રાષ્ટ્રીયતામાં નારીઓનું સ્થાન | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

રાષ્ટ્રીયતામાં નારીઓનું સ્થાન

જે સંકુચિત વાતાવરણમાં રહીને સ્ત્રીઓ સ્વયં સંકુચિત વિચારોવાળી બની ગઈ હતી અને જે વાતાવરણના લીધે પુરુષોના મનમાં પણ સ્ત્રીઓના માટે સંકુચિત વિચારો પેદા થયા હતા તે બધાને દૂર કરી આજે સુધરેલા સંસારમાં એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે સ્ત્રી અને પુરુષ બન્ને માનવસમાજનાં બે અંગ છે, જેમના ઉપર સમાજની સરખી જવાબદારી છે. મનુષ્યજીવનમાં સ્ત્રીની જે જવાબદારીઓ છે તેને અપનાવીને આપણે સ્ત્રીઓ માટે વિશિષ્ટ ફાળો આપવાનો છે. આજ સુધી ગૃહજીવન સ્ત્રીના હાથમાં હતું અને બહારના બધા જ વ્યવહાર પુરુષોના હાથમાં હતા. તેનાં બે પરિણામ સ્પષ્ટ રીતે આજે આપણી સામે છે. એક તો એ છે કે આજના સમાજમાં પુરુષોના બધા વ્યવહારોને એક પ્રકારની શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠા મળી અને સ્ત્રીઓના કામને મહિલાઓનું કામ સમજીને તેમને હીનદષ્ટિથી જોવામાં આવે છે. ક્યાંક બહાર જઈને કામ કરવામાં આજે પણ સ્ત્રીઓ વિશેષ ગૌરવનો અનુભવ કરે છે, જ્યારે ઘરમાં રહેતી અને ઘર સાચવનારી બહેનો પોતાના મનમાં એવું સમજી લે છે કે પોતે કંઈ જ નથી કરતી અને પોતાનું જીવન વ્યર્થ જઈ રહ્યું છે.

બીજું પરિણામ એ આવ્યું કે બહારના બધા વ્યવહારો ઉપર પુરુષોની છાપ પડેલી છે. આજે આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ તેમાં શરૂઆતથી અંત સુધી પુરુષોનું જ સામ્રાજ્ય છે. વ્યાપાર, વ્યવહાર, કાયદા-કાનૂન, રાજનીતિ, ધર્મનીતિ, ઉદ્યોગ, ધંધા, રોજગાર બધું જ પુરુષોએ બનાવેલું છે. સ્ત્રીઓ આજે આ કામોમાં ગમે તેટલો ભાગ લે, તો પણ તે પુરુષ બનીને એટલે કે પુરુષો દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિથી તે બધાં કામો કરે છે. સ્ત્રીઓ આજે ગમે તેટલી આગળ વધી ગઈ હોય તો પણ શું ? જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં ભલેને પદાર્પણ કરી લે અને પુરુષોની બરાબરી કર્યાનો ગમે તેટલો આત્મસંતોષ પણ અનુભવે, છતાં પણ આખરે તો તેને રહેવાનું છે તો એવી દુનિયામાં કે જેનો વિધાતા પુરુષ છે.

જે કામ સ્ત્રીઓને કુદરત તરફથી સોંપવામાં આવ્યું છે અને જેને સારી રીતે તેઓ કરી શકે છે તે બાળશિક્ષણનું કામ જો તેઓ બરાબર રીતે સંભાળી લે, તો તેણે એક ખૂબ જ મોટી જવાબદારી સંભાળી લીધી ગણાશે.

સ્ત્રીઓ કહી શકે છે કે આમાં તમે નવી વાત શું કરી ? આજે કોણ જાણે કેટલાય યુગોથી અમે ઘરની અને બાળકોની જ ગુલામી ભોગવીએ છીએ અને રાતદિવસ તેમનાં જ મળમૂત્ર ઉઠાવીએ છીએ, પછી તે કરવામાં નવીનતા શું છે ? પહેલી વિશેષતા તો ભાવના છે. નારીઓએ સમજવું જોઈએ કે આ કામ માથે આવી પડેલ કોઈ બોજો નથી અને પુરુષ જેટલાં પણ કામ કરે છે તેમનાથી આ કામ કોઈપણ રીતે હલકું નથી. આ રીતે કામ કરવામાં આવે તો તેમાંથી રસ મેળવી શકે છે. એમાં કોઈ શંકા નથી કે ભાવનાના રંગથી રંગાઈને કરવાથી આપણો બધાં કામ વધુ સજીવ અને પ્રકાશિત બનશે.

આ કામો કરવાની પદ્ધતિ તેની બીજી વિશેષતા છે. અગાઉથી ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે બાળકોને ઉછેરવાં અને એ માટે શાસ્ત્રોનો અભ્યાસ કરી પોતાના પ્રયત્નો દ્વારા આ પદ્ધતિમાં કાબેલ થવું તે અલગ વાત છે . જો સ્ત્રીઓ બાળકોના પાલનપોષણ અંગેનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગંભીરતાથી તે વિષયો ઉપર ચિંતન અને મનન કરે અને આ રીતે પોતાના અનુભવનું જ્ઞાન ભેટ રૂપે સમાજને આપે, તો આ કાર્ય આજે જેટલું તુચ્છ અને સામાન્ય માનવામાં આવે છે તે માત્ર સ્ત્રીઓને જ નહીં, પરંતુ પુરુષોને પણ ગૌણ નહીં લાગે.

જો આપણી બહેનો બાળમનોવિજ્ઞાન, બાળશિક્ષણશાસ્ત્ર, બાળશરીર અને બાળમાનસના વિકાસ અને આવા અન્ય વિષયોનો ગંભીરતાથી અભ્યાસ કરીને તે મુજબ સારી રીતે કામ કરવા લાગે, તો પુરુષના મનમાં કદી એવો ખ્યાલ નહીં આવે કે સ્ત્રીઓ તેમની માફક બહાર જઈ નોકરી નથી કરતી, એટલે તેઓ ઓછા મહત્ત્વનું

કામ કરે છે. એક કહેવત છે કે, “જેના હાથમાં પારણાની દો૨ી છે તે જ સંસારની ઉદ્ધારક પણ છે.” આ કહેવત આમ તો માત્ર લેખો અને નિબંધોમાં વપરાય છે અથવા માતૃદિનના ઉત્સવ ઉપર બોલવામાં આવે છે, પરંતુ તેને બહેનો મનમાં ઉતારી લે, તો કાલે આ બાબત પૂર્ણ અર્થમાં સાચી અને સાર્થક થઈ શકે છે.

બીજી વાત એ છે કે સંસારના માનવવ્યવહારમાં સ્ત્રી હોવાના નાતે તેણે એવું પરિવર્તન કરવું જોઈએ, જે તેના વિચારો અને સ્વભાવને અનુકૂળ હોય. આજકાલ જે રીતનો વ્યવહાર દેશદેશ અને જાતિ જાતિની વચ્ચે થઈ રહ્યો છે તેમાં અનેક પ્રકારનું જંગલીપણું છે, પશુતા પણ છે, હ્રદયશૂન્યતા અને અમાનુષીપણું પણ છે. પુરુષોની આ દુનિયામાં આ એક સામાન્ય બાબત બની ગઈ છે. જ્યાં જ્યાં વ્યવહારની વાત આવે છે ત્યાં ત્યાં તેની ઈમારત અસત્યના પાયા ઉપર બનેલી હોય છે. માનવીએ દુનિયામાં એવું વિચારીને ચાલવું જોઈએ કે જે કંઈ છે તે બધું ખોટું છે, જે કંઈ હક અથવા અધિકાર મેળવ્યા છે તે બધા લડી-ઝઘડીને જ મેળવ્યા છે. આ અને આવા અન્ય અનેક વણલખ્યા નિયમો આજે માનવના પરસ્પરના વ્યવહારમાં પ્રચલિત છે.

એ સાચું છે કે જો સ્ત્રીઓ પુરુષોનું અનુકરણ કરવાનું છોડી દે અને જે કંઈ તેના મનને સારું લાગતું હોય અને અનુકૂળ લાગે તેવું જ કરવા લાગે તો માનવવ્યવહારમાં તે ઘણું બધું પરિવર્તન લાવી શકશે અને તેને વિશિષ્ટ સ્વરૂપ પણ આપી શકશે. એમાં કોઈ શંકા નથી કે જે સંસ્કાર પેઢીઓ અને સદીઓ જૂના છે તેમને દૂર કરવામાં કે બદલવામાં પણ ઘણો સમય લાગશે, છતાં પણ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે અશક્ય હોય. આજકાલની સ્ત્રીઓ રોગિષ્ઠ છે. એક રોગ તો એ છે કે તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ તેઓ એવું જ માને છે કે પુરુષ જે કંઈ કહે છે તે જ સાચું છે. પુરુષોએ નક્કી કરેલા નિયમ, તેમના બનાવેલાં વિધિવિધાન બધું તેને સો ટકા સાચું લાગે છે.

સ્ત્રીઓનો બીજો રોગ એ છે કે તે સંકુચિત મનની છે. આજે સ્ત્રી મહાન બાબતોનો એટલી જ મહાનતા સાથે વિચાર નથી કરી શકતી. તેના માટે તે પોતાના દિલને વિશાળ બનાવે અને દુનિયાને વિશાળ દૃષ્ટિથી જુએ તે ખૂબ જ જરૂરી છે.

જો નર અને નારી ભગવાનની નજરમાં સરખું મહત્ત્વ ધરાવે છે, તો પણ કુદરતે નારીને સંતાનોને જન્મ આપવાની તથા તેમનું પાલન કરવાની જે વિશેષ જવાબદારી સોંપી છે તેના લીધે તેનું મહત્ત્વ જરૂર વધી જાય છે. નારીની ફરજ છે કે સૌથી પહેલાં પોતાની આ જવાબદારીને તે સારી રીતે અને અધિકારપૂર્વક નિભાવે. અનેકવાર તેને પુરુષના અયોગ્ય વર્તનના ભોગ બનવું પડે છે. તે આજે અબળા કહેવાય છે તેના માટે તેની નબળાઈ પણ જવાબદાર છે. તેને સંતાન પ્રત્યે તેમાંય ખાસ કરીને પુત્રો પ્રત્યે જરૂર કરતાં વધુ મોહ હોય છે અને તેમને સુયોગ્ય તથા કર્તવ્યપરાયણ બનાવવા માટે ઓછું ધ્યાન આપે છે. આના પરિણામે પુરુષોમાં અનેક દોષો પેદા થાય છે અને તે માતૃજાતિ પ્રત્યે તોછડો વ્યવહાર કરવામાં પણ પાછી પાની કરતા નથી. જો નારીઓએ પોતાને પુરુષની દાસી માનવાના બદલે તેનું નિર્માણ કરનારી સમજીને કર્તવ્યપાલન કર્યું હોત, તો આજે સંસારની સ્થિતિ કંઈ જુદી જ હોત.

નવા યુગમાં નારીનું સ્થાન | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નવા યુગમાં નારીનું સ્થાન

આજે નવનિર્માણનો યુગ છે અને આ નવનિર્માણમાં નારીનો સહયોગ ઈચ્છનીય છે અથવા તો એમ કહીએ કે આવનાર યુગનું નેતૃત્વ નારી કરશે, તો પણ અતિશયોક્તિ નહિ કહેવાય. નવનિર્માણ અને યુગ પરિવર્તન ક્યાંથી અને કેવી રીતે શરૂ થશે અને તેમાં નારીનો શો ફાળો હશે તે વિષયનો અભ્યાસ કરતાં પહેલાં જરા હાલના વિશ્વની સ્થિતિ ઉપર નજર નાજવામાં આવે. ટૂંકમાં, આજનું માનવજીવન જે ભીષણ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તેનું અનુમાન કરવું પણ ભયંકર છે. આજનું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક જીવન તથા રાષ્ટ્રીય જીવન એટલું અશાંતિમય અને અભાવગ્રસ્ત બની ગયું છે કે મનુષ્યને એક પળ માટે પણ ચેન નથી. ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઊભેલી માનવતા સુરક્ષા અને શાંતિ માટે પોકાર કરી રહી છે. ભૌતિકવાદના નશામાં એક દેશ બીજા દેશને, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને હડપ કરવા તાકીને બેઠું છે. યુદ્ધલક્ષી શસ્ત્રોની હરીફાઈ તથા વેરની ભાવનાઓએ વિશ્વશાંતિને ભયમાં મૂકી દીધી છે. જીવનમાં જે અનાસ્થા આવી ગઈ છે તેનો કોઈ અંત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં આપણે પાછળ પડી ગયા છીએ અને અધઃપતન તરફ જઈ રહ્યા છીએ. સામાજિક ઉદ્ધતાઈ, નૈતિક પતન, રાજકીય બળવા, આંધળું ધાર્મિક અનુકરણ અને અધાર્મિકતા ઉપરાંત નિષ્ઠાનો અભાવ આજના જીવનમાં ધુમ્મસની માફક વ્યાપી ગયાં છે.

આવી પરિસ્થિતિમાં આજે વિશ્વની જે માગણી છે તેને ભારત જ પૂરી કરી શકે તેમ છે અને તે છે શાંતિની, પ્રેમની, સુરક્ષાની તથા સંગઠનની. આજના યુગની સૌથી મોટી માગણી છે નવનિર્માણની. આવી પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન અને ક્રાંતિની તાતી જરૂર છે. આજે આપણે યુગપરિવર્તનના સૈનિક બનીને વિશ્વને શાંતિનો દીપક બતાવીશું. ફરીથી આપણે આપણા ઋષિમુનિઓની પરંપરાને જીવિત કરવી પડશે. ફરીથી ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજનૈતિક અને નિષ્ઠાની સ્થાપના કરવાની ભાવના લોકોમાં જગાડવી પડશે. આજે આપણે ભારતીય હોવાના નાતે પ્રત્યેક નરનારીએ દેશના નવનિર્માણમાં હૃદયપૂર્વક જોડાવું પડશે. આ યુગપરિવર્તનકારી આંદોલનમાં ભારતીય નારીની પ્રથમ જવાબદારી છે કે તે આ દિશામાં આગળ વધે. આજની નારી જાગૃત છે. તે સ્વતંત્રતા, ધાર્મિકતા અને મર્યાદાની રક્ષક છે.

આજે ભારતીય નારી દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. તે યુનિર્માણનું કામ કરવા સુસજ્જ છે. યુગ બદલાઈ રહ્યો છે, પરિસ્થિતિઓનું ઘટનાચક્ર ખૂબ જ ઝડપથી ફરી રહ્યું છે, માનવતાને તરછોડીને કોઈ દેશ કે સમાજ ઉન્નતિ કરી શકતો નથી. પોતાની ફરજો અને અધિકારોના પોષણ માટે ભારતીય નારી મક્કમ બની કાર્યક્ષેત્રમાં ઊતરી રહી છે. નારીશિક્ષણ પૂર્ણ કક્ષાએ ફેલાવવાની તથા વધારવાની સાથોસાથ નારીના સ્વતંત્ર વ્યક્તિત્વને વિકસાવવું પડશે. ગુલામીની અવસ્થામાંથી તેને મુક્ત કરવી પડશે. પુરુષસમાજે સમજવું પડશે કે નારી ઉપભોગ અને વાસનાની વસ્તુ નથી, પરંતુ એક જીવંત જાગૃત આત્મા છે. તેનામાં પ્રાણ છે, માન છે અને સ્વાભિમાનની ભાવના છે. મનુએ એલાન આપ્યું હતું કે, “જ્યાં નારી પૂજાશે ત્યાં ઈશ્વર હશે.” નારી આજે પ્રત્યેક પગલે નવી પ્રેરણા આપશે. તેની અગમ શક્તિને ફરીથી સ્થાપવી પડશે. તે વાત્સલ્યપૂર્ણ મા છે, સ્નેહભરી બહેન છે, પતિવ્રતા પત્ની છે, પરંતુ બીજી તરફ તે ચંડી છે, દુર્ગા છે, મહાકાળી છે. નારી જ વીર પુત્રોને જન્મ આપે છે. ધ્રુવ, પ્રહ્લાદ, અભિમન્યુ, શિવાજી, રાણાપ્રતાપ વગેરેને જન્મ આપનાર માતાઓ ભારતમાં જ થઈ હતી. રણચંડી દુર્ગાની માફક મર્યાદા અને માન માટે ઝઝૂમનારી ક્ષત્રાણીઓ અને ઝાંસીની વીર રાણી અહીંયાં જ થઈ ગઈ, પરંતુ આપણે ભૂલી ગયા તે સતીઓના તેજને, તે વીર પુરુષોની જન્મદાત્રીઓને, તે કુળવધૂઓને અને નારીના તેજને, જે આભૂષણોના ચળકાટમાં, રેશમી વસ્ત્રોમાં આજે અટવાઈ ગયું છે. આ ચતુર્મુખી નિર્માણના સમયમાં નારીઓએ ભૂતકાળમાંથી પ્રેરણા લેવી પડશે. તેમનું આત્મબળ ફરીથી જાગૃત કરવું પડશે. આજની ભણેલી-ગણેલી નારીઓ આર્થિક સ્વતંત્રતા અને પશ્ચિમી સભ્યતાને અપનાવી ભારતીય ગૌરવને દૂષિત ન કરે. તેઓ ઘરેઘરે ફરીને નારીસમાજને તેની ગુપ્તશક્તિઓનું જ્ઞાન આપે. દેશમાં કન્યાકેળવણી માટે છોકરાઓના શિક્ષણ કરતાં પણ વધુ ભાર મૂકવામાં આવે. આ લાગણીવેડાની વાતો નથી, એક સ્વયંસિદ્ધ સત્ય છે. જે નારીઓ ભણેલી હશે, તો પુરુષસમાજ આપમેળે સુધરી જશે. માતાઓ અને પત્નીઓના સંસ્કારોથી પુરુષસમાજ પોતાની મેળે સુસંસ્કારી બની જશે. દેશની માનમર્યાદાની રક્ષા કરનારી નારી જ્યારે નવનિર્માણનો નાદ ફેલાવી દેશે, તો કોઈ શંકા નથી કે આપણા દેશમાં આજે ફરીથી હરિશ્ચંદ્ર, પ્રતાપ, રામ, ભીમ અને અર્જુન પેદા ન થાય.

આજે સમગ્ર નારીજાતિની ફરજ છે કે નિંદનીય વાતાવરણ છોડીને, પરવશ હોવાની ગ્રંથિને ભૂલી જઈને આગળ વધે અને સમાજને સુધારવાનો, નૈતિક ઉત્થાનનો અને ધાર્મિક પુનઃજાગરણનો સંદેશ માનવતાને આપે. પુરુષો સાથે ખભેખભા મિલાવીને ઘરમાં અને બહાર બન્ને ક્ષેત્રમાં નારીએ કામ કરવું પડશે. આજે ભારતમાં જરૂર છે અધ્યાત્મ અને વૈદિક ધર્મના પુનરુત્થાનની તથા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પુનઃસ્થાપનની. જ્યારે ઘર ઘરમાં ફરીથી વેદોની વાણી ગુંજી ઊઠશે ત્યારે ભારત ફરીથી પોતાના પ્રાચીન જગતગુરુના ગૌરવને પ્રાપ્ત કરશે. સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક એમ દરેક ક્ષેત્રમાં નૈતિક શિક્ષણ અને નિષ્ઠાનું પુનઃ સંગઠન કરતાં કરતાં આજની શિક્ષિત નારી જે માર્ગનું નિર્માણ કરશે તે માર્ગ ખૂબ જ સુગમ અને આધ્યાત્મિક હશે. ફરીથી ભારતમાં ઋષિઓની પરંપરા જાગૃત થશે. નારીની માતૃશક્તિના સ્વરૂપમાં પૂજા થશે અને આપણે સમસ્ત વિશ્વને એક મૌલિક પ્રકાશ તેમજ નૂતન સંદેશ આપીશું. નારી જ દરેક ઘરમાં એવું વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે, જે ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત હોય. તે આજે સબળા બનીને ચેતના, પ્રેરણા મુક્તિ તથા આધ્યાત્મિકતાની સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપે આગળ આવી રહી છે. નારીઓ કુટુંબ અને સમાજમાં
સહયોગ આપશે, તો એક એવું વાતાવરણ બની જશે કે જેમાં ફરીથી દીચિ, કર્ણ અને રામ પેદા થશે. નારીની સબળ પ્રેરણા પુરુષને નવશક્તિથી ભરી દેશે, પરંતુ તેના માટે તેને આત્મબળ, ચરિત્રબળ અને તપબળમાં મહાન બનાવવાની જરૂર છે.

નારી વિશ્વની ચેતના છે, માયા છે, મમતા છે, મોહ અને મુક્તિ છે, પરંતુ સમયે સમયે તેનું અવતરણ જુદા જુદા સ્વરૂપે થાય છે. આજે આપણને એવી ક્ષત્રાણીઓની જરૂર છે કે જે જરૂર પડ્યે રણમેદાનમાં ઊતરી પડે. સાથોસાથ એ પણ ન ભૂલવું જોઈએ કે તેણે કૌટુંબિક અંગથી વિસ્તૃત ક્ષેત્ર તરફ જવાનું છે.

ઘરેણાંઓથી ઢંકાયેલી ભોગવિલાસિનીઓની જરૂર નથી. આજે તો એવી કર્મઠ મહિલાઓની જરૂર છે કે જે પુરુષસમાજ અને સમસ્ત દેશને ભારતની સંસ્કૃતિનો પાવન સંદેશ આપીને દેશમાં, ઘરઘરમાં ફરીથી પ્રેમ, ત્યાગ, બલિદાન, પવિત્રતા તથા મધુરતાનો સંદેશ આપે. અફલાતુન નામના દાર્શનિકે કહ્યું હતું કે ‘સ્ત્રી સ્વર્ગ અને નરક બન્નેનું દ્વાર છે.’’ બસ, આજે હવે ફરીથી નારીજાતિ કટીબદ્ધ બની જાય અને પોતાના બળથી પૃથ્વી ઉપર જ સ્વર્ગનું અવતરણ કરાવે.

નારીજાગૃતિ અને હાલની સામાજિક સ્થિતિ | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નારીજાગૃતિ અને હાલની સામાજિક સ્થિતિ

એ સત્યનો તો કોઈનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ સંપૂર્ણપણે ઉચ્ચ અને સંતોષજનક હતી. આજે પણ આપણે ઊંચા ગર્વની સાથે વૈદિકકાળની વિદુષીઓ, બોદ્ધકાળની ધર્મપ્રચારિકાઓ અને મોગલકાળની વીરાંગનાઓનાં નામ લેતા રહીએ છીએ, પરંતુ એમાં શંકા નથી કે એક હજાર વર્ષની ગુલામીના ફળ સ્વરૂપે જેમ બીજા અનેક વિષયોમાં ભારતીય સમાજનું પતન થયું છે તેમ સ્ત્રીઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. હવે નવયુગનાં મંડાણ થતાં સમાજના હિતેચ્છુઓનું ધ્યાન આ ભૂલ સુધી પહોંચ્યું છે અને અનેક સ્ત્રીઓ પોતાનાં ખોટાં બંધનોને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. એવી સ્ત્રીઓને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો એ જે ભારતીય સંસ્કૃતિની ઉપાસક છે અને પતનકાળમાં ઉત્પન્ન થયેલી ખરાબ પ્રથાઓને દૂર કરીને નારીઓને પૂર્વકાળના ઉન્નત અને જવાબદાર આદર્શ તરફ લઈ જવા માગે છે. બીજા વિભાગમાં તેમની ગણતરી કરી શકાય છે કે જે પશ્રિમના શિક્ષણ અને આદર્શોથી આકર્ષાઈને ભારતીય મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્ર અને પુરુષ સમોવડી બનાવવાની આગ્રહી છે. આ બીજો મત ત્યજવા યોગ્ય છે, પરંતુ પ્રથમ વિભાગવાળી વિદુષી નારીઓનો મત વિચારવા જેવો અને વધુ માનવા યોગ્ય છે. હવે પછી આપણે તેનું વિવેચન કરીશું.

આપણા પૂર્વજોએ સમાજની રચના એવી રીતે કરી છે કે કોઈ કોઈને પરાધીન ન બનાવી શકે, પ્રેમ અને કર્તવ્યનું બંધન એટલું મજબૂત છે કે મનુષ્ય એકબીજાની સાથે પોતાની સહજવૃત્તિના લીધે જોડાઈ જાય છે અને એકબીજા માટે મોટામાં મોટો ત્યાગ કરી શકે છે. પોતાની જાતને પણ જોખમમાં મૂકી શકે છે, પરંતુ નોકરાણી પાસે આવી અપેક્ષા ગમે તેટલો લાભ અને ભય બતાવવા છતાં પણ રાખી શકાતી નથી.

નર અને નારીના સહયોગથી સૃષ્ટિની શરૂઆતના સમયે કુટુંબો બન્યાં અને સમાજની રચના માટે વ્યવસ્થા કરનારાએ એટલું ધ્યાન રાખ્યું છે કે તે બન્ને સહયોગી તથા એકબીજા માટે વધુ મદદરૂપ બને. એકબીજાને પરાધીન બનાવવાનો અનૈતિક પ્રયાસ ન કરે. આ દૃષ્ટિકોણને લક્ષમાં રાખીને તે મુજબ સમાજની રચના થઈ છે. નર અને નારી લાખો કરોડો વર્ષો સુધી એકબીજાના સહાયક મિત્ર બનીને સ્વચ્છાએ એકબીજાને મદદ કરી જીવન પસાર કરતાં રહ્યાં. આનાથી તંદુરસ્ત સમાજનો વિકાસ થયો. ઉન્નતિ, પ્રગતિ, પ્રસન્નતા અને સુખશાંતિની ભેટ પણ આ જ વ્યવસ્થાએ આપી છે.

વિશ્વના, ખાસ કરીને ભારતના પ્રાચીન ઈતિહાસ ઉપર નજર કરવાથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીએ પુરુષની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે અને જીવનની અનેક સમસ્યાઓને હલ કરવામાં જ્ઞાન અને વિજ્ઞાનની મહત્ત્વની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. એકબીજાને પોતાની અપેક્ષા કરતાં વધુ આદરણીય સમજીને અને આત્મીય સંબંધોને દિવસે દિવસે વધારે મજબૂત બનાવીને બધી જ દૃષ્ટિએ એક્બીજા ઉપર કોઈ હક્ક જમાવવાનો પ્રયત્ન કર્યો નથી. આમ સ્વસ્થ વિકાસ અને સાચા પ્રેમભાવનો માર્ગ પણ આથી વિશેષ બીજો કોઈ ન હતો. ભારતીય ઈતિહાસનાં પાનાં પર નર અને નારી નિષ્કપટ બાળકોની માફક કિલ્લોલ કરતાં કરતાં એકબીજા સાથે રમતાં-કૂદતાં દેખાય છે. દુનિયાના મોટા ભાગનો વિકાસ આ જ મંગલમય ભાવનાઓથી થયો છે.

દેવો, ઋષિઓ અને રાજાઓથી માંડીને સામાન્ય ગૃહસ્થો અને ગરીબોના જીવનમાં નર અને નારીની એકતા અને સમતા એવી ગુંથાયેલી છે, જેનો નિર્ણય કરવો અઘરો છે કે આ બન્નેમાંથી કોને અગ્રીમ માનવું. દેવવર્ગમાં લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી વગેરેનાં નામ જે સ્થાને છે તેઓ કોઈ પુરુષ દેવતાઓથી કોઈ પણ રીતે ઊતરતાં નથી. દેવતાઓ સાથે પણ નારી અસાધારણ રૂપથી ગુંથાઈ ગઈ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર વગેરે દેવોને જુઓ તો તેમની ધર્મપત્નીઓ તેમની સમકક્ષ જ કાર્ય અને જવાબદારી સંભાળતી જોવા મળે છે. સીતા અને રાધાને રામ અને કૃષ્ણના જીવનમાંથી અલગ કરી શકાય નહીં. અનસૂયા, અરુંધતી, ગાર્ગી, મૈત્રેયી, શતરૂપા, અહલ્યા, મદાલસા વગેરે ઋષિપત્નીઓનું મહત્ત્વ પણ તેમના પતિઓ જેવું જ છે. ગાંધારી, સાવિત્રી, શેખ્યા વગેરે અસંખ્ય નારીઓ યોગ્યતા અને મહાનતાની દૃષ્ટિએ તેમના પતિઓથી કોઈ પણ રીતે પાછળ ન હતી. વૈદિક સમયમાં ઋષિઓની માફક ઋષિકાઓનું યજ્ઞમાં યોગ્ય સ્થાન હતું. યજ્ઞમાં નારીની અનિવાર્ય જરૂરિયાત માનવામાં આવી છે.

નર અને નારી સરખી રીતે પોતાનો વિકાસ કરતાં આગળ વધ્યાં છે અને સંસારને આગળ વધાર્યો છે. ભારતીય સંસ્કૃતિનું તમામ તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે પુરુષે કદી પણ એવો પ્રયત્ન નથી કર્યો કે નારીને પોતાનાથી પછાત, દુર્બળ તથા અવિકસિત માનીને તેનાં સાધનોનું શોષણ કરીને તેને સામાન્ય સમજી, મનફાવે તે રીતે ચાલવા માટે વિવશ અને પરાધીન બનાવી હોય. જો આવું જ હોત તો ઈતિહાસનાં પાનાં જુદી જ રીતે લખવામાં આવ્યાં હોત. જગતગુરુ કહેવડાવવાનું, વિશ્વનું નેતૃત્વ કરવાનું અને વિશ્વમાં બધે જ આશા અને પ્રકાશનાં કિરણો ફેલાવવાનું જે શ્રેય ભારતને મળ્યું તેવું કદી પણ બન્યું ન હોત.

આજે ભારતવર્ષમાં સ્ત્રીજાતિનું સામાજિક સ્થાન ખૂબ જ પાછળ છે. તેના વ્યક્તિત્વને એટલું અવિકસિત બનાવી દેવામાં આવ્યું છે કે તે બધી રીતે પરાવલંબી અને અપંગ બની ગઈ છે. રસોઈ અને પ્રજનન આ બંને કાર્યોને બાદ કરતાં બીજા કોઈ ક્ષેત્રમાં તેની કોઈ ઉપયોગિતા રહી નથી. શહેરોમાં હવે કન્યાઓને લોકો એટલે ભણાવે છે કે ભણેલા ગણેલા છોકરાઓ સાથે તેમનું લગ્ન કરવામાં અનુકૂળતા રહે. લગ્ન થતાં જ તેનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને પછી જીવનભર વધુ આગળનો અભ્યાસ તો ઠીક, પરંતુ જે કંઈ ભણી હતી તેનો ઉપયોગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો નથી. આર્થિક રીતે નારી કાયમ પરાવલંબી છે. જ્યારે તે વિધવા બને કે તેવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તેને વારસામાં કોઈ સંપત્તિ મળતી નથી અને તેથી છોકરાંઓનું પાલનપોષણ કરવું અઘરું બની જાય છે. જો સંતાન ન થાય, તો પણ તેને બિચારીને ઘરના સૌનો કોપ સહેવો પડે છે. ઘણી વખત તો આ અપરાધના લીધે પતિદેવ બીજું લગ્ન કરી લે છે અને સધવા હોવા છતાં તેને વિધવા જેવું દુઃખ ભોગવવું પડે છે. આ રીતે ઘરના પાંજરામાં કેદ તથા બહારની પરિસ્થિતિથી તે કાયમ માટે અપરિચિત હોવાના કારણે તેને એટલું પણ જ્ઞાન નથી હોતું કે જીવન જીવવા માટે જરૂરી સમસ્યાઓ તે કઈ રીતે હલ કરી શકે. જીવનને સફળ અથવા સારું બનાવનાર કોઈક કાર્ય કરવું તેના માટે અશક્ય બની જાય છે.

આવી વિકટ પરિસ્થિતિ આજે નારી માટે એક દુર્ભાગ્ય જ બની ગઈ છે. તે વ્યક્તિગત કે સામૂહિક જીવનના વિકાસમાં પોતાની શક્તિ, સામર્થ્ય અને પ્રતિભાનો કોઈ ઉપયોગ કરી શકતી નથી. મુશ્કેલી આવે ત્યારે પોતાનું અને પોતાનાં બાળકોના ગૌરવશાળી જીવનનું રક્ષણ કરી શકતી નથી. તેના ઉપર એક મોટું લાંછન એ છે કે તેને ચારિત્ર્યની દૃષ્ટિએ કાયમ માટે અવિશ્વસનીય માનવામાં આવે છે. તેના ઉપર હંમેશાં ચોકીદાર રાખવામાં આવે છે. પોતાની દીકરીઓ, બહેનો અને માતાઓ પ્રત્યે આવી અવિશ્વાસની ભાવના રાખવી તે પુરુષોની પોતાની નૈતિક નિર્બળતાનું ચિહ્ન છે. સ્ત્રી ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા જતાં તે પોતે જ ખુલ્લો પડી જાય છે. પોતાના દુર્ગુણને બીજામાં જોવાવાળી કહેવત “ચોરની દાઢીમાં તણખલું” મુજબ તે પોતાની ચારિત્ર્યહીનતાનું દોષારોપણ નારી પર કરે છે. ખરેખર સ્ત્રી પુરુષની સરખામણીમાં સ્વાભાવિક રીતે અનેકગણી ચારિત્ર્યવાન હોય છે.

નારી ઉપર અનેક પ્રકારનાં બંધનો લાદી તેને શિક્ષણ, તંદુરસ્તી, ધન કમાવું, સામાજિક જ્ઞાન, લોકસેવા વગેરે લાયકાતોથી વંચિત રાખવી એક એવી બૂરાઈ છે કે જેના લીધે અડધા રાષ્ટ્રને લકવો થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અવિકસિત, પરાધીન અને અયોગ્ય નારીનો ભાર પુરુષે સહન કરવો પડે છે, જેના કારણે તેનો પોતાનો વિકાસ પણ અટકી જાય છે. જો નારીને સભ્ય બનાવવામાં આવે તો તે પુરુષ માટે ભારરૂપ ન રહે અને તેની તંદુરસ્તી, આર્થિક વ્યવસ્થા તથા બાળકોના વિકાસથી માંડીને અનેક કામોમાં પણ સહાયક બનીને ઉન્નતિના અનેક દરવાજા ખોલી શકે છે. તેને પડદામાં બંધ રાખીને પુરુષ એવું વિચારે છે કે આ રીતે તેને વ્યભિચારથી રોકી શકાશે . તેનો અર્થ એ થાય કે નારી એટલી પતિત છે કે કડક બંધનો વગર તે સદાચારિણી રહી શકતી નથી. આ માન્યતા ભારતીય નારીનું મોટું અપમાન છે અને તે આદર્શો તથા ભાવનાઓથી પૂર્ણ વિરુદ્ધ છે કે જે અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં નારી પ્રત્યે રાખવામાં આવે છે.

અનેક નારીઓ એવી છે, જેમની પાસે પૂરતો સમય છે, પરંતુ તેમને તક આપવામાં આવતી નથી, જેમાં તે પોતાના જીવનને કંઈક વિશેષ બનાવી શકે. વિધવાઓ અને ત્યક્તાઓ ઘરના લોકો માટે એક બોજો બને છે, પરંતુ તેમને શિક્ષણ, લોકસેવા વગેરે કોઈ પણ ક્ષેત્રમાં જવા દેવા માટે સમાજ બંધનો ઢીલાં કરતો નથી. તેમને તક આપવામાં આવે તો પોતાના સમયનો સદુપયોગ કરીને પોતાના વ્યક્તિગત જીવનમાં તે ભારે ઉત્કર્ષ કરીને નારીરત્નોની શ્રેણીમાં પહોંચી શકે છે અને પોતાની લાયકાતથી સંસારને એવો જ લાભ આપી શકે કે જેવો અનેક નરરત્નો, મહાપુરુષો આપે છે.ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનની પુનિત ગાથામાં મહિલાઓની ન્યાયી માગણીઓ સાંભળવી જોઈએ. નારી ઈચ્છે છે કે તેનાં બંધનો ઢીલાં કરવામાં આવે, જેથી ચોકીદાર વગર પણ તેને સદાચારિણી રહી શકવા જેટલી વિશ્વાસુ માની શકાય. તેના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તે મનુષ્યતાની જવાબદારીને સમજી શકે. તેને તમામ જાણકારી મેળવવા દેવી જોઈએ, જેથી તે પુરુષની મુશ્કેલીઓ ઉકેલવામાં અને ઉન્નતિની દિશામાં મદદરૂપ બની શકે. તેને સમર્થ બનવા દેવી જોઈએ, જેથી તે પોતાના કુટુંબની આર્થિક સ્થિરતામાં સહાયક બની શકે. બદલાતા યુગમાં નારીને એક જીવતી લાશ જેવી સ્થિતિમાં રાખવાના કારણે તે અસંતુષ્ટ છે. તે આગળ વધીને રાષ્ટ્રનિર્માણ અને સમાજમાં કંઈક સહયોગ આપવા માગે છે. ભારતીય સંસ્કૃતિમાં એની આ સહજ અપેક્ષાઓ પ્રત્યે પૂરતી સહાનુભૂતિ રાખવામાં આવે છે. હાલના સંજોગોમાં નારીની બિનજરૂરી પરાધીનતા એક દૂષણ છે.

નારીઓનો સમાજના વિકાસમાં ફાળો | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નારીઓનો સમાજના વિકાસમાં ફાળો

આધુનિક વિદ્વાનોએ સંસારની વિભિન્ન જાતિઓની સભ્યતાની શોધ કરવામાં જે રીતે કામ કર્યું છે તેમાં ‘સ્ત્રીઓની સ્થિતિ’ ને ખાસ ધ્યાનમાં લીધી છે. સંસારમાં એવા દેશ ખૂબ જ ઓછા છે, જ્યાં પ્રાચીન કાળથી સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હોય. ઘણા દેશોમાં તો સ્ત્રીઓને કાયમ દાસીનું જ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ પ્રાચીન ભારતના લોકોએ સમાજનિર્માણમાં સ્ત્રીઓના મહત્ત્વનો અનુભવ જોતાં તેમને એટલું ઉચ્ચ સ્થાન આપ્યું હતું કે તે પૂજાને પાત્ર ગણાતી હતી.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેને એક ગાડીનાં બે પૈડાં માનવામાં આવતાં. બન્ને પૈડાં સાથોસાથ અને યોગ્ય રીતે ચાલે ત્યારે જીવનરૂપી ગાડી સારી રીતે આગળ વધી શકે છે. આ દૃષ્ટિથી સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવામાં આવતી. ‘શતપથ બ્રાહ્મણ’ માં લખ્યું છે કે “પુરુષ પત્નીને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પ્રજોત્પાદન ન થવાથી અપૂર્ણ રહે છે.’’ મહાભારતના આદિપર્વ (૭૦-૪૦)માં લખ્યું છે, “સ્ત્રી પુરુષનું અડધું અંગ અને તેની શ્રેષ્ઠ મિત્ર તથા તારણહાર છે.” મનુ ભગવાને તો સ્પષ્ટ કહ્યું છે કે “જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે.” એ વ્યવસ્થામાં કોઈ બાબતની શક્યતા જ ન હતી કે પુરુષ પોતાની શક્તિનું અભિમાન કરીને સ્ત્રી ઉપર પોતાનો અધિકાર બતાવી શકે. જયારે સ્ત્રી તેનું અડધું અંગ છે ત્યારે અધિકારનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તે બન્ને સરખી જ લાયકાત ધરાવે છે. સ્ત્રી અને પુરુષ એક જ કૌટુંબિક જીવનના બે અલગ સૂત્રધાર છે. કૌટુંબિક જીવનમાં બે પ્રકારની જવાબદારીઓ રહે છે. એક ઘરની અંદરની અને બીજી ઘરની બહારની. તેમાંથી એકનું સંચાલન ખાસ કરીને સ્ત્રી દ્વારા થાય છે અને બીજીનું પુરુષ દ્વારા. કુટુંબના ઉત્કર્ષ માટે બન્ને સૂત્રધારોએ સંયુક્ત રીતે સંચાલન કરવું જરૂરી છે. જો બન્નેમાંથી કોઈ એકમાં પણ ખોટ રહે તો જીવન દુઃખમય બની જાય છે.


સ્ત્રી અને પુરુષના ભેગા રહેવાથી જ કૌટુંબિક જીવનના શ્રીગણેશ થાય છે. જેમ જેમ સંતાનો વધે છે અથવા અન્ય રીતે કુટુંબના સભ્યોની સંખ્યા વધવા લાગે છે, તેમ તેમ તેમનું આંતરિક જીવન પણ વિકસિત થવા લાગે છે. આ જીવનનો સંબંધ સંપૂર્ણ રીતે સ્ત્રી સાથે જ રહે છે. જૂના જમાનામાં તેને જ કુટુંબના નાના-મોટા સૌ સભ્યોની ચિંતા કરવી પડતી હતી. તેણે પોતાના ઘરને સ્વચ્છ-સજાવેલું રાખવું પડતું હતું, ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી અને અતિથિના સત્કારની જવાબદારી નિભાવવી પડતી હતી. તેણે પોતાના સંતાનનું પાલનપોષણ કરી તેમને સારા નાગરિક બનાવાનો પ્રયત્ન પણ કરવો પડતો હતો. માટે જ તેને ગૃહિણીના હોદ્દા ઉપર બેસાડવામાં આવી હતી. મહાભારતના શાંતિપર્વ(૧૪૪-૬૬)માં લખ્યું છે, “ઘર,ઘર નથી, પણ ગૃહિણી જ ઘર કહેવાય છે.” પ્રાચીન સામાજિક જીવનમાં ગૃહિણીનું પદ અત્યંત અગત્યનું હતું, કેમ કે તે સમયે કૌટુંબિક જીવન સ્વાવલંબનના સિદ્ધાંત ઉપર ટકેલું હતું. એટલા માટે સ્ત્રીને ઉપર લખેલાં કામો ઉપરાંત સૂતર કાંતવું, કપડાં સીવવાં, ગાયો દોહવી તથા ખેતી સંબંધી ઘણાં કામોની પણ જવાબદારી ઉઠાવવી પડતી હતી. જો સ્ત્રી ઘરનાં આ બધાં કામોની જવાબદારી પોતાના ઉપર ન લે તો સમજી શકાય છે કે પુરુષને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

કુદરતે ગૃહિણીપદ ઉપરાંત સ્ત્રીને માતૃપદને યોગ્ય બનાવી છે. ‘માતા’ શબ્દ તો કૌટુંબિક જીવન માટે જાણે અમૃતનો ભંડાર છે. માતા કુટુંબ માટે ત્યાગ, તપ અને પ્રેમની ત્રિવેણી જ છે. માતા અને પુત્રનો પરસ્પર પ્રેમ રહે તેનાથી કૌટુંબિક જીવન વધુ સુખી બને છે. માતા સમાજસેવાના સારામાં સારા આદર્શોની સાક્ષાત મૂર્તિ જ છે. પોતાનાં બાળકોના પાલનપોષણમાં તે બધાં દુઃખોને હસી હસીને વેઠે છે. પ્રાચીન ભારતમાં માતાનો મહિમા સૌથી વધુ ગણાતો હતો. સૂત્ર તથા સ્મૃતિ ગ્રંથોમાં આ બાબતમાં ઘણુંબધું લખવામાં આવ્યું છે.

સ્ત્રીને ઉપરોક્ત બે હોદ્દા ઉપરાંત એક વધુ હોદ્દો મળતો હતો અને તે હતો પુરુષની સહચારિણીનો. ગૃહિણી અને માતાની જવાબદારીઓથી તેનું જીવન નીરસ ન થઈ જાય અને ઘરબહારની ઝંઝટોમાં ફસાઈને તેના પતિનું જીવન પણ કડવું ન થઈ જાય, તે માટે પોતાના પતિની સહચારિણી બનીને તેને જીવનના સાચા સુખનો આનંદ આપતી હતી. પ્રકૃતિએ તેને જ સૌંદર્ય અને માધુર્ય આપ્યાં છે. તેણે પોતાના પ્રયત્નોથી લલિતકળામાં નિપુણ થઈને જીવનનાં દુઃખોને ભૂલવામાં સક્ષમતા મેળવી હતી. તેનું સૌંદર્ય અને મીઠાશયુક્ત પ્રેમ જ તેના અંગેઅંગમાંથી ટપકતાં હતાં. તે તેના પતિની દિવસભરની ચિંતાઓ અને ઝંઝટોને દૂર કરવામાં સમર્થ હતી. લગ્ન સમયે જે વેદમંત્રો બોલવામાં આવતા હતા તેમાં સ્ત્રીના ગૃહિણી, માતા અને સહચારિણીના હોદ્દાનો ઉલ્લેખ છે. આ ભાવો પહેલેથી જ વહુના મન ઉપર અંકિત કરવામાં આવતા હતા, જેનાથી નવા જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં તે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજી લે. લગ્ન સ્ત્રી અને પુરુષને આજીવન બંધનમાં બાંધી લેતું હતું.

ભારતીય નારીની મહાનતા | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

ભારતીય નારીની મહાનતા

કદાચ કાળક્રમે ભારતીય નારીઓના પ્રાચીન આદર્શ ઘણા ખરા ઓછા થઈ ગયા હોય, બદલાઈ ગયા હોય, તો પણ પ્રાચીન સંસ્કારોના લીધે આજે પણ એક સામાન્ય ભારતીય નારીમાં જે વિશેષતાઓ જણાય છે તે સંસારના બીજા કોઈ દેશની સ્ત્રીઓમાં મળવી અશક્ય છે. હજુ પણ ભારતીય નારીઓમાં જેટલું સતીત્વ, શ્રદ્ધા અને ત્યાગનો ભાવ જોવા મળે છે તેનું ઉદાહરણ કોઈ પણ દેશમાં મળવું મુશ્કેલ છે.

નાનપણથી જ નારીમાં ભોળપણ હોય છે. તેનામાં સહનશક્તિ, લજ્જા, ઉદારતા જેવા ગુણો સામાન્ય રીતે હોય છે અને તેની સાથે સાથે આત્મસમર્પણની ભાવના પણ હોય છે. એ જેને આત્મસમર્પણ કરે છે તેના દોષોને આખી જિંદગી સુધી ભગવાન શંકરની માફક પી જવાની કોશિશ કરે છે અને જેને પોતાના વાસ્તવિક દેવતા માને છે તેને તે પોતાના આત્માથી ક્યારેય પણ દૂર કરવા ઈચ્છતી નથી. સાથેસાથે આ આત્મસમર્પણ પછી તે પોતાના જીવનસાથીના દરેક કાર્યને જાણવા ઈચ્છે છે, ફક્ત ઘરનાં કાર્યોથી જ સંતોષ નથી માની લેતી. તે પોતાના પતિદેવ સંબંધી બહારનાં બધાં કાર્યોની ગણતરી કરે છે. આ બધું શા માટે ? એટલા માટે કે તે પોતાનું બધું જ સમર્પિત કરીને તેની અર્ધાંગિની બની ગઈ છે અને પોતાના બીજા અંગના વિષયમાં ચિંતા કરવી તે સ્વાભાવિક

રીતે તેનો અધિકાર છે. આ અધિકાર ન માનવો તે પુરુષોની ભૂલ હશે. આ રીતે નારી શરૂઆતથી જ પોતાના જીવનને પ્રગતિના માર્ગે લઈ જાય છે. સમય આવે ત્યારે તે ત્યાગ અને વિકાસ માટે ગમે તેવો ભોગ આપે છે. સંસારમાં પોતાના માટે તેનું કંઈ જ નથી. તેની પાસે જે કંઈ છે તે બીજાને માટે છે, અર્થાત્ પતિ, પરિવાર અને દેશ માટે છે. તેના યોગદાનની બાબતમાં તે ગર્ભધારણ કરે છે તે સૌથી મોટું ઉદાહરણ કહી શકાય, પરંતુ ગંભીરતાથી વિચારીએ તો તેનાથી તેને પોતાને શું મળે છે ? એ તો સમાજ અને દેશ માટેની મહાન ભેટ બની જાય છે.

તે પોતાનું લોહીમાંથી ગર્ભનું પોષણ કરે છે. નવ માસ સુધી બિનજરૂરી ભાર ઉઠાવે છે. ચક્કર, ઊબકા, અરુચિ વગેરેના પ્રકોપથી રાતદિવસ હેરાન થાય છે. ચાલતી વખતે એકદમ પડી જાય છે અને ક્યારેક તો પ્રસવની અસહ્ય પીડાથી અંતે જીવ પણ ગુમાવે છે. જો બાળક સારી રીતે જન્મે, તો પણ તે દેશ અને સમાજ માટે હોય છે, તેનું નહિ, કેમ કે મોટો થયા પછી તે પોતાની ઈચ્છા મુજબ આગળ વધે છે. તેનું શરીર ગર્ભના લીધે નબળું પડી જાય છે, તો તેને શું મળ્યું ? તે તો વીર્યનાં થોડાં બુંદ ગ્રહણ કરે છે અને તેની સાથે પોતાના શરીરના લોહીનાં હજારો બુંદને ભેળવીને સમાજ માટે સંતતિનું મહાન દાન કરે છે.

બાળક જન્મે છે ત્યારે તે મોતના મુખમાંથી નીકળી દુર્બળ શરીર સાથે અઠવાડિયાંઓ સુધી ખાટલા ઉપર સૂતી રહે છે, પીડાય છે, હેરાન પરેશાન થાય છે અને પોતાને અસમર્થ અનુભવતાં પથારીમાં ચુપચાપ સૂતી રહે છે. તે તો વિશ્વને એક મહાન દાન આપે છે. તેથી ગર્ભધારણ મહાન ત્યાગનું ઉદાહરણ બની શકે છે. આનાથી આગળ વિચારીએ તો નારીનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. બાળકો મોટાં થાય છે અને તેમને ખુશ કરવા માટે બેટા, લાલા, વહાલા કહીને પ્રેમ વરસાવતી તે ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. જો તેનું કુટુંબ ગરીબ હોય કે કોઈ કારણોસર તેના રસોડામાં ભોજન ઓછું હોય તો તે સમસ્ત પરિવારને જમાડીને પોતે ભૂખી સૂઈ જશે. કોઈને પોતાની બાબતમાં કંઈ સહન કરવું પડે કે ફરિયાદ કરવી પડે તેવું કદી તેના સ્વભાવમાં હોતું નથી. બીજા દિવસે સંજોગોવશાત્ જો પૂરતું ભોજન ન બને તો તે બધાંને જમાડીને ફરી ભૂખી રહી શકે છે, આવું કેમ ? શું તેને ભૂખ નહીં લાગતી હોય ? અન્ય લોકોને લાગે તેવી રીતે તેને પણ ભૂખ તો હેરાન કરે છે, તો પછી તે આવું શું કરવા કરે છે ? એટલા માટે કે તે બીજાને માટે પોતાનું બલિદાન આપવાનું નાનપણથી જ શીખી છે અને તે તેનો સ્વાભાવિક ગુણ બની ગયો છે.

જો કોઈવાર પતિદેવ કોઈ કારણસર ઘરેથી નારાજ થઈ ક્યાંક જતા રહ્યા હોય, તો કેટલીય રાત્રી સુધી બેસી રહી તેમના માટે રડતી રહે છે. પરસ્પર ઝઘડાના સમયે પતિની ભૂલ હોય, તો પણ પોતે જ માફી માગે છે. પતિ રિસાય ત્યારે તેને મનાવવા તેની પાછળ પાછળ કોણ ફરે છે ? કોણ પોતાની મર્યાદાના રક્ષણ માટે ચીમૂરની સ્ત્રીઓની માફક કૂવા અને નદીમાં કૂદીને બલિદાન આપે છે ? કોણ પોતાના અસ્તિત્વને ગુમાવીને જિંદગીભર બીજાના વશમાં રહેવાનું ખુશીથી સ્વીકારે છે ? રાત્રે બાર વાગ્યે પણ મહેમાન આવે ત્યારે કોણ પથારી અને આળસ છોડીને ઊંઘ આવતી હોય, તો પણ તેમની આગતા સ્વાગતાના કાર્યમાં લાગી જાય છે ?

આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ મળશે – ભારતીય નારી. ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક સમાન ભારતીય નારી કોનું ધ્યાન નથી રાખતી ? તે દાનવને પણ પાવન, હત્યારાને પણ ધર્માત્મા અને નિર્દયને પણ દયાળુ બનાવે છે. તેનાં આંસુઓમાં ધર્મ છે, વર્તનમાં સંસ્કૃતિ છે અને હાસ્યમાં સુખનું રાજ્ય છે. માનવધર્મનું સાચા અર્થમાં માત્ર તે જ પાલન કરી શકે છે. મનુએ ધર્મનાં દશ લક્ષણ બતાવ્યાં છે.

કૃતિ – ક્ષમા દમોડસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહઃ । ધીર્વિર્યઃ સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ ॥

આમાંથી દરેકને નારી કેવી રીતે નિભાવે છે તે ઉપર ટૂંકમાં નજર નાખવી યોગ્ય ગણાશે.

વિશ્વનો કોઈ પણ માનવ દશ લક્ષણયુક્ત ધર્મનું પૂર્ણરૂપથી ભાગ્યે જ પાલન કરી શકે. કદાચ કોઈ કરતો પણ હોય, તો તેને આવું કરવામાં અસીમ સાધના કરવી પડી હશે, પરંતુ નારીના જીવનમાં ઉપરની દસ વાતો સ્વાભાવિક બની ગઈ છે. તેના વગર તેને ચેન પડતું નથી. તે આ બાબતોનું સમ્રાઈથી પાલન કરીને સંસારની પથદર્શિકા બની ગઈ છે.

ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં, મુશ્કેલીઓથી ઘેરાયેલી હોવા છતાં પણ ઘીરજથી પતિની અનુગામીની બની રહે છે. પતિ તેની સાથે ઘોરમાં ઘોર અત્યાચાર કરી નાખે છે, તેને ઢોરની જેમ ડંડાથી મારે છે, વેશ્યાગમન અને દારૂની આદતથી તેનું જીવન મુશ્કેલ બનાવી દે છે, તેનાં ઘરેણાં વેચીને જુગાર રમે છે, પરંતુ જ્યારે તેને ખરાબ સ્થિતિમાં ઘેર આવેલો જુએ છે ત્યારે તે બધું જ ભૂલીને સહાનુભૂતિપૂર્વક તેની સહાયતા માટે તત્પર રહે છે. પોતે વેઠેલી વેદનાઓના બદલામાં એક પણ શબ્દ પતિની વિરુદ્ધ બોલવાનું તેને ગમતું નથી. તે પોતાના દિલ અને સ્વભાવથી મજબૂર છે. કોમળતા છોડીને કઠોર બનવું તેને ગમતું નથી. તેનું સૌમ્ય હૃદય ક્ષમા સિવાય બીજું કંઈ જાણતું નથી. તે પોતે જ પૂર્ણ છે.

મનોનિગ્રહ વિશે તે તેના ઈન્દ્રિયસુખનો ત્યાગ તેની ઈચ્છા હોવા છતાં કરે છે. સારી ચીજો અને ભોજન પોતે ન જમતાં કુટુંબીજનોને જમાડવા, પોતાનું દુઃખ ભૂલીને બીજાના દુઃખમાં ભાગીદાર બનવું, ગુસ્સો કર્યા વગર સદાય સૌમ્ય રહેવું તે તેની મહાનતા છે.

પવિત્રતા અને ઈન્દ્રિયસંયમ માટે તેનું આચરણ પ્રતિદિન અનુસરવું જોઈએ, કુટુંબ, સાસુ અને પતિની સેવા કરવી, ઉદાર દિલથી પીડિતો અને દુઃખીઓને સહાય કરવી અને પોતાના સુખદુઃખની પરવા કર્યા સિવાય રાતદિવસ ઘરનાં કામોમાં પ્રવૃત્ત રહીને ‘ગૃહિણી’ પદની જવાબદારી નિભાવવાથી વધારે પવિત્ર ઈન્દ્રિયસંયમ બીજો કયો હોઈ શકે?

નારી ધર્મનો પ્રાચીન આદર્શ | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નારીધર્મનો પ્રાચીન આદર્શ

સત્રાજિતની પુત્રી અને ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગિની સત્યભામાએ દ્રૌપદીને પ્રશ્ન કર્યો, “હે દ્રૌપદી ! તું શક્તિશાળી પાંડવપુત્રો પર કેવી રીતે શાસન કરે છે ? તેઓ કેવી રીતે તારી આજ્ઞાનું પાલન કરે છે ? તારી ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી ? તારી ઈચ્છાઓને પૂર્ણ કરવા હંમેશાં તત્પર હોય છે તેનું મને કારણ બતાવ.’’

દ્રૌપદીએ જવાબ આપ્યો, “હે સત્યભામા ! પાંડુપુત્રો પ્રત્યેના મારા વ્યવહારને સાંભળ. હું મારી ઈચ્છા, વાસના તથા અહંકારને વશમાં રાખી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી એમની સેવા કરું છું. હું કોઈ અહંકારની ભાવનાથી એમની સાથે વ્યવહાર કરતી નથી.

હું ખરાબ અને અસત્ય બોલતી નથી. મારું હૃદય ક્યારેય કોઈ સુંદર, ધનવાન કે આકર્ષક યુવક પર મોહિત થતું નથી. હું જ્યાં સુધી મારા પતિ સ્નાન ન કરે ત્યાં સુધી સ્નાન કરતી નથી, તેમના પહેલાં ભોજન કે આરામ પણ કરતી નથી, તેમ જ જ્યાં સુધી અમારા બધા જ સેવકો અને અનુગામીઓ સ્નાન, ભોજન અને આરામ ન કરે ત્યાં સુધી હું નિદ્રા લેતી નથી. જ્યારે મારા પતિ કાર્યક્ષેત્ર, વન કે નગરમાંથી પાછા ફરે છે તે વખતે હું ઊઠીને તેમનું સ્વાગત કરી પાણી પાઉં છું.

હું મારા ઘરનો સામાન અને ભોજન હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખું છું. ધ્યાન રાખીને ભોજન બનાવી સમયસર પીરસું છું. હું ક્યારેય પણ આકરા શબ્દો બોલતી નથી. કદી પણ ખરાબ સ્ત્રીઓનું અનુકરણ કરતી નથી.

હું એ જ કરું છું, જે તેમને પ્રિય અને સુખકર હોય. ક્યારેય પણ આળસ-પ્રમાદ કરતી નથી. હર્ષના પ્રસંગ સિવાય હસતી નથી. હું બારણે બેસી સમય બરબાદ કરતી નથી. જ્યારે મારે બીજાં કામો કરવાનાં હોય છે તે સમયે હું રમતમાં કે બગીચામાં નિરર્થક રોકાતી નથી.

જોરજોરથી હસવું, વધુ પડતી લાગણીશીલતા અને બીજી આવા પ્રકારની ન ગમતી બાબતોથી પોતાને દૂર રાખી હંમેશાં પતિસેવામાં ન વ્યસ્ત રહું છું. પતિનો વિયોગ મારાથી ક્યારેય સહન થતો નથી. જ્યારે પણ મારા પતિ મને મૂકીને બહાર જાય છે ત્યારે હું સુગંધિત ફૂલો અને રંગ રાગ છોડીને કઠોર તપસ્યામાં જીવન પસાર કરું છું. મારી ઈચ્છા અનિચ્છા, મારા પતિની ઈચ્છા અનિચ્છા જ છે અને તેમની જરૂરિયાતો પ્રમાણે તેમાં મારો સમાવેશ કરું છું. હું અંતઃકરણથી મારા પતિની ભલાઈ ઈચ્છું છું. હું સંબંધીઓ, મહેમાનો, અતિથિ, દાન, દેવપૂજા અને પિતૃપૂજાના વિષયમાં મારી સાસુએ આપેલી શિખામણનું હંમેશાં સંપૂર્ણ પાલન કરું છું. મારા પતિની સાથે ખૂબ નમ્રતા અને આદરપૂર્ણ વ્યવહાર કરું છું. પતિસેવા માટે વ્યવહારમાં નક્કી કરેલા નિયમોમાંથી જરા પણ ડગતી નથી. હું માનું છું કે પતિસેવા એ જ નારી માટે સર્વોત્તમ છે. સ્ત્રીનો ભગવાન પતિ જ છે. તે જ તેના શરણ માટેની એક જગ્યા છે. આ સિવાય તેના માટે બીજું કોઈ શરણ નથી. આવા સમયે પત્ની એવું કાર્ય કેવી રીતે કરી શકે કે જે તેના પતિને અપ્રિય અને અરુચિકર હોય ?

મારા પતિ મારા પથદર્શક છે. હું ક્યારેય પણ મારી સાસુની ટીકા કરતી નથી. હું કદી સૂઈ જવા, જમવા કે શણગાર કરવામાં મારા પતિની ઈચ્છા વિરુદ્ધ જતી નથી. હું મારાં કામ સંપૂર્ણ એકચિત્તથી ઉત્સાહપૂર્વક કરું છું.

હું મારા ગુરુની સેવા અત્યંત નમ્રતાપૂર્વક કરું છું. તેથી જ મારા પતિ મારા ઉપર ખુશ રહે છે. હું મારાં સાસુની સેવા હંમેશાં ખૂબ આદર અને નમ્રતાપૂર્વક કરું છું. હું તેમના ખાવાપીવા તથા કપડાં વગેરેનું જાતે ધ્યાન રાખું છું. મેં ખાવાપીવા, કપડાં અને ઘરેણાંની બાબતમાં મારાં સાસુ પાસેથી વધારે મેળવવાની ઈચ્છા ક્યારેય રાખી નથી. હું તેમનું ખૂબ જ સન્માન કરું છું. મહારાજ યુધિષ્ઠિરના રાજભવનમાં વેદપાઠ કરતા બ્રાહ્મણોની હું ભોજન, પાણી તથા વસ્ત્ર વડે પૂજા કરું છું. હું બધી જ સેવિકાઓની મુશ્કેલીઓ સાંભળી તેના ઉકેલ માટે પ્રયત્ન કરી તેમને સંતોષ આપવાનો પ્રયત્ન કરું છું.

હું તેમના પાલન માટેના યોગ્ય નિયમો બનાવું છું. હું અતિથિઓની ભક્તિભાવપૂર્વક સેવા કરું છું. સૌ પહેલાં પથારીમાંથી જાગું છું અને સૌથી છેલ્લી સૂઈ જાઉં છું.

હે સત્યભામા ! આ મારો વ્યવહાર અને અભ્યાસ છે, જેને કારણે મારા પતિ મારા આશાંકિત છે. હવે હું તમને પોતાના પતિને આકર્ષિત કરવાનો ઉપાય બતાવીશ. સંસારમાં એવા કોઈ દેવતા નથી, જે પતિની બરાબરી કરી શકે. જો પતિ તારાથી પ્રસન્ન હશે તો તારા ઐશ્વર્યની કોઈ સીમા નહીં રહે અને જો નારાજ હશે તો તું બધું જ ગુમાવી દઈશ. તું તારા પતિ પાસેથી વસ્ત્ર, અલંકાર, કીર્તિ અને છેલ્લે સ્વર્ગ પણ મેળવી શકે છે. જે સ્ત્રી પતિવ્રતા, પ્રેમને જાણનાર તથા કર્તવ્યપરાયણ હોય છે તેના માટે સુખ તો એક પ્રકારનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. તેને દુઃખ કે મુશ્કેલીઓનો કદાચ સામનો કરવો પડે, તો તે અલ્પ સમય માટે અને માયાવી હોય છે. આ માટે સદૈવ પ્રેમ અને ભક્તિથી કૃષ્ણની ઉપાસના કરો. સેવા માટે સદા તત્પર રહી પતિના સુખનું જ ધ્યાન રાખો. તે તમારો ભક્ત બની જશે અને વિચારશે કે મારી પત્ની ખરેખર મને જ પ્રેમ કરે છે. હું પણ તેને સમર્થન આપું. બારણા ઉપર જેવો પતિનો અવાજ સાંભળો કે તરત જ ઊભા થઈ તેમની સેવા માટે હસતા મુખે તૈયાર રહેવું. તે ઓરડામાં પ્રવેશ કરે કે તરત જ તેમને આસન અને પગ ધોવા પાણી આપવું. જ્યારે તે કોઈ દાસીને કોઈ કામ માટે બોલાવે ત્યારે તારે પોતે જ જઈને તે કામ કરવું. કૃષ્ણને એવી અનુભૂતિ થવી જોઈએ કે અંતઃકરણથી તું તેમની પૂજા કરે છે. સદાય પોતાના પતિનું સારું ઈચ્છવું, તેમને જે ભાવતું હોય તે જ જમવા આપવું. તારા પતિ ઉપર જે દ્વેષ રાખતું હોય તેની સાથે બેસવું નહીં. પતિની હાજરીમાં ક્યારેય ગુસ્સે થવું નહીં. મૌન ધારણ કરી પોતાના મનને શાંતિ આપવી. માત્ર તેવી જ સ્ત્રીઓની મિત્રતા રાખવી, જે પતિભક્ત હોય, જે ઉચ્ચ કુળની, નિષ્પાપી તથા ગુણિયલ અને શ્રેષ્ઠ ચારિત્ર્યની હોય. તારે સ્વાર્થી અને ખરાબ સ્વભાવની સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ.

આ રીતનું આચરણ પ્રશંસનીય હોય છે. તે જ સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અને સુખનું દ્વાર ખોલે છે. તેથી જ પોતાના પતિની પ્રેમ, વિશ્વાસ અને ભક્તિભાવથી પૂજા કરો.”

આ વખતે સત્યભામાએ દ્રૌપદીને પ્રેમથી ભેટીને કહ્યું, “હે પવિત્ર ! તું પૃથ્વી ઉપર તારા પતિની સાથે શાંતિ ભોગવીશ. તારા પુત્ર દ્વારિકામાં આનંદમાં છે, તું શુભ ચિહ્નોથી શોભે છે. તું કદી પણ વધુ સમય સુધી દુર્ભાગી નહીં બને. મેં તારી પ્રાણપ્રેરક વાતોથી ખૂબ જ લાભ મેળવ્યો. તારી વાતો સબુદ્ધિ અને ઉચ્ચ વિચારોની ખાણ છે. પ્રિય દ્રૌપદી, હું સદૈવ આનંદિત રહે.’’

આ શબ્દો કહેતી સત્યભામા રથ ઉપર બેસી ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણની સાથે તે પોતાના નગર તરફ ગઈ.

(વન પર્વ અ. ૨૩૨-૨૩૩)

આપણી પવિત્ર માતૃભૂમિ ભારતવર્ષે સુલભા, ગાર્ગી, મદાલસા

વગેરે સાધુનારીઓ; સીતા, સાવિત્રી, અનુસૂયા તથા નલયાની વગેરે

પતિવ્રતાઓ તથા મીરાં જેવી ભક્તનારીઓ અને મહારાણી ચુડાલાની જેવી યોગી નારીઓને જન્મ આપ્યો છે. આ ઈતિહાસમાં હજારો જાણીતાં અજાણ્યાં નામો પૈકી આ તો થોડાંક જ છે. આધુનિક નારીસમાજે તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ.

તેમણે તેમના જેવું જીવન ગુજા૨વું જોઈએ અને ભૌતિક ભપકાથી
દૂર રહેવું જોઈએ. કોઈ વ્યસની, વિલાસી નારી સાચી સ્વાધીનતાને સમજતી નથી.

જ્યાં ત્યાં રખડવું, કર્તવ્યહીન બનવું, મનફાવે તેવું કરવું, બધું જ ખાવુંપીવું, ગાડીઓમાં ફરવું અથવા પશ્ચિમનું આંધળું અનુકરણ કરવું તે સ્વતંત્રતા નથી. સતીત્વ સ્ત્રીનો શ્રેષ્ઠ અલંકાર છે. સતીત્વનું ઉલ્લંઘન કરી સામાન્ય મનુષ્યની માફક વર્તન કરીને નારી પોતાની કોમળતા, બુદ્ધિમત્તા, પ્રતાપ અને સૌંદર્યનો નાશ કરે છે.

સ્ત્રીઓ કોઈ પણ રીતે પુરુષથી ઊતરતી નથી. તેઓ શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. સ્વભાવથી ધૈર્યવાન, સહનશીલ તથા ભક્તિભાવવાળી હોય છે. તે પુરુષ કરતાં સારા ગુણો તથા વધુ આત્મબળ ધરાવે છે. તેમનું દૈવીરૂપમાં સન્માન તથા આદર કરવો જોઈએ. આમ છતાંય તેઓ પોતાના પતિઓની આજ્ઞા પાળનારી હોવી જોઈએ. આ બધું તેમના પ્રતાપ, તેજ તથા પતિવ્રતધર્મને વધુ ઉ વળ કરશે.

પત્ની પુરુષની અર્ધાંગિની હોય છે. કોઈ યજ્ઞ અથવા ધાર્મિક કાર્ય તેમના વિના સફળ થતું નથી. તે પુરુષની જીવનસાથી છે. એવા દાખલા મળે છે કે કેટલીકવાર પત્ની ભક્તિ અને પવિત્રતાના લીધે પોતાના પતિની ગુરુ બની જાય છે. જો પુરુષ પોતાની પત્નીને પોતાની દાસી કે પોતાનાથી ઊતરતી સમજે કે સ્ત્રી માત્ર ભોજન બનાવવા તથા ભોગવિલાસ માટે છે, તો તે ખૂબ જ ખરાબ અને અક્ષમ્ય અપરાધ કરે છે.

સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ. સભ્ય નારીઓ સમાજ માટે આશીર્વચન જેવી હોય છે, પરંતુ વધુ પડતી સ્વાધીનતા તથા સ્વચ્છંદતાનું ફળ ખૂબ જ ખતરનાક હોય છે. આ માનવજીવન મહત્ત્વપૂર્ણ છે. મધ્યમ માર્ગ જ સર્વોત્તમ છે. કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. સ્ત્રીઓને ગીતા, ભાગવત, રામાયણ તથા અન્ય ધાર્મિક પવિત્ર ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ. શરીર, આરોગ્યવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, કૌટુંબિક કાર્યો, બાળશિક્ષણ, રસોઈ તથા સંતાનશાસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ.

સ્ત્રીઓ કુદરતી રીતે જ સારી માતાઓ હોય છે. ભગવાનની રચનામાં તેમણે ઘણું મોટું કાર્ય કરવાનું હોય છે. દૈવી ઉપક્રમમાં આવું જ વિચાર્યું હતું. આ ઈશ્વરની ઈચ્છા છે. સ્ત્રીઓ પોતાના આગવા મનોવૈજ્ઞાનિક વિશિષ્ટ સ્વભાવ, સામર્થ્ય, ગુણ તથા સંસ્કાર ધરાવે છે. સમાજમાં નારી પોતાનું અલગ કાર્યક્ષેત્ર ધરાવે છે અને પુરુષનું કાર્યક્ષેત્ર પણ અલગ છે. તે પુરુષ સાથે હરીફાઈ કરી શકતી નથી, જે તેણે કરવી પણ ન જોઈએ. તેણે પુરુષનું કામ કરવું જોઈએ નહીં. જેઓ શિક્ષિત છે તેમને પોતાના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. માતાપિતાની ફરજ છે કે પોતાની દીકરીઓને યોગ્ય શિક્ષણ આપે. તે ખૂબ જ જરૂરી છે. સારી માતાઓનું સમાજમાં પૂજનીય સ્થાન હોય છે. સારી માતાઓ બધા માટે સન્માનનીય અને આદરણીય હોય છે. તે સમાજમાં અજોડ હોવાથી અપૂર્વ સ્થાન અને હોદ્દાની અધિકારી છે.

નારીઓના ઉત્થાનની સમસ્યા | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નારીઓના ઉત્થાનની સમસ્યા

નારીનું આટલું બધું મહત્ત્વ હોવા છતાં પણ હાલના સમયમાં આપણા દેશની સ્થિતિ આ દૃષ્ટિએ જુદી જ દેખાઈ રહી છે. આપણે એ તો સારી રીતે સમજીએ છીએ કે સામાન્ય રીતે કુટુંબ તથા સમાજમાં સુખી જીવનની સ્થાપનામાં નારીઓનો મોટો હાથ રહેલો છે. યોગ્ય નારીના આગમનથી ઘર દીપી ઊઠે છે અને અયોગ્ય નારીના આગમનથી તે ઘર ક્લેશ અને અશાંતિનો અખાડો બની જાય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રી પુરુષની યોગ્યતા અને વિચારોમાં તફાવત રહે જ છે, પરંતુ એ તફાવત એટલો બધો વધી જાય કે વાતવાતમાં એકબીજાની સાથે અણબનાવ વધતો જાય, તો એ ઘરને યુદ્ધનું મેદાન જ સમજવું જોઈએ. ઘણી વખત એવા અનુભવ થયા છે કે આજના વાતાવરણમાં ઊછરેલો યુવક ઈચ્છે છે કે સ્ત્રી નવીન સભ્યતાના પ્રવાહમાં ભળી જાય, પરંતુ પત્ની એવા વાતાવરણમાં ઊછરી ન હોવાથી અને અશિક્ષિત હોવાના લીધે એ વાતને તે માનતી નથી. તેથી એકબીજા સાથે બનતું નથી. ઘણા લોકો સ્ત્રીઓની સાથે જબરદસ્તી પણ કરે છે. તેની પાસે બળજબરીથી મનફાવે તેવું કામ કરાવે છે. તેને તેમ કરવું તો પડે જ છે, પરંતુ તેનું જીવન અંધકારમય બની જાય છે. મન નિર્બળ બની જાય છે, આશા અને ઉત્સાહ ઊડી જાય છે.

આથી બન્નેના વિચારોમાં સામાન્ય રીતે સમાનતા હોવી જરૂરી છે, નહીં તો આખું જીવન ક્લેશમય અને ભારરૂપ બની જાય છે. તેના માટે નારીજાતિમાં શિક્ષણના પ્રચારની ખૂબ જ જરૂરિયાત છે, જેથી તે પોતાનું સારું-ખોટું વિચારી તથા સમજી શકે અને કર્તવ્ય નક્કી કરી શકે. શિક્ષણની જરૂરિયાત જીવનની પ્રત્યેક પળે હોવાથી હાલના શિક્ષણમાં સુધારો કરવાની આવશ્યક્તા જણાય છે. આજની ભણેલી કન્યાઓ બહુ ફેશનપ્રિય થઈ ગઈ છે, તેથી ખર્ચ ખૂબ જ વધી જાય છે. તે ઘર પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય છે. આથી જે શિક્ષણથી તેસારી ગૃહિણી બને તેવા શિક્ષણની જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે ત્યાં છોકરીનો જન્મ એના પિતા માટે ખૂબ જ દુઃખદ માનવામાં આવે છે, કેમ કે તે પારકું ઘર વસાવે છે. તેના માટે વર ખોળવામાં અને લગ્ન કરાવવામાં તેમ જ દહેજ આપવામાં ઘણી મૂડી ખર્ચવી પડે છે.

ખરેખર દહેજપ્રથા સમાજ માટે અભિશાપ બની ગઈ છે. વરના પિતાને ખુશ કર્યા સિવાય દીકરીનું લગ્ન કરવું મુશ્કેલ બની ગયું છે. તેથી હાલની સમાજવ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. તેને પારકું ઘર વસાવનારી કહી અનાદર કરવો તે સાવ અયોગ્ય છે, કારણ કે આપણા ઘરમાં દીકરાની વહુ આવે છે તે પારકા ઘેરથી આવી હોવા છતાં આપણું ઘર વસાવે છે. આ તો સરખાપણાનો સોદો છે. વિધવા બહેનો પ્રત્યે તો આપણે વધુ સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેમને સમાજસેવાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ધારે તો સમાજનું ઘણું કલ્યાણ કરી શકે છે.

ગાયત્રી મહામંત્રનો પાંચમો અક્ષર  ‘વ’ | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નારીની મહાનતા

ગાયત્રી મહામંત્રનો પાંચમો અક્ષર  ‘વ’

નારીજાતિની મહાનતા અને તેના વિકાસની સમજ આપે છે.

વદ નારીં વિના કોડન્યો નિર્માતા મનુ સન્તતે | મહત્ત્વં રચના શકતે: સ્વસ્યા: નાર્યાહિ જ્ઞાયતામ્ ॥

એટલે કે ‘મનુષ્યનું સર્જન કરનાર નારી જ છે. નારીએ પોતાની શક્તિનું મહત્વ સમજવું જોઈએ.’

 

નારીથી જ મનુષ્ય ઉત્પન્ન થાય છે. બાળકની પ્રથમ ગુરુ માતા જ હોય છે. પિતાના વીર્યનું એક બુંદ જ નિમિત્ત માત્ર હોય છે, બાકી બાળકનાં બધાં જ અંગ,ઉપાંગ માતાના લોહીથી બને છે. તે લોહીમાં જેવી સ્વસ્થતા, પ્રતિભા, વિચારધારા અને અનુભૂતિ હશે તે મુજબ બાળકનું શરીર, બુદ્ધિ અને સ્વભાવ બનશે. નારી જો અસ્વસ્થ, અશિક્ષિત, અવિકસિત, પરાધીન, સંકુચિત અને નિર્દયી રહેશે, તો તેના દ્વારા જન્મેલું બાળક પણ એવા જ દોષોથી ભરેલું હશે. હલકી જમીનમાં સારો પાક પાકી શકતો નથી.

જો મનુષ્ય જાતિ ઉન્નતિ ઈચ્છતી હોય તો પ્રથમ નારીને શારીરિક બૌદ્ધિક, સામાજિક, આર્થિક એમ બધી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને સુવિકસિત બનાવવી પડશે, તો જ મનુષ્યોમાં સબળતા, સક્ષમતા, સદ્દબુદ્ધિ, સદ્દગુણ અને મહાનતાના સંસ્કારોનો ઉદય થઈ શકશે. નારીને પછાત રાખવી તે આપણા જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે.

માનવસમાજ બે ભાગોમાં વહેંચાયેલો છે. (1). નર      (2). નારી.

આજકાલ પુરુષની ઉન્નતિ, સુવિધા અને સુરક્ષા માટે પ્રયત્ન થાય છે, પરંતુ નારી બધાં જ ક્ષેત્રોમાં પાછળ છે, જેના કારણે આપણું અડધું રાષ્ટ્ર, અડધો સમાજ, અડધો પરિવાર, અડધુ જીવન પછાત રહી ગયું છે. જે રથનું એક પૈડું મોટું અન્દ બીજું નાનું હોય તે રથ સારી રીતે ચાલી શક્તો નથી. જયાં સુધી નારીને પણ પુરુષના જેટલી જ ક્રિયાશીલતા અને પ્રતિભા પ્રગટ કરવાની તક ન મળે ત્યાં સુધી આપણા દેશ, સમાજ અને જાતિને સાચા અર્થમાં વિકસિત કહી શકાય નહીં.

 

%d bloggers like this: