત્ર દિવસો પસાર કરવા માટે મળ્યું નથી. તે તો શ્રેષ્ઠ અને મહાન બનવા માટે છે, કોઈક મહાન કામ કરવા માટે છે. જે લોકો શ્રેષ્ઠ મહાપુરુષ બનવા માટે પ્રયત્નશીલ રહે છે તેઓ ધન્ય છે. એના માટે જાગૃત રહીને સતત સંઘર્ષ કરવો પડે છે. મનને મક્કમ કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું પડે છે. આદર્શ પુરુષોનું અનુસરણ કરવું પડે છે.

આપણો આદર્શ કોણ છે ? વાસના અને ધનનો લોભી માનવી ન્યાયના માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી ત્યારે અનેક અનૈતિક તથા ખોટા માર્ગોથી સ્વાર્થ પૂરો કરે છે. શું આપણે તેમને આપણો આદર્શબનાવીશું? ના, ક્યારેય નહિ. સાચા આદર્શ પુરુષ તો પરમપિતા પરમેશ્વર છે. તેમનો આદેશ છે કે આપણે હંમેશાં આપણા ધર્મ, કર્તવ્ય અને જવાબદારીને નિભાવીએ. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલતાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમનાથી વિચલિત થયા વગર પ્રસન્નતાપૂર્વક પોતાના કામમાં મગ્ન રહેવું જોઈએ. સત્ય માર્ગમાં આવનારી મુશ્કેલીઓથી જે ગભરાતો નથી, તેમને દૂર કરવા પુરુષાર્થ કરે છે તે પરમાત્માની સાચી ઉપાસના કરે છે.

સંઘર્ષ જ જીવન છે. સંસારમાં ચારેબાજુ ફેલાયેલી દુષ્પ્રવૃત્તિઓ સાથે સતત સંઘર્ષ કરતા રહેવું એ જીવનની સાર્થકતા છે. તેમની સામે સમર્પણ કરી દેવું તેને શબની જેમ, લાકડાની જેમ નદીમાં વહી જવા સમાન કહી શકાય. સંઘર્ષથી માનવીની સાત્ત્વિકતા અને સ્વાભિમાન જાગૃત થાય છે. સારી વાતો માટે અત્યધિક પ્રેમ, રુચિ, લાગણી, આસ્થા અને શ્રદ્ધાની ભાવનાઓ બળવત્તર થાય છે. માનવી શ્રેષ્ઠ આદર્શોને પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવી લે છે અને તેને અનુરૂપ આચરણ કરે છે. જીવનમાં નાનાંમોટાં સંકટો આવતાં રહે છે. જે તેમનાથી ગભરાતો નથી, વિચલિત થતો નથી, ધૈર્યપૂર્વક લડીને તેમનો સામનો કરે છે તે અગ્નિમાં તપાવેલા સુવર્ણની જેમ કાંતિવાન બની જાય છે અને જીવનમાં સફળતા મેળવે છે. આ મુશ્કેલીઓ આપણા ધૈર્ય, સાહસ અને પરાક્રમની પરીક્ષા લેવા માટે જ આપણા માર્ગમાં આવે છે અને તેમને હરાવવાથી જ પ્રભુકૃપાનું વરદાન આપણને મળે છે.

સંયમ દ્વારા આત્મા અને શરીરને શક્તિવાન અને બળવાન બનાવી જીવનસંઘર્ષમાં કૂદી પડવું તે જ આદર્શ બ્રાહ્મણનું ચિહ્ન છે.

૩૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૯/૧૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૯/૧૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઘૃતવ્રતો ધનદાઃ સોમવૃદ્ધઃ સ હિ વામસ્ય વસુનઃ પુરુક્ષુઃ । સ જગ્મિરે પથ્યા રાયો અસ્મિન્ત્સમુદ્રે ન સિન્ધવો યાદમાનાઃ ॥ (ઋગ્વેદ ૯/૧૯/૫)

ભાવાર્થ : સમુદ્રને કોઈ કામના હોતી નથી, છતાં અનેક નદીઓ તેમાં સમાઈ જાય છે. આ રીતે ઉદ્યમી પુરુષની સેવામાં લક્ષ્મી હંમેશાં હાજર હોય છે. એટલે કે જે ઉદ્યમ કરે છે, પુરષાર્થ કરે છે તેનેં ક્યારેય ધનનો અભાવ સતાવતો નથી.

સંદેશ : “સેવા પરમો ધર્મઃ” બીજાની સેવા કરવી એ સંસારમાં સૌથી પુનિત અને પવિત્ર કાર્ય છે. સામૂહિકતાની ભાવના ધર્મનું એક મુખ્ય અંગ છે. સાથે મળીને કામ કરવાથી અને એકબીજાને મદદ કરવાના સ્વભાવને લીધે જ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વ્યાપાર, શિલ્પ વગેરે અનેક ક્ષેત્રોમાં માનવી પ્રગતિનાં ઉચ્ચતમ સોપાનો સુધી પહોંચ્યો છે. સમાજના ઉત્થાનનાં કામો માટે આપણી ક્ષમતા અને પ્રતિભાને વા૫૨વી, દીન, દુ:ખી, રોગી તથા લાચાર લોકોને મદદ કરવી, સત્કાર્યો અને સત્પ્રયાસોમાં જોડાયેલી સમાજસેવી સંસ્થાઓને દાન આપવું એ આપણો ધર્મ છે.

લોકોમાં એવો ભ્રમ છે કે દાન આપવામાં તેમને આર્થિક નુકસાન થાય છે, પણ સાચું તો એ છે કે બીજાની ભલાઈમાં ધન વાપરવાથી, તે અનેકગણું થઈને આપણને પાછું મળી જાય છે. “સો હાથોથી કમાઓ ઔર હજાર હાથે વહેંચો” આ શાસ્ત્રોનું સૂચન છે. બીજાને સહાયતા કરનારા દીનદુ:ખી રહેતા નથી. એ તો ભગવાનના ખેતરમાં બી વાવવા સમાન છે. એક દાણામાંથી હજાર દાણા થાય છે. માનવીએ ઉદ્યમ અને પુરુષાર્થમાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહિ. મહેનત અને ઈમાનદારીથી વધુમાં વધુ કમાઓ અને પોતાની બ્રાહ્મણોચિત જરૂરિયાતો પૂરી કર્યા પછી વધે તેને પરોપકારમાં વાપરો.

સમુદ્ર પાસે અગાધ જળરાશિ છે, પણ તે પોતાના ઉપયોગમાં લેતો નથી. સૂર્યના સહકારથી વરાળ બનાવીને વાદળોને આપી દે છે અને તે વાદળો બધે જઈને સંસારની તરસ છિપાવે છે. સમુદ્રને કોઈ ઇચ્છા હોતી નથી, કોઈ કામના નથી. તેને ક્યારેય જળની કમી પડે છે? ના, અનેક નદીઓ સતત તેને જળથી ભરતી રહે છે. આ રીતે જ પુરુષાર્થ અને પરોપકારમાં જોડાયેલ માણસને ક્યારેય ધનની ખોટ રહેતી નથી. જ્યારે પરોપકારની મહત્ત્વાકાંક્ષા મનમાં જાગૃત થાય છે ત્યારે પોતાનું જીવન ઉન્નત બને છે, દીનતા નાશ પામે છે, દુઃખ દૂર ભાગે છે, શરીરમાં નવા સામર્થ્યનો સંચાર થાય છે, બુદ્ધિમાં નવું તેજ આવે છે, મનની ચંચળતા દૂર થાય છે, શારીરિક કષ્ટ સહન કરવાની ક્ષમતા વધે છે અને દરેક રીતે ઉત્કર્ષનો માર્ગ મોકળો થાય છે. પોતાની પ્રતિભા અને ક્ષમતાનો ઉપયોગ જ્યારે પરમાર્થનાં કાર્યો માટે કરવામાં આવે છે ત્યારે પરમાત્માની સહાય અને અનેક વરદાન આપોઆપ મળવા લાગે છે. એટલું જ નહિ, બીજા માણસોનો સહકાર પણ સરળતાથી મળવા લાગે છે. આત્મોન્નતિના માર્ગની મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જાય છે અને જીવનલક્ષ્ય સુધી પહોંચવામાં સરળતા થાય છે.

વિદ્વાનો અને બ્રાહ્મણોએ સફળતાના આ રાજમાર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.

૩૦. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩/૪૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩/૪૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અકન્ કર્મ કર્મકૃતઃ સહ વાચા મયોભુવા । દેવેભ્યઃ કર્મ કુત્વાસ્તં પ્રેત સચાભુવઃ II ( યજુર્વેદ ૩/૪૭)

ભાવાર્થ : આળસનો ત્યાગ કરી પુરુષાર્થી બનો. મૂર્ખતાનો ત્યાગ કરી વેદજ્ઞાન મેળવો. મધુર બોલો અને એકબીજાને મદદ કરો. આથી આ લોકનું અને પરલોકનું સુખ મળશે.

સંદેશઃ વેદોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. વેદજ્ઞાનથી આપણું ભલું થાય છે. વેદોથી આપણને સંસારનાં ગૂઢતમ તત્ત્વોનું જ્ઞાન મળે છે. મેળવેલ જ્ઞાનના સદુપયોગનો માર્ગ પણ દેખાય છે. અજ્ઞાન અને ખોટા સંસ્કારોથી છુટકારો મેળવવો, ખોટા માર્ગે ગયેલાને સાચા માર્ગપર લાવવાનો પ્રયત્ન કરવો અને સદ્નાનનો ફેલાવો કરવો એ માનવધર્મ છે. મોટા ભાગે તો માણસ પોતાના સ્વાર્થ, લાલસાઓ અને કામનાઓને પૂરી કરવાની મૂર્ખતામાં વ્યસ્ત રહે છે. તે યોગ્ય – અયોગ્યનું ધ્યાન રાખતો નથી અને નીચતાની પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે.

આપણે હંમેશાં જેના ઉપર સજ્જનો ચાલે છે એ માર્ગ ઉપર ચાલવું જોઈએ. “ૐૐદેવાનામપિ પન્થાનગન્મ.” આપણે બધા પરસ્પર સજ્જનતાનો વ્યવહાર કરીએ. સજ્જનતાનો વ્યવહાર ઉદારતા, સહાયતા અને પ્રેમથી પરિપૂર્ણ થાય છે. આ દેવોપમ વ્યવહાર છે. આપણે એવો વ્યવહાર કરવો જોઈએ. વેદજ્ઞાનથી બધાને ઉન્નતિનો માર્ગ મળવો જોઈએ. એક્બીજા સાથે મધુર વાણી બોલવી જોઈએ. તેનાથી તકરાર ઘટે છે અને પ્રેમ વધે છે. જેણે મધ જેવી મીઠી અને ઘી જેવી લાભદાયક વાણીનું મહત્ત્વ સમજી લીધું છે તે સર્વત્ર સફળ થાય છે. આપણે ક્યારેય કોઈને ખોટા રસ્તા ઉપર જવાની સલાહ આપવી જોઈએ નહિ. બધાના હિતનું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. જીવન નાશવંત છે તેનો એ અર્થ નથી કે સમયનો નાશ કરીએ, આળસમાં અને નકામી વાતોમાં તેને બરબાદ કરીએ. માનવીએ પ્રેરણા લેવી જોઈએ કે તે સમયનો સારી રીતે ઉપયોગ કરે, તેને અમૂલ્ય સમજીને વેડફવા ન દે. સમય જ્યારે યોગ્ય રીતે વપરાય ત્યારે તે બચી શકે છે. પરમાત્માએ સમયરૂપી ધન આપવામાં કોઈ પ્રકા૨નો પક્ષપાત કર્યો નથી. નિર્ધન, ધનવાન, મૂર્ખ, જ્ઞાની, સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો બધાને આ સંપત્તિ એકસરખી આપી છે. આ સમયને ઘટાડી શકાતો નથી કે વધારી શકાતો નથી, પણ આળસ અથવા મૂર્ખતામાં આપણે આ સમયને નષ્ટ કરી શકીએ છીએ અને તેનો સદુપયોગ કરીને એક જ જીવનકાળમાં એટલું બધું કામ કરી શકીએ છીએ, જે સેંકડો માણસો દ્વારા પણ થઈ શકે નહિ.

નિષ્ક્રિયતા જડતાનું લક્ષણ છે, મૃત્યુનું લક્ષણ છે. એટલે આળસુ, મુર્ખ, અજ્ઞાની તથા દરિદ્ર લોકો નિષ્ક્રિય અને મરેલા જેવા હોય છે. જ્ઞાની વ્યક્તિ શાંત અને સંતુલિત વૃત્તિની હોય છે અને જીવનની એકે એક પ્રતનો સદુપયોગ કરે છે.

આળસુ અને કાયર માણસ કદાપિ આનંદ મેળવી શકતો નથી. જ્ઞાની અને પુરુષાર્થી જ શ્રેય મેળવી શકે છે. તેઓ આત્મિક પરમાનંદને મેળવે છે. તેઓ જીવનમાં દરેક પ્રકારનું સુખ અને સંતોષ મેળવે છે.

૨૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૪૮/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૪૮/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ત્રાતારો દેવા અધિ વોચતા નો મા નો નિદ્રા ઈશત મોત જલ્પિઃ । વયં સોમસ્ય વિશ્વહ પ્રિયાસઃ સુવીરાસો વિદથમા વદેમ ।। (ઋગ્વેદ ૮/૪૮/૧૪)

ભાવાર્થ : આળસ અને નકામા વાર્તાલાપથી બચવા માટે હંમેશાં કાર્યશીલ રહેવું જોઈએ. આપણે દુર્ગુણોથી દૂર રહીએ, શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપીએ અને બધે આપણા જ્ઞાનની ચર્ચા થાય.

સંદેશ : જે માનવી “કામ કમ ઔર બાતેં અધિક’ ના સિદ્ધાંત ઉપર ચાલે છે, જે માનવીને આળસુ બનાવે છે અને ખોટી આત્મપ્રશંસા માટે પ્રેરિત કરે છે તે તમોગુણી અને રજોગુણી પ્રવૃત્તિ છે. આ દુર્ગુણ તેના સ્વભાવનું અંગ બની જાય છે. આળસુ માણસ અપ્રાકૃતિક જીવન જીવે છે અને પોતાને નુકસાન કરે છે. અજ્ઞાન અને આળસમાં ડૂબેલો માણસ અંધારામાં ભટકતો હોય છે. તે અહીંતહીંની બડાશ મારે છે અને પોતાની નિષ્ફળતાની જવાબદારી બીજા ઉપર નાખવાનો પ્રયાસ કરે છે. જ્ઞાની માણસ તેની ચાલને સમજી જાય છે. પરમાત્માની નજરથી કશું છૂપું રહેતું નથી. તે વારંવાર તેને સાવધાન કરે છે, ચેતવણી આપે છે, પણ તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓને લીધે તેનાં આંખકાન બંધ રહે છે. તે કશું જોતો નથી, કશું સાંભળતો નથી. તે નિદ્રા અને આળસથી ઘેરાયેલો રહે છે અને આત્મપ્રશંસામાં ડૂબેલો રહે છે.

આપણે પોતાના ઉપર સંયમ રાખવો જોઈએ, આહાર, નિદ્રા તથા વિશ્રામ ઉપર યોગ્ય નિયંત્રણ રાખવું જોઈએ, તેમને પોતાના ઉપર સવાર થવા ન દેવાં જોઈએ. એમ કરવાથી આપણે શ્રેષ્ઠ બનીશું. ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ ઉત્પન્ન કરી શકીશું. જો આપણે આપણા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું, તો આપણાં કર્તવ્યો પૂરાં કર્યા પછી ઘણો સમય આપણી પાસે ફાજલ રહેશે. તેને આપણે સમાજમાં ફેલાયેલી ખરાબ પ્રથાઓની નાબૂદીમાં ખર્ચી શકીએ છીએ.

આપણે આપણાં બાળકો, આશ્રિતો અને સહયોગીઓને આળસથી દૂર રહેવાનું શિક્ષણ આપવું જોઈએ. તેમની સામે એક શ્રમશીલ તથા સંયમી માણસનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. બાળપણથી તેઓમાં સદ્ગુણોનાં બીજા વાવતા રહેવું જોઈએ. આ એક દિવસનું કામ નહિ, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બાળમાનસ બહુ સરળતાથી દોષ-દુર્ગુણોના પ્રલોભનમાં ફસાઈ જાય છે. પૂરી સતર્કતાથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમના દુર્ગુણો ઉત્પન્ન ના થાય. એક સજાગ ખેડૂતની માફક દરેક પળે ખેતરમાંથી નિંદામણ કરી સફાઈ કરતા રહેવું જોઈએ. દુર્ગુણોને શરૂઆતમાં જ ચડી નાખી તેમને આગળ વધતા અટકાવી દેવા જોઈએ. બાળકોને હંમેશાં સત્કર્મો તરફ જ પ્રેરિત કરતા રહીને તેમને રચનાત્મક કામોમાં જોડવાં જોઈએ, જેથી તેઓ સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિકના રૂપમાં યશસ્વી બની શકે. સંતાન સુસંસ્કારી અને ચારિત્ર્યવાન બને, તે માટે માતાપિતાએ પોતાનાં સુખસુગવડોનો ત્યાગ અને બલિદાન આપવું જોઈએ. પોતાના આચરણથી દોષ-દુર્ગુણોને બહાર કાઢી

એક આદર્શ રજૂ કરવો પડે છે. આ વેદનો આદેશ છે. આળસ અને નિરર્થક વાતોથી હંમેશાં દૂર રહો. આ જ બ્રાહ્મણનો ધર્મ છે.

૨૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઇચ્છન્તિ દેવાઃ સુન્વન્તં ન સ્વપ્નાય સ્પૃહયન્તિ । યન્તિ પ્રમાદમતંદ્રા : ॥ (ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩)

ભાવાર્થ : આળસુ લોકો હંમેશાં દુઃખ પ્રાપ્ત કરે છે, એટલે આપણે બધાએ કર્મનિષ્ઠ અને ઉદ્યમી બનવું જોઈએ.

સંદેશ ; આળસ માનવીનો સાચો શત્રુ છે. તે આપણને પાપના માર્ગે લઈ જાય છે. સુસ્તી અને આળસથી વશીભૂત થઈને આપણે અનેક પાપકર્મોમાં ફસાઈ જઈએ છીએ. કેટલાક લોકો અત્યંત લાભકારી યોજનાઓ શરૂ કરીને કેવળ આળસને વશ થઈને અધવચ્ચે છોડી દે છે. બીજાથી પાછા પડવાથી નિરાશ થઈ જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે. પરમાત્મા પણ આળસુ અને પ્રમાદી વ્યક્તિને પ્રેમ કરતા નથી. તેમનો પ્રેમ તો ઉદ્યમી અને પુરુષાર્થીને મળે છે.

