૪. ઈશ્વરવાદની વ્યાખ્યા અને વાસ્તવિકતા GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

ઈશ્વરવાદની વ્યાખ્યા અને વાસ્તવિકતા

જો કે ઈશ્વર સંસારનો મૂળ આધાર છે અને સૃષ્ટિના આરંભથી બધા મનુષ્યો કોઈને કોઈ રૂપે એને માનતા આવ્યા છે, તો પણ વિદ્વાનોમાં આ બાબતે ઘણો મતભેદ છે. ખાસ કરીને દાર્શનિક વિદ્વાનો તો કેવળ એ જ વાતનો સ્વીકાર કરે છે, જે તર્કસંગત હોય. આ દષ્ટિએ ઈશ્વરવાદના સિદ્ધાંતની વિસ્તારથી વ્યાખ્યા કરવી આવશ્યક છે. વૈદીક ઈશ્વરવાદનું વિશ્લેષણ કરતાં આપણે એમાં નીચેનાં તત્ત્વોનો સમાવેશ જોઈએ છીએ.

(૧) ઈશ્વર આપણાં ગુપ્ત કાર્યો અને વિચારોને પણ જાણે છે. એ ખૂબ બળવાળો છે.

(ર) ઈશ્વર પ્રસન્ન થવાથી ભૌતિક સુખસામગ્રી અને પરલોકમાં સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે.

(૩) તે નારાજ થવાથી દૈવિક, દૈહિક અને ભૌતિક કષ્ટ આપે છે.

(૪) ધાર્મિકતા અને ઉપાસનાથી એ પ્રસન્ન થાય છે. પાપી અને નાસ્તિક પર અપ્રસન્ન રહે છે. આ ચાર ધારણાઓની આસપાસ જ અનેકાનેક મંત્ર, સૂત્ર તથા શ્લોક ચક્કર લગાવે છે. અર્થાત્ વિવિધ પ્રકારે આ ચાર  વાતોનું પ્રતિપાદન કરતો ઉપદેશ આપે છે. હવે આપણે વિચારવું જોઈએ કે કેવી બુદ્ધિમત્તાપૂર્વક માનસિક શાસન કરવાની આ વ્યવસ્થા છે. ઈશ્વર સર્વવ્યાપક હોવાથી આપણાં બધાં કાર્યોને જુએ છે એ શાસનની અત્યંત વ્યાપકતા માટે છે. એવું જોવા મળે છે કે પોલીસ સ્ટેશન પાસે ચોર ઉપદ્રવ કરતા નથી, પરંતુ જયાં પોલીસની પહોંચ ઓછી અને દૂર હોય છે ત્યાં ચોરી લૂંટ વધુ હોય છે. ભરચક રસ્તાઓ પર લૂંટ નથી થઈ શકતી, પરંતુ નિર્જન સ્થાનોમાં લૂંટારાની બીક વધુ રહે છે. પ્રકાશ કરતાં અંધકારમાં અપરાધ વધુ બને છે. આથી પ્રતીત થાય છે કે દુષ્ટતા ભરેલા કામની અધિકતા તેમજ ન્યૂનતાનો આધાર એ વાત પર છે કે ચોરને કોઈ જુએ છે કે નહિ? જેનાર પહેલવાન છે કે નહિ? વાંદરો નાના બાળકને નબળું સમજી એના હાથમાંથી રોટલી છીનવીને લઈ જાય છે, પરંતુ મોટા માણસ પાસે જવાની તેની હિંમત થતી નથી, કેમકે વાંદરો જાણે છે કે બળવાન માણસ એમ રોટલી છીનવવા દેશે નહિ અને દંડાથી હાડકાં પાંસળાં ખોખરાં કરી નાખશે. ઈશ્વર અનંત બળવાળો છે, સર્વવ્યાપક છે અને પાપથી અપ્રસન્ન થાય છે. એનો અર્થ બીજા શબ્દોમાં એ થઈ શકે કે કોઈ હાથી જેવા બળવાળો પોલીસનો છૂપો સિપાહી હાથમાં બંદૂક અને હાથકડી લઈને અદૃશ્ય રૂપે આપણી ઉપર નજર રાખવા દરેક વખતે માથા પર ઊડતો રહે છે. આ વિશ્વાસ જેટલો વધુ સાચો, સ્પષ્ટ અને બળવાન હોય છે. એટલો જ મનુષ્ય ધર્મપ્રિય બની જાય છે. ઉપર્યુક્ત વિશ્વાસ જેટલો સંશયાત્મક, અસ્પષ્ટ અને ધૂંધળો હોય છે એટલી જ સ્વછંદતા અને દાંભિકતા વધી જાય છે. અપરાધી મનોવૃત્તિ એટલી જ માત્રામાં વધી જાય છે. ઈશ્વરનું શાસન નથી, કે સંદેહાત્મક છે કે નિર્બળ છે એવી માન્યતા વધવાથી માનસિક અરાજકતા ફેલાય છે. જ્યારે બળવો થાય છે ત્યારે ઉપદ્રવી લોકો સ્વાર્થ સાધે છે, કેમકે એમને વિશ્વાસ હોય છે કે રાજ્યસત્તા નષ્ટ અથવા નિર્બળ થઈ ગઈ છે. એ આપણને દંડ આપી શકે તેમ નથી. આપણે જોઈએ છીએ કે ઈશ્વર ભક્ત કહેવાતા લોકો પણ મોટાં પાપ કરે છે. એનું મનોવૈજ્ઞાનિક પ્રયોજન એ છે કે પાખંડની જેમ લોકોને ભુલાવામાં નાખવા, સસ્તી વાહવાહ લૂંટવા માટે એ લાંબાં પહોળા તિલક કરે છે, માળા ધારણ કરે છે, રામધૂન કરે છે, પરંતુ માનસિક ભૂમિકામાં ઈશ્વરની અત્યંત ધંધળી સત્તા ધારણ કરી રાખે છે. ઉપરની પંક્તિઓમાં અદેશ્યરૂપે ચોકીદારી કરતા માથા પર ઊડનારા પોલીસમૅનની જેમ જે કલ્પનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ ચિત્ર તો એમના મનમાં બહુ ધૂંધળું હોય છે. એટલે માનસિક અરાજકતાના અંધારાંમાં એમની પશુવૃત્તિઓ મનમાન્યું કરતી રહે છે.


ઈશ્વરવાદનો એ પ્રથમ સિદ્ધાંત જ આધારભૂત છે. એવી ઘડિયાળ શા કામની જેમાં કાંટા ન હોય! તળિયા વગરનો લોટો ભલા કોની તરસ છીપાવી શકે ? વેદના જેટલા મંત્રોમાં ઈશ્વર સંબંધી વર્ણન છે, એમાંના મોટા ભાગનામાં ઈશ્વરની મહાનતા સૂચક ગુણોનું ગાન છે. એ ગુણોમાં પણ સર્વવ્યાપકતા, બળ અને શાલીનતાનો ઉલ્લેખ વધુ કરવામાં આવ્યો છે. પ્રયોજન એ છે કે મનુષ્યોના મસ્તકમાં એ ચિત્ર ખૂબજ સ્પષ્ટ અને સુદઢ બની જાય કે એ અનંત બળવાળો, શંખ, ચક્ર, ગદા જેવાં કઠોર દંડ શાસ્ત્રોથી સુસજ્જ ઈશ્વર, પાપ પ્રત્યે સખત નફરત કરે છે અને આપણી ચોકી માટે અદૃશ્ય રૂપે હરઘડી સાથે રહે છે. જેના મનમાં આ કલ્પના ચિત્ર જેટલું વધુ ઘેરું અને શ્રદ્ધા તથા વિશ્વાસયુક્ત છે, એ એટલો જ મોટો આસ્તિક છે. જેના અંત:કરણમાં એ વિશ્વાસ જેટલો નિર્બળ છે, એ એટલો જ નાસ્તિક છે.


ચાર સિદ્ધાંતોમાં ઉપર કહેલો સર્વવ્યાપકતાનો સિદ્ધાંત મુખ્ય છે. બાકીના ત્રણ એની પૂર્તિ માટે છે. પ્રસન્ન પ્રલોભનનું તત્ત્વ તેમાં મોજૂદ છે, જે પશુ સ્વભાવને લલચાવવા માટે આવશ્યક છે. ધર્મગ્રંથોનો બહુ મોટો અંશ “માહાત્મ્ય’ના વર્ણનમાં લખેલો છે ગંગાસ્નાનથી પાપ ધોવાઈ જય છે, સત્યનારાયણની કથા સાંભળવાથી ધન પ્રાપ્ત થાય છે. શંકરજી આશુતોષ છે. એ ખુશ થઈ જાય તો માલામાલ કરી દે છે. હનુમાનજી રોગ, ભૂત તથા પિશાચોને મારી ભગાવે છે. તુલસી પૂજનથી દીકરીને સારો વર તેમજ છોકરાને ઢીંગલી જેવી વહુ મળે છે. બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી સંતાન થાય છે. પ્રત્યેક તીર્થનું, વ્રત ઉપવાસનું પુસ્તક સાંભળવાનું, વાંચવાનું, સત્સંગનું ફળ નાના કે મોટા બધા હિંદુ ધર્મના ઉત્તમ ગ્રંથોમાં મોટા ભાગનાં લખાણમાં માહાત્મ્યના વર્ણન રૂપે જોવા મળે છે. જે મનુષ્યના પશુ સ્વભાવને લલચાવવા માટે છે. બળદને ઘાસનાં તણખલાં દેખાડતાં આગળ ચાલો તો એ તમારી પાછળ પાછળ ચાલ્યો આવશે. સંકીર્ણ મનોચેતનાવાળાઓ માટે પ્રલોભન આવશ્યક સમજીને માહાત્મ્યનો ઉલ્લેખ કરવાનું ધર્માચાર્યો માટે અત્યંત આવશ્યક હતું, એના વિના એ કાર્ય આગળ ન વધત અને ગાડી અટકી પડત. ઈશ્વરની બાબતમાં પણ એમને આ નીતિનો આધાર લેવો પડ્યો.


– તાર્કિક લોકો એવું કહેતા જોવા મળે છે કે ભજનનું કશું માહાત્મ્ય નથી. ભજન કરનારાઓને એવો કોઈ લાભ નથી મળતો, જે ભજન ન કરનારાને ન મળતો હોય. જો મળતો હોય તો એનું કારણ એમનાં કર્તવ્ય છે, ભજન નહીં. એવા મહાનુભાવોને અમારું નિવેદન છે કે તેઓ દરેક વાતમાં તર્ક ન કરે. દૂધ પીવાથી ચોટલી વધશે” એવો ઉપદેશ માતાઓ પોતાનાં બાળકોને વધુ દૂધ પિવડાવવા કરે છે. “અમુક કામ કરી લાવીશ તો તું રાજનો દીકરો થઈ જશે.” એવા એવા પ્રલોભનો દ્વારા માતાઓ પોતાનાં બાળકોને આજ્ઞાંકિત બનાવે છે. જો માતાઓ આ માર્ગ છોડીને વધુ દૂધ પિવડાવવા માટે બાળકોને સમજાવે કે “દૂધમાં સારાં વિટામિન, કૅલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે એવા તત્ત્વો છે, જે રક્તના શ્વેતકણોની વૃદ્ધિ કરે છે” તો ઉપદેશ સત્ય હોવા છતાં નિરર્થક બનશે, આજ્ઞાંકિત બનાવવા માટે જો માતા તેને રાજાનો દીકરો બનાવવાનું પ્રલોભન છોડી દે અને મનુસ્મૃતિના શ્લોક બોલીને ધર્મોપદેશ સંભળાવે તેમજ બાળકોને અલ્પજ્ઞ હોવાને કારણે માતાની આજ્ઞા માનવાથી વધુ માનસિક વિકાસ થાય છે એવો ઉપદેશ આપે તો એ નિરર્થક બનશે, તર્ક કરનાર કરી શકશે કે માતા ખોટું બોલે છે. ચોટલી વધારવાનું અને રાજાના દીકરા હોવાનું પ્રલોભન અસત્ય છે, પરંતુ એટલું કહેવાથી જ કામ ચાલશે નહિ. એમણે વાસ્તવિકતાના ઊંડાણ સુધી પહોંચવું પડશે. નાનાં બાળકોના અવિકસિત માનસને લોભ સિવાય કોઈ બીજી રીતે પ્રભાવિત કરી શકાશે નહિ. આ રીતે ધર્માચાર્યોએ પણ ધર્મમાર્ગમાં બાળકબુદ્ધિ, અલ્પજ્ઞાન ધરાવનાર માટે વિવિધ પ્રલોભનોથી યુક્ત માહાસ્યની રચના કરી. બીજો કોઈ માર્ગ એમની પાસે ન હતો. આ રીતે ઈશ્વરની કૃપાથી ભૌતિક સુખ સંપત્તિ તેમજ સ્વર્ગ-મોક્ષ પ્રાપ્ત થવાનું પ્રલોભન રાખવામાં આવ્યું છે, જે કોઈ રીતે અયોગ્ય નથી, કર્મ કરવાથી જ સુખ મળી શકે છે. આવી માન્યતા રાખનારાઓ સામે અમારો કોઈ વિરોધ નથી. શાસ્ત્રમાં ઈશ્વર શબ્દના ઘણા અર્થ બતાવાયા છે. ક્યાંક ક્યાંક એનો અર્થ કર્મ પણ થાય છે. કર્તવ્યવાદીઓ આ સ્થળે ઈશ્વર શબ્દનો અર્થ કર્મ કરતા હોય તો એમાં કોઈ આપત્તિ નથી.


એના પછી ભયનો ક્રમ આવે છે. ઈશ્વર અપ્રસન્ન થાય તો વિવિધ પ્રકારનો દંડ આપે છે. આ પ્રલોભનવાળા ઉપર્યુક્ત ભાગની બીજી બાજુ છે. કોઈ પણ પદાર્થની બે બાજુ હોય છે. એક ઊજળી તથા બીજી કાળી. બ્રહ્મચર્ય પાળવાથી બળવાન થવાય એ વીર્યરક્ષાની ઊજળી બાજુ છે. વીર્યનાશ કરવાથી રોગગ્રસ્ત બનશો એ આ જ સિદ્ધાંતની કાળી બાજુ છે. વિદ્યા મેળવવાથી કેટલાં સુખ મળશે એ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે એ પણ કહેવામાં આવે છે કે ન ભણવાથી ખૂબ અભાવગ્રસ્ત તેમજ દુઃખી જીવન વિતાવવું પડશે. આ રીતે જયાં ઈશ્વરની પ્રસન્નતાથી સુખ મળવાનું કહેવામાં આવ્યું છે ત્યારે એની બીજી બાજુએ એ પણ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર નારાજ થવાથી દુ:ખ અને કષ્ટ મળે છે. લાભને ઊજળી બાજુ કહેવામાં આવે છે. ભય એની અંધકારપૂર્ણ બાજુ છે. લોભથી પણ આગળ ન વધનારા પશુ સ્વભાવવાળાઓ માટે અંતિમ માર્ગ ભય જ બચે છે. ધર્મની આજ્ઞા પ્રમાણે ન ચાલવાથી ઈશ્વર વિવિધ પ્રકારની આધિ વ્યાધિઓથી વ્યથિત કરી નાખે છે. આ ભાવના અધર્મ માર્ગે જતાં રોકે છે. જો વિશ્વાસ દૃઢ થઈ જાય તો નિઃસંદેહ જીવનની બધી ક્રિયાઓ એને અનુકૂળ થવા લાગે છે. પાણીમાં ડૂબવાથી મૃત્યુ થાય છે, આ વિશ્વાસ સદૈવ ઊંડા પાણીમાં જવા સામે સાવધાન કરતો રહે છે. પ્રત્યક્ષરૂપે ડૂબીને મરવાનો ભલે આપણને જીવનભર અનુભવ ન થયો હોય, પરંતુ વિશ્વાસ અનુભવ કરતાં વધારે પ્રબળ હોય છે. અનુભવને ભૂલી જઈ શકાય, પરંતુ એ વિશ્વાસનું વિસ્મરણ નથી થતું. ભૂતોનો વિશ્વાસ મોટે ભાગે કલ્પિત હોય છે, પરંતુ એ અંધવિશ્વાસથી અનેક વ્યક્તિઓ સુખ-દુ:ખનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. કેટલાક તો એમાં જ ગૂંચવાઈને મરી પણ જાય છે. નિઃસંદેહ વિશ્વાસ ઘણી પ્રબળ શક્તિ છે. ઈશ્વર પાપનો દંડ આપે છે એ વાત જો નિશ્ચિત થઈmય, તો બંદૂકોના પહેરામાં હાથકડી પહેરાવેલો કેદી જેમ ભલમનસાઈથી ચાલે છે એવું જ આચરણ ઈશ્વરવાદીને કરવું પડશે.
ચોથું તત્ત્વ એ છે કે ધર્માચરણ અને ઉપાસનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. એનાથી વિપરીત કરવાથી અપ્રસન્ન. ધર્માચરણની વાત અમે ઉપર્યુક્ત પંક્તિઓમાં વિસ્તારપૂર્વક સમજાવી ચૂક્યા છીએ કે તુચ્છ સ્વાર્થથી, પશુવૃત્તિથી સામાજિક જીવન તરફ વધવા માટે ધર્મનું સઘળું વિધાન છે અને એ વિધાનની રક્ષા માટે ઈશ્વરીય શાસનની સ્થાપના છે. એટલે એ વાત તો સમજાય છે કે ધર્માચરણથી ઈશ્વર પ્રસન્ન થાય છે, પરંતુ ઉપાસનાથી પ્રસન્ન અને નિંદાથી અપ્રસન્ન થવાની વાત સામે આવે ત્યારે ભારે સંદેહ ઊભો થાય છે, કેમકે એનાથી તો ઈશ્વર પણ ખુશામત પસંદ, પક્ષપાતી નવાબના જેવી પ્રકૃતિવાળો સાબિત થાય છે. એની અલિપ્તતા, સમદર્શીપણું તથા નિઃસ્પૃહતા ઉપર સ્પષ્ટ આક્ષેપ આવે છે અને એ પણ સાધારણ મનોવિકારી મનુષ્યની સીમામાં આવી જાય છે. આ સંદેહનું સમાધાન કરવા માટે કેવળ શુષ્ક વાદવિવાદથી કામ ચાલશે નહિ, પરંતુ આપણે ઊંડે ઊતરીને એ નિમિત્તને શોધી કાઢવું પડશે, જેના કારણે ઈશ્વરને ઉપાસના પ્રિય સ્વભાવનો માનવામાં આવ્યો છે. ડૉક્ટરોએ પોતાના સંશોધનોને આધારે એ પ્રમાણિત કરી આપ્યું છે કે મૂળ વૃત્તિઓ વિરુદ્ધ જો કોઈ નવો માર્ગ કાઢવો હોય તો એ માટે વારંવાર અને કઠોર પ્રયત્ન દ્વારા નવી ટેવ પાડવી પડે છે. આમ છતાં એ ટેવ એટલી નબળી હોય છે કે થોડા દિવસોમાં જો એના તરફ ઉદાસીનતા દર્શાવવામાં આવે, તો એ દૂર થઈ જાય છે.

એટલાં માટે એવી ટેવોને સુરક્ષિત રાખવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું પડે છે. આ અનાદિ સત્ય વૈદિક ઋષિઓ પણ જાણતા હતા. એમણે વિચાર્યું કે ઈશ્વરીય શાસનની સર્વાંગી વ્યવસ્થા બનાવી દીધા પછી પણ તે પશુવૃત્તિઓની સરખામણીમાં હલકી રહેશે અને જરા પણ ઢીલું મૂકવાથી મુશ્કેલી વધશે. આથી અનેકવાર વિશેષ પ્રેમ તેમજ ભક્તિ સાથે મૂર્તિપૂજાના આધારે ધ્યાનમગ્ન થઈને નિત્ય નૈમિત્તિક કર્મકાંડો દ્વારા ઈશ્વરની પૂજા, ઉપાસના કરતા રહેવાનો આદેશ આપ્યો. પતંગ બનાવી, એમાં દોરી બાંધી હવામાં ઉડાડવામાં આવે પછી દોરી હાથમાંથી છોડી દેવામાં આવે તો બધો પ્રયત્ન નિરર્થક થઈ જાય. જયાં સુધી પતંગને હવામાં ઉડાડવો હોય ત્યાં સુધી દોરી હાથમાં રાખવી જોઈએ. એની ગતિવિધિનું સંચાલન કરવું જોઈએ. લશ્કરના જવાનોને રોજ પરેડ કરવી પડે છે, જેથી એ શિક્ષણને ભૂલી ન જાય, પરંતુ તેનો અભ્યાસ કાયમ રહે. ધર્મની રક્ષા માટે ઈશ્વરનું શાસન બનાવવામાં આવ્યું, પરંતુ નિયમ વિના એ શાસન કેવી રીતે ચાલે?કેમ કે ઈશ્વરવાદ નવું શિક્ષણ છે. જીવ સ્વાર્થની ભાષા જાણે છે, પણ ઈશ્વર વિશે એને મનુષ્ય યોનિમાં જ જ્ઞાન મળે છે. જૂની ટેવોના પ્રમાણમાં નવી ટેવો નબળી હોય છે. જંગલી પોપટ બોર, જાંબુ ખાધા કરે છે, પરંતુ સોનાના પાંજરામાં દ્રાક્ષ ખાવાનું નવું સુખ લેવા માટે પકડાવાનું પસંદ નથી કરતો. પીંજરામાં ઉત્તમ રહેવા- કરવાનું મળે છતાં એ ફરીથી ઊડી જવાનો યત્ન કર્યા કરે છે. પીંજરાના સળિયા સાથે લડતો, ભાગવાનો પ્રયત્ન કરતો નિત્ય જોવા મળે છે. જો પાંજરું નબળું હોય તો સંભવ છે કે પોપટ નવી વ્યવસ્થાને ઠોકર મારીને ઊડી જાય, ભલે પછી એને જંગલમાં કષ્ટ કેમ ન સહેવું પડે. આ દેવાસુર સંગ્રામ મનુષ્યના મનમાં નિત્ય ચાલતો હોય છે. આગળ વધવા અને પાછળ હઠવાની દોરડાબેચ ચાલ્યા કરે છે. ઢીલ પડતાં જ ગોળ ગોબર(છાણ) બની શકે છે. એટલાં માટે ઈશ્વરવાદના આચાર્યોએ એ બાબત પર ખૂબ ભાર મૂક્યો છે કે ઈશ્વરની નિત્ય ઉપાસના કરવી જોઈએ. એ સિવાય ઈશ્વરીય શાસન પર વિશ્વાસ કરવાનો લાભ પ્રાપ્ત નથી થતો. આ લાભ પ્રાપ્ત કરવો તે ઈશ્વરની પ્રસન્નતા તેમજ એ પ્રાપ્ત ન કરવો તે એની અપ્રસન્નતાના અર્થમાં કહેવામાં આવ્યું છે.


આપણે માનીએ છીએ કે ઈશ્વર નિસ્પૃહ છે. એને નિંદા-સ્તુતિની આવશ્યકતા નથી, પરંતુ એ પણ માનવું પડશે કે નિત્ય ઉપાસના કર્યા સિવાય ઈશ્વરીય શાસનનો વિશ્વાસ મનમાં દૃઢ બનાવી રાખવો અઘરો છે. પ્રસન્નતા- અપ્રસન્નતાનો આલંકારિક શબ્દોમાં અહીં એ હેતુથી જ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રસન્ન થવું- સુખ દેવું, અપ્રસન્ન હોવું – દુઃખ દેવું, ઈશ્વરના આ કાર્યક્રમ પર આપણે વાદવિવાદ કરીને યોગ્ય નિર્ણય પર ન પહોંચી શકીએ. જો આજે આપણે આ ભાવાર્થને આમ સમજીએ કે ઈશ્વર ઉપાસનાથી મનુષ્ય પોતાના પશુ સ્વભાવને દબાવી રાખી સુખશાંતિમય જીવન વિતાવી શકે છે, તો એ અર્થ બરાબર શાસ્ત્રકારની આંતરિક ઇચ્છાને અનુકૂળ હશે, માહાત્મ્યનું વર્ણન કરતી વખતે પ્રલોભનોનો સમાવેશ જે દષ્ટિએ થયો છે એ દષ્ટિએ ઉપાસનાથી ઈશ્વર પ્રસન્ન થવાનું અને સુખ આપવાનું વર્ણન છે. મૂળ તાત્પર્ય એટલું જ છે કે ઈશ્વરીય વિશ્વાસને દઢ રાખવાનો નિરંતર અભ્યાસ કરવાનું આવશ્યક છે, જેનાથી ધર્માચરણ માટે આપણા પૂજ્ય પૂર્વજોએ જે ગૂઢ માનસિક રહસ્યોને આધારે ઈશ્વરવાદની મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા બનાવી છે એ સુદઢ અને સુવ્યવસ્થિત રહે.

૩.(૪) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

૩. વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

વિરાટનાં ચાર સ્વરૂપ (૪) ભગવાન
બ્રહ્મની ચોથી શક્તિ ભગવાન છે. ભગવાન ભક્તોના વશમાં હોય છે. ભક્ત જેમ ચાહે તેમ તેમને નચાવે છે. ભક્ત જે રૂપમાં એમનું દર્શન કરવા ઇચ્છે એ જ રૂપમાં પ્રગટ થાય છે અને એમની પાસે જે યાચના કે કામના કરે છે તેને પૂરી કરે છે. ભગવાનની કૃપાથી ભક્તોને મોટા-મોટા લાભ થાય છે, પરંતુ એ વાત પણ યાદ રાખવાની છે કે તે કેવળ ભક્તોને જ લાભ આપે છે. જેમનામાં ભક્તિ નથી એમને ભગવાન પાસેથી કશો લાભ મળી શકતો નથી. અનેક દેવીદેવતા ભગવાનનું જ રૂપ છે. જે દેવતાના રૂપમાં ભગવાનનું ભજન કરવામાં આવે છે એ રૂપમાં એવા જ ફળ ઉપસ્થિત કરતાં ભગવાન પ્રગટ થાય છે.
ભગવાનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આત્માના સશક્ત ક્રિયારૂપને ભગવાન કહે છે. આત્મા અનંત શક્તિઓનો પૂંજ છે. એની જે શક્તિને પ્રદીપ્ત, પ્રચંડ તેમજ પ્રસ્ફુટિત બનાવાય એ શક્તિ એક બળવાન દેવતારૂપે પ્રગટ થાય છે અને કાર્ય કરે છે. કોઈ પાકા ગુંબજવાળા મકાનમાં અવાજ કરવાથી એ મકાન ગૂંજી ઊઠે છે. અવાજનો પ્રતિધ્વનિ ચારે બાજુ બોલવા લાગે છે. રબરના દડાને કોઈ દીવાલ ઉપર ફેંકવામાં આવે તો જેટલા જોરથી એને ફેંકવામાં આવ્યો હોય એટલાં જ જોરથી પાછો આવે છે. આ રીતે અંતરંગ શક્તિઓનું વિશ્વાસના આધારે જ્યારે એકીકરણ કરવામાં આવે છે ત્યારે એનાં આશ્ચર્યજનક પરિણામ ઉત્પન્ન થાય છે.


સૂર્યકિરણોને બહિર્ગોળ કાચ દ્વારા એક બિન્દુ પર એકત્ર કરવામાં આવે તો એટલી ગરમી ઉત્પન્ન થઈ જાય છે કે આગ પ્રગટે છે. માનસિક શક્તિઓને કોઈ ઇષ્ટદેવને કેન્દ્ર માની જે એકત્રિત કરવામાં આવે તો એક સૂક્ષ્મ સજીવ ચેતના ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધા નિર્મિત સજીવ ચેતના જ ભગવાન છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં“ભવાની શંકરો વદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી” શ્લોકમાં આ જ ભાવ પ્રગટ કર્યો છે. એમણે ભવાની તથા શંકરને શ્રદ્ધા-વિશ્વાસ દર્શાવ્યાં છે. શ્રદ્ધા સાક્ષાત્ ભવાની છે અને વિશ્વાસ મનુષ્યને મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે અને જીવતા મનુષ્યને ક્ષણભરમાં રોગી બનાવીને મૃત્યુના મુખમાં પણ ધકેલી શકે છે. “શંકા ડાકણ મનસા ભૂત” કહેવત કોઈ મોટા અનુભવીએ પ્રચલિત કરી છે. ચિત્તમાં ઉત્પન્ન થયેલી શંકા ડાકણ બની જાય છે અને મનનો ભય ભૂતનું રૂપ ધારણ કરીને સામે આવીને ઊભો રહે છે. દોરડીને સાપ, ઝાડીને ભૂત, કડવા પાણીને ઝેર બનાવી દેવાની અને મૃત્યુનો ભય ઉત્પન્ન કરવાની શક્તિ વિશ્વાસમાં મોજૂદ છે. કેવળ ઘાતક જ નહિ, પરંતુ નિર્માણાત્મક શક્તિ પણ એમાં છે. કહે છે, “માનો તો દેવ નહિતર પથ્થર.” પથ્થરને દેવ બનાવનારો વિશ્વાસ છે. વિશ્વાસની શક્તિ અપાર છે. શાસ્ત્ર કહે છે “વિશ્વાસો ફલદાયક”


મંત્રશક્તિ અને દેવશક્તિ બીજું કશું નથી, આત્મશક્તિ કે ઇચ્છા શક્તિનું જ બીજું નામ છે. ધ્યાન, જપ, અનુષ્ઠાન વગેરેની યોગમય સાધનાઓ એક પ્રકારનો માનસિક વ્યાયામ છે. જેવી રીતે શારીરિક વ્યાયામ કરવાથી દેહ પુષ્ટ થાય છે અને નીરોગિતા, સુંદરતા, દીર્ઘાયુ, ભોગ, સુખ, સહનશક્તિ, ધનપ્રાપ્તિ અને કષ્ટસાધ્ય કામ પૂરાં કરવાની પ્રત્યક્ષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે માનસિક સાધનાઓ દ્વારા, આરાધના-ઉપાસના દ્વારા મનોબળ વધે છે અને એનાથી વિવિધ પ્રકારની અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. મંત્રશક્તિ, દેવશક્તિથી જે કામ પૂરાં થાય છે તે બીજા કશા દ્વારા પ્રાપ્ત નથી થતાં, પરંતુ પોતાના જ પુરુષાર્થ દ્વારા, પોતાની આત્મશક્તિઓ દ્વારા ઉપલબ્ધ થાય છે. સાધના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેના દ્વારા આત્મશક્તિઓ બળવાન બને છે અને ધારેલાં પરિણામ આપે છે.


ભક્ત, ભગવાનનો પિતા છે. પોતાની ભક્તિ દ્વારા તે પોતાના ભગવાનને ઉત્પન્ન કરે છે અને પુષ્ટ કરે છે. જે પોતાના ભગવાનને જેટલું ભક્તિનું, સાધનાનું દૂધ પિવડાવે છે એનો ભગવાન એટલો જ બળવાન બની જાય છે અને જેટલું એનામાં બળ હોય છે એટલાં જ મહત્ત્વપૂર્ણ પરિણામો ઉપસ્થિત થાય છે. પ્રહ્લાદનો ભગવાન એટલો બળવાન હતો કે થાંભલો ચીરીને નરસિંહ રૂપમાં બહાર આવ્યો અને હિરણ્યકશિપુનું પેટ ચીરી નાંખ્યું. નરસિંહ ભગતનો ભગવાન હૂંડી વરસાવી શકતો હતો, પરંતુ આપણા ભગવાનમાં એ બળ નથી. કોઈના ભગવાન સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં દર્શન આપી શકે છે. કોઈના ભગવાન ભવિષ્યનો કોઈ સંકેત કરી શકે છે. કોઈના ભગવાન વિપત્તિમાં સહાય કરે છે. તાત્પર્ય એ કે જેણે પોતાના ભગવાનને જે યોગ્યતા આપી હશે એ એવા વરદાન આપવા માટે, એવી સહાયતા કરવા માટે તૈયાર રહેશે.


વસ્તુત: મનોબળ જ ભગવાન છે. મનોબળ વધારવાની અનેક રીત છે. યોગસાધનાની ભારતીય રીત જ એકમાત્ર ઉપાય નથી. સંસારમાં એમાં અનેક સાધના અને ઉપાય છે. વિશ્વાસના આધારે મનોબળ વધે છે. ઘણી વ્યક્તિઓ યોગસાધના વિના પણ પોતાના સ્વાવલંબન, આત્મવિશ્વાસ, નિર્ણય, સાહસ, સત્સંગ તેમજ પરાક્રમ દ્વારા પોતાનું મનોબળ વધારે છે અને એ જ લાભ મેળવે છે, જે ભક્તોને ભગવાન આપે છે. અનેક અનીશ્વરવાદી વ્યક્તિઓ પણ મોટા મોટા સિદ્ધ થયા છે. રાક્ષસો દેવતાઓ કરતાં વધુ સાધનસંપન્ન હતા. અસુરોને મોટાં મોટાં અદ્ભુત વરદાન મળેલાં હતાં. આજે પણ વૈજ્ઞાનિકો મોટી મોટી અદ્ભુત શોધો કરી રહ્યા છે. વિદ્વાન વિદ્યાના અને ધનવાન ધનના ચમત્કાર દેખાડી રહ્યા છે. આ બધાના મૂળમાં એમની માનસિક વિલક્ષણ શક્તિઓ કામ કરી રહી છે. આ ભગવાનની જ કૃપા છે. ભગવાનને સુર-અસુર સૌ ભેદભાવ વિના પ્રસન્ન કરી શકે છે અને એમની કૃપા તેમજ વરદાન પ્રાપ્ત કરી શકે છે.


– બ્રહ્મની મૂળ સત્તા નિર્લેપ છે. એ નિયમ રૂપ છે. વ્યક્તિગત રૂપે એ કોઈ પર પ્રસન્ન કે અપ્રસન્ન થતી નથી. એના પર આરાધના, પૂજા કે નિંદાનો કોઈ પ્રભાવ પડતો નથી. અગ્નિદેવતાને ગાળ દેનાર કે તેમની પૂજા કરનારનો ભેદ પાડવાની કોઈ જરૂર નથી. જે કોઈ એમના નિયમોને અનુરૂપ ચાલશે તે લાભ ઉઠાવશે અને જે અવિચારીપણે અડશે તે અવશ્ય દાઝશે. આત્માનો, ઈશ્વરનો વિષ્ણુનો આ જ નિયમ છે, પરંતુ ભગવાનની લીલા વિચિત્ર છે. તે ભક્તવત્સલ છે. એમને જે જેવા ભાવે ભજે છે તેને તેઓ એ જ રીતે ભજવા લાગે છે. કીર્તન, કથા, જપ, તપ, પૂજાપાઠ, ધ્યાન, ભજન આ બધું ભગવાનની પ્રસન્નતા માટે જ છે. શ્રદ્ધા અને વિશ્વાસ ભગવત પ્રાપ્તિનાં મૂળ સાધન છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો બધાં અનુષ્ઠાન નિષ્ફળ છે.
ભગવાન પાસેથી, આત્મબળ પાસેથી, આસ્તિક, નાસ્તિક બધા પોત-પોતાની રીતે લાભ મેળવે છે. સંસારના મહાપુરુષોનાં જીવન – ચરિત્રો વાંચતાં એમનાં અદ્ભુત કાર્યોનું જે વિવરણ મળે છે એનાથી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે કોઈ દેવતાની કૃપાથી જ તેઓ આટલાં મોટાં કાર્યોને પૂરાં કરી શક્યા હશે. એ દેવતા ભગવાન છે, જેને મનોબળ પણ કહે છે. પ્રયત્નથી, સાધનાથી, વિશ્વાસથી, શ્રદ્ધાભક્તિથી મનોબળ વધે છે અને પછી એની સહાયતાથી મોટાં મોટાં મુશ્કેલ કાર્યો પૂરાં થઈ જાય છે. મેસ્મરીઝમ જાણનારા પોતાના અસાધારણ મનોબળથી મોટા મોટા ખેલ બતાવે છે. એ બળ જ્યારે વધી જાય છે ત્યારે જે દિશામાં મનુષ્ય ઇચ્છે તે મોરચે ફતેહ મેળવતો આગળ વધતો જાય છે. અનાયાસ, અણધાર્યા સુઅવસર પણ એને પ્રાપ્ત થાય છે. ધન જોઈને ધન, વૈભવ જોઈને વૈભવ અને સૌભાગ્ય જોઈને સૌભાગ્ય આપોઆપ અનાયાસ આવી મળે છે. આ અનાયાસ લાભમાં પણ “સબળની સહાયતા”નો ઈશ્વરીય નિયમ કામ કર્યા કરે છે.


ભગવાન કલ્પવૃક્ષ છે. એને જે જેવા ભાવથી ભજે છે એની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા શબ્દોમાં આમ કહી શકીએ કે મનતત્ત્વના જે ભાવને બળવાન બનાવી લઈએ તેનાથી એ દિશામાં પર્યાપ્ત સફળતાઓ મળે છે.


આ રીતે ચતુર્મુખી બ્રહ્મ (બ્રહ્મા) ની ક્રિયા પદ્ધતિ આ સૃષ્ટિમાં દૃષ્ટિગોચર થઈ રહી છે. ઉપનિષદોમાં એને ચાર વર્ણવાળા બ્રહ્મ પણ કહ્યા છે. સતાધાન આત્માને બ્રાહ્મણ, શાસનકર્તા સ્વામી ઈશ્વરને ક્ષત્રિય, લક્ષ્મીપતિ વિષ્ણુને વૈશ્ય તેમજ ભક્તના વેશમાં રહેલા, ભક્તની ઇચ્છા અનુસાર કાર્ય કરનારા ભગવાનને શૂદ્ર કહ્યા છે. આ વિચારભેદ એની શક્તિઓનું રૂપ સમજવા-સમજાવવા માટે આચાર્યોએ ઉપસ્થિત કર્યો છે. વસ્તુત: બ્રહ્મ એક જ છે. એની ચાર શક્તિઓના આધારે ચાર વેદ બન્યા છે, પરંતુ ખરેખર તો એની અનંત શક્તિઓ છે અને એ મનુષ્યની બુદ્ધિની પહોંચ બહાર છે.

૩.(૩) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

(૩) વિષ્ણુ
સંસારમાં એક સંતુલન શક્તિ પણ કામ કરી રહી છે, જે કોઈ વસ્તુની અતિવૃદ્ધિને રોકીને એને યથાસ્થાને લઈ આવે છે. સંસારની સુંદરતા અને વૈભવને એ કુરૂપતા અને વિનાશથી બચાવે છે. પ્રજનન શક્તિને જ લો. એક – એક જોડું કેટકેટલાં બાળકો પેદા કરે છે. જો આ વૃદ્ધિ પેઢી દર પેઢી આ જ ગતિથી ચાલતી રહે, તો થોડા જ દિવસોમાં આખી પૃથ્વી એટલી ભરાઈ જાય કે સંસારમાં પ્રાણીઓને ઊભા રહેવાની જગ્યા ન મળે. માછલી એક વરસમાં લગભગ સત્તર હજાર ઈંડા મૂકે છે. માખી, મચ્છર જેવાં જંતુઓ દર વર્ષે એક હજારથી માંડીને સાઈઠ હજાર સુધી ઈંડા મૂકે છે. તે ઈંડા એક-બે અઠવાડિયામાં જ પાકીને તેમાંથી બચ્ચાં બહાર આવી જાય છે અને પછી બે-ચાર અઠવાડિયા પછી એ પણ ઈંડા મૂકવા લાગે છે. એમની એક જ વરસમાં લગભગ આઠ પેઢી થઈ જાય છે. જો આ બધાં જીવતાં રહે તો પાંચ-દસ વરસમાં જ આખો સંસાર એમનામાંથી કોઈ પણ એક જાતિને રહેવા માટે ઓછો પડે. કીડી, ઊધઈ તીડ આદિ જંતુઓ પણ ખૂબ ઝડપથી વધે છે. સુવર, બકરી આદિ પણ ઝડપથી અધિક સંતાન વૃદ્ધિ કરે છે. એક જોડી સ્ત્રી-પુરુષ પણ સરેરાશ આઠ-દસ બાળકો પેદા કરે છે. આ અભિવૃદ્ધિને જો ન રોકવામાં આવે તો સંસારની સામે પાંચ-દસ વર્ષમાં જ બહુ મોટી સમસ્યા ઊભી થાય, પરંતુ લાખો કરોડો વર્ષ પ્રાણીઓને આ પૃથ્વી પર થઈ ગયાં, છતાં એવી પરિસ્થિતિ કદી ઉત્પન્ન થઈ નથી. સૃષ્ટિની સંતુલન શક્તિ એ વિષમતાને ઉત્પન્ન થતી રોકે છે. દુકાળ, ભૂકંપ, પ્લેગ, યુદ્ધ તથા કોઈને કોઈ દૈવી પ્રકોપ દ્વારા પ્રકૃતિ પ્રાણીઓની પ્રજનન શક્તિથી ઉત્પન્ન થનારા ભયનું નિરાકરણ કરતી રહે છે.


રાત્રિનો અંધકાર એક સીમા સુધી વધે છે એ પછી પ્રકૃતિ તેને રોકે છે અને પુનઃ દિવસનો પ્રકાશ લાવે છે. મધ્યાહ્ન સુધી સૂર્યનું તેજ વધે છે, પછી ઘટવા લાગે છે. સમુદ્ધમાં ભરતી આવે છે, પછી થોડા સમયે એની વિરોધી એવી ઓટ આવે છે. ચંદ્રમા ઘટતો ઘટતો ક્ષીણ થાય છે, પછી વધવા લાગે છે. ગરમી પછી ટાઢ અને ટાઢ પછી ગરમીની ઋતુ આવે છે. મરનાર જન્મે છે અને જન્મનાર મૃત્યુની તૈયારી કરે છે. સૃષ્ટિના સૌંદર્યનો ક્રમ યથાવત ચાલે છે. એનું સંતુલન કાયમી રહે છે, બગડવા પામતું નથી.
પુરાણોમાં એવા વર્ણન આવે છે કે દેવતાઓને જ્યારે અસુરો હેરાન કરે છે ત્યારે તેઓ એકઠા થઈને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે અમારી રક્ષા કરો. ઘણાં પુરાણોમાં એવી કથાઓ મળે છે કે પૃથ્વી પર જ્યારે અધર્મ વધી ગયો ત્યારે ધરતીમાતા ગાયનું રૂપ લઈને વિષ્ણુ ભગવાન પાસે ગઈ અને પ્રાર્થના કરી કે હવે મારાથી પાપનો ભાર સહન થતો નથી. મારો ઉદ્ધાર કરો. દેવતાઓની રક્ષા કરવા તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે છે. ગીતામાં આવી જ પ્રતિજ્ઞા છે. (યદા યદા હિ ધર્મસ્ય. તદાત્માનમ્ સૃજામ્યહમ્) બૂરાઈમાં એ ગુણ છે કે ઝડપથી વધે છે. પાણી ઉપરથી નીચે તરફ ઝડપથી સ્વયં વહે છે, પરંતુ એને નીચેથી ઉપર ચઢાવવું હોય તો બહુ પ્રયત્ન કરવો પડશે. પથ્થરને ઉપરથી નીચે તરફ ફેંકો તો ઝડપથી નીચે પડશે અને જે વચ્ચે કોઈ રોકનાર વસ્તુ ન આવે તો સેંકડો માઈલ નીચે પડતો રહેશે, પરંતુ જો આ પથ્થરને ઉપર ફેંકો તો ખૂબ જોર કરીને ફેંકવો પડશે. એ પણ થોડીક ઊંચાઈ સુધી જશે અને ફરી નીચે પડશે. આ રીતે બૂરાઈના રસ્તા પર – પતન તરફ મન ઝડપથી ગતિ કરે છે, પરંતુ ભલાઈ તરફ માંડમાંડ જાય છે. લોકોનો મોહ પાપ તરફ વધુ હોવાને કારણે થોડા જ સમયમાં પાપ છવાઈ જાય છે અને ફરી એને દૂર કરવા માટે, સંતુલન બરાબર કરવા માટે આ વિષ્ણુ શક્તિને કોઈને કોઈ રૂપમાં પ્રગટ થવું પડે છે. આ પ્રાગટ્યને “અવતાર’ કહે છે.


શરીરમાં રોગોના વિજાતીય વિષયુક્ત પરમાણુ એકઠા થવાથી રક્તની જીવનશક્તિ ઉત્તેજિત થાય છે અને એ વિષયુક્ત પરમાણુ ઓને મારી હઠાવવા યુદ્ધ આરંભી દે છે. રક્તના શ્વેતકણો અને રોગનાં કીટાણુઓ વચ્ચે ભારે મારફાડ થાય છે, ખૂન ખરાબી થાય છે. આ સંઘર્ષને બીમારી કહે છે. બીમારીનાં લક્ષણો પીડા, ફોલ્લા, પરુ, પરસેવો, ઝાડા, ઊલટી, બળતરા આદિ હોય છે. યુદ્ધમાં વાગે છે, પીડા થાય છે, એ જ બીમારીની પીડા છે, ખૂનખરાબી થાય છે. આ જ પરુ, ઝાડા આદિ છે. બીમારીનો હેતુ શરીરને નિર્દોષ બનાવવાનો છે. અવતાર શક્તિનું આ જ કાર્ય હોય છે. જ્યારે રાવણ, કંસ, હિરણ્યકશિપુ જેવા કુવિચારના પ્રતિનિધિઓ વધી જાય ત્યારે પાપોની પ્રતિક્રિયા સ્વરૂપ અંતરિક્ષ લોકમાં હલચલ મચે છે અને આ વિષમતા દૂર કરવા માટે અવતાર પ્રગટ થાય છે. જ્યારે ગ્રીષ્મઋતુનો તાપ અસહ્ય બની જાય છે ત્યારે એને શાંત કરવા માટે મેઘમાલા ગર્જતી ચાલી આવે છે: પાપોની અતિવૃદ્ધિનું નિયમન કરવા માટે વૈષ્ણવી સત્તા અવતાર ધારણ કરીને પ્રકટ થાય છે અને ભીષણ સંઘર્ષ થયા પછી શાંતિ થાય છે. “પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્” અવતારનો આ ઉદેશ્ય હોય છે. ધર્મની સ્થાપના માટે તે વારંવાર પ્રગટ થાય છે.


અવતાર સમષ્ટિ આત્માનું, પરમાત્માનું પ્રતીક છે. બધા આત્માઓની એક સંમિલિત સત્તા છે, જેને ‘વિશ્વમાનવ” અથવા સમાજનો સંમિલિત આત્મા કહે છે. આ પરમાત્મા છે. એક મનુષ્ય એમ ઇચ્છે છે કે હું સુખપૂર્વક રહું મારી સાથે સૌ પ્રેમ, ભલાઈ તેમજ સહકારપૂર્ણ વ્યવહાર કરે. કોઈ એમ નથી ઇચ્છતું કે મારી સાથે ચોરી, હિંસા, છેતરપિંડી, કઠોરતા, અન્યાય કરવામાં આવે. આ ઇચ્છા ‘વિશ્વમાનવ’ ની, આત્મા અથવા પરમાત્માની છે. પરમાત્માની, વિશ્વમાનવની ઇચ્છાને જ ધર્મ કહે છે. અવતાર ધર્મની રક્ષા માટે હોય છે. અધર્મ અર્થાત્ વિશ્વમાનવની ઇચ્છાઓથી પ્રતિકૂળ કાર્યો જ્યારે સંસારમાં વધી જાય છે ત્યારે એમને દૂર કરવા માટે વિશ્વમાનવના અંતઃસ્તલમાં પ્રતિક્રિયા થાય છે અને વિરોધનું તોફાન ઊઠે છે. આ ઉછાળાને અવતાર કહેવામાં આવે છે.


અવતાર એક અદૃશ્ય પ્રેરણા છે. સૂક્ષ્મ વાતાવરણમાં પરમાત્માની ઇચ્છાનો આવેશ ભરાઈ જાય છે. જેમ આકાશમાં આંધી છવાયેલી હોય અને એ જ સમયે પાણી વરસે તો વર્ષાની બુંદોમાં એ આંધીની ધૂળ ભળી જાય છે. વસંતની ઋતુમાં પ્રકૃતિના સૂક્ષ્મ અંતરાલમાં “કામક્ષોભ” નો આવેશ આવે છે. આ દિવસોમાં બધાં નર-નારીઓમાં, જીવજંતુઓમાં કામેચ્છા જાગે છે. ભય, ક્રોધ, હિંસા, સાંપ્રદાયિક રાજનૈતિક તણાવ, ઘૃણા તથા સત્કર્મોની પણ એક લહેર આવે છે. જેવું વાતાવરણ બને તેવું જ કામ મોટી સંખ્યામાં થવા લાગે છે. આ જ રીતે વિશ્વમાનવ પરમાત્માની ઇચ્છા પૂર્ણ કરવા માટે સૂક્ષ્મલોકમાં, અદૃશ્ય વાતાવરણમાં આવેશ આવે છે. આ આવેશથી પ્રેરિત થઈને કેટલાક વિશિષ્ટ પુણ્યાત્મા, જીવનયુક્ત મહાપુરુષ સંસારમાં આવે છે અને પરમાત્માની ઇચ્છા પૂરી કરે છે. એક સમયમાં અનેક અવતાર થાય છે. કોઈમાં ઓછી તો કોઈમાં વધુ શક્તિ હોય છે. આ શક્તિનું માપ લેવાનું ધોરણ “કળા” છે. જેમ વીજળી માપવા માટે ‘યુનિટ, ગરમી માપવા માટે “ડિગ્રી, લંબાઈ માપવા માટે “ઈચ તથા અંતર માપવા માટે “માઈલ હોય છે, એ જ રીતે કોઈ વ્યક્તિમાં કેટલો અવતારી અંશ છે એનું માપ “કળા’ ના ધોરણથી થાય છે. ત્રેતામાં પરશુરામજી અને શ્રીરામચંદ્રજી એક જ સમયમાં બે અવતાર થયા હતા. પરશુરામજીને ત્રણ કળાના અને રામચંદ્રજીને બાર કળાના અવતાર કહેવામાં આવે છે. આ તો એ સમયના વિશિષ્ટ અવતાર હતા. આમતો અવતારનો આવેશ તો અનેકમાં હતો. વાનરોની મોટી સેનાને તથા અનેક અન્ય વ્યક્તિઓને અવતાર જેવું કાર્ય કરતી જોઈ શકાય છે.
આ રીતે સમય સમય પર, યુગે યુગે આવશ્યકતા પ્રમાણે અવતાર થાય છે. મોટાં કાર્યો માટે મોટા અને નાનાં કાર્યો માટે નાના અવતાર થાય છે. સૃષ્ટિને સંતુલિત કરનારી વિષ્ણુશક્તિ આમ તો હંમેશાં પોતાની ક્રિયા ચાલુ રાખે છે, પણ મોટો રોગ થાય ત્યારે મોટો ડૉક્ટર મોકલે છે. એ મોટા ડૉક્ટરને એનાં મહાન કાર્યોને અનુરૂપ યશ તેમજ સન્માન પ્રાપ્ત થાય છે. અવતારી મહાપુરુષોની પૂજી ખરેખર તો વિષ્ણુ શક્તિની પૂજા છે, જેના તેઓ પ્રતીક હોય છે.


લક્ષ્મીપતિ વિષ્ણુ સૃષ્ટિની સુંદરતાની, સંપન્નતાની, સદ્દબુદ્ધિની અને સાત્ત્વિકતાની રક્ષા કરે છે. લક્ષ્મીજીના ચાર હાથ, સુંદરતા, સંપન્નતા, સદ્બુદ્ધિ અને સાત્વિકતાના પ્રતીક છે. સમસ્ત પ્રાણીઓનો સંમિલિત – આત્મા લક્ષ્મી છે. આ લક્ષ્મી વિષ્ણુનું અડધું અંગ છે. તે પરમાત્માના આત્મામાં સમાયેલી છે, સંસારનું નિયમન કરે છે, સાથે સાથે લક્ષ્મીની – વિશ્વમાનવની ઇચ્છાની રક્ષા પણ કરે છે. લક્ષ્મી વિષ્ણુથી અભિન્ન છે.


વિષ્ણુના ઉપાસક – વૈષ્ણવ તે છે, જે વિશ્વમાનવની ઇચ્છાઓને અનુકૂળ કાર્ય કરવામાં પોતાની શક્તિ વાપરે છે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન છે, “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સમાજના લાભ, સંસારની સેવા, વિશ્વની શ્રીવૃદ્ધિ, વિશ્વમાનવનાં સુખશાંતિ માટે સાચા અંત:કરણથી હંમેશાં પ્રવૃત્ત રહેનાર મનુષ્ય અસલી વૈષ્ણવ છે. વિષ્ણુની ઇચ્છા એ જ વૈષ્ણવોની ઇચ્છા અને વિષ્ણુની કાર્યપ્રણાલિ એ જ એમની કાર્યપ્રણાલિ હોય છે. તેઓ પાપ ઘટાડીને ધર્મની સ્થાપના માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે. જનતા જનાર્દનને વિષ્ણુરૂપ સમજીને લોકસેવામાં અર્થાત્ વિષ્ણુ પૂજમાં પ્રવૃત્ત રહે છે.

૩.(૨) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

(૨) ઈશ્વર : આ સમસ્ત વિશ્વના મૂળમાં એક શાસક, સંચાલક તેમજ પ્રેરક શક્તિ કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, ઉપગ્રહ, નિરંતર પોતાની નિયત ગતિમાં અવિરત યાત્રા કરતા રહે છે. તત્ત્વોના સંમિશ્રણથી એક નિયત વ્યવસ્થા અનુસાર ત્રીજો પદાર્થ બની જાય છે. બીજ પોતાની જ જાતિના છોડ ઉત્પન્ન કરે છે. સૂર્ય એક પળનો પણ વિલંબ કર્યા વિના યોગ્ય સમયે ઊગે છે અને આથમે છે. સમુદ્રમાં ભરતી અને ઓટ નિયત સમયે જ આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ સૌની ક્રિયાઓ અચૂક થયા કરે છે. નાના નાના અદૃશ્ય પરમાણું અત્યંત તીવ્ર ગતિથી હલનચલન કરે છે, પરંતુ એમની આ ગતિમાં લેશમાત્ર પણ અંતર નથી પડતું. એક પરમાણુને બીજા પરમાણુ સાથે ટકરાવવાનાં રહસ્યને શોધીને વૈજ્ઞાનિકોએ પ્રલયકારી પરમાણુ બોંબ’ બનાવ્યો છે. જો એક સેકન્ડમાં હજારો માઈલની ગતિથી ધૂમનારા આ પરમાણુ એકમેક સાથે ટકરાઈ જાય તો રોજ પ્રલય થાય, પરંતુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિનો પ્રત્યેક પરમાણુ પોતાના ગુણ પ્રમાણે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો છે.


જે સૃષ્ટિમાં નિયમિતતા ન હોત તો એક પણ વૈજ્ઞાનિક શોધ સફળ ન થાત. અગ્નિ ક્યારેક ગરમી આપે ક્યારેક ઠંડક, તો એના ભરોસે કોઈ કામ કેવી રીતે થાય? રોજ અનેક વૈજ્ઞાનિક શોધો થઈ રહી છે. એનો આધાર એ બાબત પર છે કે પ્રકૃતિની દૃશ્ય તેમજ અદૃશ્ય શક્તિઓ પોતાના નિયમોથી સહેજ પણ વિચલિત થતી નથી. એ સર્વમાન્ય અને સર્વવિદિત તથ્ય છે કે પ્રકૃતિની સમસ્ત ક્રિયાપ્રણાલી નિયમિત છે. એના મૂળભૂત નિયમોમાં ક્યારેય અંતર પડતું નથી.


આ નિયમિતતા અને ગતિશીલતાના મૂળમાં એક સત્તા અવશ્ય છે. વિચાર અને પ્રાણરહિત જડ પ્રકૃતિ પોતાની મેળે આ ક્રિયાકલાપ નથી ચલાવી શકતી. રેલવે, મોટર, એન્જિન, વિમાન, તલવાર, કલમ વગેરે જે પણ નિર્જીવ યંત્રો છે તેમને ચલાવનાર કોઈ સજીવ પ્રાણી અવશ્ય હોય છે. આ રીતે પ્રકૃતિની નિયમિતતાનું કોઈક ઉદ્દગમકેન્દ્ર પણ અવશ્ય છે. આ કેન્દ્રને આપણે ઈશ્વર કહીએ છીએ, ઈશ્વરનો અર્થ છે સ્વામી. જડ પ્રકૃતિના નિર્માણમાં, વ્યવસ્થા તેમજ સંચાલનમાં જે શક્તિ કામ કરે છે તે ઈશ્વર છે.


કેવળ જડ પ્રકૃતિનું જ નહિ, ચેતન જગતનું પણ એ પૂર્ણ રીતે નિયમન કરે છે. એણે પોતાના નિયમોથી પ્રાણી માત્રને બાંધી રાખ્યાં છે. જે એ ઈશ્વરના નિયમ અનુસાર ચાલે છે તે સુખી રહે છે અને જે એ નિયમોને તોડે છે એ દુઃખી થાય છે અને નુકસાન ભોગવે છે. સ્વાસ્થ્ય નિયમો પર ચાલનારા, સદાચારી, સંયમી તથા મિતાહારી લોકો સ્વસ્થ રહે છે અને સ્વાદલોલુપ, દુરાચારી તથા સ્વેચ્છાચારી લોકો બીમારી, કમજોરી તેમજ અકાળ મૃત્યુના શિકાર બને છે. આ રીતે સામાજિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક, ધાર્મિક, આર્થિક તથા રાજનૈતિક ક્ષેત્રોમાં કામ કરનારા ઈશ્વરીય નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે. તેઓ એ ક્ષેત્રોમાં સ્વસ્થતા, સમૃદ્ધિ તેમજ ઉન્નતિ પ્રાપ્ત કરે છે. જેઓ એ નિયમોથી ઊલટું કાર્ય કરે છે તેઓ દુષ્પરિણામ ભોગવે છે. પરાક્રમ, પુરુષાર્થ પ્રયત્ન, લગન, સાહસ, ઉત્સાહ તેમજ ધૈર્ય આ બધું સફળતાના માર્ગની ઈશ્વરીય કેડીઓ છે. એના પર જેઓ ચાલે છે તેઓ મનવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જેઓ આ રાજમાર્ગ પર નથી ચાલતા તેઓ પાછળ રહી જાય છે.

ઈશ્વર પૂર્ણ રૂપે નિષ્પક્ષ તથા ન્યાયકારી તથા નિયમરૂપ છે. એ કોઈને પણ રતીભાર છૂટછાટ આપતા નથી. જે જેવું કરે છે તેવું ભોગવે છે. અગ્નિ કે વીજળી પાસેથી નિયમાનુસાર જો કામ લેવામાં આવે તો તે આપણા માટે બહુ જ ઉપયોગી સિદ્ધ થાય છે, પરંતુ જો અગ્નિ કે વીજળીનો દુરુપયોગ કરવામાં આવે તો એ ભયંકર દુર્ઘટના ઊભી કરે છે. આ રીતે જે લોકો ઈશ્વરીય નિયમો અનુસાર કામ કરે છે, તેમના માટે ઈશ્વર વરદાતા, ત્રાતા, રક્ષક, સહાયક, કૃપાસિન્ધુ તથા ભક્તવત્સલ છે, પરંતુ જેઓ એના નિયમોમાં ગરબડ કરે છે, તેમના માટે એ યમ, કાળ, અગ્નિ, વજ તેમજ દુર્દેવ બની જાય છે. મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિ આપીને ઈશ્વરે એને કામ કરવામાં સ્વતંત્ર અવશ્ય બનાવ્યો છે, પરંતુ નિયમન પોતાના જ હાથમાં રાખ્યું છે. એ જેવો હોય તેવું ફળ આપ્યા વગર છોડતો નથી. આગ અને લાકડાને એકઠાં કરવા કે ન કરવા એ આપણી ઇચ્છા પર આધારિત છે, પરંતુ એ બંનેને એકઠાં કર્યા પછી ઈશ્વરીય નિયમો પ્રમાણે જે જવલન કિયા થશે એને રોકવાનું આપણા વશમાં નથી. આ પ્રકારે શુભ-અશુભ કર્મ કરવાનું તો આપણા હાથમાં છે, પરંતુ એનાથી જે સારાં કે ખરાબ પરિણામો ઉત્પન્ન થશે તે ઈશ્વરની નિયામક શક્તિના હાથમાં છે.


જૈન અને બૌદ્ધ ધર્મો કર્મના ફળની અનિવાર્યતા સ્વીકારે છે. તેથી તેઓ ઈશ્વરને, બ્રહ્મની દ્વ્રિતીય સત્તાને માને છે. સત્કર્મ કરવું, પ્રકૃતિના કઠોર અને અપરિવર્તનશીલ નિયમોનું ધ્યાન રાખવું, પોતાના આચાર-વિચારને ઈશ્વરીય નિયમોની મર્યાદામાં રાખવા તે ઈશ્વરપૂજા છે. પોતાની યોગ્યતા અને શક્તિઓનો વિકાસ કરવો, બાહુબળને આધારે આગળ વધવું, પોતાના ભાગ્યનું નિર્માણ પોતે કરવું તે ઈશ્વરવાદીઓનો મુખ્ય સ્વભાવ હોય છે, કેમકે તેઓ જાણે છે કે સબળ અને જાગૃતને આગળ વધારવા અને નિર્બળ, આળસુ, અકુશળ અને અસાવધોનો નાશ કરવો એ પ્રકૃતિનો નિયમ છે. આ કઠોર નિયમમાં કોઈનાથી કોઈ પરિવર્તન થઈ શકતું નથી. ઈશ્વરવાદી આ નગ્ન સત્યને સારી રીતે જાણે છે, “ઈશ્વર એમને જ મદદ કરે છે, જે પોતાને મદદ કરે છે.” આ માટે તેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી એના નિયમોનો લાભ મેળવવા માટે સદા શક્તિ સંચય કરવા તેમજ આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ આત્મનિર્ભર અને આત્માવલમ્બી હોય છે. પોતાના ભાગ્યનું પોતે જ નિર્માણ કરે છે. ઈશ્વરીય નિયમોને ધ્યાનપૂર્વક જુએ છે, પારખે છે અને હૃદયંગમ કરે છે તથા એની વર્જ જેવી કઠોરતા તેમજ અપરિવર્તનશીલતાનું ધ્યાન રાખીને પોતાના આચરણને ઔચિત્યની, ધર્મની સીમામાં રાખે છે.

૩.(૧) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

(૧) બ્રહ્મ
સાત્ત્વિકતાની ઊંચી કક્ષાને બ્રહ્મ કહે છે. આમ તો પરમાત્મા સત, રજ અને તમ એ ત્રણે ગુણોમાં મોજૂદ છે, પરંતુ એની બ્રાહ્મી જ્યોતિ સતોગુણમાં જ છે. સાત્ત્વિક ભાવ, બ્રહ્મ કેન્દ્ર માંથી જ ઉત્પન્ન થાય છે. મનુષ્યના મનમાં આમ તો અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે, પરંતુ જયારે સતોગુણી આકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે ત્યારે એનું ઉદ્ગમ કેન્દ્ર-પ્રેરક બિન્દુ એ બ્રહ્મ જ હોય છે. ઋષિઓમાં, મહાત્માઓમાં, સંતોમાં, સત્પુરુષોમાં આપણે પરમાત્માનો વધુ અંશ જોઈએ છીએ, એમને પરમાત્માની નિકટ સમજીએ છીએ અને એવું માનીએ છીએ કે પરમાત્માની એમના પર કૃપા છે. પરમાત્માની વિશેષ સત્તા એમનામાં મોજૂદ છે. એનું એ જ પ્રમાણ છે કે એમનામાં સત્ તત્ત્વ વધુ માત્રામાં છે. આ સત્ ની અધિકતા જ બ્રાહ્મી સ્થિતિ છે. પૂર્ણ સાત્વિકતામાં જે અધિષ્ઠિત થઈ જાય છે અને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કહેવામાં આવે છે.


મનુષ્યની અંતઃચેતના પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી બનેલી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પ્રકૃતિનાં ભૌતિક તત્ત્વો દ્વારા બનેલાં છે. આપણે જે કંઈ વિચારીએ, ધારણ કરીએ કે અનુભવીએ તે કાર્ય મગજ દ્વારા થાય છે. મગજની ઈચ્છા, આકાંક્ષા, રુચિ તથા ભાવના ઈન્દ્રય રસ તથા સાંસારિક પદાર્થોની સારીખોટી અનુભૂતિને કારણે થાય છે. મગજમાં જે કંઈ જ્ઞાન, ગતિ અને ઈચ્છા છે એ સાંસારિક સ્થળ પદાર્થોને આધારે જ બને છે. સ્વયં મગજ પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ એ પણ પાંચ તત્ત્વોથી, પ્રકૃતિથી બનેલું છે. આ અંત:કરણ ચતુર્યથી પર એક બીજું સૂક્ષ્મ ચેતના કેન્દ્ર છે, જેને આત્મા કે બ્રહ્મ કહે છે. આ બ્રહ્મ સાત્ત્વિકતાનું કેન્દ્ર છે. આત્મામાંથી સદા સતોગુણી પ્રેરણાઓ ઉત્પન્ન થાય છે. ચોરી, વ્યભિચાર, હત્યા, છેતરપિંડી આદિ દુષ્કર્મ કરતાં આપણું હૃદય ધડકે છે. કાળજું કાંપે છે, પગ થથરે છે, મોં સુકાઈ જાય છે, ભય લાગે છે અને મનમાં તોફાન ચાલે છે. અંદરને અંદર એક સત્તા આવાં દુષ્કર્મ ન કરવા માટે રોકે છે. આ રોકનારી સત્તા આત્મા છે. એને જ બ્રહ્મ કહે છે. અસાત્ત્વિક કાર્ય નીચતા, તમોગુણ, પાપ અને પશુતા ભરેલાં કાર્ય એની સ્થિતિથી વિપરીત હોય છે. એટલે એમને રોકવા અંદર ને અંદર પ્રેરણા ઉત્પન્ન થાય છે. આ પ્રેરણા શુભ સતોગુણી પુણ્યકર્મો કરવા માટે પણ ઉત્પન્ન થાય છે. કીર્તિથી પ્રસન્ન થવું એ મનુષ્યનો સ્વભાવ છે અને આ સ્વભાવ સારાંસારાં, પ્રશંસનીય તથા શ્રેષ્ઠ કર્મ કરવા માટે પ્રોત્સાહન આપે છે. શુભ કર્મોથી યશ પ્રાપ્ત થાય છે અને યશથી પ્રસન્નતા મળે છે. યશન મળે તો પણ સત્કર્મ કર્યા પછી અંતરાત્મામાં શાંતિનો અનુભવ થાય છે. આ આત્મતૃપ્તિ એ વાતનું પ્રમાણ છે કે અંત:કરણની આકાંક્ષાને અનુરૂપ કાર્ય થયું છે. દયા, પ્રેમ, ઉદારતા, ત્યાગ સહિષ્ણુતા, ઉપકાર, સેવા સહાયતા, દાન, જ્ઞાન તથા વિવેકની સુખ-શાંતિમય ઈચ્છાના તરંગો આત્મામાંથી જ ઉદ્દભવે છે. આ ઉદ્ગમ કેન્દ્ર બ્રહ્મ છે.

વેદાન્તદર્શને પૂરી શક્તિથી એ પ્રતિપાદિત કર્યું છે કે આત્મા જ ઈશ્વર છે. તત્ત્વમસિ’, “સોહમ્’, ‘શિવોહમ્, “અયમાત્મા બ્રહ્મ’ જેવાં સૂત્રોનો અર્થ એ જ છે કે આત્મા જ બ્રહ્મ છે. ઈશ્વરનું પ્રત્યક્ષ અસ્તિત્વ પોતાના આત્મામાં જ જોવાની વેદાંતની સાધના છે. અન્ય ઈશ્વરભક્તો પણ અંત:કરણમાં પરમાત્માને જુએ છે. અસંખ્ય કાવ્યો તેમજ શ્રુતિવચનો એવાં મળે છે, જેમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે “બહાર શોધવાથી નહિ, અંદર શોધવાથી પરમાત્મા મળે છે. સંત કબીરે કહ્યું છે કે પરમાત્મા આપણાથી ચોવીસ આંગળ દૂર છે. મનનું સ્થાન મસ્તિષ્ક અને આત્માનું સ્થાન ય છે. મસ્તિષ્કથી હ્રદય ચોવીસ આંગળ દૂર છે. આ પ્રતિપાદનમાં ઈશ્વરને અંતઃકરણમાં રહેલો દર્શાવ્યો છે.


મનુષ્ય દેવી અને ભૌતિક તત્ત્વોમાંથી બન્યો છે. આમાં મન ભૈતિક અને આત્મા દૈવી તત્ત્વ છે. આત્માના ત્રણ ગુણ છે. સત્ ચિત્ અને આનંદ. એ સતોગુણી છે. શ્રેષ્ઠ, શુભ તથા દિવ્યમાર્ગ તરફની પ્રવૃત્તિવાળો તેમજ સતત, હંમેશાં રહેનાર અવિનાશી છે. ચિત્ ચૈતન્ય, જાગૃત, ક્રિયાશીલ તથા ગતિવાન છે. કોઈ પણ અવસ્થામાં એ ક્રિયા રહિત ન હોઈ શકે. આનંદ, પ્રસન્નતા, ઉલ્લાસ, આશા તથા તૃપ્તિ એના ગુણ છે. આનંદની દિશામાં એની અભિરુચિ સદૈવ રહે છે. આનંદ, વધુ આનંદ તથા અતિ આનંદ પ્રાપ્ત કરવો એને એટલો પ્રિય છે, જેટલું માછલીને જળપ્રિય છે. માછલી જળમગ્ન રહેવા ઈચ્છે છે. સત્, ચિત્ તથા આનંદ ગુણવાળો આત્મા દરેકના અંત:કરણમાં રહેલો છે. મન અને આત્મામાં જેમ જેમ નિકટતા વધે છે, તેમતેમ મનુષ્ય વધુ સાત્વિક, વધુ ક્રિયાશીલ અને વધુ આનંદમગ્ન રહેવા લાગે છે. યોગીઓ બ્રહ્મની પ્રાપ્તિ માટે સાધના કરે છે. આ સાધનાનો કાર્યક્રમ એ હોય છે કે આત્માની પ્રેરણા અનુસાર મનની બધી ઈચ્છા અને કાર્યપ્રણાલી હોય. ભૌતિક પદાર્થોમાં જકડાયેલ, અસ્થિર અને હાનિકારક આકર્ષણો તરફથી મો ફેરવી જ્યારે આત્માની પ્રેરણા અનુસાર જીવનચક્ર ચાલવા લાગે છે ત્યારે મનુષ્ય સાધારણ મનુષ્ય ન રહેતાં મહાન બની જાય છે. આવા મહાપુરુષોનાં વિચાર અને કાર્ય સાત્ત્વિકતા, ચેતના અને આનંદદાયક સ્થિતિથી પરિપૂર્ણ હોય છે. એમને સંત, મહાત્મા, યોગી, તપસ્વી, પરમહંસ, સિદ્ધ આત્મદર્શી અથવા બ્રહ્મપરાયણ કહે છે. જેમનો બ્રહ્મભાવ આત્મવિકાસ, પૂર્ણ સાત્વિકતા સુધી વિકસિત થઈ ગયો હોય એમણે બ્રહ્મને પ્રાપ્ત કરી લીધો, એમને આત્મદર્શન થઈ ગયું એમ માનવું જોઈએ.

૨. આધ્યાત્મિકતાનો મૂળ આધાર | GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

આધ્યાત્મિકતાનો મૂળ આધાર


જે વ્યક્તિ ભગવાનના આ વિરાટ સ્વરૂપની વાસ્તવિકતાને હૃદયંગમ કરી લેશે અને વિશ્વના કાર્ય-કારણ રહસ્યને સમજી લેશે તે સદૈવ એવો વિશ્વાસ રાખશે કે ભગવાન આ સૃષ્ટિમાં આત્મરૂપ બનીને પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની ભાવના જીવનના અંત સુધી સ્થિર રહે એ ઉદ્દેશ્યથી આપણે ત્યાં યોગ્યતા, બુદ્ધિ તથા સામર્થ્ય અનુસાર પ્રત્યેક વ્યક્તિનાં કર્તવ્ય નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. કર્તવ્યોમાં વિભિન્નતા હોવા છતાં પ્રેરણામાં સમતા છે, એક નિષ્ઠા છે, એક ઉદ્દેશ્ય છે અને તે ઉદ્દેશ્ય જ અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મ લાદવામાં નથી આવ્યું, પરંતુ પ્રાકૃતિક હોવાને કારણે સ્વભાવ છે અને સ્વભાવને અધ્યાત્મ પણ કહેવાય છે. “સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે’


વિરાટના બે વિભાગ છે. એક છે અંત:ચૈતન્ય અને બીજું છે બાહ્યઅંગ. બાહ્ય અંગોના બધા અવયવો પોતપોતાની કાર્યદષ્ટિથી સ્વતંત્ર સત્તા ધરાવે છે. એમની ઉપયોગિતાની દૃષ્ટિથી પ્રત્યેકનાં કર્તવ્ય પણ ભિન્નભિન્ન છે, પરંતુ આ સો છે તો એ વિરાટ અંગની રક્ષા માટે, એ અંતઃચૈતન્યને જાળવવા માટે. આ રીતે અલગ હોવા છતાં અને અલગ કર્મોમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જે એક ચૈતન્ય માટે એમની ગતિ છે તે હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર છે. ગતિની આ એકતા સમતા નષ્ટ ન થાય એ માટે સંસ્કૃતિની સાથે ધર્મને જોડવામાં આવ્યો છે અને આ યોગ એવો થયો છે કે જેને અલગ ન કરી શકાય, કારણ કે બંને સમાનાર્થ દેખાય છે.


ધર્મ શબ્દની વ્યુત્પત્તિથી જ વિરાટની તલ્લીનતાનો ભાવ સ્પષ્ટ થઈ જાય છે. જે વાસ્તવિક છે એની જ ધારણા કરવી એ ધર્મ છે. વાસ્તવિક છે ચૈતન્ય. એ નિત્ય છે, શાશ્વત છે, બધા ધર્મોમાં આત્માની શાશ્વતતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ વિવિધ અંગોમાં પૃથક દેખાતા હોવા છતાં પણ એમાં જે એકત્વ છે એને સુરક્ષિત રાખવા તરફ ધ્યાન ન આપવાથી વિવિધ સંપ્રદાયોની સૃષ્ટિ બની ગઈ છે, તો પણ ધર્મની આ એકતા ટકાવી રાખવાની, જાગૃત રાખવાની પ્રવૃત્તિ આજ સુધી ટકી રહી છે. આ જ કારણે સંસારમાં વિવિધ સંપ્રદાયો-ધર્મોની સૃષ્ટિ બની, પરંતુ આજે માત્ર એમનું નામ જ રહ્યું છે, પરંતુ હિન્દુ પોતાની વિશાળતા સાથે જીવિત છે. આ ધર્મ વાસ્તવમાં માનવ ધર્મ છે. માનવની સત્તા જેના દ્વારા ટકી રહે છે અને જેનાથી એ વિશ્વચૈતન્યના વિરાટ અંગનું અંગ બની રહે છે તેને માટે જ એનો આદેશ છે.

આપણા ધર્મની સૌથી મોટી વિશેષતા એની પોતાની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. વિશ્વાત્માની ઉપાસના માટે એના સમય વિભાગમાં કોઈ એક સમય નિશ્ચિત નથી. ઉપાસના દેશ અને કાળમાં વિભાજિત નથી. એની તો પ્રત્યેક ક્ષણ ઉપાસનામય છે. એ પોતાના વિશ્વચૈતન્યને એક ક્ષણ માટે પણ ભૂલવા નથી ઈચ્છતો, પરંતુ ગતિવિધિનો પ્રત્યેક ભાગ આ ચેતનદેવ માટે જ ખર્ચવા ઈચ્છે છે

૧. ઈશ્વરનું વિરાટ રૂપ |GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

ઈશ્વરનું વિરાટ રૂપ

ૐ ભૂર્ભુવ:સ્વ:’ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ગાયત્રી મંત્રમાં પ્રયુક્ત ‘ૐ ભૂર્ભુવ:સ્વ’  ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે.

ભૂર્ભુવ: સ્વસ્ત્રયો લોકા વ્યાપ્તમોમ્બ્રહ્મ તેષુ હિ  |

સ એવ તથ્યતો જ્ઞાની યસ્તદ્દવેત્તિ વિચક્ષણ: ॥

અર્થાત્ – “ભૂ: ભુવ: સ્વ:  આ ત્રણ લોક છે.

એમાં ‘ઓઉમ્’ બ્રહ્મ વ્યાપ્ત છે.

જે આ  જાણે છે, વાસ્તવમાં તે જ જ્ઞાની છે.”

ભૂ: (પૃથ્વી) ભુવ: (પાતાળ) સ્વ: (સ્વર્ગ) આ ત્રણેય લોક પરમાત્માથી પરિપૂર્ણ છે. આ રીતે ભૂ: (શરીર) ભુવ: (સંસાર) સ્વ: (આત્મા) આ ત્રણેય પરમાત્માનાં ક્રીડાસ્થળ છે. આ બધા સ્થળોને, નિખિલ વિશ્વ બ્રહ્માંડને, ભગવાનનું વિરાટ રૂપ સમજીને, એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાને પોતાનું વિરાટ રૂપ દર્શાવી અર્જુનને પ્રાપ્ત કરાવી હતી.

પ્રત્યેક જડ, ચેતન પદાર્થમાં, પ્રત્યેક પરમાણુંમાં, ભૂ: ભુવ: સ્વ: માં, સર્વત્ર ‘ઓઉમ્’ બ્રહ્મને વ્યાપેલો જોવો, પ્રત્યેક વસ્તુમાં વિશ્વવ્યાપી પરમાત્માનું દર્શન કરવું એ એક એવી આત્મિક વિચાર પદ્ધતિ છે, જેના દ્વારા વિશ્વસેવાની ભાવના ઉત્પન્ન થાય છે.  આ ભાવનાને કારણે સંસારના પ્રત્યેક પદાર્થ તેમજ જીવની બાબતમાં એક એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, જેને કારણે અનુચિત સ્વાર્થ સાધવાનો નહિ, પરંતુ સેવાનો જ કાર્યક્રમ બને છે. એવી વ્યક્તિ પ્રભુની આ સુરમ્ય વાટિકાના કોઈ પણ સાથે અનુચિત અથવા અન્યાયી વ્યવહાર કરી શકતી નથી.

કર્તવ્યશીલ પોલીસ, ન્યાયાધીશ અથવા રાજાને સામે ઊભેલો જોઈ કોઈ પાકો ચોર પણ ચોરી કરવાનું કે કાયદો તોડવાનું સાહસ કરી શકતો નથી. આ રીતે જે વ્યક્તિના મનમાં એ ભાવના દ્રઢતાપૂર્વક સમાયેલી હોય કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને હજાર આંખોથી એનાં દરેક વિચાર અને કાર્યને જોઈ રહ્યા છે તો તે ગુપ્ત કે પ્રકટ રૂપે કોઈ પાપ કરવાની હિંમત કરી શક્તો નથી.

૫. ઇશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય ? GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય?
જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હશે એટલી જ વ્યાપક હશે. પંચમહાભૂતોમાં પૃથ્વીથી જળ, જળથી વાયુ, વાયુથી અગ્નિ અને અગ્નિથી આકાશ સૂક્ષ્મ છે, એટલે એક બીજાથી વધુ વ્યાપક છે. આકાશ-ઈથર તત્ત્વ દરેક જગ્યાએ વ્યાપેલું છે, પરંતુ ઈશ્વરની સૂક્ષ્મતા સર્વોપરી છે એટલે એની વ્યાપકતા પણ વધુ છે. વિશ્વમાં લેશમાત્ર પણ સ્થાન એવું નથી, જ્યાં ઈશ્વર ન હોય. અણુ અણુમાં એની મહત્તા વ્યાપી રહી છે. સ્થાન વિશેષમાં ઈશ્વરતત્ત્વ ઓછું -વધુ હોઈ શકે છે, જેમ કે ચૂલાની આસપાસ ગરમી વધુ રહે છે. એટલે એમ કહી શકાય કે એ સ્થાને અગ્નિતત્ત્વની વિશેષતા છે. એ જ રીતે જળાશયો પાસેના શીતળ સ્થાનમાં અગ્નિતત્ત્વ ઓછું હશે. સત્યનું, વિવેકનું આચરણ વધુ ત્યાં ઈશ્વરની વિશેષ કળાઓ વિદ્યમાન હોય છે. જ્યાં આળસ, પ્રમાદ, પશુતા તથા અજ્ઞાન છે, ત્યાં એની ન્યૂનતા જ હોઈ શકે. સંપૂર્ણ શરીરમાં જીવ વ્યાપેલો છે.

જીવને કારણે જે શરીરની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, પરંતુ એમાં પણ સ્થાન વિશેષ પર જીવનું ઓછુંવતું પ્રમાણ જોઈ શકાય છે. હ્રદય, મસ્તક, પેટ અને મર્મસ્થાનો પર તીવ્ર આઘાત લાગવાથી મૃત્યુ થઈ જાય છે, પરંતુ હાથ, પગ, કાન, નાક, જાંઘ આદિ સ્થાનો પર એનાથી પણ વધુ આઘાત સહી શકાય છે. વાળ અને નખ જીવની સત્તાથી જ વધે છે, પણ કાપવાથી જીવને કશી હાનિ થતી નથી. સંસારમાં સર્વત્ર ઈશ્વર વ્યાપેલો છે. ઈશ્વરની અધિકતા છે. એ જ રીતે પાપ પ્રવૃત્તિઓમાં ઈશ્વરતત્ત્વની ન્યૂનતા સમજવી જોઈએ. ધર્માત્મા, મનસ્વી, ઉપકારી, વિવેકવાન અને તેજસ્વી મહાપુરુષોને “અવતાર” કહેવામાં આવે છે, કેમ કે એમની સત્યનિષ્ઠાના આકર્ષણથી ઈશ્વરની માત્રા એમનામાં વધુ હોય છે. અન્ય પશુઓ કરતાં ગાયમાં તથા અન્ય જાતિઓ કરતાં બ્રાહ્મણમાં ઈશ્વરનો અંશ વધુ માનવામાં આવ્યો છે, કેમ કે એમની સત્યનિષ્ઠા તથા ઉપકારી સ્વભાવ ઈશ્વરશક્તિને બળપૂર્વક પોતાની અંદર વધુ માત્રામાં ખેંચીને ધારણ કરી લે છે.


ઉપર્યુક્ત પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ જડ-ચેતન સૃષ્ટિના નિર્માણ, નિયંત્રણ, સંચાલન અને વ્યવસ્થા કરનારી આદ્ય બીજ શક્તિને ઈશ્વર કહે છે. આ સંપૂર્ણ વિશ્વના કણેકણમાં તે વ્યાપ્ત છે અને સત્યની, વિવેકની તથા કર્તવ્યની જ્યાં અધિકતા છે ત્યાં ઈશ્વરીય અંશ અધિક છે. જે સ્થાનોમાં અધર્મનો જેટલા અંશમાં સમાવેશ છે, ત્યાં એટલાં જ અંશમાં ઈશ્વરની દિવ્ય સત્તા ઓછી હોય છે.


સૃષ્ટિના નિર્માણમાં ઈશ્વરનો કયો ઉદ્દેશ્ય છે ? એનું યોગ્ય કારણ જાણવાનું માનવ બુદ્ધિ માટે હજી સુધી શક્ય નથી બન્યું. શાસ્ત્રકારોએ અનેક અટકળો આ સંદર્ભમાં કરી છે, પરંતુ એમાં એક પણ એવી નથી, જેનાથી પૂરો સંતોષ મળે. સૃષ્ટિની રચનાનો ઈશ્વરનો ઉદ્દેશ્ય હજી સુધી અન્નેય બની રહ્યો છે. ભારતીય અધ્યાત્મવેત્તા એને ઈશ્વરની “લીલા” કહે છે. એટલે ઈશ્વરવાદનો સિદ્ધાંત સર્વથા સ્વાભાવિક અને મનુષ્યના હિતને અનુકૂળ છે. આજ સુધી માનવ સમાજે જે કંઈ ઉન્નતિ કરી છે એનો સૌથી મોટો આધાર ઈશ્વરીય વિશ્વાસ જ રહ્યો છે. પરમાત્માનો આશ્રય લીધા વિના મનુષ્યની સ્થિતિ નિરાધાર બની જાય છે, જેથી એ પોતાનું કોઈ પણ લક્ષ સ્થિર નથી કરી શકતો અને લક્ષ્ય વિના સંસારમાં કોઈ મહાન કાર્ય સંભવ બનતું નથી. એટલે પરમાત્માના વિરાટ સ્વરૂપના રહસ્યને સમજીને જ આપણે સંસારમાં આપણી જીવન યાત્રા આગળ વધારવી જોઈએ.

%d bloggers like this: