સહયોગ અને સામૂહિકતાની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
September 14, 2022 Leave a comment
સહયોગ અને સામૂહિકતાની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
માનવી સામાજિક પ્રાણી છે અને આજ સુધી સંસારમાં એણે જે કંઈ પ્રગતિ કરી છે એ સહયોગ અને સામૂહિકતાની ભાવના દ્વારા જ કરી છે. એકલો માણસ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતો નથી. જો માણસ આ ગુણોનો ત્યાગ કરી દે તો એનામાં અને જંગલમાં ફરતાં પશુઓમાં કોઈ જ ફરક રહેશે નહિ. એટલે માણસે પોતાનાં હિત ખાતર પણ સામૂહિકતાની ભાવનાનો પણ વિકાસ કરવો જોઈએ અને વાતનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે સમાજમાં શક્ય હોય ત્યાં સુધી સહયોગની ભાવના નિરંતર વધતી રહે.
સાચા અર્થમાં સામાજિક બનવા માટે આપનામાં સહનશક્તિ, ધૈર્ય અને સંતોષ હોવાં જરૂરી છે. આપનામાં પણ અભાવ, કોઈ દુર્ગુણ અને ખામીઓ છે, માટે તમે જ્યારે કોઈને સલાહ-સૂચન આપતા હો કે સાચો રસ્તો બતાવતા હો ત્યારે કોઈ તમને પહેલાં પોતાને સુધરવાનું મહેણું ન મારે એ પણ ધ્યાન રાખવું જોઈએ. આપે ધૈર્ય અને નમ્રતાથી કામ લેવાનુંછે. માણસ પોતાના સ્વભાવને છોડી શકતો નથી. એનામાં કેટલાક સંસ્કારો દઢ થયેલા હોય છે. કેટલીક વંશપરંપરાગત જન્મભૂમિગત ભાવનાઓ હોય છે અને કહેલી સાંભળેલી, લખેલી-વાંચેલી વાતોનો પણ એના પર ગાઢ પ્રભાવ પડેલો હોય છે. માનો કે પોતાના સદ્ગુણો કે દુર્ગુણોનો ભાર વ્યક્તિએ પોતે જ વહન કરવાનો હોય છે, પરંતુ આપણે જો તમે કોઈને ખોટો રસ્તો પકડતા જોઈ જાવ તો એને સાવચેત કરવાની આપની ફરજ બની જાય છે. આપ તેને સમજાવો કે તેને આવા પ્રકારનો બનાવી દેવાની જવાબદારી કોના પર છે ? જો આપ એને સમજાવવાને બદલે રિસાઈને બેસી રહો અને આપનો પારો ચડાવી દો તો એ આપણી ભૂલ છે. એનાથી મન અને મગજ બંને થાકી જશે. જો આપ ઉશ્કેરાઈ જાવ તો કરેલું બધું ધૂળમાં મળી જાય અને એનાથી પણ ભયંકર કૃત્ય થવાની સંભાવના વધી જાય. ઉત્તેજિત વ્યક્તિ સમજે છે કે એ અપરાધીને અપશબ્દો અને મારઝૂડ દ્વારા સુધારી રહી છે, પણ એને ખબર નથી હોતી કે એમ કરવાથી એ પોતાની જાતને જ અન્યાય કરી રહી છે. અપરાધી પોતે તમારી વાત માનવામાં આપનો મન સ્વીકારવામાં અચકાશે,લડવા ઝઘડવા તૈયાર થઈ જશે અને એ સમયે તમે પણ એની જેમ ઉત્તેજિત થઈ જશો તો તમારામાં અને એનામાં ફરક શું રહેશે ? આવી અનર્થ કરનારી પ્રકૃતિને કારણે પક્ષમાં ફાટફૂટ પડે છે, પ્રાંત-પ્રાંત અને રાષ્ટ્ર-રાષ્ટ્ર એક બીજાને ધિક્કારે છે અને પછાડવાનો પ્રયત્ન કરે છે.
આપ ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરીને બીજાની યોગ્યતાનું પણ સાચું મૂલ્યાંકન કરો એ જરૂરી છે. માત્ર આટલું જ પૂરતું નથી, કે આપે આપના પ્રતિસ્પર્ધીની ઈર્ષ્યા કે દ્વેષ કરવાનું છોડી દીધું અને હવે ભવિષ્યમાં એ રોગથી બચતા રહેશો. બીજાની સફળતા પર એમને અભિનંદન આપો. એમના સદ્ગુણોની પ્રશંસા કરીને એમને પ્રોત્સાહન આપો. સમાજસુધારણાના માર્ગે ઈર્ષ્યા એ સૌથી મોટી દીવાલ છે. પ્રસિદ્ધ કવિ મોલિયર કહે છે, “ઈર્ષ્યાળુ લોકો મરી જાય છે પણ ઈર્ષ્યા મરતી નથી.’’ ઉદાહરણ તરીકે આપ જો કોઈ બુદ્ધિશાળી તો સમજી લો કે તેની બુદ્ધિ સમાજની બુદ્ધિ છે અને ફક્ત તેની જ બુદ્ધિ નથી, માનવતાના બુનિયાદી ઐક્યના નાતે તે આપની પણ છે. પ્રકૃતિ દ્વારા બધાને યથાયોગ્ય ગુણ-અવગુણ મળે છે. કેટલાક ગુણો આપનામાં છે, તો કેટલાક બીજામાં. એથી એક વાત સ્પષ્ટ છે કે કોઈનાથી નાનું નથી, હીન નથી. વાસ્તવમાં ઈર્ષ્યા એક એવો અભિશાપ છે કે જે હાનિ સિવાય કશું આપતો નથી.
વ્યવહારમાં આપે નમ્ર, મિતભાષી અને આદરસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જે જેવા સ્નેહ, આદર અને સન્માનને યોગ્ય હોય એ પ્રમાણે એમની સાથે વર્તવું જોઈએ. કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આપને અપયશ સિવાય બીજું કશું જ મળવાનું નથી. આજના દૂષિત વાતાવરણમાં કોઈ પોતાની યોગ્યતા કે અજ્ઞાનતાના દંભપૂર્ણ સ્તરથી નીચે ઊતરીને સમાધાન કરવા ઇચ્છતું નથી હોતું, પરંતુ સહયોગનું પ્રથમ પગથિયું સમાધાન છે એ ભૂલવું ન જોઈએ.સંસારમાં એક જ વ્યક્તિ હોત તો કાંઈ વાંધો નહોતો.
જો આપણે સમાજમાં સહયોગ સ્થાપીને એનો વિકાસ કરવા ઇચ્છતા હોઈએ, તો આપણે તે વિશેષતાઓ ગ્રહણ કરવી જોઈએ, જેનાથી બીજા મનુષ્યોને લાભ મળતો હોય અને તેને તે પસંદ કરતા હોય. એ સારી રીતે યાદ રાખવું જોઈએ કે આજ આપણે સભ્યતા અને સંસ્કૃતિની જેટલી ઉન્નતિ જોઈ રહ્યા છીએ અને જેને લઈને આપણું જીવન પણ સુખ અને શાંતિથી વ્યતીત થઈ રહ્યું છે, તેના નિર્માણમાં સમસ્ત સમાજનું યોગદાન છે. આથી આપણે આપણું આચરણ એવું જ રાખવું જોઈએ, જેથી સમાજમાં એકતા, પ્રેમ અને સહયોગની વૃદ્ધિ થાય અને આપણે દિન પ્રતિદિન ઉન્નતિ તરફ અગ્રેસર થઈ શકીએ.
પ્રતિભાવો