વિવેક અને સ્વતંત્ર ચિંતન
March 19, 2024 Leave a comment
વિવેક અને સ્વતંત્ર ચિંતન
આધુનિક સંસારમાં સ્વતંત્ર ચિંતનનું ઘણું મહત્ત્વ છે. લગભગ બધા વિદેશીઓ ભારતીયો પર અંધવિશ્વાસુ હોવાનો આરોપ લગાવ્યા કરે છે, પરંતુ આ દોષ આપણા દેશમાં પાછલી કેટલીક સદીઓના અંધકારયુગમાં જ વધ્યો છે. બાકી વૈદિક સાહિત્ય સ્પષ્ટ રૂપથી સ્વતંત્ર ચિંતનની જ તરફેણ કરે છે, કારણ કે સ્વતંત્ર ચિંતન વિના વિવેક જાગી શકે નહીં અને વિવેક વિના લોકોને અનેક માર્ગોમાંથી પોતાને અનુકૂળ શ્રેષ્ઠ માર્ગનું જ્ઞાન લાધે નહીં. બીજાના અનુકરણમાં થોડીક સરળતા તો છે જ, પંરતુ તેનાથી સાચી ઉન્નતિનો માર્ગ રૂંધાય છે.
જે રીતે આળસુ, કાયર અને વિલાસી વૃત્તિના લોકો પોતે મહેનત કરવા માગતા નથી, મહેનતથી ડરે છે તે રીતે કેટલાય લોકો મન અને વિચારના જગતમાં સદાય પરજીવી સ્વભાવ રાખે છે. તેઓ ઈચ્છે છે કે બીજા ચિંતન, મનન કરીને તેમને માર્ગદર્શન આપે અને પોતે કહ્યાગરા પશુની જેમ એ ચીલે ચાલ્યા કરે. તે માર્ગની યોગ્યતા-અયોગ્યતા માટે કોઈ પોતાને જવાબદાર ગણે નહીં અને તે રસ્તો કદાચ ખરાબ હોય, તો પણ તેનું દોષારોપણ પોતાના પર ન થાય, પરંતુ તેને ખબર નથી કે અનેક માર્ગોમાંથી જે એક માર્ગ પર પોતે ચાલે છે તે પોતે નક્કી કર્યો છે. એટલે એ તમામ જવાબદારી તેની જ આવે છે. એટલે તે કોઈ પણ પ્રકારે આ દોષમાંથી છટકી શકે નહીં, છતાંય આવા લોકોની માનસિક અને બૌદ્ધિક આળસ દૂર થઈ શકતી નથી. ઘેટું બીજા ઘેટાની પાછળ પાછળ ચાલવાની વૃત્તિ રાખે છે, આગળનું ઘેટું કૂવામાં પડે તો પાછળ તમામ ઘેટાં કૂવામાં પડેતેના જેવા આ લોકો છે.આવી વૃત્તિવાળા લોકોનું વ્યક્તિત્વ ક્યારેય વિકસી શકે નહીં. મોટે ભાગે તેઓ પોતાના જીવનમાં મહાન કાર્યો કરવા માટે અયોગ્ય જ સાબિત થાય છે.
અભ્યાસ તો ઘણા કરે છે, પણ બધા વિદ્વાન થતા નથી, આનું કારણ શું છે ? કેટલાય લોકો હજારો પુસ્તકો વાંચી નાખે છે, કેટલુંય ગોખી નાખે છે, છતાં જો તેમની પોતાની કોઈ ચોક્કસ વિચારધારા ન હોય, સ્વતંત્ર ચિંતન ન હોય, તો એટલું વિશાળ વાંચન તથા અભ્યાસ પણ તેના વ્યકિતત્વને, તેની સત્તાના મહત્ત્વને સ્થાપિત કરવા અશકિતમાન જ રહે છે, જયારે એક સ્વતંત્ર ચિંતક અને મનનશીલ વ્યકિત પોતાના થોડાક જ અભ્યાસની મદદથી સમાજ અને રાષ્ટ્રમાં પોતાનું એક વિશેષ વ્યકિતત્વ બનાવી લે છે.
જે રીતે શરીરથી ઉત્પન્ન બાળકોને માનવી પોતાનાં બાળકો માની તેમને પ્રેમ, સ્નેહ આપે છે, તેમના જીવનને વિકસિત તથા ઉત્કર્ષવાળું બનાવવા શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરે છે, તે રીતે જો આપણે આપણા સ્વતંત્ર વિચારોને સન્માન અને સ્નેહ આપી શકીએ તો તે મામૂલી લાગતા વિચારો જ આપણા વ્યક્તિત્વને એક વિશેષ રૂપમાં ઢાળી શકે છે.
આવું ન કરી આપણે આપણા સ્મૃતિભંડારમાં પારકાનાં જ વિચારો ભરી, માત્ર તેમનો જ ભંડાર ભર્યા કરીએ છીએ. અન્નની જેમ ખાઈ, પચાવી, લોહી બનાવીને તેને પોતાના વિચારોનું એક અંગ બનાવી ન લઈએ, તેનો ઉપયોગ ન કરીએ, વ્યવહારમાં ઉતારીએ નહીં, તો આપણું તમામ અધ્યયન આપણા માટે બોજારૂપ બની રહેશે, આપણી શકિતનો નાશ કરી નાખશે. એટલા માટે જો આપણે ભાર વહન કરનાર પશુ બનવાના બદલે માનવ બનવાનું ઈચ્છતા હોઈએ તો જે વસ્તુની આપણને જિજ્ઞાસા હોય તે બીજા દ્વારા સાંભળી, જાણી અને તેનો અભ્યાસ કરીને જ નિશ્ચિંત ન થવું જોઈએ, પરંતુ જો આપણો અંતરાત્મા ન સ્વીકારતો હોય, તો તેને આપણા અંગેઅંગમાં ઊતરી જવા દેવું જોઈએ. જ્ઞાન આપણા મન, વાણી અને વ્યવહાર સાથે ઓતપ્રોત થઈ જવા દેવું જોઈએ. આનું નામ સ્વતંત્ર ચિંતન અને મનન છે, બાકી તો તે સત્ત્વ વગરનું કાગળનું ફૂલ માત્ર છે.
જે રીતે માનું દૂધ પીને, ધરતી માતાનાં અનાજપાણી લઈને તથા કુદરતમાંથી અન્ય ખાદ્યપદાર્થો મેળવીને આપણું શરીર હૃષ્ટપુષ્ટ થાય છે અને વધે છે, તે રીતે દરેક વ્યકિતના મૂળભૂત વિચારોની પણ આવી જ દશા છે. તે પોતાના પોષણ માટે બધી દિશાઓમાંથી પોષકતત્ત્વો મેળવી વધે છે, પણ એ તત્ત્વોમાં પોતાને વિલીન કરી દેતો નથી. જેણે પોતાની જાતને એમાં વિલીન કરી દીધી છે, તેમાં એકાકાર થઈ ગયો છે તે કોઈ વૃક્ષ કે વ્યકિત ન બનતાં પોતે પણ ખાદ્યપદાર્થ કે ખાતર બની જાય છે, જેને ચૂસીને, અનુયાયી બનાવીને બીજા લોકો આગળ વધે છે અને વિકાસ કરે છે.
આપણા વિચારોને ચોક્કસ અને ખાસ રૂપ આપવા તેમને વાણી અને લેખન દ્વારા પ્રગટ કરતા રહેવું જોઈએ. અવારનવાર આ વાણી અને લેખનમાં સુધારાવધારા કરીને સુધારતા રહેવું જોઈએ. આનો અભ્યાસ કરતાં કરતાં તે વિચારો આપણા આચરણમાં ઊતરતા જાય છે અને એક દિવસ આપણે પોતે એ વિચારનું મૂર્તિમંત સ્વરૂપ બની જઈએ છીએ. આ છે વિશુદ્ધ ચિંતન તથા મનનનું પરિણામ.
આ સૃષ્ટિ વિવિધતાની દૃષ્ટિએ પણ અનંત છે. અહીંની કોઈપણ રચના રંગ, રૂપ તથા આકારમાં સંપૂર્ણ રીતે એક્સરખી હોતી નથી. એટલે વિવેક્યુક્ત વ્યક્તિત્વ બનાવતા પહેલાં આપણે જાતે આપણું પોતાનું જ ચિંતન અને મનન કરવું જોઈએ. આપણે કેવા બનવા ઈચ્છીએ છીએ તે પણ ગંભીર ચિંતન અને મનનના ફળ સ્વરૂપે આપણી અંદરથી જ નક્કી થાય છે. બીજું કોઈ તે નક્કી કરી શકતું નથી.
પ્રતિભાવો