આ સંસાર યજ્ઞમય છે. અહીં દરેક માણસે દરેક પળે પોતાના શ્રમની આહુતિ આપવી પડે છે. આ કર્મનિષ્ઠ હોવાનું તાત્પર્ય છે. સંસારને ઉચ્ચ, સારો અને પવિત્ર બનાવવામાં જે કર્મો સહાયતા અને સહયોગ આપે છે તે શુભકાર્ય કહેવાય છે. શ્રમ અને સહયોગ શુભકર્મ કહેવાય છે. શ્રમ અને ઉદ્યમ કરવામાં જે આળસ કરે છે તેને પરમેશ્વર ચેતવણી આપે છે, ઠોકર મારે છે અને દંડ પણ કરે છે. આપણે હંમેશાં સાવધાન રહીને શ્રમ અને પુરુષાર્થમાં લાગેલા રહેવું જોઈએ. કોઈ પણ કાર્યને નાનુંસમજીને તેની ઉપેક્ષા કે અવહેલના કરવી જોઈએ નહિ. મોટાભાગના માણસો આ પ્રકારની મૂર્ખતામાં ફસાયેલા રહે છે. તેનાથી તેમના અહંભાવમાં વૃદ્ધિ થાય છે, જે તેમની કાર્યક્ષમતાનો નાશ કરે છે. જે નિઃસ્વાર્થ ભાવથી શુભકર્મોમાં સતત લાગેલો રહે છે તે કર્મયોગી કહેવાય છે. આપણી ઇચ્છા બહુ હોય છે, પણ કશું કરતા નથી. ઇન્દ્રિયસંયમ, સમયસંયમ તથા અર્થસંયમના અભાવમાં માનવી કર્મનિષ્ઠ થઈ શકતો નથી. તે મુખ્ય માર્ગથી ભૂલો પડી જાય છે અને અસફળ રહે છે તથા દુઃખી થાય છે. જે લોકો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે, સમયનો સદુપયોગ કરે છે, અર્થનો અનર્થ કરવાની છૂટ આપતા નથી તેઓ ઐશ્વર્યવાન હોય છે. પરમાત્માનો પ્રેમ મેળવવા માટે આળસનો ત્યાગ કરી કર્મનિષ્ઠ બનવું એ સાચી ઉપાસના છે.

માનવીને અને રાષ્ટ્રને ઉન્નતિશીલ બનાવવાના કેટલાક માપદંડ છે. આ જે જરૂરી ગુણો છે તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં “દૈવી સંપદા” કહ્યા છે. એ જીવનમૂલ્યો છે. તેમનામાં માનવજીવનને મૂલ્યવાન બનાવવાની ક્ષમતા હોય છે.

સંસારમાં જેટલા મહાપુરુષો થયા છે તેમણે અસીમ કર્મઠતા અને નિષ્ઠાની સાથે પોતાના જીવનની એકે એક પળ સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી છે. રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, ડૉક્ટર હેડગેવાર વગેરે અનેક મહાપુરુષોના જીવનમાં આપણને તેમની શ્રેષ્ઠ ઉદ્યમશીલતાનાં દર્શન થાય છે. તેઓમાંથી કોઈએ એક ક્ષણ માટે પણ આળસ કરી હોય તેવું જોવા મળ્યું નથી. તેમના માટે તો “આરામ હરામ હૈ” નો મૂળમંત્ર જ સર્વસ્વ છે. એવા માણસોને આપણા જીવનના આદર્શ પુરુષ બનાવીને આપણે સંસારમાં સફળતા મેળવી શકીએ છીએ.

આપણું એ કર્તવ્ય છે કે આપણે પોતે આળસનો ત્યાગ કરીએ અને બીજાઓને પણ આ રાક્ષસમાંથી મુક્તિ અપાવીએ.

૨૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યો જાગાર તમૃચઃ કામયન્તે, યો જાગાર તમુ સામાનિ યન્તિ । યો જાગાર તમયં સોમ આહ, તવાહમસ્મિ સખ્યે ન્યોકાઃ ॥ (ઋગ્વેદ ૫/૪૪/૧૪)

ભાવાર્થ : જે જાગૃત છે અને આળસ તથા પ્રમાદથી હંમેશાં સાવધાન રહે છે તેમને આ સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાન મળે છે. તેમને શાંતિ મળે છે. તેઓ મહાપુરુષ કહેવાય છે.

સંદેશ : “ઉત્તિષ્ઠત, જાગ્રત પ્રાપ્ય વરાન્તિબોધત” ઊઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહિ. સ્વામી વિવેકાનંદનો આ મૂળમંત્ર છે. એક ભજન છે. “ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત હૈ” અહીં સૂચન છે કે ઊઠો અને જાગો, ત્યારે જ કશુંક મળશે, નહિ તો આ માનવજીવન વ્યર્થ જશે. માનવ પહેલાં જાગે છે, પછી પથારીમાંથી ઊઠે છે. પણ શું આપણે ખરેખર જાગેલા છીએ ? આપણી ઉપર અજ્ઞાન, આળસ, પ્રમાદ અને તમોગુણનો જે નશો છવાયેલો છે તેના લીધે આપણી આંખો હજુ પણ બિડાયેલી છે. પછી આપણે જાગૃત કયાં છીએ ? ૫૨મ જાગૃત તો પરમેશ્વર છે. આપણે આપણી શક્તિ પ્રમાણે એમની જેમ હંમેશાં જાગૃત રહીશું. સદા સાવધાન અને કટિબદ્ધ રહીશું. આપણાં કર્તવ્યોનું પાલન ક૨વામાં ક્યારેય આળસ કરીશું નહિ. “કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ” ની ભાવનાથી હંમેશાં કાર્ય પ્રત્યે સમર્પિત રહીશું, ઉદ્યમી રહીશું, પ્રમાદ કરીશું નહિ, આ રીતે મહાવરો કરતા રહેવાથી આપણે પરમેશ્વરના ગુણોને પોતાનામાં ધારણ કરી શકીશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે. તેઓ આળસરહિત થઈને પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ હોય છે.

જ્ઞાનવિજ્ઞાનથી બધાનાં સુખશાંતિ માટે અનેક વસ્તુઓનું નિર્માણ થાય છે. સુખ, શ્રેય, ઐશ્વર્ય બધું તેમને મળે છે. સંસારની બધી સગવડો તેમને સહજતાથી મળે છે. આળસુ લોકો સુખસગવડોની પાછળ ભાગતા ફરે છે. લાલચ અને ઇચ્છાઓ તો કરે છે, પણ તેમના હાથમાં કશું આવતું નથી. તેઓ તામસિકતાના નશામાં પડી રહે છે, સાત્ત્વિકતાનું અમૃત તેમને મળતું નથી. આળસથી વધુ ઘાતક અને વધુ નજીકનો શત્રુ બીજો કોઈ નથી. આળસ અને પ્રમાદનો ત્યાગ કરી લોકો જ્યાં સુધી ઉદ્યમશીલતાનો માર્ગ અપનાવશે નહિ ત્યાં સુધી સ્થાયી પ્રગતિ શક્ય નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણે તેમનાં ચરણોમાં આપણા ઉઘમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમનાં પુષ્પો ચઢાવીશું. જેઓ પોતે પુરુષાર્થ કરે છે તેમને જ ભગવાન મદદ કરે છે . વેદની સ્પષ્ટ ઘોષણા છે “ન ઋતે શ્રાન્તસ્ય સખ્યાયદેવાઃ ।”

આજે સ્થિતિ અત્યંત વિષમ થતી જાય છે. નાનાં નાનાં બાળકો અને વિદ્યાર્થીઓ પોતાનો સમય નકામી વાતોમાં પસાર કરે છે, અશ્લીલ અને નિરર્થક સાહિત્યને રસપૂર્વક વાંચે છે અને પોતાના વિચારોને ખરાબ કરે છે. એટલું જ નહિ, ડૉક્ટર, શિક્ષક, વેપારી, ખેડૂત, મજૂર, અધિકા૨ી બધામાં કામચોરી અને આળસનો રોગ તીવ્ર વેગે ફેલાતો જાય છે.

સમાજમાંથી આળસરૂપી રાક્ષસને ભગાડવો તે બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય છે.

%d bloggers like this: