કર્મયોગનું રહસ્ય .
January 12, 2009 Leave a comment
કર્મયોગનું રહસ્ય .
સમાજની નિ:સ્વાર્થ સેવા જ કર્મયોગ છે. એ હ્રદયને શુદ્ધ કરીને અંત:કરણને આત્મજ્ઞાનરૂપી દિવ્ય જ્યોતિ મેળવી શકીએ એટલા સક્ષમ બનાવે છે. વિશેષ બાબત તો એ છે કે મોહ વગર કે અહંકાર વગર નિ:સ્વાર્થ ભાવે માનવજાતની સેવા કરવી પડશે. કર્મયોગમાં કર્મયોગી બધાં જ કર્મો અને એનાં ફળો ભગવાનને અર્પણ કરી દે છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને મોહમાયા દૂર કરીને સફળતા કે નિષ્ફળતામાં સમાન દ્રષ્ટિ રાખીને કર્મ કરતા રહેવું તેને કર્મયોગ કહે છે.
કર્મયોગીનું હ્રદય વિશાળ હોવું જોઈએ. એમાં કુટિલતા, નીચતા અને સ્વાર્થ બિલકુલ હોવાં જોઈએ નહીં. એણે લોભ, કામ, ક્રોધ અને અભિમાનથી દૂર રહેવું જોઈએ. આ અવગુણોનાં ચિહન પણ દેખાય તો એમને એક એક કરી દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.
જો તમે ઈચ્છતા હો કે બીજા તમારી સાથે સારો વ્યવહાર કરે તો તમે પણ બીજા સાથે સારો વ્યવહાર કરો. આ નીતિવાક્યને યાદ રાખો. તમારા જીવન વ્યવહારમાં આ નિયમનુંઆચરણ કરવું જોઈએ. તમે કોઈ કામ ખોટું નહી કરો તો તમને અનહદ આનંદ થશે.
-અખંડજયોતિ, માર્ચ-1955 પેજ-5
પ્રતિભાવો