૭. સાચી દોલત, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય
June 13, 2022 Leave a comment
સાચી દોલત, – શ્રીરામ શર્મા આચાર્ય
ધનનો સદુપયોગ કરવા માટે તથા સુખ અને સંતોષ અપાવે તેવાં કામોમાં વાપરવાં માટે સંગ્રહ કરવો જોઈએ. પરંતુ ધનસંગ્રહ કરવાની લાલસા જ્યારે તૃષ્ણાનું રૂપ ધારણ કરે છે ત્યારે તે ધર્મ-અધર્મનો ખ્યાલ કર્યા વગર પૈસા લેવાં માંડે છે અને જરૂરિયાતોની ઉપેક્ષા કરીને કંજૂસાઈ કરવા લાગે છે. જ્યારે મનુષ્ય આવું કરવા લાગે છે ત્યારે તેનું ધન ધૂળ બરાબર બની જાય છે. એવું પણ બને છે કે કોઈક માનવી ધનવાન તો બની જાય છે, પણ તેનામાં મનુષ્યતા માટેના જરૂરી ગુણોનો વિકાસ થતો નથી, પરંતુ તેનું ચરિત્ર અત્યાચારી, બેઈમાન અને લંપટો જેવું બની જાય છે. જો ધનના સંગ્રહની સાથેસાથે સવૃત્તિઓનો વિકાસ ન થાય તો સમજવું કે ધન એકઠું કર્યું તે વ્યર્થ ગયું. તેને ધનને સાધન સમજવાને બદલે સાધ્ય સમજી લીધું. ધનનો ગુણ છે ઉદારતા વિકસાવવી અને હૃદયને વિશાળ બનાવવું. કંજૂસાઈ અને બેઈમાનીના ભાવથી એકઠું કરેલું ધન માત્ર દુઃખદાયક જ સાબિત થશે.
જેમનું હૃદય ખોટી ભાવનાથી ક્લુષિત થયેલું હોય, તેઓ કદાચ કંજૂસી કરીને થોડું ઘણું ધન ભેગું કરી લે તો પણ તે તેમને સુખ પહોંચાડવાને બદલે દુઃખદાયક જ નીવડશે. એવા ધનવાનોને હું તો ભીખારી કહીને જ બોલાવીશ કારણ કે પૈસાથી જે શારીરિક અને માનસિક સગવડો મળી શકે છે તે તેમને મળતી નથી પણ ઉપરથી તેને સાચવી રાખવાનું જોખમ ઊઠાવવું પડે છે. જે મનુષ્ય પોતાના આરામ માટે, સ્ત્રીના સ્વાસ્થ્ય માટે, બાળકોના શિક્ષણ માટે એક દમડી પણ ખર્ચવા તૈયાર નથી તેને કોણ ધનવાન કહેશે ? બીજાઓનાં દુઃખોને પથ્થરની જેમ જોતો રહે છે, પણ જો કોઈ શુભ કાર્ય માટે કંઈક આપવાનું કહેવામાં આવે તો તેના પ્રાણ નીકળી જાય, એવા અભાગિયા, મખ્ખીચૂસને ક્યારેય ધનવાન કહી શકાય નહીં. આવા લોકો પાસે બહું જ સીમિત માત્રામાં પૈસા ભેગા થઈ શકે છે, કારણ કે આવા લોકો ફક્ત વ્યાજ કમાવાની જ હિમ્મત કરી શકે છે. જે ધંધામાં મોટા પ્રમાણમાં પૈસા કમાઈ શકાય છે, તેમાં જોખમ પણ એટલું જ રહેલું છે. કંજૂસને પોતાના પૈસા ડૂબી જવાનો ભય છે. તેથી તે કોઈ ધંધામાં લગાડવાને બદલે પોતાની છાતી સાથે જકડી રાખે છે. આ કારણોથી કંજૂસ સ્વભાવવાળો મનુષ્ય મોટો ધનવાન બની શકતો નથી.
તૃષ્ણાનો ક્યાંય અંત નથી, વાસના છાયા સમાન છે. આજ સુધી તેને કોઈ પકડી શક્યું નથી. મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો જ નથી, પણ એથીયે કંઈક વિશેષ છે. પોમ્પાઈ નગરનાં ખંડેરો ખોદતાં એક એવું હાડપિંજર મળ્યું, જેના હાથમાં એક સોનાનો ટૂકડો ખૂબ જોરથી પકડેલો હતો. સમજાય છે કે મરતી વખતે તેને સૌથી વધારે વહાલું સોનું લાગ્યું હશે. તેથી તેણે સોનું પોતાના હાથમાં લઈ લીધું હશે. એક વાર એક જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું, તો બધાય માણસો હોડીઓમાં બેસીને પોતાનો જીવ બતાવવા નાસવા લાગ્યા, ત્યારે એક માણસ ડૂબતા જહાજના ખજાનામાં જઈને સોનું ભેગું કરવા લાગ્યો. સાથી માણસોએ તેને નાસી જવાનું કહ્યું પણ તે તો પોતાની ધૂનમાં જ મસ્ત હતો. જહાજની સાથે તે પણ ડૂબીને મરી ગયો. એક માણસે તપ કર્યું. ભગવાન શંકર પ્રસન્ન થયા. એક થેલી વરદાનમાં આપી. આ થેલી એવી હતી કે, તેમાંથી વારંવાર કાઢવા છતાં એક રૂપિયો તેમાં કાયમ રહેતો. ભગવાન શંકરે એ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ થેલીનો નાશ ન કરે ત્યાં સુધી તેમાંથી નીકળેલો એક પણ પૈસો વાપરી શકશે નહીં. પેલો ગરીબ આદમી થેલીમાંથી વારંવાર રૂપિયો બહાર કાઢતો જ રહ્યો. જમ જેમ રૂપિયા નીકળતા ગયા તેમ તેમ તેની તૃષ્ણા વધતી જ રહી. પછી તો વારંવાર તેમાંથી રૂપિયો કાઢતો જ રહ્યો. અને અંતે કાઢતાં કાઢતાં જ તે મૃત્યુ પામ્યો. એક પણ રૂપિયો ઉપયોગમાં ન લઈ શક્યો. એક વાર અક ભિખારીને લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, તારે જેટલા પૈસા જોઈએ તેટલા લઈ લે, પણ શરત એ કે એક પણ પૈસો જમીન પર પડવો જોઈએ નહીં. જો જમીન પર પડશે તો બધા જ પૈસા માટી થઈ જશે. ભિખારી પોતાની થેલીમાં દાબી દાબીને રૂપિયા ભરવા લાગ્યો. એટલા બધા રૂપિયા ભર્યા કે થેલી ફાટી ગઈ અને પૈસા જમીન પર પડી માટી થઈ ગયા. મહંમદ ઘોરી જ્યારે મરવા પડ્યો, ત્યારે તેનો સમગ્ર અજાનો આંખો સમક્ષ મૂકાવ્યો. તે આંખો ફાડી ફાડીને તે ખજાના તરફ જોઈ રહ્યો હતો. આંખોમાં આંસુઓની ધારા હતી. તૃષ્ણાથી પીડાતો કંજૂસ માણસ ભિખારીથી જરાય આગળ નથી, પછી ભલેને તેમની તિજોરીઓ સોનાથી ભરેલી કેમ ન હોય !
સાચી દોલતનો અર્થ છે આત્માને દિવ્ય ગુણોથી સંપન્ન કરવો. સાચું માનો તો હૃદયની સપ્રવૃત્તિઓની બહાર ક્યાંય સુખ શાંતિ નથી. ભ્રમવશાત્ ભલેને આપણે બાહ્ય પરિસ્થિતિમાં સુખ શોધ્યા કરતા હોઈએ. કેટલીકવાર કેટલાક નીચ અને નકામા માણસો અનાયાસે જ ધનવાન બની જતા હોય છે, પણ વાસ્તવમાં તે ધનપતિ નથી, તેઓ વધુને વધુ ગરીબી ભોગવી રહ્યા છે.તેમનું ધન અસ્થિર છે, બેકાર છે. તે ધન મોટા ભાગે તો તેમના માટે દુઃખદાયી જ છે. દુર્ગુણી ધનવાન એક ભિખારીથી વધીને કશું જ નથી. મરતાં સુધી જો ધનવાન રહ્યો હોય તો લોકો કહે છે તે ભાગ્યશાળી હતો. પણ મારા મતે તે અભાગિયો છે કારણ કે આગલા જન્મમાં તો તે પોતાના પાપોનું ફળ ભોગવશે જ, પણ અત્યારે તે ન તો ધન ભોગવી શક્યો કે ન સાથે લઈ જઈ ન શક્યો. જેના હૃદયમાં સપ્રવૃત્તિઓનો વાસ છે તે જ સૌથી મોટો ધનવાન છે; પછી ભલેને બહારથી તે ગરીબીમાં જીવન જીવતો હોય ! સદ્ગુણીનું સુખી બનવું ચોક્કસ છે. સમૃદ્ધિ તેના સ્વાગત માટે દરવાજા ખોલીને તૈયાર ઊભી છે. જો તમે સ્થાયી રહેનાર સંપત્તિ ઈચ્છતા હો તો ધર્માત્મા બનો, લાલચમાં આવીને અધિક પૈસા એકઠા કરવા એ તો દુષ્કર્મ છે, કંગાલિયતનો માર્ગ છે. સાવધાન બની જાઓ. લાલચમાં આવીને સોનું કમાવા તો જાઓ પણ બદલામાં ધૂળ જ હાથમાં આવશે.
એડિસને એક જગ્યાએ લખ્યું છે કે, દેવતાઓ જયારે મનુષ્ય જાતિ પર કૃપા કરે છે, ત્યારે તૂફાન અને દુર્ઘટનાઓ પેદા કરે છે. આના કારણે લોકોનું પૌરુષત્ત્વ જાગૃત બને છે અને પોતાના વિકાસનો માર્ગ મોકળો બને છે. કોઈ પથ્થર ત્યાં સુધી સુંદર મૂર્તિનું સ્વરૂપ ધારણ નથી કરતો, જ્યાં સુધી તે છીણી અને હથોડીનો માર સહન ન કરે. એડમંડ વર્ક કહેતા, “કઠીનાઈ વ્યાયામશાળાના એ પહેલવાનનું નામ છે, જે પોતાના શિષ્યોને પહેલવાન બનાવવા ખૂદ તેમની સાથે લડે છે અને પટકી પટકીને એવા તો મજબૂત બનાવે છે કે, તેઓ બીજા પહેલવાનને પટકી શકે.” જહોન બાનથન ભગવાનને પ્રાર્થના કર્યા કરતા કે, “હે ભગવાન ! ભને વધારે દુ:ખ આપો, જેથી હું વધારે સુખ ભોગવી શકું.” જે વૃક્ષો, પથ્થર અને પર્વતાળ જમીનમાં ઉગે છે અને જીવતા રહેવા માટે શરદી, ગરમી, આંધી-તૂફાન વગેરે સાથે સદાય લડતાં રહે છે તે, બીજાં વૃક્ષોની સરખામણીમાં વધુ મજબૂત અને દીર્ઘજીવી હોય છે. જેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, તેઓ જીવનભર કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરી શકતો નથી. એક તત્ત્વજ્ઞાની કહ્યા કરતો હતો કે મહાપુરુષો દુઃખના ઝૂલણામાં ઝૂલે છે અને વિપત્તિઓનું ઓશિકું વાપરે છે. તકલીફોનો અગ્નિ આપણાં હાડકાંને પોલાદ જેવા મજબૂત બનાવી દે છે. એક વાર એક યુવકે એક અધ્યાપકને પૂછયું, “ શું હું એક દિવસ મહાન ચિત્રકાર બની શકીશ ?” અધ્યાપકે કહ્યું, “નહીં !” પેલાએ કહ્યું “કારણ !” અધ્યાપકે જવાબ આપતાં કહ્યું કે, “તારી પૈતૃક આવકમાંગી તને ઘેર બેઠાં વગર મહેનત કર્યે માસિક હજાર રૂપિયા મળી જાય છે.” પૈસાની બોલબાલામાં માનવીને પોતાના કર્તવ્યપથ દેખાતો નથી અને રસ્તો ભૂલીને તે ક્યાંયનો ક્યાંય જતો રહે છે. લોખંડને વારંવાર ગરમ કર્યા પછી જ કીંમતી ઓજારો મેળવી શકાય છે. હથિયારો તીક્ષ્ણ ત્યારે જ બને છે જ્યારે વારંવાર પથ્થર પર ઘસવામાં આવે છે. સરણપર ચડ્યા વિના હિરામાં ચમક આવતી નથી. ચુમ્બક પથ્થરને વારંવાર ઘસવામાં ન આવે તો તેની અંદર પડેલી ચૂંબકીય શક્તિ સૂષુપ્ત જ પડી રહે છે. ભગવાને મનુષ્યને ઘણી બધી કીમતી વસ્તુઓ આપી છે. આમાં સૌથી મહત્ત્વની છે, મુસીબતો, ગરીબી, આપત્તિ અને અગવડો, કારણ કે અના લીધે જ મનુષ્યને પોતાના ગુણોનો સર્વોત્તમ વિકાસ કરવાનો અવસર મળતો હોય છે. કદાચ ભગવાને દરેક મનુષ્યનાં બધાં જ કામ સરળ બનાવી દીધાં હોય તો આપણે ક્યારનાય આળસુ બનીને મરી ગયા હોત.
જો તમે ગેરરીતિ કરીને લાખો રૂપિયા ભેગા કર્યા હોય તો તેમાં કોઈ મોટું કામ કર્યું નથી. ગરીબોનું લોહી ચૂસીને પોતાનું પેટ વધારી દીધું તો શું તે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરી કહેવાય ? તમારા ધનવાન બનવાથી અનેક વ્યક્તિઓ ગરીબ બની રહ્યા હોય, તમારા વેપારથી અનેકોનાં જીવન પતિત બની રહ્યાં હોય અનેકની સુખશાંતિ નષ્ટ થઈ રહી હોય તો એવી અમીરી પર શરમ છે શરમ !! યાદ રાખજો ! એક દિવસ તમને પૂછવામાં આવશે કે ધન કેવી રીતે મેળવ્યું અને કેવી રીતે વાપર્યું છે ? યાદ રાખજો. એક દિવસ ન્યાયના પાંજરામાં ઊભા રહેવું પડશે અને તે વખતે કરેલી ભૂલો પર પસ્તાવું પડશે. એ વખતે તમે અત્યારે છો તે કરતાં વિપરિત જ સાબિત થશો.
તમને નવાઈ લાગશે કે શું પૈસા વગર પણ કોઈ ધનવાન થઈ શકે છે ? પરંતુ સાચુ માનો આ સંસારમાં એવા અનેક મનુષ્યો છે કે જેમના ખિસ્સામાં એક પૈસોય નથી, અરે જેમને ખિસ્સાં પણ નથી છતાં તેઓ ધનવાન છે. અરે ફક્ત ધનવાન નહીં, એટલા મોટા ધનવાન કે જેમની કોઈ બરોબરી પણ ન કરી શકે જેમનું શરીર સ્વસ્થ હોય, હૃદય અને મન પવિત્ર હોય, વાસ્તવમાં તેજ ખરો ધનવાન છે. સ્વસ્થ શરીર ચાંદીથીયે કીમતી છે, ઉદાર શરીર સોનાથી પણ મૂલ્યવાન છે અને પવિત્ર મન રત્નો કરતાં પણ વધુ કીમતી છે. લોર્ડ કાર્લિંગઉસ કહેતા હતા, “બીજાઓને ધન ઉપર મરવા દો, હું તો વગર પૈસાનો અમીર છું કારણ કે હું જે કંઈ કમાઉં છું, તે ઈમાનદારીપૂર્વક કમાઉ છું.” મહાન તત્ત્વચિંતક સીસરોએ કહ્યું છે, “મારી પાસે ઈમાનદારીથી કમાયેલા થોડા પૈસા છે, પરંતુ તે મને કરોડપતિ કરતાંય વધુ આનંદ આપે છે.” દધિચી, વશિષ્ટ, વ્યાસ, વાલ્મીકિ, તુલસીદાસ, સૂરદાસ, રામદાસ, કબીર વગેરે પૈસા વિનાના ધનવાનો હતા. તેઓ જાણતા હતા કે માનવીનું બધું જ જરૂરી ભોજન મુખ માટે જ શરીરમાં જતું નથી અને નથી મનુષ્યના જીવનને આનંદમય બનાવનાર વસ્તુઓ ખરીદી શકાતી. ભગવાને જીવનરૂપી પુસ્તકના દરેક પાને અમૂલ્ય રહસ્યો છાપેલાં છે. જો આપણે ઈચ્છીએ તો આપણે તેને ઓળખીને જીવનને પ્રકાશપૂર્ણ બનાવી શકીએ. એક વિશાળ હૃદય અને ઉચ્ચ આત્માવાળો મનુષ્ય ઝૂંપડીમાં પણ રત્નનો પ્રકાશ પેદા કરી દે છે. જે સદાચારી છે અને પરોપકારમાં પ્રવૃત્ત છે, તે આલોક અને પરલોક બંનેમાં ધનવાન છે. . પછી ભલેને તેની પાસે ધનનો અભાવ હોય. જો તમે વિનયશીલ, પ્રેમી, નિઃસ્વાર્થ અને પવિત્ર છો તો વિશ્વાસ કરો કે તમે અનંત ધનભંડારના સ્વામી છો.
જેની પાસે પૈસા નથી તે ગરીબ કહેવાશે, પણ જેની પાસે માત્ર પૈસા છે, તે એનાથીયે વધારે કંગાળ છે. શું તમે સબુદ્ધિ અને સદ્ગુણોને ધન નથી માનતા ? અષ્ટાવક્ર આઠ જગ્યાએથી વાંકા હતા અને ગરીબ હતા, પરંતુ જ્યારે જનકની સભામાં જઈને પોતાના ગુણોનો પરિચય કરાવ્યો તો રાજા જનક પણ તેમના શિષ્ય બની ગયા. દ્રોણાચાર્ય જ્યારે ધૃતરાષ્ટ્રના દરબારમાં ગયા ત્યારે તેમના શરીર પર પહેરવાને કપડાંય ન હતાં. પરંતુ તેમના ગુણોને તેમને રાજકુમારોનું સ્વમાનપૂર્ણ ગુરુપદ અપાવ્યું. મહાત્મા ડાયોજનીજની પાસે જઈને દિગ્વિજી સિકંદરે નિવેદન કર્યું, “મહાત્મા ! આપના માટે ક્યો ઉપહાર લાવું ?” તેમને જવાબ આપ્યો, “મારો તડકો મત રોક, એક બાજુ ઊભો રહે. જે વસ્તુ તું નથી આપી શકતો, તે લઈ મત લે.” આ સાંભળી સિકંદરે કહ્યું, ‘“જો હું સિકંદર ન હોત તો ડાયોજનીજ બનવાનું પસંદ કરતો.”
ગુરુ ગોવિંદસિંહ, વીર હકીકત રાય, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ વગેરેએ ધન માટે પોતાના જીવનનો ઉપયોગ કર્યો નહીં. માનનીય ગોખલેજીને એક વાર એક સાધનસંપન્ન વ્યક્તિએ પૂછ્યું, “આપ આટલા મોટા રાજનીતિજ્ઞ હોવા છતાંય ગરીબાઈમાં કેમ જીવો છો ?’’ એમણે જવાબ આપ્યો, “મારે માટે આટલું પણ ઘણું છે. પૈસા ભેગા કરવા માટે જીવન જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુનો મોટો ભાગ નષ્ટ કરી દેવો તેમાં મને તો જરાય બુદ્ધિમત્તા જણાતી નથી.”
ફેંકલિનને એક વાર તેનો ધનવાન મિત્ર એ પૂછવા ગયોકે તે તેનું ધન ક્યા રાખે ?” તેમણે જવાબ આપ્યો, “ તમે તમારી થેલીઓને તમારા માથામાં ઠાલવી દો, જેથી કોઈ એને ચોરી શકશે નહીં.”
તત્ત્વજ્ઞાનીઓનું કહેવું છે કે, “એ ઐશ્વર્યની ઈચ્છા કરનારાઓ ! તમારા તુચ્છ સ્વાર્થને સડેલા અને ફાટેલા ઝભ્ભાની જેમ ઉતારીને ફેંકી દો. પ્રેમ અને પવિત્રતાનાં નવાં વસ્ત્રો ધારણ કરી લો. રોવું, કકળવું, ગભરાવું અને નિરાશ થવાનું છોડી દો. તમારી અંદર વિપુલ સંપત્તિ ભરેલી પડી છે. ધનવાન બનવું હોય તેની ચાવી બાહર નહીં અંદર શોધો. ધન બીજું કશું જ નથી, સદ્ગુણોનું એક નાનકડું પ્રદર્શન છે. લાલચ, ક્રોધ, ઘૃણા, દ્વેષ, છળકપટ અને ઈન્દ્રિયાદિ લાલચોને છોડી દો. પ્રેમ, પવિત્રતા, સજ્જનતા, નમ્રતા, દયાળુપણું, ધીરજ અને પ્રસન્નતા આ બધાંથી તમારા મનને ભરી લો. બસ, પછી ગરીબાઈ તમારે બારણેથી નાઠી સમજો. નિર્બળતા અને દીનતાનાં દર્શન ક્યારેય નહીં થાય. અંદ૨થી એક એવી અગમ્ય અને સર્વ વિજય શક્તિનો આવિર્ભાવ થશે કે જેનો વિશાળ વૈભવ દૂર દૂર સુધી પ્રકાશિત થઈ જશે.
પ્રતિભાવો