SJ-01 : આરાધના, જે હમેશાં અપનાવવામાં આવી-૧૬, મારું વિલ અને વારસો

ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. એમાં સ્નાન કરનારનો કાયાકલ્પ થઈ જાય એવું માનવામાં આવે છે. બગલો હંસ બની જાય અને કાગડો કોયલ થઈ જાય એવી શક્યતા નથી, પણ આના આધારે વિનિર્મિત થયેલી અધ્યાત્મ ધારામાં અવગાહન કરવાથી મનુષ્યનું આંતરિક અને બાહ્ય જીવન અસાધારણ રીતે બદલાઈ શકે એ વાત નિશ્ચિત છે. આ ત્રિવેણી ઉપાસના, સાધના અને આરાધનાના સમન્વયથી બને છે. આ ત્રણેય કોઈ ક્રિયાકાંડ નથી, જેને થોડા સમયમાં, થોડાંક વિધિવિધાનથી કે ભગવાન પાસે બેસીને સંપન્ન કરી શકાય. આ તો ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં થનાર ઉચ્ચસ્તરીય પરિવર્તન છે, જેના માટે શારીરિક અને માનસિક કાર્યો પર નિરંતર ધ્યાન આપવું પડે છે. મનની શુદ્ધિ માટે પ્રખરતાનો ઉપયોગ કરવો પડે છે અને નવી વિચારધારામાં પોતાના ગુણ, કર્મ અને સ્વભાવનો એવી રીતે મહાવરો કરવો પડે છે, જેમ અણઘડ પશુપક્ષીઓને સરકસમાં ખેલ બતાવવા માટે ગમે તે રીતે તૈયાર કરવામાં આવે છે. પૂજા થોડો સમય થઈ શકે છે, પણ સાધના તો નાના બાળક જેવી છે. તેનું પાલનપોષણ કરવામાં સતત ધ્યાન રાખવું પડે છે. જે લોકો પૂજાને જાદુ સમજે છે અને ગમે તેમ ક્રિયાકાંડ કરવાના બદલામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનાં સ્વપ્ન સેવે છે તેઓ ભૂલ કરે છે.

મારા માર્ગદર્શકે પ્રથમ દિવસે જત્રિપદા ગાયત્રીનું વ્યાવહારિક સ્વરૂપ ઉપાસના, સાધના અને આરાધના રૂપે સારી રીતે જણાવી દીધું હતું. નિયમિત જપ, ધ્યાન કરવાના આદેશ ઉપરાંત એ પણ જણાવ્યું કે ચિંતનમાં ઉપાસના, ચરિત્રમાં સાધના અને વ્યવહારમાં આરાધનાનો સમાવેશ કરવામાં પૂરેપૂરી સાવચેતી અને તત્પરતા રાખવામાં આવે. આ આદેશનું અત્યાર સુધી શક્ય એટલું સારી રીતે પાલન કરવામાં આવ્યું છે. એના લીધે અધ્યાત્મનો આધાર લેવાનું એવું પરિણામ આવ્યું કે એનો ઉપહાસ કરી શકાય નહિ.

આરાધનાનો અર્થ છે લોકમંગલનાં કાર્યમાં વ્યસ્ત રહેવું. જીવનસાધના એક પ્રકારે સંયમસાધના છે. એના દ્વારા ઓછા પૈસામાં નિર્વાહ ચલાવીને વધારે બચાવવામાં આવે. સમય, શ્રમ, ધન અને મનનો શરીર તથા પરિવાર માટે એટલો જ ઉપયોગ કરવો પડે છે, જેના વિના કામ ચાલી ન શકે. કામ ન ચાલવાની કસોટી છે – સરેરાશ દેશવાસીનું સ્તર. આ કસોટીમાં પાર ઊતર્યા પછી કોઈ પણ શ્રમિક કે શિક્ષિત વ્યક્તિની કમાણી એટલી જ થઈ જાય છે કે તેમનું કામ ચાલવા ઉપરાંત પણ બચી શકે. એ બચતના સદુપયોગને આરાધના કહે છે. સામાન્ય રીતે લોકો આ બચતનો ઉપયોગ મોજમજા માટે કરે છે કે કુટુંબીઓમાં વહેચી દે છે. એમને એવી સૂઝ નથી પડતી કે આ સંસારમાં બીજા પણ આપણા છે, બીજાને પણ પૈસાની જરૂર હોય છે. જો દષ્ટિમાં એટલી વિશાળતા આવી હોત તો એ બચતને એવાં કાર્યોમાં ખર્ચો હોત, જેથી અનેકનું હિત થાત અને સમયની માગ પૂરી કરવામાં સહાયતા મળત.

ઈશ્વરનું એક રૂપ સાકાર છે, જે ધ્યાનધારણા માટે પોતપોતાની રુચિ અને માન્યતાને અનુરૂપ ઘડવામાં આવે છે. એ મનુષ્યને મળતી આકૃતિ- પ્રકૃતિ પ્રમાણેનું હોય છે. આ સ્વરૂપ ઉપયોગી છે, જરૂરી છે, પરંતુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે તે વાસ્તવિક નથી, કાલ્પનિક છે. ઈશ્વર એક છે, એની જુદા જુદા સંપ્રદાયોમાં હોય છે એટલી બધી આકૃતિઓ હોઈ શકતી નથી. ઉપયોગ મનની એકાગ્રતાનો અભ્યાસ કરવા સુધી જ સીમિત રાખવો જોઈએ. પ્રતિમા પૂજનની પાછળ આદિથી અંત સુધી એ હેતુ છે કે દશ્ય પ્રતીકના માધ્યમથી અદશ્ય ઈશ્વર અને પ્રતિપાદનને દ્ધયંગમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે.

સર્વવ્યાપી ઈશ્વર નિરાકાર જ હોઈ શકે છે. એમને પરમાત્મા કહેવામાં આવ્યા છે. પરમાત્મા અર્થાત્ આત્માઓનો પરમ સમુચ્ચય. એને આદર્શોનો સમૂહ કહેવામાં પણ વાંધો નથી. એ જ વિરાટ બ્રહ્મ અથવા વિરાટ વિશ્વ છે. કૃષ્ણ અર્જુન અને યશોદાને પોતાના આ રૂપનું દર્શન કરાવ્યું હતું. રામે કૌશલ્યા તથા કાગભુશુંડિને આ રૂપ કરૂપે બતાવ્યું હતું અને પ્રાણીઓને તેમનું દશ્ય સ્વરૂપ. આ માન્યતા અનુસાર આ લોકસેવા જ વિરાટ બ્રહ્મની આરાધના બની જાય છે. વિશ્વ ઉદ્યાનને સુખી-સમુન્નત બનાવવા માટે જ પરમાત્માએ આ બહુમૂલ્ય જીવન આપીને યુવરાજની જેમ મનુષ્યને પૃથ્વી પર મોકલ્યો છે. એની પૂર્તિમાં જ જીવનની સાર્થકતા છે. આ માર્ગને અધિક શ્રદ્ધાપૂર્વક અપનાવવાથી જ અધ્યાત્મ ઉત્કર્ષનું તે પ્રયોજન સિદ્ધ થાય છે, જેને આરાધના કહેવામાં આવે છે.

હું કરી રહ્યો છું. સામાન્ય દિનચર્યા અનુસાર રાત્રિમાં શયન, નિત્ય કર્મ ઉપરાંત દૈનિક ઉપાસના પણ એ બાર કલાકમાં સારી રીતે સંપન્ન થતી રહી છે. આ ત્રણ કર્મો માટે બાર કલાક પૂરતા છે. ચાર કલાક સવારનું ભજન એ સમયગાળા દરમિયાન થતું રહ્યું છે. બાકીના આઠ કલાકમાં નિત્યકર્મ અને શયન એમાં સમય ઓછો પડ્યો નથી. આળસ અને પ્રમાદ રાખવાથી તો બધો જ સમય આઘાપાછા થવામાં વહી જાય છે, પરંતુ એકેએક મિનિટ પર ઘોડાની જેમ સવાર થઈ જવામાં આવે તો પ્રતીત થાય છે કે જાગૃત વ્યક્તિઓએ આવી જ તત્પરતા દાખવીને જેને જોઈ મિત્રો આશ્ચર્યચકિત થઈ જાય એવાં કામો કરી લીધાં હોત.

આ તો થઈ રાતની વાત. હવે દિવસ આવે છે. દિવસને પણ આમ તો બાર કલાકનો જ માનવામાં આવે છે. આમાંથી બે કલાક ભોજન અને આરામ માટે કાઢવા છતાંય દસ કલાકનો સમય બચે છે. આનો ઉપયોગ નિયમિત રીતે પરમાર્થ-પ્રયોજનની, લોકમંગળની આરાધનામાં થતો રહ્યો છે. ટૂંકમાં આને આ રીતે કહી શકાય. (૧) લોકમાનસના પરિષ્કાર માટે યુગચેતનાને અનુરૂપ વિચારધારાઓનું નિર્ધારણ -સાહિત્ય સર્જન. (૨) સંગઠિત પ્રાણવાન જાગૃત આત્માઓને યુગધર્મને અનુરૂપ કાર્યકલાપ અપનાવવા માટે ઉત્તેજના – માર્ગદર્શન. (૩) વ્યક્તિગત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા, સુખી ભવિષ્યનું નિર્માણ કરવા માટે પરામર્શ યોગદાન. મારી સેવા સાધના આ ત્રણ ભાગોમાં વહેચાયેલી છે. આમાંથી બીજી અને ત્રીજી ધારા માટે તો અસંખ્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવાનો ક્રમ ચાલતો રહ્યો છે. આમાંથી મોટાભાગના લોકોને પ્રકાશ પ્રાપ્ત કરવાનો અને પરિવર્તન કરવાનો અવસર મળ્યો છે. એમનાં નામોનો ઉલ્લેખ અને પ્રસંગોનું વર્ણન કરવું શક્ય નથી, કારણ કે જેને મદદ કરવામાં આવે તેને યાદ રાખવાની મને ટેવ નથી. વળી એવા લોકોની સંખ્યા અને પ્રસંગો જેટલા યાદ છે તેમનું વર્ણન કરવામાં જ એક મહાપુરાણ લખી શકાય તેમ છે. વળી એમાં એ બધાને મુશ્કેલી પણ થાય. કૃતજ્ઞતા દર્શાવવાના દિવસો હવે ચાલ્યા ગયા છે. બીજાની સહાયતાને મહત્ત્વ ઓછું આપ્યું. પોતાના ભાગ્ય અને પુરુષાર્થનાં જ વખાણ કરવામાં અને બીજાની સહાયતાનો ઉલ્લેખ કરવામાં મોટાઈ જાગે છે. આવી સ્થિતિમાં હું મારા તરફથી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરું, જેમાં લોકોનાં દુઃખો ઘટ્યાં હોય અને એમને પ્રગતિની તક મળી હોય તે મારા માટે ઉચિત નથી. વળી એક વાત એ પણ છે કે વખાણ કરવાથી પુણ્ય ઘટી જાય છે. આટલી મુશ્કેલીઓ હોવાથી આ બધી ઘટનાઓની બાબતમાં મૌન ધારણ કરવાને જ યોગ્ય માનવામાં આવ્યું છે. આનાથી વધારે કશું ન કહેતાં આ વાતને અહીં જ પૂરી કરવામાં આવે છે.

આમ છતાં એ બધી સેવાઓ મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધીમાં પ્રજ્ઞા પરિવાર સાથે ૨૪ લાખ કરતાં પણ વધારે લોકો સંકળાયેલા છે. આમાંથી જેઓ ફક્ત સિદ્ધાંતો અને આદર્શોથી પ્રભાવિત થઈને આ બાજુ આકર્ષાયા છે એવા લોકો ઓછા છે. જેઓએ વ્યક્તિગત જીવનમાં પ્રકાશ, પ્રેમ, સહયોગ, પરામર્શ અને કૃપા મેળવી છે એવા લોકોની સંખ્યા વધુ છે. ખાસ કરીને સહાયતા કરનાર પોતાની પ્રામાણિકતા અને નિઃસ્વાર્થતાની દૃષ્ટિએ પ્રત્યેક કસોટી પર ખરા સાબિત થયા હોય ત્યારે એવા પ્રસંગો માનવીય અંતરાલમાં સ્થાન જમાવે છે. સંપર્ક ક્ષેત્રના લગભગ ત્રીજા ભાગના લોકો એવા છે, જેઓ મિશનના આદર્શો અને મારાં પ્રતિપાદનો જાણે છે. બાકીના તો મુશ્કેલીઓમાં દોડતા આવે છે અને અહીંથી શાંતિ મેળવીને પાછા ફરે છે. આટલો મોટો પરિવાર બનીને ઊભો રહ્યો તેનું મૂળ કારણ આ જ છે. નહિ તો જો બધું ફક્ત સિદ્ધાંત પૂરતું જ રહ્યું હોત, તો આર્ય સમાજ, સર્વોદય વગેરેની જેમ સભ્યોની સંખ્યા મર્યાદિત હોત અને વ્યક્તિગત આત્મીય ઘનિષ્ઠતાનું જે વાતાવરણ જોવા મળે છે તે મળ્યું ન હોત. આવનારાઓની વધુ સંખ્યા, સમય-કસમયનું આગમન, તેમના નિવાસ અને ભોજનની વ્યવસ્થાનો અભાવ એવાં અનેક કારણોનો બોજ સૌથી વધારે માતાજીને સહન કરવો પડ્યો છે, પણ આ અગવડોના બદલામાં જેટલાની જેટલી આત્મીયતા પ્રાપ્ત કરી છે. તેને જોઈને અમે ધન્ય બની ગયાં છીએ. અમને એવું લાગ્યું છે કે જે કંઈ કરવામાં આવ્યું છે તે વ્યાજ સહિત વસૂલ થતું રહ્યું છે. પૈસાની દૃષ્ટિએ જ ભલે નહિ, પણ ભાવનાની દૃષ્ટિએ પણ જો કોઈ થોડું ઓછું લે તો તે તેના માટે નુકસાનનો સોદો નથી.

આરાધના માટે, લોકસાધના માટે ઘરની મૂડી જોઈએ. તેના વગર ભૂખ્યો શું ખાય? શું વહેચે? આ મૂડી ક્યાંથી આવી? કેવી રીતે મેળવી? એના માટે અમારા માર્ગદર્શક પહેલા દિવસે જ કહ્યું હતું, “જે કંઈ પાસે છે તેને બીજની જેમ ભગવાનના ખેતરમાં વાવતાં શીખો.’ એને જેટલી વાર વાવવામાં આવ્યું તેટલી વાર સોગણું થતું રહ્યું. ઈષ્ટ પ્રયોજન માટે ક્યારેય કોઈ વાતની ખોટ પડી નથી. એમણે જલારામ બાપાનું ઉદાહરણ આપ્યું હતું. તેઓ ખેડૂત હતા. પોતાનું પેટ ભરાતાં જે કંઈ અનાજ વધતું તે ગરીબોને ખવડાવી દેતા. ભગવાન આ સાચી સાધનાથી પ્રસન્ન થયા અને એક એવી અક્ષય ઝોળી આપી ગયા કે જેનું અને ક્યારેય ખૂટ્યું નથી અને આજે પણ વીરપુર (ગુજરાત)માં એમનું સદાવ્રત ચાલી રહ્યું છે, જેમાં હજારો ભક્તો રોજ ભોજન કરે છે. જે પોતાનું ખર્ચી નાખે છે, તેને વગર માગ્યે બહારનો સહયોગ મળી રહે છે, પણ જે પોતાની મૂડી સુરક્ષિત રાખે છે અને બીજાની પાસે માગતા રહે છે તેવા ફાળો એકઠો કરનારાઓની લોકો નિંદા કરે છે, ટીકા કરે છે અને યથાશક્તિ આપીને તેમનાથી દૂર રહે છે.

ગુરુદેવના નિર્દેશ મુજબ મેં મારી ચારેય સંપદાઓને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. (૧) શારીરિક શ્રમ, (૨) માનસિક શ્રમ, (૩) ભાવ સંવેદનાઓ, (૪) પૂર્વજોનું કમાયેલું ધન. મારી પોતાની કમાણી તો કંઈ જ ન હતી. ચારેય સંપદાઓને અનન્ય નિષ્ઠા સાથે નિર્ધારિત લક્ષ્ય માટે વાપરતો રહ્યો છું. પરિણામે ખરેખર સોગણું થઈને પાછું પ્રાપ્ત થયું છે. શરીરથી દરરોજ બાર કલાકનો શ્રમ કર્યો છે. આનાથી થાક લાગ્યો નથી, પણ કાર્યક્ષમતા વધી છે. આજે આ વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી કાર્યક્ષમતા છે. શારીરિક શ્રમની સાથે માનસિક શ્રમને પણ જોડતો રહ્યો. પરિણામ એ આવ્યું કે મનોબળમાં – મસ્તિષ્કીય ક્ષમતામાં સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં પ્રગટ થતાં હોય છે એવાં ક્યાંય કોઈ લક્ષણ પ્રકટ થયાં નથી. અમોએ છુટ્ટા હાથે પ્રેમ વેર્યો છે અને વહેંચ્યો છે. પરિણામે સામે પક્ષેથી કોઈ કમી રહેવા પામી નથી. વ્યક્તિગત સ્નેહ, સન્માન અને સંભાવના જ નહિ, પણ મિશન માટે પણ જ્યારે જયારે જે કંઈ અપીલ કે અનુરોધ કરવામાં આવ્યો છે તેમાં પણ ક્યારેય ખોટ પડી નથી. બે વર્ષમાં ૨૪૦0 પ્રજ્ઞાપીઠો નિર્માણ થઈ જવી તે આનું એક જીવંત ઉદાહરણ છે. શરૂઆતમાં ફક્ત અમારું જ ધન હતું. પિતાની સંપત્તિથી ગાયત્રી તપોભૂમિનું નિર્માણ થયું. જન્મભૂમિમાં હાઈસ્કૂલનું નિર્માણ કર્યું. ત્યાર પછી ત્યાં એક શક્તિપીઠ પણ બની. એટલી બધી આશા નહોતી કે લોકો વગર માગ્યે પણ આપશે અને નિર્માણનું આટલું મોટું કાર્ય થશે. આજ ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ ગાયત્રી તીર્થ અને બ્રહ્મવર્ચસની ઈમારતો જોઈને પણ અનુમાન કરી શકાય છે કે વાવેલું બીજ સોગણું થઈને ફળે છે કે નહિ. લોકો પોતાનું એકઠું કરેલું ધન સંતાડી રાખે છે અને ભગવાન પાસે લોટરી કે લોકો પાસે ફાળો માગે છે, એ શ્રદ્ધાનો અભાવ જ છે. જો આત્મ સમર્પણથી શરૂઆત કરવામાં આવે તો તેનું પરિણામ આશ્ચર્યજનક આવે છે. નિર્માણ થઈ ચૂકેલી ગાયત્રી શક્તિપીઠોમાંથી જૂનાગઢ શક્તિપીઠના નિર્માતાએ પોતાનાં વાસણ વેચીને કામની શરૂઆત કરી હતી અને આજે તૈયાર થઈ ગયેલી બધી ઈમારતોમાં તે પણ એક મહત્ત્વની શક્તિપીઠ છે.

બાજરી કે મકાઈના એક દાણામાંથી સો દાણા પાકે છે. આ ઉદાહરણ અમે પણ અમારી સંચિત સંપદાને વહેંચી નાખવાના દુસ્સાહસમાં જોયું. જે કાંઈ પાસે હતું તે પરિવારને એટલા જ પ્રમાણમાં અને એટલા જ સમય સુધી આપ્યું, જ્યાં સુધી એ લોકો પોતે કમાવાને લાયક નહોતા બન્યા. સંતાનોને સમર્થ બનાવવા માટે વારસામાં ધન આપવું અને પોતાનો શ્રમ અને મનોયોગ તેમના માટે ખપાવતા રહેવું તેને અમે હમેશાં અનૈતિક માની વિરોધ કર્યો છે. પછી સ્વયં આવું કરીએ પણ કઈ રીતે?! મફતની કમાણી હરામની હોય છે. પછી ભલેને તે પૂર્વજોએ એકઠી કરેલી હોય. હરામની કમાણી નથી પછી, નથી સારું ફળ આપતી. આ આદર્શ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રાખીને અમોએ શારીરિક શ્રમ, મનોયોગ, ભાવસંવેદના અને સંગ્રહિત ધન -આ ચારેય સંપત્તિઓમાંથી એકેયને ક્યારેય કોઈ કુપાત્રના હાથમાં જવા દીધી નથી. તેનો એકએક કણ સજ્જનતાના સંવર્ધનમાં, ભગવાનની આરાધનામાં વાપર્યો છે. પરિણામ સામે જ છે. જે કંઈ પાસે હતું, તેના કરતાં અગણિત લાભો થયા. મળેલ લાભોને કંજૂસોની જેમ જો ભોગવિલાસમાં, ભેગું કરવામાં અથવા તો સગાંવહાલાંને આબાદ બનાવવામાં વાપર્યા હોત તો બધું જ નકામું નીવડત. કોઈ મહત્ત્વપૂર્ણ કામ ન થાત, ઉપરથી જે કોઈ આ મફતિયા શ્રમ અને સાધનોનો ઉપયોગ કરતા તેઓ દુર્ગુણી અને વ્યસની બની જઈ નફો મેળવવાના બદલે કાયમ ખોટમાં જ રહેત.

કેટલાંય પુણ્યકર્મો એવાં છે, જેનું સત્પરિણામ પ્રાપ્ત કરવા માટે બીજા જન્મની રાહ જોવી પડે છે, પણ લોકસાધનાનો પરમાર્થ એવો છે કે જેનું ફળ હાથોહાથ પ્રાપ્ત થાય છે. કોઈક દુખીના આંસુ લૂછતી વખતે ખૂબ જ આત્મસંતોષ થાય છે, જેના ઉપર ઉપકાર કરવામાં આવ્યો છે તે બદલો ન ચૂકવી શકે તો પણ તે મનોમન સમ્માન કરે છે અને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત એક એવું દેવી વિધાન છે કે ઉપકાર કરનારનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી, પણ તેના ઉપર ઈશ્વરની કૃપા વરસતી જ રહે છે અને કંઈ ખર્ચ કરવામાં આવે છે તે ભરપાઈ થતું રહે છે.

ઘેટું ઊન કપાવે છે તો તેના બદલામાં તેને દર વર્ષે નવું ઊન મળતું રહે છે. વૃક્ષો ફળ આપે છે તો બીજીવાર ફરીથી તેની ઉપર કૂંપળો અને મોર આવે છે. વાદળાં વરસે છે, છતાં પણ ખાલી થતાં નથી. બીજી વખતે એટલું જ પાણી વરસાવવા માટે સમુદ્ર પાસેથી મેળવી લે છે. ઉદાર વ્યક્તિઓના ભંડાર ક્યારેય ખાલી થયા નથી. કુપાત્રોને પોતાનો સમય અને શ્રમ આપીને કોઈએ ભ્રમવશ દુષ્પવૃત્તિઓનું પોષણ કર્યું હોય અને એને જ પુણ્ય માન્યું હોય તો જુદી વાત છે. નહિતર લોકસાધનાના પરમાર્થનું ફળ તો હાથોહાથ મળે છે. આત્મસંતોષ, લોકસન્માન અને દેવીકૃપારૂપે ત્રણગણું સત્પરિણામ પ્રાપ્ત કરનાર આ વ્યવસાય એવો છે, કે એમાં જેણે હાથ નાખ્યો છે તે ધન્ય બની ગયો છે. કંજૂસો ચતુરાઈનો દાવો કરતા હોય છે, પણ દરેક રીતે તેઓ ખોટમાં જ રહેતા હોય છે.

લોકસાધનાનું મહત્ત્વ ત્યારે જ ઘટે છે કે જયારે તેના બદલામાં નામના મેળવવાની લાલસા જાગે છે. આ તો છાપામાં પૈસા આપીને જાહેરખબર આપવા જેવો ધંધો થયો. અહેસાન ચડાવીને બદલાની ઈચ્છા કરવાથી પણ પુણ્યફળ નષ્ટ થાય છે. મિત્રોના દબાણને વશ થઈ કોઈ પણ કામ માટે ફાળો આપી દેવાથી દાનની ભાવના પૂરી થતી નથી. એ જોવું જોઈએ કે પ્રયત્નના પરિણામે સદ્ભાવનાઓમાં વધારો થાય છે કે નહિ, સદ્દવૃત્તિઓને આગળ વધારવામાં જે કાર્ય સહાયક છે તેની જ સાર્થકતા છે. અન્યથા મફતમાં પૈસા મેળવવા છળકપટ દ્વારા ભોળા લોકોને લૂંટવાની અનેક પ્રવૃત્તિઓ આજકાલ ચાલી રહી છે. આથી ધન અને સમય ખર્ચતાં પહેલાં હજારવાર વિચાર કરવો જોઈએ કે મારા પ્રયત્નોનું પરિણામ કેવું હશે? આ દૂરદર્શી વિચારશીલતા અપનાવવાનું અત્યારની પરિસ્થિતિમાં અત્યંત જરૂરી છે. મેં આવા પ્રસંગોમાં સ્પષ્ટ ઈન્કાર પણ કરી દીધો છે. ઔચિત્યની ઉદારતાની સાથેસાથે અનૌચિત્યસભર ગંધ આવતાં અનુદારતા દાખવવાનું અને નારાજગી વ્યક્ત કરવાનું સાહસ પણ કર્યું છે. આરાધનામાં આ તથ્યોનો સમાવેશ કરવાનું પણ નિતાંત આવશ્યક છે.

ઉપર્યુક્ત ત્રણેય પ્રસંગોમાં મારા જીવનદર્શનની એક ઝલક જોવા મળે છે. આ એ માર્ગ છે, જેના પર તમામ મહાનુભાવો ચાલ્યા છે અને લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થઈ યશના ભાગીદાર બન્યા છે. આમાં કોઈ પણ જાતના “શોર્ટકટ’ને સ્થાન નથી. 

SJ-01 : આત્મીયજનોને અનુરોધ અને એમને આશ્વાસન-૨૮, મારું વિલ અને વારસો

આત્મીયજનોને અનુરોધ અને એમને આશ્વાસન

સાધનાથી ઉપલબ્ધ થયેલ વધારાની શક્તિને વિશ્વના મૂર્ધન્ય વર્ગને ઢંઢોળવામાં અને ઊલટાવીને સીધું કરવામાં ખર્ચી નાખવાની મારી ઈચ્છા છે. દોરાને સોયમાં પરોવનારા મળી ગયા હોત તો સોનામાં સુગંધ ભળત, નહિતર હમેશાં અપરિચિતની સ્થિતિમાં બેસી રહેવામાં તકલીફ પડત. મૂર્ધન્યોમાં સત્તાધીશો, ધનવાનો, વૈજ્ઞાનિકો અને મનીષીઓનો ઉલ્લેખ છે. આ લોકો સર્વોચ્ચ સ્તરના પણ હશે અને સામાન્ય કક્ષાના પણ હશે. જો સર્વોચ્ચ સ્તરના લોકોની સૂક્ષ્મતા તીક્ષ્ણ હશે તો તેઓ અહંકારી અને આગ્રહી હશે. આથી હું એકલા ઉચ્ચ વર્ગને જ નહિ, પણ મધ્યમ વૃત્તિવાળા લોકોની સાથે ચારેય વર્ગના લોકોને મારી પકડમાં લઈ રહ્યો છું, જેથી વાત નીચેથી ઉપર સુધી પહોંચી શકે.

બીજે વર્ગ જાગૃત આત્માઓનો છે. એમનું ઉત્પાદન ભારત ભૂમિમાં હમેશાં થતું રહ્યું છે. મહામાનવ, ઋષિ, મનીષી, દેવતા વગેરે અહીં જેટલા જન્મ્યા છે તેટલા બીજે ક્યાંય જન્મ્યા નથી. આથી મને વધારે સરળતા રહેશે. હું એવા પ્રયત્નો કરીશ કે જ્યાં પણ પૂર્વસંચિત સંસ્કારોવાળા આત્માઓ નજરે પડશે તેમને સમયનો સંદેશો સંભળાવીશ. યુગધર્મ બતાવીશ. લોકોને સમજાવીશ કે આ સમય મોહ લોભમાં કાપકૂપ કરવાનો અને થોડામાં નિર્વાહ કરી સંતોષ માનવાનો છે. જે કંઈ હાથમાં છે તેને વાવી, ઉગાડીને હજારગણું કરવામાં આવે. હું એકલો જ ઊગીને મોટો થઈને તથા સુકાઈને ખલાસ થઈ જાઉં તો તે એક દુર્ઘટના બની કહેવાશે. એકમાંથી હજાર બનવાની વાત વિચારી છે અને કહેવામાં આવી રહી છે તો તેનું પ્રત્યક્ષ પરિણામ પણ હજારગણું મોટું હોવું જોઈએ. પ્રજ્ઞા પરિવાર વિશાળ છે. વળી ભારતભૂમિની ઉત્પાદન શક્તિ પણ ઓછી નથી. આ સિવાય મારી યોજના વિશ્વ વ્યાપી પણ છે. એમાં એકલું ભારત જ નહિ, સમગ્ર સંસાર આવી જાય છે. આથી વિચાર ક્રાંતિની પ્રક્રિયાને પરિસ્થિતિ અનુસાર વ્યાપક બનાવવા માટે જાગૃત આત્માઓનો સમુદાય વિશ્વના દરેક દેશમાં મળે એવો પ્રયાસ ચાલી રહ્યો છે. કાર્યપદ્ધતિ ક્ષેત્રીય વાતાવરણને અનુરૂપ બનતી રહેશે, પણ લક્ષ્ય એક જ હશે – “બ્રેઈન વોશિગ’, વિચાર પરિવર્તન – પ્રજ્ઞા અભિયાન. હું તીરની જેમ સડસડાટ કરતો લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. જેનામાં આવા પ્રકારની ચીવટ હશે તેને અનુભવ થશે કે મને કોઈ જગાડી રહ્યું છે. ઢંઢોળી રહ્યું છે, ખેચી રહ્યું છે, બાંધી રહ્યું છે. આમ તો આવા લોકો સમયની માગ પ્રમાણે અંતરાત્માની પ્રેરણાથી જાગી જતા હોય છે. બ્રાહ્મ મુહૂર્તમાં કૂકડો પણ બાંગ પોકારવા માટે ઊઠી જાય તો એવું કોઈ કારણ નથી કે જેમનામાં પ્રાણ ચેતના ભરેલી છે તેઓ મહાકાળનું આમંત્રણ ન સાંભળે તથા પેટ-પ્રજનનની જવાબદારી અને અભાવગ્રસ્તતાનું બહાનું બતાવતા રહે. સમયનો પોકાર અને મારી વિનંતીનો સંયુક્ત પ્રભાવ થોડોક પણ ન પડે એવું બની શકે જ નહિ. વિશ્વાસ રાખવામાં આવ્યો છે કે આ સ્તરનો એક શાનદાર વર્ગ તૈયાર થઈને આગળ આવશે અને સામે જ કટિબદ્ધ ઊભેલો નજરે પડશે.

ત્રીજો વર્ગ પ્રજ્ઞા પરિવારનો છે. તેની સાથે મારો વ્યક્તિગત સંબંધ છે. લાંબા સમયથી એક યા બીજા બહાને સાથે રહેવાના કારણે સંબંધો એવા ગાઢ બની ગયા છે કે તે ક્યારેય નષ્ટ થઈ શકે તેમ નથી. આનાં અનેક કારણો છે. પહેલું કારણ એ છે કે મને કેટલાય જન્મો યાદ છે, જ્યારે લોકોને નથી. જેમની સાથે પૂર્વજન્મોના ગાઢ સંબંધ છે તેઓને સંયોગવશ અથવા તો પ્રયત્નપૂર્વક મેં પરિજનોના રૂપમાં એકઠા કરી લીધા છે અને એ લોકો કોઈને કોઈ રીતે મારી આસપાસ ભેગા થઈ ગયા છે. એમને અખંડજ્યોતિ પોતાના ખોળામાં લઈ રહી છે. સંગઠનના નામે ચાલી રહેલ રચનાત્મક કાર્યક્રમો પણ આ જ સંદર્ભમાં આકર્ષણ ઉપજાવી રહ્યા છે. આ સિવાય બાળક અને માબાપની વચ્ચે જે સાહજિક વાત્સલ્યનું આદાનપ્રદાન થતું હોય છે તે પણ મારી અને એમની વચ્ચે ચાલતું રહ્યું છે. બાળકો સ્વાભાવિક રીતે વડીલો પાસે કંઈક ને કંઈક ઈચ્છતાં રહેતાં હોય છે. ભલે પછી મોઢે માગે કે ઈશારો કરીને માગે. બાળકોની અપેક્ષા વધારે મોટી હોય છે. ભલે પછી તે ઉપયોગી હોય કે બિનઉપયોગી, જરૂરી હોય કે બિનજરૂરી. તેમને તે આપીને જ શાંત કરી શકાય છે. તેમનામાં એ સમજણ નથી હોતી કે આના પૈસા વ્યર્થ જશે અને વસ્તુ પણ કંઈ કામમાં નહિ આવે. જ્યાં સુધી બાળકો બૌદ્ધિક રીતે પરિપકવ થતાં નથી અને ઉપયોગિતા- અનુપયોગિતા વચ્ચેનું અંતર સમજતાં નથી, ત્યાં સુધી બાળકો અને વડીલો વચ્ચે આ પ્યારભરી ખેચતાણ ચાલતી રહે છે. મારી સાથે પરિજનોનો એક એવો સંબંધ પણ ચાલતો રહ્યો છે.

માન્યતા એટલે માન્યતા જ. હઠ એટલે હઠ. ભલે પછી પ્રત્યક્ષ સંબંધો ન હોય પણ પૂર્વસંચિત સંબંધોનું દબાણ હોય. આપણી બધાંની વચ્ચે એક એવું પણ જોડાણ છે કે જે વિચાર-વિનિમય, સંપર્ક-સાંનિધ્ય સુધી જ સીમિત રહેતું નથી, એવું પણ ઈચ્છે છે કે વધારે આનંદમાં રહેવાનું કોઈક સાધન, કોઈક તક પ્રાપ્ત થાય. ઘણાની સામે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. કેટલાય ભ્રમ જંજાળમાં ફસાયેલા હોય છે. કેટલાયને છે તેનાથી વધારે સારી સ્થિતિ જોઈએ છે. કારણ ગમે તે હોય પણ જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો ઈચ્છાઓ અને આકાંક્ષાઓ લઈને આવે છે. બોલીને અથવા બોલ્યા વિના માગણીઓ વ્યક્ત કરે છે. સાથે વિચારે પણ છે કે અમારી વાત યથાસ્થાને પહોંચી ગઈ છે. એનો વિશ્વાસ એમને ત્યારે જ થાય છે, જ્યારે તેમનું કાર્ય સંપૂર્ણ યા અડધું પૂર્ણ થાય છે.

  માગનાર અને દાતાનો સંબંધ બીજો છે. બાળકો અને માબાપોની બાબતમાં આ વાત લાગુ પડતી નથી. વાછરડું દૂધ ન પીએ તો ગાયની ખરાબ હાલત થાય છે. માત્ર ગાય જ વાછરડાને આપતી નથી. વાછરડું પણ ગાયને કંઈક આપે છે. જો આવું ન થતું હોત તો કોઈ માબાપ બાળકને જન્મ આપવાની, તેના લાલન-પાલનમાં સમય બગાડવાની, તેની પાછળ ખર્ચ કરવાની ઝંઝટમાં પડત નહિ.

ગાયત્રી પરિવાર, પ્રજ્ઞા પરિવાર વગેરે નામો તો કહેવા પૂરતાં જ રાખ્યાં છે. તેના સભ્યપદ માટે નોંધણી રજિસ્ટર તથા સમયદાન અને અંશદાનનાં બંધનો પણ છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, જેને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. આ છે જન્મજન્માંતરોની સંચિત આત્મીયતા. તેની સાથે જોડાયેલ અનેક પ્રસંગો અમને યાદ છે. પરિજનો એને યાદ રાખી શક્યા નહિ હોય. વળી તેઓ વિશ્વાસ પણ ધરાવે છે કે પરસ્પર આત્મીયતાની એવી મજબૂત દોરીથી બંધાયેલા છીએ કે તે કેટલીક વાર તો માત્ર હલબલાવીને જ રાખી દે છે. એકબીજાની વધારે નજીક આવવા, એકબીજા માટે કંઈક કરી છૂટવા આતુર હોય છે. આ કલ્પના નથી વાસ્તવિકતા છે. જેની બંને પક્ષોને સતત અથવા અવારનવાર અનુભૂતિ થતી રહે છે.

આ ત્રીજો વર્ગ છે બાળકોનો. એમની મદદથી મિશનનું થોડું ઘણું કામ થયું છે, પણ તે બાબત ગૌણ છે. મુખ્ય પ્રશ્ન એક જ છે કે એમને હસતાં-ખેલતાં જોવાનો આનંદ કેવી રીતે મળે? અત્યાર સુધી તો મિલન, પરામર્શ, સત્સંગ, સાંનિધ્ય વગેરે દ્વારા આ ભાવસંવેદનાની તુષ્ટિ થતી હતી, પણ હવે તો નિયતિએ એ સગવડ પણ છીનવી લીધી છે. હવે પરસ્પર મિલનનો અધ્યાય પૂર્ણ થઈ રહ્યો છે. આમાં કોઈ સમયની કમી કે વ્યવસ્થાને લગતું કારણ નથી. વાત એટલી જ છે કે આનાથી સૂક્ષ્મીકરણ સાધનામાં અવરોધ ઊભો થાય છે. મન ભટકવા લાગે છે અને જે સ્તરનું દબાણ અંતઃકરણ પર પડવું જોઈએ તે પડતું નથી. પરિણામે એ લક્ષ્યની પૂર્તિમાં અવરોધ ઊભો થાય છે, જેની સાથે સમસ્ત મનુષ્યજાતિનું ભાગ્ય-ભવિષ્ય જોયેલું છે. મારી પોતાની મુક્તિ, સિદ્ધિ અથવા સ્વર્ગ પ્રાપ્તિને લગતું કારણ હોત તો તેને ભવિષ્યમાં કરીશું તેમ કહીને ટાળી દીધું હોત. પણ સમય એવો વિકટ છે કે તે એક ક્ષણની પણ છૂટ આપતો નથી. ઈમાનદાર સૈનિકની જેમ મોરચો સંભાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે સુક્ષ્મીકરણના સંદર્ભમાં મારે મારી સાધના માટે પરિજનોને એકલા છોડી દેવા જોઈએ.

બાળકો – પ્રજ્ઞા પરિજનોને મારું એટલું જ આશ્વાસન છે કે જો તેઓ તેમના ભાવસંવેદના ક્ષેત્રને થોડું વધારે પરિસ્કૃત કરી દે તો અત્યારે જે નિકટતા છે તેના કરતાં વધારે ગાઢ નિકટતાનો અનુભવ કરશે. કારણ કે મારું સૂક્ષ્મ શરીર ઈ.સ. ૨૦૦૦ સુધી વધારે પ્રખર બનીને જીવશે. જ્યાં એની જરૂર હશે ત્યાં વિના વિલંબે તે પહોંચી જશે. એટલું જ નહિ, નેહ-સહયોગ, પરામર્શ-માર્ગદર્શન જેવાં પ્રયોજનોની પૂર્તિ પણ કરતું રહેશે. મુશ્કેલીઓમાં મદદ કરવાની, બાળકોને ઊંચે ઉઠાવી આગળ વધારવાની મારી પ્રકૃતિમાં સહેજ પણ ફરક નહિ પડે. આ લાભ પહેલાંની સરખામણીમાં વધારે મળી શકે તેમ છે.

મારા ગુરુદેવ સુક્ષ્મ શરીરથી હિમાલયમાં રહે છે. સતત ૬૧ વર્ષથી મેં તેમનું સાંનિધ્ય અનુભવ્યું છે. આમ તો આંખો દ્વારા જોવાની તક તો સમગ્ર જીવનમાં ત્રણ જ વાર પ્રાપ્ત થઈ છે અને તે પણ ત્રણ ત્રણ દિવસ માટે જ. ભાવ-સાંનિધ્યમાં શ્રદ્ધાની ઉત્કૃષ્ટતા રહેવાથી તેનું પરિણામ એકલવ્યના દ્રોણાચાર્ય, મીરાંના કૃષ્ણ અને રામકૃષ્ણનાં કાલી દર્શન જેવું હોય છે. મને પણ આ લાભ સતત મળતો રહ્યો છે. જે પરિજનો પોતાની ભાવસંવેદના વધારતા રહેશે તેઓ ભવિષ્યમાં મારી સમીપતાનો અનુભવ અપેક્ષા કરતાં વધારે કરતા રહેશે.

બાળકો વડીલો પાસે કંઈક ઈચ્છે તે બરાબર છે, પણ વડીલો બાળકો પાસે કંઈ જ ન ઈચ્છે એવું નથી. નિયત સ્થળે મળમૂત્ર ત્યાગવાની, શિષ્ટાચાર સમજવાની, હસવા-હસાવવાની, વસ્તુઓને ગમે તેમ ન વિખેરવાની તથા ભણવા જવા જેવી અપેક્ષાઓ તેઓ રાખતા હોય છે. જેટલું શક્ય હોય તેટલું તો તેમણે પણ કરવું જોઈએ. મારી અપેક્ષાઓ પણ એવી જ છે. ગોવર્ધન ઊંચકનારે પોતાના અબુધ ગોવાળિયાઓની મદદથી જ ગોવર્ધન પર્વતને ઊંચકી બતાવ્યો હતો. હનુમાનની વાત કોઈએ ન સાંભળી તો તે પોતાના સાથી રીંછ અને વાનરોને લઈ આવ્યા. નવનિર્માણના ખભા પર લદાયેલી જવાબદારીઓને વહન કરવા માટે હું એકલો સમર્થ બની શકતો નથી. આ હળીમળીને પાર પાડી શકાય તેવું કાર્ય છે. આથી જ્યારે સમજુ લોકોમાંથી કોઈ હાથમાં ન આવ્યું તો આ બાળપરિવારને લઈને મંડી પડ્યો અને જે કંઈ, જેટલું પણ બની શક્યું તેટલું કરતો રહ્યો. અત્યાર સુધીની પ્રગતિનો આ જ ટૂંક સાર છે.

હવે વાત આવે છે ભવિષ્યની, મારે મારાં બાળકો માટે શું કરવું જોઈએ તેનું હમેશાં ધ્યાન રાખતો રહ્યો છું અને જ્યાં સુધી ચેતનાત્મક અસ્તિત્વ રહેશે ત્યાં સુધી યાદ અપાવવા જેવી વાત એ જ છે કે મારી આકાંક્ષા અને આવશ્યક્તાને ભૂલવામાં આવે. સમય નજીક છે. આમાં દરેક પરિજનનું સમયદાન, અંશદાન મારે જોઈએ. જેટલું મળી રહ્યું છે તેના કરતાં વધારે પ્રમાણમાં, કારણ કે જે કંઈ કરવાનું છે તેના માટે તાત્કાલિક કામ શરૂ કરવાનું છે. વળી મોટાં કામો માટે મોટા માણસો જોઈએ અને વિશાળ સાધનસામગ્રી જોઈએ. મારા પરિવારની દરેક વ્યક્તિ મોટી છે. લઘુતાનું તો તેણે મહોરું પહેરી રાખ્યું છે. મહોરું ઉતારે એટલી જ વાર છે. ઉતાર્યા પછી તેનો અસલી ચહેરો દેખાશે. ઘેટાંના ટોળામાં ઊછરેલા સિંહનાં બચ્ચાંની વાત મારા પ્રજ્ઞા પરિજનોમાંથી દરેકને લાગુ પડે છે અથવા લાગુ પડી શકે છે.

મને મારા માર્ગદર્શક એક જ સેકંડમાં ક્ષુદ્રતાનો વાઘો ઉતરાવીને મહાનતાનો શણગાર પહેરાવી દીધો હતો. આ કાયાકલ્પમાં માત્ર એટલું જ થયું કે લોભ અને મોહના કાદવમાંથી હું બહાર આવી ગયો. જેની તેની સલાહ અને આગ્રહની ઉપેક્ષા કરવી પડી અને આત્મા તથા પરમાત્માના સંયુક્ત નિર્ણયને માથે ચડાવવાનું સાહસ કરવું પડ્યું છે. એક્લા ચાલવાનો આત્મવિશ્વાસ જાગ્યો અને આદર્શોને ભગવાન માની આગળ વધ્યો. આ પછી ક્યારેય એકલા રહેવું પડ્યું નથી કે નથી ક્યારેય સાધન વિહીન સ્થિતિનો આભાસ થયો. સત્યનું અવલંબન સ્વીકારતાં જ અસત્યનો પડદો ચિરાતો ગયો.

પરિજનોને મારો એ જ અનુરોધ છે કે મારી જીવનચર્યાને પ્રસંગોના ક્રમની દૃષ્ટિથી નહિ, પણ નિરીક્ષકની દૃષ્ટિથી વાંચવી જોઈએ કે એમાં દેવી કૃપાના અવતરણથી “સાધનાથી સિદ્ધિ વાળો પ્રસંગ જોડાયો કે નહિ ? આ જ રીતે એ પણ જોવું કે બીજાઓને સ્વીકારવા યોગ્ય આધ્યાત્મિકતા રજૂ કરીને હું ઋષિપરંપરા અપનાવવા માટે આગળ વધ્યો કે નહિ? જેને જેટલી યથાર્થતા પ્રાપ્ત થાય તે તેટલી જ માત્રામાં અનુમાન કરશે કે અધ્યાત્મ વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ આ જ છે. આંતરિક પવિત્રતા અને બાહ્ય પ્રખરતામાં જે જેટલા આદર્શોનો સમન્વય કરશે તે એ વિભૂતિઓ દ્વારા તેટલો લાભાન્વિત થશે, જે આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન અને ક્રિયા વિજ્ઞાન સાથે જોડવામાં અને બતાવવામાં આવી છે.

મારા તમામ પ્રજ્ઞા પરિજનોમાંથી દરેકના નામે મારી આ જ વસિયત અને વારસો છે કે મારા જીવનમાંથી કંઈક શીખે. કદમોની યથાર્થતા શોધે. સફળતા તપાસે અને જેનાથી જેટલો થઈ શકે તેટલો અનુકરણનો, અનુગમનનો પ્રયાસ કરે. આ નફાનો સોદો છે, ખોટનો નહિ.

SJ-01 : જીવનના ઉત્તરાર્ધનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ધારણ-૨૭, મારું વિલ અને વારસો

જીવનના ઉત્તરાર્ધનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ધારણ

સખત અને કઠિન પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી જ કોઈના મહિમા અને ગરિમાની જાણકારી મળે છે. પ્રતિસ્પર્ધામાં ઉત્તીર્ણ થવાથી જ પદાધિકારી બની શકાય છે. રમતગમતમાં જે બાજી મારે છે તે જ ઈનામ જીતે છે. અગ્નિમાં તપાવ્યા પછી જ સાચા સોનાની ઓળખાણ થઈ શકે છે. હીરાને એટલા માટે કીમતી સમજવામાં આવે છે કે તે સામાન્ય આરીથી લોખંડના ઓજારથી કપાતો નથી. મોરચા પર વિજય મેળવીને પાછા ફરનારા સેનાપતિને સન્માન સાથે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

પડકારોનો સ્વીકાર કરનાર જસાહસિક કહેવાય છે. એમણે દુખો વિપત્તિઓમાંથી પાર થઈને જ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. યોગી, તપસ્વી જાણીબૂજીને જ ઉગ્ર તપસ્યા કરે છે. જે દુષ્ટો કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી ગયા તેઓ શરૂઆતથી જ એમને હેરાન કરવા લાગ્યા. બકાસુર,અઘાસુર, કાલીનાગ, કંસ વગેરે અનેક સામે લડવું પડ્યું. પૂતના તો બાળપણમાં જ એમને ઝેર આપવા આવી હતી. આખી જિંદગી એમને દુષ્ટતા સામે સંઘર્ષ કરવો પડ્યો. મહાનતાનો માર્ગ એવો જ છે, જેના પર ચાલનારે ડગલે ને પગલે જોખમ ખેડવાં પડે છે. દધીચિ, ભગીરથ, હરિશ્ચંદ્ર અને મયૂરધ્વજ વગેરેનાં ગુણગાન એમના તપ ત્યાગના કારણે જ ગવાય છે.

ભગવાન જેને સાચા મનથી પ્રેમ કરે છે તેણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ભગવાનનો પ્રેમ જાદુગરની જેમ ચમત્કાર જોવા બતાવવામાં નથી. મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ પણ ત્યાં થતી નથી.

મારા અંગત જીવનમાં ભગવાનની કૃપા સતત વરસતી રહી છે. જ્યારે રમવા-કૂદવાના દિવસો હતા ત્યારે ચોવીસ લાખનાં મહાપુરશ્ચરણોનો અત્યંત કઠોર સાધનાક્રમ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સંગઠન, સાહિત્ય, જેલ, પુણ્ય-પરમાર્થનાં એક એકથી કઠિન કામ સોંપવામાં આવ્યાં. સાથેસાથે એ વાતની પણ પરખ થતી રહી કે જે કામ કરવામાં આવ્યું તે એના સ્તરને અનુરૂપ થયું કે નહિ? સાંસારિક ખ્યાતિ મેળવવા માટે ઢોંગ-આડંબર તો નથી રચ્યાને? એની પણ સમય પર પરીક્ષા લેવામાં આવી.આદ્યશક્તિ ગાયત્રીને યુગશક્તિ રૂપે વિકસિત અને વિસ્તૃત કરવાની જવાબદારી સોંપીને એ જાણી લેવામાં આવ્યું કે એક બીજે પોતાને ગાળીને નવા ૨૪ લાખ સહયોગી સમર્થક કેવી રીતે બનાવી લીધા? એમના દ્વારા ૨૪00 પ્રજ્ઞાપીઠો વિનિર્મિત કરાવવાથી માંડીને સતયુગી વાતાવરણ બનાવવા અને પ્રયોગ-પરીક્ષણોની શૃંખલા અદ્દભુત – અનુપમ સ્તર સુધીની બનાવી લેવામાં આત્મ સમર્પણ જ એકમાત્ર આધારભૂત કારણ રહ્યું. ઇંધણ જવલંત જવાળા બનીને ભભૂકે છે તો તેનું કારણ ઈંધણનું અગ્નિમાં સમર્પિત થઈ જવાને જ માની શકાય છે.

આજે જ્યારે ૭૫ વર્ષોમાંથી પ્રત્યેક આ રીતે તપતાં તપતાં વિતાવી લીધાં તો એક મોટી કસોટી શિરે નાંખી. તેમાં નિયંતાની નિષ્ક્રુરતા ન શોધવી જોઈએ, પણ એમ વિચારવું જોઈએ કે તેમણે આપેલી પ્રખરતાના પરીક્ષણ ક્રમમાં વધુ વેગ લાવવાની વાત ઉચિત સમજવામાં આવી.

હીરકજયંતીના વસંત પર્વ પર આકાશમાંથી એક દિવ્ય સંદેશ ઊતર્યો. એમાં “લક્ષ્ય’ શબ્દ હતો અને પાંચ આંગળીઓનો સંકેત, જો કે આ એક કોયડો હતો, પણ એને ઉકેલતાં વાર ન લાગી. પ્રજાપતિએ દેવ, દાનવ અને માનવોને એક વાર એક શબ્દનો ઉપદેશ આપ્યો હતો – ‘દ ત્રણેય ચતુર હતા. એમણે એ સંકેતનો સાચો અર્થ કાઢી પોતાની સ્થિતિ અને આવશ્યકતાને અનુરૂપ લીધો. દેવતાઓએ “દમન, દૈત્યોએ “દયા’, માનવોએ દાનના રૂપમાં એ સંકેતનું ભાષ્ય કર્યું, જે સર્વથા ઉચિત હતું.

એક એક લાખની પાંચ શૃંખલાઓનું સર્જન કરવાનો સંકેત થયો. એનું તાત્પર્ય છે કળીમાંથી કમળની જેમ ખીલવું. હવે મારે આ જન્મની પૂર્ણાહુતિમાં પાંચ હવ્યનો સમાવેશ કરવો પડશે. તે આ પ્રકારે છે. (૧) એક લાખ કુંડીનો ગાયત્રી યજ્ઞ. (૨) એક લાખ યુગ સર્જકો તૈયાર કરવા અને એમને પ્રશિક્ષણ આપવું. (૩) એક લાખ અશોક વૃક્ષોનું આરોપણ. (૪) એક લાખ ગ્રામતીર્થોની સ્થાપના. (૫) એક લાખ વર્ષના સમયદાનનો સંચય. – આ પાંચેય કાર્યો એકએકથી કઠિન લાગે છે અને સામાન્ય મનુષ્યની શક્તિથી બહાર, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ કામ સરળ પણ છે અને શક્ય પણ છે. આશ્ચર્ય એટલું જ છે કે જોનારા એને અદ્દભુત અને અનુપમ કહેશે.

વસ્તુ સ્થિતિ એ છે કે મિશનની પત્રિકાઓની ગ્રાહક સંખ્યા લગભગ ૪ લાખ જેટલી છે. સૌ કોઈ ભાવનાશીલ છે, તો પણ એમાંથી દરેક ચાર પરિજનની પાછળ એકની પાસે એવી આશા રાખી શકાય કે તે નવસર્જનના આ મહાપર્વ પર પોતાના કર્તવ્યનું પાલન કરે અને એવાં કામ કરી બતાવે કે જેની તાતી જરૂરિયાત છે અને આશા રાખવામાં આવી છે.

(૧) એક લાખ ગાયત્રી યજ્ઞ: બધા વરિષ્ઠ પ્રજ્ઞાપુત્રોએ પોતાનો જન્મદિવસ ઘર આંગણે ઊજવવો પડશે. એમાં એક નાની વેદી બનાવીને ગાયત્રી મંત્રની ૧૦૮ આહુતિઓ તો આપવી જ પડશે. એની સાથેસાથે સમયદાન – અંશદાન આપવાની પ્રતિજ્ઞા લેવી પડશે અને એનું પાલન પણ કરવું પડશે. સ્વભાવમાં પ્રવેશી ગયેલા દુર્ગુણોમાંથી ઓછામાં ઓછા એકને છોડવો પડશે અને પ્રવૃત્તિ વધારવા માટે ઓછામાં ઓછો એક સદ્ગુણ ધારણ કરવો પડશે. આ પ્રમાણે અંશદાનથી ઝોલા પુસ્તકાલય ચાલવા લાગશે અને ભણેલા લોકોને યુગ સાહિત્ય વંચાવવા તથા અભણોને વાંચી સંભળાવવાનો ક્રમ ચાલુ થઈ જશે. પોતાની કમાણીનો એક અંશ પરમાર્થનાં કાર્યોમાં વાપરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવાથી દરેક પ્રજ્ઞા સંસ્થાનના કાર્યક્રમ ચાલુ થઈ જશે.

દરેક ગાયત્રી યજ્ઞની સાથે જ્ઞાનયજ્ઞ જોડાયેલો છે. આ અવસર પર કુટુંબી, સંબંધી, મિત્ર, પાડોશી વગેરે સૌને બોલાવવા જોઈએ. જ્ઞાન યજ્ઞના રૂપમાં સુગમ સંગીત તથા અવસરને અનુરૂપ પ્રવચન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. યજ્ઞ વેદીનો મંડપ પોતાની કળા કુશળતાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી રીતે શણગારી શકાય છે. વેદીને લીંપવામાં આવે અને રંગોળી પૂરવામાં આવે તો તે આકર્ષક બની જાય છે. એક ઠેકાણે એક લાખ કુંડોનો યજ્ઞ કરવાથી એનો પ્રભાવ આસપાસના વિસ્તારમાં જ પડશે પરંતુ જો એક લાખ ઘરોમાં યજ્ઞ થાય તો એનો પ્રભાવ દેશવ્યાપી પડશે, ૧ લાખ x ૧૦૮= લગભગ ૧ કરોડ આહુતિઓ. આ સંખ્યા ઓછામાં ઓછી છે. એનાથી વધારે આહુતિઓ આપી શકાય તો ૨૪૦ સુધી આપી શકાય છે. અતિથિ સત્કારમાં ખર્ચ કરવાની મનાઈ છે. એટલા માટે દરેક અમીર કે ગરીબ વ્યક્તિ સૌથી ઓછા ખર્ચે આ યજ્ઞ કરી શકે છે.

યુગસંધિની વેળા સન ૨૦૦૦ સુધી છે. હજુ એમાં લગભગ ૧૪ વર્ષ બાકી છે. એક લાખ કાર્યકર્તાઓ દર વર્ષે જન્મદિવસ ઊજવે તો એક લાખ નાના યજ્ઞો થાય. દેખાદેખીમાં બીજા લોકો પણ જન્મદિવસ નિમિત્તે યજ્ઞ કરાવશે. આ રીતે દર વર્ષે કેટલાય લાખ યજ્ઞો અને કરોડો આહુતિઓ થઈ શકે છે. એનાથી વાયુ મંડળ અને વાતાવરણ બંને શુદ્ધ થશે. સાથે જન માનસનો પરિષ્કાર કરનારી અનેક સમ્પ્રવૃત્તિઓ આ અવસરે લેવામાં આવેલ અંશદાન – સમયદાનના સંકલ્પના આધારે સુવિકસિત થતી જશે.

(૨) સંજીવની વિદ્યાનું પ્રશિક્ષણઃ શાંતિકુંજમાં એવી વ્યવસ્થા કરવામાં આવનાર છેકે ૧૦૦૦ શિબિરાર્થીઓને નિયમિતપણે શિક્ષણ આપી શકાય. આ પ્રશિક્ષણમાં વ્યક્તિત્વનો વિકાસ, પ્રતિભાનું જાગરણ, કુટુંબમાં સુસંસ્કારિતા અને સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો ભણાવવામાં આવશે. આશા રાખવામાં આવે છે કે આ પ્રશિક્ષણમાં જે કાંઈ શીખવવામાં આવશે, જે પ્રેરણા આપવામાં આવશે તે જેને સાધનાના તત્ત્વજ્ઞાનનો સાર કહી શકાય તેવી હશે. આશા રાખવી જોઈએ કે જે કોઈ આ સંજીવની વિદ્યા ભણશે તે પોતાનામાં નવા પરિવર્તનનો અનુભવ કરશે અને નેતૃત્વ શક્તિનો વિકાસ કરશે, જે દરેક ક્ષેત્રમાં સફળતા આપી શકે. આ શિક્ષિત કાર્યકર્તાઓ પોતપોતાના ક્ષેત્રમાં પાંચસૂત્રી યોજનાનું સંચાલન કરશે.

મિશનની પત્રિકાના વાચકો તો ગ્રાહકોની સરખામણીમાં પાંચગણા વધારે છે. પત્રિકા ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓ વાંચે છે. આમ, પ્રજ્ઞા પરિવારની સંખ્યા ૨૪-૨૫ લાખ થઈ જાય છે. આમાં શિક્ષિત વર્ગનાં નર-નારી છે. તમામને આ પ્રશિક્ષણમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દર પચીસે એક વિદ્યાર્થીમળે તો સંખ્યા એકલાખ જેટલી થઈ જાય છે. યુગસંધિની અવધિ સુધીમાં આટલા શિક્ષાર્થી વિશેષ રૂપે લાભ લઈ ચૂક્યા હશે. તેમને માત્ર શાળાના વિદ્યાર્થીઓ ન માનવા જોઈએ, પરંતુ જે ઉચ્ચસ્તરીય જ્ઞાન મેળવીને તેઓ પાછા ફરશે તો તેમનું વ્યક્તિત્વ મહામાનવ સ્તરના યુગ નેતૃત્વની પ્રતિભાથી ભરપૂર હશે એવી આશા રાખી શકાય.

આ શિક્ષણ મે, ૧૯૮૬થી શરૂ થયું છે. તેની વિશેષતા એ છે કે શિક્ષાર્થીઓ માટે નિવાસ, પ્રશિક્ષણની જેમ ભોજન પણ નિ:શુલ્ક છે. સ્વેચ્છાપૂર્વક કોઈ કંઈ આપે તો તેનો અસ્વીકાર કરવામાં આવતો નથી, પણ અમીર-ગરીબનો ભેદ કરનારી શુલ્ક પરિપાટીને આ પ્રશિક્ષણમાં પ્રવેશવા જ નથી દીધી. પ્રાચીન કાળનાં વિદ્યાલયો, વાલી અને અધ્યાપકની બેવડી ભૂમિકા નિભાવતાં હતાં. આ પ્રયોગને પણ તે પ્રાચીન વિદ્યાલય પ્રણાલીનું પુનર્જીવન કહી શકાય

જીવનની બહુમુખી સમસ્યાઓનું સમાધાન, પ્રગતિના પથ પર આગળ વધવાનું રહસ્ય ઉપરાંત ભાષણકળા, સુગમ સંગીત, જડીબુટ્ટી વિજ્ઞાન, પૌરોહિત્ય શિક્ષણ, સ્વાસ્થ્ય, ગૃહઉદ્યોગોની જાણકારી વગેરે વિવિધ વિષયો પણ સામેલ કરવામાં આવ્યા છે. જેથી એનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પોતે ઉઠાવી શકે અને બીજાને પણ આપી શકે.

અનુમાન છે કે આગામી ૧૪ વર્ષમાં એક લાખ જેટલા છાત્રોના ઉપર્યુક્ત પ્રશિક્ષણ અંગે ભારે ખર્ચ થશે, ઘણુંખરું તો ભોજન ખર્ચ જ એક કરોડ જેટલું થશે. નવું મકાન, ફર્નિચર, વીજળી વગેરેનું નવું ખર્ચ જે વધશે તે પણ આનાથી ઓછું નહિ હોય. આશા છે કે યાચના કર્યા વિના ભારે ખર્ચ વહન કરીને અત્યાર સુધી નિભાવેલું વ્રત આગળ પણ નિભાવતા રહી શકાશે અને આ સંકલ્પ પણ પૂરો થઈને રહેશે. આ ઉચ્ચસ્તરીય શિક્ષણમાં ૨૫ લાખનો સમાવેશ થવો જરા પણ કઠિન નથી, પરંતુ તેમ છતાંય પ્રતિભાવાનોને પ્રાથમિક્તા આપવાની શોધ અને પૂછપરછ કરવી પડી છે અને પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસે તેમનો વિસ્તૃત પરિચય માગવામાં આવ્યો છે.”

(૩) એક લાખ અશોક વૃક્ષોનું આરોપણઃ વૃક્ષારોપણનું મહત્ત્વ સૌ કોઈ જાણે છે. વાદળોને ખેંચીને વરસાદ પાડવો, જમીનનું ધોવાણ અટકાવવું, જમીનની ફળદ્રુપતા વધારવી, પ્રાણવાયુ પૂરો પાડવો, પ્રદૂષણનું શોષણ કરવું, છાંયડો, પ્રાણીઓને આશ્રય, ઈમારતી લાકડું, બળતણ વગેરે કેટલાય લાભો આપણને વૃક્ષો દ્વારા મળે છે. ધાર્મિક અને ભૌતિક દષ્ટિએ વૃક્ષારોપણને એક ઉચ્ચ કોટિનું પુણ્યકાર્ય માનવામાં આવે છે.

વૃક્ષોમાં અશોકનું પોતાનું આગવું મહત્ત્વ છે. સમ્રાટ અશોકની જેવું એનું ગુણગાન ગાઈ શકાય. હનુમાનજીએ પણ અશોક ઝાડ પર આશ્રય લીધો હતો. સીતાજીને પણ અશોક વાટિકામાં જ રાખવામાં આવ્યાં હતાં. આયુર્વેદમાં પણ સ્ત્રીરોગો માટે અશોક રામબાણ ઔષધિ રૂપ માનવામાં આવે છે. તે પુરુષોમાં બળ અને તેજ વધારવામાં વિશેષ રૂપે લાભદાયક છે. સાધના માટે અશોકવનમાં રહેવામાં આવે છે. એની શોભા અસાધારણ છે. જો જનતાને અશોક વૃક્ષના ગુણ સમજાવવામાં આવે તો દરેક વ્યક્તિ અશોકવાટિકા તો નહિ પણ પોતાના આંગણામાં અશોકનું એક ઝાડ તો ઉગાડી શકે છે.

એકલાખ અશોકવૃક્ષો વાવવાનો સંકલ્પ પૂરો કરવા માટે જો પ્રજ્ઞા પરિજનો ઉત્સાહ સાથે પ્રયત્ન કરે તો નિશ્ચિત પણે સફળતા મળે જ, સામૂહિક શક્તિ મહાન છે. એની આગળ કોઈ અવરોધ ટકી શક્તો નથી. અશોકવાટિકાઓને મંદિર જેવી પ્રતિષ્ઠા આપવામાં આવશે. બિહારના હજારી નામના ખેડૂત સ્વપ્રયત્ન એકહજાર આંબાનો બાગ તૈયાર કર્યો હતો. પછી એવું કોઈ કારણ નથી કે એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂરો ન થાય. એના રોપા શાંતિકુંજમાંથી આપવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે અને દરેક પ્રજ્ઞા પરિજનને કહેવામાં આવ્યું છે કે તેઓ અશોક વાટિકા તૈયાર કરવા-કરાવવામાં કોઈ ઊણપ ન રહેવા દે. એનાથી હવા શુદ્ધ થવાનું કાર્ય શાશ્વત શાસ્ત્ર સંમત યજ્ઞ સમાન જ સમજવું. યજ્ઞનો પ્રભાવ થોડો સમય પડે છે, જ્યારે વૃક્ષ તો કેટલાંય વર્ષો સુધી રાતદિવસ વાયુ શુદ્ધ કરે છે.

(૪) દરેક ગામ એક યુગતીર્થ: જયાં સત્કાર્યો થતાં રહે છે એ સ્થાનોની અર્વાચીન કે પ્રાચીન ગતિવિધિઓ જોઈને આદર્શવાદી પ્રેરણા મળતી રહે છે. એ સ્થાનોને તીર્થ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુ માણસો જે દર્શનીય સ્થાનોની તીર્થયાત્રા કરે છે, એ સ્થાનો અને ક્ષેત્રોની સાથે કોઈ એવો ઈતિહાસ જોડાયેલો છે કે જેમાં સંયમશીલતા-સેવા ભાવનાનું સ્વરૂપ પ્રદર્શિત થાય છે. પ્રસ્તુત તીર્થોમાં ક્યારેક ઋષિ આશ્રમો પણ રહ્યા છે. ગુરુકુળ આરણ્યકો ચાલ્યાં છે અને પરમાર્થ સંબંધી વિવિધ કાર થતાં રહ્યાં છે.

આજે પ્રખ્યાત તીર્થ બહુ થોડાં છે. ત્યાં પર્યટકોની ભીડ વધારે રહે છે. પુણ્યકાર્યોનો ક્યાંય પત્તો નથી. આ પરિસ્થિતિઓમાં તીર્થ ભાવનાને ફરીથી જગાડવા માટે એવું વિચારવામાં આવ્યું છે કે ભારતના દરેક ગામને એક નાના તીર્થ રૂપે વિકસિત કરવામાં આવે. ગામનું તાત્પર્ય અહીં શહેરો સાથે દ્વેષ કે ઉપેક્ષા ભાવ રાખવાનો નથી, પરંતુ ગામડાના પછાત તથા ગરીબ વર્ગને આગળ લાવવાનો હેતુ છે. માતૃભૂમિનો પ્રત્યેક કણ દેવતા છે. દરેક ગામ અને ઝૂંપડી પણ જરૂર એ વાતની છે કે એમના માથા પર લાગેલું પછાતપણું ધોવામાં આવે અને સપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે. આટલું કરવાથી ગામડાંમાં નવો પ્રાણ ફૂંકાશે. “દરેક ગામ તીર્થ બને’ યોજનાનો હેતુ છે- “ગ્રામોત્થાન”, ગ્રામસેવા અને ગ્રામવિકાસ. આ કાર્ય પૂરા મનથી કરવામાં આવે અને મહેનતને ગ્રામદેવતાની પૂજા માનવામાં આવે. આ તીર્થસ્થાપના થઈ. આ કામ ગામલોકો અને બહારના સેવાભાવી કાર્યકર્તાઓ હળીમળીને પૂરું કરી શકે છે. પછાતપણાના પ્રત્યેક પાસાં સામે ઝઝૂમવા અને પ્રગતિના પ્રત્યેક પાસાને ઉજાગર કરવા માટે જરૂરી છે કે ગામની સાર્થક પદયાત્રા કરવામાં આવે, જનસંપર્ક કરવામાં આવે અને યુગચેતનાનો અલખ જગાવવામાં આવે.

દરેક ગામને તીર્થ રૂપમાં વિકસિત કરવા માટે તીર્થયાત્રા ટોળીઓ કાઢવાની યોજના છે. પદયાત્રાને સાઈકલ યાત્રાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. ત્રણ સાઈક્લ સવારોની એક ટુકડી પીળાં વસ્ત્રો પહેરીને, ગળામાં પીળો થેલો લટકાવીને, સાઈકલો પર પીળા રંગનાં કમંડળ લટકાવીને પ્રવાસ પર નીકળશે. આ પ્રવાસ ઓછામાં ઓછા દસ દિવસના-પંદર દિવસના અથવા વધારેમાં વધારે એક મહિનાના હશે. યાત્રા માટે સૌથી પહેલાં એક રૂપરેખા બનાવવામાં આવશે. યાત્રા જ્યાંથી શરૂ થશે ત્યાં આવીને સમાપ્ત થશે. સવારે પાણી પીને ટોળી નીકળશે. રસ્તામાં આવતાં ગામોની દીવાલો પર આદર્શ વાક્ય લખશે. નાના ડબ્બામાં રંગ હશે. સુંદર અક્ષરે લખવાનો અભ્યાસ પહેલેથી જ કરી લીધો હશે. (૧) હું બદલાઈશ-યુગ બદલાશે (૨) હું સુધરીશ-યુગ સુધરશે (૩) નરને નારી એક સમાન, જાતિ, વંશ સર્વ એકસમાન. જ્યાં જે વાક્ય યોગ્ય લાગે ત્યાં બ્રશથી લખતા જશે.

જ્યાં રાત્રિરોકાણ કરવાનું નક્કી કર્યું હોય ત્યાં શંખ-ઘડિયાળથી ગામની પરિક્રમા કરવામાં આવે અને જાહેરાત કરવામાં આવે કે અમુક જગ્યાએ તીર્થયાત્રા મંડળીનાં ભજન-કીર્તન થશે.

એક દિવસના આ કીર્તનમાં એક બાજુ ગામલોકોને સુગમ સંગીતના માધ્યમથી ભક્તિરસમાં તરબોળ કરવામાં આવશે અને બીજી બાજુ એ પણ બતાવવામાં આવશે કે ગામને સજ્જનતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધારવા માટે શું કરવું જોઈએ. પ્રૌઢશિક્ષણ, બાળસંસ્કાર શાળા, સ્વચ્છતા, વ્યાયામશાળા, શાકવાટિકા, કુટુંબનિયોજન, નશાબંધી, સહકારિતા, વૃક્ષારોપણ વગેરે સત્પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવીને બતાવવામાં આવશે કે સૌ ગામલોકો ભેગા મળીને આ કાર્યક્રમોને કેવી રીતે અમલમાં મૂકી શકે છે અને એનો લાભ ઉઠાવી શકે છે.

સંભવ હોય તો સભાના અંતમાં ઉત્સાહી પ્રતિભાશાળી લોકોની એક સમિતિ બનાવી દેવામાં આવે તો વધુ સારું. બીજા દિવસે સવારે ગામની એકતા અને પવિત્રતાના પ્રતીક રૂપે એક અશોક વૃક્ષ રોપવામાં આવે. આ અશોક દેવમૂર્તિ, ઉપયોગિતા અને ભાવનાની દષ્ટિએ બહુ જ ઉપયોગી છે.

એક લાખ ગામોમાં આ આંદોલનના વિસ્તાર માટે શાંતિકુંજે પહેલું પગલું ભર્યું છે. એના માટે સંચાલન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં ત્રણ નવી સાઈકલો, ત્રણ નાના ડબ્બા, બિસ્તરા, સંગીતના સાધનો અને યુગ સાહિત્ય રાખવામાં આવ્યાં છે. થોડા દિવસની તાલીમ પછી સમયદાનીઓ આ સાધનોની મદદથી યાત્રા પર નીકળી શકશે. જ્યારે દરેક ગામમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ દરરોજ સમયદાન અને અંશદાન આપીને ગામ લોકોને યુગ સાહિત્ય વંચાવવાનું વ્રત લેશે ત્યારે આ કાર્યક્રમ સફળ થયો કહેવાશે. જે ગામમાં આ રચનાત્મક કાર્યક્રમો ચાલશે તે ગામ ટૂંક સમયમાં પ્રગતિના રાજમાર્ગ પર દોડવા લાગશે. આ છે તીર્થ ભાવના – તીર્થ સ્થાપના. એના માટે એક હજાર કેન્દ્ર સ્થાપવાની યોજના છે. એક કેન્દ્ર સંચાલક પોતાના ક્ષેત્રની જવાબદારી સંભાળશે. કેન્દ્રમાં તીર્થયાત્રા માટેના જરૂરી સાધન સગવડો રાખવામાં આવશે. સમયદાનીઓને તાલીમ આપવામાં આવે અને એક ટુકડી પોતાનો પ્રવાસ પૂરો કરીને આવે ત્યાં સુધી બીજી ટુકડી તૈયાર કરવામાં આવે અને એને બીજા ગામના પ્રવાસ પર મોકલવામાં આવે. વિચારવામાં આવ્યું છે કે દરેક પચાસ માઈલના ક્ષેત્રમાં એક તીર્થમંડળ બનાવવામાં આવે અને એમાં જેટલાં ગામ આવતાં હોય તેમાં વર્ષે બે વાર તીર્થયાત્રાની ટુકડીઓ મોક્લવામાં આવે. આ બધી વ્યવસ્થા ક્ષેત્ર સંચાલકે સંભાળવાની રહેશે. એમની નિમણૂક શાંતિકુંજથી કરવામાં આવશે.

દેશમાં સાત લાખ ગામડાં છે, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોતાં એક લાખ ગામડાં જ હાથ પર લેવામાં આવ્યાં છે. ૨૪ લાખ પ્રજ્ઞા પરિજનો એક લાખ ગામોમાં ફેલાયેલા હશે. તેમની મદદથી આ કાર્યક્રમ સરળતાથી સંપન્ન થઈ શકે છે. ત્યારબાદ એ હવા સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. ક્રમિક ગતિએ ચાલવું અને શક્ય હોય તેટલું તરત જ કરતાં જઈને આગળની યોજનાને વિસ્તાર દેતાં ચાલવું એ બુદ્ધિમત્તાનું કામ છે.

(૫) એક લાખ વર્ષનું સમયદાનઃ જેટલા વિશાળ અને બહુમુખા યુગ પરિવર્તનની કલ્પના કરવામાં આવી છે, એના માટે સાધનોની તુલનામાં શ્રમ અને સહયોગની વધારે જરૂર પડશે. ફક્ત સાધનોથી જ કામ લઈ જતું હોત તો અબજો રૂપિયાનો ખર્ચ કરતી સરકારો આ કામને પણ હાથમાં લઈ શક્તી હોત. ધનવાન લોકો પણ આ કામ કરી શક્ત યાદ રાખવું જોઈએ કે ફક્ત સાધન અને રૂપિયાથી દરેક કામ થઈ શકતાં નથી. લોકોની ભાવના જગાડવી, પોતાની પ્રામાણિકતા, અનુભવશીલતા, યોગ્યતા અને ત્યાગ ભાવનાનો જનતાને વિશ્વાસ આપવો પડે છે. જો જનતાના ગળે આટલી વાત ઊતરી જાય તો જનકલ્યાણનાં કાર્યોમાં બીજાને પ્રોત્સાહિત કરીને એમનો અમૂલ્ય સહકાર મેળવી શકાય છે. બાકી તો મોટો પગાર અને ભરપૂર સગવડો આપીને પણ પછાત તથા ગરીબ જનતાને આદર્શવાદી કામ કરવા માટે તૈયાર કરી શકાય નહિ. જે ભાવનાશીલ હોય તે જ બીજાની ભાવના ગાડી શકે છે. સર્જનાત્મક કાર્યોમાં હમેશાં કર્મવીરો જ આગળ રહે છે.

વાત પર્વત જેટલી ભારે છે, પરંતુ સાથે જ રાઈટલી સરળ પણ છે. જે વ્યક્તિ સાદું જીવન જીવે અને કુટુંબને સ્વાવલંબી, સુસંસ્કારી બનાવવાની જવાબદારી પૂરી કરે તો સમજવું જોઈએ કે સેવા સાધનાના માર્ગમાં જે મુશ્કેલી હતી તે દૂર થઈ ગઈ. વિચારશીલ વ્યક્તિ મનથી નક્કી કરી લેતો જનકલ્યાણ માટે, યુગપરિવર્તન માટે દરરોજ ઓછામાં ઓછા બે ક્લાકનો સમય આપી શકે છે. પ્રાચીનકાળમાં બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને સદ્ગૃહસ્થો આવું સાહસ કરતા હતા. ગુરુ ગોવિંદસિંહે પોતાના શિષ્યોમાંથી દરેક ગૃહસ્થનો મોટો દીકરો સિપાઈ બનાવવા માટે માગ્યો હતો. આ કારણે જ શીખોનો ઇતિહાસ વીજળીની જેમ ચમકે છે. દેશના રક્ષણ માટે અને આબરૂ બચાવવા માટે લાખો લોકોએ બલિદાનો આપ્યાં અને મુશ્કેલીઓ વેઠી. આ પરંપરા બુદ્ધ અને ગાંધીના જમાનામાં પણ સક્રિય હતી. વિનોબાનું સર્વોદય આંદોલન આના આધારે ચાલ્યું હતું. સ્વામી વિવેકાનંદ, દયાનંદ વગેરેએ સમાજને અસંખ્ય ઉચ્ચસ્તરીય કાર્યકર્તાઓ આપ્યા હતા. આજની સૌથી મોટી આવશ્યક્તા એ જ છે. સમયની માગ એવા મહામાનવોની છે, જે પોતે આગળ વધે અને બીજાને આગળ વધારે.

માની લીધું કે આજે સમાજ સ્વાર્થી અને સંકુચિત થઈ ગયો છે, તો પણ એટલું તો માનવું જ પડશે કે આ ધરતીને વાંઝણી’તો ન જ કહી શકાય. ૬૦ લાખ સાધુ બાવા ધર્મના નામે ઘરબાર છોડીને ભટકી શકે તો પછી એવું કોઈ કારણ નથી કે મિશનની એક લાખ વર્ષની સમયદાનની માગણી પૂરી ન થઈ શકે. એક વ્યક્તિ જો દરરોજ બે કલાકનું સમયદાન આપી શકે, તો એક વર્ષમાં ૭૨૦ ક્લાક થાય છે. ૭ ક્લાક દિવસ માનવામાં આવે તો એક વર્ષમાં ૧૦૩ દિવસ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ૨૦ વર્ષની ઉંમરમાં આ સંક્લ્પ લે અને ૭૦ વર્ષ સુધી એનું પાલન કરે તો આ ૫૦ વર્ષના કુલ પાંચ હજાર દિવસ થાય છે. એનો અર્થ થયો ૧૪ વર્ષ. એક લાખ વર્ષનો સમય પૂરો કરવા માટે એવા ૧૦OOOO/૧૪=૭૧૪૩ લોકો પોતાના જીવનમાં જ એક લાખ વર્ષની સમયદાનની માગણી પૂરી કરી શકે છે. આ તો એક નાનો હિસાબ થયો. મિશનમાં એવા પરિજનોની ખોટ નથી, જે આજે પણ સાધુ બ્રાહ્મણ જેવું પરોપકારી જીવન જીવી રહ્યા છે અને પોતાનો બધો સમય યુગપરિવર્તનની યોજનાઓમાં આપી રહ્યા છે. આજે પણ એવા હજારો બ્રહ્મચારી અને વાનપ્રસ્થીઓ છે. એમનો પણ સમય ગણવામાં આવે તો સમયનો આંક એક લાખ વર્ષને પણ વટાવી જાય છે.

વાત એટલા પૂરતી સીમિત નથી. પ્રજ્ઞા પરિવારના એવા કેટલાય ઉદારતા છે. જેમણે હીરકજયંતીના અનુસંધાનમાં સમયદાનના આગ્રહ અને અનુરોધને દેવી નિર્દેશ માન્યો છે અને પોતાની પરિસ્થિતિઓ સાથે તાલમેળ બેસાડીને એક વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધીનો સમય આપ્યો છે. એવા લોકો પણ અસંખ્ય છે, જેઓ પ્રવાસ પર તો જઈ નથી શકતા, પરંતુ ઘરે રહીને જ અવારનવાર મિશનની ગતિવિધિઓને અગ્રગામી બનાવવા સમય આપતા રહેશે. સ્થાનિક ગતિવિધિઓ સુધી જ સીમિત રહીને નજીકના કાર્યક્ષેત્રને પણ સંભાળતા રહેશે.

પુરુષોની જેમ સ્ત્રીઓ પણ આ સમયદાનના યજ્ઞમાં ભાગ લઈ શકે છે. શારીરિક અને બૌદ્ધિક બંને પ્રકારનો શ્રમ કરીને સ્ત્રીઓ મહિલા સમાજમાં નવચેતના જગાડી શકે છે. અભણ સ્ત્રીઓ પણ ઘરોની આગળ પાછળ શાકવાડી લગાડી શકે છે. જેમના પર કૌટુંબિક જવાબદારી નથી, શારીરિક રીતે સ્વસ્થ અને સ્કૂર્તિવાન છે, તેઓ શાંતિકુંજના ભોજનાલયમાં કામ કરી શકે છે અને અહીંના વાતાવરણમાં રહીને આશાતીત સંતોષભર્યું જીવન જીવી શકે છે.

પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક કાર્યક્રમોમાં એવાં કેટલાંય કામ છે, જે પોતપોતાની પરિસ્થિતિઓને અનુરૂપ કરી શકાય છે. પ્રચારાત્મક સ્તરનાં કાર્યો (૧) ઝોલા પુસ્તકાલય (૨) જ્ઞાનરથ (૩) સ્લાઈડ પ્રોજેક્ટર પ્રદર્શન, ટેપરેકોર્ડરથી યુગસંદેશ અને યુગસંગીત જનજન સુધી પહોંચાડવું (૪) દીવાલ પર આદર્શ વાક્યો લખવાં (૫) સાઈકલ યાત્રામાં સામેલ થવું. સંગીત, સાહિત્ય તથા કળાના માધ્યમથી પણ ઘણું કામ થઈ શકે છે. સાધનદાનથી પણ અનેક સત્પ્રવૃત્તિઓનું પોષણ થઈ શકે છે. રચનાત્મક કામોમાં (૧) પ્રૌઢશિક્ષણ પુરુષોની રાત્રિ પાઠશાળા, સ્ત્રીઓની મધ્યાહન પાઠશાળા (૨) બાળ સંસ્કારશાળા (૩) વ્યાયામશાળા (૪) સ્વચ્છતા અભિયાન (૫) વૃક્ષારોપણ વગેરે. સુધારાત્મક કાર્યોમાં કુરિવાજો, અનૈતિકતા, અંધવિશ્વાસ વગેરે દૂર કરવાં તે મુખ્ય છે. (૧) નાતજાત, ઊંચનીચ (૨) પડદાપ્રથા (૩) દહેજ (૪) નશાબાજી (૫) ફૅશનના નામે નકામું ખર્ચ. બાળલગ્ન વગેરે કુપ્રથાઓ નાબૂદ કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા. ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે સંબંધિત કેટલાય કાર્યક્રમો એવા છે કે કોઈ પણ ક્ષેત્રમાં અને કોઈપણ સ્થિતિમાં તેનો અમલ કરવાને અવકાશ છે. જેમને નવસર્જન માટે સમય આપવો છે, તેમણે પોતાની યોગ્યતા અને પરિસ્થિતિ અનુસાર કોઈક કામ પસંદ કરી લેવું જોઈએ. આ તમામ કાર્યોના પ્રયાસ અને પ્રગતિ સમયદાન પર આધારિત છે.

એક લાખ વર્ષનો સમય એમ તો કહેવા-સાંભળવામાં બહુ વધારે લાગે છે, પરંતુ જયારે બધા પરિજનો ભેગા મળીને એના માટે કમર કસે છે, ત્યારે દરેકના ભાગમાં થોડોક જ સમય આવે છે.

મોટું અનુદાન – મોટું વરદાનઃ ફોલ્લાની રસી સોય ભોંકીને પણ કાઢી શકાય છે, પણ મગજમાં કે હ્રદયમાં ઘૂસી ગયેલી ગોળી કાઢવા માટે કુશળ દાક્તર અને કીમતી યંત્રોની જરૂર પડે છે. કરોળિયાનું પેટ એક માખીથી ભરાઈ જાય છે પણ હાથીને દરરોજ બે-ચાર મણ શેરડી જોઈએ. કૂવામાંથી કોઈ પણ વ્યક્તિ ઘડો પાણી ખેંચી શકે છે, પણ સ્વર્ગમાંથી ધરતી પર ગંગાનું અવતરણ કરવા ભગીરથ જેવું તપ અને શિવની જટાઓનો આધાર હોવો જોઈએ, વૃત્રાસુરનો વધ કરવા માટે ઋષિ દધીચિનાં હાડકાંમાંથી વ્રજ બનાવવું પડ્યું હતું. નાનાં કામ સાધારણ મનુષ્યોના સહકારથી, ઓછાં સાધનોથી થઈ શકે છે, પરંતુ મહાન કાર્યો માટે વિશાળ યોજનાઓ બનાવીને આગળ વધવું પડે છે. ધરતીની તરસ બુઝાવવા અને સમુદ્રની સપાટી જાળવી રાખવા માટે હજારો નદીઓનું પાણી એમાં સતત પડવું જોઈએ.

પરિવર્તન અને નિર્માણ બંને કષ્ટસાધ્ય છે. ભૂણ જ્યારે શિશુરૂપે ધરતી પર આવે છે તો પ્રસવ પીડાની સાથે થતો રક્તસ્રાવ પથ્થરદિલને પણ પીગળાવી દે છે. પ્રસ્તુત પરિસ્થિતિઓના દૃશ્ય અને અદશ્ય બંને પક્ષ એવા છે, જેના કણકણમાંથી મહાવિનાશનો પરિચય મળે છે. સમયની આવશ્યકતા એટલી મોટી છે કે ઘણાબધાએ ઘણુંબધું કરવું જોઈએ. વિનાશ સામે ઝઝૂમવા અને વિકાસને પ્રત્યક્ષ કરવા માટે અસામાન્ય વ્યક્તિત્વ, અસામાન્ય કૌશલ્ય અને અસીમ સાધન જોઈએ. એટલાં અસીમ કે જેને ભેગાં કરવાનું કોઈ વ્યક્તિ કે સમુદાય માટે કઠિન છે. એ તમામ સરંજામને ભેગો કરવાનું માત્ર પરમેશ્વરના હાથમાં છે. હા, એટલું અવશ્ય છે કે નિરાકારને સાકાર જીવધારીઓમાં નિયજિત રણનીતિની અને કૌશલભરી વ્યવસ્થાની જરૂર પડે છે. એ પણ પરિમાણમાં. એવાં કાર્યોનું સંયોજન તો ભ્રષ્ટાની વિધિવ્યવસ્થા જ કરે છે, પરંતુ એનું શ્રેય શ્રદ્ધાવાન સાહસિકોને મળી જાય છે. હનુમાન અને અર્જુનની શક્તિ એમણે પોતે ઉપાર્જિત કરેલી ન હતી,

તેઓ સૃષ્ટાનું કામ કરતાં કરતાં તેના સામર્થ્યને પ્રાપ્ત કરી શક્યા. અર્જુનને જો સારથિનું સમર્થન ન રહ્યું હોત, તો મહાભારત ક્વી રીતે જીતી જાત? હનુમાન પોતે જો બળવાન હોત તો સુગ્રીવ સાથે ઋષ્યમૂક પર્વત પર છૂપાછૂપા ન ફરતા હોત. સમુદ્રને લાંઘવાનું, લંકાને બાળવાનું, પર્વત ઉખાડવાનું સામર્થ્ય એમને અમાનતરૂપે એટલા માટે મળ્યું હતું કે તેઓ રામકાજમાં સમર્પિત હતા. કોઈ અંગત મનોકામના માટે કોઈ ભક્ત માગ્યું છે તો નારદ-મોહ વખતે મળેલા ઉપાસની જેમ તેણે તિરસ્કૃત થવું પડ્યું છે.

મહાન પરિવર્તન સાથે જોડાયેલા નવસર્જનનું ઉભયપક્ષીય કાર્ય એવું છે કે જેને સંપન્ન કરવા માટે એટલાં સાધન જોઈએ, જેનું વિવરણ શબ્દોમાં કરી શકાતું નથી. એ ભેગાં કરવાનાં છે, ભેગાં થશે પણ.

અભીષ્ટ પ્રયોજનની મહાનતાને સંપૂર્ણ રૂપમાં આંકી શકાતી નથી. એના કેટલાય કાર્યક્રમો છે. પ્રસ્તુત સંકટ કે સંક્લ્પ આ જ પ્રકારનો છે જે અવતરણ પર્વ પરગત વસંત પંચમીએ પ્રગટ થયો. સગવડની દૃષ્ટિએ એને પાંચ ભાગોમાં વહેંચી દેવામાં આવ્યો છે. (૧) એક લાખ યજ્ઞ (૨) એક લાખ નરરત્ન (૩) એક લાખ અશોક વાટિકા (૪) એક લાખ ગ્રામતીર્થ (પ) એક લાખ વર્ષનું સમયદાન સંક્લન. આ પાંચ કામ ધરતીને માથા ઉપર ઉઠાવવા જેટલાં ભારે છે. કોઈપણ મનુષ્યનું મગજ એની યોજના વિચારી શકતું નથી, તો પછી એને હાથમાં લેવાની વાત વિચારી જ કેવી રીતે શકાય? આ દેવકાર્ય છે, જે મારા જેવી તુચ્છ વ્યક્તિ કદાપિ કરી શકે નહિ. આ પરમ સત્તાનું કામ છે અને તે કઠપૂતળીની જેમ પ્રજ્ઞા પરિવારને નચાવી રહ્યા છે.

સારું તો એ છે કે આ ગોવર્ધનને હળી મળીને ઊંચકવામાં આવે. સારું તો એ છે કે સમુદ્ર સેતુ બાંધવામાં ખિસકોલીની જેમ યથા સંભવ ફાળો આપીને યશ કમાવામાં આવે. આ યોજનામાં ફાળો આપવાથી પ્રજ્ઞા પરિજનોને લાભ જ થશે. જેટલું ગુમાવશે એના કરતાં મળશે વધારે. બીજને થોડીક ક્ષણો જ ગળવાનું કષ્ટ સહેવું પડે છે. તે પછી તો વધવાનો, હરિયાળા થવાનો અને કૂલવા ફાલવાનો આનંદ જ આનંદ છે. વૈભવ જ વૈભવ છે. સ્વતંત્રતા સંગ્રામમાં જેઓ આગળ આવીને કૂદી પડ્યા તેઓ આઝાદી પછી મિનિસ્ટર બનવાથી માંડીને પેન્શનના લાભ મેળવી શક્યા, આજનો અવસર પણ આવો જ છે, જેમાં લીધેલી ભાગીદારી મણિમુક્તકોની ખાણને કોડીના મૂલે ખરીદી લેવા સમાન છે. જેનું શ્રેય, યશ અને વૈભવ સુનિશ્ચિત છે, જે હસ્તગત કરવામાં કંજૂસાઈથી વધુ બીજું કંઈ થઈ શકે નહિ.

SJ-01 : મારી ભવિષ્યવાણી – “વિનાશ નહિ, સર્જન’ -૨૬, મારું વિલ અને વારસો

મારી ભવિષ્યવાણી – “વિનાશ નહિ, સર્જન’

આવનાર સમય અનેક સંકટોથી ભરેલો છે. આ વાત વિવિધ તત્ત્વવેત્તાઓએ પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે અલગ અલગ રીતે જોરદાર શબ્દોમાં કહી છે. ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં જે “સેવન ટાઈમ્સ’માં પ્રલયકાળ જેવી વિપત્તિ આવશે એવું વર્ણન છે તે બરાબર અત્યારનો જ સમય છે. ઈસ્લામ ધર્મમાં ચૌદમી સદીના અંતમાં મહાન સંકટોનો ઉલ્લેખ છે. “ભવિષ્ય પુરાણમાં અત્યારના આ સમયમાં ભયંકર આપત્તિઓ તૂટી પડવાનો સંકેત છે. શીખોના “ગુરુ ગ્રંથ સાહેબ’માં પણ આવી જ અનેક ભવિષ્યવાણીઓ છે. કવિ સુરદાસે પણ આ સમયમાં જ મુશ્કેલીઓ આવશે એવા સંકેતો કર્યા હતા. ઈજિપ્તના પિરામિડોમાંથી આવા જ શિલાલેખો પ્રાપ્ત થયા છે. ભારતના અનેક ભવિષ્યવેત્તાઓએ અધ્યાત્મના આધારે અને દશ્ય ગણિત – જયોતિષના આધારે એવી આગાહીઓ કરી છે કે અત્યારના સમયમાં ભયંકર ઊથલપાથલ થશે.

પશ્ચિમના દેશોમાં જે ભવિષ્યવેત્તાઓની આણ પ્રવર્તે છે અને જેમની ભવિષ્યવાણીઓ ૯૯ ટકા સાચી પડે છે તેમાં જિન ડિક્સન, પ્રો. હરાર, એંડરસન, જહોન બાબેરી, કીરો, આર્થર, ક્લાર્ક, નોસ્ટ્રાડેમસ, મધર શિમ્પટન, આનંદાચાર્ય વગેરેએ અત્યારના સમયના સંદર્ભમાં જે કંઈ શક્યતાઓ વ્યક્ત કરી છે તે ભયાનક છે. થોડાક સમય પહેલાં કોરિયામાં આખી દુનિયાના ભવિષ્યવેત્તાઓનું એક સંમેલન યોજાયું હતું. તેમાં પણ ભય પમાડે તેવી ભયાનક શક્યતાઓની આગાહી કરવામાં આવી હતી. ટોરેન્ટો-કેનેડામાં સમગ્ર વિશ્વના ભવિષ્ય વિજ્ઞાન વિશેષો (ફયુયરાન્ટોલોજિસ્ટો) નું એક સંમેલન યોજાયું, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે ખરાબ દિવસો ખૂબ જ નજીક આવી ગયા છે. ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે અત્યારે સૂર્ય પર પડતા ધબ્બાઓ ઝડપથી વધી રહ્યા છે તે અને સૂર્ય ગ્રહણો થઈ રહ્યાં છે તે બંને પૃથ્વીવાસીઓ માટે હાનિકારક છે.

સામાન્ય બુદ્ધિના લોકો પણ જાણે છે કે ઘોડાપૂરની જેમ વધી રહેલ વસતિના કારણે ભવિષ્યમાં અન્ન-જળ તો શું, પણ સડકો પર ચાલવા માટે રસ્તો પણ નહિ મળે. ઔદ્યોગિકીકરણ – યાંત્રીકરણની આંધળી હરણફાળના કારણે અત્યારે હવા અને પાણી પણ ખૂટવા લાગ્યાં છે અને ઝેરી બની રહ્યો છે. ખનિજ તેલ, કોલસ અને અન્ય ધાતુઓનો ખજાનો પચાસ વર્ષ સુધી ચાલે તેટલો પણ નથી રહ્યો. અણુપ્રયોગોના કારણે ઉત્પન્ન થતાં વિકિરણોને લીધે વર્તમાન જનસમુદાય અને આવનાર પેઢી કેન્સર જેવા ભયાનક રોગોમાં સપડાય તેવો ભય છે. જો અણુયુદ્ધ થયું તો ફક્ત માણસોનું જ નહિ, પરંતુ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓનું પણ નિકંદન નીકળી જશે. અસંતુલિત તાપમાનના કારણે ધ્રુવો ઉપરનો બરફ પીગળવાની અને સમુદ્રમાં તોફાન આવવાની તથા હિમયુગ ફરી શરૂ થઈ જવાની અનેક સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. અનેક પ્રકારનાં સંકટોનાં અસંખ્ય કારણો વિદ્યમાન છે. આ સંદર્ભમાં સાહિત્ય ભેગું કરો તો તેમાં એવી સંભાવનાઓ સુનિશ્ચિત દેખાઈ આવે છે, જેના કારણે આ વર્ષોમાં ભયંકર ઊથલપાથલ થાય. ઈ.સ. ૨૦૦૦માં યુગ પરિવર્તનની ઘોષણા છે. આવા સમયમાં પણ વિકાસ પહેલાં વિનાશ, ઘાટ આપતાં પહેલાં ગાળવાની સંભાવનાનું અનુમાન કરી શકાય છે. ગમે તે બાજુથી વિચાર કરો પ્રત્યક્ષદર્શી અને ભાવનાશીલ મનીષી – ભવિષ્યવેત્તાઓ અત્યારના સમયમાં વિશ્વસંકટને વધારે ભયાનક થતું જુએ છે.

પત્રકારો અને રાજનીતિજ્ઞો પણ ચિંતામાં ઘેરાયા છે. તેઓ પણ વિચારે છે કે અત્યારે જે સંક્ટો મનુષ્ય જાતિની સામે આવીને ઊભાં છેતેવાં સંકટોમાનવીય ઉત્પત્તિના સમયમાં પણ આવ્યાં નહોતાં. શાંતિ પરિષદ જેવી અનેક સંસ્થાઓ એ બાબત અંગે પ્રયત્નશીલ છે કે મહાવિનાશનું જે સંકટ માનવજાતિ ઉપર છવાયેલું છે તેને કોઈ પણ પ્રકારે ટાળવું, નાની મોટી છૂટક છૂટક લડાઈ તો વિવિધ ક્ષેત્રોમાં થતી રહે છે. ઠંડુ યુદ્ધ ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ભૂતકાળમાં પણ દેવાસુર સંગ્રામો થતા રહ્યા છે, પણ જનજીવનના સર્વનાશની પ્રત્યક્ષ સંભાવનાનો સર્વસંમત આવો પ્રસંગ આ પહેલાં ક્યારેય આવ્યો નથી.

આ સંકટોને ઋષિકલ્પ સૂક્ષ્મધારી આત્માઓ સારી રીતે જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે. એવા સમયે એ આત્માઓ મૌન રહી શકે નહિ. ઋષિઓનું તપ સ્વર્ગ, મુક્તિ તથા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નથી હોતું. આ ઉપલબ્ધિઓ તો આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરનારા સ્થૂળ શરીરધારીઓ પણ પ્રાપ્ત કરી લે છે. આ તો મહામાનવોને મળતી વિભૂતિઓ છે. ઋષિઓને ભગવાનનું કામ સંભાળવું પડે છે અને તેઓ તે પ્રયત્નને પોતાનું લક્ષ્ય માનીને સતત સંલગ્ન રહે છે.

મારી ઉપર જે ઋષિનો, દેવી સત્તાનો અનુગ્રહ છે, તેમણે તમામ કાર્યો લોકમંગલ નિમિત્તે કરાવ્યાં છે. શરૂઆતનાં ૨૪ મહાપુરશ્ચરણો પણ આ નિમિત્તે કરાવ્યાં છે, જેથી આ કક્ષાની આત્મિક સમર્થતા પ્રાપ્ત થઈ શકે અને તેના આધારે લોકલ્યાણનાં અતિ મહત્ત્વ પૂર્ણ કાર્યો પૂરાં કરવામાં કોઈ જ મુશ્કેલી ન પડે.

વિશ્વ ઉપર છવાયેલાં સંકટને ટાળવાની એમને ચિંતા છે. ચિંતા જ નથી, પ્રયત્નો પણ કર્યા છે. આ પ્રયત્નોમાં મારા વ્યક્તિત્વને પવિત્રતા અને પ્રખરતાથી ભરી દેવાનો પણ સમાવેશ થાય છે. આધ્યાત્મિક સામર્થ્ય આના આધારે જ વિકસિત થાય છે.

ઉપાસનાનું વર્તમાન ચરણ સૂક્ષ્મીકરણની સાવિત્રી સાધનારૂપે ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાની પાછળ કોઈ વ્યક્તિ વિશેષની ખ્યાતિ, સંપદા, વરિષ્ઠતા કે વિભૂતિ નથી. માનવીય સત્તા અને તેના ગૌરવના લથડિયાં ખાતા પગને સ્થિર કરવા એ જ એકમાત્ર પ્રયોજન છે. પાંચ વીરભદ્રોના ખભાઓ ઉપર પોતાના ઉદ્દેશ્યને લાદીને તેને સંપન્ન પણ કરી શકે છે. હનુમાનના ખભા ઉપર રામ – લક્ષ્મણ બંને બેસીને ફરતા હતા. આ તો શ્રેષ્ઠતા આપવા પૂરતું છે. આને માધ્યમ સ્વીકારવાની પસંદગી કહી શકાય. એક ગાંડીવ ધનુષ્યના આધારે આટલું મોટું વિશાળ મહાભારતનું યુદ્ધ કેવી રીતે લડી શકાયું? સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો તે અશક્ય જ લાગે, પણ ભગવાનની જે ઈચ્છા હોય છે તે તો કોઈને કોઈ રીતે પૂરી થાય જ છે. મહાબલી હિરણ્યકશિપુને નૃસિંહ ભગવાને ફાડી નાખ્યો હતો, એમાં પણ ભગવાનની જ ઈચ્છા હતી.

આ વખતે પણ મારી પોતાની અનુભૂતિ એવી છે કે અસુરતા દ્વારા ઉત્પન્ન થયેલ વિભીષિકાઓને સફળ થવા દેવામાં આવશે નહિ. પરિવર્તન એ રીતે થશે કે જે લોકો આ મહાવિનાશમાં જોડાયા છે, એની રચના કરી રહ્યા છે તેઓ ફરી જશે અથવા તેમને ફેરવનારાઓ નવા પેદા થશે. વિશ્વશાંતિમાં ભારતની ચોક્કસ કોઈ મોટી ભૂમિકા હોઈ શકે છે.

સમસ્ત સંસારના અગ્રગણ્ય, શક્તિશાળી અને વિચારશીલ લોકોને એક જ શંકા છે કે વિનાશ નજીક આવી રહ્યો છે. મારા એકલાનું જ કહેવું છે કે ઊલટાને ઊલટાવીને સીધું કરવામાં આવશે. મારા ભવિષ્યકથનને ખૂબ જ ગંભીરતાપૂર્વક સમજી લેવું જોઈએ. પ્રચંડ તોફાની પ્રવાહ વિનાશની ઘટાઓને આગામી દિવસોમાં ઉડાડીને ક્યાંય લઈ જશે અને અંધકાર ચીરીને પ્રકાશ બહાર આવતો જોઈ શકાશે. આ ઋષિઓનાં પરાક્રમોથી જ શક્ય છે. આમાં કેટલીક પ્રત્યક્ષ અને કેટલીક પરોક્ષ ભૂમિકા મારી પણ હોઈ શકે છે.

સામાન્ય માણસોની ઈચ્છા શક્તિ પણ કામ કરે છે એવું પણ માનવું જોઈએ. લોકમતનો પણ પ્રભાવ પડે છે. જે લોકોના હાથમાં અત્યારે વિશ્વના વાતાવરણને બગાડવાની ક્ષમતા છે, તેમણે જાગૃત લોકમતની સામે ઝૂકવું જ પડશે. લોકમતને જાગૃત કરવાનું અભિયાન પ્રજ્ઞા આંદોલન’ દ્વારા ચાલી રહ્યું છે. તે ક્રમશઃ આગળ વધતું જશે અને શક્તિશાળી બનતું જશે. આનો ભાવ દરેક પ્રભાવશાળી ક્ષેત્રની સમર્થ વ્યક્તિઓ ઉપર પડશે અને તેમનું મન બદલાશે કે પોતાનાં કૌશલ્યો અને ચાતુર્યને વિનાશની યોજના બનાવવાના બદલે વિકાસના કાર્યમાં વાપરવાં જોઈએ. પ્રતિભા એક મહાન શક્તિ છે. તે જ્યાં પણ અગ્રેસર થાય છે ત્યાં ચમત્કાર બતાવતી જાય છે.

વર્તમાન સમસ્યાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એકસાથે બીજીનો ઘનિષ્ઠ સંબંધ છે. પછી તે પર્યાવરણ હોય કે યુદ્ધ સામગ્રીની જમાવટ, વધતી અનીતિ હોય કે ભ્રષ્ટાચાર, દુષ્કાળ હોય કે ભયંકર રોગચાળા જેવી કુદરતી આપત્તિઓ. એકને ઉકેલવામાં આવે અને બાકીની બધી ગૂંચવાયેલી પડી રહે એમ ન બની શકે. બધાના ઉક્ત શોધવા પડશે અને જો સાચા મનની ઈચ્છા હશે તો તેનો ઉકેલ આવીને જ રહેશે.

શક્તિઓમાં બે જ મુખ્ય છે. તેના જ માધ્યમથી કાં તો નિર્માણ થાય છે કાં તો નાશ. એક છે શસ્ત્રબળ – ધનબળ, બીજું છે બુદ્ધિબળ સંગઠનબળ. છેલ્લા ઘણા લાંબા સમયથી શસ્ત્રબળ અને ધનબળના આધારે મનુષ્યોને પાડવામાં આવ્યા, અયોગ્ય રીતે દબાવવામાં આવ્યા, જે મનમાં આવ્યું તે મુજબ તેમની પાસે કરાવવામાં આવી રહ્યું છે. આ છે રાક્ષસી શક્તિ. આગામી દિવસોમાં દૈવી શક્તિએ આગળ આવવાનું છે અને બુદ્ધિબળ અને સંગઠનબળના પ્રભાવનો અનુભવ કરાવવાનો છે. સાચી દિશામાં ચાલવાથી દૈવી શક્તિ શું શું કરી શકે છે તેની અનુભૂતિ બધાને કરાવવાની છે.

ન્યાયની સ્થાપના થાય, સર્વ દિશામાંથી નીતિને માન્યતા મળે. બધા લોકો હળીમળીને રહે અને વહેંચીને જ ખાય – આ સિદ્ધાંતને લોકો દ્વારા ખરા મનથી સ્વીકારવામાં આવશે તો પછી નવી દિશા મળશે, નવા ઉપાયો સૂઝશે, નવી યોજનાઓ બનશે. નવા પ્રયાસો થશે અને અંતે લક્ષ્ય સુધી પહોંચવાના ઉપાયો તૈયાર થઈ જશે.

આત્મવત સર્વભૂતેષુ” અને “વસુધૈવ કુટુમ્બકમ્’ આ બે જ સિદ્ધાંતો એવા છે જેને અપનાવી લેવામાં આવે તો તાત્કાલિક એ સમજાવા લાગશે કે અત્યારના સમયમાં કઈ અવાંછનીયતાને અપનાવવામાં આવી છે અને તેને છોડવા માટે ક્યા પ્રયત્નો કરવા પડશે, ક્યા પ્રકારનો સંઘર્ષ કરવો પડશે. માનવીનું સામર્થ્ય અપાર છે. તે જ કરવાનો નિશ્ચય કરે અને ઔચિત્યના આધારે અપનાવી લેતો કોઈ કાર્યએવું કઠિન નથી, જેને પૂરું કરી શકાય.

આગામી દિવસોમાં એક વિશ્વ, એક ભાષા, એક ધર્મ અને એક સંસ્કૃતિનું રાષ્ટ્ર બનવાનું છે. જાતિ, લિંગ, વર્ણ અને ધનના આધારે માનવીય ઓળખની વિષમતાનો અંત હવે નજીક આવી ગયો છે. તેના માટે જે કંઈ કરવું જરૂરી છે તે સૂઝશે પણ ખરું અને વિચારશીલ લોકો દ્વારા પરાક્રમપૂર્વક કરવામાં પણ આવશે. એ સમય નજીક છે. તેની આપણે સૌ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ શકીએ છીએ.

SJ-01 : મનીષીરૂપે મારી પ્રત્યક્ષ ભૂમિકા-૨૫, મારું વિલ અને વારસો

મનીષીરૂપે મારી પ્રત્યક્ષ ભૂમિકા

મનુષ્ય પોતાની અંતઃશક્તિના સહારે સુષુપ્તને જાગૃત કરી આગળ વધી શકે છે. આ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે તપ તિતિક્ષાથી પ્રખર બનાવેલું વાતાવરણ, શિક્ષણ, સાંનિધ્ય, સત્સંગ, પરામર્શ અને અનુકરણ પણ એટલી જ સશક્ત ભૂમિકા ભજવી શકે છે. જોવા મળે છે કે કોઈ સમુદાયમાં તદ્દન સામાન્ય વર્ગના મર્યાદિત શક્તિ સંપન્ન માણસો એક પ્રચંડ પ્રવાહના સહારે અશક્ય પુરુષાર્થને પણ શક્ય કરી બતાવે છે. પ્રાચીનકાળમાં મનીષીઓ અને મુનિઓ આ જ ભૂમિકા ભજવતા હતા. તેઓ યુગ સાધનામાં વ્યસ્ત રહીને કલમ અને વાણીનું સશક્ત તંત્રના માધ્યમથી જનમાનસના ચિંતનને નવી દિશા આપતા હતા. આવી સાધના અનેક ઉચ્ચસ્તરનાં વ્યક્તિત્વોને જન્મ આપતી હતી, એમની સુષુપ્ત શક્તિને જગાડીને, તેમને નવી દિશા આપીને સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવતી હતી. શરીરની દૃષ્ટિએ સામાન્ય દેખાતી વ્યક્તિ પણ પ્રતિભા, કૌશલ્ય અને ચિંતનની શ્રેષ્ઠતાથી પૂર્ણ દેખાતી હતી.

સર્વવિદિત છે કે અધ્યાત્મક્ષેત્રની પ્રતિભાવાન વ્યક્તિઓ તરીકે મુનિ અને ઋષિ એ બે વર્ગોની જ ગણતરી થતી રહી છે. ઋષિ એ છે જે તપશ્ચર્યા દ્વારા કાયાને ચેતના સાથે જોડીને તેનાં પરિણામો દ્વારા જનસમુદાયને લાભ પહોંચાડે. મુનિ એને કહેવામાં આવે છે જે ચિંતન, મનન અને સ્વાધ્યાય દ્વારા જનમાનસના પરિષ્કારનું કાર્ય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક પવિત્રતાનું પ્રતીક છે, બીજું પ્રખરતા. બંનેને તપ સાધનામાં વ્યસ્ત રહીને સૂક્ષ્મતમ બનવું પડે છે, જેથી પોતાના સ્વરૂપને વધારે વિરાટ અને વ્યાપક બનાવીને ખુદને આત્મબળ સંપન્ન બનાવીને યુગચિંતનના પ્રવાહને વળાંક આપી શકે. મુનિઓને પ્રત્યક્ષ સાધનોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા હોય છે, ઋષિઓ માટે તે અનિવાર્ય નથી. તેતો પોતાના સૂક્ષ્મ રૂપમાં પણ વાતાવરણને આંદોલિત તથા સંસ્કારિત બનાવી રાખી શકે છે.

લોકવ્યવહારમાં મનીષી શબ્દનો અર્થ એવો મહાપ્રાજ્ઞ સમજવામાં આવે છે, જેનું મન પોતાના કાબૂમાં હોય. જે પોતાના મનથી સંચાલિત થતો નથી, પણ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે, તેને મનીષી કહેવામાં આવે છે અને એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારોનું કથન છે કે, “મનીષા અતિ વેષાં તે મનીષીન: ” પણ સાથે એવું કહ્યું છે, “મનીષી નતુ ભવન્તિ પાવનાનિ ન ભવત્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા બધા હોય છે. મોટા મોટા બુદ્ધિમાન હોય છે. બુદ્ધિમાન હોવું જુદી વાત છે અને પવિત્ર-શુદ્ધ અંતઃકરણ રાખવું એ જુદી વાત છે. આજે સંપાદક, બુદ્ધિજીવી, લેખક, અન્વેષક અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો તો અનેક છે, દેશ-વિદેશમાં ફેલાયેલા છે, પણ તેઓ મનીષી નથી. કેમ? કારણ કે તેમણે તપ શક્તિ દ્વારા, અંત:શોધન દ્વારા પવિત્રતા પ્રાપ્ત કરી નથી.

સાહિત્યની આજે ક્યાંય ખોટ છે? આજે જેટલાં પત્ર-પત્રિકાઓ છપાય છે, જેટલું સાહિત્ય રોજ વિશ્વભરમાં છપાય છે તે પહાડ જેટલી સામગ્રીને જોતાં લાગે છે કે મનીષીઓ વધ્યા છે અને વાચકો પણ વધ્યા છે, પણ આ બધાનો પ્રભાવ કેમ પડતો નથી? કેમ લેખકની કલમ ફક્ત કુત્સાને ભડકાવવામાં જ વ્યસ્ત રહે છે તથા એ જ સાહિત્યને વાંચીને સંતોષ પામનારાઓની સંખ્યા કેમ વધે છે ? એનાં કારણો શોધવાં હોય તો ત્યાં જ આવવું પડશે. જ્યાં કહેવામાં આવ્યું હતું, પાવનાનિ ન ભવત્તિ ” જો આટલા મોટા પ્રમાણમાં ઉચ્ચસ્તરીય ચિંતનને ઉત્કૃષ્ટ બનાવનાર સાહિત્યની રચના કરવામાં આવી હોત અને એની ભૂખ વધારવા માટેની યોગ્યતા લોકસમુદાયના મનમાં પેદા કરવામાં આવી હોત તો શું આજે સમાજમાં મોજૂદ છે એ વિકૃતિઓ જોવા મળત ? આ જીવનની સમસ્યાઓનું સમાધાન જો શક્ય છે તો તે યુગ મનીષાના હાથે જ થશે.

મેં આગળ પણ કહ્યું છે કે જો નવો યુગ આવશે તો વિચારોના પરિષ્કાર દ્વારા જ, ક્રાન્તિ થશે તો તે લોહી અને લોઢાથી નહિ, પણ વિચારોથી વિચારોને કાપીને થશે. સમાજનું નવનિર્માણ સદ્વિચારોની પ્રતિષ્ઠા દ્વારા સંભવ બનશે. અત્યાર સુધીમાં જેટલી મલિનતા સમાજમાં ઘૂસી છે તે બુદ્ધિમાનો દ્વારા જ ઘૂસી છે. વૈષ, ઝઘડા, જાતિવાદ, વ્યાપક નરસંહાર જેવાં કાર્યોમાં બુદ્ધિમાનોએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો તેઓ સન્માર્ગગામી હોત, તેમનાં અંતઃકરણ પવિત્ર હોત, તપશક્તિનું બળ તેમને મળ્યું હોત તો તેમણે વિધેયાત્મક વિજ્ઞાનપ્રવાહને જન્મ આપ્યો હોત, સસાહિત્ય રચ્યું હોત અને એવાં જ આંદોલનો ચલાવ્યાં હોત. હિટલરે જ્યારે નિજોના “સુપરમેન’ રૂપી અધિનાયકને પોતાનામાં સાકાર કરવાની ઈચ્છા કરી તો સૌ પ્રથમ તેણે સમગ્ર રાષ્ટ્રના વિચાર પ્રવાહને એ દિશામાં વાળી દીધો. અધ્યાપક અને વૈજ્ઞાનિકોનો વર્ગ નાઝીવાદનો ચુસ્ત સમર્થક બન્યો, તો તેની નિષેધાત્મક વિચારસાધના દ્વારા તેને “મીનકેમ્ફના રૂપમાં આરોપિત કરી, ત્યાર બાદ તેણે સમગ્ર રાષ્ટ્રનો અભ્યાસક્રમ તથા છાપાઓની દિશાધારાને પોતાની ઈચ્છા પ્રમાણે બદલી નાખ્યાં. જર્મન રાષ્ટ જાતિવાદના અહંકારમાં તથા સર્વશ્રેષ્ઠ જાતિનું પ્રતીક હોવાના ગર્વોન્માદમાં ઉન્મત્ત થઈને વ્યાપક નરસંહાર કરીને નષ્ટ થયું. આ પણ એક મનીષાએ આપેલા વળાંકનું પરિણામ છે. આ વળાંક જો સાચી દિશામાં વાળ્યો હોત તો આવા સમર્થ અને સંપન્ન રાષ્ટ્રને ક્યાંથી ક્યાં લઈ જઈ શકાયું હોત.

કાર્લ માકર્સે તમામ અભાવોમાં જીવન જીવીને અર્થશાસ્ત્રરૂપી એવા દર્શનને જન્મ આપ્યો જેણે સમગ્ર સમાજમાં ક્રાંતિ કરી. મૂડીવાદી કિલ્લાના કાંગરા ખરતા ગયા અને સામ્રાજ્યવાદ પોણા ભાગની ધરતી ઉપરથી નષ્ટ થઈ ગયો. “દાસ કેપિટલ’ રૂપી આ રચનાએ એ નવયુગનો શુભ આરંભ કર્યો, જેમાં શ્રમિકોને પોતાના અધિકારો પ્રાપ્ત થયા અને મૂડીના સમાન વિતરણનો નવો અધ્યાય ખૂલ્યો. જેમાં કરોડો વ્યક્તિઓને સુખ અને આનંદની તથા સ્વાવલંબી જિંદગી જીવવાની સ્વતંત્રતા મળી. રસોએ પ્રજાતંત્રનો પાયો નાખ્યો. આનો મૂળ સ્રોત રાજાશાહી અને સામ્રાજ્યવાદના ચાહકોની રીતિનીતિમાંથી પ્રગટ્યો.

જો રુસોની વિચારધારાનો વ્યાપક પ્રભાવ લોકસમુદાય ઉપર પડ્યો ન હોત, તો મતાધિકારની સ્વતંત્રતા, બહુમતીના આધારે પ્રતિનિધિત્વ વગેરે વિકસિત થયાં ન હોત. “બળિયાના બે ભાગ’ની નીતિ બધે જ ચાલતી. કોઈ વિરોધ પણ દર્શાવી શકતું ન હતું. જાગીરદારો અને વંશપરંપરા પ્રમાણે રાજા બનનાર અણઘડોનું જ વર્ચસ્વ હતું. આને એક પ્રકારની મનીષા પ્રેરિત ક્રાંતિ જ કહેવી જોઈએ. જોતજોતામાં મૂડીવાદ સમાપ્ત થઈ ગયો. શોષક વર્ગનો સફાયો થઈ ગયો. આના સંદર્ભમાં હું કેટલીય વાર લિંકન અને લ્યુથર કિંગની સાથેસાથે એક મહિલા હેરએટ સ્ટોનો ઉલ્લેખ કરતો રહ્યો છું, જેની કલમે કાળા લોકોને ગુલામીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા. પ્રત્યક્ષતઃ આ યુગ મનીષાની જ ભૂમિકા છે.

બુદ્ધની વિવેક અને નીતિમત્તા પર આધારિત વિચારક્રાંતિ અને ગાંધી, પટેલ, નહેર દ્વારા પેદા કરવામાં આવેલ સ્વાતંત્ર્ય આંદોલનની આંધી એ પરોક્ષ મનીષાનાં પ્રતીક છે, જેણે પોતાના સમયમાં એવો પ્રચંડ પ્રવાહ ઉત્પન્ન કર્યો જેનાથી યુગ બદલાતો ગયો. તેમણે કોઈ વિચારોત્તેજક સાહિત્યની રચના કરી હોય એવું પણ બન્યું નથી. તો પછી આ બધું કેવી રીતે શક્ય બન્યું ? જ્યારે એમણે મુનિ કક્ષાની ભૂમિકા નિભાવી, પોતાની જાતને તપાવીને વિચારોમાં શક્તિ પેદા કરી અને તેનાથી વાતાવરણને પ્રભાવિત કર્યું ત્યારે જ આ થઈ શક્યું.

પરિસ્થિતિ આજે પણ વિષમ છે. વૈભવ અને વિનાશના હીંચકે ઝૂલતી માનવજાતિને ઉગારવા માટે આસ્થાઓના મર્મસ્થળ સુધી પહોંચવું પડશે અને માનવ ગરિમાને ઉગારવા દૂરદર્શી વિવેકશીલતાને જગાડે તેવો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. સાધનો આ કાર્યમાં યોગદાન આપશે એમ વિચારવું એ નરી મૂર્ખતા છે. દુર્બળ આસ્થાવાળા અંતઃકરણને તત્ત્વદર્શન અને સાધના પ્રયોગના ખાતરની જરૂર છે. અધ્યાત્મવેત્તાઓ આ મરુસ્થળને સંભાળવાની જવાબદારી પોતાના ઉપર લે છે તથા સમયે સમયે વ્યાપેલી ભ્રાંતિઓમાંથી માનવજાતને ઉગારે છે. અધ્યાત્મની શક્તિ વિજ્ઞાન કરતાં પણ વધુ છે. અધ્યાત્મ જ વ્યક્તિના અંતઃકરણમાં ઘર કરી ગયેલી વિકૃતિઓની સામે લડીને તેને નાબૂદ કરનારાં સક્ષમ તત્ત્વોની પ્રતિષ્ઠા કરી શકે છે. મેં વ્યક્તિત્વમાં પવિત્રતા અને પ્રખરતાનો સમાવેશ કરવા માટે મનીષાને જ મારું માધ્યમ બનાવીને ઉજ્જ્વળ ભવિષ્યનું મેં મારા ભાવિ જીવનક્રમ માટે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે તેમાં મુખ્ય છે લોકચિંતનને સાચી દિશા આપવા માટે એક એવો વિચારપ્રવાહ ઊભો કરવો, જે કોઈ પણ સંજોગોમાં અવાંછનીયતાને ટકવા જ ન દે. આજે જનસમુદાયના દિલ અને દિમાગમાં જે દુર્મતિ ઘૂસી ગઈ છે, તેનું પરિણામ એવી સ્થિતિ રૂપે દેખાઈ રહ્યું છે, જેને જટિલ અને ભયાનક કહી શકાય. આવા વાતાવરણને બદલવા માટે વ્યાસની જેમ બુદ્ધ; ગાંધી અને કાર્લ માકર્સની જેમ;માર્ટિન કીંગ લ્યુથર, અરવિંદ અને મહર્ષિ રમણની જેમ ભૂમિકા ભજવનાર ઋષિઓ અને મુનિઓની જરૂર છે. જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયાસો દ્વારા વિચારક્રાંતિનું પ્રયોજન પૂરું કરી શકે. આ પુરુષાર્થ અંતઃકરણની પ્રચંડ તપસાધના દ્વારા જ સંભવ બની શકે છે. આનું પ્રત્યક્ષ રૂપ યુગમનીષાનું જ હોઈ શકે, જે પોતાની શક્તિથી જેને યુગાન્તરીય કહી શકાય એવું ઉત્કૃષ્ટ કક્ષાનું સાહિત્ય રચી શકે. અખંડ જ્યોતિના માધ્યમથી આજથી છેતાલીસ વર્ષ પહેલાં સંકલ્પ લીધો હતો તેને અતૂટ નિભાવતા રહેવાની મારી નૈતિક જવાબદારી છે.

યુગઋષિની ભૂમિકા પરોક્ષ સ્વરૂપમાં નિભાવતા રહીને એ સંશોધનોની પૃષ્ઠભૂમિ બનાવવાનું મને મન હતું. જે વૈજ્ઞાનિક અધ્યાત્મનું પ્રત્યક્ષ રૂપ આ તર્ક, તથ્ય, પ્રમાણોને આધાર માનનાર સમુદાય સમક્ષ મૂકી શકું. આજે ચાલી રહેલાં વૈજ્ઞાનિક સંશોધનો એમની પાસેથી દિશા લઈને સાચા માર્ગ ઉપર ચાલી શકે તો મારો પ્રયત્ન સફળ થયો ગણાશે. આત્માનુસંધાન માટે સંશોધન કાર્ય કેવી રીતે ચાલવું જોઈએ? સાધના-ઉપાસનાનો વૈજ્ઞાનિક આધાર કયો છે ? મનની શક્તિઓના વિકાસમાં સાધના ઉપચાર કઈ રીતે મદદરૂપ થાય છે? ઋષિકાલીન આયુર્વિજ્ઞાનને પુનર્જીવિત કરી શારીરિક અને માનસિક સ્વાસ્થને કેવી રીતે અખંડ બનાવી શકાય છે? ગાયત્રીની શબ્દશક્તિ તેમ જ યજ્ઞાગ્નિની ઊર્જા કેવી રીતે વ્યક્તિત્વને સામર્થ્યવાન તથા પવિત્ર અને કાયાને જીવનશક્તિ સંપન્ન બનાવીને પ્રતિકૂળતાઓ સામે લડવામાં સમર્થ બનાવી શકે? જ્યોતિર્વિજ્ઞાનના પુરાતન પ્રયોગો દ્વારા આજના માનવ સમુદાયને કેવી રીતે લાભાન્વિત કરી શકાય ? આવા અનેક પ્રશ્નોને મેં અથર્વવેદીય ઋષિપરંપરા હેઠળ ચકાસીને નવીન સ્વરૂપમાં રજૂ કર્યા છે. મેં એની શુભ શરૂઆત કરીને બુદ્ધિજીવી લોકોને એક નવી દિશા આપી છે, એક આધાર ઊભો કર્યો છે. પરોક્ષ રીતે હું સતત તેનું પોષણ કરતો રહીશ. સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય આ દિશામાં વિચારતો થાય અને આત્મિક શોધમાં પોતાની પ્રજ્ઞાને નિયોજિત કરીને ધન્ય બની શકે તેવો મારો પ્રયત્ન રહેશે. સમગ્ર માનવજાતિને મારી મનીષા દ્વારા તથા શોધ-સંશોધનના નિષ્કર્ષો દ્વારા લાભાન્વિત કરવાનો મારો સંકલ્પ સૂક્ષ્મીકરણ તપશ્ચર્યાની સ્થિતિમાં વધુ પ્રખર બની રહ્યો છે. આનું ફળ તો આવનારો સમય જ બતાવશે.

SJ-01 : આજે હું આ કરવામાં વ્યસ્ત છું-૨૪, મારું વિલ અને વારસો

આજે હું આ કરવામાં વ્યસ્ત છું

મારી જિજ્ઞાસા અને ઉત્સુકતાઓનું સમાધાન ગુરુદેવ ઘણું કરીને મારા અંતઃકરણમાં બેસીને જ કરતા રહે છે. તેમનો આત્મા મારી પાસે જ હોય એવું મને દેખાયા કરે છે. આર્ષગ્રંથોના અનુવાદથી લઈને પ્રજ્ઞાપુરાણની રચના સુધીના લેખનકાર્યમાં તેમનું માર્ગદર્શન એક અધ્યાપક અને વિદ્યાર્થી જેવું રહ્યું છે. મારી વાણી પણ તેમની જ શિખામણને દોહરાવતી રહી છે. ઘોડે સ્વારના ઈશારા પર ઘોડો જેમ પોતાની દિશા અને ચાલ બદલતો રહે છે, તેવું જ કાર્ય હું પણ કરતો રહ્યો છું.

બૅટરી ચાર્જ કરવા માટે જ્યારે હિમાલયમાં બોલાવે છે, ત્યારે પણ તેઓ કંઈ વિશેષ કહેતા નથી. સેનેટોરિયમમાં જવાથી જેમ કોઈ દુર્બળનું સ્વાથ્ય સુધરી જાય છે, એ જ રીતે હિમાલયમાં જવાથી મને પણ એવી જ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અનેક પ્રસંગોએ વાર્તાલાપ પણ થતો રહે છે.

આ વખતે સૂક્ષ્મીકરણ પ્રક્રિયા અને સાધનાવિધિ તો બરાબર સમજાઈ ગઈ. જેવી રીતે કુતાના શરીરમાંથી પાંચ દેવપુત્રો જમ્યા એ જ પ્રમાણે મારા શરીરમાં વિદ્યમાન પાંચ કોષો – અન્નમય. મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષોને પાંચ વીરભદ્રો રૂપે વિકસિત કરવા પડશે. આની સાધનાવિધિ પણ સમજાઈ ગઈ. જ્યાં સુધી એ પાંચેય પૂર્ણ સમર્થ ન થઈ જાય ત્યાં સુધી વર્તમાન સ્થૂળ શરીરને પણ ધારણ કરી રાખવાનો આદેશ છે. મારી દશ્ય સ્થળ જવાબદારીઓ બીજાઓને સોંપવાની દૃષ્ટિએ પણ અત્યારે શાંતિકુંજમાં જ રહેવાનો નિર્દેશ મળ્યો છે.

આ બધું સ્પષ્ટ થઈ ગયું. સાવિત્રી સાધનાનું વિધાન પણ તેમનો નિર્દેશ મળતાં જ આ નિમિત્તે શરૂ કરી દીધું.

હવે પ્રશ્ન એ રહ્યો કે આ પાંચ વીરભદ્રોને ક્યું કામ સોંપવું પડશે અને તેઓ આ કાર્ય કેવી રીતે કરશે. વધારે જિજ્ઞાસા રહેવાના કારણે આનો જવાબ પણ મળી ગયો. આનાથી નિરાંત પણ થઈ અને પ્રસન્નતા પણ થઈ.

આ સંસારમાં આજે પણ એવી કેટલીય પ્રતિભાઓ છે, જે દિશાને બદલવા માટે જે કંઈ કરી રહી છે તેની સરખામણીમાં વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા લાગશે. ઊલટાને ઊલટાવીને સીધું કરવા માટે પ્રચંડ શક્તિની જરૂર છે તે મારા અંગે અંગ વીરભદ્રો કરવા લાગશે. પ્રતિભાઓની વિચારધારા જો બદલી નાંખી શકાય તો તેમનું પરિવર્તન ચમત્કાર બની શકે છે.

નારદે પાર્વતી, ધ્રુવ, પ્રહલાદ, વાલ્મીકિ, સાવિત્રી વગેરેની જીવનદિશા બદલી, તો તેઓ જે સ્થિતિમાં રહેતા હતા તેને લાત મારીને બીજી દિશામાં ચાલતાં થયાં અને સંસાર માટે એક અનુકરણીય ઉદાહરણ બની ગયાં. ભગવાન બુદ્ધ આનંદ, કુમારજીવ, અંગુલિમાલ, આમ્રપાલી, અશોક, હર્ષવર્ધન, સંઘમિત્રા, વગેરેનું મન બદલી નાખ્યું તો તેઓ જે કંઈ કરી રહ્યાં હતાં તેનાથી બિલકુલ ઊલટું કરવા લાગ્યાં અને વિશ્વ વિખ્યાત બની ગયાં. વિશ્વામિત્રે હરિશ્ચંદ્રને એક સામાન્ય રાજા ન રહેવા દીધો, પણ એટલો મહાન બનાવ્યો કે જેનું ફક્ત નાટક જોઈને ગાંધીજી વિશ્વવંદ્ય બની ગયા. મહા કંજૂસ ભામાશાને સંત વિઠોબાએ અંત:પ્રેરણા આપી અને સમગ્ર ધન મહારાણા પ્રતાપનાં ચરણોમાં અર્પણ કરાવી દીધું. આદ્ય શંકરાચાર્યની પ્રેરણાથી રાજા માંધાતાએ ચાર ધામોના ચાર મઠ બનાવી દીધા. અહલ્યાબાઈને એક સંતે પ્રેરણા આપીને કેટલાંય મંદિરો અને ઘાટોનો જીર્ણોદ્ધાર કરાવી દીધો અને દુર્ગમસ્થાનો પર નવાં દેવાલયો બનાવવાના સંકલ્પને પૂર્ણ કરી બતાવવા માટે સંમત કર્યા. સમર્થ ગુરુ રામદાસે શિવાજીને એ કામ કરવાની અંતઃ પ્રેરણા આપી, જે પોતાની ઈચ્છાથી ભાગ્યે જ કરી શક્યા હોત. રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રની પાછળ પડીને નરેન્દ્રને વિવેકાનંદ બનાવી દીધા. રાજા ગોપીચંદના મનમાં વૈરાગ્ય પેદા કરવાનું શ્રેય સંત ભર્તુહરિના ફાળે જાય છે.

આવાં અનેક ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે, જેમાં કેટલીયે પ્રતિભાઓને કોઈ મનસ્વી આત્મવેત્તાઓએ બદલીને શું માંથી શું બનાવી દીધા. એમની કૃપા ન થઈ હોત તો તેઓ જીવનભર પોતાની જૂની ચાલ પ્રમાણે ભાર ખેંચતા રહ્યા હોત.

મારી પોતાની વાત પણ બિલકુલ આવી જ છે. જો ગુરુદેવે મને બદલી ન નાખ્યો હોત, તો હું પણ મારા પરિવારજનોની જેમ અમારો પરોહિત્યનો ધંધો કરતો હોત અથવા બીજા કોઈ કામમાં જોડાયો હોત. આજે જે સ્થાન પર છું એ સ્થાન સુધી પહોંચી જ ન શક્યો હોત.

આજે યુગ પરિવર્તન માટે અનેક પ્રકારની પ્રતિભાઓ જોઈએ. વિદ્વાનોની જરૂર છે, જે લોકોને પોતાના તર્ક અને પ્રમાણોથી વિચારવાની નવી પદ્ધતિ પ્રદાન કરી શકે. કલાકારોની જરૂર છે, જે ચૈતન્ય મહાપ્રભુ, મીરાં, સુરદાસ, કબીર વગેરેની ભાવનાઓને એવી રીતે લહેરાવી શકે, જેવી રીતે મદારી સાપને નચાવે છે. ધનવાનોની જરૂર છે, જે પોતાના ધનને વિલાસમાં ખર્ચી નાખવાના બદલે સમ્રાટ અશોકની જેમ પોતાનું સર્વસ્વ સામયિક માગને પૂરી કરવામાં લુંટાવી શકે. રાજનીતિજ્ઞોની જરૂર છે, જે ગાંધી, રુસો, કાર્લ માકર્સ અને લેનિનની જેમ પોતાના સંપર્કના પ્રજાજનોને એવા માર્ગ ઉપર ચલાવી શકે, જેની પહેલાં ક્યારેય આશા રાખવામાં આવી ન હતી.ભાવનાશીલોને તો શું કહેવું? સંત અને સર્જન લોકોએ તો અનેક લોકોને પોતાના સંપર્કથી લોખંડમાંથી પારસની ભૂમિકા ભજવતા કરી નાંખીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા.

મારા વીરભદ્રો હવે આવું જ કરશે. મેં પણ આ જ કર્યું છે. લાખો લોકોની વિચારણા અને ક્રિયા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યું છે અને એમને ગાંધીના સત્યાગ્રહીઓની જેમ, વિનોબાના ભૂદાનીઓની જેમ, બુદ્ધના પરિવ્રાજકોની જેમ પોતાનું સર્વસ્વ લુંટાવી દેવા માટે તૈયાર કરી દીધા. પ્રજ્ઞા પુત્રોની આટલી મોટી સેના હનુમાનના અનુયાયી વાનરોની ભૂમિકા નિભાવે છે. આટલા નાનકડા જીવનમાં પણ મારી પ્રત્યક્ષ ક્રિયાઓ દ્વારા હું જ્યાં પણ રહ્યો ત્યાં ચમત્કારો સર્જી દીધા, તો પછી એવું કોઈ કારણ નથી કે મારા જ આત્માના ટુકડાઓ જેની પાછળ કે, તેને ભૂતપલિતની જેમ તોડીફોડીને ઠીક નહિ કરી દે.

આવનાર સમયમાં અનેક દુષ્પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ઉખાડવાની જરૂર પડશે. એના માટે ગાંડી વધારીઓની જરૂર પડશે, જે અર્જુનની જેમ કૌરવોની અક્ષૌહિણી સેનાઓને ભોંયભેગી કરી દે. એવા હનુમાનની જરૂર પડશે, જે એક લાખ પુત્રો અને સવા લાખ સંબંધીઓ ધરાવતી લંકાને માત્ર પછડાથી બાળીને ખાખ કરી દે. આવાં પરિવર્તનો અંત:કરણ બદલાવાથી જ થઈ શકે છે. અમેરિકાના અબ્રાહમ લિંકન અને જયોર્જ વોશિંગ્ટન ખૂબ જ સામાન્ય કુટુંબોમાં જન્મ્યા હતા, પણ પોતાના જીવન પ્રવાહને બદલીને અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા.

પ્રતિભાહીન લોકોની વાત જવા દો. તેઓ તો પોતાની ક્ષમતા અને બુદ્ધિમત્તાને ચોરી, લૂંટફાટ, ડાકુગીરી, ઠગાઈ વગેરે નીચ કામોમાં વાપરે છે, પણ જેમનામાં ભાવના ભરેલી છે, તેઓ પોતાના સામાન્ય પરાક્રમથી સમગ્ર દિશા બદલીને ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. સ્વામી દયાનંદ, શ્રદ્ધાનંદ, રામતીર્થ વગેરેનાં કેટલાય ઉદાહરણો નજર સામે છે, જેમની દિશાધારા બદલાઈ ગઈ તો અસંખ્ય લોકોને બદલવામાં તેઓ સમર્થ બની ગયા.

અત્યારે પ્રતિભાઓ ભોગવિલાસમાં, સંગ્રહમાં, અહંકારની પૂર્તિમાં વ્યસ્ત છે. આમાં જ તેઓ પોતાની ક્ષમતા અને સંપન્નતાને નષ્ટ કરતી રહે છે. જો આમાંથી થોડીક પણ પોતાની વિચારધારા બદલી નાંખે તો ગીતા પ્રેસવાળા જયદયાલ ગોએન્કાની જેમ એવી સામગ્રી ઊભી કરી શકે, જેને અદભુત તથા અનુપમ કહી શકાય.

કઈ પ્રતિભાને કઈ રીતે બદલવાની છે અને તેની પાસે કયું કામ કરાવવાનું તેનો નિર્ણય માર્ગદર્શક તરફથી થતો રહેશે. અત્યારે જે લોકો વિશ્વ યુદ્ધ કરવાની અને સંસારને ખેદાન મેદાન કરી નાંખવાની વાતો વિચારે છે, તેમના દિમાગને જો બદલીશું તો વિનાશના કાર્યમાં વપરાનારી બુદ્ધિ, શક્તિ અને સંપદાને વિકાસના કાર્યોમાં વાળી દઈશું. એટલાથી જ પરિસ્થિતિ બદલાઈને ક્યાંથી ક્યાં પહોંચી જશે. પ્રવૃત્તિઓ અને દિશા બદલાઈ જવાથી મનુષ્યનું કર્તૃત્વ શું નું શું થઈ જાય છે અને જે શ્રેય માર્ગ ઉપર કદમ ભરે છે તેની પાછળ ભગવાનની શક્તિ સહાયતા માટે નિશ્ચિતપણે હાજર રહે છે. બાબાસાહેબ આપ્ટેની જેમ તેઓ અપંગોનું વિશ્વવિદ્યાલય, કુષ્ઠ ઔષધાલય બનાવી શકે છે. હીરાલાલ શાસ્ત્રીની જેમ વનસ્થલી કન્યા વિદ્યાલય ઊભું કરી શકે છે. લક્ષ્મીબાઈની જેમ કન્યા ગુરુકુળ ઊભાં કરી શકે છે.

મનુષ્યની બુદ્ધિની ભ્રષ્ટતાએ તેની ગતિવિધિઓને ભ્રષ્ટ, પાપી અને અપરાધી બનાવી દીધી છે. તે જે કંઈ કમાય છે તે તરત જ અયોગ્ય કાર્યોમાં નાશ પામે છે. પોતાને તો બદનામી અને પાપનું પોટલું જ મળે છે. આ સમુદાયના વિચારોને કોઈ બદલી શકે, તેમની રીતિનીતિ અને દિશાધારાને બદલી શકે તો એ જ લોકો એટલા બધા મહાન બની શકે, એટલાં મહાન કાર્યો કરી શકે કે તેમનું અનુકરણ કરીને લાખો લોકો ધન્ય બની શકે અને જમાનો બદલાતો જોઈ શકે.

આજે મારી જે સાવિત્રી સાધના ચાલી રહી છે તેના માધ્યમથી જે અદશ્ય મહાવીરો ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે, તેઓ છાનામાના અસંખ્ય લોકોના અંતઃકરણમાં ઘૂસી જશે. એમની અનીતિને છોડાવીને જ જંપશે અને એવાં રત્નો મૂકીને આવશે કે તેઓ પોતે પણ ધન્ય બની જશે અને “યુગ પરિવર્તન” જે અત્યારે કઠિન દેખાઈ રહ્યું છે તેને કાલે સરળ બનાવી શકે.

SJ-01 : સ્થૂળનું સૂક્ષ્મમાં પરિવર્તનઃ સૂક્ષ્મીકરણ-૨૩ મારું વિલ અને વારસો

સ્થૂળનું સૂક્ષ્મમાં પરિવર્તનઃ સૂક્ષ્મીકરણ

યુગપરિવર્તનની આ ઐતિહાસિક વેળા છે. આ વિસ વર્ષોમાં મને મચી પડીને કરવાની ફરજ સોંપવામાં આવી હતી. ઈ.સ. ૧૯૮૦થી આજ સુધીનાં પાંચ વર્ષોમાં જે કામ થયું છે તે પાછલા ૩૦ વર્ષોના કામની સરખામણીમાં ઘણું વધારે છે. સમયની જરૂરિયાત પ્રમાણે તત્પરતા બતાવવામાં આવી અને ખપતને ધ્યાનમાં રાખીને તદનુરૂપ શક્તિ અજિત કરવામાં આવી. આ વર્ષે કેટલી જાગરૂકતા. તન્મયતા, એકાગ્રતા અને પુરુષાર્થની ચરમસીમાએ પહોંચીને વ્યતીત કરવાં પડ્યાં છે તેનો ઉલ્લેખ કરવાનું યોગ્ય નથી, કારણ કે આ તત્પરતાનું પ્રતિફળ ૨૪00 પ્રજ્ઞાપીઠો અને ૧૫,૦૦૦ પ્રજ્ઞા સંસ્થાનોના નિર્માણ સિવાય બીજું કંઈ પ્રત્યક્ષ દેખાતું નથી. દરરોજ એક ફોલ્ડર લખવાનું કાર્ય આમાં વધુ જોડી શકાય છે. બાકી તો બધું પરોક્ષ જ છે. પરોક્ષનાં લેખાંજોખાં પ્રત્યક્ષમાં કઈ રીતે કરી શકાય?

યુગસંધિની વેળામાં હજી ૧૫ વર્ષ બાકી રહ્યાં છે. આ ગાળામાં ગતિચક્ર વધુ ઝડપથી ફરશે. એક બાજુ તેની ગતિ વધારવી પડશે તો બીજી બાજુ ગતિને રોકવી પડશે. વિનાશની ગતિને રોકવાની અને વિકાસની ગતિને વધારવાની જરૂર પડશે. અત્યારે બંને ગતિ મંદ છે. આ રીતે જોતાં ઈ.સ. ૨૦૦૦ સુધી ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકશે નહિ, આથી કુદરતના પ્રયત્નો વધારે વેગવાન બનશે. એમાં મારી પણ ગીધ અને ખિસકોલી જેવી ભૂમિકા છે. કામ કોણ, ક્યારે, શું, કઈ રીતે કરે તે તો આગળની વાત છે. પ્રશ્ન છે જવાબદારીનો. યુદ્ધકાળમાં જે જવાબદારી સેનાપતિની હોય છે તે જ જવાબદારી રસોઈયાની પણ હોય છે. સંકટના સમયે કોઈ ઉપેક્ષા કરી શકે નહિ.

આ સમયગાળામાં એકસાથે અનેક મોરચાઓ ઉપર લડાઈ લડવી પડશે એવો પણ સમય આવે છે, જ્યારે ખેતરમાં કાપણી કરવી, પશુઓને ઘાસચારો નાખવો, બીમાર પુત્રનો ઈલાજ કરાવવો, કોર્ટમાં તારીખે હાજર રહેવું, ઘેર આવેલા મહેમાનોનું સ્વાગત કરવું વગેરે કેટલાંય કામો એક જ વ્યક્તિએ, એક જ સમયે, કરવાં પડે છે. યુદ્ધકાળમાં તો બહુમુખી ચિંતન અને જવાબદારીઓ વધુ સઘન અને વિરલ બની જાય છે. ક્યા મોરચા ઉપર કેટલા સૈનિકો મોકલવાના છે, જે લડી રહ્યા છે તેમનો દારૂગોળો ખૂટી ન જાય તેનું ધ્યાન રાખી પ્રબંધ કરવો, ઘાયલોને પાટાપિંડી કરવી, દવાખાને પહોંચાડવા, મરેલા સૈનિકોને ઠેકાણે પાડવા, આગળના મોરચા માટે ખાઈ ખોદવી જેવાં કામો બહુમુખી હોય છે. બધાં કામો ઉપર સરખું ધ્યાન આપવું પડે છે. એકાદમાં પણ જરા સરખી ચૂક થઈ જવાથી વાત વણસી જાય છે. કર્યું-કારવ્યું ધૂળ થઈ જાય છે.

મને મારી પ્રવૃત્તિઓને બહુમુખી બનાવી લેવાનું કહેવામાં આવ્યું છે. આમાં સૌથી મોટી મુશ્કેલી સ્થૂળ શરીરની મર્યાદા છે. તે સીમિત છે અને સીમિત ક્ષેત્રમાં જ કામ કરી શકે છે. સીમિત જવાબદારી જ ઉપાડી શકે છે. જ્યારે કામ અસીમ છે ત્યારે એકસાથે અનેક કામ થવાં જોઈએ. તે કેવી રીતે થાય? તેના માટે એક ઉપાય એ છે કે સ્થૂળ શરીરનો ત્યાગ કરી દેવામાં આવે અને જે કંઈ કરવાનું છે તે પૂર્ણપણે એક અથવા અનેક સૂક્ષ્મ શરીરોથી સંપન્ન કરવામાં આવે. નિર્દેશકને જો એ જ ઉચિત લાગશે તો સ્થૂળ શરીરનો ત્યાગ કરવામાં જરા પણ વાર નહિ લાગે. સ્થૂળ શરીરની એક મુશ્કેલી છે કે તેની સાથે કર્મફળ ભોગવવાનું વિધાન જોડાઈ જાય છે. જો લેણદેણ બાકી રહે તો બીજા જન્મ સુધી તે બોજો ઉપાડીને ફરવું પડે છે. આવી દશામાં ભોગ ભોગવવામાં જ નિશ્ચિતતા રહે છે.

રામકૃષ્ણ પરમહંસે આશીર્વાદ – વરદાનો ખૂબ આપ્યાં હતાં. પ્રાપ્ત કરેલો પુણ્યનો ભંડાર ઓછો હતો. હિસાબ પૂરો કરવા માટે ગળાનું કેન્સર નોતરવું પડ્યું ત્યારે જ હિસાબ ચૂકતે થયો. ભગંદરના ગૂમડાએ આદ્ય શંકરાચાર્યનો પ્રાણ લીધો હતો. મહાત્મા નારાયણ સ્વામીને પણ આવો જ રોગ ભોગવવો પડ્યો હતો. ગુગુ ગોલવલકર કેન્સરના રોગથી પીડાઈને જ સ્વર્ગવાસી થયા હતા. એવાં ઘણાં ઉદાહરણો છે, જેમાં પુણ્યાત્માઓને અંતિમ સમય વ્યથાપૂર્વક વિતાવવો પડ્યો છે. આનું કારણ પોતાનાં પાપકર્મોનું ફળ જ નથી હોતું, પણ પુણ્યનો વ્યતિરેક થતાં તેની ભરપાઈરૂપે પણ ભોગવવાનું હોય છે. તેઓ કેટલાંયનાં કષ્ટો. પોતાના ઉપર લેતા રહે છે. વચમાં ચૂકવી શક્યા તો ઠીક, નહિ તો અંતિમ સમયે હિસાબ ચૂકતે કરે છે, જેથી આગલા જન્મમાં કોઈ મુશ્કેલી બાકી ન રહે અને જીવનમુક્ત સ્થિતિ બની રહેવામાં ભૂતકાળનું કોઈ કર્મફળ અવરોધ ઊભો ન કરે.

મૂળ પ્રશ્ન છે જીવન સત્તાના સૂક્ષ્મીકરણનો. સૂક્ષ્મ શરીર વ્યાપક અને બહુમુખી હોય છે. એક જ સમયે અનેક જગ્યાએ કામ કરી શકે છે. એકસાથે કેટલીયે જવાબદારીઓ ઉપાડી શકે છે, જ્યારે સ્થળ માટે એક સ્થાન અને એક સીમાનું બંધન હોય છે. સ્થૂળ શરીરધારી પોતાના ક્ષેત્રમાં જ દોડધામ કરી શકે છે. સાથે ભાષા જ્ઞાનને અનુરૂપ વિચારોનું જ આદાનપ્રદાન કરી શકે છે, પરંતુ સૂક્ષ્મમાં પ્રવેશ કર્યા પછી ભાષાની મુશ્કેલી દૂર થઈ જાય છે. વિચારોનું આદાનપ્રદાન ચાલે છે. વિચારો સીધેસીધા મસ્તિષ્કમાં કે હૃદયના ઊંડાણ સુધી પહોંચાડી શકાય છે. આના માટે ભાષાનું માધ્યમ જરૂરી નથી. વ્યાપકતાની દષ્ટિએ આ એક મોટી સગવડ છે. વાહનવ્યવહારની સગવડ પણ સ્થળ શરીરને જોઈએ. પગની મદદથી તો તે કલાકના માંડ ત્રણ માઈલ ચાલી શકાય. વાહન જેટલું ઝડપી હોય તેટલી જ ઝડપી તેની ગતિ પણ રહેવાની. એક વ્યક્તિને એક જ જીભ હોય છે. તે તેનાથી જ બોલી શકશે, પણ સૂક્ષ્મ શરીરની ઈન્દ્રિયો ઉપર આવું કોઈ બંધન નથી. તેની જોવાની, સાંભળવાની અને બોલવાની શક્તિ સ્થૂળ શરીરની સરખામણીમાં અનેકગણી વધી જાય છે. એક જ શરીર સમય પ્રમાણે અનેક શરીરોમાં પ્રવેશ કરી શકે છે. રાસ રમતી વખતે કૃષ્ણનાં અનેક શરીર્ટી ગોપીઓ સાથે નાચતાં દેખાતાં હતાં. કંસવધ વખતે અને સીતા સ્વયંવર વખતે કૃષ્ણ અને રામની વિવિધ પ્રકારની આકૃતિઓ દેખાતી હતી. વિરાટ રૂપનાં દર્શનમાં ભગવાને અર્જુનને તથા યશોદાને જે દર્શન કરાવ્યું હતું તે તેમના સૂક્ષ્મ તથા કારણ શરીરનો જ આભાસ હતો. આલંકારિક કાવ્યરૂપે એમનું વિવેચન કરવામાં આવે છે તે પણ અમુક હદ સુધી જ યોગ્ય હોય છે.

આ સ્થિતિ શરીર ત્યાગતાં જ દરેકને પ્રાપ્ત થાય તે શક્ય નથી. આમ તો ભૂતપ્રેત પણ સૂક્ષ્મ શરીરમાં જ જાય છે. પણ તેઓ કઢંગી અણઘડ સ્થિતિમાં જ રહે છે. ફક્ત સંબંધિત લોકોને જ પોતાની જરૂરિયાત દર્શાવવા માટે કેટલાંક દૃશ્યો બતાવી શકે છે. પિતૃ સ્તરના આત્માઓ આના કરતાં વધારે સક્ષમ હોય છે. તેમનો વ્યવહાર અને વિવેક વધારે ઉદાત્ત હોય છે. આ માટે તેમનું સક્ષમ શરીર પહેલેથી જ પરિષ્કૃત બની ચૂક્યું હોય છે. સૂક્ષ્મ શરીરને ઉચ્ચસ્તરીય ક્ષમતા સંપન્ન બનાવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડે છે. તેઓ તપસ્વી કક્ષાના હોય છે. સામાન્ય કાયાના સિદ્ધપુરુષ પોતાની કાયાની સીમામાં રહીને દિવ્ય ક્ષમતાઓ પ્રાપ્ત કરી લે છે. તેનાથી બીજાઓની સેવા, સહાયતા કરે છે, પણ શરીરને વિકસિત કરી લેનારાઓએ સિદ્ધિઓના સ્વામી પણ બની શક્યા છે, જેને યોગશાસ્ત્રમાં અણિમા, ગરિમા, લઘિમા વગેરે કહેવામાં આવી છે. શરીર હલકું થઈ જવું, ભારે થઈ જવું, અદશ્ય થઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેવું વગેરે પ્રત્યક્ષ શરીર હોય ત્યાં સુધી શક્ય નથી, કારણ કે શરીરગત પરમાણુઓની રચના એવી નથી કે પદાર્થ વિજ્ઞાનની મર્યાદાઓની બહાર જઈ શકે. કોઈ મનુષ્ય નથી હવામાં ઊડી શકતો, નથી પાણી ઉપર ચાલી શકતો. કદાચ જો આમ કરી શક્યો હોત તો વૈજ્ઞાનિકોના પડકારને ઝીલી શક્યો હોત અને પ્રયોગશાળામાં જઈ વિજ્ઞાનનાં પ્રતિપાદનોમાં એક નવો અધ્યાય ચોક્કસ ઉમેરી શકાયો હોત. દંતકથાઓના આધારે કોઈ આવી સિદ્ધિઓને વખાણ કરવા લાગે તો તે અતિશયોક્તિ જ ગણાય. હવે પ્રત્યક્ષને પ્રમાણિત કર્યા વિના કોઈનું કશું ચાલી શકે તેમ નથી.

પ્રશ્ન સૂક્ષ્મીકરણ સાધનાનો છે જે હું અત્યારે કરી રહ્યો છું. આ એક વિશેષ સાધના છે, જે સ્થળ શરીરમાં રહીને પણ કરી શકાય છે અને સ્થૂળ શરીર ત્યાગી દીધા પછી પણ કરવી પડે છે. બંને પરિસ્થિતિઓમાં પ્રયોગ, પુરુષાર્થ અને તપસાધના સિવાય આ સ્થિતિ શક્ય નથી. આને યોગાભ્યાસ તપશ્ચર્યાનું એક વધારાનું ચરણ કહેવું જોઈએ.

આના માટે કોણે શું કરવાનું હોય છે તેનો આધાર તેના વર્તમાન સ્તર અને ઉચ્ચ પ્રકારના માર્ગદર્શન ઉપર હોય છે. બધાના માટે એક જ પાઠ્યક્રમ હોઈ શક્તો નથી, પણ એટલું અવશ્ય છે કે પોતાની શક્તિઓનો બાહ્ય બગાડ રોકવો પડે છે. ઈંડું જ્યાં સુધી પાકી જતું નથી ત્યાં સુધી એક કોચલામાં બંધ રહે છે. ત્યાર પછી તે એ કોચલાને તોડીને બહાર નીકળી ચાલવા, ફરવા, ઊડવા લાગે છે. લગભગ આ જ અભ્યાસ સૂક્ષ્મીકરણનો છે, જે મેં શરૂ કર્યો છે. પ્રાચીનકાળમાં ગુફાસેવન, સમાધિ વગેરેનો પ્રયોગ ઘણુંખરું

આ માટે જ કરવામાં આવતો હતો. – સૂક્ષ્મ શરીરધારીઓનું વર્ણન અને વિવરણ પુરાતન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક મળે છે. યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે થયેલા વિગ્રહ અને વિવાદનું વર્ણન “મહાભારત’ માં વિસ્તારથી કરવામાં આવ્યું છે. યક્ષ, ગંધર્વ, બ્રહ્મરાક્ષસ વગેરે કેટલાય વર્ગો સૂક્ષ્મ શરીરધારીઓના હતા. વિક્રમાદિત્ય સાથે પાંચ ‘વીર’ રહેતા હતા. શિવજીના ગણો “વીરભદ્ર કહેવાતા હતા. ભૂત, પ્રેત, જિન વગેરેનો અલગ વર્ગ હતો. જેમણે

અલાઉદીનનો ચિરાગ’ વાંચ્યું હશે તેમને આ વર્ગની ગતિવિધિઓની વિશેષ જાણકારી હશે. છાયા પુરુષ સાધનામાં પોતાના જ શરીરથી એક વધારાની સત્તાનું નિર્માણ કરે છે અને તે એક અદશ્ય સાથી, સહયોગી જેવું કામ કરે છે.

આ સૂક્ષ્મ શરીરધારીઓમાં મોટા ભાગનાનો ઉલ્લેખ હાનિકર્તા તરીકે કે નૈતિક દૃષ્ટિએ હેય સ્તર પર થયો છે. સંભવ છે કે એ વખતે અતૃપ્ત વિક્ષુબ્ધ સ્તરના યોદ્ધાઓ રણભૂમિમાં મર્યા પછી આવું જ કંઈક રૂપ લેતા હશે. એ જમાનામાં સૈનિકોની કાપકૂપી જ સર્વત્ર વ્યાપેલી હતી. આની સાથે સાથે સૂક્ષ્મ શરીરધારી દેવર્ષિઓનો પણ ઓછો ઉલ્લેખ નથી. રાજર્ષિ અને બ્રહ્મર્ષિ સૂક્ષ્મ શરીરધારી જ બનતા હતા, પરંતુ જેમની ગતિ સૂક્ષ્મ શરીરમાં પણ કામ કરતી હતી તે દેવર્ષિ કહેવાતા હતા. તેઓ વાયુ ભૂત થઈને વિચરણ કરતા હતા. લોકલોકાંતરોમાં જઈ શકતા હતા. જ્યાં જરૂર જણાતી ત્યાં ભક્તોને માર્ગદર્શન આપવા પણ પહોંચી જતા હતા.

ઋષિઓમાં મોટાભાગના ઋષિઓનો આવો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ સમય પ્રમાણે ધીરજ આપવા, માર્ગદર્શન આપવા જ્યાં જરૂર પડી ત્યાં પહોંચ્યા છે, પ્રગટ્યા છે. પગે ચાલીને જવું પડ્યું નથી. અત્યારે પણ હિમાલયના ઘણા ખરા યાત્રીઓ માર્ગ ભૂલી જતાં કોઈક આવીને એમને પોતાના સ્થાન સુધી પહોંચાડી ગયાની વાતો સાંભળીએ છીએ. કેટલાય લોકોએ ગુફાઓમાં, શિખરો ઉપર અદશ્ય યોગીઓને પ્રગટ થતા અને અદશ્ય થતા જોયા છે. તિબેટના લામાઓની માન્યતા છે કે આજે પણ હિમાલયના ધ્રુવકેન્દ્રમાં એક એવી મંડળી છે કે જે વિશ્વશાંતિમાં પોતાનો સહયોગ આપી રહી છે. આને તેઓએ “અદશ્ય સહાયક એવું નામ આપ્યું છે.

અહીં યાદ રાખવાની બાબત એ છે કે આ દેવર્ષિઓનો સમુદાય પણ મનુષ્યોનો જ એક વિકસિત વર્ગ છે. યોગીઓ, સિદ્ધપુરુષો તથા મહામાનવોની જેમ તેઓ સેવા સહાયતામાં વધારે સમર્થ છે પણ એમ માનવું ભૂલ ભરેલું છે કે તેઓ સર્વ સમર્થ છે અને કોઈની પણ મનોકામનાઓ તરત જ પૂરી કરી શકે છે અથવા અમોધ વરદાન આપી શકે છે. કર્મફળની વરિષ્ઠતા સર્વોપરિ છે. તેને ભગવાન જ ઘટાડી કે મિટાવી શકે છે. એ મનુષ્યની શક્તિ બહારનું કામ છે. જે રીતે બીમારને દાક્તર અને ગરીબને પૈસાદાર મદદ કરી શકે છે તેવી જ રીતે સૂક્ષ્મ શરીરધારી દેવર્ષિ પણ સમયાંતરે સત્કર્મો કરવા માટે બોલાવવાથી અથવા વગર બોલાવ્યું પણ મદદ માટે દોડી આવે છે. આનાથી ઘણો લાભ મળે છે. આમ છતાં પણ કોઈએ એમ માની લેવું ન જોઈએ કે પુરુષાર્થની જરૂર જ નથી અથવા તેમની મદદથી નિશ્ચિત સફળતા મળી જશે. આવું જ હોત તો લોકો એમનો આશ્રય મેળવીને નિશ્ચિત થઈ જાત અને પોતાના પુરુષાર્થની જરૂર જ ન સમજત. પોતાનાં કર્મફળ નડે છે અને પરિસ્થિતિઓ બાધક બને છે એ વાતને માનત પણ નહિ.  

અહીં એક સરસ ઉદાહરણ મારા હિમાલયવાસી ગુરુદેવનું છે. સૂક્ષ્મ શરીરધારી હોવાના કારણે તેઓ એવા પ્રકારના વાતાવરણમાં રહી શકે છે, જ્યાં જીવન નિર્વાહનાં કોઈ જ સાધનો નથી. જરૂર પડ્યું મને માર્ગદર્શન અને સહાયતા આપતા રહે છે. એનો અર્થ એવો નથી કે મારે કંઈ જ કરવું પડ્યું નથી, કોઈ મુશ્કેલી નડી નથી, ક્યારેય અસફળતા મળી જ નથી. આ પણ થતું જ રહ્યું છે, પણ એટલું ચોક્કસ છે કે જે કંઈ હું એક્લો કરી શકત તેના કરતાં એમના દિવ્ય સહયોગથી મારું મનોબળ ઘણું મજબૂત થયું છે. યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. મુશ્કેલીના સમયમાં ધર્મ તથા સાહસ યથાવત્ સ્થિર રહ્યાં છે. આ કંઈ ઓછું નથી. એટલી જ આશા બીજા પાસે પણ રાખવી જોઈએ. બધાં જ કામો કોઈક પૂરાં કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ. લોકો એ ભૂલ કરે છે કે કોઈ દૈવી સહાયતાનું નામ લઈને જાદુઈ લાકડી ફેરવશે અને મનપસંદ કામ થઈ જશે. આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસતા જોવા મળે છે. દૈવી શક્તિઓ અને સૂક્ષ્મ શરીરો પાસે સામયિક મદદની આશા રાખવી જોઈએ. સાથેસાથે પોતાની જવાબદારી વહન કરવા માટે કટિબદ્ધ પણ રહેવું જોઈએ. અસફળતાઓ અને મુશ્કેલીઓને શ્રેષ્ઠ શિક્ષક માનીને આગળનું કદમ વધારે સાવધાની, વધારે બહાદુરીપૂર્વક ભરવાની તૈયારી કરવી જોઈએ.

સામાન્ય રીતે સૂક્ષ્મ શરીરોની શક્તિ પણ વિશેષ હોય છે. ઘણું કરીને દૂરદર્શન, દૂરશ્રવણ, પૂર્વાભાસ, વિચાર-સંપ્રેષણ વગેરેમાં સૂક્ષ્મ શરીરની જ ભૂમિકા રહે છે. એમની સહાયતાથી જ કેટલાયને મુશ્કેલીઓમાંથી ઉગરવાની તક મળી છે.કેટલાયને એવી સહાય મળી છે, જેના વિના તેમનું કાર્ય અટકી જ ગયું હોત. બે સાચા મિત્રો મળવાથી એ લોકોની હિંમત અનેકગણી વધી જાય છે. એવો જ અનુભવ અદશ્ય સહાયકોની સાથે સંબંધ જોડીને કરવો જોઈએ.

જેવી રીતે આપણું દૃશ્ય સંસાર છે અને તેમાં દશ્ય શરીરવાળા જીવધારી રહે છે. એ જ રીતે એક અદશ્ય લોક પણ છે. તેમાં સૂક્ષ્મ શરીરધારીઓ નિવાસ કરે છે. આમાં કેટલાક તદ્દન સામાન્ય, કેટલાક દુષ્ટાત્મા અને કેટલાક અત્યંત ઉચ્ચ સ્તરના હોય છે. આ લોકો મનુષ્ય લોકમાં પૂરેપૂરો રસ લે છે. બગડેલાને સુધારવાના અને સુધારેલાને વધારે સફળ બનાવવાના કાર્યમાં અયાચિત સહાયતા માગવાનું પ્રયોજન અને માગનારનું સ્તર યોગ્ય હોય તો વધારે સારી રીતે અને વધારે પ્રમાણમાં સહાયતા મળે છે.

આ તો સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ લોકની ચર્ચા થઈ. પ્રસંગ પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવાનો છે. આ વિષમ વેળા છે. આમાં પ્રત્યક્ષ શરીર ધરાવનારા પ્રત્યક્ષ ઉપાયો – ઉપચારોથી જે કંઈ કરી શકાય તે કરી જ રહ્યા છે. કરવું પણ જોઈએ, પણ આટલાથી જ કામ થશે નહિ. સશક્ત સૂક્ષ્મ શરીરોએ બગડેલાને વધુ ન બગડવા દેવા માટે પોતાનું જોર કામે લગાડવું પડશે. સંભાળવા માટે જે કંઈ પ્રક્રિયા ચાલી રહી છે તે પૂરતી નથી. તેને વધારે સરળ અને સફળ બનાવવા માટે અદશ્ય મદદની જરૂર પડશે.આ સામૂહિક સમસ્યાના ઉકેલ માટે પણ અત્યંત જરૂરી ગણાશે અને વ્યક્તિગત રૂપે પણ આ યોજનોમાં સંલગ્ન વ્યક્તિઓને રમાડી અને યશસ્વી બનાવવાની દૃષ્ટિએ પણ જરૂરી ગણાશે.

જ્યારે મને આ કામ સોંપવામાં આવ્યું તો એ કરવામાં આનાકાની કેવી? દિવ્યસત્તાના સંકેતો ઉપર બહુ લાંબા સમયથી ચાલતો રહ્યો છું અને જ્યાં સુધી આત્મબોધ જાગૃત રહેશે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. આ જ કાર્યક્રમ ચાલતો રહેશે. આ વિષમ વેળા છે. અત્યારના સમયમાં દશ્ય અને અદશ્ય ક્ષેત્રમાં જે વિષ ફેલાઈ ગયું છે તેનું પરિશોધન કરવાનો પ્રયાસ અત્યંત જરૂરી બની ગયો છે, જેમાં એક ક્ષણનો વિલંબ પણ પાલવે તેમ નથી. આથી સંજીવની બુટી લાવવા માટે પર્વત ઉખાડી લાવવાનું અને સુષેણ વૈદ્યને શોધવા માટે જે કંઈ કરવું પડે તે કરવું જોઈએ. આ કાર્યસ્થૂળ શરીરને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત સ્થિતિમાં લાવવા માટે મારે વિના વિલંબે લાગી જવું પડ્યું અને ગત બે વર્ષમાં કઠોર તપશ્ચર્યાનું એકાન્ત સાધનાનું અવલંબન લેવું પડ્યું.

SJ-01 : તપશ્ચર્યા આત્મશક્તિના ઉદ્ભવ માટે અનિવાર્ય-૨૨, મારું વિલ અને વારસો

તપશ્ચર્યા આત્મશક્તિના ઉદ્ભવ માટે અનિવાર્ય

અરવિંદે વિલાયતથી પાછા આવતાં અંગ્રેજોને ભગાડવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા, પણ પરિણામ કંઈ જ ન આવ્યું. રાજાઓનું સંગઠન કર્યું, વિદ્યાર્થીઓની સેના બનાવી, એક પક્ષનું સંગઠન કરીને જોયું કે આટલી મોટી સશક્ત સરકાર સામે આ છૂટાછવાયા પ્રયત્નો સફળ નહિ થાય. આની સામે ટક્કર લેવા માટે તો સમાન સ્તરનું સામર્થ્ય જોઈએ. એ વખતે ગાંધીજીના સત્યાગ્રહ જેવો સમય ન હતો. આવી દશામાં એમણે આત્મશક્તિ ઉત્પન્ન કરીને તેનાથી વાતાવરણને ગરમ કરવાનું કામ હાથમાં લીધું. અંગ્રેજોની પકડમાંથી એક બાજુ આવીને તેઓ પોડિચેરી ચાલ્યા ગયા અને એકાંતવાસ મૌન સાધના સહિત વિશિષ્ટ તપ કરવા લાગ્યા.

લોકોની દષ્ટિએ તો એ પલાયનવાદ હતો, પણ વાસ્તવ હતું. સૂક્ષ્મદ્રષ્ટાઓની દષ્ટિએ આ તપ દ્વારા અદશ્ય સ્તરની પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થઈ. વાતાવરણ ગરમ થયું અને એક જ સમયે દેશમાં એટલા બધા મહાપુરુષો ઉત્પન્ન થયા કે ઈતિહાસમાં બીજા કોઈ પણ દેશમાં એટલા પેદા નથી થયા.રાજનૈતિક નેતા તો ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે અને ગમે તે બની પણ શકે છે. પરંતુ મહાપુરુષો તો દરેક દષ્ટિએ ઉચ્ચ સ્તરના હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ ઊંચું હોય છે. લોકમાનસને ઉલ્લાસિત અને આંદોલિત કરવાની ક્ષમતા તેમનામાં હોય છે. બે હજાર વર્ષની ગુલામીમાં ઘણું બધું ખોઈ નાખનાર દેશને આવા જ કર્ણધારોની જરૂર હતી. જેવી રીતે ઉનાળામાં વંટોળ પેદા થાય છે તેવી રીતે એવા એક નહિ, પણ અનેક મહાપુરુષો એક જ સમયમાં ઉત્પન્ન થયા. પરિણામે અરવિંદનો એ સંકલ્પ સમય જતાં પૂર્ણ થયો, જેને તેઓ અન્ય ઉપાયોથી પૂરો કરવા માટે શક્તિમાન ન બની શક્ત.

અધ્યાત્મવિજ્ઞાનના ઈતિહાસમાં ઉચ્ચસ્તરીય ઉપલબ્ધિઓ માટે તપસાધના જ એકમાત્ર ઉપાય છે. તે સગવડ્યુક્ત વિલાસી રહેણીકરણી અપનાવીને કદી થઈ શકતી નથી. એકાગ્રતા અને એકાત્મતા પ્રાપ્ત કરવા માટે બહુમુખી બાહ્યોપચાર અને તેના પ્રચાર-પ્રસારથી દૂર રહેવું પડે છે. એમ ન કરવાથી શક્તિઓ વિખરાઈ જાય છે. પરિણામે કેન્દ્રીકરણનું એ પ્રયોજન પૂરું નથી થતું, જે બિલોરી કાચ ઉપર સૂર્યનાં કિરણો એકત્ર કરીને અગ્નિ પ્રગટ કરવા જેવી પ્રચંડતા ઉત્પન્ન કરી શકે. અઢાર પુરાણો લખતી વખતે વ્યાસ ઉત્તરાખંડની ગુફાઓમાં વસોધારા શિખર પાસે જતા રહ્યા હતા. સાથે લેખન કાર્યની સહાયતા માટે ગણેશજી પણ એમની સાથે હતા. શરત એ હતી કે એક પણ શબ્દ બોલ્યા વિના મૌન રહેવું. આટલું મહાન કાર્ય એનાથી ઓછામાં તો શક્ય પણ ન હતું.

ભારતીય સ્વાધીનતાસંગ્રામ વખતે મહર્ષિ રમણનું મૌન તપ ચાલતું હતું. આ ઉપરાંત હિમાલયમાં અનેક ઉચ્ચસ્તરીય આત્માઓનું વિશિષ્ટ તપ આ હેતુ માટે ચાલતું રહ્યું. રાજનેતાઓ દ્વારા સંચાલિત આંદોલનને સફળ બનાવવામાં આ અદશ્ય સૂત્ર સંચાલનનું કેટલું મોટું યોગદાન હતું તેનું અનુમાન સ્થૂળ દૃષ્ટિએ નહિ થઈ શકે, પણ સૂક્ષ્મદષ્ટિ આ રહસ્યો ઉપર પૂરો વિશ્વાસ રાખે છે.

જેટલું મોટું કાર્ય તેટલો જ મોટો તેનો ઉપાય -આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આ વખત વિશિષ્ટ તપશ્ચર્યા વાતાવરણના પ્રવાહને બદલવા – સુધારવા માટે કરવામાં આવી છે. આથી તેનું સ્વરૂપ અને સ્તર અઘરાં છે. શરૂઆતના દિવસોમાં જે કામની જવાબદારી મારા ખભે આવી હતી તે પણ લોકમાનસનો પરિષ્કાર કરીને જાગૃત આત્માઓને એક સંગઠન સૂત્રમાં પરોવવાની અને રચનાત્મક કાર્યક્રમોના ઉત્સાહને જગાવવાની હતી. આટલાથી જ જો કામ થઈ જાય તો તેની વ્યવસ્થા સમર્થ લોકો પોતાની પાસેથી અથવા બીજાઓની પાસેથી માંગીને પણ સરળતાથી કરી લેતા અને અત્યાર સુધીમાં તો પરિસ્થિતિને બદલીને ક્યાંયની ક્યાં પહોંચાડી દીધી હોત. કેટલાય લોકોએ આ પ્રયત્ન જોરશોરથી કર્યો પણ ખરો. પ્રચારાત્મક સાધનો પણ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કરવામાં આવ્યાં, પણ અસરકારક પ્રભાવ પેદા થાય તેવું કાર્ય થયું નહિ. વસ્તુસ્થિતિને સમજનાર માર્ગદર્શક સૌ પ્રથમ એક જ કામ સોંપ્યું. છેલ્લાં ત્રીસ વર્ષમાં જે કંઈ થયું તે આ ચોવીસ વર્ષની સાધનાનું પરિણામ છે. કમાણીની એ મૂડી જ અત્યાર સુધી કામ આપતી રહી છે. પોતાનું વ્યક્તિ વિશેષનું, સમાજનું, સંસ્કૃતિનું જો મારાથી કંઈક ભલું થતું હોય તો ચોવીસ વર્ષના સંચિત ભંડારને ખર્ચી નાખવાની વાત સમજી શકાય તેવી છે. એ વખતે પણ ફક્ત જપ સંખ્યા જ પૂરી કરવામાં આવી ન હતી, પણ તેની સાથે કેટલાય નિયમો, અનુશાસન અને વ્રતપાલન પણ જોડાયેલાં હતાં.

જપ સંખ્યા તો કોઈ નવરો માણસ જેમ તેમ કરીને પણ પૂરી કરી શકે છે, પણ વિલાસી અને અસ્તવ્યસ્ત જીવનચર્યા અપનાવનાર કોઈ વ્યક્તિ માત્ર એટલી જ ચિહ્નપૂજા કરીને કોઈ મોટું કામ કરી શકતો નથી. સાથે તપશ્ચર્યાના કઠોર નિયમો પણ જોડાયેલા હોવા જોઈએ, જે સ્થળ, સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેય શરીરોને તપાવીને દરેક રીતે સમર્થ બનાવે છે. સંચિત દોષદુર્ગુણો પણ આત્મિક પ્રગતિના માર્ગમાં ખૂબ મોટા અવરોધો હોય છે. તેનું નિરાકરણ અને નિવારણ પણ આ ભઠ્ઠીમાં પ્રવેશ કરવાથી થઈ જાય છે. જમીનમાંથી કાઢતી વખતે લોખંડ કાચું માટી ભળેલું હોય છે. અન્ય ધાતુઓ પણ આવી જ અણઘડ સ્થિતિમાં જ હોય છે. તેને ભઠ્ઠીમાં નાંખીને તપાવવામાં આવે છે અને ઉપયોગને યોગ્ય બનાવવામાં આવે છે. રસશાસ્ત્રીઓ બહુમૂલ્ય ભસ્મ બનાવવા માટે તેનો અગ્નિસંસ્કાર કરે છે. કુંભારની પાસે વાસણને પકવવા માટે નિભાડામાં મૂકવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. મનુષ્યોને પણ આ જ નિયમ લાગુ પડે છે. ઋષિમુનિઓની સેવાસાધના, ધર્મધારણા તો જાણીતી છે જ, પણ તેઓ પોતાના લક્ષ્યની પૂર્તિ માટે આવશ્યક શક્તિ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા પણ સમય આવ્યે કરતા રહેતા હતા. આ પ્રક્રિયા પોતપોતાની રીતે દરેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિએ કરવી પડી છે અને કરવી પડશે. કારણ કે ઈશ્વરદત્ત શક્તિઓનું ઊર્ધ્વીકરણ અને પરિપોષણ આના વગર થઈ શકતું નથી. વ્યક્તિત્વમાં પવિત્રતા, પ્રખરતા અને પરિપકવતા ન હોય તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. છળકપટ, દંભ અને આતંકના આધારે પ્રાપ્ત કરેલી સફળતાઓ જાદુગરની જેમ હથેળીમાંથી કંકુ કાઢવા જેવા ચમત્કારો બતાવીને નષ્ટ થઈ જાય છે. મૂળ વગરનું ઝાડ કેટલા દિવસ ટકે અને કઈ રીતે ફૂલેફાલે?

તપશ્ચર્યાનો મૌલિક સિદ્ધાંત છે – સંયમ અને સદુપયોગ. ઈન્દ્રિયસંયમથી પેટ ઠીક રહે છે. સ્વાથ્ય બગડતું નથી. બ્રહ્મચર્યપાલનથી મનોબળનો ભંડાર ખૂટતો નથી. અર્થસંયમથી, નીતિની કમાણીથી સરેરાશ ભારતીય સ્તરનું જીવન જીવવું પડે છે. પરિણામે ગરીબી પણ આવતી નથી અને બેઈમાની કરવાની જરૂર પણ પડતી નથી. સમય સંયમથી વ્યસ્ત સમયપત્રક બનાવીને ચાલવું પડે છે. પરિણામે કુકર્મો માટે સમય જ મળતો નથી. જે કંઈ થાય છે તે શ્રેષ્ઠ અને સાર્થક જ થાય છે. વિચારસંયમથી એકાગ્રતા સધાય છે. આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો દૃષ્ટિકોણ વિકસિત થાય છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની સાધના સહજ રીતે સધાતી રહે છે. સંયમનો અર્થ છે બચત. ચારેય પ્રકારના સંયમનું પાલન કરવાથી મનુષ્ય પાસે એટલી બધી વધારાની બચત થાય છે, જેથી પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત પણ તે મહાન પ્રયોજનો માટે પુષ્કળ પ્રમાણમાં વાપરી શકાય સંયમશીલ વ્યક્તિઓને વાસના, તૃષ્ણા અને અહંકારની ખાઈમાં ખપી જવું પડતું નથી. આથી સારા ઉદ્દેશ્યોની દિશામાં આગળ વધવાની જરૂર પડે ત્યારે અભાવ, ચિંતા, સમસ્યા વગેરેનાં બહાનાં કાઢવાં પડતાં નથી. સ્વાર્થ અને પરમાર્થ બંને સાથેસાથે સધાતા રહે છે અને હસતી – રમતી હલકી ફૂલ જેવી જિંદગી જીવવાનો અવસર મળે છે. આ માર્ગ ઉપર આજથી ૬૦ વર્ષ પહેલાં મારા માર્ગદર્શક ચાલતાં શિખવાડ્યું હતું. આ ક્રમ અતૂટ રીતે ચાલતો રહ્યો. અવારનવાર બેટરી ચાર્જ કરવા માટે મને બોલાવવામાં આવતો. છેલ્લાં ત્રીસ વર્ષોમાં એક એક વર્ષના એકાંતવાસ અને વિશેષ સાધના ક્રમ માટે જવું પડ્યું. એનો હેતુ એક જ હતો. તપશ્ચર્યાના ઉત્સાહ તથા પુરુષાર્થના વિશ્વાસ અને શ્રદ્ધામાં જરા પણ ઓટ ન આવી. જ્યાં પણ ખોટ પડી રહી હોય ત્યાં ભરપાઈ થતી રહે.

ભગીરથ શિલા-ગંગોત્રીમાં કરવામાં આવેલી સાધનાથી ધરતી પર જ્ઞાનગંગાની – પ્રજ્ઞા અભિયાનના અવતરણની ક્ષમતા અને દિશા મળી. ઉત્તરકાશીના પરશુરામ આશ્રમમાંથી એ કુહાડો પ્રાપ્ત થયો જેની મદદથી વ્યાપક અવાંછનીયતાની સામે લોકમાનસમાં વિક્ષોભ ઉત્પન્ન કરી શકાય. પૌરાણિક પરશુરામે આ ધરતી ઉપર અનેક આતંકવાદીઓનાં કેટલીય વાર માથાં કાપ્યાં હતાં. મારે મન માથું કાપવું એટલે બ્રેઈન વોશિંગ કરવું. વિચારક્રાંતિ અને પ્રજ્ઞા અભિયાનમાં સર્જનાત્મક જ નહિ, સુધારાત્મક પ્રયોજન પણ સમાયેલાં છે. આ બંને ઉદેશ જે રીતે જેટલા વ્યાપક બન્યા, જેટલી સફળતા સાથે સંપન્ન થતા રહ્યા છે, તેમાં નથી તો શક્તિનું કૌશલ્ય, નથી સાધનોનો ચમત્કાર, નથી પરિસ્થિતિઓનો સહયોગ. આ તો ફક્ત તપશ્ચર્યાની શક્તિથી જ થઈ રહ્યું છે.

આ અત્યાર સુધી ભૂતકાળની જીવનચર્યાનું વિવરણ થયું. વર્તમાનમાં આ જ દિશામાં એક મોટો કૂદકો મારવા માટેનો નિર્દેશ એ શક્તિએ કર્યો છે, જે સૂત્રધારના ઈશારે કઠપૂતળીની જેમ નાચતાં નાચતાં સમગ્ર જીવન વીતી ગયું. હવે મારે તપશ્ચર્યાની એક નવી જ ઉચ્ચસ્તરીય કક્ષામાં પ્રવેશ કરવો પડ્યો છે. સર્વસાધારણ લોકોને તો એટલી જ ખબર છે કે હું એકાંતવાસમાં છું અને કોઈને મળતો નથી. આ માહિતી સંપૂર્ણ રીતે અધૂરી છે, કારણ કે જે વ્યક્તિના રોમેરોમમાં કર્મઠતા, પુરુષાર્થપરાયણતા, નિયમિતતા તથા વ્યવસ્થા ભરેલી હોય તે આ રીતે લોકો સમજે છે તેવું નિરર્થક અને નિષ્ક્રિય જીવન જીવી શકે નહિ. એકાંતવાસમાં પહેલાં કરતાં મારે વધારે કામ કરવું પડ્યું છે, વધારે કાર્યરત રહેવું પડ્યું છે. લોકોની સાથે ન મળવા છતાં પણ એટલા બધા અને એવા લોકોની સાથે સંપર્ક સાધવો પડ્યો છે, જેમની સાથે બેસવામાં કલાકોના કલાકો ચાલ્યા જાય છે, છતાં મન ભરાતું નથી, પછી એકાંત ક્યાં રહ્યું ? ન મળવાની વાત ક્યાં રહી? માત્ર કાર્યપદ્ધતિમાં જ સાધારણ પરિવર્તન થયું છે. મળનારાઓનો વર્ગ અને વિષય જ બદલાયો. આવી દશામાં પલાયનવાદ અને અકર્મણ્યતાનો દોષ ક્યાં આવ્યો? તપસ્વીઓ હમેશાં આવી જ રીતરસમ અજમાવે છે. તેઓ દેખાય છે નિષ્ક્રિય, પરંતુ વાસ્તવમાં તો વધારે કાર્યરત રહે છે. ભમરડો જ્યારે ઝડપથી ફરતો હોય છે ત્યારે સ્થિર લાગતો હોય છે. જ્યારે તેની ગતિ ધીમી પડે છે અને બેલેન્સ જળવાતું નથી ત્યારે જ એના ફરવાની ખબર પડે છે.

આઈન્સ્ટાઈન જે દિવસોમાં અતિ મહત્ત્વપૂર્ણ અણુ સંશોધનમાં વ્યસ્ત હતા ત્યારે તેમની જીવનચર્યામાં વિશેષરૂપે ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ વિશાળ ભવનમાં એકલા જ રહેતા હતા. બધી જ સાધનસામગ્રી ત્યાં ઉપલબ્ધ હતી. સાહિત્ય, સેવક અને પ્રયોગનાં સાધનો પણ. જેનાથી એકાન્તમાં એકાગ્ર થનારા ચિંતનમાં કોઈક અવરોધ પેદા થાય તે બધાથી તેઓ દૂર રહ્યા હતા. તે જ્યાં સુધી ઈચ્છતા ત્યાં સુધી તદ્દન એકાંતમાં રહેતા. તેમના કામમાં કોઈ જરા પણ વિક્ષેપ પાડી શકતું ન હતું. જ્યારે ઈચ્છતા ત્યારે ઘંટડી વગાડીને નોકરને બોલાવી લેતા અને જરૂરી સાધનસામગ્રી મેળવી લેતા. મળનારાઓ કાર્ડ આપી જતા અને મહિનાઓ સુધી રાહ જોતા. નિકટતા કે ઘનિષ્ઠતા બતાવીને તેમના કાર્યમાં કોઈ પણ વ્યક્તિ વિક્ષેપ પાડી શકતી ન હતી. આટલો પ્રબંધ થતાં તેઓ દુનિયાને આશ્ચર્યમાં નાખી શક્યા. જો તેઓ પણ સગાંસંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહ્યા હોત અને સામાન્ય કામોમાં જ રસ લેતા રહ્યા હોત તો તેઓ પણ બીજાઓની જેમ કીમતી જીવનનો કોઈ કહેવા યોગ્ય ફાયદો ન ઉઠાવી શક્યા હોત. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓની જીવનચર્યા આ જ પ્રકારની હતી. એમની સમક્ષ આત્મવિજ્ઞાન-સંબંધી અનેક સંશોધન કાર્યો હતો. તેમાં તન્મયતાપૂર્વક પોતાનું કાર્ય કરવા માટે તેઓ કોલાહલરહિત શાંત સ્થાન પસંદ કરતા હતા અને સંપૂર્ણ તન્મયતાપૂર્વક નિર્ધારિત પ્રયોજનોમાં વ્યસ્ત રહેતા હતા.

મારી સામે પણ આ જ નવા સ્તરનાં કાર્યો મૂકવામાં આવ્યાં છે. તે ખૂબ ભારે પણ છે અને અત્યંત મહત્ત્વપૂર્ણ પણ છે. આમાંથી એક છે – વિશ્વવ્યાપી સર્વનાશ નોતરનારાં સંકટોને દૂર કરી શકવા યોગ્ય તેવી આત્મશક્તિ ઉત્પન્ન કરવાનું. બીજું છે – સર્જનશિલ્પીઓ જે શક્તિ અને પ્રેરણા વિના કશું જ કરી શકતા નથી તેની પૂર્તિ કરવાનું. ત્રીજું છે.

નવયુગના નિર્માણ માટે જે સત્પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું છે, તેમનું સ્વરૂપ નક્કી કરી રૂપરેખા તૈયાર કરવાનું. આ ત્રણેય કામો એવા છે જે એકલા સ્થૂળ શરીરથી થઈ શકે તેમ નથી. તેની સીમા અને શક્તિ ઘણી ઓછી છે. ઈન્દ્રિયોની શક્તિ નાના ક્ષેત્રમાં કામ કરી શકે છે અને સીમિત વજન ઉપાડી શકે છે. હાડમાંસના આ પૂતળામાં બોલવાની, વિચારવાની, ચાલવાની ફરવાની, કમાવાની, પચાવવાની થોડી શક્તિ છે. આટલાથી તો મર્યાદિત કાર્યો જ થઈ શકે છે. મર્યાદિત કામોથી શરીરયાત્રા ચાલી શકે છે અને નિકટમાં રહેતા સંબંધિત લોકોનું જ યથાશક્તિ ભલું થઈ શકે છે. વધારે વિશાળ અને વધારે મોટાં કામો માટે તો સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને વિકસાવવાની જરૂર ઊભી થાય છે. ત્રણેય જ્યારે એકસાથે સામર્થ્યવાન અને ગતિશીલ બને છે ત્યારે જ આટલાં મોટાં કામો થઈ શકે, જેની આજે જરૂર પડી છે.

રામકૃષ્ણ પરમહંસ સામે આ જ સ્થિતિ આવી હતી. તેમને વ્યાપક કામ કરવા માટે બોલાવવામાં આવ્યા. યોજના અનુસાર તેમણે પોતાની ક્ષમતા વિવેકાનંદને સોંપી દીધી તથા તેમના કાર્યક્ષેત્રને સરળ અને સફળ બનાવવા માટે તાણાવાણા વણી આપવાનું આવશ્યક કાર્ય સંભાળતા રહ્યા. આટલું મોટું કાર્ય તેઓ ફક્ત સ્થળ શરીરથી કરી શકતા ન હતા. આથી તેમણે નિઃસંકોચ સ્થૂળ શરીરનો ત્યાગ પણ કરી દીધો. બચત કરતાં વધારે વરદાનો આપવાના કારણે તેઓ ઋણી પણ બની ગયા હતા. એની પૂર્તિ વગરગાડી ચાલે નહિ. આથી સ્વેચ્છાપૂર્વક કેન્સરનો રોગ પણ સ્વીકારી લીધો. આ રીતે ઋણમુક્ત થઈને વિવેકાનંદના માધ્યમથી આ કાર્યમાં લાગી ગયા, જે કામ કરવાનો સંકેત તેમના નિર્દેશ કર્યો હતો. પ્રત્યક્ષ રીતે રામકૃષ્ણ મૃત્યુ પામ્યા. તેમની ગેરહાજરી ખૂંચી, શોક પણ લાગ્યો, પરંતુ જે શ્રેયસ્કર હતું એ જ થયું. દિવંગત થવાના કારણે તેમની શક્તિ હજાર ગણી વધી ગઈ. એની મદદથી એમણે દેશ અને વિશ્વમાં અનેક પ્રવૃત્તિઓનો ફેલાવો કર્યો. જીવન દરમિયાન તેઓ પોતાના ભક્તોને થોડા ઘણા આશીર્વાદ આપતા રહ્યા અને એક વિવેકાનંદને પોતાની શક્તિભંડાર સોંપવામાં સમર્થ બન્યા, પણ જ્યારે એમને સૂક્ષ્મ અને કારણ શરીરથી કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો, તો એમનાથી એટલું બધું વિશાળ કામ થઈ શક્યું કે જેનાં લેખાંજોખાં માંડવાનું સામાન્ય કક્ષાની સૂઝ-સમજણથી સમજવું શક્ય નથી.

ઈસુ ખ્રિસ્તની જીવનગાથા પણ આવી જ હતી. તેઓ સમગ્ર જીવન દરમિયાન અથાક પ્રયત્નો કરીને ફક્ત ૧૩ શિષ્યો જ બનાવી શક્યા હતા, તેમણે જોયું કે સ્થૂળ શરીરથી તેઓ ઈચ્છતા હતા એટલું મોટું કામ થઈ શકશે નહિ, આવી સ્થિતિમાં સૂક્ષ્મ શરીરનું અવલંબન લઈ સમગ્ર સંસારમાં ખ્રિસ્તી મિશન ફેલાવી દેવામાં આવે એ જ યોગ્ય સમજાયું. આવા પરિવર્તનના સમયે મહાપુરુષો પૂર્વજન્મના હિસાબો ચૂકતે કરવા કષ્ટસાધ્ય મૃત્યુને સ્વીકારે છે. ઈસુ ખ્રિસ્તનું ક્રોસ પર ચડવું, સોક્રેટિસનું ઝેર પીવું, કૃષ્ણને તીર વાગવું, પાંડવોએ હિમાલયમાં હાડ ગાળવાં, ગાંધીનું ગોળીથી વિધાવું, આદ્ય શંકરાચાર્યને ભગંદર થવું વગેરે બનાવો એમ દર્શાવે છે કે ભવિષ્યના મહાન ઉદેશ્યો માટે ચૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડે છે. તેઓ સ્થૂળ શરીરનો આ રીતે અંત લાવે છે, જેને બલિદાન કક્ષાની પ્રેરણા આપનાર અને મૃત્યુ વખતની પવિત્રતા અને પ્રખરતા પ્રદાન કરવા યોગ્ય કહી શકાય. મારી બાબતમાં પણ આવું જ થયું છે અને ભવિષ્યમાં આવું થવાનું છે.

SJ-01 : ચોથો અને છેલ્લો નિર્દેશ-૨૧, મારું વિલ અને વારસો

ચોથો અને છેલ્લો નિર્દેશ

ગયા વર્ષે ચોથી વાર મને ફરીથી એક અઠવાડિયા માટે બોલાવવામાં આવ્યો. પહેલાંની જેમ જ સંદેશ આવ્યો. આજ્ઞાના પાલનમાં મોડું કરવાનું ક્યાં હતું! મારું શરીર સોંપેલાં કાર્યો કરતું રહ્યું છે, પણ મન તો સદૈવ દુર્ગમ હિમાલયમાં મારા ગુરુ પાસે જ રહ્યું છે. કહેતાં સંકોચ થાય છે પણ એવું લાગે છે કે ગુરુદેવનું શરીર હિમાલયમાં રહે છે, પણ તેમનું મન મારી આસપાસ ફરતું રહે છે. તેમની વાણી અંતરમાં પ્રેરણા બનીને ગુંજતી રહે છે. આ ચાવીને ભરવાથી જ દય અને મસ્તિષ્કનું લોલક હાલતું ચાલતું અને ઊછળતું રહે છે.

પહેલાંની ત્રણ વખતની જેમ યાત્રા કઠિન ન રહી. આ વખતે સાધનાની પરિપક્વતાના કારણે સૂક્ષ્મ શરીરને જ આવવાનો નિર્દેશ મળ્યો હતો. એ કાયાને એકસાથે ત્રણેય પરીક્ષાઓ ફરીથી આપવાની હતી. સાધના ક્ષેત્રમાં એક વાર પાસ થઈ જતાં કસોટી થયેલાને ફક્ત ચકાસવામાં જ આવે છે. માર્ગ જોયેલો હતો. દિનચર્યા બનાવેલી હતી જ. ગોમુખ પાસે મળવું અને તપોવન સુધી સહજ રીતે પહોંચી જવું એ જ ક્રમ ફરીથી ચાલ્યો. એમનું સૂક્ષ્મ શરીર ક્યાં રહે છે, શું કરે છે એ મેં કદી પૂછયું નથી. મને તો મળવાના સ્થાનની ખબર છે. મખમલનો ગાલીચો અને બ્રહ્મકમળની ઓળખાણ થઈ ગઈ હતી. તેને શોધી કાઢતો અને મળતાંવેત ગુરુદેવનાં ચરણ કમળો પર ચઢાવી દેતો. વંદન અને આશીર્વાદના શિષ્ટાચારમાં જરા પણ વાર થતી નહિ અને કામની વાત તરત જ શરૂ થઈ જતી.આ જ પ્રકરણ આ વખતે પણ દોહરાવવામાં આવ્યું. રસ્તામાં મન વિચારતું હતું કે જેટલી વાર બોલાવવામાં આવ્યો છે તેટલી વાર જૂનું સ્થળ છોડીને બીજે જવું પડ્યું છે. આ વખતે પણ સંભવ છે કે એવું જ થશે. શાંતિકુંજ છોડીને હવે આ ઋષિપ્રદેશમાં આવવાનો આદેશ મળશે અને આ વખતે આગળ જે કંઈ કાર્યો થયાં છે તેની સરખામણીમાં અનેકગણું મોટું કાર્ય સ્વીકારવું પડશે. આ રસ્તાના સંકલ્પ-વિકલ્પ હતા. હવે તો પ્રત્યક્ષ મુલાકાત થઈ રહી હતી.

અત્યાર સુધીનાં કામો અંગે એમણે પ્રસન્નતા વ્યક્ત કરી. મેં એટલું જ કહ્યું, “કામ આપ કરો છો અને શ્રેય મારા જેવા વાનરને આપો છો. સમગ્ર સમર્પણ કર્યા પછી આ શરીર અને મન ફક્ત દેખાવ પૂરતાં જ અલગ છે. વાસ્તવમાં તો આ બધી આપની જ સંપદા છે. જ્યારે જેવું ઈચ્છો છો ત્યારે તોડી મરોડીને તેનો આપ ઉપયોગ કરી લો છો.” – ગુરુદેવે કહ્યું, “અત્યાર સુધી જે કંઈ બતાવવામાં અને કરાવવામાં આવ્યું છે તે તો સ્થાનિક અને સામાન્ય હતું. વરિષ્ઠ માનવો એ કરી શકે છે અને ભૂતકાળમાં કરતા પણ હતા. તું આગળનું કાર્ય સંભાળીશ તો આ બધાં જ કામો તારા અનુયાયી લોકો સરળતાથી કરતા રહેશે. જે સૌ પ્રથમ કદમ ઉપાડે છે તેને અગ્રણી થવાનું શ્રેય મળે છે. પાછળ તો ગ્રહનક્ષત્રો પણ – સૌરમંડળના સભ્યો પણ પોતપોતાની ધરી ઉપર વગર મુશ્કેલીએ ફરતા રહે છે. આગળનું કાર્ય આનાથી પણ મોટું છે. સ્થૂળ વાયુમંડળ અને સૂક્ષ્મ વાતાવરણ અત્યારે વિષાકત બની ગયાં છે, જેનાથી માનવીય ગરિમા જ નહિ, દૈવીસત્તા પણ સંકટમાં પડી ગઈ છે. ભવિષ્ય ખૂબ જ ભયાનક દેખાઈ રહ્યું છે. આની સામે પરોક્ષ રીતે લડવા માટે મારે અને તારે બધું જ કરી છૂટવું પડશે, જેને અદ્ભુત અને અલૌકિક કહી શકાય.

ધરતીનો સમગ્ર પરિઘ – વાયુ, પાણી અને જમીન ત્રણેય ઝેરી બની રહ્યાં છે. વૈજ્ઞાનિક કૌશલ્ય સાથે અર્થલોલુપતા ભળી ગઈ. પરિણામે યાંત્રીકરણે સર્વત્ર ઝેર ફેલાવી દીધું છે અને એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે, જેનાથી દુર્બળતા,રુષ્ણતા, બીમારી અને અકાળ મૃત્યુનું જોખમ દરેકના માથા ઉપર લટકી રહ્યું છે. અણુ આયુધોના અનાડીઓના હાથે થતા અણુપ્રયોગોના કારણે એટલો મોટો ખતરો પેદા થયો છે કે એનો જરા પણ ક્રમભંગ થતાં બધું જ ભસ્મ થઈ શકે છે. વસતીવધારો વરસાદી ઘાસની જેમ થઈ રહ્યો છે. આ બધા ખાશે શું? રહેશે ક્યાં? આ બધી વિપત્તિઓ અને વિભીષિકાઓથી ઝેરી વાયુમંડળ ધરતીને નર્ક બનાવી દેશે.

જે હવામાં લોકો શ્વાસ લઈ રહ્યા છે, એમાં જે કોઈ શ્વાસ લે છે તે અયોગ્ય ચિંતન અને દુષ્કર્મો કરવા લાગે છે. દુર્ગતિ હાથવેંતમાં જ સામે આવી રહી છે. આ અદશ્ય લોકમાં ભરાયેલ વિકૃત વાતાવરણનું પરિણામ છે. આ પરિસ્થિતિમાં જે કોઈ રહેશે તે નરપશુ અને નરપિશાચ જેવાં કૃત્યો કરશે. ભગવાનની આ સર્વોત્તમ કૃતિ ધરતી અને માનવસત્તાને આ રીતે નરક બનતી જોઈને દુઃખ થાય છે. મહાવિનાશની સંભાવનાથી કષ્ટ થાય છે. આ સ્થિતિને બદલવા, આ સમસ્યાનું સમાધાન કરવા ભારે ગોવર્ધન પર્વત ઉપાડવો પડશે. લાંબો સમુદ્ર કૂદવો પડશે. આના માટે વામન જેવાં મોટાં કદમ ભરવા માટે તને બોલાવવામાં આવ્યો છે.

આના માટે તારે એકમાંથી પાંચ બનીને પાંચેય મોરચે લડવું પડશે. કુંતાજીની જેમ પોતાની એકાકી સત્તાને નિચોવીને પાંચ દેવપુત્રોને જન્મ આપવો પડશે. જેમણે અલગ અલગ મોરચાઓ પર અલગ અલગ ભૂમિકા નિભાવવી પડશે.

વાતમાં વચ્ચે વિક્ષેપ પાડીને મેં કહ્યું, “આ તો આપે પરિસ્થિતિની વાત કરી. આટલું વિચારવું અને સમસ્યાઓનું સમાધાન શોધવું એ તો આપના જેવા મહાન આત્માઓનું કામ છે. આ બાળકને તો કામ બતાવી દો અને હમેશાંની જેમ આ કઠ પૂતળીના તારને આપની આંગળીઓ સાથે બાંધીને નાચ નચાવતા રહો. પરામર્શ કરવાની જરૂર નથી. સમર્પિતને તો ફક્ત આદેશ જ જોઈએ. પહેલાં પણ આપે જ્યારે જ્યારે કોઈ મૂક આદેશ સ્થળ યા સૂક્ષ્મ સંદેશરૂપે મોકલ્યો છે, ત્યારે મેં મારા તરફથી કોઈ આનાકાની કરી નથી. ગાયત્રીનાં ચોવીસ મહાપુરશ્ચરણોથી માંડીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા સુધી, કલમ હાથમાં પકડવાથી માંડીને વિરાટ યજ્ઞાયોજન સુધી અને વિશાળ સંગઠન ઊભું કરવાથી માંડીને કરોડોની સંખ્યામાં પરિજનો એકત્રિત કરવા સુધી આપની આજ્ઞા, સંરક્ષણ અને માર્ગદર્શને જ સમગ્ર ભૂમિકા ભજવી છે. દેશ્યરૂપે ભલે હું જ બધાની સામે રહ્યો હોઉં. પણ મારું અંત:કરણ જાણે છે કે આ બધું કરાવનાર સત્તા કોણ છે, પછી એમાં મારો મત કેવો ને મારી સલાહ કેવી? આ શરીરનો એકેએક અણુ, લોહીનું એકેએક ટીપું, ચિંતન અંતઃકરણ આપને – વિશ્વમાનવને સમર્પિત છે. એમણે પ્રસન્નવદને સ્વીકાર કર્યો અને પરાવાણીથી નિર્દેશ વ્યક્ત કરવાનો એમને સંકેત કર્યો.

ચર્ચારૂપે વાત થઈ રહી હતી તે પૂરી થઈ અને સારસંકેત રૂપે જે કંઈ કહેવાનું હતું કહેવાનું શરૂ થયું.

તાર એકમાંથી પાંચ બનવાનું છે. પાંચ રામદૂતોની જેમ, પાંચ પાંડવોની જેમ, પાંચ રીતે કાર્યો કરવાનાં છે. આથી આ શરીરને પાંચમાં વિભાજિત કરવાનું છે. એક ઝાડ ઉપર પાંચ પક્ષીઓ રહી શકે છે. તું તારામાંથી પાંચ બનાવી દે. આને “સૂક્ષ્મીકરણ” કહે છે. પાંચ શરીર સૂક્ષ્મ રહેશે, કારણ કે વ્યાપક ક્ષેત્રને સંભાળવાનું કામ સૂક્ષ્મ સત્તાથી જ થઈ શકે છે. જયાં સુધી પાંચેય પરિપકવ થઈને સ્વતંત્ર કામ સંભાળી ન શકે ત્યાં સુધી આ જ શરીરથી તેમનું પોષણ કરતો રહેજે. આમાં એક વર્ષ પણ લાગે અને વધારે સમય પણ થાય. જયારે તેઓ સમર્થ થઈ જાય ત્યારે એમને પોતાનું કાર્ય કરવા માટે મુક્ત કરી દેજે. સમય આવ્યે તારું દશ્યમાન સ્થૂળ શરીર મુક્ત થઈ જશે.”

આ તો થયું દિશાસૂચન. કરવાનું શું છે, કેવી રીતે કરવાનું છે તે બધું તેમણે પોતાની વાણીમાં સમજાવ્યું. આનું વિવરણ કરવાનો આદેશ નથી. જે કહેવામાં આવ્યું છે, તે કરી રહ્યો છું. ટૂંકમાં આટલું જ સમજી લેવું પર્યાપ્ત થશે. (૧) વાયુ મંડળનું સંશોધન (૨) વાતાવરણનો પરિષ્કાર (૩) નવયુગનું નિર્માણ (૪) મહાવિનાશનું નિરસ્તીકરણ, સમાપન (૫) દેવમાનવોનું ઉત્પાદન- અભિવર્ધન. – ““આ પાંચ કાર્યો કેવી રીતે કરવાનાં છે ? એના માટે પોતાની સત્તાને પાંચ ભાગમાં કેવી રીતે વિભાજિત કરવાની રહેશે ? ભગીરથ અને દધીચિની ભૂમિકા કેવી રીતે ભજવવી પડશે. આના માટે લૌકિક ક્રિયાકલાપોમાંથી નિવૃત્તિ લેવી પડશે. વેરવિખેર થયેલ શક્તિને એકત્ર કરવી પડશે. આ છે –“સૂક્ષ્મીકરણ

“આના માટે જે કંઈ કરવું પડશે તે તને યથાસમયે બતાવતો રહીશ. યોજનાને નિષ્ફળ બનાવવા માટે, આ શરીરને નષ્ટ કરવા માટે જે આસુરી પ્રહારો થશે તેનાથી તેને બચાવતો રહીશ. પહેલાં થયેલ આસુરી આક્રમણની પુનરાવૃત્તિ ક્યારેક કોઈ પણ સ્વરૂપમાં સજ્જનો – પરિજનો ઉપર પ્રહારરૂપે થઈ શકે છે. પહેલાંની જેમ જ બધામાં મારું સંરક્ષણ સાથે જ રહેશે. અત્યાર સુધી જે કામ તને સોંપ્યું હતું તેને તું તારા સમર્થ અને સુયોગ્ય પરિજનોને સોંપી દેજે, જેથી મિશનના કોઈ પણ કામની ચિંતા યા જવાબદારી તારા ઉપર ન રહે. જે મહાપરિવર્તનની રૂપરેખા મારા મનમાં છે તે તને પૂરેપૂરી તો નથી બતાવતો, પણ સમય આવ્યે પ્રગટ કરતો રહીશ. આવા વિષમ સમયમાં એ રણનીતિને સમય પહેલાં પ્રગટ કરી દેવાથી ઉદેશ્યને નુકસાન થશે.”

આ વખતે મને વધારે સમય રોકવામાં આવ્યો નહિ. બેટરી ચાર્જ કરીને ઘણા દિવસ ચાલે તેવું આ વખતે બન્યું નહિ. એમણે કહ્યું કે “મારી ઊર્જા હવે તારી પાછળ અદૃશ્ય સ્વરૂપે ચાલતી રહેશે. હવે મારે અને જેને પણ જરૂર હશે એ ઋષિઓએ તારી સાથે હમેશાં રહીને તારા કામમાં સહયોગ આપતા રહેવું પડશે. તારે કોઈ પણ જાતના અભાવનો, આત્મિક ઊર્જાની ખોટનો ક્યારેય અનુભવ કરવો નહિ પડે. વાસ્તવમાં તો તે પાંચગણી વધી જશે.’

મને વિદાય આપવામાં આવી અને હું શાંતિકુંજ પાછો આવ્યો. મારી સૂક્ષ્મીકરણ સાવિત્રી સાધના રામનવમી ૧૯૮૪થી શરૂ થઈ ગઈ.

SJ-01 : મારી પ્રત્યક્ષ સિદ્ધિઓ-૨૦, મારું વિલ અને વારસો

મારી પ્રત્યક્ષ સિદ્ધિઓ

જ્યારે સંપત્તિ એકઠી થાય છે ત્યારે તેનો પ્રભાવ દૃષ્ટિગોચર થવા લાગે છે. શારીરિક રીતે સ્વસ્થ મનુષ્ય બળવાન અને સુંદર દેખાય છે. ધનવાનોના ઠાઠમાઠ વધી જાય છે. બુદ્ધિશાળીઓનો વૈભવ તેમની વાણી અને રહેણીકરણીમાં દેખાવા લાગે છે. એ જ રીતે આધ્યાત્મિક સંપત્તિ વધવાથી તેનો પ્રભાવ પણ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થવા લાગે છે. સાધનાથી સિદ્ધિનો અર્થ છે- અસાધારણ સફળતાઓ. સાધારણ સફળતાઓતો સામાન્ય માણસ પણ પોતાના પુરુષાર્થ અને સાધનોથી પ્રાપ્ત કરતા રહે છે અને વિવિધ પ્રકારની સફળતાઓ પણ પ્રાપ્ત કરતા રહે છે. અધ્યાત્મક્ષેત્ર વિશાળ છે. આથી તેની સિદ્ધિઓ પણ સામાન્ય માણસના એક્લાના પ્રયાસથી ન મેળવી શકાય એટલી જ ઊંચી હોવી જોઈએ.

દુર્ભાગ્યની વાત તો એ છે કે આજે આધ્યાત્મિકતાનું અવમૂલ્યન થતાં થતાં તે જાદુગરીના સ્તરે પહોંચી ગઈ છે અને સિદ્ધિઓનું તાત્પર્ય લોકો કૌતુક – કુતૂહલ ઉત્પન્ન કરતા અને દર્શકોને અચંબામાં નાખતા ચમત્કારને સમજવા લાગ્યા છે. પછી ભલે આવાં કૌતુકો નિરર્થક કેમ ન હોય? હાથમાંથી કંકુ કાઢવું એ કોઈ એવું કાર્ય નથી કે જેનાથી કોઈનું ભલું થતું હોય. અસાધારણ કૃત્યો, અચંબો પમાડે તેવી હાથચાલાકી જાદુગરો જ કરતા હોય છે અને તેના સહારે વાહવાહ બોલાવે છે અને પૈસા કમાય છે. પણ આમાંથી એક પણ કાર્ય એવું નથી, જેનાથી માનવહિત થઈ શકતું હોય. કુતૂહલ પેદા કરી મોટાઈ સાબિત કરવી એ જ એમનું કામ હોય છે. આના સહારે ગુજરાન ચલાવે છે, સિદ્ધ-પુરુષોમાં પણ કેટલાય એવા છે, જેઓ થોડીક હાથચાલાકી બતાવી પોતાની સિદ્ધિઓની જાહેરાત કરતા હોય છે. હવામાં હાથ હલાવી ઈલાયચી અથવા મીઠાઈ મંગાવવી, ડબલ પૈસા કરવા વગેરેના બહાને ચમત્કૃત કરીને કેટલાય ભોળા લોકોને ઠગવાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે. જે લોકો જાદુ અને અધ્યાત્મની સફળતા વચ્ચેનો ભેદ સમજી શકતા નથી તેઓ બાળક બુદ્ધિના છે. જાદુગરો અને સિદ્ધ-પુરુષોના જીવન વ્યવહાર અને સ્તરમાં જે મૌલિક તફાવત હોય છે તેને ઓળખવો ખૂબ જ જરૂરી છે.

સાધનાથી સિદ્ધિનું તાત્પર્ય એવાં વિશિષ્ટ કાર્યો સાથે છે, જે લોક કલ્યાણ સાથે સંબંધિત હોય છે તથા તે કાર્યો એટલાં વિશાળ અને ભારે હોય છે કે કોઈ એક જ વ્યક્તિ પોતાના એકાકી સંકલ્પ અથવા પ્રયાસથી સંપન્ન કરી શકતી નથી. છતાં સિદ્ધ-પુરુષો એ કરવાનું દુસ્સાહસ કરે છે, આગળ વધવાનું પગલું ભરે છે અને અશક્ય લાગતાં કાર્યને પણ શક્ય કરી બતાવે છે. સમયાનુસાર લોકોનો સહકાર એમને પણ મળતો રહે છે. કોઈ પણ કાર્યમાં સૃષ્ટિના નિયમો મુજબ સહયોગ મળતો રહે છે, તો પછી એવું કોઈ કારણ નથી કે શ્રેષ્ઠ કાર્યો માટે લોકોનોં સહકાર ન મળે. પ્રશ્ન એક જ છે કે અધ્યાત્મવાદીઓ સાધનો અને સહયોગ વિના પણ આગળ ડગલાં માંડે છે અને આત્મવિશ્વાસ તથા ઈશ્વર-વિશ્વાસના સહારે પોતાની નાવ પાર થઈ જશે એવો ભરોસો રાખે છે. સામાન્ય લોકોની મનઃસ્થિતિ આવી નથી હોતી. તેઓ પોતાની સામે સાધન અને સહયોગની વ્યવસ્થા જોયા પછી જ તેમાં હાથ નાખે છે.

સાધનારત સિદ્ધ-પુરુષો દ્વારા જ મહાન કાર્યો સંપન્ન થતાં રહે છે. આ જ તેમની સિદ્ધિનો ચમત્કાર છે. દેશમાં સ્વતંત્રતા – સંગ્રામનું આંદોલન ચાલુ કરાવવા માટે સમર્થ ગુરુ રામદાસ એક મરાઠા બાળકને આગળ કરી તેમાં જોડાઈ ગયા અને તેને આશ્ચર્યકારક સીમા સુધી વધારી શક્યા. બુદ્ધ વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપી બુદ્ધિવાદી આંદોલન ચલાવ્યું અને સમગ્ર સંસારમાં ખાસ કરીને એશિયા ખંડના ખૂણેખૂણામાં ફેલાવ્યું. ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન ચાલુ કર્યું, મુઠ્ઠીભર લોકોના સહયોગથી ધરાસણામાં મીઠું બનાવવાની સાથે શરૂ કર્યું, તેનો કેટલો વિસ્તાર થયો અને કેવાં પરિણામો આવ્યાં તે સૌ જાણે છે. એકલા વિનોબા દ્વારા શરૂ કરવામાં આવેલું ભૂદાન આંદોલન કેટલું વ્યાપક અને સફળ થયું તે કોઈથી અજાણ્યું નથી. સ્કાઉટિંગ, રેડક્રોસ જેવાં કેટલાંય આંદોલન બહુ જ નાનકડા સ્વરૂપમાં શરૂ થયાં અને આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયાં. રાજસ્થાનનાં વનસ્થળી બાલિકા વિદ્યાલય, બાબા આપ્ટેનું અપંગ અને રક્તપિત્તિયાઓનું સેવાસદન વગેરે એવાં પ્રત્યક્ષ કાર્યો છે. જેને સાધનાની સિદ્ધિનું પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. એવાં અગણિત કાર્યો સંસારમાં પૂરાં થયાં છે, જેમાં તે શરૂ કરનારાઓનાં કૌશલ્ય, સાધન અને સહયોગ નગણ્ય હતાં, પણ તેમનું આત્મબળ અસીમ હતું. એટલાથી જ એમની ગાડી ચાલવા લાગી અને જ્યાં ત્યાંથી તેલ-પાણી મેળવીને તેની મંજિલ સુધી જઈ પહોંચી. સારા ઉદ્દેશોની પૂર્ણતા પાછળ સાધનાથી સિદ્ધિનો જ પ્રકાશ જોઈ શકાય છે.

મારી જીવનસાધનાની પરિણતિને જો કોઈ સિદ્ધિના સ્તર પર શોધવા ઈચ્છે તો તેને નિરાશ થવું નહિ પડે. દરેક ડગલું કૌશલ્ય અને ઉપલબ્ધ સાધનોની સીમા કરતાં વધારે ઊંચા સ્તરનું ભર્યું છે. શરૂઆત કરતી વખતે સિદ્ધિઓનું પર્યવેક્ષણ કરનારાઓએ એને મૂર્ખતા કહી અને પાછળથી હાસ્યાસ્પદ બનવાની ચેતવણી પણ આપી, પરંતુ તે હાથમાં લેવા માટે જેની પ્રેરણા કામ કરાવી રહી હતી તે ભગવાન સાથે હોવાનો મનમાં અતૂટ વિશ્વાસ હતો. લિપ્સારહિત અંતઃકરણમાં એવા જ સંકલ્પો જગતા હોય છે, જે લોકમંગળનાં કાર્યો સાથે સંબંધિત હોય છે અને જેની પાછળ દિવ્ય સહયોગ મળી રહેવાનો વિશ્વાસ હોય.

સાધનાની ઊર્જા સિદ્ધિના સ્વરૂપમાં પરિપક્વ થઈ તો તેને સામયિક જરૂરિયાતોના કોઈપણ કાર્યમાં હોમી દેવાનો નિશ્ચય કર્યો. કાર્ય શરૂ થયું. સહયોગનાં સાધનો મળી રહેવાનું વાતાવરણ જોતાં જ પ્રયત્નો એવી રીતે આગળ વધ્યા જાણે કોઈએ તેની પહેલેથી જ સાંગોપાંગ વ્યવસ્થા ન કરી રાખી હોય! સલાહકારોમાંથી ઘણાએ આને શરૂઆતમાં દુસ્સાહસ કહ્યું હતું, પણ જેમ જેમ સફળતાઓ મળતી ગઈ તેમ તેમ તે સફળતાઓને સાધનાની સિદ્ધિ કહેવા લાગ્યા.

આ દુસ્સાહસોની તો તૂટક તૂટક ચર્ચા કરવામાં આવી ચૂકી છે. આ બધાને પુનઃ દોહરાવી શકાય.

(૧) પંદર વર્ષની ઉંમરમાં ચોવીસ વર્ષ સુધી ચોવીસ ગાયત્રી મહાપુરશ્ચરણ, ચોવીસ વર્ષમાં અનેક કડક નિયમો સાથે પૂર્ણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.તે કોઈ પણ જાતના વિઘ્ન વિના નિયત સમય મર્યાદામાં પૂર્ણ થયો.

(૨) આ મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિમાં નિર્ધારિત જપનો હવન કરવાનો હતો. દેશભરના ગાયત્રી ઉપાસકોને આશીર્વાદ આપવા માટે આમંત્રિત કરવાના હતા. તપાસ કરી, સરનામાં મેળવી એવા ચાર લાખ લોકોને ઈ.સ. ૧૯૫૮માં સહસ્ર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આમંત્રિત કરવામાં આવ્યા. આનંદની વાત તો એ હતી કે આમાંથી એક પણ ગેરહાજર ન રહ્યો. પાંચ દિવસ સુધી નિવાસ, ભોજન, યજ્ઞ વગેરેનો નિઃશુલ્ક પ્રબંધ કરવામાં આવ્યો. વિશાળ યજ્ઞશાળા, પ્રવચન મંચ, વિજળી, પાણી, સફાઈ વગેરેની સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવી. સાત માઈલના વિસ્તારમાં સાત નગર બનાવવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું. લાખો રૂપિયાનું ખર્ચ થયું, પણ કોઈની આગળ હાથ ફેલાવવો ન પડ્યો.

(૩) ગાયત્રી તપોભૂમિ મથુરાનાં ભવનના નિર્માણનો શુભારંભ અમારી પૈતૃક સંપત્તિ વેચીને કર્યો. પાછળથી લોકોની અયાચિત સહાયતાથી તેનું ધર્મતંત્રથી લોકશિક્ષણની જવાબદારી સંભાળનાર કેન્દ્ર રૂપે એક વિશાળકાય માળખું તૈયાર થયું.

(૪) અખંડજ્યોતિ પત્રિકાનું ઈ.સ. ૧૯૩૭થી અવિરત પ્રકાશન. જાહેરાતો લીધા વિના અને ફાળો ઉઘરાવ્યા વિના પડતર કિંમતે પ્રગટ થતી રહી. જ્યારે ગાંધીજીનું “હરિજન માસિક ખોટ જવાના કારણે બંધ કરવું પડ્યું હતું, ત્યારે “અખંડ જયોતિ’ અનેક મુસીબતોનો સામનો કરતી પ્રગટ થતી રહી અને અત્યારે દોઢ લાખની સંખ્યામાં છપાય છે. એક અંકને અનેક લોકો વાંચે છે. આ દષ્ટિએ આ પત્રિકાના વાચકો દસ લાખથી ઓછા નથી.

(૫) સાહિત્ય સર્જન. આર્ષગ્રંથોનો અનુવાદ તથા વ્યાવહારિક જીવનમાં અધ્યાત્મના સિદ્ધાંતોનો સફળ સમાવેશ કરનાર સસ્તાં છતાં અત્યંત ઉપયોગી અને ઉચ્ચસ્તરીય પુસ્તકોનું પ્રકાશન. આ પુસ્તકોના અન્ય ભાષાઓમાં અનુવાદ. આ લેખન કાર્ય એટલું વિશાળ છે કે એક મનુષ્યના શરીર સાથે તોલવામાં આવે તો તેના વજન કરતાં પણ સાહિત્યનું વજન વધી જાય. આને કરોડો લોકોએ વાંચીને નવો પ્રકાશ અને પ્રેરણા પ્રાપ્ત કર્યા છે.

(૬) ગાયત્રી પરિવારનું ગઠન- તેના દ્વારા લોકમાનસના પરિષ્કાર માટે પ્રજ્ઞા અભિયાનનું અને સત્પ્રવૃત્તિ સંવર્ધન માટેયુગનિર્માણ યોજનાનું કાર્યાન્વયન. આ બંને અંતર્ગત લાખો જાગૃત આત્માઓનું એકીકરણ. આ બધાનું નવસર્જનના કાર્યમાં પોતપોતાની રીતે ભાવભર્યું યોગદાન.

(૭) યુગશિલ્પી પ્રજ્ઞાપુત્રો માટે આત્મનિર્માણ અને લોકનિર્માણના સમગ્ર અભ્યાસક્રમનું નિર્ધારણ અને સત્ર યોજના અંતર્ગત નિયમિત શિક્ષણ. દસ દસ દિવસનાં ગાયત્રી સાધનાસકોની એવી વ્યવસ્થા, જેમાં નિવાસ, ભોજન વગેરેની પણ વ્યવસ્થા છે.

(૮) અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયની શોધ માટે બ્રહ્મવર્ચસ્ શોધ સંસ્થાનની સ્થાપના. આમાં યજ્ઞ વિજ્ઞાન અને ગાયત્રી મહાશક્તિનું ઉચ્ચસ્તરીય સંશોધન ચાલે છે. આ ક્રમને આગળ વધારીને જડીબુટ્ટી વિજ્ઞાનની “ચરક કાલીન’ પ્રક્રિયાનું અભિનવ સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે જ ખગોળ વિજ્ઞાનની તૂટેલી કડીઓને નવેસરથી જોડવામાં આવી રહી છે.

(૯) દેશના ખૂણેખૂણે ૨૪૦૦ પોતાના મકાનવાળી પ્રજ્ઞાપીઠો અને વગર ઈમારતોનાં ૭૫૦૦ પ્રજ્ઞા સંસ્થાનોની સ્થાપના કરીને નૈતિક, બૌદ્ધિક અને સામાજિક પુનર્નિર્માણની યુગાન્તરીય ચેતનાને વ્યાપક બનાવવાનો સફળ પ્રયાસ. આ પ્રયત્નને ૭૪ દેશોમાં નિવાસ કરતા ભારતીયો સુધી પણ ફેલાવવામાં આવ્યો છે.

(૧૦) દેશની તમામ ભાષાઓ તથા સંસ્કૃતિઓનું અધ્યયન અને અધ્યાપનનું એક અભિનવ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે, જેથી દરેક વર્ગના લોકો સુધી આ નવયુગની વિચારધારાને પહોંચાડી શકાય. પ્રચારકો દરેક ક્ષેત્રોમાં પહોંચી શકે. અત્યારે તો

જનજાગરણ માટે પ્રચારક ટોળીઓ જીપગાડીઓ દ્વારા હિન્દી, ગુજરાતી, ઉડિયા, મરાઠી ક્ષેત્રોમાં જ જાય છે. પણ હવે ખૂણેખૂણે પહોંચશે અને પવિત્રતા, પ્રખરતા અને એકતાનાં મૂળ મજબૂત કરશે.

(૧૧) અત્યાર સુધીનું સમગ્ર પ્રચારકાર્ય ટેપરેકૉર્ડર અને સ્લાઈડ પ્રોજેક્ટરોના માધ્યથી જ ચાલતું રહ્યું છે. હવે એમાં વીડિયો ફિલ્મ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

(૧૨) પ્રજ્ઞા અભિયાનની વિચારધારાને ફોલ્ડર યોજના દ્વારા દેશની તમામ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી રહી છે, જેથી કોઈ ખૂણો એવો ન રહે જ્યાં નવચેતનાનું વાતાવરણ ન જાગે.

(૧૩) પ્રજ્ઞાપુરાણના પાંચ ભાગોનું પ્રકાશન દરેક ભાષામાં તથા તેનાં ટેપ પ્રવચનોનું નિર્માણ. આના આધારે નવીનતમ સમસ્યાઓનું પુરાતન કથાના આધારે સમાધાન કરવાનો પ્રયત્ન.

(૧૪) હંમેશ માટે શાંતિકુંજમાં વિદ્યાર્થીઓ, મહેમાનો તથા તીર્થયાત્રીઓ મળીને એક હજાર કરતાં વધુ લોકો ભોજન લે છે. કોઈની પાસેથી કંઈ પણ માગવામાં આવતું નથી. બધા જ ભાવના અને શ્રદ્ધાથી પ્રસાદ ગ્રહણ કરીને જ જાય છે.

અગણિત લોકો ગાયત્રી તીર્થમાં આવીને અનુષ્ઠાન સાધના કરતા રહે છે. આનાથી તેમના વ્યક્તિત્વમાં સુધારો આવ્યો છે, મનોવિકારોથી મુક્તિ મળી છે તથા ભાવિ જીવનનો ક્રમ નક્કી કરવામાં મદદ મળી છે. વિજ્ઞાન સંમત પદ્ધતિથી બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનમાં તેમનું પર્યવેક્ષણ કરીને તેની સત્યતાને પ્રમાણિત પણ કરવામાં આવી છે.

ઉપર્યુક્ત મુખ્ય કાર્યો અને નિર્ધારણોને જોઈને સહજ રીતે અનુમાન કરી શકાય છે કે આને માટે કેટલો શ્રમ, કેટલો મનોયોગ,કેટલાં સાધન અને કેટલા બધા લોકો મંડી પડ્યા હશે તેની કલ્પના કરતાં લાગે છે કે આ બધાની પાછળ વપરાયેલ સરંજામ પહાડ જેટલો હોવો જોઈએ. આને ઉપાડવામાં, આમંત્રિત કરવામાં અને એકત્રિત કરવામાં એક વ્યક્તિની અદશ્ય શક્તિ કામ કરતી રહી છે. પ્રત્યક્ષ માગણી, અપીલ અથવા ફાળો ઉઘરાવવાનું કાર્ય ક્યારેય અપનાવવામાં આવ્યું નથી. જે કંઈ ચાલ્યું છે તે સ્વેચ્છાયુક્ત સહયોગથી થયું છે. સૌ જાણે છે કે આજકાલ ધન એકત્રિત કરવા માટે કેટલાં દબાણ, આકર્ષણ અને યુકિતઓ કામે લગાડવી પડે છે, પણ ફક્ત આ એક જ મિશન એવું છે કે રોજના જ્ઞાનઘટના દશ પૈસા અને ધર્મધટનું એક મુઠી અનાજથી પોતાનું કાર્ય બહુ જ સારી રીતે ચલાવી લે છે. જે આટલો નાનકડો ત્યાગ કરે છે તેને એવો પણ અનુભવ થાય છે કે સંસ્થા અમારી છે, અમારા શ્રમ અને સહયોગથી ચાલી રહી છે. પરિણામે તેની આત્મીયતા પણ આ મિશન સાથે સઘન રીતે જોડાયેલી રહે છે. સંચાલકને પણ આટલા બધા લોકોને જવાબ આપવા માટે એકએક પાઈનું ખર્ચ ખૂબ જ સમજી વિચારીને કરવું પડે છે. ઓછી રકમમાં આટલું વિશાળ કાર્ય કરવું અને સફળતા પ્રાપ્ત કરવી તેનું રહસ્ય આ લોકપ્રિયતા જ છે.

નિઃસ્વાર્થ, નિસ્પૃહ અને ઉચ્ચસ્તરીય વ્યક્તિત્વવાળા જેટલા કાર્યકર્તાઓ આ મિશન પાસે છે તેટલા ભાગ્યે જ કોઈ બીજા મિશન પાસે હશે. આનું કારણ એક જ છે, એના સંચાલકને બહુ જ નજીકથી પારખ્યા પછી એ વિશ્વાસ રાખવો કે અહીં તો બ્રાહ્મણ આત્મા સાચા અર્થમાં કામ કરી રહ્યો છે. બુદ્ધને લોકાએ ઓળખ્યા અને લાખો પરિવ્રાજકો ઘરબાર છોડીને તેમના અનુયાયી બની ગયા. ગાંધી સત્યાગ્રહીઓએ પણ વેતન માગ્યું નથી. અત્યારે દરેક સંસ્થા પાસે પગારદાર કર્મચારીઓ કામ કરે છે. ત્યારે ફક્ત પ્રજ્ઞા અભિયાન જ એક એવું તંત્ર છે, જેમાં હજારો લોકો પાસે ઉચ્ચ પ્રકારની યોગ્યતા હોવા છતાં ફક્ત ભોજન અને વસ્ત્રો લઈને જ પોતાનો નિર્વાહ કરે છે.

આટલી વ્યક્તિઓનો શ્રમ અને સહયોગ, એક એક ટીપાંની જેમ એકત્ર થતું આટલું ધન અને સાધનો ક્યા ચુંબકથી ખેંચાઈને ચાલ્યાં આવે છે તે પણ એક સિદ્ધિનો ચમત્કાર છે, જે બીજે ભાગ્યે જ જોવા મળે !

ભૂતકાળમાં વારંવાર હિમાલય જવાનો અને એકાંત સાધના કરવાનો આદેશ નિભાવવો પડ્યો. રાક્ષસ, વેતાળ યા તો કોઈ સિદ્ધ-પુરુષ સાથે મુલાકાત થઈ હશે. એ બધાનું જીવન જોયું હશે. અદશ્ય અને પ્રગટ થનાર કોઈ જાદુઈ ચિરાગ જેવું હશે. આ બધી ઘટનાઓ સાંભળવાનું મન થતું હશે. તેઓ તો એમ સમજે છે કે હિમાલય એટલે જાદુનો ખજાનો, ત્યાં જતાંની સાથે જ કોઈ ચમત્કારિક બાવો ભૂતની જેમ કૂદી પડતો હશે અને જે કોઈ ત્યાં આવતું હશે તેને જાદુથી, ચમત્કારોથી મુગ્ધ કરી દેતો હશે. હકીકતમાં હિમાલયમાં મારે વધુ અંતર્મુખી થવા માટે જવું પડ્યું. બહિરંગ જીવન ઉપર પ્રસંગો છવાયેલા રહે છે અને અંતઃક્ષેત્ર પર ભાવનાઓ. ભાવનાઓનું વર્ચસ્વ જ અધ્યાત્મવાદ છે. કામનાઓ, વસ્તુઓ અને ધનની આંધળી દોટ એટલે ભૌતિકવાદ. આમ તો આપણું જીવન બંનેનું સંગમસ્થાન છે. આથી વચ્ચે વચ્ચે એકાંતમાં બહિરંગના જામેલા પ્રભાવને દૂર કરવાની જરૂર પડે છે. આત્માને પ્રકતિના સાંનિધ્યથી બની શકે તેટલો દૂર લઈ ગયો અને આત્માને પરમાત્માની નજીક લાવવા જેટલું શક્ય હતું તેટલું હિમાલયના અજ્ઞાતવાસમાં કર્યું. પરિસ્થિતિવશ આહારવિહારમાં અધિક સાત્વિકતાનો સમાવેશ થતો રહ્યો. આ ઉપરાંત સૌથી મોટો લાભ થયો ઉચ્ચસ્તરીય ભાવ સંવેદનાઓનું ઉન્નયન અને રસાસ્વાદ. એ માટે માણસોની, સાધનોની તથા પરિસ્થિતિઓની જરૂર પડતી નથી. જે કંઈ ખરું ખોટું સામે છે તેના ઉપર પોતાના ભાવચિંતનનું આરોપણ કરી એવું સ્વરૂપ બનાવી શકાય છે, જેનાથી કંઈને કંઈ જોવા મળે. કણકણમાં ભગવાનની, તેની રસ-સંવેદનાની અનુભૂતિ થવા લાગે.

જેમણે મારું “સૂનકારના સાથી” (સુનસાન કે સહચર) પુસ્તક વાંચ્યું છે તેઓ સમજ્યા હશે કે સામાન્ય પ્રસંગો અને પરિસ્થિતિઓમાં પણ પોતાની ઉચ્ચ ભાવનાઓનો સમાવેશ કરીને કેવી રીતે સ્વર્ગીય ઉમંગોથી ભરપૂર વાતાવરણ બનાવી શકાય છે અને તેમાં મગ્ન રહીને સત, ચિત અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. આ પણ એક ઉચ્ચસ્તરીય સિદ્ધિ છે. એ પ્રાપ્ત કરીને હું સામાન્ય લોકોના જેવી જીવનચર્યામાં રત રહીને સ્વર્ગમાં રહેનાર દેવતાઓની જેમ આનંદમગ્ન જીવન જીવી રહ્યો છું.

%d bloggers like this: