ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

બોધ : ખરાબ સોબતથી બાળકોને બચાવવામાં આવે. નોકર, મિત્રો, શિક્ષકો, ઓળખીતાઓમાંથી કોણ કેવા લાયક છે, તેનું ધ્યાન રાખવાનું કામ વડિલોનું છે. આ બાબતમાં બહુ સાવચેતીની જરૂર છે. ખરાબ સોબત અથવા ખરાબ પ્રભાવથી કેટલાંય બાળકોનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બગડે છે. જે પાછળથી ઘણું દુઃખકારક બને છે. બાળકોને ઘર – પરિવારના કામોમાં રસ લેવાની, ધ્યાન આપવાની અને કામમાં મદદ કરવાની ટેવ નાનપણથી પાડવી જોઈએ. લાડમાં ગમે તે કરવાની છૂટ ન આપવી જોઈએ.

બાહ્યના જેવું જ આંતરિક સૌંદર્ય :

વ્યવહારિક શિક્ષણ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ કે ખરાબ કે સારા વ્યવહારની અસર કેવી થાય છે. એક રાજાને ત્રણ છોકરીઓ હતી. બે સુંદર અને એક કુરૂપ હતી. કુરૂપ છોકરીને બધા ચાહતા હતા અને બીજી બે સુંદર હોવા છતાં ઘરના માણસો તેમની ઉપેક્ષા કરતા હતા. બંને છોકરીઓ પિતા પાસે આ પક્ષપાતની ફરિયાદ કરવા અને કારણ જાણવા ગઈ. રાજાએ એક અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું. ત્રણેય છોકરીઓને બીજે દિવસે બગીચામાં મોકલી. બગીચાના દરવાજામાં પ્રવેશ કરતાં જ એક ભૂખી ડોસી મળી. બંને મોટી રાજકુમારીઓ ડોસીને અયોગ્ય જગ્યાએ બેસવા બદલ ગમે તેમ બોલીને આગળ જતી રહી. નાની કુરૂપ રાજકુમારીએ પોતાનું ભોજન તેને આપી દીધુ. સહાનુભૂતિ પ્રગટ કરી તેનું વજનદાર પોટલું માથા ઉપર મૂકીને યોગ્ય જગ્યાએ તેને બેસાડી દીધી. ડોસીએ જે કહ્યું તે રાજાએ છોકરીઓને સંભળાવ્યું અને કહ્યું કે ચહેરાની સુંદરતા કરતાં હાથ અને વાણીની સુંદરતા વધુ મહત્વની છે, એનાથી પ્રેમ મળે છે. બંને છોકરીઓએ તનની જેમ પોતાના મનને પણ સુંદર બનાવવાની સાધનાનો આરંભ કરી દીધો.

સ્વાભિમાની તિલક :

લોકમાન્ય તિલક જે કોલેજમાં ભણતા હતા, તે કોલેજના છોકરાઓ ફેશનમાં રહેતા હતા. તિલક એકલા જ કુરતો અને પાઘડી પહેરતા હતા. ફેશનેબલ છોકરાઓની તેમણે મજાક ઉડાવી ઉડાવીને દેશી પોષાક પહેરવા માટે સહમત કરી દીધા.

ઘણા છોકરાઓ હંમેશાં બિમાર રહેતા હતા અને એમનાં કબાટ દવાઓથી ભરેલાં રહેતાં હતાં. તિલકે તે દવાઓ ગટરમાં ફેંકી દીધી અને કહ્યું, “ તમે મારી સાથે અખાડામાં નિયમિત આવ્યા કરો, જો કોઈ બિમારી રહે તો એની જવાબદારી મારી. ”

જડ બુધ્ધિમાંથી મેઘાવી બુદ્ધિઃ

જર્મનીના જોસેફ બર્નાડની કિશોરાવસ્થા એવી રીતે પસાર થઈ કે જાણે જડબુધ્ધિના હોય. શાળામાં ન ભણી શક્યા. તેથી તેમનાં માતાપિતાએ ટ્યુશનની વ્યવસ્થા કરી. એનું પણ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે તેમના પિતાએ કહ્યું કે, “ તારા જેવા બુધ્ધુને બદલે કૂતરો પાળ્યો હોત તો સારૂ થાત. ” આ વાક્ય હ્રદયમાં તીરની જેમ ભોંકાઈ ગયું અને બર્નાડે એ જ દિવસથી પુરી દીલચસ્પી અને મહેનતથી ભણવાનું શરૂ કર્યું. જડ મગજે ધીરે ધીરે સુધરવાનું અને બદલવાનું શરૂ કર્યું. એણે એક પછી એક ધોરણ સારા નંબરે પાસ કરવા માંડયાં. એનામાં એવું પરિવર્તન થયું કે જેને ચમત્કારની ઉપમા આપી શકાય. એણે બાઈબલ મોંઢે કરી દીધું એટલું જ નહીં, થોડા જ વર્ષોમાં નવ ભાષાના મૂર્ધન્ય વિદ્વાન બની ગયા. એમને જર્મનીના ઈતિહાસમાં બુદ્ધિના ધનવાન કહેવામાં આવે છે, પરંતુ કિશોરાવસ્થા પુરી થતાં સુધી તેઓ જડબુદ્ધિના હતા.

બુધ્ધુની અનુપમ બુધ્ધિમતા :

જગતના જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન નાનપણમાં બુધ્ધુ હતા. તેમના મિત્રો હંમેશાં તેમની મજાક ઉડાવતા હતા. એક દિવસ અત્યંત ગંભીરતાપૂર્વક એમણે શિક્ષકને પૂછયું કે શું હું કોઈપણ રીતે સુયોગ્ય ન બની શકું ? શિક્ષકે તેમને ટૂંકમાં એક જ વાક્યમાં જવાબ આપ્યો કે, “ દિલચસ્પી અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ એ જ વિદ્વાન બનવાનો એક માત્ર ગુરૂમંત્ર છે. ” આઈન્સ્ટાઈને આ વાત ગાંઠે બાંધી લીધી અને પોતાના અભ્યાસમાં તન્મય બની ગયા. પરિણામે સ્પષ્ટ છે કે તેમને સંસારમાં અણુવિજ્ઞાનના પારંગત અને સાપેક્ષવાદના પિતા માનવામાં આવે છે. એમની નાનપણની બુધ્ધિ જે તેમને બુધ્ધુ કહેવડાવતી હતી, તે હજારગણી વિકસિત થઈ.

સાચી વાત કહેવાનું સાહસ :

અમીચંદ નામનો એક પ્રસિધ્ધ માણસ મહર્ષિ દયાનંદ પાસે ગીત ગાવા જતો હતો. દયાનંદને એ વ્યક્તિ સાથે અત્યંત આત્મીયતા થઈ ગઈ હતી. એક દિવસ સમાજના સભ્ય લોકોએ એમના ખરાબ આચરણ વિષે ફરિયાદ કરી. મહર્ષિએ તપાસ કરી તો વાત સાચી નીકળી. બીજા દિવસે જ્યારે અમીચંદ ગીત ગાઈને ઉઠતો હતો ત્યારે મહર્ષિએ કહ્યું, “ પ્યારા દોસ્ત તમારો કંઠ કોયલ જેવો છે, પરંતુ આચરણ તો કાગડા જેવું છે.” આ વાત અમીચંદને હ્રદ યમાં ખૂંચવા લાગી. એણે સંકલ્પ કર્યો કે મહર્ષિને હું ત્યારે જ મળીશ કે જ્યારે હું સારો બનીશ. બીજા જ દિવસથી તેણે લાંચ લેવાની બંધ કરી દીધી. ઘણા સમયથી ત્યજેલી પત્નીને પાછી બોલાવી લીધી. દારૂ પીવાનું છોડી દીધું. આ રીતે શ્રેષ્ઠ આચરણ કર્યું ત્યાર પછી ઋષિનાં ચરણોમાં શીશ નમાવ્યું.

સ્વાવલંબી બાળક :

ફ્રાન્સની ગાયિકા મેલિથોર્ન પાસે એક વખત એક ગરીબ છોકરો આવ્યો. મેલિથોર્ન એને દેખીને દુઃખી થઈ ગઈ. એણે કહ્યું, “ બેટા, તારું શું નામ છે અને શું કામ કરે છે ? ” છોકરાએ કહ્યું કે, “ મારું નામ પિયરે અને હું અભ્યાસ કરૂ છું. હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. મારી મા માંદી છે. મારી પાસે દવા માટે કે એના ઈલાજ માટે પૈસા નથી. ” મેલિથૈને કહ્યું, “ તારે આર્થિક મદદ જોઈએ છે ને ? બોલ કેટલા પૈસા આપુ ? ” પિયરે કહ્યું “ ના, હું મફતના પૈસા નથી લેતો. હું તો તમને એક નિવેદન કરવા આવ્યો હતો. મેં એક કવિતા લખી છે. તમે એ સંગીત સભામાં ગાવાની કૃપા કરો, ત્યાર પછી જે ઉચિત લાગે તે આપજો.

મેલિથોર્ન ઘણી પ્રભાવિત થઈ. બીજા દિવસે એણે એ કવિતા એક જલસામાં ગાઈ. કરૂણ સ્વરમાં ગવાયેલ એ કવિતા સાંભળી શ્રોતાઓની આંખમાં પાણી આવી ગયું. એ કવિતા ઉપર લોકોએ સારો એવો પુરસ્કાર આપ્યો. મેકિર્થોન બધી રકમ લઈને પિયરની માંદી મા પાસે ગઈ અને એનો હકદાર પિયરે છે એમ કહી બધી રકમ પિયરને આપી દીધી.

અંતે બાળકો સમાજવાદીનાં પુષ્પો છે, આવતીકાલના નાગરિકો છે. રાષ્ટ્રને સમર્થ નાગરિકો આપી આપનો ગૃહસ્થાશ્રમ ધન્ય બનાવો .

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

પ્રારંભિક કક્ષાનું સામાન્ય શિક્ષણ પૂરું કરતાં પહેલાં જ એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના બાળકને શું બનાવવો છે અથવા બાળકને શામાં રૂચિ છે. તેના આધારે એના આગળના શિક્ષણનો નિર્ણય લેવો જોઈએ. યોગ્ય નિર્ણય ન કરવાને લીધે કરેલી મહેનત તથા ખર્ચલો સમય અને ધન નકામાં જાય છે. એના લીધે પાછળથી કાયમ પસ્તાવું પડે છે. ભોજનની જેમ શિક્ષણના ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બાળકને રમવા કૂદવાની તક આપવી જોઈએ, એને કલાકૌશલ્યની ટેવ પણ પાડવી જોઈએ. લોક વ્યવહાર અને નીતિ તથા સદાચારનું ઉપયોગી જ્ઞાન એને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.

વિકસિત દેશોનાં ઉદાહરણ :

ક્યુબા, ઈઝરાયેલ તથા યુગોસ્લાવિયાએ સ્વાવલંબી શિક્ષણને મહત્વ આપ્યું છે. વિશ્વ યુદ્ધ પછી એમને સુયોગ્ય નાગરિકોની જરૂર હતી. આથી ડીગ્રી પ્રધાન શિક્ષણથી દૂર રહીને એમણે રાષ્ટ્રના નવનિર્માણ માટે જરૂરી એવા પ્રગતિશીલ શિક્ષણની વ્યવસ્થા કરી. દરેક યુવાન તથા પ્રૌઢ માણસ માટે એવું ફરજિયાત કરવામાં આવ્યું કે પોતાનું શિક્ષણ પુરૂ કર્યા પછી કમાવાનું શરૂ કરે તે પહેલાં ઓછામાં ઓછી ૧૦૦ ( એક સોહ ) વ્યક્તિઓને સાક્ષર બનાવે તથા એમને નાગરિકતાનું શિક્ષણ આપે. એનાં સારાં પરિણામતરત જ જોવા મળ્યાં.

