નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭

નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭

બોધ : ઘરનાં કૌટુમ્બિક કાર્યોમાં પુરૂષ સ્ત્રીને મદદ કરે. એમને એટલો અવકાશ આપે કે પરિવારની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટ સારી રીતે કરી શકે. વાતચીત,  કલાકારીગરી તથા સમસ્યાઓના નિરાકરણમાં પોતાની ભૂમિકા નિભાવી શકે.

આગામી સમય ખરેખર ભાવપ્રધાન હશે અને એનું સંચાલન નારીશકિત કરશે. પુરૂષ સ્ત્રીને વિકાસ કરવા માટે આગળ વધવાની તક ન આપે તે સૃષ્ટાની ઈચ્છા વિરૂધ્ધ છે. એટલું જ નહીં પણ તેમાં મનુષ્યની તુચ્છતા રહેલી છે. નવો સમાજ લાવવા માટે,  નવનિર્માણ કરવા માનવમાં દેવત્વ જગાડવા તથા ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન કરવા માટે નારીશકિતને ખીલવવી, તેને પ્રખર બનાવવી તે આજના યુગની એક મહત્વની જરૂરિયાત છે. આગામી દિવસોમાં નારી દ્વારા વિશ્વનું નેતૃત્વ કરવામાં આવશે એવી સંભાવના વિશેષ છે. એનું કારણ એ છે કે કચડાયેલા વર્ગને ભવિષ્યમાં અતિ વિષમ બંધનોમાંથી મૂકત થવાનો અવસર મળવાનો જ છે. એ ઈશ્વરીય ન્યાયનું વિધાન છે.

ભાવિ પ્રગતિમાં નારીની ભૂમિકા :

રશિયાના સ્ટાલીન કહેતા હતા કે સ્ત્રીઓને ઘણા લાંબા સમય પછી માનવીય અધિકારો મળ્યા છે. એમનામાં પુરૂષ સમોવડી બનવાનો કે શ્રેષ્ઠતા બતાવવાનો ઉમંગ – ઉત્સવ ઉભરાય તો એને ઉચિત માનવો જોઈએ. એને પોતાની પ્રસુપ્ત શક્તિને જાગૃત કરવાનો આધાર અને પુરૂષો સાથેની સ્પર્ધામાં વિજયી બનવાનો અવસર મળવો જોઈએ. પરંતુ આટલું પુરતું નથી. એમણે બે કદમ આગળ વધીને આ કાર્ય પોતાના માથે લેવું જોઈએ કે જેથી તેઓ નવી પેઢીને પ્રતિભાવાન બનાવે. નવી પેઢી જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. એની પ્રગતિ ઉપર જ સૌની પ્રગતિનો આધાર છે. આ કાર્યમાં સ્ત્રીઓ હંમેશા પુરૂષો કરતાં આગળ રહી છે. આ રીતે સ્ત્રીઓ જ નવાયુગની જન્મદાત્રી બનશે.

વિદ્વતામાં ભારતી વધારે આગળ :

મિથિલાના મહાપંડિત મંડનમિશ્ર અને જગદગુરૂ શંકરાચાર્ય વચ્ચે શાસ્ત્રાર્થ થયો. મંડનમિશ્ર હારવા લાગ્યા તો એમની પત્ની ભારતી જે એમના જેવી જ વિદ્વાન હતી,  તેણે કહ્યું કે મિશ્રજીના અડધા અંગરૂપે હું હાજર છું. શાસ્ત્રાર્થનો ઉત્તરાર્ધ હું પુરો કરીશ. લાંબા સમય સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. ભારતીની વિદ્ધતા જોઈને બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા. છેવટે પતિપત્ની બંને હારી ગયાં. એમણે શંકરાચાર્ય પાસેથી દીક્ષા લીધી અને વેદધર્મનો પ્રચાર કરવા લાગ્યાં.

નારી જાગરણની સંચાલિકા રામાદેવી

દુર્ભાગ્યે જન્મથી માંડીને ઘડપણ સુધી રામાબાઈનો પીછો ન છોડ્યો. માતાપિતા મરી ગયાં તથા ભાઈબહેન પણ મોતને ભેટયાં. ૩૦ વર્ષે વિધવા થઈ ગયાં. એમને એક પુત્રી હતી. મદદ કરે એવું પોતાનું કોઈ નહોતું. આવી પરિસ્થિતિમાં કોઈની મદદ મેળવવાની આશા રાખવાને બદલે રામાબાઈ પોતાના પગ ઉપર ઉભાં થયાં. પિતાજી કથાપુરાણ વાંચતા હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. બસ પિતા તરફથી એમને એ જ અનુદાન વારસારૂપે મળ્યું હતું. તેથી તેઓ પણ કર્થાવાર્તા કરીને આજીવિકા મેળવવા લાગ્યાં. સાથે સાથે ઠેર ઠેર ભ્રમણ કરતાં કરતાં પોતાનું શિક્ષણ પણ વધાર્યું. અંગ્રેજીનું સારૂ એવું જ્ઞાન મેળવ્યા પછી એમને ઈગ્લેન્ડ જવાની પણ તક મળી.

ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ નારી ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયાં. એમણે મહિલાઓ માટે કેટલાંય વિદ્યાલયો અને છાત્રાલયો ખોલાવ્યાં. જે કુરિવાજોના કારણે ભારતીય નારીને દબાઈ ચંપાઈને રહેવું પડતું હતું,  એ દૂર કરવા માટે એમણે કાંઈ બાકી ન રાખ્યું. નારી જાગરણ માટે અનેક સંગઠનો બનાવ્યાં તથા વિરોધીઓની ચિન્તા કર્યા વગર પોતાના કામમાં બહાદુરીપૂર્વક આગળ વધ્યાં. ધર્મ,  સંપ્રદાય,  નાત – જાતના ભેદભાવ વગર જાગૃત નારીઓએ નારી જાગરણ સંગઠનો બનાવવાં જોઈએ. જે દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રો, મહિલા ઉદ્યોગ કેન્દ્રો ચલાવવા અને કુરિવાજો તથા નશાખોરી જેવાં દૂષણો દૂર કરવાનાં કાર્યો કરવાં જોઈએ. નારી સામે ધાર્મિક કે સામાજિક પ્રતિબંધો હોય કે તેઓનું શોષણ થતુ હોય ત્યાં મહિલા સંગઠનો એ દોડી જેવું જોઈએ. ઈશ્વર નારીને આગળ લાવવા માગે છે, પણ જે પોતાની સહાયતા કરે છે તેને ઈશ્વર પણ સહાયતા કરે છે, તે સૂત્ર આચરણમાં મૂકવું જોઈએ.

દેવસંસ્કૃતિને સમર્પિત વિદેશી નારી

એની બેસન્ટ આયર્લેન્ડમાં જન્મ્યાં હતાં, ઈગ્લેન્ડમાં ઉછર્યા અને સેવામય જીવન ગાળવા માટે ભારત આવ્યાં. તેઓ ખ્રિસ્તી હતાં, પરંતુ અધ્યયન અને ચિંતન મનને એમને સાચાં હિન્દુ બનાવી દીધાં. આ દેશની સેવા કરવા માટે એમણે યથા સમયે કેટલીય પ્રવૃત્તિઓ શરૂ કરી અને આગળ વધારી. એમણે મદ્રાસમાં આવેલ આદિયારમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. કાશીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ શરૂ કરી, જે આગળ જતાં હિન્દુ વિશ્વ વિદ્યાલય બની ગયું. તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યાં હતાં. અંગ્રેજીનું એક સાપ્તાહિક લાંબા સમય સુધી ચલાવ્યું. તેઓ ૧૦૬ વર્ષ જીવ્યાં અને ભારતને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. શિક્ષિત નારી કેટલું બધું કરી લે છે. તેનો દાખલો છે. આપણે જેટલી વધુ મહિલા જાગૃતિ લાવીશું તેટલો ફાયદો છે.

નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬

નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬

બોધ : વિચારશીલ લોકોની એ જવાબદારી છે કે નારીશિક્ષણમાં કોઈ કમી ના રાખે. નારીને સ્વાવલંબી બનાવવી જોઈએ. તે શીલવાન બને તે જરૂરી છે. પરંતુ એટલી સંકોચશીલ પણ ન બને કે જેનાથી વિચારવા, બોલવા અને કાર્ય કરવાની ક્ષમતા જ ખોઈ બેસે. એને ગુલામ ન બનાવવામાં આવે. ગૃહલક્ષ્મીના રૂપમાં એનો વિકાસ કરવામાં આવે અને મુશ્કેલીમાં સાથ આપી શકે.

સુભાષચંદ્ર બોઝની ક્રાંતિકારી મહિલાસેના :

નેતાજી સુભાષચંદ્ર બોઝ મહિલાઓની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. એમણે સ્ત્રીઓની ક્રાન્તિકારી સેના તૈયાર કરી હતી. તેઓ કહેતા હતા કે “ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચુ હોવું જોઈએ. ” સાર્વજનિક કાર્યોમાં તેઓ પણ વધારેમાં વધારે હોશિયારીથી ભાગ લઈ શકે એટલા માટે, એમને શિક્ષણ આપવું જોઈએ.

સમાજનાં પૈડાં

ઈઝરાયેલમાં વિમાનચાલક તથા ચીનમાં એજીન ડ્રાયવર મોટે ભાગે સ્ત્રીઓ જ બને છે. બ્રિટન તથા અમેરિકામાં અનેક ઔદ્યોગિક પેઢીઓમાં પુરૂષોની સાથે સાથે સ્ત્રીઓ પણ કામ કરે છે. ધીરે ધીરે અનેક દેશોમાં એમને પુરૂષોની સમકક્ષ કર્તવ્ય તથા અધિકાર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. એ જરૂરી પણ છે, કારણ કે સ્ત્રી અને પુરૂષ સમાજરૂપી ગાડીનાં બે પૈડાં છે. એક વગર બીજાની તથા સમગ્ર સમાજની પ્રગતિ શક્ય નથી.

ફૂલોથી પણ કોમળ અને વજથી પણ કઠોર :

જેરૂસલેમનો એક માણસ સાંજે ઘેર આવ્યો તો એણે જોયું કે તેની પત્ની ઘર નથી, પરંતુ એની ગેરહાજરીના લીધે કોઈ ખાસ મુશ્કેલી ન પડી. ટેબલ પર થાળી તૈયાર હતી. સાથે ટૂંકો પત્ર પણ હતો, જેમાં લખ્યું હતું, “પ્રિય મને સેનામાં બોલાવી લીધી છે, તમે ભોજન કરી લેજો. ” તે ભોજન કરીને બેઠો હતો, ત્યાં જ મોરચા પરથી તેની પત્નીનો ફોન આવ્યો કે, “ નવાં મોજાં પહેરવાનું ન ભૂલતા કે જે મેં તમારા માટે ગૂંથીને તૈયાર કર્યા છે. યુધ્ધ પૂરૂ થયા પછી આપણી મુલાકાત થશે.”

આ કોઈ વાર્તા નથી પણ સત્યઘટના છે, જે ઈઝરાયેલમાં જાણીતી છે. ત્યાંના દરેક યુવાન પતિને ઘણી વખત આ રીતે એકલા રહેવું પડે છે. યુદ્ધના સમય દરમિયાન ત્યાંની યુવાન સ્ત્રીઓ સ્વેચ્છાએ રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક બની ભાગ લે છે.

નથણીનું પ્રદર્શન

એક ગરીબ ખેડૂતે પોતાની પત્નીના બહુ આગ્રહને લીધે એના માટે એક નથણી ઘડાવી આપી. પત્નીને ઉતાવળ હતી કે બધા લોકો એની નથણીની પ્રસંશા કરે. તે સૌથી પહેલી મંદિરના પૂજારી પાસે ગઈ. પગે લાગીને પ્રણામ કર્યા. પૂજારી સમજી ગયો કે આજે બપોરે પ્રણામ કરવાનું શું કારણ છે. પૂજારીએ કહ્યું, “ બેટી, નથણી ઘડાવી આપનારને ધન્યવાદ આપ. પણ ક્યારેક એમને પણ યાદ કરજે કે જેણે તને નથણી પહેરવા નાક આપ્યું છે. ” મહિલા સમજી ગઈ કે મોટાઈ પ્રદર્શનમાં નથી.

વ્યસ્તતાના ફાયદા :

નારીની ઉપેક્ષા કરવાને લીધે જ તેનામાં અનેક દુર્ગુણ વિકસે છે. જો તેના ઉપર ધ્યાન આપી શકાય તથા થોડી જવાબદારી સોંપી સ્વાવલંબી બનાવવામાં આવે તો કોઈ ખરાબ વૃત્તિઓ વિકસવાનો પ્રશ્ન જ ઊઠતો નથી.

એક શેઠનો પુત્ર વ્યાપારમાં બહુ વ્યસ્ત હતો. ઘર તરફ ધ્યાન આપી શકતો ન હતો. એની પત્ની બહુ રૂપાળી હતી. ઘરમાં કામકાજ ન હતું. આખો દિવસ નવરી, એટલે બેઠાં બેઠાં શણગાર સજ્યા કરે. એક દિવસ તેણીએ દાસીને કહ્યું, કોઈ રૂપાળો યુવક શોધી લાવજે. એના માટે મારૂ મન તડપી રહ્યું છે. ” દાસીએ આ વાત તેના સસરાને કહી દીધી. એના સસરા નવરા બેસવાનું પરિણામ આવું આવે છે તે સમજી ગયા. બીજા જ દિવસથી વહુને ઘર અને વેપારનાં ઢગલાબંધ કામ સોંપી દીધાં. તે સવારે વહેલા ઉઠતી ને છેક મોડી રાત સુધી કામમાં રોકાયેલી રહેતી. દાસીએ સસરાના સંકેત પ્રમાણે સુંદર યુવક શોધી લાવવાની વાત ફરી પૂછી, ત્યારે વહુએ કહ્યું, “ હવે કામમાં મન ચોંટી ગયું છે. તેથી બીજું વિચારવાનો સમય જ નથી મળતો. ” વ્યસ્તતામાં બુદ્ધિ, સ્વાચ્ય, ધન, કૌશલ્ય, પ્રતિભા વગેરે ગુણો વધારવા ઉપરાંત ચારિત્ર્યનું રક્ષણ કરવાનો ગુણ પણ છે.

સર્વોત્તમ આભૂષણ લજ્જા :

નારીનું સ્વભાવિક સ્વરૂપ શીલ છે. તે જ સૌથી મોટું આભૂષણ છે. અરસ્તુને એક કન્યા હતી. તેનું નામ પીથિયા હતું. અરસ્તુના શિષ્ય સિકંદરની રાણીઓ એક દિવસ ગુરૂને ઘેર ગઈ. એમનું આતિથ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ એમણે પીથિયાને પૂછયું, “ ચહેરાને સુંદર બનાવવા માટે શું ચોપડીએ ? ” પીથિયાએ જવાબ આપ્યો, “ લજ્જા. એ સૌથી સુંદર ચીજ છે. એ જો તમે રાખશો તો તમારે બીજુ કંઈપણ લગાડવાની જરૂર નથી. જે શીલવાન હોય તે જ સૌંદર્યવાન છે.

વનસ્થળી તથા હીરાલાલ શાસ્ત્રી :

રાજસ્થાનના હીરાલાલ શાસ્ત્રી એક સામાન્ય શિક્ષક હતા. એમણે નોકરી કરીને પેટ ભરવાના બદલે નારી શિક્ષણને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું અને એક નાનકડા ગામમાં પોતાની જાતે એક નાનુ કન્યા વિદ્યાલય ચલાવવા લાગ્યા. સાચા મનથી ચલાવવામાં આવતા વિદ્યાલયની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. લોકોએ એને ખૂબ સમર્થન આપ્યું. એક છાપરામાં શરૂ થયેલું ‘ વનસ્થળી બાલિકા વિદ્યાલય ‘ દેશની પ્રખ્યાત શિક્ષણ સંસ્થામાંની એક છે. શાસ્ત્રીજી પ્રત્યે લોકોને ખૂબ શ્રધ્ધા જન્મી. લોકસેવકોએ એમને રાજસ્થાનના મુખ્યમંત્રીના પદ પર સ્થાપિત કર્યા. એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટો બહાર પડી. આ મહાન લોકસેવા પાછળ નારી ( બાલિકા ) ની પ્રેરણા અને શુભેચ્છાઓ છુપાયેલી હતી.

બુરખો કાઢી નાખ્યો :

સન ૧૯૩૦ ની વાત છે. મિસરની એક વિચારશીલ મહિલા વિદેશના પ્રવાસે નીકળી અને પોતાના દેશમાં પણ નવજાગરણની હવા ફેલાવવા લાગી. એનું નામ હતું શાનતવી. જ્યારે તેના સ્વાગત માટે બંદર ઉપર ઘણા લોકો આવ્યા, તો એણે બધાની સામે પોતાનો બુરખો સમૂહમાં નાખી દીધો. ત્યાં હાજર રહેલી સેંકડો સ્ત્રીઓએ એનું અનુકરણ કર્યું. ત્યારથી જ બુરખા વિરોધી આંદોલન ઝડપથી ફેલાઈ ગયું.  

શ્રમશીલ રાણી :

ધનવાન હોવાથી શું ? પરિશ્રમી જીવનમાં જે આનંદ છે, તે નવરા બેઠાં બેઠાં વૈભવશાળી જીવન જીવવામાં નથી. ઈંગલેન્ડના રાજા એડવર્ડ સાતમાની પત્ની એલેક્ઝાન્દ્રા શરૂઆતથી જ ખૂબ મહેનતુ હતી. નવરા બેસી રહેવાનું એને જરાપણ ગમતું નહોતું. ઘરમાં બધું કામ કરવા માટે નોકરો હતા. તે કયું કામ કરે ? એણે ગરીબો માટે પોતાના હાથે કપડાં શીવવા માંડયાં અને તે પછી તે આજીવન તેમને કપડાં સીવીને વહેંચતી રહી અને પુણ્ય – પરમાર્થની ભાગીદાર પણ બની.

પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫

પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫

બોધ : પહેલ પાડયા વગરનો હીરો પણ કાચ જેવો દેખાય છે . પહેલ પાડ્યાથી જ હીરાનું સૌંદર્ય ચમકે છે અને કિંમત વધે છે . તેમ પરિસ્થિતિને અનુરૂપ જ નારી શ્રેષ્ઠ , મધ્યમ અને હલકા સરની દેખાય છે . એનું સ્વરૂપ સ્ફટિકમણિની જેમ સ્વચ્છ છે . આ એક વિચારવા લાયક તથ્ય છે કે નારી ભાવના પ્રધાન છે . એની ભાવનાને ચોટ ન લાગવી જોઈએ . એને ઉચિત સ્નેહ , સન્માન , પ્રોત્સાહન , પ્રશિક્ષણ અને સહયોગ આપવામાં આવે તો તેની પ્રતિભા ઘાણી ખીલે છે અને મહાન કાર્યો કરી શકે છે .

મોકો મળ્યો તો , પરાક્રમ કરી બતાવ્યુ :

બંગાળના વર્ધમાન જીલ્લાના જમીનદારની પુત્રવધૂ શારદા સુંદરી અઢાર વર્ષની નાની ઉંમરે વિધવા થયાં . ઈંગ્લેન્ડ સરકારે માત્ર પંદરસો રૂપિયા વાર્ષિક પેન્શન બાંધી આપીને જમીન જાગીર જપ્ત કરી લીધી . સરકાર સામે સુપ્રિમકોર્ટ સુધી લડીને તેમણે પોતાનું રાજય પાછુ મેળવી લીધું . કુટુંબના સભ્યો તેમને સાથ આપતા ન હતા . છતાં પણ તેમણે પોતાના બળે રાજ્ય ચલાવ્યું . પતિ લાખો રૂપિયાનું દેવું મૂકી ગયા હતા તે દેવું ચૂકવ્યું અને કમાણીનો મોટોભાગ તે ક્ષેત્રનાં નિધન બાળકોની ઉન્નતિ માટે ખર્ચો . તેઓ આશરે સાંઈઠ લાખ રૂપિયા રાજ્યનું પછાતપણું દૂર કરવા માટે ખર્ચતાં હતાં . તેમનું પોતાનું જીવન સાદું હતું . એમની વ્યવસ્થાથી ખુશ થઈને અંગ્રેજ સરકારે એમને ‘ મહારાણી’ની ઉપાધિ આપી . એમનું કૌશલ્ય આજે પણ વખાણવામાં આવે છે . અવસર મળે તો સ્ત્રીઓ પણ શું નથી કરી શકતી ?

પ્રતિભાશાળી દુર્ગાબાઈ દેશમુખ :

સત્યાગ્રહ આંદોલન શરૂ થયું તો તેમાં તેમણે ઝંપલાવ્યું . તે પ્રદેશના કોગ્રેસ સંચાલક શ્રીનિવાસ જેલમાં ગયા તો પોતાની જગ્યા પર દુર્ગાબાઈની નિયુક્તિ કરતા ગયા . એમણે આંદોલનનું એટલું સરસ સંચાલન કર્યું કે પહેલાંના કરતાં પણ વધારે પ્રગતિ થઈ . એમને પણ જેલમાં જવું પડયું . છૂટયા બાદ તેમણે આખા પ્રાંતમાં હિન્દીનો પ્રચાર કર્યો . મહિલાઓના સુધારા માટે એમણે બે પ્રાંતમાં ફરી ફરીને બહુ કામ કર્યું . ભારતીય બંધારણ ઘડનાર સમિતિમાં પણ તેઓ સભ્ય હતાં. મોટી ઉંમરે એમણે ભારતના નાણાં પ્રધાનશ્રી સી.ડી. દેશમુખ સાથે લગ્ન કર્યા અને રાષ્ટ્ર કલ્યાણનાં કાર્યો ચાલુ રાખ્યાં.

લાખો માટે આશાનું કિરણ – હેલન કીલરઃ

હેલન કીલર સાથે પ્રકૃતિએ જુલમ ગુજારવામાં કશું જ બાકી રહેવા દીધું ન હતું. તે આંધળી, બહેરી અને મૂંગી એ ત્રણેય વ્યથાઓથી પીડાતી હતી, પણ પોતાની સૂઝ, સમજણ અને સંકલ્પબળની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાનો કોઈને કોઈ રસ્તો શોધી કાઢતી અને બુધ્ધિની કુશળતાથી સફળતા મેળવતી ગઈ. એણે અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને સાથે જર્મન અને લેટિન ભાષામાં પ્રવીણતા મેળવી. ઘરમાં પણ રોટલી બનાવવાથી માંડીને કપડાં ધોવા જેવાં દરેક કાર્ય સરળતાથી કરી લેતી. એણે કુશળતાનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નથી કર્યો. પરંતુ અપંગોના શિક્ષણ તથા સ્વાવલંબન માટે આખા વિશ્વમાં ભ્રમણ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા. એની વિદ્યાથી પ્રભાવિત થઈને કેટલી વિશ્વવિદ્યાલયોએ એને “ માનદ ડોક્ટરેટ’ની ઉપાધિ આપી. લોકો એને જોઈને વિશ્વની આઠમી અજાયબી કહેતા હતા.

કલમમાંથી આગ પ્રગટી :

હેરીએટ સેં અમેરિકન મહિલા છે. જેની કલમમાંથી આગ પ્રગટી અને એણે દક્ષિણ આફ્રિકાના નિગ્રો સમુદાય વિરૂધ્ધ ચાલી રહેલા અત્યાચારોને ઉઘાડા પાડયા. એ વખતે નિગ્રોને આફ્રિકામાંથી જાનવરોની જેમ પકડી લાવી વેચવામાં આવતા હતા. એમને પશુઓ કરતાં પણ ખરાબ રીતે રાખવામાં આવતા. પરંતુ એમનો પક્ષ લે તેવું કોઈ ન હતું. તે માટે હેરીએટ સ્ટોએ એક પુસ્તક લખ્યું, “ ટોમ કાકાની ઝૂંપડી. ” એમાં અત્યાચારો એવી માર્મિક ભાષામાં વ્યક્ત કર્યા હતા કે જેઓ તે પુસ્તક વાંચતા તેઓ ચોંકી ઉઠતા અને રડી પડતા. પરિણામે આ સમયસ્યાને દૂર કરવા માટે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ગૃહયુધ્ધ ફાટી નીકળ્યું. દાસપ્રથાની વિરૂધ્ધમાં કાયદો ઘડવામાં આ પુસ્તકનો મોટો હાથ હતો. તે વખતના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને એની ખૂબ ખૂબ પ્રસંશા કરી હતી.

એ એના સહજ ભાવના શીલ મનોભાવનું જ પરિણામ હતું, કે તત્કાલીન પરિસ્થિતિઓનું આટલું સુંદર નિરૂપણ કરી રંગભેદ જેવી સમસ્યાને વિશ્વમંચ ઉપર લાવવામાં તે સફળ રહી.

સર્જન જનરલ મેરી :

ડો. મેરીને નોકરીની શરૂઆતમાં એક નાનકડા ગામમાં મોકલવામાં આવ્યાં. દવાખાનામાં ૧૫૦ પથારીઓ હતી, પણ માંડ ત્યાં ૧૫ પથારીઓ ભરાતી. દાયણો ઘેર ઘેર જઈને પ્રસૂતિ કરાવતી અને કમાણી કરી લેતી મેરીએ લોકોનો સંપર્ક સાધ્યો અને દાયણોને પણ સહમત કરી, ત્યાં તો ૧૫૦ ની જગ્યાએ ૩૦૦ પલંગ ભરેલા રહેવા લાગ્યા. મેરીની કામ કરવાની લગનીની સાથે એમની પદોન્નતિ પણ થઈ ગઈ. છેલ્લે તેઓ ‘ સર્જન જનરલ ‘ ના પદેથી રિટાયર્ડ થયાં. એમના સમયમાં હોસ્પીટલે ખૂબ જ ઉન્નતિ કરી હતી.

વીરબાળા તારાબાઈ : શિવાજીના વંશની એક રાણી તારાબાઈની દેશભક્તિ અને વીરતાનો અસાધારણ ઈતિહાસ છે. તારાબાઈનો પતિ યવન પક્ષમાં ભળી ગયો હતો. તેથી તેમણે પોતે રાજકાજ સંભાળી લીધુ અને શિવાજીની પરંપરા જીવિત રાખવા માટે રાજકાજ સંભળવાની સાથે સાથે દુશ્મનો અને વિશ્વાસઘાતીઓની સામે હિંમત અને સુઝબુઝથી લડતી રહી. સિત્તેર વર્ષની ઉંમરે પણ એમના જોશ અને કુશળતા નવયુવકો જેવાં જ હતાં. એ કુશળતા એમણે પોતાની જાતે પ્રાપ્ત કરી હતી. ન તો તેઓ ઢીંગલી બની રહ્યા કે ન સતી થયાં.

નર્સ આંદોલનની જન્મદાત્રી નાઈટિંગલ :

ફ્લોરેન્સ નાઈટિંગલનું મન પહેલેથી જ દીનદુઃખીઓની સેવામાં જીવન વિતાવવાનું હતું. તેથી તેણે નર્સનું શિક્ષણ મેળવવાની કોશિશ કરી. તેના પિતાને એ ના ગમ્યું અને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા. અંતે નાઈટિંગલની વાત માનવામાં આવી. ૩૩ વર્ષની ઉંમરે તે ક્રીમિયાના યુધ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા યુધ્ધના મોરચે ગઈ. તે જોઈને બીજી સ્ત્રીઓ પણ નર્સ સેવામાં સામેલ થઈ. પહેલાં ૧OO ઘાયલ વ્યક્તિમાંથી ૮૦ મરી જતા હતા. તેના બદલે હવે ત્યાં દર હજારે ૨૫ જેટલી વ્યક્તિ મૃત્યુ પામતી. યુધ્ધ પુરૂ થતાં તેણીએ નર્સોની ટ્રેનિંગ માટે એક વિદ્યાલય ખોલ્યું અને આખું જીવન પીડિતોની સેવામાં પુરૂં કર્યું.

તિરંગો ઝંડો અને મેડમ કામા :

મુંબઈના શ્રી રાવજી પટેલે પોતાની પુત્રી ભીકાજી કામાને વધુ અભ્યાસાર્થે એલેક્ઝાન્ડ્રિયા કન્યા વિદ્યાલયમાં ભણવા મોકલી. એ વખતે જર્મનીમાં વિશ્વ સમાજવાદી સંમેલન થયું. એમાં સ્વતંત્ર દેશો જ ભાગ લઈ રહ્યા હતા. ભારત પરાધીન દેશ હોવાને લીધે તેમાં પ્રવેશ ન મળ્યો. એનું કામાને

બહું જ દુ : ખ થયું અને તેઓ સ્વેચ્છાપૂર્વક પ્રતિનિધિ બનીને સંમેલનમાં ગયાં. સાડીનો એક છેડો ફાડીને તિરંગો ઝંડો બનાવ્યો અને એ લગાવ્યો. હાજર રહેલા દેશોએ ભારતનો જયજયકાર કર્યો. તિરંગા ઝંડાની જન્મદાત્રી ભીકાજી કામા જ હતાં. પાછળથી એમાં થોડો સુધારો કરવામાં આવ્યો. સ્વતંત્રતા માટે રાષ્ટ્રીય આંદોલનનાં સક્રિય કાર્યકર્તા હતાં.

સુધારક નારી, બોધવચન – ર૪

સુધારક નારી, બોધવચન – ર૪

બોધ : જ્યારે પણ કુટુંબમાં ઈચ્છિત વાતાવરણની જરૂર પડે છે, ત્યારે નારી એક માતાના રૂપમાં શિક્ષકની પણ ભૂમિકા નિભાવે છે. એના પોતાના કેળવેલા સુસંસ્કારો નારીને પ્રખર અને પ્રતિભાવાન બનાવી દે છે. એની વાણી તથા વિહાર અમોધ શસ્ત્રનું કામ કરે છે.

ગોપીચંદના જીવનનું પરિવર્તનઃ

બંગાળના રાજા ગોપીચંદ યુવાનીમાં અનેક વ્યસનોથી ઘેરાયેલા હતા. એમણે ઘણાં લગ્નો કર્યા અને મદ્યપાનની કુટેવ પાડી.

એમણી માતા હંમેશાં એક જ વાત વિચારતાં હતાં કે છોકરાને કુમાર્ગેથી સન્માર્ગ પર કેવી રીતે વાળવામાં આવે. તેમની માતા ચાહતાં હતાં કે તે તપસ્વી બને અને જનકલ્યાણનાં મહત્વપૂર્ણ કાર્યો કરે. એટલા માટે એમણે પોતે શિક્ષણ આપવાનો અને જીવનના મહાન ઉદેશ્યો સમજાવવાનો પ્રારંભ કર્યો. આ શુભકાર્યમાં એમના મામાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો. ગોપીચંદના મામા ભર્તુહરિ હતા અને તેઓ પહેલેથી જ તપસ્વી બની ગયા હતા. માતા અને મામા બંનેના શિક્ષણનો પ્રભાવ પડ્યો. સાથે સાથે યોગી જાલંધરનાથના સંપર્કમાં આવતાં તેઓ તેમના શિષ્ય પણ બની ગયા.

ગોપીચંદ, ભર્તુહરિ અને જાલંધરનાથની ત્રિપુટીએ દૂર દૂરનાં ક્ષેત્રોમાં પરિભ્રમણ કરી ધાર્મિક વાતાવરણનું નિર્માણ કર્યું. પત્નીનું ઠપકાભર્યું પ્રોત્સાહન : જોધપુરના મહારાજા યશવંતસિંહની રાણી એમના કરતાં પણ વધારે શૂરવીર હતી. રાજા યુધ્ધમાં ગયા હતા અને હારીને પાછા આવ્યા. રાણીએ કિલ્લાના દરવાજા બંધ કરાવી દીધા અને કહ્યું કે મારા પતિ ભાગેડુ ના હોઈ શકે. ભાગેડુ રાજા માટે આ કિલ્લામાં સ્થાન નથી. યશવંતસિંહ રાણીની આ ટકોરને લીધે પાછા યુધ્ધમાં ગયા અને સાહસથી લડી વિજય પ્રાપ્ત કર્યો.

બિલ્વમંગળમાંથી સૂરદાસ :

બિલ્વમંગળ વેશ્યા ચિંતામણિ પર અત્યંત મુગ્ધ હતા. તેઓ પિતાના અગ્નિસંસ્કારમાંથી લોકોની નજર ચૂકવીને સીધા વેશ્યાને ત્યાં જતા રહ્યા. રસ્તામાં નદી આવતી હતી. પરંતુ નદી કઈ રીતે પાર કરે. પાણીમાં એક મડદુ તણાતું આવતું હતું તેની ઉપર બેસી નદી પાર કરી.

મોડી રાત્રે વેશ્યાને ઘેર પહોંચ્યા. વેશ્યાએ એમને ખૂબ જ ધિક્કાર્યા અને કહ્યું, “ જે સડેલી લાશ ઉપર બેસીને આવ્યા એવી જ લાશ તમારી સામે ઉભી છે. આ મળમૂત્રથી ભરેલા શરીરનો મોહ છોડી જીવનનો સાચો માર્ગ અપનાવો. ”

વેશ્યાના સારા ઉપદેશથી પ્રભાવિત થઈ નિંદનીય બિલ્વમંગળ મહાત્મા સૂરદાસ બની ગયા.

મૂર્તિમાન દેવી જેન એડમ્સ :

જેન એડમ્સના પિતા સેનેટર અને મિલમાલિક હતા. એકની એક પુત્રી માટે એમણે અપાર સંપત્તિ સાચવીને રાખી હતી. જેન એડમ્સ પોતાનો સમય શ્રેષ્ઠ પુસ્તકોના વાંચનમાં ગાળ્યો અને પિતાના મૃત્યુ પછી બધી જ સંપત્તિ વેચીને અમેરિકામાં એક ‘ ડલ હાઉસ ‘ માનવસેવા સંસ્થાન બનાવ્યું. એમાં ‘ સસ્તુ ભોજન અને સસ્તુરહેઠાણ ’ એ એનો પ્રત્યક્ષ કાર્યક્રમ હતો.આ બહાને જે હજારો વ્યક્તિઓ ત્યાં આવતી, એમને લોકોપયોગી જીવન જીવવાની પ્રેરણા તે આપતાં, એમના કાર્યની મહત્તા સમજાતાં જલાખો લોકો એમના સહયોગી બની ગયા.

એમણે સ્ત્રીઓ, બાળકો, વિકલાંગો અને રોગીઓની સેવા, સહાયતા માટે અનેક સંસ્થાઓ ચલાવી. “ આંતરરાષ્ટ્રીય મહિલા લીગ ‘ પણ એમની જ સ્થાપેલી સંસ્થા છે. એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એ બધા પૈસા પણ મહિલા લીંગને દાનમાં આપી દીધા હતા. એડમ્સ આજીવન બ્રહ્મચારિણી રહ્યાં. એમને કરૂણાની મૂર્તિ, દેહધારી દેવી માનવામાં આવતાં હતાં.

સેવાભાવી નર્સ કુમારિકાઓ :

યુદ્ધ સમયે ભણેલી નર્સોની જરૂર પડી. કુમારિકાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી. ઈગ્લેન્ડને પૂરતી સંખ્યામાં ભણેલી નર્સો મળી ગઈ. યુધ્ધ પુરૂ થયા પછી નર્સોને ડોક્ટરોની સહાયિકા માત્ર બનીને રહેવું પડતું હતું. તેઓ પોતાની સ્વતંત્ર પ્રતિભાનો ઉપયોગ કરી શકતી ન હતી.

સાહસિક નર્સ વેનિટે કુશળ નર્સોની એક ટીમ બનાવી અને ઈંગ્લેન્ડની આસપાસના નાના ટાપુઓમાં રહેતા આદિવાસીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેઓ આદિવાસી વિસ્તારમાં જ ત્યાં પ્રસુતિના સંકટમાં ફસાયેલી અનેક અભણ સ્ત્રીઓના પ્રાણ બચાવતા હતાં. તેઓ સાથે સાથે બાળકો અને પુરૂષોની પણ સેવા કરતાં હતાં. આ રીતે ૩૦ ટાપુઓની પ્રતિકુળ પરિસ્થિતિઓમાં રહીને પણ ત્યાંના પછાત લોકોની સેવા કરી. વેનિટ યુનિટની સંખ્યા ૩૦ ની હતી. આ પુણ્યકાર્ય કરવામાં ધીરે ધીરે નર્સોની સંખ્યા ૩૦૦ ની થઈ ગઈ. એમણે અનુભવ કર્યો કે વિલાસી જીવન જીવવાની સરખાવણીમાં એમનું આ સેવાનું પગલું કેટલુ કરૂણાભર્યુ છે ! વેનિટ ૮૦ વર્ષ સુધી જીવ્યાં. તેમણે આ પછાત વિસ્તારની આજીવન સેવા કરી.

અરવિંદ આશ્રમનાં માતાજી :

પેરિસના એક સમૃદ્ધ પરિવારમાં જન્મેલી મીરાના પૂર્વજન્મના સંસ્કાર એવા હતા કે જેને લીધે એમનું મન વિલાસમાં જરાપણ લાગ્યું નહીં. એમના અધ્યયનનો વિષય શરૂઆતથી જ અધ્યાત્મનો હતો. ઉંમરલાયક થતાં એમનું લગ્ન ફ્રાન્સના પ્રખ્યાત દાર્શનિક રિચાર્ડની સાથે થયું. તેઓ પણ તત્વજ્ઞાનના કોયડા ઉકેલવામાં મગ્ન રહેતા હતા. સન્ ૧૯૧૪ માં બન્ને જણ ભારત આવ્યાં અને પોંડિચેરી રહ્યાં. તેઓ અરવિંદના જીવનનું નજીકથી અધ્યયન કરવા અને એમના સત્સંગનો લાભ લેવા જતાં હતાં, થોડા સમય પછી તેઓ પાછા જતા રહ્યા ,

રિચાર્ડ પોતાની પત્ની મીરાના મનોભાવને સમજતા હતા. તેઓ પોતે મીરાને અરવિંદ આશ્રમમાં મૂકવા માટે આવ્યા કે જેથી એમની પ્રગતિની સાથે સાથે અધ્યાત્મક્ષેત્રની પણ સેવા કરી શકે. મીરા પોંડિચેરી આશ્રમમાં હંમેશ માટે રહી ગયાં. અરવિંદ એકાંત સાધનામાં તલ્લીન હતા. મીરાં એમનો સંદેશો સાધકો સુધી પહોંચાડતાં અને સાથે સાથે આશ્રમની વ્યવસ્થા પણ ચલાવતાં. એમનાં સંરક્ષણમાં આશ્રમની ખૂબ પ્રગતિ થઈ. મીરા માતાજીના નામથી પ્રખ્યાત થયાં. તેઓ સાચા અર્થમાં અરવિંદનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.

નારી સ્નેહ – સૌજન્યની મૂર્તિ છે, બોધવચન -૨૩

નારી સ્નેહ – સૌજન્યની મૂર્તિ છે, બોધવચન -૨૩

બોધ : નારીમાં કુદરતી રીતે જ સ્નેહ સૌજન્ય વધારે પ્રમાણમાં હોય છે. એને વ્યકિતત્વના નિર્માણની મુખ્ય ક્ષમતા ગણવામાં આવે છે. જેવું બીબું હોય છે તેવાં જ સાધનો કે આભૂષણો બને છે. કુંભાર પોતાના ચાકડા ઉપર આંગળીઓની કુશળતાથી ભીની માટીને ગમે તે વાસણમાં બદલી શકે છે. એ જ રીતે મારી પોતાના પરિવારના નાના મોટા બધા સભ્યોને પોતાની ઈચ્છા મુજબ ઘડવામાં કે બદલવામાં સમર્થ છે. નારીની પ્રતિભાનો વિકાસ કરવો તે ઘણું અગત્યનું કામ છે. એમાં આખી સૃષ્ટિનું કલ્યાણ રહેલું છે. દેવીઓની અભ્યર્થનાનું શાસ્ત્રમાં બહુ મહાત્મય બતાવવામાં આવ્યું છે તે ખરેખર યથાર્થ છે. તેઓ જલદી પ્રસન્ન થાય છે અને વધારે વરદાન આપે છે. પ્રત્યક્ષ દેવીઓના રૂપમાં નારીઓને જોઈ શકાય છે.

ધૃણાને કોઈ સ્થાન નહીં :

એક સ્ત્રી સંત હતી. તેનું નામ હતું રાબિયા અને કામ હતું ઈશ્વરભક્તિ. ફરતાં ફરતાં કેટલાય સંતો સત્સંગ કરવા માટે એની પાસે આવતા. એક સાધુ રાબિયાનો ધર્મગ્રંથ લઇને વાંચવા લાગ્યો. એમાં એક પંક્તિ કપાઈ ગઈ હતી. એણે પાઠ કરવાનું બંધ કરી દીધું અને બોલ્યો, “ તમારો આ ગ્રંથ તો અપવિત્ર થઈ ગયો. કોઇકે એને નષ્ટ કરી નાખ્યો છે. આ કુકૃત્ય કોણે કર્યું, “ મેં ” રાબિયાએ ટૂંકો જવાબ આપ્યો. આગળ તે બોલી કે, “ મેં એ પંક્તિ વાંચી પણ છે. ”

“ હા, હા, એમાં લખ્યું છે કે શેતાન પ્રત્યે ધૃણા રાખો. ” સાધુએ કહ્યું. રાબિયા બોલી, “ મેં જ્યારથી ઈશ્વર સાથે પ્રેમ કર્યો છે ત્યારથી મારા હૃદયમાં ધૃણા રહી જ નથી. ઈશ્વરના પ્રેમે મારા સંકુચિત દૃષ્ટિકોણને વિશાળ સહૃદયતામાં બદલી નાખ્યો છે. જો શેતાન પણ મારી સામે આવીને ઉભો રહે તો હું તેને પણ પ્રેમ કરીશ. ”

સામાન્ય નારી પણ પ્રેમની સાકાર મૂર્તિ છે. એ કોઈ પ્રત્યે દ્વેષ રાખતી નથી. એનું હૃદય એટલું બધું ઉદાર હોય છે કે તે પાપીને પણ ક્ષમા આપી નવું જીવન જીવવાની તક આપે છે.

પક્ષીનાં ઈંડાં પાછાં આપ્યાં :

દીનબંધુ એન્ડ્રુઝમાં વિશ્વમાનવતા પ્રત્યેની પ્રેમભાવના એમની માતાની પ્રાણીમાત્ર પ્રત્યેની કરૂણાના કારણે વિકસી હતી.

“ મા, જો તો કેવી સરસ વસ્તુ લાવ્યો છું. ” “ અરે એમા શું લઈ આવ્યો ? આ તો કોઈક પક્ષીનાં ઈંડા છે. મને લાગે છે કે તું એ પક્ષીનાં ત્રણેય ઈડાં ઉઠાવી લાવ્યો છે. જ્યારે તેમની મા માળામાં પાછી આવશે ત્યારે ખૂબ રડશે, બેટા. ”

 “ મા, આ પક્ષીનાં ઈંડાં હશે તેની મને શું ખબર ? ” બાળક લંગડાતો લંગડાતો એ વૃક્ષ પાસે ગયો, કારણ કે ચોટ વાગવાથી તેના પગમાં દુ : ખાવો થતો હતો. તે વૃક્ષ ઉપર ચડ્યો અને એણે સાચવીને બધાં ઈંડાં માળામાં મૂકી દીધાં. પછી પેલી માદા વૃક્ષ ઉપર પાછી ન આવી ત્યાં સુધી તે વૃક્ષ નીચે બેસીને રડતો રહ્યો. માદાને જોઈને એનુ બધું દર્દ કોણ જાણે ક્યાં જતુ રહ્યું અને હસતો કૂદતો પોતાની મા પાસે પાછો ફર્યો. આ બાળક બીજુ કોઈ નહીં, પણ દીનબંધુ એન્ડ્રુઝ હતા. તેઓ ભારત આવી આખી જીંદગી ગરીબોને પોતાના ભાઈ માનીને પ્યાર અને સેવા કરતા રહ્યા. માતાએ આપેલા કરૂણાના સંસ્કાર જીવનભર તેમની મૂડી બની રહ્યા.

બાળકો વધારે પ્રિય :

સિગ્રિડ અનસેટ નામની પ્રખ્યાત નોર્વેજીવન લેખિકાને જ્યારે ૧૯૨૮ માં નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે કેટલાય ખબરપત્રીઓ તેમને વધાઈ આપવા તેમના નિવાસ સ્થાને ગયા. તે વખતે તેઓ પોતાના બાળકોને સુવડાવી રહ્યા હતા એટલે તેમને થોડીવાર થોભવાનું કહ્યું.

બાળકો જ્યારે ઉંધી ગયાં ત્યારે તેઓ બહાર આવ્યાં. ખબરપત્રીએ તેમને વધામણી આપી અને કહ્યું કે આવા સૌભાગ્યશાળી અવસરે પણ તેઓ બાળકોને ભૂલી ન શક્યાં ? આ સાંભળી સિગ્રિડ અનસેટે કહ્યું કે, “ મને આ વર્ષે નોબેલ ઈનામ મળ્યું તે આનંદની વાત છે. હું તમારી આભારી છું. સાથે સાથે ક્ષમા માગું છું કારણ કે નોબેલ ઈનામથી પણ વધારે આનંદ મને મારાં બાળકો સાથે રહેવામાં મળે છે. ”

પાંચાલીનું વિશાળ :

હૃદય દ્રૌપદીના પાંચ પુત્રોને જ્યારે તેઓ ઊંઘતા હતા ત્યારે દ્રોણ પુત્ર અશ્વત્થામાએ મારી નાખ્યા. પાંડવોના ક્રોધની સીમા ન રહી. તેઓ એને પકડી લાવ્યા અને દ્રૌપદી સમક્ષ જ તેનું માથુ કાપવા માગતા હતા.

દ્રૌપદીનો વિવેક જાગૃત થયો. તેણે કહ્યું, “ પુત્રના મૃત્યુનું માતાને કેટલું દુઃખ હોય છે તે હું જાણું છું. એટલું જ દુઃખ તમારા ગુરૂ પત્નીને થશે. ગુરૂના ઋણને,  ગુરૂમાતાના ઋણને સમજીને એને છોડી દો . અશ્વત્થામાને છોડી મૂક્યો . કરૂણાનો બદલાની ભાવના ઉપર વિજય થયો . દ્રૌપદીની વિશાળ ભાવનાનો આ પ્રસંગ મહાભારતમાં મહાન ગણાય છે.”

માતાની મહત્તા :  બોધવચન – રર

માતાની મહત્તા :  બોધવચન – રર

બોધ : એકવાર વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટને કોઇકએ પૂછયું હતું કે કોઈ દેશની ઉન્નતિમાં સૌથી મોટો ફાળો કોનો હોય છે ? નેપોલિયને તરત જ જવાબ આપ્યો કે “ માતાનો ‘. કોઈપણ માણસના જીવન પર માતાના લાલનપાલન અને શિક્ષણની છાપ સ્થાયી રૂપે ચોક્કસ પડે છે. સિંહની સાથે રમનાર બાળક ભરત શકુંતલાની દેખરેખ નીચે વનમાં ઉછર્યો હતો. રાજા ગોપીચંદની માતાએ એમને વૈભવવિલાસ છોડીને ત્યાગી બનવાની સલાહ આપી હતી અને આગ્રહપૂર્વક ભર્તુહરિના શિષ્ય બનાવી પુછય પ્રયોજનમાં વાળી દીધા હતા. મદાલસાએ પોતાના ત્રણ પુત્રોને સાધક બનાવ્યા. તેમને શરૂઆતથી શ્રેષ્ઠ સંસ્કાર આપ્યા અને એમનું ચિંતન ઉત્કૃષ્ટ બનાવ્યું. તેમના પતિ મહારાજ ત્રતુધ્વજની ઇચ્છાને માન આપીને તેમણે પોતાના ચોથા પુત્ર અલર્કને રાજા બનાવ્યો. પોતે એવા જ ચિંતનનો વિકાસ કરીને ગર્ભાવસ્થામાં જ બાળકને એવા સંસ્કાર આપ્યા.

શ્રેષ્ઠ માતા, શ્રેષ્ઠ સંતાનઃ

રામકૃષ્ણ પરમહંસના માતા એકવાર કલકત્તા આવ્યા અને સ્નેહવશ થઇને થોડો સમય પુત્રની પાસે રહ્યાં. દક્ષિણેશ્વર મંદિરની માલકણ રાસમણિએ એમને ગરીબ તથા સન્માન કરવા યોગ્ય માનીને જાતજાતની કીંમતી ભેટો આપી. તેમણે એ બધાનો અસ્વીકાર કર્યો અને રાસમણિનું માન રાખવા ખાતર માત્ર એક ઈલાયચી જ લીધી. ત્યાં હાજર રહેલા લોકોએ કહ્યું કે આવી નિસ્પૃહ માતા જ પરમહંસ જેવા પુત્રને જન્મ આપી શકે છે.

વીર પ્રસવિની :

ચિત્તોડના રાજકુમાર એક ચિત્તાનો પીછો કરી રહ્યા હતા. તે ચિત્તો ઝાડીમાં સંતાઈ ગયો હતો. રાજકુમાર પોતાના ઘોડાને ઝાડીની આસપાસ દોડાવતા હતા. પરંતુ સંતાઈ ગયેલા ચિત્તાને બહાર કાઢવામાં તેમને સફળતા મળતી નહોતી.

એ ખેતરના ખેડૂતની પુત્રી આ દશ્ય જોઈ રહી હતી. એણે રાજકુમારને કહ્યું, “ ઘોડો દોડાવવાથી અમારૂ ખેતર બગડે છે. તમે ઝાડના છાંયે બેસો, હું ચિત્તાને મારીને તમારી પાસે લાવું છું. ” તેણી એક મોટો દંડો લઈને ઝાડીમાં પેઠી અને મલ્લયુધ્ધમાં ચિત્તાને પછાડી નાખ્યો. એને ઘસડીને તે બહાર લાવી અને રાજકુમાર આગળ નાખ્યો.

આ પરાક્રમ જોઇ રાજકુમાર દંગ થઇ ગયો. એમણે છોકરીના પિતાને વિનંતી કરીને તે છોકરી સાથે લગ્ન કરી લીધાં. પ્રખ્યાત યોધ્ધો હમીર એ છોકરીની કૂખે જન્મ્યો હતો. સંતાન એની માતા જેવું જ પેદા થાય છે.

સુભદ્રાની કુખે અભિમન્યુનો જન્મ થયો હતો. અંજનીએ હનુમાનને જન્મ આપ્યો હતો. શ્રેષ્ઠ માતાઓ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને અનુરૂપ શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપે છે. હિરણ્યકશ્યપુ રાક્ષસને ઘેર પ્રહલાદ જેવા ભક્તનો જન્મ થયો. એ નારીની – પ્રહલાદની ધાર્મિક માતા કયાધૂની યોગ્યતાનું પ્રમાણ છે.

આંધળા ગાયક કે.સી.ડે તથા એમની સ્વાવલંબી માતા :

કલકત્તામાં જન્મેલા કે.સી.ડેની આંખો દોઢ વર્ષની ઉંમરમાં જ જતી રહી. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે પિતાજી મૃત્યુ પામ્યા. વિધવા માતાએ જાતે જ એમને થોડું ઘણું ભણાવ્યા. તે મજુરી કરવા જતી ત્યારે ડેને સાથે લઈ જતી. તેને બાળકના ભવિષ્યની ચિન્તા થતી હતી, પરંતુ તેણે ધીરજ ના ગુમાવી. શાળાકીય શિક્ષણના બદલે તેણે પુત્રને સુસંસ્કાર આપીને સ્વાવલંબી બનાવ્યો. સંગીતમાં પુત્રની અભિરૂચિ જોઇને એણે તેને સંગીતનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. પોતે મહેનત કરીને પુત્રને માટે સાધનો લાવતી. રૂચિને લીધે ડે એ કેટલાય સંગીતકારોની સેવા કરીને એમની પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. યુવાન થતાં પહેલાં જ એમણે સંગીતમાં પ્રવીણતા મેળવી. તૂટ્યા – ફૂટ્યાં વાદ્યોની મદદથી તેઓ ઘેર અભ્યાસ કરતા હતા.

થોડા દિવસોમાં એમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ. નાના મોટા સંગીતના જલસાઓ પછી ફિલ્મ કંપનીઓ તેમને બોલાવવા લાગી. એમનો કંઠ મધુર હતો. એમણે લગભગ એક ડઝન કંપનીઓમાં પાશ્વગાયક તરીકે ગીતો ગાયાં. જે ફિલ્મોમાં એમણે ગીતો ગાયાં હોય તે જોવા લોકો તૂટી પડતા. આનો યશ તેઓ હંમેશાં પોતાની માતાને આપતા. અંતિમ સમય સુધી તેમણે માતાની ખૂબ સેવા કરી.

પુત્ર માટે ઝેર પી લીધુંઃ

જાપાનીઓને રશિયા સાથેના યુદ્ધમાં એક નદી આડે આવી. પુલ બનાવવાનું કામ મુશ્કેલ હતું. સેનાને સામે કિનારે લઇ જવા માટે એક હજાર નાગરિકોની લાશોનો પુલ બનાવવાનો હતો કે જેની ઉપર થઈને સેના સામે કિનારે જઇ શકે. આ માટે નાગરિકોની ભરતી કરવામાં આવી. એક હજારને બદલે ચાર હજાર નામ આવ્યાં. આ નામોમાં એક છોકરો પણ હતો. તેને ભરતી થવાની ઉતાવળ હતી, પણ તેની માતા બિમાર હતી. તે એકનો એક જ હતો. આથી તેને મંજુરી ન મળી. માતાને લાગ્યું કે પોતે આડે આવી રહી છે. આથી તેણે ઝેર પી લીધું અને છોકરાને મોકલતી વખતે કહ્યું, “ શરીરની માને બદલે રાષ્ટ્રમાતાની સેવા કરવી વધારે જરૂરી છે, તે પ્રસન્નતાપૂર્વક જા. ”

સ્વાભિમાની માતાઃ

અમીનિયાના સર્વોચ્ચ સેનાપતિ સીરોજ ગ્રિથનું વ્યક્તિત્વ એમની માતાએ ઘડ્યું હતું. વિધવા નોર્વિન ગ્રીક કપડાં સીવીને ગમે તે રીતે પોતાનાં બાળકોનું ભરણપોષણ કરતી હતી. તેના મોટા પુત્ર ઝિથે પોતાની જાતે ગરીબીના લીધે સ્કૂલમાં ફી માફી માટે અરજી કરી દીધી. તે મંજુર પણ થઈ ગઈ.

ગ્રિથની માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એણે તેનો અસ્વીકાર કર્યો અને લખ્યું, “ અમે લોકો મહેનત કરીને ગુજરાન ચલાવીએ છીએ, તો પછી ફી કેમ ન આપી શકીએ ? અમારી ગણતરી ગરીબોમાં કરાવવી અમને મંજુર નથી. અમારૂ સ્વાભિમાન કહે છે કે અમે ગરીબ નથી. સ્વાવલંબી બનીને ગમે તે પરિસ્થિતિનો સામનો કરી લઇશું. ”

સ્વાભિમાની માતાએ પોતાના બાળકને આવો જ ચારિત્રવાન બનાવ્યો. માતાના આવા સંસ્કારથી તે સર્વોચ્ચ સેનાપતિ બન્યો.

ગર્જિએફને માતાની શિખામણ :

દાર્શનિક ગુર્જિએફે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારી માતાએ મરતી વખતે કહ્યું હતું, “ કોઈની ઉપર તને ગુસ્સો આવે તો એની અભિવ્યક્તિ ચોવીસ કલાક પહેલાં ના કરીશ. “મેં આ વાત ગાંઠે બાંધી લીધી અને તેનું આજીવન પાલન કર્યું. “ એવા અનેક પ્રસંગો આવ્યા જેમાં મને ક્રોધ આવ્યો હતો, પણ પાછળથી ખબર પડી હતી કે એમાં તથ્ય થોડું અને ભ્રમ વધારે હતો. ક્રોધનાં પરિણામોનો વિચાર કરવાની તક મળતી રહેવાથી એનો અમલ ના કર્યો અને જેઓ શત્રુ લાગતા હતા તેઓ આજીવન મિત્ર બનીને રહ્યા. માતાની આ શિખામણે જ મને આ સ્થિતિ સુધી પહોંચાડ્યો છે એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી.”

મહાન માતાઓના મહાન પુત્ર : બોઘવચન -૨૧

મહાન માતાઓના મહાન પુત્ર :  બોઘવચન -૨૧

બોધ : “ માતા નિર્માતા ભવતિ ” ના સિધ્ધાંત મુજબ માતાને જ સંતાનની નિર્માતા અને સંસ્કારો આપનારી ગણવામાં આવી છે. પરિવાર એ નર અને નારીના સંયુકત અનુદાનનું પ્રતિફળ છે. નારી ખાણ અને નર તેમાંથી નીકળનારૂં ખનીજ છે. જેવી ખાણ હોય તેવી કક્ષાની ધાતુ એમાંથી નીકળે છે. કોલસો, લોખંડ, તાંબુ, ચાંદી, સોનું વગેરે પોતપોતાની ખાણામાંથી નીકળે છે. તેમ શ્રેષ્ઠ સરની નારીઓ પોતાના જેવા ગુણ, કર્મ અને સ્વભાવવાળા સંતાનોને જન્મ આપે છે.

બાળકો આકાશમાંથી ઉતરતાં નથી. તેઓ માતાના શરીરનું જ અંગ છે. એમનામાં રહેલી ચેતનાનું સિંચન, પોષણ તથા સંસ્કારોનું અભિવર્ધન માતા દ્વારા જ થાય છે. નરરત્નોનું ઉત્પાદન કોઇપણ સમાજ યા રાષ્ટ્રમાં ત્યારે જ વધે છે કે જ્યારે નારીની સુસંસ્કારિતા ઉપર ધ્યાન આપવામાં આવે. નારીનું સૌથી વધુ મહત્વ એના જનની તરીકેના પદમાં રહેલું છે. જો માતા ન હોત તો આ સૃષ્ટિ ક્યાંથી હોત અને રાષ્ટ્ર તથા સમાજની રચના કઈ રીતે થાત ? જો માતા ન હોત તો શૂરવીરો, મોટા મોટા વૈજ્ઞાનિકો, પ્રકાંડ પંડિતો, કલાકારો, શ્રેષ્ઠ સાહિત્યકારો, દાર્શનિકો, વિદ્વાનો, નેતાઓ, મહાત્માઓ તથા સંતો અને મહાપુરૂષો કોની ગોદમાં રમીને ધરતી ઉપર પદાર્પણ કરત ? નારી માત્ર વ્યક્તિ નહીં, રાષ્ટ્રની જનની નહીં, પણ જગતજનની છે. માન્યતાના નાતે, સહધર્મિણી હોવાના નાતે, રાષ્ટ્ર તથા સમાજની ઉન્નતિમાં એને યોગ્ય સન્માન અને સ્થાન આપવું જ જોઇએ.

અભિમન્યુ, બુધ્ધ, મહાવીર વગેરે મહાપુરૂષોનું નિર્માણ ગર્ભકાળમાં જ થઈ ગયું હતું. એ વખતના વિચાર, સંકલ્પ અને મન સંતાનને અવશ્ય પ્રભાવિત કરે છે. બુધનાં માતા તો બાળકને જન્મ આપીને મૃત્યુ પામ્યાં હતાં, છતાં પણ એમની આધ્યાત્મિક આત્મસાધનાનો પ્રભાવ ગર્ભસ્થ બાળક ઉપર તો પડ્યો જ.

લિચ્છવી વંશની ક્ષાત્ર પરંપરામાં મહાવીર જેવા અહિંસાના પૂજારી અને ઉપદેશકનો જન્મ ખરેખર આશ્ચર્યજનક લાગે છે, પરંતુ એનું શ્રેય પણ એમની માતાના ફાળે જાય છે. તેઓ માંસભક્ષણથી દૂર રહેતાં તથા સૌમ્ય અને સાત્વિક જીવન જીવતાં તેનો પ્રભાવ જ એમના પુત્રને મહાવીર બનાવવામાં કારણભૂત હતો.

બાળકના જન્મ પછી એના પાલનપોષણમાં આદર્શો અને આધ્યાત્મના સિધ્ધાંતો પ્રત્યે દૃઢ નિષ્ઠાએ જ સદૈવ બાળકોને મહાન બનવાની પ્રેરણા આપી છે. ચંદ્રગુપ્ત મૌર્ય, રાણા સાંગા, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, રાજર્ષિ ટંડન, બાબુ રાજેન્દ્રપ્રસાદ, મદનમોહન માલવીયાજી, વિનોબા ભાવે, મહર્ષિ કર્વે, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ જેવી સેંકડો વિભૂતિઓ એમના માતાના લીધે જ ભારતને વરદાન રૂપે પ્રાપ્ત થઇ હતી. જો એમની માતાઓ પોતાના પુત્રોને રાષ્ટ્રસેવા અને સમાજનિર્માણની દિશામાં આગળ ન વધારત, તો આ મહાનમાનવો પણ કદાચ સામાન્ય લોકોની જેમ પેટ અને પ્રજનન પાછળ ભટકતા હોત. સાથે સાથે દેશ અને સંસ્કૃતિ તેમના લાભથી વંચિત રહી જાત.

માતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા આ રીતે ( કેટલાક દાખલા ) :

મેવાડના ઇતિહાસમાં રાણા સંગનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. તેમની માતાએ રાજસ્થાનની દુર્દશા બરાબર જોઈ હતી. સંગ્રામ સિંહ જયારે ગર્ભમાં હતો ત્યારે એમણે નિશ્ચય કર્યો કે હું એવા સંતાનને જન્મ આપીશ કે જે આ અંધકાપૂર્ણ વાતાવરણમાં પ્રકાશ ફેલાવી શકે. સાત્વિક યોજના, વીરોચિત વેશભૂષા અને સાહસિક વિચારોને મનમાં ઠસાવીને એમણે ખરેખર એવા તેજસ્વી સંતાનને જન્મ આપ્યો. પછીથી સંગ્રામસિંહને ઐતિહાસિક ઘટનાઓ અને વાર્તાઓ સંભળાવીને તેઓ પ્રેરણા આપતાં રહ્યાં. એ પ્રેરણાના ફળ સ્વરૂપે રાણા સંગ ઇતિહાસમાં સ્વતંત્રતાના અમર પૂજારી બન્યા.

મહારાણા પ્રતાપના પિતા પોતાની કુળ પરંપરા પ્રમાણે વીર અને સાહસિક નહોતા. ચિતોડનો કિલ્લો હાર્યા પછી એમને અરવલ્લીના પર્વતોમાં જતા રહેવું પડ્યું હતું. ત્યાં એમની પત્નીએ પ્રતાપસિંહને જન્મ આપ્યો હતો. પ્રયત્નપૂર્વક તેણીએ પોતાના પુત્રને એવું વાતાવરણ પુરૂ પાડ્યું કે જેમાં સાહસ, શૌર્ય, સ્વાભિમાન અને દેશભક્તિની ભાવનાઓનો વિકાસ થઇ શકે. એનું એમણે ખૂબ ધ્યાન રાખ્યું અને પોતાના પુત્રના જોતાં તેઓ કદી કોઈની આગળ ઝૂક્યાં નહોતાં કે જેથી કદાચ પ્રતાપસિંહને ઝૂકવાની અને સંધિ કરવાની ટેવ પડી ન જાય. આટલી બધી સાવધાનીપૂર્વક ઉછેરવાનું પરિણામ એ આવ્યું કે મહારાણા પ્રતાપ ઘાસની રોટલી પતરાળામાં ખાતા, છતાં તેમણે અકબરની ગુલામીનો સ્વીકાર ના કર્યો.

છત્રપતિ શિવાજીનાં માતા વીર અને ધર્મનિષ્ઠ મહિલા હતાં. પોતાનો પુત્ર પણ તેવો બને એવી અપેક્ષા રાખતાં હતાં. આથી તેઓ વીર રસનાં હાલરડાં ગાતાં અને ઇતિહસ તથા પુરાણોની કથાઓ સંભળાવતાં. એમણે જ શિવાજીને હિન્દુ રાજ્યનું સ્વપ્ન આપ્યું અને તેને સાકાર કરવા માટે યોગ્ય શિક્ષણ અને દીક્ષા પણ આપ્યાં. શિવાજીની નિર્વિકાર મનોભૂમિમાં વાવવામાં આવેલાં બીજ જીવનભર ફૂલતાં ફાલતાં રહ્યાં.

આધુનિક યુગમાં નારીની ભૂમિકાના કેટલાક દાખલા :

આધુનિક યુગમાં પણ ભારતીય નારીએ સેંકડો વિભૂતિઓ આપીને દેશ અને સમાજનું મસ્તક ઉન્નત રાખ્યું છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવીયાજીને શિક્ષણનું મહત્વ સમજાયું હતું. એનું કારણ એ હતું કે તેમની માતા પોતાના કપડાં અને ઘરેણાં ગીરે મૂકીને તેમને ભણાવતાં હતાં. માલવીયાજીને ધર્મપ્રચારની પ્રેરણા પણ તેમનાં માતા પાસેથી મળી હતી.

રાજર્ષિ ટંડનના દેશપ્રેમ અને તે મુજબનું જીવન જીવવાનું શિક્ષણ આપવાનું શ્રેય પણ એમની માતાને ફાળે જાય છે. અંગ્રેજ છોકરીઓએ જ્યારે તેમને ખીજવ્યા ત્યારે એમણે એ લોકોને બરાબરનો મેથીપાક આવ્યો હતો. આ જાણીને માતાએ દસ વર્ષના ટંડનની પીઠ થાબડી હતી. માતાની પ્રેરણા અને પ્રોત્સાહનના કારણે ટંડન આજીવન નિર્ભીકતાના પૂજારી બન્યા. આધ્યાત્મિકતા તરફ વળી સંન્યાસ લેવાનો વિચાર તથા નિશ્ચય કરનાર સુભાષચંદ્ર બોઝને એમની માતાએ જ દેશભક્તિ અને સમાજસેવાની દીક્ષા આપી હતી.

ગાંધીજીનું નિર્માણ કરવામાં તેમની માતાનો ફાળો સવિશેષ હતો. બાળપણથી જ ધર્મ, પુરાણો અને ઉપનિષદોની કથાઓ સંભળાવીને એમણે પોતાના લાડકવાયા મોહનની ધાર્મિક આસ્થા પરિપક્વ બનાવી દીધી હતી. પરદેશ જઇને માંસ નહીં ખાવું, મદ્યપાન અને વ્યભિચારથી દૂર રહેવું વગેરે પ્રતિજ્ઞાઓ લેવડાવીને તેમણે જ ગાંધીજીનું વ્યક્તિત્વ ઘડ્યું હતું. સ્વયં ગાંધીજીએ પણ અનેક જગ્યાએ તેઓ પોતાની માતાથી પ્રભાવિત થયા હતા એવો ઉલ્લેખ કર્યો છે.

ધર્મપરાયણ માતા રૂકિમણીબાઇએ તો દેશને એક નહીં, પણ ત્રણ ત્રણ રત્નો આપ્યાં. વિનોબા, બાલકોબા અને એક નાના ભાઈ સમાજની સેવા કરવામાં આગળ રહ્યા હતા. માતાના ધાર્મિક શિક્ષણ બચપણમાં જ વિનોબાજીના મુખે એવું કહેવડાવ્યું કે, “ હરિજન, ચમાર વગેરે નિચ નથી. ” ભગવાનને સર્વવ્યાપી માનીને એમની પૂજા કરનાર માતા રુકિમણિએ વિનોબા ભાવેને ‘ ઈશાવાસ્તમિદં સર્વમ્ ‘ ના ઉપાસક બનાવી દીધા હતા.

માતા સંતાનને સારા સંસ્કાર આપે છે,  બોધવચન – ર૦

માતા સંતાનને સારા સંસ્કાર આપે છે,  બોધવચન – ર૦

બોધ : માતા નવ માસ સુધી કષ્ટ સહન કરીને સંતાનને જન્મ આપે છે તથા સ્વાવલંબી જીવન જીવવા માટે એને યોગ્ય બનાવે છે. તેને સારા સંસ્કારો આપે છે. કોઈપણ દેશ માટે માતા નરરત્નોની ખાણ બનીને સારા નાગરિકો આપે છે. બાળકોનું નિર્માણ નારીઓ જ કરે છે : મેડમ ચ્યાંગડાઈ કહેતાં હતાં, “ ગર્ભાધાનથી લઈને પાંચ વર્ષની ઉમર સુધીમાં બાળકોના સ્વભાવનો મહત્વપૂર્ણા અંશ પુરો. થાય છે. આથી નવા સમાજના નિર્માણની જવાબદારી ખાસ કરીને સ્ત્રીઓના માથે રહે છે. કારણ કે બાળકોનો આ સમય મુખ્યત્વે માતા તથા ઘરમાં રહેતા વડિલોના સાનિધ્યમાં પસાર થાય છે.

માતાને છોડીને સિદ્ધિ કેવી ? :

વૈધવ્યનો ભાર સહન કરીને માતાએ પુત્રનું પાલન કરીને એને મોટો કર્યો. પરંતુ પુત્ર તો પોતાની વૃધ્ધ માતાને નિરાધાર છોડીને તાંત્રિક સાધના દ્વારા સિદ્ધિ મેળવવા ઘેરથી જતો રહ્યો. દેવ શર્મા નામના આ યુવકે પોતાની તાંત્રિક સિધ્ધિઓના બળથી, પોતાનું વસ્ત્ર લઈને જતા બે કાગડાઓને ભસ્મ કરી દીધા અને ગર્વ અનુભવ્યો.

એકવાર એક સગૃહિણીના દ્વારે તે ભિક્ષા માગવા ગયો. પરંતુ ભિક્ષા આપવામાં મોડું થતાં તે ક્રોધિત થઈ ગયો. એ જોઇ ગૃહિણી બોલી, “ મહાત્માજી, આપ શ્રાપ આપવા ઇચ્છો છો, પણ હું કોઇ કાગડો નથી કે બળીને ભસ્મ થઇ જાઉં. જે માતાએ તમને જીવનભર પાળી પોષીને મોટા કર્યા અને નિરાધાર છોડીને મુક્તિ માટે ભટકતા તમે મારું કંઈ જ બગાડી શકવાના નથી. ”

આ સાંભળીને દેવશર્માને ખૂબ આશ્ચર્ય થયું. એણે પૂછયું, “ તમે કઇ સાધના કરો છો ? ” સ્ત્રીએ જવાબ આપ્યો, “ કર્તવ્ય સાધના ”. આ સાંભળી દેવશર્મા તાંત્રિક સાધના છોડીને પોતાની માતાની સેવા કરવા ઘેર પાછો ફર્યો.

માં ની શિખામણ હું કઈ રીતે ભૂલી ગયો :

દક્ષિણ ભારતના પ્રવાસ વખતે એકવાર ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ અને કાકા કાલેલકરનો એક દિવસ સભાઓ અને વિચારગોષ્ઠીઓનો એટલો ભરચક રહ્યો કે એક ક્ષણનો પણ આરામ કરવાની તક ન મળી. મોડી રાતે પાછા ફર્યા. થાકને લીધે આડા પડ્યા તેવા જ ઊંધી ગયા. પ્રાર્થના કરવાનું બિલકુલ ભૂલી ગયા.

ગાંધીજીને ઊંડુ દુ:ખ થયું. એમણે કહ્યું, “ મારૂ મન તો આજે બહુ અસ્વસ્થ છે. હું કાલની પ્રાર્થના સાથી ન કરી શક્યો ? શું સૂવું એટલું જરૂરી હતું કે ભગવાનનું સ્મરણ પણ કરવામાં ન આવે ? ” ઉદાસ મને તેઓ આગળ બોલ્યા કે, “ મારી માતાએ મને શિખામણ આપી હતી કે ભગવાનનું નામ લેવાનું કદી ભૂલીશ નહિ. હું એ શિખામણ કઈ રીતે ભૂલી ગયો તેનું મને દુઃખ છે. બીજું મારી માતાએ કહ્યું હતું કે આળસ અને પ્રમાદથી સદા દૂર રહેજે, કારણ કે એના લીધે હું ભગવાનનું નામ લેવાનું ક્યાંક ભૂલી ન જાઉં. ” તે દિવસે હાજર રહેલા બધા લોકોએ એક બોધપાઠ ગ્રહણ કર્યો કે જીવનસાધનામાં માતાના સંસ્કારોનું ઘણું મહત્વ છે.

જસ્ટીસ નહિ, માઁ નો દીકરો :

કલકત્તાના જસ્ટીસ ગુરુદાસ ચટ્ટોપાધ્યાયનું પાલનપોષણ એમની વિધવા માતાએ ખૂબ મુશ્કેલી વેઠીને કર્યું હતું. એમણે આ બાળકમાં પ્રયત્નપૂર્વક કાર્યનિષ્ઠા ભરી દીધી હતી. શિષ્યવૃત્તિમાંથી જ તેઓ અભ્યાસનું ખર્ચ કાઢતા હતા અને પોતાની યોગ્યતા તથા સજનતાના બળે જસ્ટીસ તથા વાઈસ ચાન્સેલર બન્યા. એમની માતા પોતાના ધાર્મિક કાર્યોની સગવડ ખાતર જૂના ઘરમાં રહેતી હતી.

એક દિવસ એમની માતા કલકત્તા આવી જલસ્નાન કરીને જૂનાં કપડાં પહેરીને સીધી કોર્ટમાં પહોંચી ગઈ. પુત્રે માતાને જોઇ તો અનહદ ખુશ થયા. કચેરીમાંથી ઉઠીને તેઓ દોડ્યા અને માતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ઉભેલા લોકોને પોતાની માતાનો પરિચય કરાવ્યો. તેમણે કહ્યું કે હું આજે જે કાંઈ છું તે મારી માતાના પ્રયત્નોનું અને સંસ્કારોનું ફળ છે.

નારીને સન્માન આપો :

નેપોલિયન બોનાપાર્ટ ટૂઈ લેરિસ નામના પોતાના મહેલના સ્નાનાગારનું સમારકામ કરાવ્યું. મહેલના અધિકારીઓએ ફ્રાન્સના સારા ચિત્રકારો પાસે ત્યાં સુંદર ચિત્રો બનાવડાવ્યાં. સ્નાનાગારની સજાવટ પુરી થઇ ગઇ ત્યારે નેપોલિયન સ્નાન કરવા ગયો. તેણે જોયું તો સ્નાનાગારની દીવાલો ઉપર સ્ત્રીઓનાં ચિત્રો લટકાવેલાં હતાં. તે સ્નાન કર્યા વગર જ પાછો ફર્યો. મહેલના અધિકારીઓને આજ્ઞા આપી કે, “ સ્ત્રીઓનું સન્માન કરતાં શીખો. સ્નાનાગારમાં સ્ત્રીઓનાં વિલાસપૂર્ણ ચિત્રો બનાવીને નારીનું અપમાન ન કરો. જે દેશમાં નારીને વિલાસનું સાધન માનવામાં આવે છે, તે દેશનો વિનાશ થઇ જાય છે. ”

આદર્શ દંપતીઓનાં ઉદાહરણ બોધ : બોધવચન -૧૯

આદર્શ દંપતીઓનાં ઉદાહરણ બોધ : બોધવચન -૧૯

નારી પ્રગતિના માર્ગમાં આવતું રોડું છે એમ માનવું ભૂલભરેલું છે. સાચી વાત તો એ છે કે એના સહયોગથી આત્મિક પ્રગતિ એકદમ સરળ બની જાય છે. શાસ્ત્રોમાં તથા ઇતિહાસમાં જે આદર્શ દંપતીઓ છે એમના જીવનક્રમને જોઇએ તો એક જ નિષ્કર્મ નીકળે છે કે પરસ્પર એકબીજાને સન્માન અને સહયોગ આપીને જ તેઓ સફળ અને અનુકરણીય જીવન જીવી શકયાં હતાં.

બંગાળના નિધન વિદ્વાન પ્રતાપચંદ્ર રાયે પોતાની બધી શક્તિ અને સંપત્તિ કામે લગાડીને મહાભારતના અનુવાદનું કામ હાથમાં લીધું હતું. તેઓ પોતાના જીવનમાં એ પૂર્ણ ન કરી શક્યા. તો તેમની પત્નીએ પોતે સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ અધુરૂ કામ પુરૂં કરી બતાવ્યું. જ્યાં ઉચ્ચ ભાવના, પ્રેમ અને આદર્શો હોય ત્યાં જ આવી સાહસિકતા જોવા મળે છે.

સામ્યવાદના પ્રવર્તક કાર્લ માર્ક્સ પણ કાંઇ કમાઇ શકતા નહોતા. એ કામ એમની પત્ની ‘ જેની ’ કરતી હતી. તે જૂનાં કપડાં ખરીદીને એમાંથી બાળકોનાં કપડાં બનાવતી અને ફેરી કરીને વેચતી હતી. આદર્શો માટે પતિઓને આ રીતે પ્રોત્સાહિત કરવામાં અને સહયોગ આપવામાં પત્નીઓનું ઉચ્ચ સંકલ્પબળ જ કામ કરે છે.

મૈત્રેયી, યાજ્ઞવલ્કયની સાથે પત્ની નહિ, પણ ધર્મપત્ની બનીને રહી હતી. રામકૃષ્ણ પરમહંસની સહચરી શારદામણિ દેવીનું ઉદાહરણ પણ એવું જ છે. સુકન્યાએ ચ્યવનઋષિ સાથે વાસના – વિલાસ માટે નહિ, પરંતુ એમનું મહાન લક્ષ્ય પુરૂ કરવા લગ્ન કર્યુ હતું. જાપાનના ગાંધી કાગાવાની પત્ની દીનદુ : ખીઓની સેવા કરવાના ઉદેશ્યથી એમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી.

સમાન લક્ષ્યવાળાં પતિ – પત્ની :

મહારાષ્ટ્રના જમીનદાર રઘુનાથ ભાઉએ પોતાની પુત્રી સરલાને એમ.એ. સુધી ભણાવી હતી. છોકરીએ મહિલા જાગૃતિ અભિયાન ચલાવવાનો નિશ્ચય કર્યો. એની શરત એવી હતી કે જે મહિલા શિક્ષણના એના કાર્યમાં મદદરૂપ બનશે એની સાથે તે લગ્ન કરશે. સંજોગવશાત્ ઈન્દોરના પ્રેમનાયક એને મળી ગયા. એ બંનેએ ભેગા મળીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો.

એમના પ્રયત્નોના પરિણામે ૩૦ કન્યા વિદ્યાલયો ખૂલ્યાં, એમાં ૨૨000 કન્યાઓ ભણવા લાગી. આ સિવાય પણ આ દંપતીએ માળવા અને મહારાષ્ટ્રમાં નારી ઉત્થાનનાં બીજાં પણ અનેક કાર્યો કર્યા. આને કહેવાય એકને એક મળીને અગિયાર થાય.

દાસપ્પા દંપતી :

મૈસુરનાં યશોધરા દાસપ્પા દંપતી સ્વરાજ્ય આંદોલનમાં અગ્રણી હતું. રચનાત્મક કાર્યોમાં એમને ભારે રસ હતો. યશોધરાજી કાયદાશાસ્ત્રી હતાં પરંતુ એમણે કદી વકીલાત કરી નહોતી. એમને આગ્રહપૂર્વક વિધાનસભાનાં સભ્ય અને મંત્રી બનાવવામાં આવ્યાં. પરંતુ નશાબંધી બાબતે સરકાર સાથે મતભેદ થવાથી એમણે રાજીનામું આપી દીધું. ત્યારપછી પહેલાંની જેમ જ ગાંધીજીના રચનાત્મક કાર્યો તેઓ બંને કરતાં રહ્યાં.

એમને કેટલીય વાર જેલ જવું પડ્યું. ગાંધીવાદીઓમાં દાસપ્પાને એ વિસ્તારનો ચમકતો હીરો માનવામાં આવે છે. સરકારે યશોધરાજીને પદ્મભૂષણની ઉપાધિથી નવાજ્યાં હતાં.

આજીવન સાચાં સહયોગી રહ્યાં :

કસ્તુરબાનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે મારો સૌથી નિકટનો સાથી જતો રહ્યો. કસ્તુરબાએ ખરેખર આજીવન ગાંધીજીના ગાઢ મિત્ર બનવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ એ પ્રયાસમાં સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાનો ફિનિક્સ આશ્રમ, અમદાવાદના સાબરમતી આશ્રમ જેટલી સુંદર રીતે ચાલતો હતો, તે જોઈને એમ કહી શકાય કે એમણે બાપુની ઈચ્છાઓને અનુરૂપ પોતાના શરીર, મન અને સ્વભાવને ઘડ્યાં હતાં. વ્યક્તિત્વની દૃષ્ટિએ તેઓ બહુ પ્રભાવશાળી નહોતાં, પણ ભારતીય નારીના સમર્પણના આદર્શને એમણે સંપૂર્ણ રીતે નિભાવ્યો હતો.

ગ્રંથના લીધે નામ અમર :

વાચસ્પતિ મિશ્ર ભારતીય દર્શનના પ્રસિધ્ધ ભાષ્યકાર હતા. એમણે પૂર્વમીમાંસા સિવાય બાકીનાં બધાં દર્શનોનું ભાષ્ય કર્યુ છે. તેઓ પોતાના આ પુણ્ય પ્રયાસમાં લાગેલા હતા. એ સમય દરમિયાન એમની પત્નીએ એક દિવસ સંતાનની ઇચ્છા પ્રગટ કરી.

વાચસ્પતિ ગૃહસ્થ તો હતા, પરંતુ દામ્પત્ય જીવન એમણે વાસના માટે નહીં પણ બે સહયોગીઓની મદદથી ચાલતા પ્રગતિશીલ જીવનક્રમ માટે અપનાવ્યું હતું. એમણે પત્નીને પૂછયું, “ તૂ શા માટે સંતાન પેદા કરવા ઇચ્છે છે ? ” પત્નીને કહ્યું, “ આપણું નામ રહે એટલા માટે. ” વાચસ્પતિ મિશ્ર તે વખતે વેદાંત દર્શનનું ભાષ્ય કરી રહ્યા હતા. એમણે તરત એ ભાષ્યનું નામ ‘ ભામતી ‘ રાખી દીધું. આ નામ એમની પત્નીનું હતું. એમણે પત્નીને કહ્યું, “ લે તારું નામ તો અમર થઈ ગયું. હવે નકામી પ્રસવ વેદના અને સંતાનને ઉછેરવાની ઝંઝટ માથે લઈને શું કરીશ ? ” પત્નીના મનનું સમાધાન થઇ ગયું.

સ્વામી શ્રધ્ધાનંદની ધર્મપત્ની :

સમય સમય પર નારીએ પત્નીના રૂપે પતિને સચેત કરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. ભારતીય નારી સહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ છે.

આર્યસમાજના પ્રખ્યાત પ્રણેતા સ્વામી શ્રધ્ધાનંદ જ્યારે નવયુવક હતા ત્યારે એમનું નામ મુન્શીરામ હતું. એમને મદ્યપાન, વ્યભિચાર, ઉડાઉપણું વગેરે અનેક ખરાબ ટેવો પડી હતી.

એમની પત્ની શિવાદેવી પોતાનાં કર્તવ્ય તથા જવાબદારી નિભાવતી રહી. પતિના દોષો ઉપર ગુસ્સે થવાને બદલે ધીરજ અને પ્રેમપૂર્વક એમને સમજાવતી અને પ્રભાવિત કરતી. પરિણામે તેમના જીવનનો કાયાકલ્પ થઈ ગયો. તેઓ ઉચ્ચ કોટિના સંત અને લોકસેવક બન્યા, એમાં એમનાં પત્નીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શિવદેવીના સુસંસ્કાર લઇને જન્મેલાં એમનાં સંતાનો પણ ઉચ્ચસ્તરના બન્યાં. ઈન્દ્ર વિદ્યાવાચસ્પતિની પ્રતિભા અને દેશસેવાથી બધા પરિચિત છે.

નારી નરરત્નોની ખાણ છે,  નરકની નહિ, બોધવચન -૨૮

નારી નરરત્નોની ખાણ છે,  નરકની નહિ, બોધવચન -૨૮

બોધ : નર અને નારીનું આદર્શ પ્રમાણ ૫૦:૫૦ ટકા હોય છે,  અડધી વતી ( નારી ) ને દયનીય સ્થિતિમાં ધકેલીને સમગ્ર માનવસમાજને પતન પરાભવની સ્થિતિમાં રાખવાનો અનર્થ હવે ચાલુ ન રાખવો જોઈએ.  નર અને નારી એકબીજની બે ફાડની જેમ મનુષ્યજાતિનાં અભિન્ન અંગો છે.  બંનેના અધિકાર અને જવાબદારીઓ સરખી છે.  એમાં કોઈ નાનું નથી કે મોટુ નથી.  જયાં સુધી ઘર અને સમાજમાં આવી ભાવના વિકસિત અને પરિપકવ નહીં બને ત્યાં સુધી નારી કચડાયેલી જ રહેશે.  

નારી કોઈ વિજળી કે આગ નથી કે જેને અડકતાં જ કોઈ અનર્થ થઈ જાય.  આ રીતે કહેવાતા સંત મહાત્માઓએ કહેવું જોઈએ કે તેઓ પોતાના મનની સંકીર્ણતા,  શુદ્રતા અને કલુષિતતાથી ડરે.  એને જ તેઓ ભવબંધન માને એ જ નર્કની ખાણ છે.  જે નારીના ઉદરમાંથી તેઓ પોતે પેદા થયા છે અને જેનુ દૂધ પીને મોટા થયા છે તે નારીને વાંછિત કરીને માનવજાતિની ભર્સના ન કરે.  આપણી જીભ પુત્રીને ગમેતેમ ન બોલે,  મા બહેનને વાંછિત ન કરે તે જોવું જોઈએ.  નારી નર્કની ખાણ છે એ ફુકલ્પનાનો આધ્યાત્મના કોઈપણ આદર્શ યા સિધ્ધાંત સાથે મેળ બેસતો નથી.  જો એવું હોત તો આપણા ઈષ્ટદેવ રામ,  કૃષણ,  શિવ,  વિષણુ વગેરે નારીને પોતાની પાસે જ ન આવવા દેત.  ઋષિઓના આશ્રમોમાં તેમની પત્નીઓન રહેત.  સરસ્વતી,  કાલી,  લક્ષ્મી વગેરે દેવીઓનું મુખ જોતાં પાપ લાગી જાત.  એટલે સ્ત્રી સબંધી નકામી ડીંગ ન હાંકીએ તો સારૂ અને પછી પલટવાર કરીએ તે કેવું ? પ્રજ્ઞા,  ભકિત,  સાધના,  મુકિત,  સિદ્ધિ આ બધાં સ્ત્રીલિંગ છે.  જો નારી નર્કની ખાણ હોય તો આ સ્ત્રીલિંગ શબ્દો સાથે જોડાયેલી વિભૂતિઓનો પણ બહિષ્કાર કરવો જોઈએ.  આધ્યાત્મવાદના નામે નારી વિશે આવો ખોટો ભ્રમ ન ફેલાવવો જોઈએ.  

નારીના સમગ્ર વિકાસમાં જ બધાનુ હિત રહેલું છે  :  

સ્ત્રીઓની ધાર્મિક,  સામાજીક તથા રાષ્ટ્રીય સેવાઓ માટે ઈતિહાસ સાક્ષી છે.  એનાથી ખબર પડે છે કે સ્ત્રી પુરૂષ કરતાં કોઈપણ ક્ષેત્રમાં પાછળ રહી નથી.  અનસૂયા,  ગાર્ગી,  મૈત્રેયી,  શતરૂપા,  અહલ્યા,  મદાલસા વગેરે ધાર્મિક તથા સીતા,  દ્રૌપદી,  દમયંતી વગેરે પૌરાણિક અને પદ્માવતી,  વીરબાળા,  લક્ષ્મીબાઈ,  નિવેદિતા,  કસ્તુરબા વગેરે રાષ્ટ્રીય તથા સામાજિક ક્ષેત્રની પ્રખ્યાત તારિકાઓ છે.  વેદ તથા ઈતિહાસનાં પુસ્તકોનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે પ્રારંભિક સમયમાં પુરુષો સાધનો પ્રાપ્ત કરતા જયારે વ્યવસ્થા,  જ્ઞાનવિજ્ઞાન તથા સભ્યતા અને સંસ્કૃતિ સબંધી વિષયોમાં મોટાભાગનું કામ સ્ત્રીઓ જ કરતી હતી.  નારી વિભિન્ન સ્વરૂપે માનવજાત માટે સદૈવ ત્યાગ,  બલિદાન,  સ્નેહ,  શ્રધ્ધા,  ધીરજ અને સહિષ્ણુતાપૂર્ણ જીવન જીવતી રહી છે.  નારીને પૃથ્વી ઉપરની સ્વર્ગીય જ્યોતિની સાકાર પ્રતિમા માનવામાં આવે છે.  એની વાણી જીવન માટે અમૃતનું ઝરણું છે.  એની આંખોમાં કરૂણા,  સરળતા અને આનંદનાં દર્શન થાય છે.  એનામાં આખા જગતની નિરાશા અને કર્તા દૂર કરવાની ક્ષમતા છે.  પ્રકૃતિ પોતે જ નારીના રૂપમાં સૃષ્ટિના નિર્માણ,  પાલન,  પોષણ અને સંવર્ધનનું કાર્ય કરી રહી છે.  આથી નારીનું ગૌરવ ઘટાડવાનો અર્થ પોતાની ઉદ્ગમ શક્તિનું ગૌરવ ધટાડવું એવો થાય છે.  મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે,  “ સ્ત્રી પુરૂષની અધૌગિની છે,  એનો સૌથી મોટો મિત્ર છે.  તે ધર્મ,  અર્થ અને કામનું મૂળ છે.  જે એનું અપમાન કરે છે તેને કાળ નષ્ટ કરી નાખે છે.  જીવનસંગિનીના રૂપમાં સ્ત્રી જ પુરૂષને ઊંચે લઈ જાય છે.  ”

%d bloggers like this: