સહયોગ અને સામૂહિકતાની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

સહયોગ અને સામૂહિકતાની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

માનવી સામાજિક પ્રાણી છે અને આજ સુધી સંસારમાં એણે જે કંઈ પ્રગતિ કરી છે એ સહયોગ અને સામૂહિકતાની ભાવના દ્વારા જ કરી છે. એકલો માણસ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતો નથી. જો માણસ આ ગુણોનો ત્યાગ કરી દે તો એનામાં અને જંગલમાં ફરતાં પશુઓમાં કોઈ જ ફરક રહેશે નહિ. એટલે માણસે પોતાનાં હિત ખાતર પણ સામૂહિકતાની ભાવનાનો પણ વિકાસ કરવો જોઈએ અને વાતનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે સમાજમાં શક્ય હોય ત્યાં સુધી સહયોગની ભાવના નિરંતર વધતી રહે.

સાચા અર્થમાં સામાજિક બનવા માટે આપનામાં સહનશક્તિ, ધૈર્ય અને સંતોષ હોવાં જરૂરી છે. આપનામાં પણ અભાવ, કોઈ દુર્ગુણ અને ખામીઓ છે, માટે તમે જ્યારે કોઈને સલાહ-સૂચન આપતા હો કે સાચો રસ્તો બતાવતા હો ત્યારે કોઈ તમને પહેલાં પોતાને સુધરવાનું મહેણું ન મારે એ પણ ધ્યાન રાખવું જોઈએ. આપે ધૈર્ય અને નમ્રતાથી કામ લેવાનુંછે. માણસ પોતાના સ્વભાવને છોડી શકતો નથી. એનામાં કેટલાક સંસ્કારો દઢ થયેલા હોય છે. કેટલીક વંશપરંપરાગત જન્મભૂમિગત ભાવનાઓ હોય છે અને કહેલી સાંભળેલી, લખેલી-વાંચેલી વાતોનો પણ એના પર ગાઢ પ્રભાવ પડેલો હોય છે. માનો કે પોતાના સદ્ગુણો કે દુર્ગુણોનો ભાર વ્યક્તિએ પોતે જ વહન કરવાનો હોય છે, પરંતુ આપણે જો તમે કોઈને ખોટો રસ્તો પકડતા જોઈ જાવ તો એને સાવચેત કરવાની આપની ફરજ બની જાય છે. આપ તેને સમજાવો કે તેને આવા પ્રકારનો બનાવી દેવાની જવાબદારી કોના પર છે ? જો આપ એને સમજાવવાને બદલે રિસાઈને બેસી રહો અને આપનો પારો ચડાવી દો તો એ આપણી ભૂલ છે. એનાથી મન અને મગજ બંને થાકી જશે. જો આપ ઉશ્કેરાઈ જાવ તો કરેલું બધું ધૂળમાં મળી જાય અને એનાથી પણ ભયંકર કૃત્ય થવાની સંભાવના વધી જાય. ઉત્તેજિત વ્યક્તિ સમજે છે કે એ અપરાધીને અપશબ્દો અને મારઝૂડ દ્વારા સુધારી રહી છે, પણ એને ખબર નથી હોતી કે એમ કરવાથી એ પોતાની જાતને જ અન્યાય કરી રહી છે. અપરાધી પોતે તમારી વાત માનવામાં આપનો મન સ્વીકારવામાં અચકાશે,લડવા ઝઘડવા તૈયાર થઈ જશે અને એ સમયે તમે પણ એની જેમ ઉત્તેજિત થઈ જશો તો તમારામાં અને એનામાં ફરક શું રહેશે ? આવી અનર્થ કરનારી પ્રકૃતિને કારણે પક્ષમાં ફાટફૂટ પડે છે, પ્રાંત-પ્રાંત અને રાષ્ટ્ર-રાષ્ટ્ર એક બીજાને ધિક્કારે છે અને પછાડવાનો પ્રયત્ન કરે છે.

આપ ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરીને બીજાની યોગ્યતાનું પણ સાચું મૂલ્યાંકન કરો એ જરૂરી છે. માત્ર આટલું જ પૂરતું નથી, કે આપે આપના પ્રતિસ્પર્ધીની ઈર્ષ્યા કે દ્વેષ કરવાનું છોડી દીધું અને હવે ભવિષ્યમાં એ રોગથી બચતા રહેશો. બીજાની સફળતા પર એમને અભિનંદન આપો. એમના સદ્ગુણોની પ્રશંસા કરીને એમને પ્રોત્સાહન આપો. સમાજસુધારણાના માર્ગે ઈર્ષ્યા એ સૌથી મોટી દીવાલ છે. પ્રસિદ્ધ કવિ મોલિયર કહે છે, “ઈર્ષ્યાળુ લોકો મરી જાય છે પણ ઈર્ષ્યા મરતી નથી.’’ ઉદાહરણ તરીકે આપ જો કોઈ બુદ્ધિશાળી તો સમજી લો કે તેની બુદ્ધિ સમાજની બુદ્ધિ છે અને ફક્ત તેની જ બુદ્ધિ નથી, માનવતાના બુનિયાદી ઐક્યના નાતે તે આપની પણ છે. પ્રકૃતિ દ્વારા બધાને યથાયોગ્ય ગુણ-અવગુણ મળે છે. કેટલાક ગુણો આપનામાં છે, તો કેટલાક બીજામાં. એથી એક વાત સ્પષ્ટ છે કે કોઈનાથી નાનું નથી, હીન નથી. વાસ્તવમાં ઈર્ષ્યા એક એવો અભિશાપ છે કે જે હાનિ સિવાય કશું આપતો નથી.

વ્યવહારમાં આપે નમ્ર, મિતભાષી અને આદરસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જે જેવા સ્નેહ, આદર અને સન્માનને યોગ્ય હોય એ પ્રમાણે એમની સાથે વર્તવું જોઈએ. કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આપને અપયશ સિવાય બીજું કશું જ મળવાનું નથી. આજના દૂષિત વાતાવરણમાં કોઈ પોતાની યોગ્યતા કે અજ્ઞાનતાના દંભપૂર્ણ સ્તરથી નીચે ઊતરીને સમાધાન કરવા ઇચ્છતું નથી હોતું, પરંતુ સહયોગનું પ્રથમ પગથિયું સમાધાન છે એ ભૂલવું ન જોઈએ.સંસારમાં એક જ વ્યક્તિ હોત તો કાંઈ વાંધો નહોતો.

જો આપણે સમાજમાં સહયોગ સ્થાપીને એનો વિકાસ કરવા ઇચ્છતા હોઈએ, તો આપણે તે વિશેષતાઓ ગ્રહણ કરવી જોઈએ, જેનાથી બીજા મનુષ્યોને લાભ મળતો હોય અને તેને તે પસંદ કરતા હોય. એ સારી રીતે યાદ રાખવું જોઈએ કે આજ આપણે સભ્યતા અને સંસ્કૃતિની જેટલી ઉન્નતિ જોઈ રહ્યા છીએ અને જેને લઈને આપણું જીવન પણ સુખ અને શાંતિથી વ્યતીત થઈ રહ્યું છે, તેના નિર્માણમાં સમસ્ત સમાજનું યોગદાન છે. આથી આપણે આપણું આચરણ એવું જ રાખવું જોઈએ, જેથી સમાજમાં એકતા, પ્રેમ અને સહયોગની વૃદ્ધિ થાય અને આપણે દિન પ્રતિદિન ઉન્નતિ તરફ અગ્રેસર થઈ શકીએ.

મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

સહયોગ અને મૈત્રીભાવ – આ બંને શબ્દો લગભગ એક જ અર્થના સૂચક છે. આપણા મિત્રો જ આપણા સૌથી મોટા સહયોગી હોઈ શકે છે. અન્ય લોકોનો સહયોગ તો જરૂર પડે ત્યારે થોડોક સમય જ મળે છે પણ મિત્રો સાથે નિકટ સંબંધ હોવાથી હંમેશાં સહયોગ મળતો રહે છે. આ વાત આપણે એ રીતે પણ કહી શકીએ કે જેમની સાથે પરસ્પરનો સહયોગ જેટલો ધનિષ્ઠ રહે છે, તેમની સાથે મિત્રતા પણ એટલી જ ઘનિષ્ઠ હોય છે. તેથી સહયોગની અપેક્ષા રાખનારે હંમેશાં પોતાનું મિત્રવર્તુળ વધારતા રહેવું જોઈએ અને મિત્રો સાથે મિત્રતાની વૃદ્ધિ થાય એવો અને મતભેદ ન થાય એવો વ્યવહાર કરવો જોઈએ.

ગુણગ્રાહી મિત્ર ગુણોનો આદર કરે છે. મિત્રના ગુણોનો આદર કરવો અને એ ગુણોની વૃદ્ધિમાં ઉમેરો કરવો એ મિત્રનું કામ છે. પોતાના મિત્રના ગુણોની કદર ન કરનારની મિત્રતા માત્ર નદી નાવ સંયોગ છે. એવી મિત્રતા નભી શકતી નથી. સુખ-દુઃખમાં, સંપત્તિ-વિપત્તિમાં, અધ્યયન અને મનોરંજનમાં સાથે રહેનારા મિત્રોની મિત્રતા ગાઢ બનતી જાય છે. કેટલાય મિત્રો જો કોઈ કામ ન પડે તો મળવાનું સુધ્ધાં છોડી દે છે. એ મોટી ભૂલ છે. મિત્રોએ એકબીજા સાથે સતત મળતા રહેવું જોઈએ. ન મળવાથી મિત્રતા શિથિલ થઈ જાય છે. મિત્રને આર્થિક સામાજિક જેવી બાબતોમાં મદદ કરવામાં જરા પણ હિચકિચાટ ન અનુભવો. મિત્રને મદદ કરી શકો એ અહોભાગ્ય છે. મિત્રને સહાય કરવી એ જેમ મિત્રધર્મમિત્રને કષ્ટ ન આપવું એ પણ મિત્ર ધર્મ છે. સરળ અને સહૃદય જોઈને કોઈને વારંવાર કષ્ટ આપવું ઉચિત નથી, એટલું જ નહિ, પરંતુ મિત્રનો એ ધર્મ છે કે બની શકે ત્યાં સુધી મિત્રને કષ્ટ થાય તેવા પ્રસંગો આવવા ન દે.

કોઈ વખત જો મિત્ર સહાયતા ન કરી શકે તો એનાથી રિસાઈ જવું પણ યોગ્ય નથી. મિત્ર પાસે અયોગ્ય આશા રાખવી એ મૈત્રીનો કેવળ દુરુપયોગ જ છે. આપણે હંમેશાં પોતાની જાતને મિત્રની સ્થિતિમાં મૂકીને જોવી જોઈએ. એ પરિસ્થિતિમાં આપણે મિત્ર માટે શું કરી શકીએ એ વિચારવું જોઈએ. જે કામ આપણે ન કરી શકીએ એની અપેક્ષા મિત્ર પાસે ન રાખવી જોઈએ.

મિત્રતા નિભાવવાની બાબતમાં નીચેનું સુભાષિત પ્રસિદ્ધ છે.

ઇચ્છેચ્ચેદ્વિપલાં મૈત્રી ત્રીણિ તત્ર ન કારયેત્ ।  વાગ્વાદમર્થ સમ્બન્ધં પરોક્ષે દારભાષણમ્ ॥

અર્થ – “જે ગાઢ મૈત્રી ઇચ્છતો હોય એણે આ ત્રણ બાબતોથી અવશ્ય દૂર રહેવું – વાગ્વાદ (વાદવિવાદ), અર્થ- સંબંધ (પૈસાની બાબત) અને મિત્રની ગેરહાજરીમાં મિત્ર પત્ની સાથે વાતચીત.”

“વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ આ સુભાષિત સાચું છે, પરંતુ જ્યાં તત્ત્વબોધ માટે વાદવિવાદ થાય છે, ત્યાં જ એ યોગ્ય છે, નહિ તો પોતપોતાની માન્યતાના પ્રતિપાદન માટે જે વાદવિવાદ કરવામાં આવે છે, તે કેવળ નિરર્થક જ નહિ અનેક વાર હાનિકારક પણ હોય છે. કેટલીય વાર શાસ્ત્રાર્થ થતાંથતાં શસ્ત્રાર્થ(લડાઈ) શરૂ થઈ જાય છે. વાદ-વિવાદના જોશમાં કેટલાયને હોશ નથી રહેતા અને એકબીજા પર વાગ્બાણ વરસવા લાગે છે, પરિણામે ઘણીવાર મિત્રોનાં મન ઊંચાં થઈ જતાં હોય છે. કોઈ વાતમાં મિત્રો વચ્ચે મતભેદ હોય તો એ માટે વાદવિવાદ ન કરતાં એકબીજાના મતનો આદર કરવો જોઈએ. જ્યાં મિત્રોને પોતપોતાના મતનો આગ્રહ હોય, એવી ચર્ચા ન થાય એ જહિતાવહ હોય છે.

લેવડદેવડ જેટલી ઓછી, એટલો જ મિત્રપ્રેમ ગાઢ હોય છે. એટલે મિત્રોએ પરસ્પર લેવડ-દેવડ ન કરવી જોઈએ. પૈસા સંબંધમાં મિત્ર જેટલો દૂર હશે, એટલી મિત્રતા વધારે ટકશે.

કેટલાય દેશોમાં મિત્રની ગેરહાજરીમાં મિત્રપત્ની સાથે વાત કરવામાં અશિષ્ટતા ગણાતી નથી. આ બાબતમાં એ દેશોનો અનુભવ ભિન્ન હોઈ શકે છે, પણ આપણા દેશમાં મિત્રની ગેરહાજરીમાં એની પત્ની સાથે વાત ન કરવી એ જ શિષ્ટાચાર છે. મિત્રતા ટકાવવા ઈચ્છતા લોકોએ એકાંતમાં મિત્રપત્ની સાથે વાતચીત ન કરવી જોઈએ. મિત્રની ગેરહાજરીમાં મિત્રપત્ની સાથે, લક્ષ્મણે સીતાજી સાથે કર્યો હતો તેવો જ વ્યવહાર કરવો જોઈએ. લક્ષ્મણે સીતાજીનાં ચરણ સિવાય કોઈ અંગનું દર્શન કર્યું ન હતું. કોઈ પણ પરસ્ત્રી સાથે વાતચીત કરતી વખતે પોતાની દૃષ્ટિતેના પગ પર જ રાખવી જોઈએ.

અનેક મિત્રો એમ માનતા હોય છે કે મિત્રથી કોઈ વાત છુપાવવી નજોઈએ. પણ આ કોઈ નિયમ નથી અને એ આવશ્યક પણ નથી. જે વાત જેને યોગ્ય હોય એ જ વાત જે તે વ્યક્તિને કહેવી જોઈએ, એ જ સામાન્ય નિયમ છે. વાતને પેટમાં ન રાખી શકનાર મિત્રને જો આપણી ગુપ્ત વાત કહી દઈએ તો એ પોતે જ પોતાને છેતરવા બરાબર છે. મિત્રો સાથે વ્યર્થ વાતચીત કરીને પોતાનો અને એમનો સમય નષ્ટ ન કરો. એમ કરવાથી ન કહેવા જેવી વાત કોઈ દિવસ નહિ કહેવાય. નકામી વાતો કર્યા કરનાર લોકો અનેકવાર એવી વાતો કહી નાખતા હોય છે, જેનાથી એમનો ભેદ ખુલી જાય છે અને એમને પસ્તાવું પડે છે. મિત્ર સાથે છળકપટન કરવાં જોઈએ, એનો અર્થ એ નથી કે એમનાથી કોઈ વાત છુપાવવી ન જોઈએ.

મિત્રોએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ. તે એ છે કે અનેક મિત્રોમાં પરસ્પર કલહ કરાવનાર નિંદાખોર નામના જીવ પેદા થઈ જાય છે. ક્યારેક સાચી, ક્યારેક જૂઠી અને ક્યારેક ‘રાઈનો પર્વત’ બનાવી એકની વાતો બીજાને સંભળાવે છે. આવા લોકોથી મિત્રોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. એમની વાતો સાંભળીને પોતાની મિત્રતામાં ઝેર ભેળવવાનો અવસર જન આપવો જોઈએ.

સારા મિત્રથી સમૃદ્ધિ પણ સૌભાગ્યવતી બની જાય છે અને આપત્તિકાળે એનાથી ઉપકાર થાય છે. માટે સારા મિત્રોનું અભિવાદન કરો, એમને મદદ કરો, એના માટે પરિશ્રમ કરો અને સંકટ સમયે ઢાલ બનીને ઊભા રહે. એમના સુખે સુખી અને એમના દુ:ખે દુ:ખી રહો. એમની હતાશાની પળોમાં ધીરજ આપ્યા કરો. જો તમે આમ કરી શકશો તો તમે તમારી ફરજ બજાવી ગણાશે.

સહિષ્ણુતા અને સમાધાનની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

સહિષ્ણુતા અને સમાધાનની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

સંસારમાં નિર્દોષ વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી છે. જો કોઈ માણસમાં દસ ગુણોની સરખામણીમાં બે ચાર દોષ હોય તો ચલાવી લેવું જોઈએ. નહિ તો આજકાલનું સામાજિક, આર્થિક, રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે એના પરિણામે લોકોમાં જાતજાતના દુર્ગુણો અને દોષો સહજ રીતે જ ઉત્પન્ન થઈ જાયછે. એ પરિસ્થિતિમાં સુધારા અને સહયોગની અપેક્ષા રાખનાર સમાધાનની ભાવનાથી કામ લેવાનું જાણતા હોય તે ક્યારેય સફળ થઈ શકતા નથી. જે આપણે વ્યક્તિગત ક્ષેત્રમાં કે સમાજમાં સહયોગની ભાવનાની વૃદ્ધિ કરવી હોય તો લોકોની નિર્બળતાઓ અને ત્રુટિઓને માફ કરવી જ પડશે અને બધાની સાથે સહૃદયતાથી વર્તવું પડશે, જેથી તેઓ આપણા મિત્રો બની રહે અને ધીમે ધીમે આપણી વાતો પર ધ્યાન દઈને પોતાની સુધારણા કરવા માટેસમર્થ બની શકે.

બધાની બુદ્ધિ એકસરખી હોતી નથી. આત્મનિરીક્ષણની કે આત્મપરીક્ષણની ક્ષમતા બધામાં હોતી નથી. સ્વ. ડૉન ટૉમસ કહેતા “આ દુનિયામાં નેવું ટકા અડધા પાગલ છે. અડધા ગાંડા ન પણ હોય તોય એટલું તો નક્કી જ છે કે આત્મ પરીક્ષણની અને વસ્તુસ્થિતિ સમજવાની યોગ્યતા બહુ ઓછા લોકોમાં હોય છે. તેઓ ભાવાવેશ, તરંગો અને સ્વતંત્ર ધારણા અનુસાર પોતપોતાના મત નિર્ધારિત કરે છે. એમાં વિચારશીલતાનું નહિ પણ અંધવિશ્વાસનું બાહુલ્ય જોવા મળે છે. જ્યાં વિચારશીલતાની પ્રધાનતા છે ત્યાં ભૂલ સમજીને એનો સ્વીકાર કરવાની ક્ષમતા હશે. પરંતુ એવા ભાગ્યશાળી લોકો આ ધરતી પર માત્ર આંગળીના વેઢે ગણાય એટલા જછે. મોટા ભાગના તો અસંસ્કૃત માનસના જભર્યા પડ્યા છે. આપણે કામ એવા લોકો પાસેથી જ લેવાનું છે. એવી નીતિ અને કુશળતા ન દાખવીએ તો સારાં પરિણામોની આશા રાખી શકાય નહિ.

જ્યારે તમારે કોઈને એની ભૂલ બતાવવી હોય તો પહેલાં એની સામે સહાનુભૂતિ પ્રગટ કરો. આંટીઘૂંટીવાળી પરિસ્થિતિનાં કારણે એમ કરવા મજબૂર બનવું પડ્યું હશે એમ કહી સાંત્વન આપો. જો એણે જાણીજોઈને પણ ભૂલ કરી હોય તો પણ બધાની વચ્ચે અપમાનિત કરવું બરાબર નથી. કારણ કે પોતે અપરાધી સાબિત ન થાય એટલા માટે એ દુરાગ્રહ કરશે અને ભૂલને ભૂલ સાબિત થવા જ નહિ દે, ઊલટું દુરાગ્રહપૂર્વક એનું સમર્થન કરશે. લડી ઝઘડીને બહુબહુ તો તમે કોઈને ચૂપ કરી શકો પરંતુ તેનાથી એ તમારી વાત માનવા મજબૂર થશે નહિ, ઊલટું એ પોતાના અપમાનનો બદલો લેવા માટે તૈયાર થશે.

“એ સમયની પરિસ્થિતિથી મજબૂર થઈને દબાણવશ કે અન્ય કારણસર એમ કરવું પડ્યું હશે’ એમ કહીને ભૂલનો સ્વીકાર કરાવવો સરળ થઈ પડે છે. આપણે એની ભૂલ બતાવીને પોતાને બુદ્ધિશાળી સાબિત કરીએ છીએ એવી શંકા પણ એના મનમાં ઉદ્દભવવા ન દેશો. જે પ્રકારની ભૂલ એ માણસે કરી છે એવી ભૂલ બીજા પણ કરે છે કે કરી ચૂક્યા છે એવાં ઉદાહરણ આપવાથી એ ભૂલ સ્વીકારવામાં વધુ આનાકાની નહિ કરે. જો તમારા પોતાનાથી કોઈ એવી ભૂલ થઈ હોય તો એ ઉદાહરણ પણ આપી શકાય અને એને નિશ્ચિંત કરી શકાય કે એને નીચા દેખાડવા માટે વાત કહેવામાં આવતી નથી. આવી ચર્ચા બધા લોકોની વચ્ચે કરવા કરતાં એકાંતમાં જ કરવી કારણ કે ત્યાં એને પ્રતિષ્ઠા ઘટવાની બીક નથી હોતી અને સત્ય સુધી પહોંચવાનો આપણો માર્ગ પણ સરળ બની જાય છે.

જેણે ભૂલ કરી હોય એને જાહેરમાં અપરાધી કે પાપી કહેવો હાનિકર્તા છે, કારણ કે એનાથી એની તામસી પ્રકૃતિને પ્રોત્સાહન મળશે. જ્યારે કોઈને અપરાધી પાપી, દુષ્ટ, મૂર્ખ, દુરાત્મા, નાલાયક સાબિત કરવામાં આવે તો શક્ય છે કે એને પોતાના સદ્ગુણો અને સાત્ત્વિક પ્રકૃતિ પરથી વિશ્વાસ ઊઠી જાય અને નિર્લજ્જ બનીને દુર્ગુણી લોકોની પંક્તિમાં જઈને ઊભો રહે અને નીચતાભર્યા કાર્યો કરવા લાગે. તેથી કોઈનો ગુનો થયો હોય તો એને ભૂલના નામે ઓળખવો જ હિતાવહ છે. માટે પાપી કે અપરાધી જેવો કર્ણકટુ શબ્દપ્રયોગ ટાળો. ભૂલને સુધારવાનું સરળ બનાવો. દોષરહિત જીવનની મહત્તા બતાવો. જેણે ભૂલ કરી છે તે પોતે અપવિત્ર અને સુધરવા માટે અસમર્થ છે એમ માની લે છે. તેને હૈયાધારણ આપી ભૂલને નાની બતાવી પ્રોત્સાહન આપી આગળ આવવા પ્રેરવા જોઈએ. કડવા વેણથી કોઈનું દિલ તોડવું સહલું છે, એ કામ મૂર્ખ પણ કરી શકે છે. આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. પ્રેણા આપીને સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કઠણ જરૂર છે. તમારી બુદ્ધિને પડકાર ફેંકવામાં આવે છે કે એ કઠણ પ્રયત્ન દ્વારા કામ પાર પાડીને પોતાની મહત્તા સાબિત કરો. તમે આમ કરો, ’

‘તમે તેમ કરો’ હુકમ આપવાની આ રીત સૈન્ય માટે જ યોગ્ય છે. સામાજિક જીવનમાં સૈનિકની જેમ નહિ પણ સહયોગ અને ભાઈચારાના આધારે જ વાત કરવી જોઈએ. એમાં હુકમ આપવાની પદ્ધતિ સફળ થઈ શક્તી નથી. પગાર લેનાર નોકર પણ ઇચ્છે છે કે એને કોઈ મશીન માનવામાં ન આવે, જે કાર્યમાં પોતાની ઇચ્છા ન હોય એ કામ મન વગર કે વેઠ ઉતારતા હોય તેવી રીતે કરવામાં આવે છે. જો એ કામમાં મમત્વ ન ભળ્યું હોય તો પારકું કામ વેઠ ઉતારતા હોય એમ જ કરવામાં આવે છે. હુકમ કરવામાં આપણી લઘુતા દેખાય છે. અને લઘુતા, પરવશતાની વિરુદ્ધ મનમાં વિદ્રોહની ઇચ્છા ઉઠ્યા કરે છે. તમે જોયું હશે કે નાનાં બાળકો પણ હુકમ સાંભળવાનું પસંદ નથી કરતાં. એને અપરાધીની જેમ આજ્ઞાપાલન માટે મજબૂર કરવામાં આવે એ જરા પણ ગમતું નથી હોતું. મોટો થતાં મનુષ્ય લાભ કે ભયના કારણે હુકમ સાંભળે છે પણ તેની આંતરિક ઇચ્છા તેવી નથી હોતી. વિશ્વમાં આજકાલ સ્વતંત્રતાની તીવ્ર માગ છે. સ્વતંત્રતા માટે માનવજાતિ તીવ્ર સંઘર્ષ કરી રહી છે. મોટાંમોટાં બલિદાનો આપી રહી છે. અધ્યાત્મવાદી પણ મુક્તિ ઇચ્છે છે, મુક્તિ કે સ્વતંત્રતા એક જ વસ્તુનાં બે નામ છે. પરાધીનતા કોઈને પણ પસંદ ન હોવાથી બધા એમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય છે.

તમે જે પણ કાર્યક્રમ તરફ લોકોને આકર્ષવા માગતા હો એ માટેની તીવ્ર ઇચ્છા એમના મનમાં જાગૃત કરો. નવીન કાર્ય જૂના કાર્યની તુલનામાં વધુ લાભદાયક છે એવો વિશ્વાસ કરાવો. “ઈન્દ્રિય અસંયમ હાનિકારક છે.” એટલું કહેવા માત્રથી કામ નહિ ચાલે. જો કોઈને બ્રહ્મચર્યના પંથે અગ્રેસર કરવા માગતા હો તો એની સામે સ્વસ્થ અને સુંદર બ્રહ્મચર્યનાં ઉદાહરણો પ્રસ્તુત કરો અને એના મનમાં સ્પર્ધા જગાડો કે એ પણ ખીલેલા ગુલાબ જેવું સૌંદર્ય પ્રાપ્ત કરે, શરીરને સુડોળ અને નીરોગી બનાવે. એ લાભો તરફ જેટલા આકર્ષિત કરી શકાશે એટલો જ એ બ્રહ્મચર્ય તરફ દૃઢતાથી આગળ વધશે. કામ કરવું કોઈને પણ નથી ગમતું. બધા ઇચ્છે છે કે મહેનત કર્યા વગર બેઠાંબેઠાં જ જિંદગી પસાર થયા કરે. જ્યારે આકર્ષક ફળ મળવાની આશા બંધાય ત્યારે જ અપ્રિય એવો પરિશ્રમ કરવાની પ્રેરણા મળે છે. જોખમી, ખતરનાક અને દુષ્કર કાર્યો કોઈ વિશેષ લાભ મળવાની અપેક્ષા સાથે જ કરવામાં આવે છે. એટલે આપણે જે કામ માટે બીજાને તૈયાર કરવા માગીએ છીએ, એનાથી ક્યા ક્યા લાભો મળશે એ પણ સમજાવવું જોઈએ. ચોર,વ્યભિચાર, લાંચ વગેરે કામોના લાભ પ્રત્યક્ષ અને મોટા હોય છે, તેથી લોકો એ તરફ સહેલાઈથી ઢળી પડે છે. ઉચ્ચ કોટિના, સાત્ત્વિક, પ્રામાણિકતા,પ્રેમ અને ન્યાયયુક્ત કાર્યોના લાભ એટલા પ્રત્યક્ષ અને તાત્કાલિક મળે એવા નથી હોતા. એમાં શ્રમ પણ વધુ કરવો પડે છે. જો બીજાને આવાં કષ્ટસાધ્ય કાર્યો માટે પ્રવૃત્ત કરવો હોય તો એ કાર્યો દ્વારા પ્રાપ્ત થનારાં સુખો, લાભો અને ઉત્તમ પરિણામોનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. ઉદાહરણ, અનુભવ, તર્ક અને પરિણામ દ્વારા એવી લાભો એ રીતે રજૂ કરો કે સિનેમાના દૃશ્યની જેમ એ બધી વાતો એની આંખો સમક્ષ ખડી થઈ જાય અને હૃદય પર સારી રીતે અંકિત થઈ જાય.

કોઈ કાર્ય કરાવવા માટે તીવ્ર ઈચ્છા જગાડવી અને એ તરફ આકર્ષિત કરવો એ સૌથી પ્રભાવશાળી રીત છે. અમુક કાર્ય સારું છે, અમુક ખોટું છે, અમુક પાપ છે, અમુક પુણ્ય છે, એટલું કહી દેવા માત્રથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. સામાન્ય બુદ્ધિના માણસોમાં ભય અને લોભના કારણે જ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. લાભના લોભથી નિવૃત્તિ થાય છે. જે કાર્ય કરતાં બીજાને તમે રોકવા ઇચ્છતા હો તો એ કાર્ય કરવામાં જે ભય, આપત્તિ, હાનિ, અનિષ્ટ ઉત્પન્ન થવાની આશંકા છે. એને સારી રીતે હૃદયંગમ કરાવો. વેશ્યાગમનની જેને ટેવ છે એ રોકવા માટે એને સીફલીસ જેવા ભયંકર રોગની વાત કરીને, ભયભીત કરીને કુકર્મ કરવાથી રોકી શકાય છે. જાતીય રોગનાં કષ્ટો, બદનામી, ક્રિયાશીલતાનો અંત, ભોગથી વંચિત થઈ જવું, ધન નાશ વગેરે ભય અને આશંકાઓ એ વ્યક્તિના મનમાં ઠસાવી દેવામાં આવે તો એ વ્યક્તિનું કુમાર્ગગમન અટકી જશે એમાં કોઈ શંકા નથી. શિક્ષા કરીને, પ્રતિબંધ લગાડીને કે બળજબરીથી રોકવાને બદલે જો એ માર્ગે જતાં સહેવી પડતી હાનિ અને આશંકાઓનું મૂર્તિમંત ચિત્ર ખડું કરી દેવામાં આવે તો એ પોતે જ એ રસ્તો છોડી દેશે. તમારી સામે જો એક કાર્ય છોડીને બીજું કાર્ય કરાવવાની વાત આવે ત્યારે નવાં કાર્યોથી થતા લાભોનું વિશદ વર્ણન કરીને તે તરફ રસ ઉત્પન્ન કરો તથા જૂનાં કાર્યના નુકસાનનું મૂર્તિમંત ચિત્ર ખડું કરીને ભયભીત કરવાનો પ્રયત્ન કરો. જે લોકો વિવેક અને નિયમથી સમજતા નથી, જેમની ચેતના હજી નિર્બળ છે, એમના ઉપર લોભ અને ભય દ્વારા જ પ્રભાવ પાડવો સંભવ છે. પશુને ઘાસ બતાવીને કે લાઠીનો ભય બતાવીને જ ક્યાંક લઈ જઈ શકાય છે. અલ્પ વિવેકવાળા લોકો સાથે પણ ઉત્તમ કે ઉચિત માર્ગે લઈ જવા માટે આ જ સાધનોનો ઉપયોગ સાર્થક નીવડે છે.

માનવ મનોવૃત્તિનાં એક સુપ્રસિદ્ધ અન્વેષકે ઉત્તમ શિક્ષણ આપ્યું છે, “ જો તમે મધ એકઠું કરવા માગતા હો તો મધપૂડાને ઠોકર ન મારશો.” જે લોકો સાથે સંબંધ જાળવ્યા વગર કામ ન ચાલે, જેમના દ્વારા તમારી આજીવિકા ચાલે છે એવા સંબંધી તથા ગ્રાહકોને અકારણ ગુસ્સો ન કરો. એકાંતમાં અત્યંત શાંતિપૂર્વક નિ-લાભોનો પરિચય કરાવીને ભૂલ કરનારને સહેલાઈથી સમજાવી શકાય છે. તેમાં સુધરવાની સંભાવનાઓ વધી જાય છે.આનાથી ઊલટું બધાની સામે સખત ટીકા કરવાથી દોષોનું નિવારણ થવાનું તો દૂર, વેર, વિરોધ તથા દુરાગ્રહનાં મૂળ મજબૂત થાય છે.

આપ જે કાર્ય બીજા પાસે કરાવવા માગતા હો એ સહેલું છે એવું પ્રતિપાદિત કરો. લોકોને એ વિશ્વાસ કરાવો કે આમાં વધુ સરળતા રહેશે અને મુશ્કેલી ઓછી થઈ જશે. તમે જે કાર્ય માટે કોઈને સંમત કરવા માગતા હો એ કાર્ય સાધારણ મનુષ્ય પણ કરી શકે છે એવી ખાતરી કરાવો. અનેક વ્યક્તિ એ માર્ગે ચાલી ચૂકી છે અને ચાલી રહી છે, એમને એ માર્ગે ચાલવામાં કોઈ મુશ્કેલી પડી નથી એ વાત મનમાં ઠસાવો. યાદ રાખો જ્યાં સરળતા દેખાય છે ત્યાં જ લોકો ઢળે છે. તેથી તમે તમારા કાર્યની સરળતા બતાવો અને સમય સાધનોની પણ ઓછી જરૂર પડશે એવી ખાતરી આપો. જો તમે એ કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું બતાવશો, તેમાં આવનારાં વિઘ્નો અને અવરોધો બતાવશો તો શરીઆતથી જ એની હિંમત તૂટી જશે અને એ કાર્ય માટે તૈયાર થશે નહિ.

તમે પોતે ઓછું બોલો અને બીજાને વધુ બોલવા દો. તમે એક કલાક વાત કરીને એ વ્યક્તિને આકર્ષિત નથી કરી શકતા, જેટલી અડધો કલાક વાત સાંભળીને કરી શકો છો. સારા વક્તા હોવાનું મુખ્ય લક્ષણ છે સારા શ્રોતા બનવું.

બીજામાં તમે જે પણ સદ્ગુણો જુઓ કે સદ્વૃત્તિઓનો વિકાસ થયેલો જુઓ તો એનો વધુ વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપો. કરમાઈ ગયેલો અને સૂકો છોડ પણ પાણી મળતાં નવું જીવન પામે છે. એની ગતિવિધિ તરત જ બદલાઈ જાય છે. પ્રશંસાનું જળ પણ આવું જીવનદાયી છે. કરમાઈ ગયેલા અંતઃકરણમાં છોડવા ઊંચા ઊંચા વધવા લાગે છે. વર્ષાઋતુમાં વૃક્ષવેલી વધી જાય છે. મેઘનું આચમન કરીને વનસ્પતિ જગતનું રોમરોમ પ્રફુલ્લિત થઈ ઊઠે છે. વર્ષાઋતુમાં ચારે બાજુ મખમલ જેવી હરિયાળી છવાઈ જાય છે. ઉડ ભૂમિ પણ સુશોભિત થઈ ઊઠે છે. ખડકોનો મેલ ધોવાઈ જવાથી એની સ્વચ્છતા ખીલી ઊઠે છે. તમે પણ જો પ્રશંસા દ્વારા લોકોના કરમાયેલા મનને સીંચવાનું શરૂ કરી દો, કાનના રસ્તે આત્માને અમૃત પાશો તો જે પરોપકારી વરસાદ જેવું જ કામ કરશો.તાવડીની જેમ તપતી ધરતી વર્ષાનું અમૃતપાન કરીને તૃપ્ત થઈ ઊઠેછે. પરોપકાર અને આશીર્વાદના સંમિશ્રણથી અત્યંત શાંતિદાયક હરિયાળી ઉદ્દભવે છે અને વિશ્વની અસાધારણ સૌંદર્યવૃદ્ધિ કરે છે. શું તમને આ કાર્ય પદ્ધતિ પસંદ છે ? જો પસંદ હોય તો તમારી ચારે બાજુ દેખાતાં અસંખ્ય અતૃપ્ત અને અવિકસિત હૃદયોને આપની પ્રોત્સાહનભરી મધુર વાણીથી સીંચવાનું શરૂ કરી દો. તે પ્રફુલ્લ થઈ ઊઠશે. એમના સદ્ગુણો વર્ષાની વનસ્પતિની જેમ તીવ્ર ગતિથી વધવા લાગશે.

આ ખૂબ જ ઉચ્ચકોટિનું પુનિત ધર્મકાર્યછે. એનાથી અંતકરણની ચિર તૃષા તૃપ્ત થાય છે, ઉન્નતિના રુંધાયેલા સ્રોત ખૂલે છે, અવિકસિત સદ્વૃત્તિઓ અંકુરિત થાય છે. પ્રસુપ્ત યોગ્યતાઓ જાગૃત થાય છે અને નિરાશાના અંધકારમાં આશાનો દીપક ફરી ઝગમગી ઊઠે. નિંદા અનેભત્સેનાએ અનેક ઉન્નત મનવાળા લોકોનેનિરાશ, કાયર, ભયભીત અને નકામા બનાવી દીધા છે. આપણે ઘણા એવા લોકો જોયા હશે જેઓ ઉન્નતિશીલ હતા, એમનામાં યોગ્યતાઓ પણ હતી પણ એમનો સંપર્ક દુર્બુદ્ધિપૂર્ણ સંરક્ષકો સાથે હતો. નાનીનાની વાતમાં વઢવું, મૂર્ખ કહેવું, નાલાયકી સાબિત કરવી, અયોગ્યતાનો ફતવો કાઢવો વગેરે એવાં કાર્યો છે, જેના દ્વારા માતાપિતા પોતાનાં બાળકોની, માલિકો નોકરોની શિક્ષકો પોતાના શિષ્યોની આશાકળીને નિર્દયતાથી કચડી નાખે છે. નિરંતર અપમાનિત કરવાથી નથી કોઈ સુધારો થતો નથી ઉન્નતિ થતી. પરિણામ એટલું જ આવે છે કે અપમાનિત વ્યક્તિ પોતાના વિશે નિરાશાજનક ભાવનાઓ ધારણ કરી લે છે, પોતાની જાતને અયોગ્ય માની બેસે છે, એનું મન નિર્બળ બને છે અને ધીમે ધીમે નિર્લજ્જ થઈને અધોગતિ તરફ વળે છે.

જે વ્યક્તિમાં નિરાશ કરવાની, નાના-નાના દોષ કહેવાની, લડી પડવાની, નિંદા કરવાની કે નિરુત્સાહ કરવાની ટેવ છે એ ખરેખર ભયંકર છે. વાઘ જેવાં હિંસક પ્રાણીઓ જેના પર હુમલો કરે છે તેને પલકારામાં ફાડીને ખાઈ જાય છે, પરંતુ નિંદાભ વચનો કહેવાનો જેને અભ્યાસ થઈ ગયો છે, તેની ભયંકરતા વાઘ કરતાં પણ વધારે છે. દુષ્કાળનો દૈત્ય બાળકોનું કાળજું ચૂસીને તેમને હાડપિંજર બનાવી દે છે, તેવી રીતે નિંદાસૂચક વાક્ય પ્રહારોથી અંદર ને અંદર બીજાનું હૃદય ખવાઈ જાય છે. જો આપ પ્રશંસા અને પ્રોત્સાહનની નીતિ અપનાવો છો, તો તેના દ્વારા અનેક વ્યક્તિઓને ઊંચા ઉઠાવવામાં, આગળ વધારવામાં સહાયક બનો છો. બની શકે કે કોઈ ઉદ્યમી વ્યક્તિ તમારા દ્વારા પ્રોત્સાહન પામીને ઉન્નતિના પ્રકાશ પથ પર નીકળી પડે અને એક દિવસ ઊંચી ટોચ પર જઈ પહોંચે. શું તમને એનુ શ્રેય નહિ મળે ? શું એ મહાન કર્મસાધનામાં તમે પુણ્યના ભાગીદાર નહિ બનો ?

પોતાના દોષો સામે પણ સંઘર્ષ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

પોતાના દોષો સામે પણ સંઘર્ષ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

આપણે જેમ બીજાના દોષો પર દષ્ટિ રાખીએ છીએ અને વિરોધ કરીએ છીએ, એમ આપણા પોતાના દોષો પર પણ નજર રાખવી જોઈએ. તાળી બે હાથે પડે છે. સહયોગ માટે બંને પક્ષોમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ. જ્યાં સુધી આપણે પોતાના દુર્ગુણો દૂર નહિ કરીએ ત્યાં સુધી આપણી સહયોગ અને સહિષ્ણુતાની વાતો માત્ર દંભ જ ગણાશે. કારણ કે જ્યાં સુધી આપણે બીજાના ગુણોને ઉચિત મહત્ત્વ પ્રદાન કરીને એનો સ્વયં પણ સ્વીકાર કરવાનો પ્રયત્ન નહિ કરીએ ત્યાં સુધી તેઓ આપણા પ્રત્યે આકર્ષિત થઈ શકતા નથી.

આપણને બધાને ગુણવાન બનવાનું ગમે છે. પરંતુ સંસ્કાર અને સંપર્ક દોષના લીધે આપણામાં દુર્ગુણ ઘૂસી જાય છે, જેમને દૂર કરી દેવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ અને યોગ્યતાનો વિકાસ ન કરી શકતાં આપણે એનાં સત્યરિણામો ભોગવી શકતા નથી. તેથી આપણા વિદ્વાનોએ પોતાના અનુભવના આધારે ગુણવાન બનવાનો સાચો, સીધો અને સરળ માર્ગ બતાવ્યો છે, જેનાથી ગુણોનો વિકાસ અને દુર્ગુણોનો હ્રાસ થઈ જાય છે. એ ઉપાય છે- મનુષ્ય ગુણો પ્રત્યે અનુરાગ રાખે અને ગુણીજનો પ્રત્યે આદર-સત્કાર અને ભક્તિ રાખે. જેમ જેમ માનવીનો ગુણાનુરાગ વધશે, તેમ-તેમ એ સદ્ગુણો પ્રત્યે આકર્ષાશે અને ગુણવાન બનતો જશે. આ ક્રિયા એટલી સ્વાભાવિક છે કે એમાં વિચાર કરવાની કે શ્રમ કરવાની લેશમાત્ર આવશ્યકતા રહેતી નથી. ગુણો પ્રત્યે પ્રેમ અને ગુણવાન પ્રત્યે આકર્ષણ હોય તો ગુણવાન બનવાનો માર્ગ મોકળો થતો જાય છે.

સત્સંગ અને મહાપુરુષોનાં નામ સ્મરણ તથા ગુણકીર્તનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આ જ કારણે વર્ણવાયું છે. જેવો તેમની સાથે આપણો સંપર્ક થાય છે, તેવો જ તેમના ગુણદોષોનો પ્રભાવ આપણા પર પડ્યા વિના રહેતો નથી. મહાપુરુષોમાં ગુણોની પ્રધાનતા હોવાથી માણસ એમના ગુણોને યાદ કરીને ઇચ્છે છે કે પોતે પણ એવો જ ગુણવાન બને. મનુષ્યની જેવી ઇચ્છા હોય છે એ અનુસાર જ એની પ્રવૃત્તિઓ હોય છે અને જે વસ્તુની ઇચ્છા જેટલી તીવ્ર હોય એટલા જ પ્રયત્નો પ્રબળ હોય છે અને પૂર્ણતા પણ એટલી જ જલદી શક્ય બને છે.

વાસ્તવમાં જે પરમાત્મ પુરુષો સિદ્ધ અને બુદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ કોઈનું હિત-અહિત નથી કરતા, પણ તેઓના નિમિત્તે માણસમાં શુભ ભાવનાઓનો ઉદય થાય છે અને ગુણો પ્રત્યે આકર્ષણ વધે છે. એમને પોતાના દોષો, દુર્ગુણો અને ખામીઓ દેખાય છે અને એમને દૂર કરવાની ભાવના જાગે છે. તેનાથી માણસ પતનથી બચીને ઉત્થાન તરફ આગળ વધેછે. ગુણો પ્રત્યેનું આકર્ષણ જેટલું વધશે, એટલો જ દોષોનો સંપર્ક ઘટતો જશે.

પ્રાણીમાત્ર ગુણો અને અવગુણોનો પુંજ છે. કોઈનામાં ગુણોની અધિકતા હોય છે તો કોઈનામાં દોષોની. દૃષ્ટિભિન્નતાથી ક્યારેક કોઈના ગુણોમાં દોષ દેખાય છે અને દોષમાં ગુણ. જૈની દોષદર્શનની દૃષ્ટિ હોય છે તેઓ મહાપુરુષોમાં પણ કોઈ ને કોઈ દોષ શોધી કાઢે છે, જ્યારે ગુણગ્રાહક વ્યક્તિ ભયંકર પાપીમાં પણ કોઈ ને કોઈ ગુણ શોધી લે છે. થોડા ઘણા દોષ તો બધામાં રહેલા હોય છે. જોનાર જેવો હશે એ પ્રમાણે જે ગુણ કે દોષને વધુ કે કે ઓછું મહત્ત્વ આપશે, મારામાં દોષની આટલી પ્રચુરતા કેમ ? મારામાં ગુણ કેમ ઓછા છે ? આ રીતે ગંભીર વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી દષ્ટિ બીજાના અવગુણ જોવામાં લાગેલી રહેછે. દોષો તરફ વધુ ધ્યાન રાખવાના કારણે જઆપણામાં દોષોની અધિકતા અને પ્રબળતા થઈ જાય છે. જો આપણે આપણી દૃષ્ટિને ગુણગ્રહણમાં લગાડી દઈએ, ક્યાંય પણ કોઈનામાં પણ નાનો-મોટો જે પણ ગુણ જોઈએ એને ગ્રહણ કરવાનું ધ્યેય રાખીએ એટલે કે ગુણગ્રાહી બનીએ તો ગુણવાન બનતાં વાર લાગશે નહિ. માત્ર આપણી દૃષ્ટિ કે વૃત્તિમાં પરિવર્તન કરવાની જ વાર છે. દોષદષ્ટિની જગ્યાએ ગુણદૃષ્ટિને મહત્ત્વ આપવાનું છે. પછી આપણું કામ સરળતાથી વહેલામાં વહેલી તકે થઈ જશે. ગુણગ્રાહી વ્યક્તિની દૃષ્ટિ ખૂબ જ ઉદાર અને વિશાળ થઈ જાય છે. તેઓ સંકુચિત દૃષ્ટિએ વિચારતા નથી હોતા. ગુણ કોઈ દેશ, જાતિ, સંપ્રદાયનો ઈજારો નથી. તેથી ગુણગ્રાહી વ્યક્તિને જયાં પણ ગુણનાં દર્શન થાય એનાથી એ આકર્ષિત થયા વગર રહી શકતી નથી. સંકુચિત દૃષ્ટિવાળો પોતાના દેશ, જાતિ, સંપ્રદાયવાળાનાં તો ગુણગાન કરશે પણ એ સીમાની બહારની વ્યક્તિઓના ગુણો તરફ એનું ધ્યાન નહિ જાય અને કદાચ જશે તો પણ એમના ગુણગાનમાં એને હિચકિચાટ થશે. આવી સંકુચિત વૃત્તિને દષ્ટિરાગનું નામ આપી શકાય. જો વ્યક્તિ સંકુચિતતાનો આશ્રય લે તો સંપ્રદાય કે વ્યક્તિ વિશેષ તરફ એનો મોહ વધી જાય છે. અને એમના દોષમાં પણ એને ગુણ દેખાય છે અને અન્યના ગુણમાં પણ દોષ. એથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી ગુણદષ્ટિ સંકુચિત કે અનુદાર ન હોય. જ્યાં પણ જેનામાં પણ આપણને ગુણ દેખાય ત્યાં કોઈ પણ જાતના હિચકિચાટ વગર એની કદર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

દુષ્ટોનો નહિ, દુષ્ટતાનો નાશ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

દુષ્ટોનો નહિ, દુષ્ટતાનો નાશ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

આપણે બધાની સાથે પ્રેમ અને સહિષ્ણુતાભયો વ્યવહાર કરવો જોઈએ એ તદ્દન સાચી વાત છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે દુષ્ટ પ્રકૃતિના લોકોનાં અધમ કૃત્યો કોઈ પણ જાતની રોકટોક વગર થવા દઈએ અને એમની સાથે પ્રેમપૂર્વક વર્તીએ. આમ કરવાથી તો સમાજની વ્યવસ્થા ખોરવાઈ જશે અને લોકોને અનાચાર, અત્યાચાર કરવામાં કોઈ ખચકાટ નહિ રહે. તેથી પ્રેમના સિદ્ધાંતને સ્વીકારતાં આપણે દુષ્ટતાનો વિરોધ પણ કરતા રહેવું જોઈએ એ આપણું કર્તવ્ય છે. સાચા સહયોગનો આ જ માર્ગ છે.

એક તત્ત્વજ્ઞાનીનો ઉપદેશ છે કે ‘દુષ્ટો પર દયા કરો પણ દુષ્ટતાની સામે લડી મરો.’ દુષ્ટ અને દુષ્ટતાનો તફાવત સમજ્યા વગર આપણે ન્યાય ન કરી શકીએ. સામાન્ય રીતે લોકો દુષ્ટતા અને દુષ્ટને એક જ વસ્તુ માની લે છે અને એકસાથે બંનેને શિકાર બનાવી બેસે છે. બીમાર અને બીમારી એક જ વસ્તુ નથી. જે ડૉક્ટર બીમારીની સાથે બીમારને પણ મારી નાખવાની દવા કરે એની બુદ્ધિને શું કહેવું ? એક વાંદરો પોતાના માલિકને ખૂબ જ પ્રેમ કરતો હતો. જ્યારે માલિક સૂઈ જાય ત્યારે તે માખીઓને ઉડાડવા પંખો નાખ્યા કરતો. જ્યાં સુધી પંખો ચાલતો, માખીઓ ઊડ્યા કરતી અને પંખો બંધ થાય કે તરત જ માલિક પર આવીને બેસી જતી. આ જોઈને વાંદરાને ક્રોધ ચડ્યો અને એણે એને સજા કરવાનો નિશ્ચય કર્યો. એણે ખીંટી પર લટકતી તલવાર ઉપાડી અને જ્યારે માખીઓ માલિકના મુખ પર બેઠી ત્યારે એણે ત્યાં તલવાર ઝીંકી દીધી. માખીઓ તો ઊડી ગઈ પણ માલિકનું મુખ જખ્મી થઈ ગયું. આપણે દુષ્ટતાને ઘટાડવા તે વાંદરા જેવાં જ કામ કરીએ છીએ.

કોઈનો આત્મા દુષ્ટ નથી હોતો, એ તો સત્ય, શિવ અને સુંદર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દુષ્ટતા તો અજ્ઞાનના કારણે ઉત્પન્ન થાય છે. આ અજ્ઞાન એક પ્રકારની બીમારી છે. અજ્ઞાનરૂપી બીમારીને હટાવવા માટે દરેક ઉપાય કામે લગાડવા જોઈએ. પરંતુ વ્યક્તિગત રીતે કોઈના તરફ દ્વેષ ન રાખવો જોઈએ. જ્યારે વ્યક્તિગત દ્વેષભાવ મનમાં જાગે છે ત્યારે નિરીક્ષણબુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એ કુંઠિત બુદ્ધિ શરુમાં ક્યા ગુણો છે અને ક્યા દોષો છે એ ઓળખી શકતી નથી. પીળાં ચશ્માં પહેરવાથી બધી જ વસ્તુઓ પીળી દેખાય છે. એ જ રીતે સ્વાર્થપૂર્ણ દ્વેષ જે મનુષ્યને ઘેરી લે છે, તેમનાં સારાં કાર્યો પણ ખરાબ લાગે છે. પોતાની આંખોમાં થયેલા કમળાના રોગને ન સમજીને બીજાના ચહેરા પર તેને પીળાશ દેખાય છે, જેને પાંડુરોગ સમજી તેનો ઉપચાર કરવા લાગે છે. આ પ્રમાણે પોતાની મૂર્ખતાનો દંડ બીજાના ઉપર લાદે છે. પોતાની બીમારીની દવા બીજાને ખવડાવે છે. જુલ્મી અને દુષ્ટ, ક્રોધી અને પરપીડક આવા જ અજ્ઞાનથી ઘેરાયેલા હોય છે. તેમના મનમાં સ્વાર્થ અને દ્વેષ સમાયેલો હોય છે, પરિણામે તેને બીજાની બુરાઈ જ બુરાઈ નજરે પડે છે.સન્નિપાતનો રોગી દુનિયાને સન્નિપાતગ્રસ્ત સમજે છે.

આપે દુષ્ટ અને દુષ્ટતાની વચ્ચેનો તફાવત સમજતાં શીખો. દરેક વ્યક્તિને પોતાના જેવો પવિત્ર આત્મા સમો અને એને હૃદયપૂર્વક પ્રેમ કરો. કોઈ પણ પ્રાણી નીચ, પતિત કે પાપી નથી. તત્ત્વતઃ તે પવિત્ર જ છે. ભ્રમ, અજ્ઞાન અને બીમારીના કારણે એ કંઈનું કંઈ સમજવા લાગે છે. એ બુદ્ધિભમનો જ ઈલાજ કરવાનો છે. બીમારીને મારીને બીમારને બચાવવાનો જ દુષ્ટ અને દુષ્ટતા વચ્ચેનો તફાવત સમજવો ોઈએ. 14 માણસમાં ગમે તેટલા દોષો હોય તો પણ એના તરફ દ્વેષ ન રાખવો જોઈએ. આપ તો દુષ્ટતાની સાથે લડવા તૈયાર રહો પછી એ બીજામાં હોય કે આપની પોતાની અંદર.

પાપ એક પ્રકારનો અંધકાર છે, જે જ્ઞાનનો પ્રકાશ થતાં જ નાશ પામેછે. પાપનો નાશ કરવા માટે અપ્રિયમાં અપ્રિય જે કોઈ પ્રયત્નો કરવા પડે એ કરવા જોઈએ, કારણ કે એ એક પ્રામાણિક ડૉક્ટર જેવો વિવેકપૂર્ણ ઈલાજ હશે. આ ઈલાજમાં લોકકલ્યાણ માટે મૃત્યુદંડ સુધીની ગુંજાઈશ છે, પરંતુ દ્વેષ ભાવથી કોઈને ખરાબ માની લેવા અને એમના ભલાઈને પણ બુરાઈ કહેવી અનુચિત છે. જેમ એક વિચારશીલ ડૉક્ટર રોગીની સાચા હૃદયથી મંગલકામના કરે છે અને નીરોગી બનાવવા માટે પોતે કષ્ટ વેઠીને તનતોડ પરિશ્રમ કરે છે, એવી જ રીતે પાપી વ્યક્તિઓને નિષ્પાપ કરવા માટે સામ, દામ, દંડ, ભેદ ચારેય ઉપાય અજમાવવા જોઈએ. પરંતુ એ પાપીઓ સાથે કોઈ પ્રકારના અંગત રાગ-દ્વેષ ન રાખવા જોઈએ.

બીજામાં સારપ જુઓ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

બીજામાં સારપ જુઓ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

બીજાની સા૨૫ જોવાનો સ્વભાવ કેળવવો એ જ ઘૃણાની દૂષિત મનોવૃત્તિને દબાવવાનો ઉત્તમ માર્ગ છે. આપણે ગુણગ્રાહી બનવું જોઈએ. બીજાની નબળાઈઓ અને ખામીઓ શોધવાનું બહુ સહેલું છે. પણ આપણામાંથી કોણ એવું છે જેનામાં નિર્બળતાઓ રહેલી ન હોય ? તેથી આપણે બીજાના ગુણોને પારખીએ, સમજીએ અને એને દાદ આપીએ તથા નિરંતર પ્રોત્સાહિત કરતા રહીએ. બીજાના અવગુણ જ ગાયા કરે અને ઈર્ષ્યાવશ થઈને એની નિંદા કર્યા કરે એવી વ્યક્તિ શું કામની? અવગુણ જોવાની પ્રવૃત્તિ એક માનસિક રોગ છે. એનાથી વૃત્તિઓની અધોગતિ થાય છે. બીજાની સા૨૫ જોવાથી ગુણગ્રાહકતાનો વિકાસ થાય છે. જ્યારે આપણે બીજાના ગુણો જોઈને એને વ્યવહારમાં મૂકીએ છીએ, ત્યારે બીજા આપણાથી પ્રસન્ન રહે છે અને એનાથી મિત્રતા અને સહયોગની વૃદ્ધિ થાય છે.

જો આપણે આપણા મિત્ર, સંબંધી કે ઘરની વ્યક્તિ વિશે કોઈ નિંદનીય વાત સાંભળી હોય તો એ વાત બધાની સામે કહેવી ઉચિત નથી. કોઈ પોતાની નિંદા થાય એમ ઇચ્છતું નથી. ચોર,ડાકુ, જૂની પણ પોતાની નિંદા પોતાના કાનોથી સાંભળવા ઇચ્છતા નથી હોતા. બધાને પોતાની પ્રતિષ્ઠા, આત્મસન્માન અને આબરૂનો ખ્યાલ હોય છે. એથી જેના વિશે, જે કંઈપણ કહેવા માગતા હોઈએ તે એકાંતમાં સહાનુભૂતિભર્યા શબ્દોમાં કહેવું જોઈએ અને તમે એ નિંદામાં વિશ્વાસ ધરાવતા નથી તમારી દૃષ્ટિએ તે ખોટી વાત છે, તેમાં કોઈ તથ્ય નથી,એની પૂરેપૂરી ખાત્રી કરાવવાનું ન ભૂલવું જોઈએ.

બીજાનો આપના પ્રત્યેનો વિશ્વાસ ન તોડો. આપની પાસે આપની પોતાની, મિત્રોની, અધિકારીઓની, વેપારીઓની, સ્ત્રીઓની, ઘર-બહારના પાડોશીઓની ચારિત્ર્યવિષયક ગુપ્ત વાતો હોય છે. એ ગુપ્ત વાતો રાખવાની છે અને તે બહાર પાડવામાં આપે સાવધાનીપૂર્વક કામ કરવાનું છે. કોઈની ગુપ્ત વાતો બીજા સમક્ષ પ્રગટ કરવામાં આપ તેની સાથે અપ્રામાણિકતાનો વ્યવહાર કરો છો. આપની ગુપ્ત વાત પણ બીજાને ન કહો.

આપનો વિશ્વાસપાત્ર બનો. વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી. પરંતુ જેના ઉપર વિશ્વાસ મૂકવાનો છે એને બુદ્ધિ, પ્રલોભન, દઢતા વગેરેથી બરાબર ઓળખી લો.

જીવનને પ્રેમ કરો, પરંતુ મૃત્યુનો ભય છોડી દો. જ્યારે મરવાનો સમય આવશે ત્યારે મરી જઈશું, અત્યારથી એની ચિંતા શા માટે કરવી ? જીવનને જો આપ પ્રેમ નહિ કરો તો એનાથી હાથ ધોઈ બેસશો પરંતુ જીવનને જરૂર કરતાં વધુ પ્રેમ કરવાની જરૂર નથી. રોજિંદા વ્યવહારમાં સહનશીલતાનો ગુણ કેળવવાથી અસંખ્ય લાભ થાય છે. આપના અધિકારીઓ, ઘરના સભ્યો લડી પડે, માતા પિતા વિરોધ કરે, તમારા પોતાનાં સંતાન તમારા દષ્ટિકોણ સાથે સંમત ન થાય ત્યારે સહનશીલતાથી જ કામ લેવું પડે છે. ભયંકર ક્રોધી તોફાનમાં પણ શાંત, આત્મનિર્ભર અને દૃઢ રહેવું જોઈએ.

ધૃણાની હાનીકારક મનોવૃત્તિ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

ધૃણાની હાનીકારક મનોવૃત્તિ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

સહયોગનું મૂળ પ્રેમભાવના છે. જો આપણે આપણા પરિચિત, પાડોશીઓ વગેરે સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખીએ તો પરસ્પર સહયોગની વૃદ્ધિ થતી જશે. એના બદલે જો આપણા હૃદયમાં બીજા પ્રત્યે ધૃણાની ભાવના હોય તો આપણે એમને તિરસ્કારની દૃષ્ટિએ જોઈશું. પરિણામે આપણી આસપાસ વૈમનસ્યભર્યું વાતાવરણ ઊભું થશે, એટલે સહયોગની અપેક્ષા રાખનારે ઘૃણાની ભાવનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ. ધૃણા બીજા માટે નહિ, આપણા માટે પણ ઘાતક પુરવાર થાય છે.

ધૃષ્ણાની મનોવૃત્તિ આપણા મનમાં એક વિશેષ પ્રકારની  વિચારધારા જન્માવે છે. સંવેગો ઉત્તેજિત થતાં ક્યારેક એ જ બાહ્ય વિચારનું રૂપ ધારણ કરે છે અને એને જેટલા વધુ પ્રમાણમાં ભૂલવા જાઓ એમ એ આપણા મનને વધુ જકડતા જાય છે અને અંતે માનસિક રોગનુંરૂપ ધારણ કરી લે છે. અચેતનાવસ્થામાં જે વિચાર આપણા મનમાં ઘર કરી જાય, એ જ વિચાર થોડા સમય પછી આપણી વિશેષ પ્રકારની મનોવૃત્તિ બની જઈને જુદાં જુદાં કાર્યોમાં પ્રદર્શિત થવા લાગે છે. માની લો કે એક માણસ કોઈ કુષ્ઠરોગી માણસને જુએ છે અને એના હૃદય ઉપર એનો ઘેરો પ્રભાવ પડે છે અને એ એના જ વિશે વિચાર કરવા લાગે છે અને એ વિચારો ધીમે- ધીમે દૃઢ બનતા જાય છે. એના પર ધ્યાન આપવાની ઇચ્છા ન હોવા છતાં પણ એ માણસ એ વિચારોને રોકી શકતો નથી. જો એ અવસ્થા વધુ દિવસ રહે તો એ બીમારીનાં ચિહ્નો કુષ્ઠરોગીના વિચાર કરનાર માણસમાં પણ પ્રગટ થવા લાગે છે અને એ પણ છેવટે કુષ્ઠરોગી બની જાય છે. પરંતુ જ્યારે આપણે ધૃણાજનક વ્યક્તિને ધૃણામુક્ત થઈને જોઈએ ત્યારે એને લગતા બાહ્ય વિચારોથી મહદંશે મુક્તિ મેળવવામાં સફળતા મેળવી શકીએ છીએ. મોટા જ ભાગે ઘૃણા અને ડરના કારણે જ આપણે શારીરિક કે માનસિક બીમારીના ભોગ બનીએ છીએ. જો કોઈ વ્યક્તિ કદરૂપા માણસને ધૃણાથી જુએ ત્યારે પ્રત્યક્ષ રીતે એનાથી દૂર રહેવાની ચેષ્ટા કરે છે. પરંતુ જ્યારે ઘૃણાની ભાવના પ્રબળ બને ત્યારે સ્વપ્નમાં પણ એ જ વ્યક્તિને જોવા લાગે છે. આ બધું એટલા માટે થાય છે કે ધૃણાનો ભાવ એક રીતે આત્મનિર્દેશથી પ્રભાવિત થાય ત્યારે આપણે ધૃણિત ગુણોને અનાયાસે જ આપણામાં ચરિતાર્થ કરવા લાગીએ છીએ.

જો આપણે ઈચ્છીએ તો અન્ય લોકોની શક્તિઓને નિર્લેપ ભાવે જોઈ શકીએ છીએ. આનાથી આપણા મન પર કોઈ પણ પ્રકારની અવળી અસર થતી નથી, પરંતુ જ્યારે આપણે કોઈના દુર્ગુણો પ્રત્યે સંવેગાત્મક રીતે વિચારવા લાગીએ ત્યારે આપણા વિચાર આપણા મન પર અવળી અસર પાડવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના દુર્ગુણો વિશે વારંવાર વિચારવાથી આપણા વિચાર સંવેગાત્મક રૂપ ધારણ કરી લે છે અને આવા વિચારો હંમેશાં હાનિકારક પુરવાર થાય છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સંસારના મહાપુરુષોએ અપરાધીને ક્ષમા કરવાનો ઉપદેશ આપ્યો છે. અપરાધીને ક્ષમા કરીને આપણે પોતાની ધૃષ્ણાની ભાવનાનું સહાનુભૂતિ દ્વારા રેચન કરીએ છીએ.

ધૃષ્ણાની મનોવૃત્તિનું મૂળ કારણ આપણા મનમાં રહેલી કોઈ ગ્રંથિ હોય છે. આપણે એ ગ્રંથિને ઓળખીને એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ગ્રંથિનો ઉકેલાવાથી ધૃષ્ણાની મનોવૃત્તિ પણ આપમેળે જ નષ્ટ થઈ જાય છે. સાધારણ રીતે આપણે આપણા દોષોનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતા. પરંતુ આધ્યાત્મિક નિયમ અનુસાર આપણે કોઈ ને કોઈ દિવસ આપણા દોષોનો સ્વીકાર કરવો જ પડતો હોય છે. આપણી પ્રકૃતિ ધીમેધીમે આપણને આત્મ-સ્વીકૃતિ તરફ લઈ જવાનું શરૂ કરી દેછે. પહેલાં આપણે પોતાના આ દુર્ગુણોને બીજામાં જોવા લાગીએ છીએ અને ધીમેધીમે એ વિશે જ વિચાર કરતાં કરતાં પોતે જ એનો શિકાર બની જઈએ છીએ. વાસ્તવમાં દુર્ગુણ ક્યાંય બહારથી નથી આવતા. એ તો પહેલેથી જ આપણી અંદર મોજૂદ હોય છે. પરંતુ આપણે તેની ઉપસ્થિતિનો સ્વીકાર કરતા ન હોવાથી પ્રકૃતિ આડા-અવળા રસ્તેથી પણ એનો સ્વીકાર કરાવે છે. જો શરૂઆતમાં જ આપણે આ દુર્ગુણોને ઓળખી જઈએ તો એનાથી છુટકારો મેળવી શકાય છે. જ્યારેપ્રકૃતિ બળજબરીથી તેનો સ્વીકાર કરાવે છે, તે તે આપણને પકડી લે છે. પછી એનાથી છૂટકારો મેળવવાનું દુષ્કર બની જાય છે.

જ્યારે સામી વ્યક્તિની માનસિક સ્થિતિ આપણા સવિચારો ગ્રહણ કરવા યોગ્ય હોય ત્યારે જ એનો પ્રભાવ પડે છે. આ જ વાત આપણા પોતાના વિચારોની બાબતમાં પણ સાચી છે. આપણા મનમાં સારા-નરસા જે પણ વિચારો ઉદ્ભવે છે, એ બધાની પૃષ્ઠભૂમિ આપણી અંદર જ હોય છે. કોઈ વ્યક્તિ અંગેના ખરાબ વિચારોનું કારણ પણ આપણી અંદર જ રહેછે. વાસ્તવમાં અજ્ઞાત રૂપે દુર્ગુણો આપણામાં ઉપસ્થિત હોય છે. પરંતુ બહાર આવવાનો ઉચિત માર્ગ ન મળવાથી એનું દમન થઈ જાય છે અને તક મળતાં નિંદા-કૂથલીરૂપે ફૂટી નીકળે છે. આ જ પરિસ્થિતિ બીજા પ્રત્યે આપણા શ્રદ્ધાભાવની પણ છે. હકીકતમાં શ્રદ્ધાના યોગ્ય ગુણોની પૃષ્ઠ ભૂમિ પણ આપણા મનમાં જ હોય છે. આપણું મન એ સદ્ગુણોને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી એ આવા ગુણોનું સન્માન કરવા માટે પણ આપણે પ્રેરિત કરે છે. ઉદાર ચિત્તવાળા માનવીઓના વિચારો ઉદાર હોય છે. આવા લોકો હંમેશાં બીજામાં ભલાઈજ જોતા હોય છે. એમની નજર કોઈના દોષો પર જતી નથી.

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ આપણી આજુબાજુવાળાને સહકાર આપવાનો અને એમના પ્રત્યે સહિષ્ણુ બનવાનું શિક્ષણ આપે છે

ગોપ્યા સ્વીયા મનોવૃત્તિર્નાસહિષ્ણુર્નરો ભવેત્ ।  સ્થિતિમન્યસ્ય સંવીક્ષ્ણ તદનુરૂપતાં ચરેત્ ॥

અર્થાત્ – પોતાના મનોભાવોને સંતાડવા ન જોઈએ, આત્મીયતાનો ભાવ રાખવો જોઈએ. માનવીએ અસહિષ્ણુ ન બનવું જોઈએ. બીજાની પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ.

પોતાના મનોભાવ અને મનોવૃત્તિઓને સંતાડવાં એ જ છળ, કપટ અને પાપ છે. મનમાં હોય એવો જ ભાવ બહાર પ્રગટ કરવો એ પાપ નિવૃત્તિનો સૌથી મોટો રાજમાર્ગ છે. સ્પષ્ટ અને સાચું કહેનારા, મનમાં જેવું હોય એવું મોઢેથી કહી દેનારા કોઈને ગમે તેટલા ખરાબ લાગે પણ તેઓ ઈશ્વર અને આત્મા આગળ અપરાધી સાબિત થતા નથી.

જેઓ આત્મા પર અસત્યનું આવરણ ચઢાવેછેતેઓ એક રીતે પોતાના જ હત્યારા છે. કોઈ વ્યક્તિ વધુ રહસ્યવાદી હોય, અનેક અપરાધી કૃત્યો કરતી હોય, તે છતાં પણ એના કોઈ વિશ્વાસુ મિત્રો ચોસ હોવા જોઈએ, જેની આગળ એ પોતાનાં રહસ્યો વ્યક્ત કરીને મનને હળવું કરી શકે અને એમની સલાહથી પોતાના દોષોનું નિવારણ કરી શકે.

દરેક વ્યક્તિના દષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર અલગઅલગ હોય છે. એટલે બધાના વિચારો પણ અલગઅલગ હોય છે. આ તથ્યને સમજીને દરેક વ્યક્તિએ બીજા પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર બનવું જોઈએ. પોતાનાથી કોઈ પણ બાબતમાં મતભેદ રાખનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ કે વિરોધી માની લેવાનું ઉચિત નથી. મોટા ભાગના કલહોનું મૂળનું આવી અસહિષ્ણુતા જ હોય છે. એકબીજાના દૃષ્ટિકોણના અંતરને સમજીને યથાસંભવ સમજાવટનો રસ્તો કાઢવો જોઈએ. પછી જે મતભેદ બાકી રહે એને ધીરેધીરે ઉકેલતા રહેવું જોઈએ.

સંસારમાં બધા જ પ્રકારના મનુષ્યો છે. મૂર્ખ-વિદ્વાન, રોગી-નીરોગી, પાપી-પુણ્યશાળી, કાયર-વીર, ઉદ્દંડ-નમ્ર, ચોર-પ્રામાણિક, નિંદનીય-આદરણીય, કર્તવ્યપરાયણ કર્તવ્યવિમુખ, દયાપાત્ર-દંડપાત્ર, શુષ્ક-રસિક, ભોગી ત્યાગી વગે૨ે પરસ્પર વિરોધી સ્થિતિઓના મનુષ્યો રહેલા છે. એમની સ્થિતિ જોઈને એ પ્રમાણે એમની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખી એમને સહકાર આપવો જોઈએ. એમની સ્થિતિના આધારે જ એમની સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ.

કપટ અને અસહિષ્ણુતા એ બે બહુ મોટાં પાતકો છે. દગો, વિશ્વાસઘાત, કપટ, ઢીંગ, પાખંડ એ માનવતાને ક્લકિત કરનારાં સૌથી દુષ્ટ પ્રકારનાં કાયરતાભર્યાં કૃત્યો છે.જેમને આપણે ખરાબ સમજીએ છીએ, એની સામે લડીએ તો એટલો વાંધો ન હોય, પરંતુ મિત્ર બની, હળીમળી, મીઠીમીઠી વાતો દ્વારા અંધારામાં રાખી એનો અનર્થ કરવો એ હલકી કોટિનું પાપ છે. અનેક લોકો ઉપરથી સારું રાખે છે, મીઠું બોલે છે, હિતેચ્છુ બને છે અને અંદરથી શત્રુનું કામ કરે છે. મિત્રતાનું વચન આપે છે કે અમે તમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરીશું, પરંતુ પાછળથી પોતાના વચનનો ભગ કરીને વિપરીત કાર્ય કરે છે.

આજકાલ માણસ અત્યંત કાયર થઈ ગયો છે.એની દુષ્ટતા હવે લડાઈના મેદાનમાં દૃષ્ટિગોચર નથી થતી. પ્રાચીનકાળમાં લોકો જેની સામે દ્વેષ રાખતા કે જેનું અહિત કરવા ઇચ્છતા એમને ચેતવણી આપીને પછી મેદાનમાં લડવા માટે નીકળતા. પરંતુ આજે તો વીરતાનાં દર્શન દુર્લભ થઈ ગયાં છે. મિત્ર બનીને વિશ્વાસ સંપાદન કરીને, કોઈને પોતાની જાળમાં ફસાવીને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એના પ્રાણના પણ ગ્રાહક બની જવું એ આજનો એક વ્યાપક રિવાજ બની ગયો છે. જ્યાં જોઈએ ત્યાં છળ, કપટ, દગો, વિશ્વાસઘાતની બોલબાલા જ દેખાય છે. આ આત્મિક કાયરતા માનવીના પતનની જ નિશાની છે. એનાથી ઉપર ઊઠ્યા વગર કોઈ વ્યક્તિ ‘સાચો માનવી’બની ન શકે.

કોઈની અમાનત આંચકી લેવી, ઝેર આપી દેવું, આપેલું વચન તોડવું, બનાવટી વસ્તુને અસલી કહીને આપી દેવી, મિત્ર બનીને શત્રુનું કામ કરવું, આ બધી બાબતો માનવતા પરનું કલંક છે.

લગ્ન વખતે લોકો દેવતા અને પંચોની સાક્ષીમાં ધર્મપ્રતિજ્ઞા લે છે કે અમે એ સ્ત્રીના જીવનની દરેક જવાબદારી ઉપાડીએ છીએ. જેમ બાળકની બધી જ જવાબદારી માતા પર હોય છે અને માતા પોતાના બાળકને એ રીતે સંભાળે છે, વઢે છે, મારે છે, પરંતુ એના કરતાંય એના હૃદયમાં અનંત કરુણા, આત્મીયતા, મમતા અને ક્ષમાનો સમુદ્ર લહેરાતો હોય છે. જે માતાના હૃદયમાં વાત્સલ્ય, ક્ષમા, મમતા અને કરુણાની ભાવના ન હોય અને બાળકો પાસેથી પોતાનો ફાયદો ઉઠાવવાની,બાળકોને ગુલામની જેમ વશમાં રાખવાની વૃત્તિ હોય, એ ‘માતા’ શબ્દને કલંકિત કરે છે. એ જ રીતે જેઓ દેવતાઓ અને મંત્રોની સાક્ષીમાં પોતાની ધર્મપત્નીને માતા-પિતા, ભાઈ-બહેન વગેરે સ્વજનોથી છોડાવીને તેના સ્નેહ અને જવાબદારી પોતાના માથે લે છે, એમણે જીવનભર લગ્નની એ પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે સ્ત્રીની નાનકડી ભૂલ હોય તો પણ એને એટલી ભારે શિક્ષા કરવામાં આવે છે કે તે જોઈને ન્યાયનો આત્મા પણ કંપી ઊઠે. પતિ દ્વારા પત્નીની હત્યા કે ત્યાગમાં સામાન્ય રીતે આવો જ કાયરતાભર્યો વિશ્વાસઘાત ભરેલો હોય છે.

વાસના અને ધનનો લોભી મનુષ્ય જયારે યોગ્ય માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી, ત્યારે તે અનેક અનૈતિક કપટભર્યા માર્ગો અપનાવીને પોતાનો સ્વાર્થસિદ્ધ કરે છે. શાસ્ત્રનો આદેશ છે કે આપણે હંમેશાં પોતાનાં ધર્મ, કર્તવ્ય અને જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવીએ. સચ્ચાઈના માર્ગે ચાલવામાં જો કોઈ અગવડો સહેવી પડે તો એને પ્રસન્નતાપૂર્વક સહેવી જોઈએ. આ રીતે જેઓ સત્યના માર્ગે ચાલવામાં આવતી મુશ્કેલીઓનું – આફતોનું સ્વાગત કરવા પણ તૈયાર રહે છે, તેઓ જ ગાયત્રી માતાના સાચા પ્રેમપાત્ર બની શકે છે.

બીજી આવશ્યકતા છે કે આપણે સહિષ્ણુ બનીએ. કોઈની નાનકડી ભૂલ પર રાતાંપીળાં થઈ જવું કે કોઈ સાથે જરા પણ મતભેદ થતાં એને કટ્ટર દુશ્મન માની લેવો એ બહુ સંકુચિત વિચાર છે. સંસારમાં કોઈ પણ સંપૂર્ણ રીતે નિર્દોષ કે નિષ્પાપ નથી. દરેક મનુષ્ય અપૂર્ણ છે એમાં કોઈને કોઈ દોષ કે ક્ષતિ જરૂર હોય છે. નાનકડી નબળાઈના કારણે એને પૂર્ણ ત્યાજ્ય સમજી લેવાનું બરાબર નથી. બીજાની ઇચ્છાઓનો સમુચિત ઉપયોગ કરવો જોઈએ. એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્રુટિઓ સુધારવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એના માટે અધીરા ન થવું જોઈએ. સહિષ્ણુતા અને ધૈર્યપૂર્વક કામચલાઉ સહયોગનો માર્ગ શોધી કાઢવો જોઈએ અને જોર-જુલમથી નહિ પણ મધુર, સુવ્યવસ્થિત અને ન્યાયોચિત માર્ગથી પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આપણા બધા વિચારો યોગ્ય જ હોય એ જરૂરી નથી. એ આપણા માટે યોગ્ય હોઈ શકે છે, પણ બીજાને એ માનવા માટે આપણે ફરજ પાડી શકીએ નહિ. અનેક દાર્શનિક, ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક મતભેદો એવા હોય છે, જેમાં બંને પક્ષો દિગ્માન્ત જોવા મળે છે. એ વખતે આપણે અધિક સહિષ્ણુતાનો પરિચય આપવો પડે છે. કેટલાક વિરોધોને તો અપરાધ જ કહી શકાય, જેના માટે રાજદંડની વ્યવસ્થા છે. ચોરી, હત્યા, લૂંટ, કપટ, દુરાચાર જેવાં અનૈતિક કર્મોનો પ્રબળ વિરોધ થવો જ જોઈએ. એમાં જરા પણ સહિષ્ણુતાની જરૂર નથી. પરંતુ ‘પ્રબળ વિરોધ’ આપણને જ અપરાધી ન બનાવી દે એ ધ્યાન રાખવું જોઈએ. શિક્ષા કરવામાં બધા વિવેક જાળવી શકતા નથી, ખાસ કરીને જે અપરાધનો ભોગ બન્યા હોય તેઓ તો વિવેક ગુમાવી જ બેસતા હોય છે. એટલે શિક્ષા માટે ઉદાર, વિવેકી અને ન્યાયપ્રિય, નિષ્પક્ષ વ્યક્તિને જ પંચમાં નિયુક્ત કરવા જોઈએ. ન્યાયાલયો અને ન્યાયાધીશોની સ્થાપના એ જ આધારે કરવામાં આવી છે.

સંસારમાં કોઈ પણ બે વ્યક્તિઓ એકસરખા રંગ-રૂપની હોતી નથી. પ્રભુની રચના જ એવી છે કે દરેક મનુષ્યની આકૃતિમાં કોઈ ને કોઈ ફેરફાર જોવા મળે છે. જેમ વિભિન્ન આકૃતિવાળા માણસો એકસાથે પ્રેમપૂર્વક રહી શકે છે એમ જ વિભિન્ન મનોભૂમિવાળા લોકોને પણ એકસાથે પ્રેમપૂર્વક સહકારપૂર્વક રહેવામાં કોઈ વાંધો ન જ હોવો જોઈએ. સમાજનાં સુખ,શાંતિ, એકતા, ઉન્નતિ આ જ વાત ઉપર આધાર રાખે છે. અસહિષ્ણુ લોકોનો સમાજ હંમેશાં કલહ અને સંઘર્ષોને લીધે જર્જરિત થતો રહે છે અને કોઈ પણ રીતે ઉન્નતિ સાધી શકતો નથી.