ચીન અને જાપાનમાં પણ આવા પ્રયોગો કિશોરો તથા યુવકો ઉપર કરવામાં આવ્યા કે જેથી સ્વાવલંબી નાગરિકોનું ઘડતર કરી શકાય. આ બંને દેશો આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે તેનું મૂળકારણ અનૌપચારિક શિક્ષણ જ છે.

ફિશરની લગની :

ફ્રાન્સનાં એક મહિલા પાદરી ફિશર ભારત આવ્યા. અહીંની નિરક્ષરતા જોઇને એમને દુઃખ થયું. બાળકોને ભણાવવાનું કહેતાં તો લોકો માં ફેરવી લેતા. છતાં એમણે નિશ્ચય કર્યો કે પોતાના કામને વળગી રહેવું. થોડાંક જ વર્ષોમાં એનું ચમત્કારિક પરિણામ આવ્યું. છોકરા છોકરીઓનું શિક્ષણ ૪૦ ટકાએ પહોંચ્યું અને એ વિસ્તારમાં ૧૫૦ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી અને એમાં દોઢ હજાર બાળકો ભણવા લાગ્યાં. એમણે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ ન આપ્યું, પણ તેમને શિષ્ટાચાર તથા લોકવ્યવહારનું શિક્ષણ પણ આપ્યું. એમણે ભણાવેલાં અનેક બાળકોએ આગળ વધી સમાજનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી.

સ્વામી રામતીર્થે પ્રોફેસર પદ છોડયું :

બી.એ.ની પરીક્ષામાં એક યુવકને નિષ્ફળતા મળી છતાં પણ તે નિરાશ ન થયો. નિરાશ થવાનું તો તે શીખ્યો જ ન હતો. બમણી મહેનત કરીને અભ્યાસ કરવા લાગ્યો. આ વખની પરીક્ષામાં તેણે પરીક્ષકને ચક્તિ કરી દીધા. જૂન મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પેલો યુવક પ્રાંતમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. તેનું નામ હતું તીર્થરામ. જેને દેશવિદેશમાં લોકો સ્વામી રામતીર્થના નામે ઓળખે છે. એમણે પ્રોફેસરની નોકરી છોડીને જગતમાં વેદાંતના શિક્ષણ તથા ઉપદેશોનો પ્રચાર કર્યો. એમનું કહેવું હતું કે શાળાકીય શિક્ષણના બદલે લોકોને વ્યવહારિક આધ્યાત્મનું સિક્ષણ આપવું જોઈએ. પોતાનું ટૂંકુ જીવન એમણે આ માટે જ ગાળ્યું.

કવિવર રવિન્દ્રનાથનું શિક્ષણ :

રવિન્દ્રનાથ ટાગોર જે સ્કુલમાં ભણતા હતા તેનું શિક્ષણ માત્ર નોકરીના કામનું જ હતું. આથી તેમના પિતાએ એમને નિશાળમાંથી ઉઠાડી લીધા. તેઓ એમને જે બનાવવા ઈચ્છતા હતા તેવું શિક્ષણ આપ્યું. પરિણામે એટલા જ સમય અને શ્રમમાં રવિન્દ્રબાબુ વિશ્વવિખ્યાત બની ગયા તથા નોબેલ ઈનામ પણ મેળવ્યું. એમણે પ્રકૃતિ પાસેથી જ પોતાનું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પિતાને બાદ કરતાં તેઓ પોતાની ઉપલબ્ધિઓનું શ્રેય પદ્મા નદી ( બંગલા દેશ ) ના કિનારે વિતાવેલી પોતાની કિશોરાવસ્થાના સમયને આપતા હતા કે જ્યાંથી એમણે નૈસર્ગિક સહચર્ય દ્વારા અમૂલ્ય શિક્ષણ મેળવ્યું હતું.

વૈજ્ઞાનિક એડિસનઃ

શિક્ષકોએ એડિસનની માને સલાહ આપી કે આ મંદબુધ્ધિનો બાળક ભણી શકશે નહીં. માતાએ એડિસનને સ્કુલમાંથી ઉઠાડી લીધો અને એક વર્તમાનપત્ર વેચવાની દુકાને ગોઠવી દીધો. એડિસનનું મગજ શોધખોળ કરવામાં સારૂ કામ કરતું હતું. એણે ઠીકઠાક કરીને એક પ્રેસ બનાવ્યો. તેની ઉપર પોતાનાં વર્તમાનપત્રો પણ છાપવા લાગ્યો. એક દિવસ તાર માસ્તરના છોકરાને રેલવેના પાટા પરથી મરતો બચાવી લીધો. એના આભાર બદલ તાર માસ્તરે એડિસનને તારનું કામ શિખવાડી દીધું. તેણે ગ્રામોફોન શોધ્યું. તે પોતાના કામમાં એટલો બધો મશગૂલ હતો કે પોતાની પત્નીને પણ ઓળખી ના શક્યો. એડિસને કેટલીય શોધખોળો કરી છે અને દુનિયાનો મહાન વૈજ્ઞાનિક ગણાય છે. તે ભણ્યો ઓછું પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એણે આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત કરી.

શ્રમ – આજીવિકાનું શિક્ષણ સંપાદન :

મનુષ્ય એવી કલા પણ શીખવી જોઈએ કે પોતાની નોકરી છૂટી જાય તો પણ સામાન્ય સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે. કુંતામાતાએ પાંડવોના ઉછેર સમયે એ દિશામાં પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું. જે તેમને વનવાસ સમયે કામ લાગ્યું. ભીમે રસોઈયાનું કામ, અર્જુને નૃત્યકારનું અને દ્રૌપદીએ દાસીનું કામ કર્યું. આ રીતે તેમણે વિરાટનગરમાં પોતપોતાનાં કૌશલ્યોને અનુરૂપ કામ મેળવી લીધું હતું. આ રીતે એક વર્ષનો ગુપ્ત વનવાસ પુરો કર્યો.

એક આંખ પ્યારની, બીજી સુધારની, બોઘવચન -૩૩

એક આંખપ્યારની, બીજી સુધારની, બોઘવચન -૩૩

બોધ : બાળકોને સ્નેહથી સમજાવવાનો બદલવાનો પ્રયત્ન કરવામાં આવે. એક આંખથી યાર અને બીજી આંખથી સુધારવાળી ઉક્તિ અર્થપૂર્ણ છે. અતિશય લાડમાં મન ફાવે તેમ કરવા દેવાથી બાળક બગડે છે. એમને મારવા કે ડરાવવા તો ના જોઈએ, પરંતુ અયોગ્ય આચરણથી થતું નુકશાન બતાવવું તથા સમજાવવું જોઈએ. શાળાકીય શિક્ષણ ઉપરાંત બાળકોને લોકાચાર શીખવવાની યોગ્ય રીત એમને સારગર્ભિત કથાવાર્તાઓ સંભળાવવી એ છે. જ્ઞાનવૃદ્ધિ માટે પુસ્તકીયા જ્ઞાન પૂરતું નથી. એમને નજીકના વિસ્તારોમાં ફરવા માટે લઈ જવા જોઈએ અને રસ્તામાં આવતી વસ્તુઓ દ્વારા જ્ઞાન વૃધ્ધિ કરવી જોઈએ. જિજ્ઞાસા કરવાની તથા પ્રશ્નો પૂછવાની એમને ટેવ પાડવી જોઈએ, માનસિક વિકાસની સારામાં સારી રીત પ્રશ્નોત્તરીની જ છે. કુસંગમાં બાળકોને રમવા ન દેવા. સારા સ્વભાવના હોય તેવા સાથી તેમને શોધી આપવા જોઈએ. વડીલોની જેમ સાથીઓ પાસેથી પણ બાળકો ઘણું શીખે છે તેથી એ બાબતે સાવધાન રહેવું જોઈએ.

કારણ કે હું મા છું :

સ્નેહ બાળકોનો અધિકાર છે અને માતા પિતાનું કર્તવ્ય. સ્નેહથી માતાપિતા અને બાળકના સંબંધો દૃઢ બને છે. મહારાણી વિક્ટોરિયાની પુત્રી એલિસનો દસ વર્ષનો પુત્ર કોઈક ચેપી રોગનો ભોગ બન્યો. ડોક્ટરોએ કહ્યું કે રોગીથી, એમાંય ખાસ કરીને એના ઉશ્વાસથી દૂર રહેવું, નહિતર એની પાસે રહેનાર માટે જાનનું જોખમ છે. ડૉક્ટરની સલાહ મુજબ બધા લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા. પરંતુ એ બાળકની માતાએ એને પોતાના ખોળામાં જ રાખ્યો. જ્યારે મમતાભર્યા અવાજે છોકરાએ માને કહ્યું કે “ મમ્મી, તું મને પ્રેમ નથી કરતી ? ચુંબન કર્યો કેટલા દિવસ થઈ ગયા ? ” આ સાંભળી માતાએ પ્રેમથી એને ચુંબન કર્યું. આથી તેને પણ રોગ થઈ ગયો અને થોડાક દિવસોમાં પુત્રની સાથે એ પણ મૃત્યુ પામી. લોકોએ કહ્યું કે તમે જાણતાં હોવા છતાં એવું શા માટે કર્યું ? તો એલિસ એમને જવાબ આપતી, “ કારણ કે હું મા છું. ” શાહી કબ્રસ્તાનમાં એલિસની કબર ઉપર હજુ પણ તેણીના અંતિમ શબ્દો લેખલા છે. કારણ કે હું મા છું. ” આ વાંચીને લોકો ભાવવિભોર બની જાય છે.

જાતે અનુભવ કરોઃ

જરૂર પડે ત્યારે સુધારવા માટે શિક્ષણ પણ આપવું પડે છે. રાજકુમારોનો અભ્યાસ પુરો થયો ત્યારે રાજા એમને લેવા આવ્યા, નીકળતી વખતે આચાર્યએ કહ્યું, “ એક બાબત શિખવાડવાની રહી ગઈ છે, તેથી તે શીખતા જાઓ. ” એમણે એક લાકડી મંગાવી અને બંને રાજકુમારોના હાથમાં બે બે લાકડીઓ ફટકારી. રાજકુમારોએ પૂછયું, “ આમાં શું શિખવાડ્યું ? ” આચાર્યે જવાબ આપ્યો કે, “તમારે મોટા થઈને રાજ્ય ચલાવવાનું છે. કોઈ નિર્દોષને દંડ કરવામાં આવે ત્યારે એને કેટલું ખોટું લાગે છે, એ પણ શીખતા જાઓ અને આ બાબત કદી ભૂલતા નહીં.”

સ્વભિમાની સુભાષઃ

સ્કુલનો અભ્યાસ પુરો કર્યા પછી સુભાષચંદ્ર બોઝે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ કોલેજના અંગ્રેજ પ્રોફેસરોમાં એક હતા મિસ્ટર સી. એફ. ઓટન. એમને એક ખરાબ ટેવ હતી. તેઓ વાતવાતમાં ભારતીય જીવનની મશ્કરી – મજાક કરતા હતા. એના પ્રત્યે ધૃણા પેદા કરવી અને તેઓ પોતાનો પરમ ધર્મ માનતા હતા. સુભાષચંદ્રને એમનો આ વ્યવહાર સહેજ પણ પસંદ ન હતો. તેઓ તેમની આ ટેવ છોડાવવા માગતા હતા. એક દિવસે એમને મોકો મળી ગયો. રોજની જેમ એટન સાહેબે ભારતીય જીવનની મશ્કરી કરવાનું શરૂ કર્યું. પહેલાં તો સુભાષચંદ્ર ચૂપ બેસી રહ્યા. સાંભળતાં સાંભળતાં એમને પોતાના દેશનું અપમાન સહન કરવાનું અસહ્ય થઈ પડ્યું. તેઓ ગુસ્સે થઈને પોતાની બેઠક ઉપરથી ઉભા થયા. ઝડપથી આગળ વધ્યા અને એ ગોરા પ્રોફેસરના ગાલ ઉપર તમાચો મારતાં કહ્યું, “ હજુ પણ ભારતીયોમાં સ્વાભિમાન જીવંત છે. જે કોઈ આ હકીકત ભૂલી જઈ એને પડકાર ફેંકશે, તેને આ રીતે માર ખાવો પડશે. ”

વાર્તાઓ દ્વારા આ બાળકો ઐતિહાસિક પુરૂષો બન્યાઃ

ઈતિહાસમાં એવાં સેંકડો ઉદાહરણો મળે છે, જેમાં સાધારણ બાળકોનું વ્યક્તિત્વ વાર્તાઓ દ્વારા મહાનતામાં પરિણમ્યું. પંચતંત્રવાળા મંદબુધ્ધિના અયોગ્ય રાજપૂત્રોના પિતા નિરાશ થઈ ગયા હતા. બધા જ ઉપાયો કરવા છતાં રાજપૂત્રોને કોઈપણ રીતે યોગ્ય બનાવી શકાયા નહિ. અંતિમ પ્રયત્નરૂપે રાજયમાં ઢઢેરો પિટાવવામાં આવ્યો કે “ જે કોઈ માણસ રાજપૂત્રોને શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારશે અને તેમને બધી રીતે યોગ્ય બનાવશે તેને મોં માગ્યું ઈનામ આપવામાં આવશે. ” ત્યારે વિષ્ણુ શર્મા નામના એક વિદ્વાન તપસ્વીએ રાજપૂત્રોને રાજનીતિ, ધર્મ અને શિક્ષણમાં નિષ્ણાત બનાવવાનું કામ સંભાળ્યું. તેમણે થોડાક જ સમયમાં જાનવરો તથા પક્ષીઓની રસપ્રદ વાર્તાઓ સંભળાવીને બુદ્ધિ વગરના એ રાજકુમારોને નીતિ, સદાચાર, ધર્મ, વ્યવહાર ,કુશળતા વગેરેમાં પારંગત બનાવી દીધા.

છત્રપતિ શિવાજી પણ નાનપણમાં ખાસ પ્રતિભાશાળી નહોતા લાગતા. પરિસ્થિતિઓ પણ એવી નહોતી કે ભવિષ્યમાં કંઈક કરી શકે એવી શક્યતા દેખાય. પતિ દ્વારા ઉપેક્ષિત જીજાબાઈ પોતાના પુત્રને લઈને પુનામાં રહેતાં હતાં. બાળક શિવાના પાલનપોષણથી માંડીને તેના શિક્ષણ વગેરેની સંપૂર્ણ જવાબદારી એમના પર હતી. જીજાબાઈએ આ જવાબદારી સરળતાથી નિભાવી શકાય તે માટે એક યોગ્ય માધ્યમ શોધી કાઢયું. તેઓ પોતાના લાડલાને રામાયણ તથા મહાભારતમાંથી હનુમાન, કૃષ્ણ અને અર્જુનના જીવનની વીરતાપૂર્ણ વાર્તાઓ સંભળાવતાં.

બાળક શિવાના મન ઉપર એવા જ બનવાની ધૂન સવાર થઈ અને તેઓ બચપણમાં જ માળવાજાતિનાં પછાત બાળકોને રીંછવાનરોની જેમ એકત્રિત કરવા લાગ્યા. એમને યુધ્ધવિદ્યા શીખવવા લાગ્યા. બાલ્યકાળની પ્રેરણામાંથી જન્મેલી મહત્વાકાંક્ષાના બળે એમણે નાનાજી, બાજી પ્રભુ દેશપાંડે અને સૂર્યાજી જેવા કેટલાંય નરરત્નો શોધી કાઢયાં કે જેમણે આગળ જતાં વિશાળ મોગલ સામ્રાજ્યના બાદશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી.

વર્તમાન યુગના મહામાનવ ગાંધીજી વિષે તો બધાને ખબર છે. એમની માતા પૂતળીબાઈ રામાયણ અને મહાભારતના ચારિત્ર્યનું નિર્માણ કરનારા પ્રસંગો તથા ઘટનાઓ વિશે એમને કહેતાં હતાં. એના પરિણામે જ તેઓ આજીવન ચરિત્ર અને નૈતિકતાને સૌથી વધારે મહત્વ આપતા હતા. સત્ય પ્રત્યે અનન્ય નિષ્ઠા તો મહારાજ હરિચંદ્રનું નાટક જોઈને તથા તેમની વાત સાંભળીને જન્મી હતી. ઈસુ ખ્રિસ્ત અને બુધ્ધના પ્રસંગો વાંચી કે સાંભળીને અહિંસા અને પ્રેમ પ્રત્યે શ્રધ્ધા તથા નિષ્ઠા વધ્યાં હતાં. આ રીતે વાર્તાઓ દ્વારા ઐતિહાસિક પુરૂષોના નિર્માણની અસંખ્ય ઘટનાઓ ભરેલી છે.

બાલ્યકાળના સંસ્કાર :

સુભાષચંદ્ર બોઝ બાળક હતા ત્યારની આ વાત છે. એક દિવસ માતા પાસેથી ઉઠીને તેઓ જમીન ઉપર સૂઈ ગયા. માએ એમ કરવાનું કારણ પૂછયું ત્યારે એમણે કહ્યું, “ આજે મારા સાહેબ કહેતા હતા કે આપણા પૂર્વજો ઋષિમૂનિ હતા તેઓ જમીન ઉપર સૂતા હતા અને કઠોર જીવન જીવતા હતા. હું પણ ઋષિ બનીશ તેથી જ કઠોર જીવનનો અભ્યાસ કરૂ છું. પિતાજી જાગી ગયા. એમણે કહ્યું કે જમીન ઉપર સૂવું એટલું જ પૂરતું નથી. જ્ઞાનસંચય કરવો પડે તથા સેવા પણ કરવી પડે. હમણાં તું તારી મા પાસે સૂઈ જા. પછી મોટો થઈને આ ત્રણેય કામ કરજે. સુભાષે શિક્ષકની જ નહિ, પણ પિતાજીની વાત પણ ગાંઠે બાંધી લીધી. આઈ.સી.એસ. પાસ કર્યા પછી ઓફિસર બનવાનો સમય આવ્યો ત્યારે એમણે કહ્યું કે “ હું તો મારા જીવનનું લક્ષ્ય નક્કી કરી ચૂક્યો છું. મારી માતૃભૂમિની સેવા કરીશ અને મહાન બનીશ. ” બચપણનો નિશ્ચય એમણે જીવનભર નિભાવ્યો. આવા હોય છે મહામાનવ .

દીકરો – દીકરી એક સમાન બોધવચન -૩ર

દીકરો – દીકરી એક સમાન બોધવચન -૩ર

બોધ : પુત્ર અને પુત્રીને સરખાં માનવાં જોઈએ. એમની વચ્ચે ભેદભાવ રાખવો જોઈએ. પુત્ર કરતાં પણ પુત્રીને વધારે શ્રેષ્ઠ અને શ્રેયસ્કર માનવી જોઈએ, કારણ કે પિતા તથા સસરા બંનેયના વંશોના કલ્યાણ સાથે તેનો સંબંધ છે. જનાજાને પુત્રીના લીધે શ્રેય મળ્યું, જયારે રાવણના અનેક પુત્રો અપયશનું કારણ બન્યા. બાળકો ગર્ભમાં રહીને માતા પાસેથી ઘણું પ્રાપ્ત કરી લે છે. આથી ગર્ભવતીના શારીરિક તથા માનસિક સ્વાધ્યને સારું રાખવું જોઈએ. બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખીને એમને સુસંસ્કારી વાતાવરણમાં ઉછેરવાં જોઈએ. શરૂઆતનાં દશ વર્ષ વ્યકિતત્વના પરિષ્કાર માટે મહત્વનાં ગણાય છે. આ સમય દરમિયાન આખા પરિવારે સતર્કતા રાખવી જોઈએ અને બાળક આગળ પોતાનાં આદર્શ ઉદાહરણ રજૂ કરવાં જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, “ ભારતવર્ષનો ધર્મ એના પુત્રોથી નહિ, પણ સુપુત્રીઓના પ્રતાપે જ ટકી રહ્યો છે. ભારતીય દેવીઓએ જો પોતાનો ધર્મ છોડી દીધો હોત તો દેશ કયારનો નષ્ટ થઇ ગયો હોત. ” પુત્રીને પુત્ર સમાન માનવાનો આદેશ મનુ ભગવાને પણ આપ્યો છે કે, “ જેવી રીતે આત્મા પુત્રના સ્વરૂપે જન્મ લે છે તેવી રીતે પુત્રીના સ્વરૂપે પણ જન્મ લે છે. ” ( મનુ સ્મૃતિ ૯/૧30 )

કન્યાની શ્રેષ્ઠતા :

શ્રેષ્ઠી પ્રસેનજિત બુધ્ધનો ઉપદેશ સાંભળવા માટે દરરોજ આવતા હતા અને આગલી હરોળમાં બેસતા. બધા લોકો એમને બુદ્ધના સહાયક અને સમર્થક માનતા. પરંતુ કોઈને એ વાત ખબર નહોતી કે માત્ર પુત્રની કામના માટે જ તેઓ એવું કરતા હતા. પ્રસેનજિતને ત્યાં પુત્રીનો જન્મ થયો તો તેઓ દુઃખી થયા અને પ્રવચનમાં આવવાનું બંધ કરી દીધું. ઘણા દિવસો પછી જ્યારે દુ : ખ ઓછું થયું ત્યારે એક દિવસ તેઓ ઉદાસ મનથી બુધ્ધને મળવા ગયા. એમની આંખોમાં રહેલો નિરાશાનો ભાવ બુધ્ધ સમજી ગયા. એમણે સમજાવ્યું કે પુત્ર કરતાં પુત્રી વધારે શ્રેયસ્કર છે. જો દરેકને ત્યાં એમની ઇચ્છા મુજબે પુત્ર જ જન્મે તો આ સૃષ્ટિનો અંત જ આવી જાય એમ માનવું જોઈએ. ગાડીનાં બે પૈડાંની જેમ બાળક અને બાલિકાઓ મોટાં થઇને સંસાર ચક્ર ચલાવે છે. સૃષ્ટાએ બંનેને એકસરખું સન્માન આપ્યું છે. તમે પણ તમારી માન્યતાઓ બદલો, એમ કરવાથી જ અજ્ઞાનજન્ય માન્યતામાંથી છુટકારો મારો પ્રસેનજિતને ભાન થઇ ગયું. હવે તેઓ પુત્રીને પુત્ર કરતાં વધારે સ્નેહ આપવા લાગ્યા.

પુત્રવત્ કન્યાઃ

મહાપંડિત ભાસ્કરાચાર્ય ગણિત અને ગ્રહવિજ્ઞનના મહાન જ્ઞાતા હતા. એમને લીલાવતી નામની એકની એક જ પુત્રી હતી. પિતાએ એને પુત્રની જેમ ઉછેરી અને પોતાના સંચિત જ્ઞાનની પરંપરા આગળ વધારવાનો નિશ્ચય કર્યો. તેમણે પુત્રીને હંમેશા પોતાની સાથે રાખીને પોતાના જેવી વિદ્વાન બનાવી. તે પિતાનો જમણો હાથ બનીને રહી હતી. કોઈ તેને કુમારી કહે છે, કોઈ તેને વિધવા કહે છે. એ જે હોય તે પરંતુ તે પિતાની સાથે વિદ્યામાં ડૂબેલી રહી. લીલાવતીના નામનું પુરાતન ગણિત, વિજ્ઞાન અત્યારે પણ ઉપલબ્ધ છે.

શૂરવીર પરિવારઃ

ચિતોડ ચારેબાજુથી ઘેરાઈ ગયું હતું. મોગલોની સેના દશ ગણી વધારે હતી. છતાં પણ ચિતોડના રાજપૂતો હિંમત ન હાર્યા. એકેએક બાળક પણ બલિદાન માટે તૈયાર થઇ ગયું. એમાં ઉગતી ઉંમરનો એક યુવક ફતો પણ હતો. એના કુટુંબમાં માં, પત્ની અને બહેન હતાં. ચારેય મરદોનો પોશાક પહેર્યો અને હાથમાં તલવાર લઇને શત્રુઓના દળ પર તૂટી પડ્યાં અને ખૂબ મરદાનીથી લડીને બલિદાનના સમુદ્રમાં સમાઈ ગયાં. દેશભક્તિના આ જુસ્સાને જોઈને માત્ર રજપૂતોની સેના જ નહીં, પરંતુ શત્રુઓની સેના પણ દંગ રહી ગઈ. સમય ગુમાવી નાખ્યોઃ બાળકોના સર્વાગપૂર્ણ વિકાસ માટે શરૂઆતથી જ ધ્યાન આપવું જોઈએ.

સમય વીતી ગયા પછી માથું કૂટવું પડે છે તથા પસ્તાવું પડે છે. એક સ્ત્રી શિકાગોના પ્રસિધ્ધ શિક્ષણશાસ્ત્રી ફ્રાન્સિસ વેલેન્ટ પાર્કરને એવું પૂછવા ગઇ કે હું મારા છોકરાને શિક્ષણ આપવાની શરૂઆત ક્યારથી કરૂં ? પાર્કરે પૂછ્યું, “ આપના બાળકનો જન્મ ક્યારે થશે ? ” પેલી સ્ત્રીએ કહ્યું કે તે તો પાંચ વર્ષનો થઇ ગયો છે. આ સાંભળી પાર્કરે કહ્યું, “ બેન ક્ષમા કરજો. હવે પૂછવાથી શો ફાયદો ? શિક્ષણ આપવાનો સર્વોત્તમ સમય તે પાંચ વર્ષ સુધી જ હોય છે. આપે તે સમય નકામો ગુમાવી દીધો. જો આપે એના જન્મ પહેલાં જ એના શિક્ષણની વ્યવસ્થા કરી હોત, તો અત્યાર સુધીમાં તે એક સુયોગ્ય નાગરિકની લઘુ આવૃત્તિ તરીકે વિકસિત થયો હોત. ”

જેવું આચરણ તેવું અનુકરણ : બોધવચન -૩૧

જેવું આચરણ તેવું અનુકરણ : બોધવચન -૩૧

બોધ : ગૃહસ્થ જીવન જીવનારાઓએ પોતાનો આદર્શ રજૂ કરીને આખા કુટુંબને સજજનતાના બીબામાં ઢાળવું જોઈએ અને સપ્રવૃતિઓમાં જોડવા જોઈએ. સ્નેહ આપવો જોઈએ અને વાડ પણ કરાવવા જોઈએ. પરંતુ સાથે સાથે અનિચ્છનીય બાબતોથી સાવધાન પણ રહેવું જોઈએ. અનૌચિત્યનું વિષવૃક્ષ પોતાના આંગણામાં ન ઉગવા દઈએ એમાં જ ગૌરવ છે. જેથી એમાં સંતાનોનું ભવિષ્ય તથા પોતાનું ભવિષ્ય પણ ઉજજવળ બને છે,

પોતાનાથી શુભ શરૂઆત :

આદર્શોના શિક્ષણની શરૂઆત પોતાનાથી થાય છે. જો પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં સસ્પ્રવૃત્તિઓનો વિકાસ થશે, તો સમાજમાં પણ સ્વસ્થ પરંપરાઓ જન્મશે. શેઠ જમનાલાલ બજાજે ગાંધીજીના સિધ્ધાંતો અને આદર્શો ખૂબ નિષ્ઠાપૂર્વક અપનાવ્યા હતા. એક સભામાં ગાંધીજીએ રાષ્ટ્ર માટે સ્ત્રીઓને ઘરેણાંનો ત્યાગ કરવાનું કહ્યું. આ બાબત જમનાલાલજીને યોગ્ય લાગી. એમણે તરત જ પોતાનાં પત્ની જાનકીદેવીને પત્ર લખ્યો કે બાપુનો આદેશ છે, તેથી ઘરેણાંનો રાષ્ટ્ર માટે ત્યાગ કરો. પતિનો આદેશ માની એમણે એક પછી એક એમ પોતાનાં બધાં ઘરેણા, અરે, સૌભાગ્યના ચિન્હરૂપ મંગલસૂત્ર પણ ઉતારી દીધું. આનો પ્રભાવ બાળકો ઉપર પણ પડ્યો. એમણે પણ પોતાની સુવિધાનાં બધાં સાધનો રાષ્ટ્ર માટે સમર્પી દીધાં.

ગાંધીજીની આદર્શનિષ્ઠા : એકવાર આચાર્ય જુગલકિશોરે ગાંધીજીને પૂછયું, બાપુ, એવું કેવી રીતે શક્ય બન્યું કે જે વ્યક્તિઓ સાધન સગવડો છોડીને કદી કષ્ટભર્યુ જીવન જીવી ન શકે, તેમણે આપના એક ઈશારા પર રાષ્ટ્રના હિત માટે સર્વસ્વનો ત્યાગ કર્યો. આ તો એક ચમત્કાર છે. ” બાપુ ધીમું સ્મિત કરીને બોલ્યા, અરે ભાઈ, એ તો સીધી વાત છે. એ તો જુઓ કે કોણે કહ્યું અને એ લોકોએ ત્યાગ કર્યો. જેણે કહ્યું એણે પોતાના જીવનમાં પણ એ આદર્શો વણી લીધા છે. જેની કથની અને કરણી એક હોય એનું જ લોકો અનુકરણ કરે છે. તેમ છતાં દરેક વ્યક્તિ અપૂર્ણ છે. હું પણ હજુ એ પ્રયોગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છું. ‘

માતાપિતાની અસાવધાની :

ચક્રવ્યુહ કઈ રીતે ભેદવો તે અર્જુન સુભદ્રાને સમજાવી રહ્યા હતા. છ કોઠાઓનું વેધન કરવાનું શીખવી દીધું ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ. પરિણામે માતાના ગર્ભમાં રહેલો અભિમન્યુ એક છેલ્લા કોઠાને વીંધવાનું શીખી ન શક્યો. આ કારણે અભિમન્યુને પ્રાણ ખોવો પડ્યો. માતાપિતાની બેદરકારીનું ફળ સંતાનને ભોગવવું પડે છે.

અવિવેકીઓ પાસેથી વિવેક શીખ્યો : લુકમાનને કોઈકે પૂછયું, “ આપ આવો સરસ વિવેક ક્યાંથી શીખ્યા ? ” લુકમાને જવાબ આપ્યો, “ અવિવેકી લોકો પાસેથી. તેઓ જે કરે છે અને ભોગવે છે એ મેં ધ્યાનથી જોયું છે અને એ ઉપરથી મારી ટેવો મેં સુધારી લીધી. ”

ભિખારી કલાકાર :

એક મચ્છર મધમાખીઓના મધપૂડા ઉપર ગયો અને કહેવા લાગ્યો કે, “ હું મહાન સંગીતજ્ઞ છું. તમારાં બચ્ચાંને સંગીત શીખવવા ઈચ્છું છું. એના બદલામાં મને થોડું મધ આપજો. ” મધમાખીઓની રાણીએ સ્પષ્ટ ઈન્કાર કરતાં કહ્યું, “ જેવી રીતે સંગીતજ્ઞ બનીને તુ અમારે ત્યાં ભીખ માગવા આવ્યો છે એવી રીતે અમારા બચ્ચાં પણ પરિશ્રમ કરવાને બદલે ભીખ માગવા માંડશે. હું એવું ઈચ્છતી નથી એટલે આપની માગણી સ્વીકારતી નથી. ”

સગુણ જુઓ, દોષો નહિ : કોણ શું ગ્રહણ કરે છે તેનો આધાર તેના દૃષ્ટિકોણ

સગુણ જુઓ, દોષો નહિઃ કોણ શું ગ્રહણ કરે છે તેનો આધાર તેના દૃષ્ટિકોણ ઉપર રહે છે. કોઈ જિજ્ઞાસુએ સૉક્રેટિસને પૂછયું, “ દીવાની નીચે અંધારૂ અને ચંદ્રમાના મુખ પર કલંક કેમ છે ? ” સૉક્રેટિસે પેલાને સામું પૂછ્યું કે, “ તમને આવો પ્રશ્ન પૂછતાં પહેલાં એવો વિચાર કેમ ના આવ્યો કે દીવામાં પ્રકાશ અને ચંદ્રમાં જયોતિ કેમ છે ? ” ત્યાં હાજર રહેલા લોકો સમજી ગયા કે આપણો દૃષ્ટિકોણ ઝિંદ્રાન્વેષી નહિ, પણ સગુણ શોધવાનો હોવો જોઈએ. પરિવારમાં બાળકોને શુધ્ધ દૃષ્ટિકોણ રાખવાનો અભ્યાસ કરાવવો જોઈએ. આમ કરવાથી તેઓ ઉચિત અને અનુચિત વચ્ચેનો તફાવત સમજી ઉચિત બાબતો જ ગ્રહણ કરશે.

તકલીફવાળા લોકોએ સંતાન પેદા ન કરવાં જોઈએ. બોધવચન -૩૦

તકલીફવાળા લોકોએ સંતાન પેદા ન કરવાં જોઈએ. બોધવચન -૩૦

બોધ : શારીરિક, માનસિક અને સ્વભાવ તથા ચરિત્રની દષ્ટિએ જેઓ પછાત સ્થિતિમાં હોય તેઓ બાળકો પેદા ન કરે તે તેમના, સમાજના તથા અવતરનાર બાળકોના હિતમાં છે. સંતાન સુયોગ્ય હોયતો જ પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે, નહીંતર માતાપિતાની આ લોકતથા પરલોકમાં દુર્ગતિ થાય છે. સમાજને સુયોગ્ય નાગરિક આપવા માટે જ પ્રજનન કરવું જોઈએ. કીડી, મંકોડાની જેમ અયોગ્ય અને વધુ સંખ્યામાં બાળકોને જન્મ ન આપવો જોઈએ. ‘ અમે બે અમારાં બે ‘ સૂત્રનું પાલન કરવું જોઈએ .

સંખ્યા નહિ, સ્તર :

ગાંધારીને સો પુત્રો હતા. પરંતુ તેઓને સુસંસ્કાર આપવામાં આવ્યા નહોતા. કુંતાજીને માત્ર પાંચ પાંડવો જ હતા. પરંતુ એમણે તેઓને સુયોગ્ય અને સંસ્કારી બનાવવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. મહાભારતના યુદ્ધમાં સો કૌરવો મરાયા જ્યારે પાંચ પાંડવો વિજયી બન્યા. નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે – “ વરમેકો ગુણી પુત્રો, ન ચ મૂર્ખ શતાન્યપિ / એકશ્ચન્દ્રસ્તમાં હન્તિ ન તુ તારા સહસ્ત્રશ : // અર્થાત્ – સેંકડો મૂર્ખ પુત્રોના બદલે એક જ ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે. જેવી રીતે એકલો ચંદ્ર જ અંધકારને દૂર કરે છે, હજારો તારા નહીં. એવી જ રીતે એક ગુણવાન પુત્ર સમાજમાં વ્યાપેલો અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. પોતાના સત્કર્મોથી જ વ્યક્તિને સદ્ગતિ પ્રાપ્ત થાય છે, વંશથી નહીં. વંશવેલાને કોઈ યાદ રાખતું નથી પણ કોઈ દુર્જન પાકે તો વંશ વગોવાય છે. કેટલાય હજારો બ્રહ્મચારીઓએ સંતાન ઉત્પન કર્યા વગર જ ઉચ્ચ વિચારો, સત્કાર્યો અને સેવા દ્વારાસ્વર્ગલોક પ્રાપ્ત કર્યું છે.

કુલીનતાની શરૂઆત અને અંત : મહાન વિચારક સિસેરો સાથે એક સરદારને બોલાચાલી થઈ ગઈ. સરદારે કહ્યું કે તમે નીચ કુળના છો. તમારી અને મારી વચ્ચે સરખામણી કઈ રીતે થઈ શકે ? સિસેરોએ કહ્યું, “ મારા કુળની કુલીનતાની શરૂઆત મારાથી થાય છે અને તમારી કુલીનતાનો અંત તમારી સાથે આવશે. ” કુલીનતાનો સબંધ જન્મ સાથે નહીં, પરંતુ ચરિત્ર સાથે છે.

જેવાં ઈચ્છયાં તેવાં બનાવ્યાં :

જ્યાં પતિ – પત્નિનો સ્વભાવ સમાન બને છે અને બંને વચ્ચે સઘન સહયોગ હોય તો સંતાનને ઈચ્છા પ્રમાણે સંસ્કાર આપી શકાય. ઈગ્લેન્ડના કર્નલ જહોન દ્રાન્સિવાન અને તેમની પત્ની એલીઝાબેથ બંને અત્યંત ધાર્મિક પ્રકૃતિનાં હતાં. સંતાનની બાબતમાં પણ બંનેની ઈચ્છા એક સરખી હતી. પતિને જ્યારે સમય મળતો ત્યારે દેવળમાં જતા હતા પરંતુ પત્ની ખૂબ ભક્તિભાવવાળી હતી. તે કલાકો સુધી ઈશ ઉપાસના કરતી અને એવી પ્રાર્થના કરતી હતી કે એનાં બધાં જ સંતાનો ધર્મની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે. એની આ મનોકામના સંપૂર્ણ સફળ થઈ. લૂઈસના બધા છોકરા અને છોકરીઓ ધર્મના સેવક બન્યાં. કુવારાં રહ્યાં અને આખુ જીવન ખ્રિસ્તી મિશન માટે સમર્પિત કરી દીધું. પાદરી અને સાધ્વીઓના રૂપમાં પવિત્ર જીવન વિતાવનાર પવિત્ર માતાનાં આ બાળકોની ચર્ચા પાશ્ચાત્ય જગતમાં સદીઓથી થાય છે.

બાળકને અનીતિ માટે પ્રોત્સાહન ન આપો :

સિક્યુરાજના રાજ્યમાં બક્યુઆર નામનો એક ભયંકર દસ્યુ થઈ ગયો. એણે એની જુવાનીનાં ૨૦ વર્ષોમાં હજારો લોકોની કતલ કરી અને ખૂબ સંપત્તિ લૂંટી. અંતે તે પકડાઈ ગયો અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

એ વખતે એના સબંધીઓ એને મળવા માટે આવ્યા, તો એણે પોતાની માતાને મળવાનો ઈન્કાર કરી દીધો. કારણ પૂછતાં એણે કહ્યું, “ બચપણમાં હું સુવર્ણમુદ્રા ચોરીને લાવ્યા હતા અને તે મારી માતાને આપી હતી. ત્યારે તેણીએ મારી ચતુરાઈનાં વખાણ કરીને મને ઈનામ આપ્યું હતું. તે દિવસથી બદલાઈ ગયેલા જીવનનું આજે આ પરિણામ આવ્યું છે. ”

બાળક આવતીકાલનો મહાન નાગરિક બનશે. બોઘવચન – ર૯

બાળક આવતીકાલનો મહાન નાગરિક બનશે. બોઘવચન – ર૯

બોધ : આજનો બાળક આવતીકાલનો સમાજ સંચાલક અને રાષ્ટ્રનેતા બનશે. નાના છોડવા જ વિશાળ વૃક્ષો બને છે તેથી કુશળ માળી નાના છોડની જરૂરિયાત તથા સુરક્ષા પર પૂરતું ધ્યાન આપે છે. ખાતરપાણીની કસર પડવા દેતો નથી. પશુઓ તેને નષ્ટ ન કરી નાખે તેનું પુરતું ધ્યાન રાખે છે. ગૃહસ્થોએ માળીની જેમ જાગૃત રહેવું જોઈએ તથા ઘરરૂપી બાગમાં બાળકોને સુરમ્ય છોડ ગણી કાળજીથી ઉછેરવાં જોઈએ.

શકુંતલાનું શિશુનિર્માણ :

મહર્ષિ કણ્વના આશ્રમમાં ઉછરેલી વિશ્વામિત્રની પુત્રી શકુંતલા અધ્યયનમાં અને આશ્રમની વ્યવસ્થામાં સંલગ્ન રહેતી હતી. એક દિવસ રાજા દુષ્યન્ત એ તરફ નીકળ્યા અને આશ્રમમાં રહ્યા. શકુંતલા સાથે સંસાર માંડ્યો. જેથી તેને પુત્ર થયો જેનું નામ ભરત રાખવામાં આવ્યું. રાજાએ શકુંતલાને રાજ્યમાં નહીં રાખતાં આશ્રમમાં પાછી મોકલી દીધી. આશ્રમમાં આવી તેણે પોતે જ બાળકને એટલો સુયોગ્ય બનાવ્યો કે તે સિંહનાં બચ્ચાં સાથે રમતો હતો. પછીથી તે રાજા બન્યો અને ચક્રવર્તી સમ્રાટ કહેવાયો. ભારતનું નામ એના નામ ઉપરથી જ પડયું છે.

માતાઓની પ્રેરણા તથા પ્રશિક્ષણ :

રાષ્ટ્રપતિ આઈઝન હોવર કહેતા હતા કે, ‘ અત્યારે હું જે કાંઈ છું તે મારી માતાની સ્નેહયુક્ત પ્રેરણા અને પ્રશિક્ષણનું જ ફળ છે. ” તે રીતે જહોન એફ. કેનેડી કહેતા કે, “ મારી માતાના સિધ્ધાંતો, આદર્શો તથા અગાધ સ્નહે મને મારી વર્તમાન સ્થિતિએ પહોંચાડ્યો છે. ”

અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે કહ્યું કે, “ હું જે કાંઈ બન્યો છું અથવા ભવિષ્યમાં કાંઈ બનીશ તેનો યશ અને શ્રેય મારી માતાને છે. “

સિકંદર કહ્યા કરતો હતો કે, “ મારી માતાની આંખનાં આંસુને હું મારા સંપૂર્ણ સામ્રાજ્ય કરતાં પણ વધારે માનું છું. ”

શિવાજી, રાણા પ્રતાપ વગેરેથી માંડીને સ્વતંત્રતા સંગ્રામ ક્રાન્તિકારીઓમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સુધીના બધા જ માતાના પાલવમાં બેસીને જ શાસન, પરાક્રમ તથા ચારિત્ર્યનિષ્ઠાના પાઠ ભણ્યા હતા.

વિલક્ષણ મેઘાવી બાળકો :

ઈતિહાસમાં એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેનાથી ખબર પડે કે માતાપિતા સજાગ હોવાના કારણે કેટલાય મહામાનવો ટૂંકા જીવનમાં પણ અશક્ય લાગે એટલી બધી પ્રગતિ કરી શક્યા હતા.

શિવાજીએ માત્ર ૧૩ વર્ષની ઉંમરે તોરણાનો કિલ્લો જીત્યો હતો. સિકંદરે ૧૭ વર્ષની ઉંમરે શોરોનિયાના યુધ્ધમાં વિજય મેળવ્યો હતો. અકબરે ૧૬ વર્ષની ઉંમરે ગાદી સંભાળી અહલ્યાબાઈએ ૧૮ વર્ષની ઉંમરે રાજય કારભાર પોતાના હાથમાં લીધો. સંત જ્ઞાનેશ્વરે ૧૨ વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી. જગદ્ગુરૂ શંકરાચાર્ય ૧૬ વર્ષની ઉંમરે અનેક શાસ્ત્રાર્થોમાં જીત્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરે ૧૪ વર્ષની ઉંમરે શેક્સપિયરના ‘ મેકબેથ ‘ નાટકનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો હતો. કવિયત્રી તારા દત્ત ૧૮ વર્ષની ઉંમરે વિશ્વવિખ્યાત બની ગઈ હતી. સરોજિની નાયડુએ ૧૩ વર્ષની ઉંમરે તેરસો પંક્તિઓની મર્મસ્પર્શી કવિતા લખીને સાહિત્યક્ષેત્રમાં ચમત્કાર સર્યો હતો.

આમાં આ વિલક્ષણ મેઘાવી બાળકોને મળેલા સંસ્કારોના મહત્વની સાથે સાથે એમના પુરૂષાર્થ, લગન તથા પ્રતિભાને પોષણ આપનાર વાતાવરણને પણ નકારી શકાય નહિ .

એડીસન મહામાનવ કેવી રીતે બન્યા ?:

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસને નિષ્ઠા અને તત્પરતાથી આજીવન કામ કર્યું. ગ્રામોફોન, ટેપરેકર્ડ, ચલચિત્ર, કેમેરા, વીજળીના બલ્બ વગેરે નાનીમોટી રપ૦૦ શોધખોળોનો એમણે એક કિર્તીમાન સ્થાપ્યો છે. બીજો કોઈ વૈજ્ઞાનિક આટલી બધી શોધખોળ હજુ સુધી કરી શક્યો નથી. તેઓ બાળપણમાં જ બહેરા થઈ ગયા હતા પરંતુ માતાપિતાએ આપેલા શિક્ષણથી તેઓ સ્વાવલંબી અને વૈજ્ઞાનિક બન્યા. દરેક કામને ઈજ્જતવાળું માનવું અને દરેક તકનો સદુપયોગ કરવો એવું શિક્ષણ એમને એમનાં માતાપિતા તરફથી બચપણમાં જ મળ્યું હતું. જેના સહારે સખત પરિશ્રમમાં લાગ્યા રહી તેઓ અનેક સંશોધનો કરી શક્યા. તેઓ જયાં જન્મ્યા તે ન્યુ જર્સી, અમેરિકામાં તેમના નામથી ઓળખાતું એડિસન ટાઉન છે.

સ્વાવલંબનના સંસ્કાર :

ફ્રાન્સના એક માણસે ફૂટપાથ ઉપર બેઠેલા એક ગરીબ છોકરા પાસે ખાસડાં રીપેર કરાવ્યાં અને એને ગરીબ માનીને એક રૂપિયો આપી દીધો. છોકરાએ વધારાના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે, મારી મહેનત જેટલા જ પૈસા મારે લેવા જોઈએ. મારી માતાએ મને શિખવાડયું છે કે, “ હું જેટલો શ્રમ કરૂં તેનાથી વધારે પૈસા ન લેવા. ” આજ બાળક આગળ જતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ દગોલ બન્યા.

સ્વભિમાની માતા:

કવિ ડેનિયલ નિશાળમાં ગરીબ વિદ્યાર્થીઓને જે ચીજ વસ્તુઓ મળે તે લઈને ઘેર આવ્યા. તે જોઈને માતાએ કહ્યું કે, “ જા, આ બધી વસ્તુઓ પાછી આપી આવ. હું મહેનત મજુરી કરૂ છું અને એમાંથી તારી ફી તથા પુસ્તકો પુરાં પાડી શકું છું. આ સગવડ તો જેઓ અસમર્થ હોય તેમના માટે છે. આપણે અસમર્થ લોકોનો હક ઝૂંટવીના લેવો જોઈએ. ”

 હું જૂઠો નથી :

ગાંધીજી એક દિવસે શનિવારે ચાર વાગે ખેલકૂદમાં જવા માટે મોડા પડ્યા. વાદળીયું વાતાવરણ હતું અને ઘડિયાળ હતી નહીં તેથી સમયનો ખ્યાલ ન રહ્યો. હેડમાસ્તરે મોડા આવવાનું કારણ પૂછયું એટલે ગાંધીજીએ સાચી વાત કરી. પરંતુ હેડમાસ્તરને તેમની વાતમાં વિશ્વાસ બેઠો નહીં અને એક આનો દંડ કર્યો. ગાંધીજી રડી પડ્યા. આથી હેડમાસ્તરે કહ્યું કે તારા પિતાજી મોટા માણસ છે, એમના માટે એક આનો દંડ ભરવો તે મોટી વાત નથી. ગાંધીજીએ કહ્યું કે “ હું એટલા માટે રડી રહ્યો નથી. પરંતુ મને જૂઠો માનવામાં આવ્યો એટલા માટે રડી રહ્યો છું. ” હેડમાસ્તરે આ ભોળા અને સરળ હૃદયના બાળકની સત્યનિષ્ઠાથી પ્રભાવિત થઈને દંડ માફ કરી દીધો. બાળપણની આવી નાની નાની બાબતો માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે તે જુઓ. સત્ય બોલવાનું શિક્ષણ મોહનને માતાપિતા પાસે મળ્યું હતું. હરિશ્ચંદ્ર ‘ નાટક જોવાથી એને પોષણ મળ્યું. ગાંધીજીએ પોતાના આખા જીવનને સત્યની પ્રયોગશાળા બનાવીને એ સાબિત કરી આપ્યું કે બચપણના શ્રેષ્ઠ સંસ્કારોનું પરિણામ કેટલું મહાન આવે છે.

નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭

નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭

બોધ : ઘરનાં કૌટુમ્બિક કાર્યોમાં પુરૂષ સ્ત્રીને મદદ કરે. એમને એટલો અવકાશ આપે કે પરિવારની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટ સારી રીતે કરી શકે. વાતચીત,  કલાકારીગરી તથા સમસ્યાઓના નિરાકરણમાં પોતાની ભૂમિકા નિભાવી શકે.

આગામી સમય ખરેખર ભાવપ્રધાન હશે અને એનું સંચાલન નારીશકિત કરશે. પુરૂષ સ્ત્રીને વિકાસ કરવા માટે આગળ વધવાની તક ન આપે તે સૃષ્ટાની ઈચ્છા વિરૂધ્ધ છે. એટલું જ નહીં પણ તેમાં મનુષ્યની તુચ્છતા રહેલી છે. નવો સમાજ લાવવા માટે,  નવનિર્માણ કરવા માનવમાં દેવત્વ જગાડવા તથા ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન કરવા માટે નારીશકિતને ખીલવવી, તેને પ્રખર બનાવવી તે આજના યુગની એક મહત્વની જરૂરિયાત છે. આગામી દિવસોમાં નારી દ્વારા વિશ્વનું નેતૃત્વ કરવામાં આવશે એવી સંભાવના વિશેષ છે. એનું કારણ એ છે કે કચડાયેલા વર્ગને ભવિષ્યમાં અતિ વિષમ બંધનોમાંથી મૂકત થવાનો અવસર મળવાનો જ છે. એ ઈશ્વરીય ન્યાયનું વિધાન છે.

ભાવિ પ્રગતિમાં નારીની ભૂમિકા :

રશિયાના સ્ટાલીન કહેતા હતા કે સ્ત્રીઓને ઘણા લાંબા સમય પછી માનવીય અધિકારો મળ્યા છે. એમનામાં પુરૂષ સમોવડી બનવાનો કે શ્રેષ્ઠતા બતાવવાનો ઉમંગ – ઉત્સવ ઉભરાય તો એને ઉચિત માનવો જોઈએ. એને પોતાની પ્રસુપ્ત શક્તિને જાગૃત કરવાનો આધાર અને પુરૂષો સાથેની સ્પર્ધામાં વિજયી બનવાનો અવસર મળવો જોઈએ. પરંતુ આટલું પુરતું નથી. એમણે બે કદમ આગળ વધીને આ કાર્ય પોતાના માથે લેવું જોઈએ કે જેથી તેઓ નવી પેઢીને પ્રતિભાવાન બનાવે. નવી પેઢી જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. એની પ્રગતિ ઉપર જ સૌની પ્રગતિનો આધાર છે. આ કાર્યમાં સ્ત્રીઓ હંમેશા પુરૂષો કરતાં આગળ રહી છે. આ રીતે સ્ત્રીઓ જ નવાયુગની જન્મદાત્રી બનશે.

વિદ્વતામાં ભારતી વધારે આગળ :

મિથિલાના મહાપંડિત મંડનમિશ્ર અને જગદગુરૂ શંકરાચાર્ય વચ્ચે શાસ્ત્રાર્થ થયો. મંડનમિશ્ર હારવા લાગ્યા તો એમની પત્ની ભારતી જે એમના જેવી જ વિદ્વાન હતી,  તેણે કહ્યું કે મિશ્રજીના અડધા અંગરૂપે હું હાજર છું. શાસ્ત્રાર્થનો ઉત્તરાર્ધ હું પુરો કરીશ. લાંબા સમય સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. ભારતીની વિદ્ધતા જોઈને બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા. છેવટે પતિપત્ની બંને હારી ગયાં. એમણે શંકરાચાર્ય પાસેથી દીક્ષા લીધી અને વેદધર્મનો પ્રચાર કરવા લાગ્યાં.

નારી જાગરણની સંચાલિકા રામાદેવી

દુર્ભાગ્યે જન્મથી માંડીને ઘડપણ સુધી રામાબાઈનો પીછો ન છોડ્યો. માતાપિતા મરી ગયાં તથા ભાઈબહેન પણ મોતને ભેટયાં. ૩૦ વર્ષે વિધવા થઈ ગયાં. એમને એક પુત્રી હતી. મદદ કરે એવું પોતાનું કોઈ નહોતું. આવી પરિસ્થિતિમાં કોઈની મદદ મેળવવાની આશા રાખવાને બદલે રામાબાઈ પોતાના પગ ઉપર ઉભાં થયાં. પિતાજી કથાપુરાણ વાંચતા હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. બસ પિતા તરફથી એમને એ જ અનુદાન વારસારૂપે મળ્યું હતું. તેથી તેઓ પણ કર્થાવાર્તા કરીને આજીવિકા મેળવવા લાગ્યાં. સાથે સાથે ઠેર ઠેર ભ્રમણ કરતાં કરતાં પોતાનું શિક્ષણ પણ વધાર્યું. અંગ્રેજીનું સારૂ એવું જ્ઞાન મેળવ્યા પછી એમને ઈગ્લેન્ડ જવાની પણ તક મળી.

ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ નારી ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયાં. એમણે મહિલાઓ માટે કેટલાંય વિદ્યાલયો અને છાત્રાલયો ખોલાવ્યાં. જે કુરિવાજોના કારણે ભારતીય નારીને દબાઈ ચંપાઈને રહેવું પડતું હતું,  એ દૂર કરવા માટે એમણે કાંઈ બાકી ન રાખ્યું. નારી જાગરણ માટે અનેક સંગઠનો બનાવ્યાં તથા વિરોધીઓની ચિન્તા કર્યા વગર પોતાના કામમાં બહાદુરીપૂર્વક આગળ વધ્યાં. ધર્મ,  સંપ્રદાય,  નાત – જાતના ભેદભાવ વગર જાગૃત નારીઓએ નારી જાગરણ સંગઠનો બનાવવાં જોઈએ. જે દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રો, મહિલા ઉદ્યોગ કેન્દ્રો ચલાવવા અને કુરિવાજો તથા નશાખોરી જેવાં દૂષણો દૂર કરવાનાં કાર્યો કરવાં જોઈએ. નારી સામે ધાર્મિક કે સામાજિક પ્રતિબંધો હોય કે તેઓનું શોષણ થતુ હોય ત્યાં મહિલા સંગઠનો એ દોડી જેવું જોઈએ. ઈશ્વર નારીને આગળ લાવવા માગે છે, પણ જે પોતાની સહાયતા કરે છે તેને ઈશ્વર પણ સહાયતા કરે છે, તે સૂત્ર આચરણમાં મૂકવું જોઈએ.

દેવસંસ્કૃતિને સમર્પિત વિદેશી નારી

એની બેસન્ટ આયર્લેન્ડમાં જન્મ્યાં હતાં, ઈગ્લેન્ડમાં ઉછર્યા અને સેવામય જીવન ગાળવા માટે ભારત આવ્યાં. તેઓ ખ્રિસ્તી હતાં, પરંતુ અધ્યયન અને ચિંતન મનને એમને સાચાં હિન્દુ બનાવી દીધાં. આ દેશની સેવા કરવા માટે એમણે યથા સમયે કેટલીય પ્રવૃત્તિઓ શરૂ કરી અને આગળ વધારી. એમણે મદ્રાસમાં આવેલ આદિયારમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. કાશીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ શરૂ કરી, જે આગળ જતાં હિન્દુ વિશ્વ વિદ્યાલય બની ગયું. તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યાં હતાં. અંગ્રેજીનું એક સાપ્તાહિક લાંબા સમય સુધી ચલાવ્યું. તેઓ ૧૦૬ વર્ષ જીવ્યાં અને ભારતને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. શિક્ષિત નારી કેટલું બધું કરી લે છે. તેનો દાખલો છે. આપણે જેટલી વધુ મહિલા જાગૃતિ લાવીશું તેટલો ફાયદો છે.

નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬

નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬

બોધ : વિચારશીલ લોકોની એ જવાબદારી છે કે નારીશિક્ષણમાં કોઈ કમી ના રાખે. નારીને સ્વાવલંબી બનાવવી જોઈએ. તે શીલવાન બને તે જરૂરી છે. પરંતુ એટલી સંકોચશીલ પણ ન બને કે જેનાથી વિચારવા, બોલવા અને કાર્ય કરવાની ક્ષમતા જ ખોઈ બેસે. એને ગુલામ ન બનાવવામાં આવે. ગૃહલક્ષ્મીના રૂપમાં એનો વિકાસ કરવામાં આવે અને મુશ્કેલીમાં સાથ આપી શકે.

સુભાષચંદ્ર બોઝની ક્રાંતિકારી મહિલાસેના :

નેતાજી સુભાષચંદ્ર બોઝ મહિલાઓની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. એમણે સ્ત્રીઓની ક્રાન્તિકારી સેના તૈયાર કરી હતી. તેઓ કહેતા હતા કે “ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચુ હોવું જોઈએ. ” સાર્વજનિક કાર્યોમાં તેઓ પણ વધારેમાં વધારે હોશિયારીથી ભાગ લઈ શકે એટલા માટે, એમને શિક્ષણ આપવું જોઈએ.

સમાજનાં પૈડાં

ઈઝરાયેલમાં વિમાનચાલક તથા ચીનમાં એજીન ડ્રાયવર મોટે ભાગે સ્ત્રીઓ જ બને છે. બ્રિટન તથા અમેરિકામાં અનેક ઔદ્યોગિક પેઢીઓમાં પુરૂષોની સાથે સાથે સ્ત્રીઓ પણ કામ કરે છે. ધીરે ધીરે અનેક દેશોમાં એમને પુરૂષોની સમકક્ષ કર્તવ્ય તથા અધિકાર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. એ જરૂરી પણ છે, કારણ કે સ્ત્રી અને પુરૂષ સમાજરૂપી ગાડીનાં બે પૈડાં છે. એક વગર બીજાની તથા સમગ્ર સમાજની પ્રગતિ શક્ય નથી.

ફૂલોથી પણ કોમળ અને વજથી પણ કઠોર :

જેરૂસલેમનો એક માણસ સાંજે ઘેર આવ્યો તો એણે જોયું કે તેની પત્ની ઘર નથી, પરંતુ એની ગેરહાજરીના લીધે કોઈ ખાસ મુશ્કેલી ન પડી. ટેબલ પર થાળી તૈયાર હતી. સાથે ટૂંકો પત્ર પણ હતો, જેમાં લખ્યું હતું, “પ્રિય મને સેનામાં બોલાવી લીધી છે, તમે ભોજન કરી લેજો. ” તે ભોજન કરીને બેઠો હતો, ત્યાં જ મોરચા પરથી તેની પત્નીનો ફોન આવ્યો કે, “ નવાં મોજાં પહેરવાનું ન ભૂલતા કે જે મેં તમારા માટે ગૂંથીને તૈયાર કર્યા છે. યુધ્ધ પૂરૂ થયા પછી આપણી મુલાકાત થશે.”

આ કોઈ વાર્તા નથી પણ સત્યઘટના છે, જે ઈઝરાયેલમાં જાણીતી છે. ત્યાંના દરેક યુવાન પતિને ઘણી વખત આ રીતે એકલા રહેવું પડે છે. યુદ્ધના સમય દરમિયાન ત્યાંની યુવાન સ્ત્રીઓ સ્વેચ્છાએ રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક બની ભાગ લે છે.

નથણીનું પ્રદર્શન

એક ગરીબ ખેડૂતે પોતાની પત્નીના બહુ આગ્રહને લીધે એના માટે એક નથણી ઘડાવી આપી. પત્નીને ઉતાવળ હતી કે બધા લોકો એની નથણીની પ્રસંશા કરે. તે સૌથી પહેલી મંદિરના પૂજારી પાસે ગઈ. પગે લાગીને પ્રણામ કર્યા. પૂજારી સમજી ગયો કે આજે બપોરે પ્રણામ કરવાનું શું કારણ છે. પૂજારીએ કહ્યું, “ બેટી, નથણી ઘડાવી આપનારને ધન્યવાદ આપ. પણ ક્યારેક એમને પણ યાદ કરજે કે જેણે તને નથણી પહેરવા નાક આપ્યું છે. ” મહિલા સમજી ગઈ કે મોટાઈ પ્રદર્શનમાં નથી.

વ્યસ્તતાના ફાયદા :

નારીની ઉપેક્ષા કરવાને લીધે જ તેનામાં અનેક દુર્ગુણ વિકસે છે. જો તેના ઉપર ધ્યાન આપી શકાય તથા થોડી જવાબદારી સોંપી સ્વાવલંબી બનાવવામાં આવે તો કોઈ ખરાબ વૃત્તિઓ વિકસવાનો પ્રશ્ન જ ઊઠતો નથી.

એક શેઠનો પુત્ર વ્યાપારમાં બહુ વ્યસ્ત હતો. ઘર તરફ ધ્યાન આપી શકતો ન હતો. એની પત્ની બહુ રૂપાળી હતી. ઘરમાં કામકાજ ન હતું. આખો દિવસ નવરી, એટલે બેઠાં બેઠાં શણગાર સજ્યા કરે. એક દિવસ તેણીએ દાસીને કહ્યું, કોઈ રૂપાળો યુવક શોધી લાવજે. એના માટે મારૂ મન તડપી રહ્યું છે. ” દાસીએ આ વાત તેના સસરાને કહી દીધી. એના સસરા નવરા બેસવાનું પરિણામ આવું આવે છે તે સમજી ગયા. બીજા જ દિવસથી વહુને ઘર અને વેપારનાં ઢગલાબંધ કામ સોંપી દીધાં. તે સવારે વહેલા ઉઠતી ને છેક મોડી રાત સુધી કામમાં રોકાયેલી રહેતી. દાસીએ સસરાના સંકેત પ્રમાણે સુંદર યુવક શોધી લાવવાની વાત ફરી પૂછી, ત્યારે વહુએ કહ્યું, “ હવે કામમાં મન ચોંટી ગયું છે. તેથી બીજું વિચારવાનો સમય જ નથી મળતો. ” વ્યસ્તતામાં બુદ્ધિ, સ્વાચ્ય, ધન, કૌશલ્ય, પ્રતિભા વગેરે ગુણો વધારવા ઉપરાંત ચારિત્ર્યનું રક્ષણ કરવાનો ગુણ પણ છે.

સર્વોત્તમ આભૂષણ લજ્જા :

નારીનું સ્વભાવિક સ્વરૂપ શીલ છે. તે જ સૌથી મોટું આભૂષણ છે. અરસ્તુને એક કન્યા હતી. તેનું નામ પીથિયા હતું. અરસ્તુના શિષ્ય સિકંદરની રાણીઓ એક દિવસ ગુરૂને ઘેર ગઈ. એમનું આતિથ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ એમણે પીથિયાને પૂછયું, “ ચહેરાને સુંદર બનાવવા માટે શું ચોપડીએ ? ” પીથિયાએ જવાબ આપ્યો, “ લજ્જા. એ સૌથી સુંદર ચીજ છે. એ જો તમે રાખશો તો તમારે બીજુ કંઈપણ લગાડવાની જરૂર નથી. જે શીલવાન હોય તે જ સૌંદર્યવાન છે.

વનસ્થળી તથા હીરાલાલ શાસ્ત્રી :

રાજસ્થાનના હીરાલાલ શાસ્ત્રી એક સામાન્ય શિક્ષક હતા. એમણે નોકરી કરીને પેટ ભરવાના બદલે નારી શિક્ષણને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું અને એક નાનકડા ગામમાં પોતાની જાતે એક નાનુ કન્યા વિદ્યાલય ચલાવવા લાગ્યા. સાચા મનથી ચલાવવામાં આવતા વિદ્યાલયની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. લોકોએ એને ખૂબ સમર્થન આપ્યું. એક છાપરામાં શરૂ થયેલું ‘ વનસ્થળી બાલિકા વિદ્યાલય ‘ દેશની પ્રખ્યાત શિક્ષણ સંસ્થામાંની એક છે. શાસ્ત્રીજી પ્રત્યે લોકોને ખૂબ શ્રધ્ધા જન્મી. લોકસેવકોએ એમને રાજસ્થાનના મુખ્યમંત્રીના પદ પર સ્થાપિત કર્યા. એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટો બહાર પડી. આ મહાન લોકસેવા પાછળ નારી ( બાલિકા ) ની પ્રેરણા અને શુભેચ્છાઓ છુપાયેલી હતી.

બુરખો કાઢી નાખ્યો :

સન ૧૯૩૦ ની વાત છે. મિસરની એક વિચારશીલ મહિલા વિદેશના પ્રવાસે નીકળી અને પોતાના દેશમાં પણ નવજાગરણની હવા ફેલાવવા લાગી. એનું નામ હતું શાનતવી. જ્યારે તેના સ્વાગત માટે બંદર ઉપર ઘણા લોકો આવ્યા, તો એણે બધાની સામે પોતાનો બુરખો સમૂહમાં નાખી દીધો. ત્યાં હાજર રહેલી સેંકડો સ્ત્રીઓએ એનું અનુકરણ કર્યું. ત્યારથી જ બુરખા વિરોધી આંદોલન ઝડપથી ફેલાઈ ગયું.  

શ્રમશીલ રાણી :

ધનવાન હોવાથી શું ? પરિશ્રમી જીવનમાં જે આનંદ છે, તે નવરા બેઠાં બેઠાં વૈભવશાળી જીવન જીવવામાં નથી. ઈંગલેન્ડના રાજા એડવર્ડ સાતમાની પત્ની એલેક્ઝાન્દ્રા શરૂઆતથી જ ખૂબ મહેનતુ હતી. નવરા બેસી રહેવાનું એને જરાપણ ગમતું નહોતું. ઘરમાં બધું કામ કરવા માટે નોકરો હતા. તે કયું કામ કરે ? એણે ગરીબો માટે પોતાના હાથે કપડાં શીવવા માંડયાં અને તે પછી તે આજીવન તેમને કપડાં સીવીને વહેંચતી રહી અને પુણ્ય – પરમાર્થની ભાગીદાર પણ બની.

પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫

પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫

બોધ : પહેલ પાડયા વગરનો હીરો પણ કાચ જેવો દેખાય છે . પહેલ પાડ્યાથી જ હીરાનું સૌંદર્ય ચમકે છે અને કિંમત વધે છે . તેમ પરિસ્થિતિને અનુરૂપ જ નારી શ્રેષ્ઠ , મધ્યમ અને હલકા સરની દેખાય છે . એનું સ્વરૂપ સ્ફટિકમણિની જેમ સ્વચ્છ છે . આ એક વિચારવા લાયક તથ્ય છે કે નારી ભાવના પ્રધાન છે . એની ભાવનાને ચોટ ન લાગવી જોઈએ . એને ઉચિત સ્નેહ , સન્માન , પ્રોત્સાહન , પ્રશિક્ષણ અને સહયોગ આપવામાં આવે તો તેની પ્રતિભા ઘાણી ખીલે છે અને મહાન કાર્યો કરી શકે છે .

મોકો મળ્યો તો , પરાક્રમ કરી બતાવ્યુ :

બંગાળના વર્ધમાન જીલ્લાના જમીનદારની પુત્રવધૂ શારદા સુંદરી અઢાર વર્ષની નાની ઉંમરે વિધવા થયાં . ઈંગ્લેન્ડ સરકારે માત્ર પંદરસો રૂપિયા વાર્ષિક પેન્શન બાંધી આપીને જમીન જાગીર જપ્ત કરી લીધી . સરકાર સામે સુપ્રિમકોર્ટ સુધી લડીને તેમણે પોતાનું રાજય પાછુ મેળવી લીધું . કુટુંબના સભ્યો તેમને સાથ આપતા ન હતા . છતાં પણ તેમણે પોતાના બળે રાજ્ય ચલાવ્યું . પતિ લાખો રૂપિયાનું દેવું મૂકી ગયા હતા તે દેવું ચૂકવ્યું અને કમાણીનો મોટોભાગ તે ક્ષેત્રનાં નિધન બાળકોની ઉન્નતિ માટે ખર્ચો . તેઓ આશરે સાંઈઠ લાખ રૂપિયા રાજ્યનું પછાતપણું દૂર કરવા માટે ખર્ચતાં હતાં . તેમનું પોતાનું જીવન સાદું હતું . એમની વ્યવસ્થાથી ખુશ થઈને અંગ્રેજ સરકારે એમને ‘ મહારાણી’ની ઉપાધિ આપી . એમનું કૌશલ્ય આજે પણ વખાણવામાં આવે છે . અવસર મળે તો સ્ત્રીઓ પણ શું નથી કરી શકતી ?

પ્રતિભાશાળી દુર્ગાબાઈ દેશમુખ :

સત્યાગ્રહ આંદોલન શરૂ થયું તો તેમાં તેમણે ઝંપલાવ્યું . તે પ્રદેશના કોગ્રેસ સંચાલક શ્રીનિવાસ જેલમાં ગયા તો પોતાની જગ્યા પર દુર્ગાબાઈની નિયુક્તિ કરતા ગયા . એમણે આંદોલનનું એટલું સરસ સંચાલન કર્યું કે પહેલાંના કરતાં પણ વધારે પ્રગતિ થઈ . એમને પણ જેલમાં જવું પડયું . છૂટયા બાદ તેમણે આખા પ્રાંતમાં હિન્દીનો પ્રચાર કર્યો . મહિલાઓના સુધારા માટે એમણે બે પ્રાંતમાં ફરી ફરીને બહુ કામ કર્યું . ભારતીય બંધારણ ઘડનાર સમિતિમાં પણ તેઓ સભ્ય હતાં. મોટી ઉંમરે એમણે ભારતના નાણાં પ્રધાનશ્રી સી.ડી. દેશમુખ સાથે લગ્ન કર્યા અને રાષ્ટ્ર કલ્યાણનાં કાર્યો ચાલુ રાખ્યાં.

લાખો માટે આશાનું કિરણ – હેલન કીલરઃ

હેલન કીલર સાથે પ્રકૃતિએ જુલમ ગુજારવામાં કશું જ બાકી રહેવા દીધું ન હતું. તે આંધળી, બહેરી અને મૂંગી એ ત્રણેય વ્યથાઓથી પીડાતી હતી, પણ પોતાની સૂઝ, સમજણ અને સંકલ્પબળની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાનો કોઈને કોઈ રસ્તો શોધી કાઢતી અને બુધ્ધિની કુશળતાથી સફળતા મેળવતી ગઈ. એણે અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને સાથે જર્મન અને લેટિન ભાષામાં પ્રવીણતા મેળવી. ઘરમાં પણ રોટલી બનાવવાથી માંડીને કપડાં ધોવા જેવાં દરેક કાર્ય સરળતાથી કરી લેતી. એણે કુશળતાનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નથી કર્યો. પરંતુ અપંગોના શિક્ષણ તથા સ્વાવલંબન માટે આખા વિશ્વમાં ભ્રમણ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા. એની વિદ્યાથી પ્રભાવિત થઈને કેટલી વિશ્વવિદ્યાલયોએ એને “ માનદ ડોક્ટરેટ’ની ઉપાધિ આપી. લોકો એને જોઈને વિશ્વની આઠમી અજાયબી કહેતા હતા.

કલમમાંથી આગ પ્રગટી :

હેરીએટ સેં અમેરિકન મહિલા છે. જેની કલમમાંથી આગ પ્રગટી અને એણે દક્ષિણ આફ્રિકાના નિગ્રો સમુદાય વિરૂધ્ધ ચાલી રહેલા અત્યાચારોને ઉઘાડા પાડયા. એ વખતે નિગ્રોને આફ્રિકામાંથી જાનવરોની જેમ પકડી લાવી વેચવામાં આવતા હતા. એમને પશુઓ કરતાં પણ ખરાબ રીતે રાખવામાં આવતા. પરંતુ એમનો પક્ષ લે તેવું કોઈ ન હતું. તે માટે હેરીએટ સ્ટોએ એક પુસ્તક લખ્યું, “ ટોમ કાકાની ઝૂંપડી. ” એમાં અત્યાચારો એવી માર્મિક ભાષામાં વ્યક્ત કર્યા હતા કે જેઓ તે પુસ્તક વાંચતા તેઓ ચોંકી ઉઠતા અને રડી પડતા. પરિણામે આ સમયસ્યાને દૂર કરવા માટે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ગૃહયુધ્ધ ફાટી નીકળ્યું. દાસપ્રથાની વિરૂધ્ધમાં કાયદો ઘડવામાં આ પુસ્તકનો મોટો હાથ હતો. તે વખતના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને એની ખૂબ ખૂબ પ્રસંશા કરી હતી.

એ એના સહજ ભાવના શીલ મનોભાવનું જ પરિણામ હતું, કે તત્કાલીન પરિસ્થિતિઓનું આટલું સુંદર નિરૂપણ કરી રંગભેદ જેવી સમસ્યાને વિશ્વમંચ ઉપર લાવવામાં તે સફળ રહી.

સર્જન જનરલ મેરી :

ડો. મેરીને નોકરીની શરૂઆતમાં એક નાનકડા ગામમાં મોકલવામાં આવ્યાં. દવાખાનામાં ૧૫૦ પથારીઓ હતી, પણ માંડ ત્યાં ૧૫ પથારીઓ ભરાતી. દાયણો ઘેર ઘેર જઈને પ્રસૂતિ કરાવતી અને કમાણી કરી લેતી મેરીએ લોકોનો સંપર્ક સાધ્યો અને દાયણોને પણ સહમત કરી, ત્યાં તો ૧૫૦ ની જગ્યાએ ૩૦૦ પલંગ ભરેલા રહેવા લાગ્યા. મેરીની કામ કરવાની લગનીની સાથે એમની પદોન્નતિ પણ થઈ ગઈ. છેલ્લે તેઓ ‘ સર્જન જનરલ ‘ ના પદેથી રિટાયર્ડ થયાં. એમના સમયમાં હોસ્પીટલે ખૂબ જ ઉન્નતિ કરી હતી.

વીરબાળા તારાબાઈ : શિવાજીના વંશની એક રાણી તારાબાઈની દેશભક્તિ અને વીરતાનો અસાધારણ ઈતિહાસ છે. તારાબાઈનો પતિ યવન પક્ષમાં ભળી ગયો હતો. તેથી તેમણે પોતે રાજકાજ સંભાળી લીધુ અને શિવાજીની પરંપરા જીવિત રાખવા માટે રાજકાજ સંભળવાની સાથે સાથે દુશ્મનો અને વિશ્વાસઘાતીઓની સામે હિંમત અને સુઝબુઝથી લડતી રહી. સિત્તેર વર્ષની ઉંમરે પણ એમના જોશ અને કુશળતા નવયુવકો જેવાં જ હતાં. એ કુશળતા એમણે પોતાની જાતે પ્રાપ્ત કરી હતી. ન તો તેઓ ઢીંગલી બની રહ્યા કે ન સતી થયાં.

નર્સ આંદોલનની જન્મદાત્રી નાઈટિંગલ :

ફ્લોરેન્સ નાઈટિંગલનું મન પહેલેથી જ દીનદુઃખીઓની સેવામાં જીવન વિતાવવાનું હતું. તેથી તેણે નર્સનું શિક્ષણ મેળવવાની કોશિશ કરી. તેના પિતાને એ ના ગમ્યું અને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા. અંતે નાઈટિંગલની વાત માનવામાં આવી. ૩૩ વર્ષની ઉંમરે તે ક્રીમિયાના યુધ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા યુધ્ધના મોરચે ગઈ. તે જોઈને બીજી સ્ત્રીઓ પણ નર્સ સેવામાં સામેલ થઈ. પહેલાં ૧OO ઘાયલ વ્યક્તિમાંથી ૮૦ મરી જતા હતા. તેના બદલે હવે ત્યાં દર હજારે ૨૫ જેટલી વ્યક્તિ મૃત્યુ પામતી. યુધ્ધ પુરૂ થતાં તેણીએ નર્સોની ટ્રેનિંગ માટે એક વિદ્યાલય ખોલ્યું અને આખું જીવન પીડિતોની સેવામાં પુરૂં કર્યું.

તિરંગો ઝંડો અને મેડમ કામા :

મુંબઈના શ્રી રાવજી પટેલે પોતાની પુત્રી ભીકાજી કામાને વધુ અભ્યાસાર્થે એલેક્ઝાન્ડ્રિયા કન્યા વિદ્યાલયમાં ભણવા મોકલી. એ વખતે જર્મનીમાં વિશ્વ સમાજવાદી સંમેલન થયું. એમાં સ્વતંત્ર દેશો જ ભાગ લઈ રહ્યા હતા. ભારત પરાધીન દેશ હોવાને લીધે તેમાં પ્રવેશ ન મળ્યો. એનું કામાને

બહું જ દુ : ખ થયું અને તેઓ સ્વેચ્છાપૂર્વક પ્રતિનિધિ બનીને સંમેલનમાં ગયાં. સાડીનો એક છેડો ફાડીને તિરંગો ઝંડો બનાવ્યો અને એ લગાવ્યો. હાજર રહેલા દેશોએ ભારતનો જયજયકાર કર્યો. તિરંગા ઝંડાની જન્મદાત્રી ભીકાજી કામા જ હતાં. પાછળથી એમાં થોડો સુધારો કરવામાં આવ્યો. સ્વતંત્રતા માટે રાષ્ટ્રીય આંદોલનનાં સક્રિય કાર્યકર્તા હતાં.

%d bloggers like this: