૧૬. મહાત્મા બુદ્ધ, પતનનું કારણ

પતનનું કારણ
જ્યાં સુધી બૌદ્ધ ધર્મના નેતા આ સત્ય-નિયમો પર ચાલતા રહ્યા, ત્યાં સુધી તેમની નિરંતર પ્રગતિ થતી રહી અને તે સમગ્ર ભારતમાં જ નહિ, પણ ચીન, જાપાન, સ્યામ, લંકા, અફઘાનિસ્તાન અને એશિયાના પશ્ચિમી દેશો સુધી ફેલાઈ ગયો. અશોક જેવો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ તેમાં સામેલ થઈ ગયો અને તેણે પોતાનાં વિશાળ સાધન આ કાર્યમાં લગાવીને બૌદ્ધ ધર્મને વિશ્વવ્યાપી બનાવી દીધો, પરંતુ જ્યારે બૌદ્ધોમાં પણ વિકૃતિઓ ઉત્પન્ન થવા લાગી અને તેના ભિક્ષુ” આરામ અને લાભ માટે એવાં જ કામ કરવા લાગી ગયા, જેને કારણે બ્રાહ્મણોમાં હીનતા આવી હતી તો તે પણ પડવા માંડ્યો.
કેટલાક વિદ્વાનોના કથન અનુસાર ભારતવર્ષમાંથી બૌદ્ધ ધર્મનો લોપ થઈ જવાનું કારણ “બ્રાહ્મણોનો વિરોધ જ હતું. “બ્રાહ્મણોએ ભારતમાં શરૂઆતમાં જે ધર્મ ફેલાવ્યો હતો અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો તે એટલો “સનાતન હતો કે કોશિશ કરવા છતાં પણ બૌદ્ધ ધર્મ તેણે પૂર્ણ પણે મિટાવી ન શક્યો. પોતાની ભૂલનું ખરાબ પરિણામ ભોગવીને બ્રાહ્મણ જ્યારે ફરીથી બેઠાં થયા તો તેઓ બૌદ્ધ ધર્મની વાતોને પોતાનાં જ શાસ્ત્રોમાં શોધીને બતાવવા લાગ્યા અને પોતાના અનુયાયીઓને તેનો ઉપદેશ આપવા લાગ્યા.”

બૌદ્ધ ધર્મનો મુકાબલો કરવા માટે હિંદુ ધર્મના વિદ્વાનોએ પ્રાચીન કર્મકાંડના સ્થાને જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય જેવા વિદ્વાનોએ મીમાંસા અને વેદાંત જેવાં દર્શનોનું પ્રતિપાદન કરીને બૌદ્ધ ધર્મના તત્ત્વજ્ઞાનને દબાવ્યું તથા રામાનુજ, વિષ્ણુ સ્વામી વગેરે વૈષ્ણવ સિદ્ધાંતવાળાએ ભક્તિ માર્ગ દ્વારા બૌદ્ધોના વ્યવહાર-ધર્મથી ચડિયાતી પ્રતિભાશાળી અને નાનામાં નાની વ્યક્તિને પોતાની ભીતર સ્થાન આપનારું વિધાન શોધી નાંખ્યું. સાથો સાથ અનેક હિંદુ રાજા પણ આ ધર્મ-પ્રચારકોની મદદ માટે ઊભા થઈ ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે જેવી રીતે બૌદ્ધ ધર્મ અકસ્માત્ વધીને મોટો થઈ ગયો અને દેશભરમાં છવાઈ ગયો, તેવી રીતે જ્યારે તે નિર્બળ પડવા માંડ્યો, તો તેનાં મૂળને ઊખડતાં પણ વાર ન લાગી. પણ એક આશ્ચર્યની વાત છે કે જે ધર્મ અત્યાર સુધી અનેક દૂરવર્તી દેશોમાં ફેલાયેલો હતો, અને જેના અનુયાયીઓની સંખ્યા મોટા ભાગના બીજા ધર્મવાળા કરતાં ક્યાંય વધારે હતી, તે ભારતમાંથી એવી રીતે લુપ્ત થઈ ગયો કે તેનું નામ સંભળાતું પણ બંધ થઈ ગયું. લોકો બૌદ્ધ ધર્મને પૂર્ણ પણે એક વિદેશી ધર્મ જ માનવા લાગ્યા. છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષોથી કેટલાક ઉદાર વિચારોના હિંદુઓએ જ તેની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું છે અને તેનાં કેટલાંક ધર્મસ્થાનોનો પણ પુનરુદ્ધાર કર્યો છે.
આ વિવેચનથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે કોઈ પણ મત કે સંપ્રદાયનું ઉત્થાન સદ્ગુણો અને સચ્ચાઈ પર જ નિર્ભર છે. સંસારના તમામ મુખ્ય ધર્મ લોકોને નિમ્ન સ્તરની અવસ્થામાંથી કાઢીને ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવ્યા છે. પારસી, યહૂદી, પ્રિસ્તી, મુસ્લિમ વગેરે ધર્મો આજે ભલે ગમે તે હાલતમાં હોય, પણ શરૂઆતમાં બધાએ પોતાના અનુયાયીઓને શ્રેષ્ઠ અને સમયાનુકૂળ માર્ગ પર ચલાવીને તેમનું કલ્યાણ સાધવાનું કામ જ કર્યું હતું. પરંતુ કાળ ક્રમે બધામાં કેટલીક વ્યક્તિઓ કે ખાસ સમુદાયની સ્વાર્થપરતાને કારણે વિકાર ઉત્પન્ન થયા અને ત્યારે તેનું પતન થવા લાગ્યું. ત્યારે વળી કેટલીક વ્યક્તિઓના હ્રદયમાં પોતાના ધર્મની દુરાવસ્થાનો ખ્યાલ આવ્યો અને તેમાં લોકોને ખોટા તથા હાનિકારક માર્ગોથી હટાવીને ધર્મ-સંસ્કાર આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બુદ્ધ પણ આ વાત સમજતા હતા અને એટલાં માટે એવી વ્યવસ્થા કરતા ગયા હતા કે પ્રત્યેક સો વર્ષ પછી સંસારભરના બૌદ્ધ પ્રતિનિધિઓની એક મોટી સભા યોજવી અને તેમાં પોતાના ધર્મ અને ધર્મનુયાયીઓની દશા પર પૂર્ણપણે વિચાર કરીને જે દોષ દેખાય તે દૂર કરવા અને નવા સમયોપયોગી નિયમો પ્રચલિત કરવા. આ ઉદેશ્ય સિદ્ધ કરવા માટે એ જરૂરી જણાય તો જૂની પ્રથાઓ અને નિયમોમાંથી કેટલીક નાની-મોટી બાબતોને છોડી અને બદલી પણ શકાય છે.
બૌદ્ધ ધર્માચાર્યો દ્વારા આ બુદ્ધિ સંગત વ્યવસ્થા પર ચાલવાનું અને રૂઢિવાદિતાથી બચી રહેવાનું એ પરિણામ આવ્યું કે બૌદ્ધ ધર્મ કેટલાય સો વર્ષો સુધી નિરંતર વધતો રહ્યો અને સંસારના દૂરદૂરના દેશોના નિવાસી આગ્રહપૂર્વક આ દેશમાં આવીને તેનું શિક્ષણ મેળવીને પોતાને ત્યાં તેનો પ્રચાર કરતા રહ્યા. જીવિત અને લોક-કલ્યાણની ભાવનાથી અનુપ્રાણિત ધર્મનું એ જ લક્ષણ છે કે તે નિરર્થક અથવા દેશ કાળને પ્રતિકૂળ રીતિ-રિવાજોના પાલનની પ્રાચીનતા અથવા પરંપરાના નામે આગ્રહ નથી કરતો. પણ સદાય આત્મ નિરીક્ષણ કરતો રહે છે અને કોઈ કારણવશ પોતાના ધર્મમાં, પોતાના સમાજમાં, પોતાની જાતિમાં જો કોઈ બૂરાઈ હોય, તો તેને સુધારવામાં સંકોચ નથી કરતો. એટલે બુદ્ધનું સૌથી મોટું શિક્ષણ એ છે કે માણસે પોતાનું ધાર્મિક, સામાજિક આચરણ સદાય કલ્યાણકારી અને સમયાનુકૂળ નિયમો પર આધારિત રાખવું જોઈએ. જે સમાજ, મજહબ(ધમ) આ રીતે પોતાના દોષો, વિકારોને સદાય દૂર કરતો રહે છે, તેને જ “જીવંત સમજવો જોઈએ અને તે જ સંસારમાં સફળતા અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
વર્તમાન સમયમાં હિંદુ ધર્મમાં જે સૌથી મોટી ત્રુટિ ઉત્પન્ન થઈ ગઈ છે, તે એ જ છે કે તેણે આત્મ-નિરીક્ષણની પદ્ધતિનો સર્વથા ત્યાગ કરી દીધો છે અને ચીલાચાલુ બની રહેવાને જ ધર્મનું એક મુખ્ય લક્ષણ માની લીધું છે. મોટા ભાગના લોકોનો દૃષ્ટિકોણ તો એટલો સીમિત થઈ ગયો છે કે તેઓ સો – બસો વર્ષ પહેલાં કોઈ કારણવશ પ્રચલિત થઈ ગઈ હોય તેવી અત્યંત સાધારણ પ્રથા-પરંપરા કે જે આજકાલ સ્પષ્ટપણે સમયથી વિપરીત અને હાનિકારક સાબિત થઈ રહી છે તેને પણ છોડવાનું ધર્મ વિરુદ્ધ સમજે છે.

અત્યારે બાળવિવાહ, મૃતક ભોજન, લગ્નનો વ્યર્થ ખર્ચ, આભડછેટ, ચાર વણના સ્થાને આઠ હજાર જતિઓ વગેરે અનેક હાનિકારક પ્રવૃત્તિઓ હિંદુ સમાજમાં ઘૂસી ગઈ છે, પણ જેવી એને સુધારવાની વાત કરવામાં આવે છે કે લોકો “ધર્મ ડૂબી ગયાનો પોકાર’ મચાવવા માંડે છે. બુદ્ધ ભગવાનના ઉપદેશો પર ધ્યાન દઈને આપણે એટલું સમજી શકીએ છીએ કે વાસ્તવિક ધર્મ આત્મોત્થાન અને ચરિત્ર – નિર્માણમાં છે, નહિ કે સામાજિક –ભૌતિક પ્રથાઓમાં. જો આપણે આ સત્યને સમજી લઈએ તથા પરંપરા અને રૂઢિઓના નામે જે કચરો આપણા સમાજમાં ભરાઈ ગયો છે, તેને સાફ કરી નાંખીએ તો આપણી બધી નિર્બળતાઓ દૂર કરીને પ્રાચીન કાળની જેમ આપણે ફરી ઉન્નતિની દોડમાં અન્ય જાતિઓથી અગ્રગામી બની શકીએ છીએ.

૧૫. બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ

બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ
બૌદ્ધ ધર્મનો પ્રચાર સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ એટલી ઝડપથી વધ્યો કે તેને જોઈને મોટા ભાગના લોકોને આશ્ચર્ય થવા લાગ્યું. પણ એનું કારણ એ હતું કે તે વખતે પંડિતો અને પુરોહિતોએ પોતાના સ્વાર્થ માટે પ્રાચીન ધર્મને બહુ ગૂંચવાડાવાળો અને આડંબરવાળો બનાવી દીધો હતો. શાસ્ત્રોમાં તો એમ કહેવાયું છે કે ધર્મ હ્રદયની ચીજ છે અને માણસે સ્વાભાવિક રીતે જ તેનું અનુસરણ કરવું જોઈએ. પરંતુ તે વખતના ધર્મ-વ્યાવસાયિકોએ તેને એવું રૂપ આપી દીધું હતું કે કોઈ વ્યક્તિ પોતાના મનથી સ્વતંત્રતાપૂર્વક કોઈ ધાર્મિક કાર્ય કરી જ શકતી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ પંડિત-પુરોહિતોએ પોતાને “ભગવાનના એજન્ટ’ બનાવી લીધા હતા અને તેઓ કહેતા હતા કે “અમે ધર્મ કૃત્ય કરાવીએ તે સિવાય કોઈ ભગવાનને મેળવી જનથી શકતું.”


આ રીતે તેઓ ભગવાન અને સામાન્ય વ્યક્તિ વચ્ચે બાધારૂપ બની બેઠાં હતા. તેમણે યજ્ઞ અને હવનને જ નહિ, પરંતુ પૂજા-પાઠ, ભજન, ઉપાસના, દાન, વ્રત, તીર્થ બધામાં કોઈને કોઈ એવી શરત મૂકી દીધી હતી કે માણસ કોઈ ધર્મ કાર્ય પોતે કરી શકવામાં મુશ્કેલી અનુભવતો હતો અને તેમાં પંડિત – પુરોહિતોની સહાયતા લેવાનું આવશ્યક હતું. તે લોકો વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે લોકોને જાત જાતની વ્યર્થ ક્રિયાઓમાં ફસાવીને હેરાન કરતા હતા, આનાથી લોકોમાં ધર્મ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવા લાગી ગયો.
એ સત્ય છે કે વેદો અને ઉપનિષદોના ધર્મ સિદ્ધાંત બહુ ઊંચા હતા અને બૌદ્ધ ધર્મમાં તેનાથી ચડિયાતી જ્ઞાન – સંબંધી કોઈ વાત ન હતી, પણ તે વખતે વેદ અને ઉપનિષદોનો પ્રચાર ઘણું ખરું સમાપ્ત થઈ ગયો હતો. સામાન્ય મનુષ્ય તો શું સ્વયં પંડિત-પુરોહિત પણ તેનાથી અજાણ હતા. તેમણે એમાંની કેટલીક વાતોને પોતાને અનુકૂળ રૂપમાં બદલીને તેને જ “ધર્મનું નામ આપી દીધું હતું અને તેનાથી જ ધન કમાઈને આરામનું જીવન વિતાવવા લાગ્યા હતા. આ જ કારણસર જ્યારે બુદ્ધ પ્રાચીન જ્ઞાન-માર્ગની વાતોને સીધી અને સરળ રીતે કહેવાનું શરૂ કર્યું અને ધર્મના માર્ગને પ્રત્યેક વ્યક્તિ માટે સુલભ બનાવી દીધો તો લોકો એકાએક તેના તરફ આકર્ષાઈ ગયા. સાચું પૂછો તો તે સમયે સ્વાર્થીઓએ બહારથી “ધર્મ “ધર્મ પોકારતાં પોકારતાં અંદરને અંદર તેને એવો ખોખલો અને વિકારગ્રસ્ત બનાવી દીધો હતો કે સમાજનો આત્મા તમસથી ઢંકાયેલો અને પતિત થઈ ગયો હતો અને કોઈ આશ્રય માટે વ્યાકુળ થઈ ગયો હતો. બુદ્ધના શિક્ષણમાં તેમને પ્રકાશની રેખા દેખાઈ અને તે કોઈ પણ પ્રકારના ખાસ પ્રયત્ન વિના ચારે બાજુ ફેલાઈ ગઈ. એક નવો ધર્મ આપોઆપ શરૂ થયો.
બુદ્ધના ઉપદેશ એટલાં ઊંચા અને સાથોસાથ સરળ પણ હતા કે વિદ્વાન અને અશિક્ષિત બંનેને તેમાં પોતાને યોગ્ય તત્ત્વની વાતો મળી જતી હતી. એટલાં માટે જ્યાં શૂદ્ર, કારીગર, સ્ત્રીઓ તેમાં સામેલ થયાં, ત્યાં અનેક વિદ્વાન, પ્રતિભાશાળી તથા મોટી પદવીવાળા પણ તેમના અનુયાયી બની ગયા. આ બધાના સહયોગથી બૌદ્ધ ધર્મને શીઘ્રતાથી દૂર દૂર સુધી ફેલાવામાં બહુ મદદ મળી. આ રહસ્યનું સ્પષ્ટીકરણ કરતાં વિન્સેન્ટ સ્મિથ નામના પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકારે એવો મત પ્રકટ કર્યો છે –
તે વખતે બ્રાહ્મણોની મોટાઈથી લોકો ઊબકી ગયા હતા. તેઓ કોઈને કોઈ રીતે તેનાથી છુટકારો ઇચ્છતા હતા. ક્ષત્રિય પણ હ્રદયમાં તેમનાથી બહુ અસંતુષ્ટ હતા. એટલાં માટે જ્યારે તેમણે પોતાના જ વર્ણના એક મહાપુરુષને ધર્મનો ઉપદેશ આપતા જોયા તો તેઓ જાણીબૂજીને તેની ચડતીની ચેષ્ટ કરવા લાગ્યા, એટલે બિંબિસાર, પ્રસેનજિત જેવા ક્ષત્રિય નરેશ તરત જ બુદ્ધના સમર્થક બની ગયા.” ક્ષત્રિયોનું કર્મકાંડી બ્રાહ્મણોથી અસંતુષ્ટ થવાનું એક કારણ એ પણ હતું કે તેઓ રાજાઓમાં યજ્ઞની પ્રતિયોગિતા ઉત્પન્ન કરીને તેમની સંપત્તિને પોતે હડપ કરી જતા હતા. તેનાથી રાજાઓને આર્થિક મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે તેઓ આ તથ્ય સમજી ગયા તો બ્રાહ્મણોના વિરોધી બની ગયા.

૧૪. સુભદ્રની કથા

સુભદ્રની કથા
આ રીતે ભગવાન જીવનભર અજ્ઞાની અને પંથ ભૂલેલાને સદ્દમાર્ગ બતાવીને જ્યારે વૃદ્ધાવસ્થા અને નિર્બળતાને કારણે મૃત્યુશય્યા પર પડી ગયા તો સુભદ્ર નામના પરિવ્રાજકે આ સમાચાર સાંભળ્યા. તેણે વિચાર્યું કે બુદ્ધ જેવા મહાપુરુષો રોજેરોજ જન્મ લેતા નથી. મારી ધર્મ સંબંધી શંકાઓ નિર્મૂળ થવાની તક ફરી ક્યારેય મળી શકશે નહિ. એટલે તે જ્યાં ભગવાન બુદ્ધ તે વખતે વિશ્રામ કરી રહ્યા હતા તે સાલવનમાં જઈ પહોંચ્યો અને આનંદને કહ્યું, “મારા હ્રદયમાં ધર્મ સંબંધી કેટલીક શંકાઓ છે. જો તેને અત્યારે નિર્મૂળ ન કરી શક્યો તો તે પછી ક્યારેય નિર્મૂળ થઈ શકશે નહિ. કૃપા કરીને મને ભગવાનનાં દર્શન કરાવો.” તે વખતે આનંદે કહ્યું –
“સુભદ્ર ! આ ભગવાન પાસે શંકાનું સમાધાન કરવાનો સમય નથી. ભગવાન નિર્વાણ શય્યા પર છે. અત્યારે તેમને કષ્ટ ન આપો.”


“આનંદ! મને ભગવાનનાં દર્શન કરી લેવા દો.”સુભદ્રએ કહ્યું.
સુભદ્ર!  અત્યારે એમને કષ્ટ ન આપો.” આનંદે કહ્યું.
આનંદ અને સુભદ્રની વાતચીતનો અસ્પષ્ટ ધ્વનિ બુદ્ધના કાનમાં પહોંચ્યો. જેણે આજીવન બધા પ્રકારના લોકો પર સદ્દવિચારોની વર્ષા કરી હોય, તે અંતિમ સમયે તેનાથી વિપરીત કેવી રીતે ચાલી શકે? તેમણે કહ્યું, “આનંદ સુભદ્રને રોકો નહિ. આવવા દો. તે જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છાથી આવ્યો છે, મને કષ્ટ આપવાનાં વિચારથી નહિ.”
સુભદ્રએ પાસે જઈને કરુણાની એ શાંત મૂર્તિને જોયા. તથાગતનો ઉપદેશ તેના હ્રદયમાં તરત જ પ્રવેશી ગયો. તેણે કહ્યું, “ભંતે! હું બુદ્ધ ધર્મ અને સંઘના શરણે જાઉં છું. મને આપ ભિક્ષુ બનાવી લો.”
બુદ્ધે કહ્યું, “સુભદ્ર ! સંઘનો નિયમ છે કે કોઈ બીજા સંપ્રદાયની પ્રવ્રજિત વ્યક્તિ જો બૌદ્ધ સંઘમાં સામેલ થવા ઇચ્છે તો તેણે ચાર મહિના સુધી પ્રતીક્ષા કરવી પડે છે.”
“ભંતે! ચાર મહિના તો શું, હું ચાર વર્ષ સુધી પ્રતીક્ષા કરવા તૈયાર છું.”
બુદ્ધ – “તો આનંદ! સુભદ્રને હમણાં જ પ્રવ્રજિત કરો.”સુભદ્ર જ બુદ્ધ ભગવાનનો અંતિમ શિષ્ય થયો.
મૃત્યુની નજીક ઊભા રહીને પણ પરોપકારથી મોં ન ફેરવે તે જ સાચો મહાપુરુષ અને આત્મજ્ઞાની છે. નહિતર મોટા ભાગના લોકો જીવ જોખમમાં હોય ત્યારે બધું જ ભૂલીને જીવ બચાવવા માટે બે બાકળા બની જાય છે. સામાન્ય વ્યક્તિ સદાય “આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા ની ઉક્તિને ચરિતાર્થ કરનારા હોય છે, પણ આત્મતત્ત્વના વાસ્તવિક જ્ઞાતા મૃત્યુની લેશમાત્ર ચિંતા કરતા નથી અને તે વખતે પણ જેટલી ક્ષણ કોઈને સેવા-સહાયતામાં લાગી શકે, તેને જ મરતાં મરતાં જીવનનો સાર સમજે છે. બુદ્ધ ભગવાનનું સુભદ્રની શંકાનું સમાધાન કરવાનું કાર્ય એવું જ હતું. તેમના આ ઉદાહરણથી આપણને એ શિક્ષણ મળે છે કે મૃત્યુનો ભય નિરર્થક છે અને તેની સંભાવના જોઈને ગભરાઈ જવું, કર્તવ્ય – કર્મથી વિમુખ થઈ જવું તે તો બહુ નિંદનીય છે. જ્યારે એ એક અનિવાર્ય વાત છે અને તેને ભય કે ગભરામણ દ્વારા દૂર કરી શકાતી પણ નથી, તો આપણે તેના તરફ નિર્ભય શા માટે ન રહીએ? તે ક્યારે આવશે તેની ચિંતા ન કરીને
અંતિમ ક્ષણ સુધી કર્તવ્યપાલનની ભાવનાને જીવિત અને જાગૃત રાખવી એ જ શ્રેષ્ઠ વ્યક્તિઓનું લક્ષણ છે અને તેઓ જીવનનો લાભ ડરનારા અને ભાગનારા લોકો કરતાં ક્યાંય વધારે પ્રાપ્ત કરી લે છે.

૧૩. બુદ્ધના અંતિમ દિન

બુદ્ધના અંતિમ દિન
આ રીતે બુદ્ધે સતત ૪૫ વર્ષ સુધી દેશભરમાં ભ્રમણ કરીને જનતાને ‘સત્ય-ધર્મ’ નો ઉપદેશ આપ્યો અને તેને અનેક કુરીતિઓ અને અંધવિશ્વાસોમાંથી છોડાવીને કલ્યાણકારી માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. તેમાં તેમને સારી એવી મહેનત કરવી પડતી હતી અને અનેક મુશ્કેલીઓ પણ સહન કરવી પડતી હતી. બધાં સુધારાનાં કામોમાં અનેક દુષ્ટ પ્રકૃતિના લોકો નુકશાન પહોંચાડવા પણ તૈયાર થઈ જાય છે. બુદ્ધને પણ ક્યારેક આવા વિરોધો સહન કરવા પડતા હતા.

જ્યારે તેઓ ‘જેતવન’ નામના સ્થાનમાં હતા તો તેમના કેટલાક શત્રુઓએ સુંદરી નામની બૌદ્ધ ભિક્ષુણીને લાલચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધી અને તેની પાસે કહેવરાવ્યું કે ‘હું બુદ્ધ પાસે વારંવાર જાઉં છું’ અર્થાત્ મારી સાથે તેમને અનૈતિક સંબંધ છે! જ્યારે તે અનેક લોકો સામે આ વાત કહી ચૂકી તો એ જ દુષ્ટ લોકોએ ચૂપચાપ તેને મારી નાંખી અને બૂમરાણ કરી મૂકી કે બુદ્ધના માણસોએ તેને મારી નાંખી છે.
તેમણે પોતાના તરફથી જાળ તો બહુ મોટી રચી હતી, પણ બુદ્ધની અત્યાર સુધીની જીવનચર્યા અને મહાન ત્યાગને જાણવાને કારણે કોઈએ આના પર જલદી વિશ્વાસ ન કર્યો. જ્યારે આ સમાચાર મહારાજ બિંબિસાર પાસે પહોંચ્યા તો તેમણે આ સમાચાર ફેલાવનારને જ પકડી લીધા અને તેમને ધમકાવીને સાચી વાત પૂછી.

લોકો શરાબના નશામાં ચૂર હતા, એટલે આપોઆપ જ પોતાની ભૂલ કબૂલી લીધી અને ષડ્ યંત્રની આખી વાત પ્રકટ કરી દીધી. પછી તેમને પોતાના કરતૂત પર એટલી ગ્લાનિ થઈ કે તેઓ બુદ્ધના શરણે ગયા અને ક્ષમા માગવા લાગ્યા. નિર્વિકાર ચિત્ત ભગવાન બુદ્ધે તેમને પણ માફ કરી દીધા અને સંઘમાં સામેલ થવાની અનુમતિ આપી દીધી.
આ રીતે એક વાર તેઓ એકલા યાત્રા કરતા કરતા અંગુલિમાલ ડાકુ સામે જઈ પહોંચ્યા. તે બહુ ક્રૂર અને ભયંકર માણસ હતો અને જે વ્યક્તિઓને મારતો હતો, તેની એક આંગળી કાપીને પોતાના ગળાની માળામાં સામેલ કરી દેતો હતો. આમ, તે લગભગ એક હજાર વ્યક્તિઓને મારી ચૂક્યો હતો. તે બુદ્ધને મારવા માટે તૈયાર થયો, પણ તેમણે નિર્ભય ભાવે તેને એવી રીતે તેની ભૂલ સમજાવી કે તેની આંખ ખૂલી ગઈ અને તે પોતાના કુકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. બુદ્ધ તેને પણ ધર્મોપદેશ આપીને બુદ્ધ સંઘમાં સામેલ કરી દીધો અને આગળ જતાં તે બહુ મોટો ધર્મપ્રચારક બની ગયો.

૧૨. સહકારી જીવનની આવશ્યકતા

સહકારી જીવનની આવશ્યકતા
બુદ્ધ પાંચસો ભિક્ષુઓને લઈને કીટાગિરિ તરફ ગયા. સારિપુત્ર અને મૌદ્ગલ્યાયન પણ તેમની સાથે હતા. જ્યારે કીટાગિરિ નિવાસી ભિક્ષુઓ કે જેમાં અશ્વજિત અને પુનર્વસુ મુખ્ય હતા, તેમણે આ સમાચાર સાંભળ્યા તો તેમણે પરસ્પર મસલત કરી કે સારિપુત્ર અને મૌદ્ગલ્યાયનની નિયત બરાબર નથી એટલે એવો ઉપાય કરવો કે તેમને શયનાસન ન મળી શકે. આમ વિચારીને તેમણે સંઘના સમસ્ત ઉપયોગી પદાર્થો પરસ્પર વહેંચી લીધા. જ્યારે બુદ્ધ સંઘની કેટલીક વ્યક્તિઓ આગળ ચાલીને કીટાગિરિ પહોંચી અને ત્યાંના ભિક્ષુઓને ભગવાન બુદ્ધ, સારિપુત્ર તથા મૌદ્ગલ્યાયન માટે શયનાસનની વ્યવસ્થા કરવાનું કહ્યું, તો તેમણે કહ્યું –
“આવુસો ! અહીં સાંઘિક શયનાસન નથી. અમે બધી સાંઘિક સંપત્તિને વહેંચી લીધી છે. ભગવાનનું સ્વાગત છે. તેઓ ઇચ્છે એ વિહારમાં રહે. સારિપત્ર તથા મૌદ્ગલ્યાયન પાથેચ્છુક છે, અમે તેમને શયનાસન નહિ આપીએ.”

સારિપુત્રએ તેમને પૂછયું –
“આવુસો! શું તમે સંઘની શય્યાઓ વહેંચી લીધી છે?”
“હા, અમે એવું જ કર્યું છે.”અશ્વજિતે કહ્યું.
ભિક્ષુઓએ જઈને સમસ્ત સમાચાર ભગવાન બુદ્ધને કહી સંભળાવ્યા, તો તેમણે આવું અનુચિત કર્મ કરનાર ભિક્ષુઓની નિંદા કરતાં કહ્યું- “ભિક્ષુઓ! પાંચ વસ્તુઓ વહેંચી શકાતી નથી – (૧) આરામ કે આરામની વસ્તુ, (૨) વિહાર-નિવાસ સ્થાન, (૩) મંચ, પીઠ, ગાદી, તકિયા, (૪) સોટી, વાંસ, મૂંજ ઘાસ.
સાધુનું એક બહુ મોટું લક્ષણ ‘અપરિગ્રહ’ પણ છે. જે વ્યક્તિ સાધુવેશ ધારણ કરીને પણ પોતાની સુખ-સુવિધા માટે બધી રીતે સુખ – સામગ્રી ભેગી કરતો રહે, તેને ઢોંગી કે હરામખોર જ કહેવો પડશે, કારણ કે જો તેને સુખ-સામગ્રીની આટલી લાલસા હોય તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ભિક્ષુ બનવાની જરૂર જ શું હતી? ગૃહસ્થમાં જો તે પરિશ્રમ કરીને ધનનું ઉપાર્જન કરતો હોત અને તેની ઇચ્છાનુસાર આરામનું જીવન જીવતો હોત તો તેના તરફ કોઈ ખાસ ધ્યાન ન આપત. પણ જો કોઈ વ્યક્તિ સાધુ બનીને જીવિકાનું ઉપાર્જન કરવા માટે પરિશ્રમ કરવાનું બંધ કરી દે અને ત્યારે પણ સુખ-સામગ્રીનો સંગ્રહ કરવામાં, તેના પર પોતાની માલિકી સ્થાપવાની લાલસા કે ફિકરમાં રચ્યોપચ્યો રહે તો તે સમાજ આગળ એક દૂષિત ઉદાહરણ રજૂ કરવાનો દોષી જ ગણાશે.
સાધુ આશ્રમનો એક બહુ મોટો લાભ સહકારી જીવન વ્યતીત કરવું એ છે. ગૃહસ્થ આશ્રમમાં તો સામાજિક પરિસ્થિતિઓ અને વ્યક્તિગત કારણોથી પણ માણસે પોતાના વ્યવહારની મોટા ભાગની વસ્તુઓ અલગ રાખવી પડે છે, પણ સાધુ સાથે આવું કોઈ બંધન હોતું નથી અને તે ચાહે વ્યક્તિગત પદાર્થોનો ભાર ઉપાવામાંથી અને તેનું રક્ષણ કરવાની ઝંઝટમાંથી સહેજે છુટકારો મેળવી શકે છે. જૈન સાધુઓમાં આ તથ્ય પર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે અને તેમની સામે એ આદર્શ રાખવામાં આવ્યો છે કે જો તેમનામાં સામર્થ્ય હોય તો તેઓ પોતાની આવશ્યક વસ્તુઓની સંખ્યા ઘટાડતા ઘટાડતા તેનો પૂર્ણપણે અંત કરી શકે છે. ત્યારે તેમની પાસે તો અન્નનો એક દાણો અને વસ્ત્રનો એક ટુકડો બાકી રહેતો નથી અને તેઓ પોતાનો ભાર સર્વથા પ્રકૃતિ પર અને સમાજ પર છોડીને નિશ્ચિત થઈ જાય છે. જો આ હદ સુધી આગળ ન વધી શકાય તો પણ સાધુઓનું એ કર્તવ્ય, એ ધર્મ ચોકસ છે કે પોતાની પાસે રહેતી વસ્તુઓની સંખ્યા ઓછામાં ઓછી રાખે અને નિવાસ, શયા, ભોજન-સામગ્રી વગેરેની વ્યવસ્થા સામૂહિક રીતે જ કરે. આનાથી ઓછા પદાર્થોમાં જ ઘણા લોકોનું કામ ચાલી શકે છે અને સાધુ અનેક વસ્તુઓનો ભાર ઉપાડવાની અને તેની દેખભાળ કરવાની ચિંતાથી મુક્ત રહી શકે છે. આગળ જતાં સમાજની અન્ય વ્યક્તિ પણ આ આદર્શને અપનાવી શકે અને પોતાની પરિસ્થિતિઓ તથા સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સામૂહિક જીવનનો ઓછોવત્તો ભાગ લઈ શકે છે.
એમાં સંદેહ નથી કે આ પ્રકારનું સામૂહિક જીવન સભ્યતા અને પ્રગતિનું એક બહુ મોટું સાધન છે. આમાં પ્રત્યેક પદાર્થની ઉપયોગિતા અનેક ગણી વધી જાય છે અને તેનાથી વધુમાં વધુ લાભ ઉઠાવી શકાય છે. જે લોકો એકલાં મોટા પદાર્થોની વ્યવસ્થા કરી શકવામાં અસમર્થ હોય છે, તેઓ પણ કોઈક રીતે તેના ઉપયોગની સુવિધા મેળવી શકે છે. તેનાથી વ્યક્તિગત લાલસા, માલિકીભાવ, હરીફાઈ, ઈર્ષ્યા-દ્વેષ વગેરે હાનિકારક પ્રવૃત્તિઓમાં કમી આવે છે. આ તથ્યને નજર સમક્ષ રાખીને વેદોએ ગાયું છે
સંગચ્છ્ધ્વં સં વદધ્વં સે વો મનાંસિ જાનતામ્ |
સમાનો મંત્ર: સમિતિ સમાની સમાનં મનઃ સહ ચિત્તમેષામ્ |
સમાની વ આકૂતિઃ સમાના હદયનિવઃ |
સમાનમસ્તુ વો મનો યથા વ સુસહાસતિઃ.| 
અર્થાત્ – “તમે લોકો સાથેસાથે ચાલો, સાથે સાથે બોલો, તમે સમાન મનવાળા થાવ, તમારા વિચાર પણ સમાન થાવ. તમારું કર્મ સમાન હો, તમારું હૃદય અને મન પણ સમાન હો. તમે સમાન મતિ અને રુચિવાળા થઈને બધી રીતે સુસંઠિત થાવ.”
બુદ્ધ સંઘમાં પણ શરૂઆતમાં ત્યાગનો આદર્શ બહુ ઊંચો રાખવામાં આવ્યો હતો અને એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે ગૃહસ્થો દ્વારા ત્યાગી દેવામાં આવેલી થોડી વસ્તુઓથી જ ભિક્ષુ લોકો પોતાનું કામ ચલાવી લે અને સમાજ પર પોતાનો ભાર ઓછામાં ઓછો આવવા દે. બૌદ્ધ ભિક્ષુ ફક્ત પહેરવા માટે વસ્ત્ર, સૂવા માટે ગોદડી અને ખાવા પીવા માટે એક કાષ્ઠપાત્ર સિવાય બીજું કંઈ રાખતા ન હતા. પરંતુ પછીથી આ ભિક્ષુઓમાં પણ સંગ્રહ કરવાની પ્રવૃત્તિ વધતી ગઈ. એક સમય એવો આવ્યો કે જ્યારે બૌદ્ધ મઠોમાં લાખો- કરોડોની સંપત્તિ ભેગી થઈ ગઈ, આવું આજે આપણે મોટા ભાગનાં હિંદુ મંદિરોમાં પણ જોઈ રહ્યા છીએ.

આ રીતે સંપત્તિ ભેગી થવી એ નિશ્ચિતપણે પતન તથા ભ્રષ્ટાચારનું કારણ બને છે. અને એ જ વાત બૌદ્ધ સંઘ સાથે પણ બની સંપત્તિ વધવાથી તેમનામાં ભ્રષ્ટતા અને જાતજાતના દોષ ઉત્પન્ન થઈ ગયા અને તેમનો નાશ થવા લાગ્યો, બુદ્ધ આ તથ્યને સારી રીતે સમજતા હતા અને એટલાં માટે તેમણે એક મઠમાં આવી થોડીશી પ્રવૃત્તિ થતી જતાં જ તેની નિંદા કરી અને તેને અટકાવવાનો આદેશ આપ્યો. જ્યાં સુધી બૌદ્ધ સંઘ આના પર આચરણ કરતા રહ્યા ત્યાં સુધી તેની નિરંતર પ્રગતિ થતી ગઈ અને તે દુનિયાનાં દૂરદૂરનાં સ્થાનો સુધી ફેલાતો ગયો.

૧૧. બુદ્ધિ સંગત ધર્મ જ શ્રેષ્ઠ છે,

બુદ્ધિ સંગત ધર્મ જ શ્રેષ્ઠ છે
ધર્મનો વિષય સદાયથી વિવાદગ્રસ્ત રહ્યો છે. પ્રત્યેક ધર્મ નેતા કે પ્રચારક પોતાના સિદ્ધાંતો અને આદર્શોને સર્વશ્રે ષ્ઠ માને છે. એટલાં માટે તે ઘણુંખરું બીજાના મતોનું ખંડન કરવા પણ લાગી જાય છે. બુદ્ધના સમયમાં એવી જ સ્થિતિ હતી. હવે તેઓ ‘કેસ પુત્તિય’ નામના બ્રાહ્મણોના ગામમાં પહોંચ્યા, તો ત્યાં ‘કાલામા’ ગોત્રના લોકોએ તેમને કહ્યું- “ભંતે ! અમારા ગામમાં કેટલાક બ્રાહ્મણ શ્રમણ (સાધુ) આવે છે, તેઓ પોતાના મતોનું સમર્થન કરે છે અને બીજાના મતોનું ખંડન કરે છે. વળી બીજા આવે છે, તે પોતાના સિદ્ધાંતોનું સમર્થન કરે છે અને બીજાના સિદ્ધાંતોનું ખંડન. ભંતે ! અમે કેવી રીતે જાણીએ કે કોણ સાચું છે અને કોણ ખોટું ?”


બુદ્ધે કહ્યું, “કાલામા ભાઈઓ ! સંદેહ ઊભો થવાનું સ્વાભાવિક છે. કોઈ વાતમાં ફક્ત એ કારણસર વિશ્વાસ ન કરો કે ઘણાબધા લોકો તેને માને છે; એટલાં માટે વિશ્વાસ ન કરો કે તે તમારા આચાર્યોએ કહેલી વાત છે. એ આધાર પર વિશ્વાસ ન કરો કે તે તમારા ધર્મગ્રંથોમાં લખી છે, પણ પ્રત્યેક વાતને પોતાના વ્યક્તિગત અનુભવની કસોટી પર તપાસો. જો તે તમને તમારા માટે અને બીજા માટે હિતકારી લાગે, તો તેને માની લો. ન લાગે તો ન માનો.”


ધર્મના નિર્ણય વિશે બુદ્ધની આ સંમતિ ખૂબ ઉચિત અને સ્પષ્ટ છે, તેનો કોઈ ઇનકાર કરી શકતું નથી. એ સાચું છે કે સાધારણ વ્યક્તિ ધાર્મિક સમસ્યાઓ પર ઠીકઠીક વિચાર કરી શકતા નથી અને કોઈ ગૂંચને ઉકેલવા માટે તેમને વિદ્વાનોની મદદ લેવી પડે છે. તેમ છતાં પ્રત્યેક વિષયમાં પોતે વિચાર કરવાનું પણ અતિ આવશ્યક છે અને જો કોઈ વાત બુદ્ધિથી વિપરીત, તર્કથી વિરુદ્ધ જણાય તો તેના પર સારી રીતે વિચાર-વિમર્શ કરવો. કેવળ શાસ્ત્રાજ્ઞા, પંડિતોની માન્યતા, ગુરુજનોના આદેશને આધારે કોઈ પણ વાત વિચાર્યા વિના સ્વીકારી લેવી એ અંધવિશ્વાસ જ કહેવાશે.
ધર્મની બાબતમાં આ પ્રકારનો મતભેદ કોઈ નવી વાત નથી. વૈદિક કાળ અને સ્મૃતિ કાળમાં પણ ભિન્ન ભિન્ન ઋષિઓનો મત ભિન્ન ભિન્ન હતો. વૈશેષિક, સાંખ્ય અને વેદાંત દર્શનોના મતોમાં પરસ્પર બહુ અંતર જોવા મળે છે. શૈવ અને વૈષ્ણવ એકબીજાના સંપ્રદાયોને સર્વથા અગ્રાહ્ય બતાવે છે. ચાર્વાક વગેરે મતવાળાઓ એ તો વેદોની ખુલ્લેઆમ નિંદા કરી છે અને તેના રચયિતાઓ માટે વિદૂષક, ધૂર્ત, નિશાચર વગેરે અપશબ્દોનો પ્રયોગ કરવામાં પણ શરમ નથી રાખી.

એટલાં માટે કોઈ પણ સંપ્રદાયના સંસ્થાપક કે ધર્મ સિદ્ધાંતના પ્રચારક માટે વિચાર્યા વિના નિભ્રાંત સ્વીકારી લેવા કે તેમના ઉપદેશોને આંખો મીંચીને સત્ય માની લેવા એ પ્રશંસાની વાત નથી. એટલાં માટે આપણા ગુરુઓ, ધર્મોપદેશકો પ્રત્યે તમામ પ્રકારે શ્રદ્ધા-ભક્તિ ધરાવવા છતાં પણ તેમના વિચારોને પરખીને ગ્રહણ કરવા એમાં કાંઈ ખોટું નથી.

૧૦. સમતાના સિદ્ધાંત પર આચરણ

સમતાના સિદ્ધાંત પર આચરણ  
અનેક સ્થાનો પર ભ્રમણ કરતાં કરતાં જે સમયે બુદ્ધ વૈશાલી પહોંચ્યા તો ત્યાં નગરની બહાર એક સુરમ્ય ‘આમ્રવન’માં રોકાઈ ગયા. તે આમ્રવન એ નગરની મુખ્ય વેશ્યા “આંબપાલી’નું હતું. જ્યારે આંબપાલીએ આ સમાચાર સાંભળ્યા તો તે પોતાના રથ પર સવાર થઈને ભગવાનનાં દર્શન માટે ગઈ. તે વખતે તેના ચિત્તમાં જાતજાતના વિચારો ઉદ્ભવી રહ્યા હતા. ક્યારેક તે પોતાના નીચ વ્યવસાય તરફ જોતી તો ક્યારેક શીલના અવતાર ભગવાન બુદ્ધ તરફ. જ્યારે આમ્રવન થોડુંક જ દૂર રહ્યું તો તે મર્યાદાના ખ્યાલથી રથમાંથી ઊતરી ગઈ અને ચાલતી જ આમ્રવનની ભીતર પ્રવેશી ગઈ. તેણે જોયું કે બુદ્ધ ભગવાન ભિક્ષુ-સમૂહને ઉપદેશ આપી રહ્યા છે. તે પણ એક બાજુ ખસીને સાંભળવા લાગી. સભા વિસર્જિત થતાં તે બુદ્ધની નજીક ગઈ અને બીજા દિવસે સંઘ સહિત ભોજનનું નિમંત્રણ આપ્યું. ભગવાને મૌન રહીને તેનો સ્વીકાર કર્યો.


આંબપાલી નગરમાં પાછી ફરી રહી હતી, ત્યારે તેને વૈશાલીના લિચ્છવી વંશના સરદાર બુદ્ધના પડાવ તરફ જતા રસ્તે મળ્યા. તેમણે પૂછ્યું, “આંબપાલી !  આજે શું વાત છે કે રથમાંથી ઊતરીને જઈ રહી છો?”
આર્યપુત્રો ! ભગવાને કાલ માટે મારું ભોજન સ્વીકાર્યું છે.”
– લિચ્છવી આ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા અને કહેવા લાગ્યા – “આંબપાલી ! આ દાન મને દઈ દે. હું તેના માટે એક લાખ સોના મહોરો આપીશ.”
“આર્ય પુત્રો ! એક લાખ તો શું, જો બદલામાં મને આખી વૈશાલી આપી દો તો પણ હું નિમંત્રણ આપી શકું નહિ.”
લિચ્છવી પરસ્પર કહેવા લાગ્યા, “ઓહ ! આપણે વાર કરી દીધી, આપણી હારી ગયા. આ ગણિકાએ આપણને જીતી લીધા.” તેમ છતાં તે બધા ભેગાં થઈને બુદ્ધની સેવામાં પહોંચ્યા અને કહ્યું –
“ભંતે! સંઘ સહિત આપ કાલ માટે અમારા નિમંત્રણનો સ્વીકાર કરો.”
“લિચ્છવીઓ ! કાલ માટે તો મેં આંબપાલીનું નિમંત્રણ સ્વીકાર્યું છે.” લિચ્છવી ચૂપ રહી ગયા અને માથું નમાવીને પાછાં ચાલ્યા ગયા.
બીજા દિવસે ભોજનનો સમય થઈ જતાં આંબપાલીએ બુદ્ધ પાસે સમાચાર મોકલ્યા. તેઓ પોતાના સમસ્ત ભિક્ષુઓને સાથે લઈને તેના ઘરે પહોંચ્યા અને બિછાવેલાં આસનો પર બેસી ગયા. આંબપાલીએ ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક ભગવાનને ભોજન કરાવ્યું. ભોજન સમાપ્ત થતાં તે તેમની સામે બેસી ગઈ અને બોલી
“ભંતે ! હું બુદ્ધ સંઘના શરણે જાઉં છું અને મારું આમ્રવન બુદ્ધ તથા ભિક્ષુ સંઘને ભેટ આપું છું.” બુદ્ધે મૌન રહીને તેની પ્રાર્થના સ્વીકારી લીધી.
જો કે ભારતીય શાસ્ત્રોમાં પ્રાચીન કાળથીજ “આત્મવત્ સર્વભૂતેષુ” નો ઉપદેશ આપવામાં આવ્યો હતો, પણ વ્યવહારમાં તેનો ઉપયોગ કરનારની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી. ખાસ કરીને શૂદ્રો અને સ્ત્રીઓ સાથે તો ધર્મ નેતાઓનો વ્યવહાર કોઈ પણ રીતે ઉચિત કહી શકાય તેવો ન હતો. બુદ્ધે આ અન્યાયનો અનુભવ કર્યો અને પોતાના સંઘમાં સદાય આ બંને અન્યાય પીડિત વર્ગોને સમાન સ્થાન આપ્યું. આંબપાલીની ઘટના આ સામ્યભાવનું બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે સ્ત્રીતો હતી જ, સાથોસાથ તેનો વ્યવસાય પણ એવો હતો, જે સમાજમાં નીચ અને ઉપેક્ષિત ગણાય છે; પણ બુદ્ધે તેના મનોભાવની શુદ્ધતા સમજી લીધી અને તેની સાથે પૂર્ણ શિષ્ટતાનો વ્યવહાર કર્યો. તેના પરિણામે આંબપાલીનું હૃદય પૂર્ણ શુદ્ધ થઈ ગયું અને તેણે પોતાની ધન સંપત્તિ જ નહિ, સમસ્ત જીવન ધર્મ અને સમાજ સેવા માટે અર્પણ કરી દીધું. આ ઉદાહરણે અન્ય હજારો સ્ત્રીઓને પણ પ્રેરણા આપી અને તેઓ પણ બુદ્ધસંઘની અનુયાયી અને સહાયિકા બની ગઈ. તેના પરિણામે સમાજના સંસ્કાર અને પ્રગતિમાં એટલી બધી સહાયતા મળી, જેની કલ્પના પણ કરી શકાતી નથી.

૯. સ્વાર્થ ત્યાગ જ સાધુનું લક્ષણ છે


રાત્રિના પાછલા પહોરે બુદ્ધ ઊઠીને ખાંસી ખાધી. સારિપુત્રએ પણ ખાંસી ખાધી.
બુદ્ધ – “ત્યાં કોણ છે?”
“ભગવન્! હું સારિપુત્ર!”
“સારિપુત્ર! તું અહીં કેમ બેઠો છે?”
સારિપુત્રએ બધી વાત કરી. ભગવાને ભિક્ષુ સંઘને સંબોધિત કરીને કહ્યું, “ભિક્ષુઓ! શું છ વર્ગીય ભિક્ષુ ખરેખર આગળ આગળ જઈને વિહાર અને શય્યાઓ અંકે કરી લે છે?”
“એ સાચું છે, ભગવન્!”
બુદ્ધ તેમને ધિક્કારતાં કહ્યું, “કેવાં છે આ નાલાયક ભિક્ષુ, જે આગળ જઈને વિહાર અને શય્યા કબજે કરી લે છે! ભિક્ષુઓ ! તમને ખબર છે કે પ્રથમ આસન, પ્રથમ જળ, પ્રથમ ભોજન કોને મળવું જોઈએ?”
કોઈએ કહ્યું, “ભગવન્! જે અત્રિય-કુળથી પ્રવ્રજિત થયો હોય તેને.”
કોઈએ કહ્યું, “ભગવન્! જે બ્રાહ્મણ-કુળથી પ્રવ્રજિત થયો હોય તેને.”
કોઈએ કહ્યું, “ભગવન્! જે ગૃહપતિ (વૈશ્ય) કુળથી પ્રવૃતિ થયો હોય તેને.”
આ રીતે કોઈએ સૂત્રપાઠ કરનારનાં, કોઈએ વિનય ધરનાં તો કોઈએ ધર્મ વ્યાખ્યાતા વગેરેનાં નામ બતાવ્યાં.
બુદ્ધ ધાર્મિક કથા સંભળાવીને ભિક્ષુઓને સમજાવ્યા – “ભિક્ષુઓ! જાતિઓ કે કુળના આધારે કોઈને સન્માન આપી શકાતું નથી. એટલાં માટે જે પહેલાં પ્રવ્રજિત થયો હતો, તે જ મોટો છે પછી ભલે તે ગમે તે જાતિનો હોય. આ નિયમ અનુસાર આદર-સત્કાર, પ્રથમ આસન, પ્રથમ જળ, પ્રથમ ભોજન વગેરે અપાવું જોઈએ.”
સાર્વજનિક સંસ્થાઓ અને સંગઠનોમાં અનૈક્ય, ફૂટ, અસહયોગ વગેરેનું કારણ આ નાના-મોટાની ભાવના જ હોય છે. વાસ્તવમાં મોટો તો એ જ છે, જે આવી સામાન્ય વાતો માટે ક્યારેય  મનોમાલિન્યનો ભાવ આવવા દેતો નથી અને પરિસ્થિતિ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થઈ જાય છે, તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમ છતાં જો ક્યારેય આ બાબતમાં નિર્ણયનો પ્રશ્ન ઊભો થઈ જાય તો તેના માટે બુદ્ધનું માર્ગદર્શન ઘણાખરામાં ઉપયોગી છે.

સ્વાર્થ ત્યાગ જ સાધુનું લક્ષણ છે
સારિપુત્રના સદ્ગુણોનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. બુદ્ધના સંઘમાં કેટલાક ભિક્ષુ  ‘છ વર્ગીય’ કહેવાતા હતા, જે “સંસાર ત્યાગી’ બની જવા છતાં પણ પોતાના આરામનું ધ્યાન બીજા કરતાં વધારે રાખતા હતા. પ્રત્યેક પડાવ પર તેઓ સૌથી પહેલાં પહોંચીને નિવાસ, સ્થાન અને શય્યા પર કબજો કરી લેતા હતા કે – “આ અમારા ઉપાધ્યાય માટે છે, આ અમારા આચાર્ય માટે છે, આ અમારા માટે છે.”
એક દિવસ તેમણે વિહારમાં બધાં રહેવાનાં સ્થાનો પર કબજો જમાવી દીધો, જેના લીધે સારિપુત્ર શય્યા ન મળવાથી આખી રાત બહાર જ કોઈક વૃક્ષ નીચે બેસી રહ્યા.

૮. પરમાર્થ પરાયણ કાર્યકર્તાઓનું સંગઠન

પરમાર્થ પરાયણ કાર્યકર્તાઓનું સંગઠન
બુદ્ધ જાણતા હતા કે જ્યાં સુધી સાચા કાર્યકર્તાઓનું એક સંગઠન તૈયાર થશે નહિ ત્યાં સુધી તેમના સિદ્ધાંતોનો સમુચિત પ્રસાર થવાનું સંભવ નથી. જોકે શરૂઆતમાં જ તેમના શિષ્યોની સંખ્યા અનેકગણી થઈ ગઈ હતી અને તેઓ એક સંઘ રૂપે બુદ્ધની સાથે ભ્રમણ કરતા હતા, પરંતુ તેઓ તે સમયના વાતાવરણથી પ્રભાવિત થઈને એક બીજાની દેખાદેખીથી દિક્ષા લેતા ગયા હતા, તેમાં ઉચ્ચ કોટિની પરમાર્થ ભાવનાવાળા “ભિક્ષુ થોડાક જ હતા. એટલાં માટે જ્યારે રાજગૃહમાં રહેતા સંજય નામના પરિવ્રાજના બે વિદ્વાન અને પરમાર્થ પરાયણ શિષ્ય “ઉપતિષ્ય’ અને “કોલિત’ તેમની પાસે પરિવ્રાજક બનવા માટે આવ્યા, તો તેમણે તેમને પ્રસન્નતાપૂર્વક દીક્ષા આપી.


આ બંને પોતાના ગુરુની પાસે રહીને પરંપરાગત રીતે પ્રચલિત શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા હતા, પણ સામાન્ય કર્મકાંડ અને પૂજા – ઉપાસનાના વિધાનથી તેમને સંતોષ થતો ન હતો. તેઓ જીવન અને વિશ્વ સંબંધી સાચા જ્ઞાનની શોધમાં હતા અને તેમણે પરસ્પર પ્રતિજ્ઞા કરી હતી કે- “જેને પહેલાં અમૃત (જ્ઞાન)ની પ્રાપ્તિ થાય, તે બીજાને તેની માહિતી આપે.”
એક દિવસ ઉપતિષ્યએ અશ્વજિત નામના બૌદ્ધ ભિક્ષુને ‘ત્રિચીવર’ (ભિક્ષુઓનાં ત્રણ વસ્ત્ર) ધારણ કરીને અને પાત્ર લઈને રાજગૃહમાં ભિક્ષા માટે ફરતા જોયા. તેમની સંયમ પૂર્ણ રીત અને શાંતિયુક્ત મુખમુદ્રા જોઈને ઉપતિષ્ય પર બહુ પ્રભાવ પડ્યો અને તેણે એ જાણવા માગ્યું કે કયા ગુરુના ઉપદેશથી આને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે? એટલે તે એક જિજ્ઞાસની જેમ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને જ્યારે અશ્વજિત ભિક્ષા ગ્રહણ કરીને પોતાના સ્થાન પર પહોંચ્યો તો ઉપતિષ્યએ કહ્યું, “આયુષ્યમાન્! આપની આકૃતિ અત્યંત સુંદર અને શાંત છે. છબિ-વર્ણ પરિશુદ્ધ છે. આપ કોને આપના ગુરુ બનાવીને પ્રવ્રજિત થયા છો? આપના શાસ્તા અર્થાત્ “માર્ગદર્શક કોણ છે ? આપ કોના ધર્મને માનો છો?”
અશ્વજિત- “આયુષ્યમાન્ ! હું શાક્યવંશીય મહાશ્રમણ ગૌતમને મારા ગુરુ બનાવીને પ્રવ્રજિત થયો છું અને તેમના ધર્મને જ માનું છું.”
ઉપતિષ્ય-“તેમનો ધાર્મિક સિદ્ધાંત કયો છે?”
અશ્વજિત – “હું આ ધર્મમાં હજી નવો જ પ્રવ્રજિત થયો છું, એટલે વિસ્તારથી તો બતાવી શકતું તેમ નથી, પણ ટૂંકમાં તેમનો સિદ્ધાંત આ છે
યે ધમ્મા હેતુપ્પભવા તેસંહેતુ તથાગતોઆહ | તેસંચયો નિરોધો એવં વાદી મહાસમણો |
અર્થાત્ જે ધર્મ (બાહ્યાચારની દૃષ્ટિએ) નિર્મિત કરવામાં આવ્યા છે, તે બધા નિરોધવાળા (નાશવંત કે અસ્થાયી) છે.”
ઉપતિષ્યએ આ સાંભળ્યું તો તેનાં જ્ઞાનનેત્ર ખૂલી ગયાં. તે સમજી ગયો કે જે ધર્માચરણ ઉપરના ક્રિયાકાંડોની પૂર્તિ માટે કરવામાં આવે છે તથા જે પૂજા-ઉપાસના કોઈ લૌકિક કે પારલૌકિક કામનાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે, તેનાથી સાચું આત્મજ્ઞાન અને આત્મશાંતિ મળી શકતાં નથી. એટલાં માટે જ્યાં સુધી સંસારના પદાર્થોને ક્ષણભંગુર સમજીને તેના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરવામાં નહિ આવે અને સમસ્ત જીવન વ્યવહારોમાં પરમાર્થ ભાવનાનો સમાવેશ કરવામાં નહિ આવે, ત્યાં સુધી આત્મમાર્ગમાં પ્રવેશ થઈ શકવાનું મુશ્કેલ જ છે. આવું વિચારીને તે પોતાના મિત્ર કોલિત પાસે ગયો અને તેને પણ આ શુભ સમાચાર સંભળાવ્યા. તેણે પણ આ સિદ્ધાંતની યથાર્થતાનો અનુભવ કર્યો અને તેઓ તે જ દિવસે શિષ્ય ભાવે બુદ્ધ પાસે ઉપસ્થિત થયા.
બુદ્ધ તેમને જોતાં જ સમજી ગયા કે આ સત્ય જ્ઞાનની શોધમાં જ અહીં આવ્યા છે અને સાચા હ્રદયથી તેનું અનુગમન કરવા માગે છે. તેમણે એ બંનેને પૂછ્યું તો બંનેએ વિનયપૂર્વક વંદન કરીને કહ્યું, – “ભગવન્ ! અમને પ્રવ્રજિત કરો, દીક્ષા આપો.”
બુદ્ધે કહ્યું- “આવો ભિક્ષુઓ! ધર્મતો સ્પષ્ટ અને સરળ છે. જ્યારે મનુષ્ય અનેક પ્રકારની કામનાઓ અને ઇચ્છાઓનો ત્યાગ કરીને કલ્યાણ ભાવનાથી ધર્મના સીધા-સાદા શિક્ષણ પર આચરણ કરવા લાગે છે તો તેને સ્વયં જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે અને તે ભવ-બંધનોથી છુટકારો મેળવી લે છે.”
બંનેને એ જ વખતે પ્રવ્રજિત કરીને તેમના નામ સારિપુત્ર અને મૌદ્ગલ્યાયન જાહેર કરવામાં આવ્યાં. તેમણે સંઘમાં સરળ ભાવે સેવા કરવાનો અને બધા પ્રકારની પરિસ્થિતિઓમાં નિર્વિકાર રહીને કર્તવ્યપાલનમાં વ્યસ્ત રહેવાનો જે આદર્શ ઉપસ્થિત કર્યો, તેનાથી બૌદ્ધ સંઘની ખૂબ પ્રગતિ થઈ અને લોકોની નજરમાં તેની પ્રતિષ્ઠા વધી. તેમની આંતરિક સેવા ભાવનાનું એ પરિણામ આવ્યું કે થોડાક વખતમાં જ તેઓ બુદ્ધના મુખ્ય શિષ્ય અને કાર્યકર્તા બની ગયા અને આજે પણ બુદ્ધ – જગતમાં તેમનું બહુ નામ અને સન્માન છે. એક વાર જ્યારે બુદ્ધજીએ એક અન્ય પ્રિય શિષ્ય આનંદને પૂછ્યું -“શું તને સારિપુત્ર ગમે છે?” તો તેણે કહ્યું –
“ભંતે ! કોણ એવો મૂર્ખ, દુષ્ટચિત્ત અને મૂઢ હોય, જેને સારિપુત્ર ન ગમે. આયુષ્યમાન સારિપુત્ર પંડિત છે, મહાપ્રજ્ઞાવાન છે, અલ્પ ઇચ્છુક છે, સંતોષી છે, નિર્લિપ્ત છે, પ્રયત્નશીલ છે, પ્રવત્તા છે, પાપ નાશ કરનાર છે. આવા સારિપુત્ર કોને ન ગમે?”
થોડાંક વર્ષો પછી જ્યારે ધર્મની મહત્તમ સેવા કરતાં કરતાં નાલંદા નજીક ‘નાલક’ ગામમાં રોગગ્રસ્ત થઈને સારિપુત્રનો દેહાંત થઈ ગયો તો આનંદે બુદ્ધજી પાસે જઈને આ સમાચાર આપ્યા અને કહ્યું, “આ સાંભળીને મારું શરીર તો જાણે જડ થઈ ગયું. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. ધર્મની વાત તો શું દિશાઓય સૂઝતી બંધ થઈ ગઈ.”
બુદ્ધ -“શું કામ આનંદ, આવું શા માટે કહે છે? શું સારિપુત્ર શીલ પોતાની સાથે લઈ ગયા? સમાધિ પોતાની સાથે લઈ ગયા ? પ્રજ્ઞા પોતાની સાથે લઈ ગયા? વિમુક્તિ પોતાની સાથે લઈ ગયા ? મુક્તિનું જ્ઞાન-દર્શન પોતાની સાથે લઈ ગયા?”
આનંદ – “ના ભંતે ! સારિપુત્ર શીલ, સમાધિ, પ્રજ્ઞા, વિમુક્તિ કશું જ પોતાની સાથે લઈ નથી ગયા, પણ તેઓ મારા ઉપદેશક હતા, ધર્મના જ્ઞાતા હતા, પોતાના સહકારીઓ પર તેમની ખૂબ કૃપા રહેતી હતી. હું તેમની એ કરુણા, દયા, કૃપાને યાદ કરું છું.”
બુદ્ધ – “આનંદ ! જેવી રીતે કોઈ મોટા ભારે વૃક્ષના રહેતાં તેની સૌથી મોટી સારયુક્ત ડાળી તૂટીને પડી જાય, તેવી રીતે બૌદ્ધ સંઘ માટે સારિપુત્રનું નિર્વાણ થવાનું છે, પણ એવું ક્યાં સંભવ છે કે જેની રચના થઈ છે, જે અસ્તિત્વમાં આવ્યું છે, તેનો વિનાશ ન થાય? ના આનંદ! આમ થઈ શકતું નથી. એટલાં માટે તમારો દીપક તમે બનો. કોઈ બીજાનો આશ્રય ન જુઓ. ધર્મને જ તમારો દીપક સમજો, તેનો જ આશ્રય ગ્રહણ કરો.”
સદાચારી અને પરોપકારી મહાપુરુષોનું સન્માન કરવું, તેમની સેવા સહાયતા માટે સદાય તત્પર રહેવું એ પ્રત્યેક સજ્જનનું કર્તવ્ય છે, પણ પોતાને તેમના પર એટલાં બધા આશ્રિત કરવાનું યોગ્ય નથી કે તેમના અભાવે સંસાર શૂન્ય જ દેખાવા લાગે. સંસારમાં રહેવાનું કે તેને છોડી શકવાનું તો મનુષ્યના વશની વાત નથી, એટલાં માટે પ્રત્યેક સ્થિતિમાં જગતની નશ્વરતાને સમજીને પોતાના ચિત્તને સમતુલિત રાખવું એ જ બુદ્ધિમાન વ્યક્તિનું કર્તવ્ય છે. બુદ્ધ પણ સારિપુત્રના મહાન ગુણોને જાણતા હતા અને તેમની સાથે સ્નેહ રાખતા હતા, પણ તેઓએ પણ જાણતા હતા કે જે જન્મ્યો છે તેનો અંત થવાનું અનિવાર્ય છે અને આવા પ્રસંગે વધુ પડતો મોહ બતાવીને કર્તવ્યમાં ઢીલ કરવાનું યોગ્ય કહી શકાતું નથી. એટલાં માટે આનંદને બુદ્ધએ જ સમજાવ્યું કે સંસારમાં મહત્ત્વ સદ્ગુણોનું જ છે અને આપણે સારિપત્રનું સન્માન આવા સદ્ગુણોને કારણે જ કરતા હતા. એટલાં માટે મરણ બાદ તેમના પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો માર્ગ એ જ છે કે એ સદ્ગુણોનું વધુમાં વધુ પાલન કરવું.

૭. પરિવારજનોને ધર્મપ્રચારક બનાવવા

પરિવારજનોને ધર્મપ્રચારક બનાવવા
બુદ્ધ ક્રમશઃ દેશના જુદાજુદા ભાગોમાં પ્રચાર કરતાં કરતાં પોતાના રાજ્યમાં પણ જઈ પહોંચ્યા. મહારાજા શુદ્ધોધન પોતાના પુત્રની મહાન કીર્તિ સાંભળીને પોતાને પરમ કૃતકૃત્ય અને સૌભાગ્યશાળી સમજવા લાગ્યા અને તેમણે બુદ્ધનું ચિરસ્મરણીય ભવ્ય સ્વાગત કર્યું. બુદ્ધ આ પ્રસંગે કોઈ પ્રેમ અને સ્નેહની ભાવના ન બતાવતાં એ જ ભાવ પ્રદર્શિત કર્યો, જે તેઓ અન્ય અપરિચિત લોકોમાં પ્રકટ કરતા રહેતા હતા. એમણે સૌથી પહેલું કાર્ય તો એ કર્યું કે પોતાના નિયમાનુસાર નગરની બહાર મેદાનમાં રોકાયા અને ભોજનનો સમય થતાં અન્ય ભિક્ષુઓ સાથે ભિક્ષા માગવા નીકળ્યા. રાજા શુદ્ધોધન ખૂબ દુઃખી થઈને તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “શું મારામાં આપને તથા આપના ભિક્ષુઓને ભોજન કરાવવાનું સામર્થ્ય નથી, કે આપ ઘરે ઘરે ભિક્ષા માગી રહ્યા છો ?”


બુદ્ધે કહ્યું, “મહારાજ! અમારા વંશનો આ જ ધર્મ છે.”
રાજા – “ભંતે ! આપણો વંશ ક્ષત્રિય વેશ છે. આપણા વંશમાં ક્યારેય કોઈએ આજ સુધી ભિક્ષા માગી નથી.”
બુદ્ધ – “મહારાજ ! આપનો વંશ ક્ષત્રિય વંશ હશે, અમારો વંશ તો “બુદ્ધો”નો વંશ છે.”
કપિવસ્તુમાં બુદ્ધે પોતાના પુત્ર રાહુલ, પત્ની યશોધરા અને ભાઈ નંદને પણ દીક્ષા આપીને સંન્યાસી બનાવી દીધા. આ રીતે એકદષ્ટિએ તેમના રાજ્ય વંશનો અંત જ આવી ગયો. તેમણે જે વાતને બીજા માટે કલ્યાણકારી સમજી, તે પોતાના પરિવારને પણ પૂરેપૂરી લાગુ પાડી. પરંતુ આજકાલ ઘણું ખરું આનાથી વિપરીત બાબત જોવા મળે છે. લોકો બીજાને પરોપકાર, સ્વાર્થ, ત્યાગ, સેવા ધર્મનો ઉપદેશ આપવામાં બહુ નિપુણ હોય છે; પણ પોતે વિપરીત માર્ગ પર ચાલે છે. આ જ કારણસર પહેલાં કોઈક રીતે યાત્રા – સાધનો અને પ્રેસ, અખબાર વગેરે વિના પણ ઉપદેશકોને જેટલી સફળતા મળી જતી હતી, તેટલી અત્યારે પ્રચારનાં ઘણાં બધાં સાધનો વધી જવા છતાં પણ મળતી નથી.

%d bloggers like this: